Tahuko - 15 books and stories free download online pdf in Gujarati

ટહુકો - 15

ટહુકો

તમારી સાથોસાથ ચાલતો ત્રીજો પુરુષ

આપણે નિહાળીએ કે ન નિહાળીએ, પરંતુ સૃષ્ટિમાં સતત ક્ષણપ્રવાહ ચાલી રહ્યો છે. આપણે જાગીએ કે ઊંઘીએ, સદકર્મ કરીએ કે દુષ્કર્મ કરીએ, પ્રવૃત્તિ કરીએ કે પ્રમાદ સેવીએ, પ્રેમસાગરમાં ડૂબકી મારીએ કે રાગદ્વેષના તરંગો પર તરીએ, પાપ કરીએ કે પુણ્ય વાવીએ અને ધ્યાન કરીએ કે નશો કરીએ, પરંતુ એ ક્ષણપ્રવાહ તો સાવ સ્વતંત્રપણે જગતની લીલાથી લેપાયા વગર સતત ચાલતો જ રહે છે. ઘડીભર થંભી જઈને એ પ્રવાહને સાક્ષીભાવે નીરખીએ તો કદાચ સમજાય કે આપણું ‘હોવું’ એ તો અનંત કાળપ્રવાહમાં ઉદ્દભવતું, તરતું, વહી જતું અને વિલીન થતું એક જીવનબિંદુ છે. એ જીવનબિંદુ જ આપણું ચેતનાબિંદુ છે. કદાચ એ જીવનસ્ફુલિંગને ઉપનિષદના ઋષિ આત્મા કહીને પ્રમાણે છે. આત્મા શું તે આપણા જેવા સામાન્ય માણસને ભલે ન સમજાય, પરંતુ વહી જતી ક્ષણને નીરખવાની ટેવ પડે તોય બેડો પાર !

ક્ષણપ્રવાહ ક્યારે શરૂ થયો એની ભાળ ન મળી તેથી ઋષિઓએ એને અનાદિ કહ્યો. એ પ્રવાહનો કોઈ અંત જણાતો નથી તેથી તેને અનંત કહ્યો. અનાદિ અને અનંત એવા એ ક્ષણપ્રવાહનો સંબંધ શાશ્વતી સાથે રહેલો છે. શાશ્વતીના એ મહાપ્રવાહમાં ક્યાંક ઊઠતા એક તરંગ જેવું આપણું જીવન ! એ જીવનને ગીતામાં व्यक्तमध्य કહ્યું છે. પરમાત્માએ આપણને જીવન નામની મહાન ભેટ આપી છે. વાતે વાતે સામા માણસને ‘થેંક યૂ’ કહેનારો માણસ જીવન જેવી મહાન ભેટ આપનારા પરમેશ્વરની પ્રાર્થના પણ ન કરે, તો એના જેવો નગુણો બીજો કોણ ? જીવતા હોવું એ જેવોતેવો ચમત્કાર નથી. એની આગળ બીજા બધા જ ચમત્કારો ફિક્કા પડી જાય છે. જીવતા હોવું એ ચમત્કાર ખરો, પરંતુ જીવંત હોવું એ બહુ મોટી સંપ્રાપ્તિ ગણાય. જીવંત હોવું એટલે ક્ષણે ક્ષણે જાગ્રત (aware) હોવું. જાગ્રત રહીને ક્ષણમાં નિવાસ કરનારી શાશ્વતીને નીરખવાની છે. આપણે એને ક્ષણયોગ કહી શકીએ. ક્ષણયોગ એટલે ક્ષણ સાથેનું તાદાત્મય. ક્ષણયોગ એટલે અનાદિ અને અનંત એવી શાશ્વતી સાથેનું ધ્યાનાનુસંધાન.

સરિતાનું સૌંદર્ય એના ખળખળ વહેતા પ્રવાહમાં રહેલું છે. ક્ષણસરિતાનું સૌંદર્ય પણ એના વહેણમાં રહેલું છે. પ્રત્યેક ક્ષણે પાંગરતી પરિવર્તનતાને નિહાળવી એ જ વિપશ્યના છે. વિપશ્યના એટલે વિશિષ્ટ રીતે જોવું-પેખવું-નીરખવું. જગતના સમગ્ર સૌંદર્યની જનની પરિવર્તનતા છે. તેથી કહ્યું : ક્ષણે ક્ષણે યન્નવતામુપૈતિ તદેવ રૂપમ રમણીયતાયાઃ| ક્ષણે ક્ષણે જે નવલાં રૂપ ધારણ કરે તે જ સુંદરતાનું ખરું સ્વરૂપ છે. પરિવર્તનતા અને રમણીયતા એકાકાર છે. છોડ પર ખીલેલું પુષ્પ પ્રતિક્ષણ પરિવર્તન પામતું રહે છે તેથી સુંદર છે. ઋતુઓ સુંદર દીસે છે કારણ કે ઋતુઓ પૃથ્વી પર મુકામ કરીને કાયમી અડ્ડો જમાવતી નથી. વસંત રમણીય છે કારણ કે વસંતના પેટમાં જ પાનખર બેઠેલી હોય છે.

આપણી પૃથ્વી પર કાયમી કશુંય નથી. પૃથ્વી પણ કાયમી નથી. પરિવર્તનતા જ કાયમી છે. આવી આછીપાતળી સમજણ પણ આપણને રાગદ્વેષ અને માયા-મમતાથી મુક્ત કરનારી છે. આપણે સતત વહેતા કાળના કન્વેયર બેલ્ટ પર બેઠાં છીએ. આપણું કહેવાતું ‘કાયમી સરનામું’ સાવ હંગામી છે. વખત પાકે ત્યાં ચાલતાં થવાનું છે. આપણું ઘર પણ એક અર્થમાં ગેસ્ટહાઉસ છે. આવી ગેસ્ટહાઉસવૃત્તિ પ્રાપ્ત થાય તો જીવનના ઘણા ઉધામા શાંત પડી જાય. ભગવાન હસે છે ક્યારે ? જ્યારે માણસ ભાવિ યોજનાઓ ઘડવામાં જીવવાનું જ ભૂલી જાય ત્યારે ભગવાન હસી પડે છે. ક્ષણયોગ એટલે પૂરી માત્રામાં જીવવાનો જાગ્રત પ્રયત્ન. ખરો સાધુ ક્ષણયોગી છે તેથી નિર્લેપ છે. એ નિર્લેપ છે કારણ કે જીવનની પરિવર્તનતા સાથે એકરૂપ એવી રમણીયતાનો એ રસજ્ઞ છે. ક્ષણે ક્ષણે નવલાં રૂપ ! ક્ષણે ક્ષણે નવી રંગભૂમિ ! ક્ષણે ક્ષણે પ્રગટતી નિત્યનૂતનતા !

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED