Pranay Manthan Bipin Agravat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Pranay Manthan

પ્રણય મંથન

બીપીન અગ્રાવત

agravat1987@gmail.com



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

પ્રણય મંથન

આપવા ઈચ્છું ગગન ખુલ્લું તને,

તું ચહે છે પિંજરાની કેદને...

વાત કરવી છે આજે રાધા અને કિશનની. નામ સાંભળતાં જ કોઈ મિલન-વિરહની પ્રેમકથા હોવાનો અંદાજ આવી જાય છે. ખરૂં ને? હા, બરાબર વિચારો છો તમે. ચાલો તો તમને પણ વિગતે જણાવું આ અલૌકિક પ્રેમકથા વિશે. કદાચ આ સંપૂર્ણ કે થોડેઘણે અંશે આપની પ્રેમકથાનો પણ હિસ્સો હોઈ શકે.

રાધા અને કિશન આમતો એકબીજાને ખૂબ જ પ્રેમ કરતાં, જાણે એક આત્મા ને બે શરીર. પરંતુ છેલ્લા થોડાં સમયથી બંને એક સિક્કાની બે બાજુ બની ગયા હતા. ખળખળ વહેતી નદીનાં બે કિનારાની જેમ સાથે ને સામે હોવાછતાં તેઓ મળતાં ન હતાં ને બંને વચ્ચેથી સમય અવિરત વહેતો જતો હતો.

રાધા અને કિશન વચ્ચેનાં સંબંધની શરૂઆત સમાજમાં રૂઢિગત ચાલ્યા આવતાં રિવાજોનાં ભાગરૂપે થઈ હતી. લગ્ન માટે છોકરી પસંદ કરવાનાં હેતુથી કિશન રાધાને પ્રથમવાર મળ્યો, બંને પરિવાર વચ્ચે સામાજિક વાતચીત થઈ અને ત્યારબાદ તેઓની એકાંતમાં મુલાકાત ગોઠવવામાં આવી. જીવનસાથી તરીકેની પસંદગી માટે તેઓએ એકબીજા સાથે વાતચીત કરી ત્યારે કિશને રાધાને જણાવ્યું હતું કે, ’લગ્ન એ પતિ-પત્નીનાં એકબીજા પરનાં વિશ્વાસથી ટકી રહેતો પ્રેમસંબંધ છે.’ અને એ સાથે પોતાની આ સંબંધ માટે સંમતિ દર્શાવી હતી. અંતે બંને પરિવારે તેઓનાં સંબંધ પર સગાઈની મહોર મારવાનો નિર્ણય લીધો. (ઘણીવાર સમાજની વચ્ચે રહેતા હોવાથી સંસ્કારી ઘરનાં છોકરો કે છોકરી પરિવારની આબરૂને ધ્યાને રાખી, અમુક બાબતોમાં મૌન ધારણ કરતાં હોય છે અને પોતાની ઈચ્છાઓનું બલિદાન આપતાં હોય છે. આવું જ કાંઈક રાધા અને કિશન સાથે પણ બન્યું.)

દસેક મિનિટની પ્રથમ મુલાકાતમાં જ એકબીજાને સંપૂર્ણ જાણવા એ મારા મતે તો અશક્ય જ છે. (આવાં નાજુક સંબંધનાં નિર્ણય માટે ઈશ્વરે ચહેરો ને મન વાંચવાની દિવ્ય દ્રષ્ટિ આપી હોત તો કેવું સારૂં..?) રાધા અને કિશનની બીજી મુલાકાત સીધી સગાઈમાં જ થઈ. બપોર સુધીમાં કુટુંબીજનોની હાજરીમાં સગાઈની વિધિ પૂર્ણ કર્યા બાદ, આ સંબંધ નિર્વિઘ્‌ને લગ્નમાં પરિણમે અને સંપૂર્ણ જીવન એકબીજા સંગે સુખ-શાંતિ સાથે પસાર થાય, એ માટે સાંજે બંને દેવસ્થાને દર્શન કરવા ગયા. વળતી વેળાએ રાધાને તેનાં ઘરે મૂકવા જતી વખતે કિશને તેની સાથે સંપર્કમાં રહેવા મોબાઈલ નંબર માગ્યો. એ સમયે રાધાએ ’મારી પાસે મોબાઈલ નથી’ - એમ પ્રત્યુત્તર આપતાં કિશન થોડો નિરાશ થઈ ગયો. જીવનસાથી માટેનું કાચું લાઈસન્સ મળી ગયા બાદ આજનાં યુવાનો એકબીજા સાથે વાત કર્યા વિના કેમ રહી શકે? અને અહીં તો કિશન અને રાધા વચ્ચે પ્રણયસંવાદની શરૂઆત પણ ન્હોતી થઈ. (સગાઈ અને લગ્ન વચ્ચેનાં સમયગાળામાં એકબીજાને જાણવામાં આ ટેકનોલોજી ખૂબ લાભકારક નિવડી શકે છે, પણ એનો ઉપયોગ સુયોગ્ય રીતે કરતાં આવડવો જરૂરી છે.) તેમછતાં કિશને મનને મનાવ્યું અને કહ્યું, ’કાંઈ વાંધો નહીં, જ્યારે સમય અને સંજોગ અનુકૂળ હોય ત્યારે વાત કરીશું.’

સગાઈનાં બે-ત્રણ દિવસ પછી કિશનનાં મોબાઈલ પર રાધાનો મેસેજ આવ્યો, ’આ મારો નંબર છે.’ ને એ વાંચી કિશન મનમાં ને મનમાં ખૂબ ખુશ થયો. તેણે રાત્રે રાધા સાથે વાત કરવા મેસેજ કર્યો, પરંતુ રાધાએ વળતાં મેસેજમાં જ જણાવ્યું કે, ’કિશન, હું કોઈ બીજાને પ્રેમ કરૂં છું અને હું તમને ખુશ નહીં રાખી શકું.’ આ વાંચી કિશનનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. કદાચ સગાઈ પૂર્વેની પ્રથમ મુલાકાતમાં જ કિશને કહેલ વિશ્વાસની વાતનો આ પ્રત્યુત્તર હતો. તે થોડીવાર માટે તો કાંઈ સમજી જ ન શક્યો કે, ’રાધા આ સંબંધની શરૂઆત બધું જ જણાવી દઈ સારી રીતે કરવા માગે છે કે પોતાને તેની સાથેનો સંબંધ તોડી નાખવા જણાવે છે.’

કિશનનાં ભૂતકાળ પર એક નજર કરીએ તો તેના જીવનમાં પણ આવી એક ઘટના બની ચૂકી હતી, પણ તે તેને ભૂલી નવેસરથી જીવનની શરૂઆત કરવા માગતો હતો. કિશને ખૂબ સમજદારીપૂર્વક આ વાતની રાધાને જાણ કરી અને કહ્યું કે, ’સમય સાથે જે બન્યું તે કદાચ ઉંમર સાથેનું વિજાતિય આકર્ષણ પણ હોઈ શકે, પરંતુ પરિવારની સમાજમાં આબરૂ જળવાઈ રહે એ માટે આપણે પોતાના અંગત જીવન સાથે સમાધાન કરી લગ્ન કરવા એ પણ યોગ્ય નથી. હું તને બંને વાતની છૂટ આપું છું. જો તું ઈચ્છે તો તારા પ્રેમસંબંધ વિશે તારા પરિવારને હું જણાવું અને તમને બંનેને લગ્નગ્રંથિથી જોડવા માટે તેઓ રાજી-ખુશીથી ’હા’ પાડે તેવાં પ્રયત્નો કરૂં. તારા જીવનની ખુશી પહેલાં મહત્વની છે અને જો તને મારી રજૂઆત યોગ્ય લાગતી હોય તો હું ભૂતકાળની ઘટનાને એક ખૂણામાં દફનાવી, તારી સાથે જીવનની નવી શરૂઆત કરવા માટે તૈયાર છું.’ રાધાએ કહ્યું કે, ’મને આ વિશે થોડું વિચારવા માટે સમય આપો.’ કિશને રાધાની વાતનો સ્વિકાર કર્યો.

થોડાં દિવસ શાંતિથી વિચાર્યા પછી રાધાએ કિશન સાથે જીવન જીવવાનો નિર્ણય લીધો. અતીતની વાસ્તવિકતા જણાવ્યા બાદ તેઓ એકદમ પવિત્ર મન-હૃદયથી એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. ધીરે-ધીરે પરસ્પરની સમજણથી બંને એકબીજાની વધુ ને વધુ નજીક આવતાં ગયા અને ક્યારે તનનું ભાન ભૂલી મનથી એકાકાર બની ગયા તેની તેઓને ખબર જ ન રહી. વિરહની વેદનાનાં તડકા-ટાઢ-વરસાદ સહન કરતાં-કરતાં તેઓના પ્રેમનું બીજ છોડમાં પરિણમવા લાગ્યું. અંતે સગાઈ પછીનાં બે વર્ષ પસાર થતાં તેઓનાં લગ્ન કરી દેવાનો પરિવારે નિર્ણય લીધો. આમતો આ લગ્ન સામાજિક રીતરિવાજ અને પરિવારની મરજી મુજબ થયા, પણ રાધા અને કિશન માટે જાણે એ પ્રેમલગ્ન બની ગયા. લગ્ન પછીની દરેક વાસ્તવિકતાઓની તેઓને જાણ હતી અને તે વિશે તેઓ લગ્નપૂર્વે મેસેજમાં વાત પણ કરતા હતા. ’લગ્ન પછી એકબીજા સાથેના સતત સહવાસને લીધે એકબીજા પ્રત્યેની લાગણીમાં ઘટાડો થતો જાય છે અને માટે જ સગાઈથી લગ્ન સુધીનાં સમયને સુવર્ણકાળ કહેવામાં આવે છે.’ - એ વાત તેઓ જાણતાં હતાં અને માટે જ પોતાની સાથે એવું ન બને તેની કાળજી રાખીશું, એવું એકબીજાને કહેતા.

કિશન પહેલેથી પોતાના જીવનમાં કાંઈક અલગ કરવા માગતો હતો, જીવનને સફળ બનાવવા માગતો હતો, પરંતુ સામાજિક બંધનોને લીધે હંમેશા તેને સમયનો અભાવ રહેતો અને તેથી તે રાધાને કહેતો કે, ’હું જે જિંદગી નથી જીવી શકતો, એ તું જરૂર જીવજે. તને ઘરકામ સિવાયનાં અન્ય કામોનાં બંધનમાંથી હું હંમેશા મુક્ત રાખીશ, જેથી તું સમયનો સદઉપયોગ કરી શકે. પ્રથમ એ સમયનો ઉપયોગ કરી તારી અંતર-આત્માની ઈચ્છાઓને તું પૂર્ણ કરજે અને પછી જો સમય વધે તો મારા સપનાંઓને ન્યાય આપવાનો પ્રયત્ન કરજે.’ ઈશ્વરે માનવદેહ આત્માનું કલ્યાણ કરવા માટે જ આપ્યો છે, જીવનમાં કાંઈક એવું કર્મ કરવું કે જેથી મનુષ્ય અવતાર સાર્થક બને - આવું ઘણું બધું કિશનને સમય સાથે શિખવા મળ્યું હતું, જેની દરેક વાત તે રાધાને કરતો.

હવે આ વાતોને સફળ બનાવવી એ રાધાના હાથમાં હતું. કિશન તેને સંપૂર્ણ સાથ-સહકાર આપવા તૈયાર હતો. આ વાતોને લગ્ન પછી કિશન વારે-વારે યાદ કરાવતો, પરંતુ રાધાને બધી જ જાણ હોવાછતાં ન તો એ પોતાની માટે કાંઈ કરતી કે ન તો કિશનનાં સપનાંઓ માટે કાંઈ કરતી. રાધાને બસ સામાન્ય ગૃહિણીની જેમ જ જીવન જીવવું ફાવી ગયું હતું. દિવસભર ઘરનું કામ-કાજ કરે અને સમય મળે ત્યારે આરામ કરે. એ જ તેનો જીવનક્રમ બની ગયો હતો. લગ્ન પછીનાં વર્ષો વિતવા લાગ્યા, કિશને અનેકવાર આ વિશે રાધા સાથે ચર્ચા કરી, પરંતુ પથ્થર ઉપર પાણી રેડવા બરાબર લાગતું હતું. ઘણીવાર એવું પણ લાગતું કે તે કાંઈક કરવા માગે છે પરંતુ કોઈ કારણોસર કરી નથી શકતી. તે કારણોને જાણવા માટે પણ કિશને ઘણાં પ્રયત્નો કર્યા, અનેકવાર એ વિશે રાધાને પૂછ્‌યું પણ કોઈ જ સફળતા ન મળી. અંતે કિશનને લાગ્યું કે જરૂર પોતાની જ કોઈ ખામી હશે, નહીં તો પહેલાં રાધા આવી તો ન હતી..! તેણે તે શોધવાની પણ ઘણી કોશિશ કરી છતાં પરિણામ શૂન્ય જ મળ્યું. તેને હવે કાંઈ જ સમજાતું ન્હોતું કે ભૂલ કોની છે? હતાશ, નિરાશ મન-હૃદય સાથે તેણે નક્કી કર્યું કે ઈશ્વરની જ ઈચ્છા નહીં હોય કે અમારો પ્રેમ વટવૃક્ષ સમાન પાંગરે, એમ સમજી કિશને મૌન ધારણ કરવાનો નિર્ણય લીધો અને મનોમન બોલી ઉઠ્‌યો- ’આપવા ઈચ્છું ગગન ખુલ્લું તને, તું ચહે છે પિંજરાની કેદને...’ (વાસ્તવિક ઘટના આધારિત...)

બીપીન અગ્રાવત

agravat1987@gmail.com