Saraswatichandra books and stories free download online pdf in Gujarati

સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 - પ્રકરણ - 7

સરસ્વતીચંદ્ર

ભાગ : ૪ - ૪

સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૭ : કંઈક નિર્ણય અને નિશ્ચય

The star of the unconquered will,

He rises in my breast,

Serene, and resolved, and still,

And calm, and self-possessed.

-Longfellow

આ વાર્તાપ્રસંગ ધીમે ધીમે પૂરો થયો ત્યાં કુમુદ સાધ્વીઓમાં ગઈ ને બે મિત્રો બહાર નીકળી પડ્યા. વિદ્યાચતુરના ઘરના, બે પુત્રીઓ અને ત્રીજા સરસ્વતીચંદ્રના સંબંધમાં ગુણસુંદરીના હૃદયના દુઃખના, કુસુમના તીવ્ર અભિલાષ સાથેની એની બુદ્ધિના, સરસ્વતીચંદ્રના ગૃહત્યાગવિષયે કુસુમના દૃઢ પક્ષવાદના, અને અંતે લક્ષ્મીનંદનના દુઃખના અને ધૂર્તલાલની ધૂર્તતાના ઇતિહાસના, સર્વ સમાચાર ચંદ્રકાંતે ધીમે ધીમે સરસ્વતીચંદ્રને વિસ્તારથી કહી દીધા અને એ શ્રોતાના મર્મભાગમાં એ વક્તાએ બેસાડી દીધા - ચોંટાડી દીધા.

રાત્રે ચંદ્રાવલી કુમુદને મળી, પોતાની મધુરીને પ્રધાનપુત્રીરૂપે ઓળખી લીધી, અને ગુરુજીની કૃપાથી મળેલી પંચરાત્રિના પ્રસાદની વાર્તા જાણી લીધી. તે પછી છેક મધ્યરાત્રિ સુધી બે મિત્રો, ચંદ્રાવલી અને કુમદ, ચાર જણ સૌમનસ્યગુફામાં બેઠાં અને એ વાતો જેટલા અંતરપટ અને જેટલા પ્રકાશયોગ્ય લાગ્યા તેટલાથી કરી; હવે શું કરવું તેની ચર્ચા ચલાવી તેમાં પણ કોઈને કાંઈ સૂઝ્‌યું નહીં અને અંતે કુમુદ અને ચંદ્રાવલી વસંતગુફામાં સૂઈ ગયાં અને બે મિત્રો સૌમનસ્યગુફામાં સૂઈ ગયા; શું કરવું તેના વિચારમાં કુમુદ એકલી આખી રાત્રિ ઊંઘી શકી નહીં, પણ ઉઘાડી આંખો રાખી જાગતી સૂઈ રહી અને ચંદ્રાવલીની આંખો વચ્ચે વચ્ચે ઊઘડે ત્યારે તેની સાથે આ જ પ્રકરણ કાઢતી. બે મિત્રો તો સ્વસ્થ નિદ્રા પામીને જ સૂતા. માત્ર એકાદ વેળા ચંદ્રકાંતની આંખ ઊઘડતાં તેને કંઈક હસવું આવ્યું પણ તરત પાછો નિદ્રાવશ થયો.

પ્રાતઃકાળે કંથા પહેરી કુમુદ સરસ્વતીચંદ્ર પાસે આવી અને હાથ જોડી પગે લાગી બોલી :

‘મારી દુઃખી જનની પાસે જઈ આવવાની આજ્ઞા માગવાને હું આપની પાસે આવી છું અને એી પણ વિજ્ઞપ્તિ કરું છું કે અવકાશે આપ પણ ત્યાં પધારશો અને તેને આશ્વાસન આપશો. આપ હવે ગુરુજીને મળી, જ્યાં રહેવાના હો તે, અને આપ બે મિત્રોના એકાંત સમાગમનો જે અવસર આપને અનુકૂળ હોય તે, ચંદ્રાવલીબહેનને કહાવશો તે પ્રમાણે હું આપને મળીશ અને કુમુદ, કુસુમ અને ચંદ્રાવલી ત્રણ બહેનોનો વિચાર જે થશે તે જણાવી આપની આજ્ઞા શોધીશ.

ચંદ્રકાંતભાઈ, આપે કંથા પહેરી નથી તો પણ સાધુજન છો અને સર્વ જાણો છો તો વધારે શું કહેવું ? પિતાજીને લખવું યોગ્ય લાવે તે લખશો. મારે ભાઈ નથી પણ અમે બે પુત્રીઓ એમની દૃષ્ટિમાં પુત્રથી પણ અધિક લાગીએ છીએ અને એમના હૃદયને સંતાપનું કારણ થઈએ છીએ તે પણ એમના સ્નેહને લીધેે. આપના મિત્ર ધર્મને અધિક માને છે ને હું સ્નેહને માનું છું - કારણ ધર્મ સમજવા જેટલી મારી વિદ્યા કે બુદ્ધિ નથી. પણ એમના ધર્મનો ને મારા સ્નેહનો સાર એક જ આવે છે ને આપ પણ સ્નેહને માનો છો તો આ કંથા પહેરીને પણ મારાં ગુણિયલને અને કુસુમને મળવા જાઉં છું, ને જ્યારે મારા હૃદયનું નિરાકરણ આપ બેને સૂઝતું નથી ત્યારે હું અને મારી બહેન અમારી બાળકબુદ્ધિથી અને સ્ત્રીબુદ્ધિથી જે કાંઈ નિર્ણય કરી લાવીએ તે આ મારા હૃદયના યોગના યોગીરાજના હૃદયમાં ઊતરે એટલો આશ્રય આપજો.’

આટલું બોલતી બોલતી કુમુદની આંખોમાં આંસુ સરતાં હતાં અને નીચું જોઈ તે ઊભી રહી. બે મિત્રો પરસ્પર સામું જોઈ રહ્યા અને અંતે બોલવા લાગ્યા :

સરસ્વતીચંદ્ર : ‘જ્યાં સુધી તમારાં નેત્રમાંથી આંસુ સુકાયાં નથી ત્યાં સુધી મારા હૃદયનો તાપ શમતો નથી, અને તે માટે જ તમારી હૃદયગુહામાંનાં ઊંડાં મર્મસ્થાનની અવગણના કરી તમે મારે માટે સ્વાર્પણ કરવા તત્પર થશો એ ભય મને છે, તેથી જ હું તમારા મુખના ઉદ્‌ગાર પ્રમાણે ચાલવાનું વચન આપતાં એ વચનમાં મર્યાદા મૂકું છું. તમે સાધુજન છો, મારી સાથે અદ્વૈત પામેલાં છો, અને તમે પૃથ્વીસ્વરૂપ છો તેમ હું દ્યૌસ્વરૂપ છું એ પરિણામ સંસિદ્ધ થયો છે તો તમારે મારી આજ્ઞા માગવાની બાકી રહેતી નથી, પણ તમારી ઇચ્છા પ્રમાણે સુવૃષ્ટ થવું એ મારો સ્વભાવ જ બંધાયેલો સમજ્જો.’

ચંદ્રકાંત : ‘કુમુદસુંદરી ! શુભ કાર્યે સીધાવો અને હવે ભૂતકાળમાં જે મિત્ર વજ્ર થયો હતો તે હવે તમારા હૃદયથી ભિન્ન થઈ શકે એમ નથી. ઈશ્વર તમને સદ્‌બુદ્ધિ આપો અને પવિત્ર અને ઉત્કૃષ્ટ રસનો તો તમારો હૃદયમાં જ ઈશ્વરે જ ઝરો નિર્મેલો છે. તમને અમારા બેના આશીર્વાદ છે.’

કુમુદસુંદરી નેત્ર લોહતી લોહતી ગઈ. વળી પાછી ફરી. ‘આપણાં સ્વપ્નના આપે લખેલા લેખ આપશો ? હું તે સર્વ કુસુમની પાસે વંચાવીશ અને તેની બુદ્ધિનું સાહાય્યે લેવાને સાધનવતી થઈશ. એ છે તો બાળક પણ એની બુદ્ધિ અપૂર્વ ચમત્કારથી ભરેલી છે.’

‘ભલે.’

લેખ લઈ, કંથામાં ગુપ્ત રાખી, કુમુદ ગઈ, અદૃશ્ય થઈ.

‘સરસ્વતીચંદ્ર, આપણે હવે તમારા ગુરુજી પાસે જઈશું ?’ ચંદ્રકાંતે પૂછ્યું.

‘અવશ્ય.’

બે જણ ઊતર્યા ને થોડી વારમાં તેમણે અને નીચેના સાધુઓને સૌમનસ્યગુફાને હતી તેવી શૂન્ય કરી દીધી. તેમાંથી નીકળીને પળવાર સરસ્વતીચંદ્ર પાછો ફરી, ઊભો રહી, ઉપરથી નીચે સુધી પોતાના અપૂર્વ સંસ્કારોની સાધક આ ગુફાનાં દર્શન કરવા લાગ્યો અને તેને હૃદયમાં નમસ્કાર કરી સૌની સાથે ચાલ્યો.

માથે ચૈત્રી પ્રાતઃકાળનો સૂર્ય, પર્વતના ઊંચામાં ઊંચા ભાગના પવનની ઉત્સાહક લહેરો, આસપાસની નેત્રને શીતળ કરનારી ને રમણીય લીલીછમ લીલોતરી વચ્ચે વચ્ચે તપ કરવા બેઠેલા જટાધર વૃદ્ધ યોગીઓ જેવા કાળા ખડકો, સામે દૂર સમુદ્રની ઝીણી - આકાશમાં મળી જતી - જળરેખા, અને પગ ખસે નહીં એટલું લક્ષ્યમાં રાખવાનું આવશ્યક કરતો સાંકડો ઊતરતો માર્ગ; એ સર્વ વચ્ચે એ માર્ગ ઉપર શાંત સાધુઓ અને તેમની વચ્ચે બે મિત્રો એટલું મંડળ, એક શબ્દ બોલ્યા વિના ચાલતું ઊતરતું હતું, ને સર્વ વચ્ચે સરસ્વતીચંદ્રનું હૃદય, નવી શાંતિથી ને નવી સમૃદ્ધિથી, એના પગ ઊપડતા હતા તેની સાથ ઊપડતું હોય તેમ, ધડકતું હતું, અને ચારેપાસનાં ઝાડોને ગિરિશિખરનો પવન વાળતો હતો તેમ, એના વિચારને વાળતું હતું. આવી શાંતિથી તે નીચું જોઈ ચિરંજીવશૃંગથી યદુશૃંગ ભણી ઊતરતો હતો, માત્ર સામે થઈને રંગબેરંગી પક્ષીઓ આવે ત્યારે આંખો ઊંચી કરતો હતો, અને તે મધુર સ્વર સંભળાવે ત્યારે સાંભળતો હતો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED