Prabhu Seva books and stories free download online pdf in Gujarati

પ્રભુ સેવા















લેખ પ્રભુ સેવા









આજે પ્રભુ સેવા પર કશું ક વિચારીએ.પ્રભુ સેવા કરતાં પહેલાં પ્રભુનો વિચાર કરવો જરૂરી છે.પ્રભુ માટે આસક્તિ જાગવી જરૂરી છે.પ્રભુ માટે નો પ્રેમ ડરથી નહીં પણ સમજણથી જાગવો જરૂરી છે.
પૃષ્ટિ માર્ગમાં એક શબ્દ છે" અપરસ"અથવા"અપ્રસ".એનો સીધો સાદો અર્થ એ થાય છે કે મને અડશો ના. હું પ્રભુની સેવામાં છું અર્થાત હું શુધ્ધ છું.પ્રભુની સેવા કરતાં પહેલાં પ્રભુની સેવા કરનારે સ્નાન કરી શારિરીક રીતે શુધ્ધ થવું પડે છે.શરીર પર જે ગંદકી હોય તે દૂર કરવી જોઈએ.જેથી કરીને પ્રભુભક્તિમાં વિક્ષેપ ન થાય.સ્નાન કરવાથી આપણાં શરીરને એક વિશિષ્ટ પ્રકારની ઉર્જા મળે છે, જેનાં કારણે આળસ, કંટાળો જેવી નિરાશાજનક વૃતિઓ નાશ પામે છે અને એક હકારાત્મક વૃત્તિથી પ્રભુ સેવા કરી શકીએ છીએ.આ તન ની વાત રહી.
ભક્તિ કે સેવા કે કોઈ કાર્યમાં તન સાથે મન પણ જોડાયેલું હોય છે. બંન્ને એકબીજાને પૂરક છે.બે પૈડા કોઈ પણ વાહન માટે જરૂરી છે તેમ કોઈ પણ કાર્ય માટે તનમનની એકાત્મા આવશ્યક છે.જેને ધ્યાન પણ કહી શકાય.એકાગ્રતા પણ કહી શકાય.
પ્રભુની સેવા કરતી વખતે સામાન્ય રીતે આપણા તન અને મન એકબીજાની વિરુધ્ધ દિશામાં ચાલતાં હોય છે.સેવા કરતી વખતે તન સાથે મન પણ પ્રભુ ભક્તિમાં જોડાયેલું હોવું જરૂરી છે. ક્રિયાશીલતા તન માટે જરૂરી છે. તેજ પ્રમાણે મન એકચિત રહેવું એટલું જ જરૂરી છે.સામાન્ય રીતે આપણે પ્રભુની સેવા કરીએ ત્યારે મન વિચારોના તાંતણાથી ધેરાયેલું હોય છે.સામાન્ય માણસ માટે આ વૃતિ સહજ છે.સંસારની વ્યાધિઉપાધિથી તે ઘેરાયેલો હોય છે.આ વૃત્તિમાંથી છૂટવા પ્રભુની સેવા પહેલાં ભજન, કીર્તન, મંત્રોચ્ચાર,ઘંટનાદ,આરતી જેવી ઈત્યાદિ પ્રવૃત્તિ કરવામાં આવે છે.જેથી કરીને મન પ્રભુ ભક્તિમાં ઓતપ્રોત થવા પ્રયત્ન કરે છે.અને મન સાંસારિક પ્રવૃત્તિથી દૂર થઈ પ્રભુ ભક્તિમાં રોપાવા લાગે છે.આ ક્રિયા અભ્યાસ જેને સ્વાધ્યાય પણ કહે છે,દ્રારા કેળવાય છે.
હું અપરસમાં છું એનો અર્થ એ થાય છે કે પળ બે પળ હું પ્રભુનાં સાનિધ્યમાં છું.માટે તમે મને સાંસારિક વાતોનો સ્પર્શ ના કરાવો.તમે આવી વાતો કરવા આવ્યા હોવ તો હમણાં એ વાતોથી તમે દૂર રહો.એટલે કે મને સ્પર્શ ના કરો.
તેવી જ રીતે પ્રભુ ભક્તિ દરમ્યાન આપણે પણ સાંસારિક વાતોથી દૂર રહેવું જોઈએ.એક બાજુ આપણે પ્રભુની સેવા કરીએ અને તે સાથે ઘરેલું વાતોમાં આપણું ચિત્ત હોય તો આપણે પ્રભુની સેવાથી વિમુખ થઈએ છીએ.
પ્રભુ સેવા કરતી વખતે જો આપણને ગુસ્સો આવે તો આપણી આસપાસ આગનું પડ રચાઈ જાય છે અને આ આગ આપણાં પ્રભુને સૌ પ્રથમ સ્પર્શે છે.કારણ આપણો પ્રભુ બાળકથી પણ નાજુક છે,કોમળ છે. અને પ્રભુ સેવા કરતી વખતે જાણેઅજાણે પણ ગુસ્સો કરવો અપરાધ છે.અને જો આપણને ગુસ્સો આવે તો જરૂર સમજવું કે આપણું દાનવ સ્વરૂપ પ્રગટ થયું છે.આવી સેવા ભગવાન ક્યારે પણ સ્વીકારતું નથી.માટે ક્રોધ થી દૂર રહેવું જરૂરી છે.ક્રોધ આવવાનું કારણ હું પણું.હું પણાથી દૂર રહેવા માટે પ્રભુ સેવા કરતી વખતે મૌન રહેવું એ નિયમ પાળવો જોઈએ. મૌનમાં અજીબ શક્તિ છે.મૌન રહેવાથી આપણી તમામ ઈન્દ્રિયો અહીંતહીં ભટકવાને બદલે એક લક્ષ તરફ આકર્ષિત થાય છે.
મૌન આપણને ત્યાગ તરફ લઈ જાય છે.ધારો કે આપણે નક્કી કરીએ છીએ કે પ્રભુની સેવા દરમ્યાન મૌન રહેવું છે ત્યારે આપણી આંખો સમક્ષ જે કાંઈ ઘટનાઓ બને છે ત્યારે તેનાથી અલ્પિત રહેવાનું છે.આ માટે આપણી ઈન્દ્રિયોને કાબુમાં રાખવાની છે.આંખો જે કાંઈ જુએ છે તેને રીએક્ટ નથી કરવાનું.આ માટે આપણી માન્યતાઓને નજર અંદાજ કરવી પડે છે.બીજા શબ્દોમાં કહીએ તો આપણાં અહમ્ ને વશમાં કરવો પડે છે.અર્થાત ગમ ખાવી પડે છે.સરવાળે આપણને સમજાય છે કે આપણી માન્યતાઓ વગર પણ દુનિયા ચાલે છે.જો મૌન ન રાખ્યું હોત તો આપણે સામેની વ્યક્તિને બે કડવાં શબ્દો કહેત. પરિણામે ઝઘડો થાત.તું તું મૈં મૈં ની હારમાળા ઊભી થાત.સંબંધોમાં આવત કડવાશ. તો આ છે મૌનની દુનિયા. દુનિયાથી અલ્પિત રહેવાની કળા આવડી ગઈ તો નિજાનંદની મજા માણી શકીએ છીએ.આપણે જાણે અજાણે એમ માની બેઠાં છીએ કે હું જે માનું તે સાચું. બાકી બધું ખોટું એવું વિચારો આપણને અકળામણ આપે છે.પણ મૌન નો અભ્યાસ કરવાથી આપણે નકામી વૃત્તિથી છુટકારો પામી શકીએ છીએ.
પ્રભુ ભક્તિ કે પ્રભુ સેવા પ્રસન્નતા સાથે કરવાની હોય છે.નહીં કે ઉદાસી ઓઢીને.આસપાસનું વાતાવરણ પણ પ્રસન્ન રાખવી જરૂરી છે.આ માટે ધૂપ,કે ધૂપસળી કે ફૂલોનો વપરાશ કરવામાં આવે છે.સાથે સાથે આસપાસનું વાતાવરણ શાંત હોય તે પણ જરૂરી છે.એકાંતનો અર્થ એવો નથી કે આસપાસ નીરસતા,અંધકાર હોય.કુદરતનું સાનિધ્ય પણ એક અલૌકિક આનંદ આપે છે.તેથી નદી કિનારે મંદિરો વિકાસ પામ્યાં છે.પ્રભુ સેવા માટે આપણો શારિરીક શૃંગાર પણ મહત્વનો છે.સ્વચ્છ,સુંદર,મનને પ્રસન્નતા આપે તેવા વસ્ત્રો પહેરવાથી પ્રભુ સેવામાં અડચણ નથી આવતી કે નથી કોઈ વિક્ષેપ પડતો.

પ્રભુ સેવા વખતે તન સાથે મન પણ સ્વસ્થ હોવું જરૂરી છે.કલુષિત વિચારોથી મન મુક્ત હોવું જરૂરી છે.માટે સામાજિક વ્યવસ્થાનાં ભાગ રૂપે અમૂક સંજોગોમાં પ્રભુ સેવા ન કરવાની તાકીદ કરવામાં આવી છે.
પ્રભુ સેવા કરવાથી પ્રભુ મળી જાય છે? આપણી અંધશ્રદ્ધા પ્રમાણે મોક્ષ, સ્વર્ગની પ્રાપ્તિ થાય છે?
પ્રભુ સેવા કરવાથીમનને શાંતિ મળે છે. મનને એક વિશ્વાસ મળે છે.આ વિશ્વાસ શ્રધ્ધા તરફ લઈ જાય છે.અને મન પ્રફુલ્લિત રહે છે.મન પ્રફુલ્લિત રહે તો આપણી આસપાસનું જગત સુંદર લાગે છે.આ સુંદરતા આપણને પરમ શાંતિ આપે છે.જેને લૌકીક મોક્ષ કહી શકાય. ના કોઈ બંધન છે, ના કોઇ ડર કે ના કોઈ હઠાગ્રહ.આપણે જે પરિસ્થિતિમાં હોઈએ તે સ્થિતિમાં આનંદ માણી શકીયે છીએ.સુખદુખ થી મુક્ત થઈ ને ત્યાગ આપણને ધેરી વળે છે.આનું કારણ પ્રભુપ્રત્યેનો લગાવ. પ્રભુ તરફનું ખેંચાણ.મન જ્યારે પ્રભુ તરફ ખેંચાય છે ત્યારે આ જગત પ્રભુ મય લાગે છે.તેથી આ જગત તરફ વૈરાગ્ય નહીં પણ પ્રેમ ઉભરાય છે.જગતનો દરેક જીવ પ્રભુમય લાગે છે.પરિણામે માનવ સેવા,તરફ મન વળે છે.એટલું જ નહિ આ સૃષ્ટિનાં જીવોની સેવા કરવા મન ઢળે છે અને સૃષ્ટિ સેવા એજ પ્રભુ સેવા છે એમ માને છે.સંસાર છોડી સંન્યાસ લેવાથી પ્રભુ સેવા શક્ય નથી.શારિરીક પીડાથી પ્રભુ ક્યારે ખુશ થતો નથી.પ્રભુ સંસારમાં વિવિધ સ્વરૂપે હાજરાહજુર છે.આ સૃષ્ટિ પ્રભુની છે. આ સંસાર પ્રભુનો છે.તો પ્રભુની બનાવેલી ચીજનો અનાદર કરવો તે પ્રભુનું અપમાન છે.
મન સાથે તન ને પણ પ્રભુ સેવામાં પરિવારનું છે.માટે તનને દુષણોથી દૂર રાખવું જરૂરી છે.પ્રભુ સેવા માટે તન આવશ્યક છે.જો આપણુંશરીર નબળું, અશક્ત, કમજોર, હશે તો પ્રભુ સેવા શક્ય નથી. આપણું શરીર તંદુરસ્ત,નિરોગી સ્ફુરતિલું હશે તો પ્રભુ સેવામાં આનંદ આવશે.આ આનંદ ઉત્સાહવર્ધક હશે તો આપણે આપણો આનંદ સૌમાં વહેંચી શકશું.માટે મન ની સાથે તનની તંદુરસ્તી માટે સભાન રહેવું જરૂરી છે. તનની તંદુરસ્તી માટે આપણને માફક ન આવતો ખોરાક, પાણીથી દૂર રહેવું જોઈએ.આપણાં સમાજમાં એટલે જુદી જુદી જયંતિએ ઉપવાસ રાખવાનો રિવાજ છે.ઉપવાસથી શરીર શુધ્ધ રહે છે અને નકામા વાયુ પ્રકોપથી છૂટકારો પામીએ છીએ.
પ્રભુ સેવા માટે તન, મન ઉપરાંત આપણાં સંબંધો અને આપણાં પર આપણું નિયંત્રણ પણ અગત્યનો ભાગ ભજવે છે.અર્થાત જે સંબંધો આપણી પ્રભુસેવાને અવરોધે તેવાં સંબંધોથી દૂર રહેવું જરૂરી છે.તે સાથે જેઓ આપણાં વિચારોને અનુરૂપ ન થાય તેમની સાથે કામવગરની દલીલો, તકરારોથી દૂર રહી આપણા મગજનું સંતુલન ગુમાવવું જોઈએ નહીં.પ્રભુસેવા એ સૌની વ્યક્તિગત ઈચ્છા પર અવલંબે છે.દરેકની સમજ એક સરખી નથી હોતી.માટે હું સાચો છું, તું ખોટો છે એવી કારણ વગરની દુખ થાય તેવી દલીલો,ઝઘડાઓથી દૂર રહેવું જરૂરી છે.એક વાત સમજી લેવાની જરૂર છે કે પ્રભુ સેવા નિજી સ્વાર્થ માટે છે.માટે કારણ વગરનાં ક્લેશથી દૂર રહેવું જોઈએ.સમાજમાં વટ રાખવાની વૃત્તિથી દૂર રહેવું જોઈએ.પ્રભુ સેવા આપણી જાહેરખબર ન બનવી જોઈએ તેનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.
સમાપ્ત
પ્રફુલ્લ આર શાહ.


























vvvvvvvvvvvvv

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED