Tahuko - 34 books and stories free download online pdf in Gujarati

ટહુકો - 34

ટહુકો

સહજ શૃંગાર તો જીવનનું રસામૃત છે

(૨૯/૧૨/૨૦૧૩)

વસંત હવે આવી રહી છે. જે મનુષ્ય વસંતની પ્રતીક્ષા કરે તે સાધુ પણ નથી હોતો અને અસાધુ પણ નથી હોતો. એ તો કેવળ મનુષ્ય હોય છે. શું મનુષ્ય હોવું એ જેવીતેવી સંપ્રાપ્તિ છે? સદીઓથી ઋતુરાજ વસંત સાથે શૃંગાર રસ જોડાતો રહ્યો છે. જે સમાજ શુષ્ક ધાર્મિકતાને પનારે પડે છે તેણે દંભ અને આતંકના પ્રહારો વેઠવા જ પડે છે. દંભ અને આતંકનો ખરો મર સ્ત્રીઓ પર પડે છે. માઓ ઝે ડોંગ કહેતો કે સ્ત્રીઓ અડધું આકાશ રોકે છે. શૂદ્રકના વિખ્યાત નાટક 'મૃચ્છકટિકમ્' ની નાયિકાનું નામ વસંતસેના હોય એ સામાન્ય વાત નથી. વસંતઋતુ ખરેખર તો દિવ્ય થનગનાટ ની ઋતુ છે. શુષ્ક્તા મૂળે અધ્યાત્મવિરોધી ઘટના છે. ગાંધી - વિનોબાને નામે પણ શૃંગારરસની નિંદા કરશો નહીં. એ બાબતે રવીન્દ્રનાથ ટાગોર વધારે જીવનમય હતા. દંભ જેવી જીવનવિરોધી ઘટના બીજી કોઈ નથી. કેટલાક ગાંધીવાદીઓ દંભના તળાવમાં ડૂબકી મારનારા હોવાના. તેઓ આદર્શને કારણે મજબૂર છે.

શુષ્ક પતિની સ્મિત વેરતી પત્નીની કમનસીબી પ્રત્યે કરુણા બતાવવા કોણ નવરું હોય?પ્રત્યેક પતિની ઝંખના રસિકપ્રિયાને પામવાની હોય છે. સમાચાર વાંચ્યા કે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં વસંતોત્સવનું ભવ્ય આયોજન થયું છે. મોહેં-જો - દરોની સંસ્કૃતિના સંદર્ભે આવા આયોજનની જવાબદારી બેનઝીર ભુટ્ટોના સુપુત્ર બિલાલે લીધી છે. શુષ્ક પિતા અને શુષ્ક માતાનો પરિવાર કદી સુખી નથી હોતો. બારમી સદીમાં ભક્તકવિ જયદેવે ' ગીતગોવિંદ ' ની રચના કરી અને સહજ શૃંગારને છૂટથી વહેતો મેલ્યો. કહે છે કે મેવાડના રાણો સંગ વીર હતો અને કવ્યરસિક પણ હતો. જૂનાગઢના વિદ્વાન સાહિત્યકાર ડૉ. મુનિકુમાર પંડ્યાએ પોસ્ટકાર્ડમાં મને લખ્યું કે:રાણાસંગે ' ગીતગોવિંદ ' વિશે લખ્યું છે. તેઓ આગળ લખે છે કે રાણોસંગ મીરાંબાઈનો સસરો થાય. જયદેવ જેવો જ શૃંગારરસ ભક્ત નરસિંહ મહેતામાં જોવા મળે છે. બીજી વાત નરસિંહ મહેતા વિશે વાત કરું? જો સેન્સર બોર્ડ જેવું કશુંક એ જમાનામાં હોત તો નરસિંહની કેટલીય પંક્તિઓ પર કાતર ફરી ગઈ હોત. વર્ષો પહેલા આ વાત ગુજરાતી સાહિત્ય પરિષદના આપણા વિદ્વાન પ્રમુખ ડૉ. ધીરુભાઈ પરીખ કરી હતી. કહે છે કે કવિ રવીન્દ્રનાથ ટાગોરે ત્રણ વખત ' ગીતગોવિંદ' ને બંગાળીમાં ઢાળવાનો પ્રયત્ન કર્યો પણ પછી વાત પડતી મેલી હતી. ગાંધીજીને પણ ' ગીતગોવિંદ ' ગમ્યું ન હતું. જયદેવ અને નરસિંહ ની પંક્તિઓમાં પ્રગટ થતો શૃંગાર થોડોક મુખર છે એ નક્કી.

આપણી પરંપરામાં બે પ્રકારના શૃંગારની વાત થઈ છે: (1) સંભોગ શૃંગાર અને (2) વિપ્રલંભ શૃંગાર. સંભોગ શૃંગાર દેહકેન્દ્રી છે અને એમાં સૂક્ષ્મ પ્રેમતત્વ ગૌણ રહી જવા પામે છે. વિપ્રલંભશૃંગાર દેહથી પર એવા આત્મમય પ્રેમને પ્રગટ કરતો શૃંગાર છે. વિયોગ(વિપ્રયોગ) ની અવસ્થામાં બે પ્રિયજનો જે ઉત્કટ પ્રેમનું સુક્ષ્માનુભૂતી કરે છે તે વિપ્રલંભ શૃંગારનું ઉદાહરણ ગણાય.

મહાકવિ જયદેવે ' પ્રસન્નરાઘવમ્' નાટક (અંક - 6) માં હનુમાન દ્વારા અશોકવાટિકામાં વિરહમાં શેકાતી સીતાને રામે પાઠવેલ સંદેશો સાંભળો:

હે સીતા!

ચંદ્રમા મને પ્રચંડ કિરણો જેવો લાગે છે.

નવો વરસાદ મને દાવાનળ જેવો લાગે છે.

નદીનાં મોજાં પરથી આવતો પવન મને

ક્રોધે ભરાયેલા સાપના નિ:શ્વાસ જેવો

નવી વેલી શૂળ જેવી

અને કમળોનું ઉપવન મને

ભાલાઓની અણી જેવું લાગે છે!

વાલ્મીકિ રામાયણ (યુદ્ધકાંડ, 5, 5)માં વિરહમાં શેકાતા રામના શબ્દો પણ સાંભળો:

હે પવન!

તું ત્યાં વહેજે,

જ્યાં મારી પ્રિયા છે.

તેનો સ્પર્શ કરી આવ્યા પછી

તું મારો સ્પર્શ કરજે

તે સમયે તેને મારાં અંગોનો

જે સ્પર્શ થશે તે

અમે બંને ચંદ્રને જોઈએ

ત્યારે થતાં દ્વષ્ટિસંયોગ વખતે

મારા સઘળા સંતાપને દૂર કરશે.

વિપ્રલંભ શૃંગારમાં બે પ્રેમીઓ એકબીજાથી દૂર છેઅને તોય તેમની વચ્ચે પ્રેમમય અલૌકિક અદ્વૈત રચાય છે. મહાકવિ જયદેવના ' ગીતગોવિંદ' માં સંભોગ શૃંગાર અને વીપ્રલંભ શૃંગાર ક્યારેક એકાકાર થતા જણાય છે. સદીઓથી મનુષ્યને એક અતૃપ્ત તરસની અનુભૂતિ થતી જ રહી છે. એ તરસને કારણે લોકો ફિલ્મ અને નાટક જોવા જાય છે. એ તરસને કારણે રાતે ટીવી પર સિરિયલ જોવા માટે પરિવાર ટાંપીને બેઠો હોય છે. એ તરસને કારણે લોકોને ' સરસ્વતીચંદ્ર' માં દેખાતો ખલનાયક પ્રમાદ ધન ખૂંચે છે. એ તરસને કારણે રામાયણ, મહાભારત, મેઘદૂત અને ઉત્તમરામચરિત જેવી કૃતિઓ આજે પણ વંચાતી રહે છે. એ તરસને પ્રગટ કરતી પંક્તિઓ બાલકૃષ્ણ શર્મા(નવીન)એ લખી છે:

ક્યોં બજાઈ બાંસુરી?

તો સજન આ રહી થી,

અયુત જન્મોં કી તૃષા ભર

નયન મેં લા રહી થી.

તા. 7મી ડિસેમ્બરે અમદાવાદમાં એક રૂડી ઘટના બની. વર્ષો પહેલા હું સદ્દગત જયભિખ્ખુનો વ્યસની વાચક હતો. મુંબઈના વિદ્વાન મિત્ર ડૉ. ધનવંત શાહે જયભિખ્ખુની કૃતિને આધારે ' કૃષ્ણભક્ત કવિ જયદેવ ' નાટક તૈયાર કર્યું અને એ અમદાવાદના સુજ્ઞ ભાવકો સમક્ષ ભજવાયું. ધનવાંતભાઈના એ પુસ્તકનું લોકાર્પણ માટે હાથે થતું તેનો આનંદ અનુભવું છું. ડૉ. મહેશ ચંપકલાલ જેવા નાટ્યવિદે નાટકની રજૂઆતમાં પ્રાણ પૂર્યો છે. એ પ્રસંગે જયદેવ પર જે નૃત્ય રજૂ થયું તેમાં વૈભવ આરેકાર(જયદેવ) અને (પદ્મ) શિવાંગી વિક્રમે શ્રોતાઓને મુગ્ધ કરી દીધા. ડૉ. કુમારપાળે જયભિખ્ખુનું સાચું પિતૃતર્પણ કર્યું છે. અમદાવાદમાં આવી સાંસ્કૃતિક ઘટનાઓ વારંવાર બનતી રહે છે. છેલ્લી વાત. આપણે સૌ શ્રીમદ્ વલ્લભાચાર્યનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. સૌંદર્ય, માધુર્ય અને સહચર્યને કૃષ્ણભક્તિમાં તરબોળ કરીને તેમણે સમાજને શુષ્કતાના અભિશાપમાંથી મુક્ત કર્યો.

(પ્રવચન પરથી)

પાઘડીનો વળ છેડે

સ્થૂળ પ્રેમ, સૂક્ષ્મ પ્રેમ

વિશ્વ કેરો મંત્ર પ્રેમ,

સૃષ્ટિની સુવાસ પ્રેમ,

પ્રેમ તેજ કરો પાર,

પરમ પ્રેમ પરબ્રહ્મ!

- કવિ ન્હાનાલાલ

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED