Global Management - 5 books and stories free download online pdf in Gujarati

Global Management - 5



ગ્લોબલ મેનેજમેન્ટ

-ઃ લેખક :-

દીપક ભટ્ટ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

મોબાઈલ શિષ્ટાચારની અગત્યતા

થોડા સમય પહેલાં મારા એક મિત્રને નોકરીની જરૂરિયાત હોઈ અલગ અલગ કંપનીઓમાં પોતાના બાયોડેટા મોકલાવેલા હતા અને તે સમયગાળા દરમ્યાન તેમને એક કંપનીમાંથી ઈન્ટરવ્યુ કોલ આવેલો હતો પરંતુ મારો એ મિત્ર પોતાના મિત્રો સાથે બિનજરૂરી વાતો કરવામાં એટલો મશગુલ બની ગયો હતો કે તેમણે મોબાઈલ ફોનમાં મિસ કોલ પણ જોવાની તસ્દી ન લીધી. આ બાબતનું ગંભીર પરિણામ એ આવ્યું કે, આજે તે ફરીથી નોકરીની શોધમાં છે.

આજના સ્માર્ટ ટેલીકોમ્યુનીકેશનના યુગમાં મોબાઈલ શિષ્ટાચારને આપણે મોટેભાગે ધ્યાનમાં લેતા હોતા નથી. આને પરિણામે ઘણી વખત આપણે આપણાં ગ્રાહકો, વેન્ડર, ફેમીલી તેમજ મિત્રોમાં નારાજગી જોવા મળતી હોય છે. મોબાઈલ શિષ્ટાચાર આજે ખુબ જ જરૂરી બની ગયું છે. આપ મીટીંગમાં હોય, કોઈ જોડે વાત કરતાં હોય કે પછી રેસ્ટોરેન્ટમાં બેઠા હોય ત્યારે મોબાઈલનો ઉપયોગ કેટલા પ્રમાણમાં કરવો તે બાબતને ખાસ ગંભીરતાથી સમજવી જોઈએ. કોમ્યુનીકેશનમાં હંમેશા સામેની વ્યક્તિને રિસ્પોન્સ મળે તે ખુબ જ જરૂરી બનતું હોય છે.

મોબાઈલ શિષ્ટાચાર વિશે જો આપણે સમજીએ તો,

૧/ ફોનનો પ્રત્યુતર આપવોઃ ફોન કોલ ને માત્ર ત્રણ રીંગમાં જ ઉપાડી લેવો જોઈએ. જયારે પણ ફોન કોલ આવે કે ત્રણ રીંગમાં જ તેને ઉઠાવીને પ્રત્યુતર આપવો જોઈએ. વધારે સમય રાહ જોવાથી લોકોને કંટાળો આવે છે. જો આપ કોઈ મીટીંગમાં હોય તો તુરંત જ ફોનને કટ કરીને તેમને મેસેજ દ્વારા આપ મીટીંગમાં વ્યસ્ત છો તે અંગે જાણકારી આપવી જોઈએ. ફોન ઉપર વાતચીત શરૂ કરો તે પહેલા ગુડ મોર્ન્િાંગ અથવા કેમ છો જેવા શબ્દોથી શરૂઆત કરવી જોઈએ. કોઈ પણ વાતચીતની શરૂઆત હકારાત્મક શબ્દોથી થવી જોઈએ. વાતચીત કરતી વખતે હંમેશા તમારી પાસે પેન અને એક ડાયરી રાખો જેથી બીજાનો અગત્યનો મેસેજ લખતા તમને આસાની રહે.

૨/ વાતચીત કરવાની કળાઃ જયારે પણ મોબાઈલ ઉપર વાત કરો ત્યારે તમારો અવાજ એકદમ શાંત હોવો જોઈએ. હંમેશા ધ્યાનમાં રાખો કે, લોકો તમારી વાતનો પ્રત્યુતર તમારો અવાજ સાંભળીને આપશે. એક વાતચીત ચાલુ હોય ત્યારે બીજી વાતચીતને અટકાવવા માટે હોલ્ડ બટનનો ઉપયોગ કરવો જોઈએ. હંમેશા ટુ ધ પોઈન્ટ વાતચીત કરવાનો આગ્રહ રાખવો જોઈએ જેથી બંને વ્યક્તિનો સમયનો બચાવ થઈ શકે. જયારે વાતચીત કરતા હોય ત્યારે મુખ્ય મુદ્દાને જ ધ્યાનમાં રાખવો જોઈએ.

૩/ ફોન કરતી વખતેઃ કોઈ પણ વ્યક્તિને ફોન કોલ કરતી વખતે તમારો વાતચીતનો એજેન્ડા સ્પષ્ટ રાખવો જરૂરી છે. જે વાતચીત કરો તે સ્પષ્ટ હોવી જોઈએ. જે વ્યક્તિને ફોન કરવાનો હોય તે વ્યક્તિનું નામ, નંબર, તેમની કંપની અને હોદ્દો ખાસ યાદ રાખવું જોઈએ અથવા તમારી ડાયરીમાં નોંધી લેવું જોઈએ. ઘણી વખત બીજા કામમાં વ્યસ્ત હોવાને પરિણામે આપણે એ વાત ભૂલી જઈએ છીએ કે આપણે કોને ફોન કર્યો છે. જો તમે ભૂલમાં કોઈ વ્યક્તિને ફોન કરેલો હોય તો તેમને માનપૂર્વક સોરી કહેવું જોઈએ.

બિઝનેસના વ્યવસ્થાતંત્રને ટકાવી રાખવા માટેના ઉપાયો

ઔદ્યોગિક એકમનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તમારે ધંધાના વ્યવસ્થાતંત્રને ટકાવી રાખવું જરૂરી બને છે. તમારૂં વ્યવસ્થાતંત્ર યોગ્ય હશે તો ધંધામાં સફળતા મળવાની શક્યતા વધી જાય છે. આજની ફાસ્ટ લાઈફમાં પણ આપણે સૌએ ભગવાન શ્રી કૃષ્ણની વ્યવસ્થાતંત્રની સ્ટ્રેટેજીને ફોલો કરવાની ખાસ જરૂર છે.

શ્રી કૃષ્ણનું શરૂઆતનું આયોજન અને વ્યવસ્થાના કારણે પાંડવો કૌરવો સામે યુદ્ધમાં જીતી શક્યા હતા. અને તેનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ આજે પણ આપણને મથુરા, ગોકુળ અને વૃન્દાવનમાં જોવા મળે છે. આખી મહાભારતનું જો હાર્દ જોઈએ તો એમ ચોક્કસપણે કહી શકીએ કે, શ્રી કૃષ્ણ પોતાની કંપની અને ટીમના સફળ સી.ઈ.ઓ હતા.

ધંધાના આયોજન માટે કેટલીક મહત્વની બાબતો વિશે સમજીએ.

૧. સર્વપ્રથમ ધ્યેય નક્કી કર્યા પછી તેને ધંધાનું મહત્વનું લક્ષ્ય બનાવી દો.

૨. તમારી કાર્યક્ષેત્રની શરૂઆત તબક્કાવાર કરો.

૩. જોખમ લેતા ગભરાશો નહિ.

૪. તમારા કર્મચારીએ તેના ઉપરી અધિકારીનું પાલન કરવું હિતાવહ છે.

૫. તમારા કર્મચારીને નોકરી છોડવી ન પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરો.

૬. કામ શરૂ કરતા પહેલાં કામને તમારા કર્મચારીઓ વચ્ચે વહેચી નાંખો.

૭. તમારા તમામ કર્મચારીઓને ધંધાને લગતી તમામ તાલીમ આપો.

૮. બદલાતી પરિસ્થિતિમાં ધંધાના આયોજનમાં ફેરફાર કરો.

૯. તમારૂં પ્રોડક્શન ક્યારેય પણ અટકવું જોઈએ નહિ.

૧૦. તમારા કર્મચારી ઉપર અંકુશ રહે તેવી વ્યવસ્થા કરો.

૧૧. તમારા કર્મચારીને જવાબદારી અંગે યોગ્ય સમયે સજાગ કરાવો.

૧૨. તમે ગ્રાહક ઉપર વિજયી બનશો તેનું હંમેશા સ્મરણ કર્યા કરો.

તમારા ધંધાની વ્યવસ્થા યોગ્ય રીતે થઈ હોય તો આયોજનનો અસરકારક રીતે અમલ થશે અને પ્રવૃત્તિ સમયસર થઈ શકશે. આ સિવાય તમે જે ધ્યેય હાંસલ કરવાના હોય તે તમારી મરજી મુજબ થશે. તમારી પાસે સમય અને શક્તિ મર્યાદિત પ્રમાણમાં છે માટે ધંધાના વિકાસ માટે તમારા અમુક કામો તમારે બીજા લોકોને સોંપવા પડશે. આમ કરવાથી તમારા કાર્યની જવાબદારી અન્યને સોંપવાથી તમારા કામને વેગ મળે છે અને તમે તમારા વિકાસના કાર્યમાં પુરતું ધ્યાન આપી શકો છો. ધંધામાં કર્મચારી તમારી યોજના તમારા ધાર્યા મુજબ પાર પાડે અને તમને આવકમાં વધારો થાય તે મહત્વનું છે.

તમારા કુશળ ડાયરેકશનથી તમારા કર્મચારીઓ તમારા ધંધાને તમારા લક્ષ્ય સુધી પહોંચાડવાનું ધ્યેય સિદ્ધ કરે તો તમારી સફળતા નિશ્ચિત બની રહે છે. ધંધાના ડાયરેકશનમાં આંતરસૂઝ મહત્વની છે. તમારા અનુભવ કે જ્જ્ઞાનના આધારે કેવો નિર્ણય લેવાય તો તમને વધુ લાભ મળી શકે તેનું ચિંતન તમારે કરવાનું હોય છે. આમ કરતાં તમને યોગ્ય સમયમાં જ કયો નિર્ણય લેવો તેનો ખ્યાલ આવી શકે છે. તમે લીધેલા નિર્ણયનો અમલ તમારે તમારા કર્મચારીઓના સાથ-સહકારથી મેળવવાનો હોય છે.

અમેરિકાના મહાન પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકને સિવિલ વોરના કટોકટીના સમયમાં પોતાના મિત્રને વોશીન્ગ્ટન બોલાવ્યા. લિંકનનો મિત્ર તેમને મળવા વોશીન્ગ્ટન આવ્યો ત્યારે લિંકનને ગુલામોને સ્વતંત્ર શહેરી બનાવવાનું જાહેરનામું બહાર પાડવાનું ઈચ્છવા યોગ્ય છે કે નહિ તે વિશે ઘણાં સમય સુધી વાતો કરી. આ માટે ગુલામોની તરફેણમાં અને વિરૂદ્ધમાં દલીલો કરી. અ અંગે અન્ય વિચારો રજુ કર્યા. વાતચીત પૂરી થયા બાદ મિત્રને રવાના કર્યો પરંતુ પોતાના મિત્રનો અભિપ્રાય લીધો નહિ. ફક્ત પોતે જ બોલવાનું ચાલુ રાખ્યું અને વિચારોમાં ડૂબી ગયેલા. હકીકતમાં અબ્રાહમ લિંકન પોતે સારો અને સાચો નિર્ણય લેવાના મૂડમાં વિચારશીલ હતા અને સ્વયં સાથે ચર્ચા કરી નિર્ણય લેવા માંગતા હતા. આમ તમે તમારા ધંધા માટે નિર્ણય લેવા પોતાની સાથે વાતચીત કરી શકો છો અથવા તમને યોગ્ય લાગે તેવા વ્યક્તિ સાથે ચર્ચા કરી શકો છો. યોગ્ય સમયમર્યાદામાં લીધેલા નિર્ણયનું ધાર્યું પરિણામ આવી શકે છે.

કામ કરાવતાં પહેલાં કામ કરતાં શીખો

વિશ્વવિખ્યાત મોબાઈલ, આઈમેક, આઈપેડ કંપની એપલ કંપનીના વર્તમાન સીઈઓ ટીમ કૂકનું ઉદાહરણ લઈએ તો, તેઓને પોતાના કર્મચારીઓ પાસેથી શું અપેક્ષા છે તેનાથી ખૂબ જ સારી રીતે વાકેફ રહે છે. કર્મચારીઓ પાસેથી કામ લેતાં પહેલાં તે પોતે પહેલું કામ એ કરે છે કે ક્યા કર્મચારી પાસેથી ક્યું કામ લઈ શકાય? ટીમની વર્કિંગ સ્ટાઈલ વખાણવા જેવી છે. તેઓ રોજ સવારે ૪ઃ૩૦ વાગ્યે ઊંઠી જાય છે અને લાગતા વળગતા લોકોને ઈ-મેઈલ મોકલી દેવાનું શરૂ કરી દે છે. આગામી અઠવાડિયામાં શું કાર્ય કરવાનું છે તેની તૈયારી રવિવારની રાત્રે જ કરી નાંખે છે અને તેમના પ્લાનિંગની જાણકારી તેઓ કર્મચારીઓને આપી દે છે. ક્રુકે હાલમાં જ કરેલા એક સંબોધનમાં જણાવ્યું હતું કે, પીપલ સ્ટ્રેટેજી અને એક્ઝિક્યુશનનો વ્યવસ્થિત સમન્વય થાય ત્યારે દુનિયાની કોઈ પણ પ્રોડક્ટનું સરળતાથી અને સફળતાથી નિર્માણ થઈ શકે છે. ટીમની વાત સો ટકા સાચી છે. કોઈ પણ લીડરે કે મેનેજરે પોતાના કર્મચારીઓ પાસે કામ લેતાં પહેલાં ક્યું કામ કેવી રીતે કરવું છે તેની એક ચોક્કસ સ્ટ્રેટેજી પોતે બનાવી લેવી જરૂરી હોય છે.

માણસો મૂડી છે

મહાન શાસક અને વિચારક અબ્રાહમ લિંકન તેમની સાથે કાર્ય કરતી દરેક વ્યક્તિને પોતાની અણમોલ મૂડી જેવા માનતા હતા. એક વખત તેમના કાર્યસ્થળે એક કર્મચારી કોઈ કામની મુશ્કેલી સાથે તેમની પાસે આવ્યો. પોતાને સોંપવામાં આવેલા કાર્યથી તે થોડો ગૂંચવાયેલો હતો તેથી તે થોડો ખિન્ન હતો. લિંકને પહેલાં તો તેની મૂંઝવણ જાણી. તેના માટે પોતાની કેબિનમાં પાણી મંગાવ્યું. પછી લિંકને તેને મુશ્કલી પૂછી. પેલા કર્મચારીએ નિઃસંકોચ લિંકનને પોતાના કાર્યમાં આવતી અડચણ વિશે જણાવ્યું. બંને જણાએ લાંબા સમય સુધી વાતો કરી. જુદા પડવાનું થયું ત્યારે પેલો માણસ ખુશ થતો કેબિનની બહાર નીકળ્યો. એ જોઈને બીજા એક કર્મચારીએ લિંકનને કહ્યું, "એ માણસ તો ખિન્ન થઈને તમારી પાસે આવ્યો હતો. તમે શા માટે એને એટલું બધું મહત્ત્વ આપ્યું ને દરેક કામ ઝીણવટપૂર્વક સમજાવ્યું? લિંકને કહ્યું, કર્મચારી સાથે કર્મચારીની જેમ જ વર્તવું જોઈએ. તેનાથી ફાયદો એ થયો છે કે મેં આજે બે માણસોની મૂડી ભેગી કરી છે. તમે પણ અહીં કર્મચારી છો. મારા આ વર્તનથી તમને પણ શીખવા મળ્યુંને કે કર્મચારી મૂડી સમાન હોય છે અને મૂડીને જાળવી સાચવીને જ વાપરવી જોઈએ." માણસોની મૂડી ઊંભી કરવાની લિંકનની આ પદ્ધતિ સૌથી સારી છે તેથી કોઈ પણ કંપનીના ઉચ્ચ પદે બિરાજમાન મેનેજરે પોતાના કર્મચારીઓ માટે આ પદ્ધતિ અપનાવવા જેવી છે.

કર્મચારી જેવો છે તેવો તેને સ્વીકારો

કોઈ પણ કંપનીનો મેનેજર ગમે તેટલી મહેનત કરે તો તોપણ બીજાને તે પોતાના જેવો નહીં બનાવી શકે. મેનેજરે એવા મિથ્યા પ્રયત્ન કરવાનું છોડી દેવું જોઈએ. કર્મચારી જેવા હોય એવા સ્વીકારવામાં જ કંપનીનું હિત હોય છે. એટલું જ નહીં, એમ વર્તવાથી જ આપણે જીવનમાં સાચી સફળતા તરફ ગતિ કરી શકીએ છીએ. અને કર્મચારીને સમજીને તેનામાં જરૂરી ફેરફાર કેવી રીતે લાવી શકાય તે અંગેની સ્ટ્રેટેજી બનાવી શકીએ છીએ. વળી, દરેક વખતે આપણી પદ્ધતિ જ અસરકારક ન પણ હોય તેવા સમયે એનાથી ઊંલટું કોઈ કર્મચારીની પદ્ધતિ વધુ યોગ્ય હોય તો ત્યારે સમય વર્તી સાવધાનની જેમ વર્તવાથી આપણી શક્તિઓ વેડફાતી અટકે છે અને સરવાળે આપણને, કંપનીને અને કર્મચારીને ફાયદો થાય છે.

નિષ્ફળતાને સફળતામાં ફેરવો

ચોથી જુલાઈ, ૧૯૫૨નો દિવસ હતો. ફ્લોરેન્સ ચેડવિક કેટેલિના ચેનલ પાર કરીને બીજે પાર પહોંચનારી પ્રથમ મહિલા બનનારી હતી. આખી દુનિયા ચેડવિક પર નજર રાખીને બેઠી હતી. ચેડવિક આ અગાઉ ઈંગ્લિશ ચેનલ પાર કરી ચૂકી હતી. આજે તેના માટે બહુ મોટો દિવસ હતો, પણ એ સ્થિતિ કપરી પણ એટલી જ હતી. ઘટ્ટ ધુમ્મસ, ગાત્રો થિજવી નાંખે એવી ઠંડી તથા શાર્ક માછલીઓનો સામનો પણ તેણે કરવો પડયો. એ કિનારે પહોંચવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ જ્યારે એણે પોતાના ચશ્મામાંથી બહાર જોયું ત્યારે તેને ધુમ્મસ વધતું દેખાયું. તેનાથી કિનારો જોઈ શકાતો નહોતો. આકરા પ્રયત્નો છતાં તે કિનારે ન પહોંચી અને હાર સ્વીકારીને પાછી આવી ગઈ. ચેડવિકને સૌથી મોટો આઘાત તો ત્યારે લાગ્યો જ્યારે તેને ખબર પડી કે, તે જ્યાંથી પાછી વળી છે તેનાથી કિનારો માત્ર અડધો માઈલ જેટલો જ દૂર હતો. એડવિકે એ પછી આપેલી એક મુલાકાતમાં કહ્યું હતું કે, તે સમયે મેં હાર સ્વીકારી તેનું કારણ એ હતું કે, મને પાણીમાં કુદ્યા પછી હંમેશાં મારૂં લક્ષ્ય એટલે કે કિનારો દેખાતો હોય છે. કેટેલિના ચેનલ પાર કરતી વખતે મને મારૂં લક્ષ્ય હોત તો હું ચોક્કસ તે સમયે સફળ રહી હોત.

બે મહિના પછી ચેડવિકે કેટેલિના ચેનલ પાર કરવાનો ફરી પ્રયત્ન કર્યો અને તેણે એ ચેનલ પાર કરી લીધી. આ વખતે પણ હવામાન પ્રતિકૂળ હતું, પણ ચેડવિકે નજર માત્ર લક્ષ્ય તરફ રાખી હતી અને તેને પોતાની નિષ્ફતાને સફળતામાં ફેરવવી હતી.

વ્યાવસાયિકોના જીવનમાં પણ ક્યારેક એવું બને કે હાથમાં લીધેલા કાર્યમાં તેને નિષ્ફળતા મળે ત્યારે તેણે સૌથી પહેલાં એ કાર્યની નિષ્ફળતા માટેના કારણો ક્યાં છે તે શોધવું જોઈએ. પછી કાર્યને ફરીથી કરવાની યોગ્ય સ્ટ્રેટેજી બનાવવી જોઈએ. મેનેજર માટે આ માટે થોડી વધુ જવાબદારી હોય છે કારણ કે એક વખતની નિષ્ફળતા પછી તેણે કંપનીની નામના અને પોતાની કાબેલિયત સાબિત કરવાની હોય છે. આ સમયમાં તેણે પોતાનાથી તેમજ તેના કર્મચારીથી કોઈ ક્ષતિ ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું રહે છે.

ઓફીસના સ્ટ્રેસને દૂર કરવાના ઉપાયો

ઓફિસના કામમાં થાક લાગે છે? તમે એક જ એવા નથી જેને કામનો થાક લાગે છે. ઓફિસમાં કામ કરતા મોટાભાગના લોકોને થાક લાગતો હોય છે તેમજ તેના લીધે તેમના સ્વાસ્થ્ય ઉપર પણ અસર થતી હોય છે. સ્ટ્રેસથી માથામાં દુખાવો, ગેસ્ટિક પ્રોબ્લેમ, હાર્ટએટેક, સ્ટ્રોક્સ, ડિપ્રેશન જેવા અનેક રોગો થતા હોય છે. સ્ટ્રેસના લીધે તમને તમારા કામ પ્રત્યે પણ આત્મસંતુષ્ટિના બદલે અફસોસ થતો હોય છે. વર્કસ્ટ્રેસ તો ક્યારેય નહીં જાય, પરંતુ તેને કેવી રીતે મેનેજ કરવો એ આપણા હાથમાં છે, તો જાણીએ વર્કસ્ટ્રેસને કેવી રીતે મેનેજ કરવો...

વર્કસ્ટ્રેસને ઓળખો

સ્ટ્રેસ મેનેજ કરતા પહેલાં સ્ટ્રેસ કઈ બાબતે અથવા કામથી આવે છે તેની તપાસ કરો. એક વખત સ્ટ્રેસ ઓળખી ગયા તેને આરામથી મેનેજ પણ કરી શકો છો. ઓવરઈટિંગ અથવા સ્મોકિંગ જેવી આદતોનો પણ ઈલાજ કરી શકો છો. તમારા બોસ કે કોઈ ઉચ્ચ અધિકારીને તમારા સ્ટ્રેસ વિશે જણાવવાનું ક્યારેય ન ભૂલવું.

બ્રેક લો

આજના ઝડપી સમયમાં લોકો આખો દિવસ પોતાના ડેસ્ક ઉપર જ વિતાવતાં હોય છે. લંચ સમયમાં કામ કરવાથી કામનો સ્ટ્રેસ વધતો જાય છે. કામના સ્ટ્રેસથી દૂર રહેવા અને બચવા માટે તમારે કામમાંથી થોડા સમયનો બ્રેક લેવો જોઈએ. કામમાંથી નાનો બ્રેક તમને તમારા વર્કસ્ટ્રેસથી બહાર નીકળવામાં મદદ કરે છે.

ઓફિસની બહાર ધ્યાન રાખો

ઓફિસ બહારની તમારી જિંદગી તમારા ઓફિસ સ્ટ્રેસથી પ્રભાવિત ન હોય તેનું ખાસ ધ્યાન રાખો. સ્ટ્રેસથી બહાર નીકળવા સરખી ઊંંઘ, ઘરની એક્ટિવિટી તેમજ મિત્રો સાથે વાતચીત ઓફિસ સ્ટ્રેસથી બહાર નીકળવામાં મદદરૂપ થશે. સવારે કસરત અને યોગા તમારા સ્ટ્રેસને ઓછો કરી શકે છે.

ગમતાં કામ કરો

ઘણી વખત કામના લીધે તમારી ગમતી પ્રક્રિયાઓથી દૂર થઈ જતા હોવ છો અને તેના માટે સમય નથી મળતો. વર્કસ્ટ્રેસ દૂર કરવા માટે ગમતી વસ્તુઓ કરો. જો તમને મ્યુઝિક પસંદ હોય તો ઓફિસથી ઘરે આવ્યા બાદ મ્યુઝિક સાંભળો અથવા તમારા પરિવાર સાથે બેસી જૂની યાદો તાજા કરો. તેનાથી પણ તમારો વર્કસ્ટ્રેસ દૂર થઈ જશે.

કામનો ગુસ્સો બીજા પર ન ઉતારો

મોટાભાગે લોકો તેમના કામનો સ્ટ્રેસ ઘરમાં કાઢતા હોય છે, જે ખોટું છે. તમને વર્કસ્ટ્રેસ હોય તો તેનો અર્થ એવો નથી કે તમે તેનો ગુસ્સો બીજા લોકો પર ઉતારો. ઓફિસનો સ્ટ્રેસ ક્યારેય પણ ઘરે લઈને ન આવવું. તમે તમારા વર્કસ્ટ્રેસને ઘરે લઈને આવશો તો તેનાથી તમારા આજુબાજુમાં રહેતા લોકો પર તો તેની અસર પડશે, પરંતુ તમારા સ્વાસ્થ્યમાં પણ તેની આડઅસર થવાની, માટે વર્કસ્ટ્રેસનો ગુસ્સો અન્ય લોકો પર ન ઉતારો.

બીજા રસપ્રદ વિકલ્પો