Saraswati Chandra - 1 Chapter - 6 books and stories free download online pdf in Gujarati

સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 6

સરસ્વતીચંદ્ર

ભાગ : ૧ : બુદ્ધિધનનો કારભાર

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ ૬

રાજેશ્વરમાં રાજખટપટ

‘તટસ્થ સ્વાનર્થાન્‌ ઘટયતિ ચ મૌનં ચ ભજતે ।।’

- ભવભૂતિ

સુવર્ણપુરનું રાજતંત્ર ઘેનમાં પડ્યું હોય તેમ પોતાની મેળે ચાલ્યું જતું દેખાતું હતું અને રાણો તથા અમાત્ય બે સિવાય સર્વ મંડળ ખરેખર ઘેનમાં જ હતું. જોનારને મન એમ જ વિચાર થતો કે આ ઘેન સ્વાભાવિક રીતે આવ્યું હશે અને તેના ઉપર તે અસર થાય એ પણ જાગનારને ઇષ્ટાપત્તિ જ હતી.

આ સર્વ નાટકનો સૂત્રધાર બુદ્ધિધન હજી પડદામાં જ હતો અને વેશધારીઓ પણ તેને પોતાના જેવો જ સમજતા હતા. અમાત્યનું રાણા પાસે ચાલે છે એ સિવાય બુદ્ધિધનને વાસ્તે બીજો અભિપ્રાય કોઇને હતો નહીં, પરંતુ આ કૂંચીને બળે રાણો જરા પણ ચાલે ચલવે છે - કાંઇ પણ કરે છે એમ કોઇના મનમાં પણ આભાસ થવા પામ્યો ન હતો. સર્વ એમ

કલ્પતાં હતાં કે આપે આપણી મેળે જ ચાલીએ છીએ. પરંતુ આ સર્વ શાંતિનો પણ સૂત્રધાર હતો. પોતાની રંક અવસ્થામાં સળગેલા વૈરનો તણખો તેના મનમાંથી કજળી ગયો ન હતો. પરંતુ તેની હયાતીની ભૂપસિંહને પણ ખબર ન હતી. રાણો એમ જ સમજતો કે બુદ્ધિધન મારી ઇચ્છાઓનો સેવક જ છે અને તેમ ગણી તેના ઉપર નિર્મળ પ્રીતિ રાખતો. પરંતુ બુદ્ધિધને તો ભૂપસિંહને અને તેના સર્વ રાજ્યતંત્રને પોતાના ઊંડા વૈરને સફળ કરવાનું સાધન કરી દીધું હતું. હળવે હળવે એ વૈરભાવની વચ્ચોવચ્ચ નિઃસ્વાર્થ રાજભક્તિ અને મિત્રતા, મહત્તાનો અભિલાષ, અને એવાં એવાં બીજાં રમણીય વૃક્ષ ઉત્પન્ન થતાં હતાં એ ખરું. તોપણ વૈરભાવ શાંત થયો ન હતો અને વૈરીઓનાં નિત્યદર્શનથી તે દૃઢ થતો હતો. ભૂપસિંહને વૈરભાવ એ પોતાના વૈરભાવનું માત્ર સાધન હતું. જાતે કાંઇ પણ કરવું નહીં, કશામાં દેખાવું નહીં, પરંતુ સર્વ ફળ સાધન દ્ધારા લેવાં; પોતાનો હાથ કોઇ ઠેકાણે દેખાય નહીં પરંતુ સર્વના હાથ પોતાન જ ચલાવ્યા ચાલે -

ટૂંકામાં સૂર્યચંદ્રની પેઠે પોતે આઘા ઊભા રહી અદૃષ્ટ રીતે આખા સમુદ્રની પાસે પછાડા મરાવવા અને પોતે તો માત્ર સર્વ જોયાં કરવું - અને ધાર્યું

થયું જોવું - એ ભૂપસિંહના અમાત્યની પ્રકૃતિ - નીતિ હતી. આમ સ્વાભાવિક રીતે અદૃષ્ટ સાધનો ન જોઇ શકનાર સાધનભૂત ભૂપસિંહ અધીરો બની નિષ્કર્મ જેવા દેખાતા અમાત્યની નીતિનો વેગ અને તેનાં નિર્માણ પામેલાં ફળ ચચ્ચાર વર્ષ સુધી ન દેખાતાં જોઇ ધૂંધવાતો હતો અને તે જોઇ અમાત્ય

પોતાનું એક સાધન દૃઢ થયું માનતો હતો.

સોનેરી ગાલીચા ઉપર મહાદેવનું બાળ દેખાય એમ ભૂપસિંહ એક તકિયાનું અઠીંગણ દઇ બેઠો હતો. જૂની અવસ્થાના કરતાં આજ સ્વાભાવિક રીતે તેનાં વસ્ત્રામાં, શરીરમાં, મોંમાં અને સ્વભાવમાં ફેર પડી ગયો હતો.

જડસિંહના કારભારીથી કંટાળેલા ગરાસિયાને ક્ષુદ્ર મુત્સદ્દીની ગરજ પડી હતી તેમ જ પોતાના કારભારીથી કંટાળેલા રાણાને અમાત્યની ગરજ હતી. પણ એ ગરજનો દેખાવ પહેલાં જુદો હતો અને આજ જુદો હતો. ભાઇબાપા, સમાનભાવ, દેખીતી એક પાસની ગરજ, અને સ્વાર્થ દેખાડી જોરથી કરવામાં આવતી મિત્રતા : તેને ઠેકાણે આજ અધીરાપણું, હુકમ, અને રાજાપ્રધાનનો અરસપરસ સ્નેહ અને ધર્મભાવ, એ સર્વ સ્પષ્ટ દેખાતાં હતાં અને વચ્ચે વચ્ચે જૂના સંબંધના ફુવારા ફૂટતા હતા.

‘બુદ્ધિધન, તમે આજ સુધી કાંઇ ન કર્યું. આ ત્રણ ટકાનો શઠરાય

જેણે મને આટલું આટલું દુઃખ દીધેલું તેને આમ મારી પાસે આવી બેસતો જોઉં, મારો કારભારી કહું, મારું રાજ્ય સોંપું - એવું હું કેટલા દિવસ ખમી શકું ? મારા ગરાસમાંથી ખાઇ જનારને ગરદન ન મારવાં જોઇએ ? તમે જ્યાં સુધી એની બાબત કાંઇ કરશો નહીં ત્યાં સુધી મને સંતોષ નથી.’

એમ કહી બોલતાં બોલતાં ઊંચો થયેલો રાણો પાછો તકિયા પર પડ્યો પર પડ્યો અને અમાત્ય સાખી આંખો કાઢી જોઇ રહ્યો.

બુદ્ધિધન રાણા સામે ઊંધે પગે બેઠો હતો તે જરીક હસ્યો અને બોલ્યો : રાણાજી, જરા ક્ષમા રાખો. આપને ગાદી મળે તેમાં આપના શત્રુને એટલો લાભ ન મળે ? અપકારનો બદલો ઉપકાર ઘટે’ કહી પાઘડી હેઠે મૂકી નિરાંતે બેઠો.

રાણા મોટે સાદે હસી પડ્યો : ‘વાહ વાહ ! વાહ વાહ ! એ તો આજ જ જાણ્યું. પણ અપકારનો બદલો ઉપકાર અને ઉપકારનો બદલો અપકાર એક ઊલટસૂલટ કરવાનું તો મને મુત્સદ્દીઓને જ સોંપ્યું, હોં !

અમે તો એક વટવાળા. જિવાડતાને જીવ આપીએ ને મારતાને તો મારીે જ. તમે મિત્ર અને એ શત્રુ - બને એક અસ્ત્રે ન - ખાજું ને ભાજી બે ટકે શેર થાય તે તો અંધેરી નગરીમાં જ નિશાળિયાયે એ તો જાણે !!’

‘બહુ સારું, ત્યારે હવે હુકમ ! કારભારીને કાલે બરતરફ કરવો હોય તો તે આપના જ હાથમાં છે.’

‘હવે એ મશ્કરી જવા દો. શું ધાર્યું તે તો કહો.’ બંને જણ શાંત અને ગંભીર બની ગયા અને બુદ્ધિધને ભાષણ આરંભ્યું.

‘રાણાજી ! ઇચ્છાઓ ઉતાવળથી અને ધીરે ધીરે બે રીતે પાર પડે છે. પરંતુ ઉતાવળથી ફાલેલી વનસ્પતિ તરત સુકાઇ જાય અને ધીરે ધીરે ઊગતા વૃક્ષેનાં મૂળ જમીનમાં ઊંડા ઊંડા પેસે છે. દાખલો જુઓ : શઠરાયના

મૂળ કેટલાં ઊંડાં છે ? આપ ગાદીએ બેઠા ત્યારે સર્વ અધિકારીમંડળ એનું હતું. રાજમહેલનાં માણસો એનાં જ હતાં. એજંસીમાં અને મુંબઇ સરકારમાં તે પંકાયેલો છે. છાપાંઓમાં તેની કીર્તિ ઘણી છે. બસ્કિન્‌ સાહેબને ઠેકાણે રસલ સાહેબ આવ્યા તેમને એના ઉપર વિશ્વાસ જણાય છે. મને પણ પોતાનો કરવા એણે કેટલી યુક્તિઓ કરી છે ? જો એને આપણે એકદમ

કાઢ્યો હોત તો એ કોચલું ગૂમડું ભરનીંગળ થઇ જાત. હજારો તરકટો રચત, ખટપટો ઊભી કરત, રાજ્યમાં અને સરકારમાં શક્તિ અજમાવી વિઘ્નો નાખત ! તમારી પ્રતિષ્ઠાનો ઊગતી અવસ્થામાં નાશ કરત. એમ શું શું ન થાત ! એ સૌ ઉતાવળથી થાત.’

‘હાસ્તો ! ખરી વાત.’ નરમ બની ભૂપસિંહ બોલ્યો, અને ફૂંફાડા

મારતો રજપૂતનો મિજાજ સાંડસામાં આવ્યા જોઇ તેને યોગ્ય ઠેકાણે આણવા

ચતૂર પકડનાર ધીરજથી યત્ન કરવા લાગ્યા.

‘ત્યારે તેનાં ઊંડાં ગયેલાં મૂળ પૂરેપૂરાં ઉખાડી નાંખી આપણાં મૂળ

ઊંડાં નાંખવાં એમાં બહુ વખત જોઇએ. અને બહુ ધીરજ જોઇએ.’

રાણો જિરાક નિરાશ દેખાયો અને નરમ બની તકિયા પર પડ્યો.

‘પણ હવે અડચણ નથી. આપણુ કર્તવ્ય કામ ઘણુંખરું થઇ ગયું છે. ઇમારતનું ખોખું તૈયાર થઇ ગયું છે અને ઇંટો ચણાઇ ગઇ છે. હવે તો ઉપર ઉપરનું કામ બાકી છે - માત્ર બ્લાસ્ટર કરવું અને એવું એવું કરવાનું રહ્યું છે.’

ભૂપસિંહ પાછો ટટ્ટાર બેઠો અને બરોબર ધ્યાન આપવા તત્પર થયો અને બોલ્યો : ‘ઠીક, ચાલો.’

બુદ્ધિધને અલંકારશાસ્ત્ર પડતું મૂક્યું અને સ્વાર્થવાર્તાના રસમાં ડૂબતા રાણાની આંખ આગળ હકીકતની કાયા ઉઘાડી કરવા માંડી.

‘મારો અને આપનો સંબંધ એ હવે ઢાંકી શકાય એમ નથી. હું આપની સાથે આવ્યો ત્યારથી એ વાત સૌ જાણે છે. શઠરાયને સ્વાભાવિક રીતે મારા પર વિશ્વાસ નથી પરંતુ તે મીઠાબોલો છે અને આપણા તરફથી એના ઉપર દેખીતો ઘા થયો નથી ત્યાં સુધી એનો વિશ્વાસ સંપૂર્ણ નથી.

અને એ વાત સારી છે. હું એના કારભારીમાં વચ્ચે પડતો નથી દેખાતો એથી એની સર્વ ખટપટ આજ સુધી શાંત રહી છે પણ સદાકાળ એમ નહીં

રહે. અને એ ખટપટ કરવા પ્રયત્ન કરે ત્યારે તે લૂલી થાય એના ઉપાય

આપણે કરેલા જ છે. નરભેરાામને એના સેક્રેટરીની જગા આપેલી છે. એ એના સ્વભાવ પ્રમાણે મારી પણ ચેષ્ટા કરે છે અને મારી નિંદા થતી હોય

છે. સામેલ રહે છે. આથી કારભારીનો વિશ્વાસ એના ઉપર સજડ ચોંટી ગયો છે. પરંતુ આપને ખબર છે કે એ આપણો જ માણસ છે. એણે મેરુલા સાથે દોસ્તી કરી છે અને દુષ્ટરાય પોતાની અને પોતાના બાપની જે જે બડાશો અને છાની વાતો રૂપાળી પાસે કરે છે તે આપણી પાસે ચાલી જ છે. ન્યાયાધીશ કરવતરાય અને કારભારી, બે ભાઇઓ અને ત્રીજો ફોજદાર દુષ્ટરાય મળી ગરીબ પ્રજા ઉપર જે જે જુલમ કરે છે તેના પ્રત્યે આપણે આજ આંખ આડા કાન કરીએ છીએ એટલે એ લોક વધારે વધારે નિરંકુશ થાય છે એટલે એ સૌના પાપનો ઘડો એની મેળે નહીં ફૂટે તો જ્યારે ઇચ્છા થશે ત્યારે એક ટકોરો માર્યે ફૂટશે. ટકોરો ક્યારે મારવો એ આપણી ઇચ્છાની વાત છે. એના નિરંકુશ બનવાથી પ્રજા બળી રહી છે. રાજા સારા પણ

પ્રધાન ખોટો - એ સૌનો વિચાર થઇ ગયો છે, અને તેમના પોકારનો ભડકો ફૂંક મારતાં સળગી ઊઠશે. કારભારીને કાઢવાનું જગતની અને સાહેબની આંખે આ એક સબળ કારણ થશે. આપનો કોઇ દોષ નહીં કાઢે અને પડેલા ઉપર પ્રજા પાટુ મારવાની.

‘હાથી પાછળ કૂતરાં ઘણાં ભસે એ આપણી શિખામણ કારભારીને ગમી જવાથી તે દિવસે મુંબઇના છાપાંવાળાઓ રૂપિયા માગતા હતા ત્યારે તેણે આપ્યા નહીં. કારભારી મુંબઇ ગયો હતો ત્યારે એકબે છાપાંવાળાઓ આવ્યા હતા તેને નરભેરામની ઉશ્કેરણીમાંથી મેરુલાએ કારભારીને નામે અપમાન આપ્યું. પ્રજામાંથી કેટલાંક માણસો મુંબઇ રહે છે તેને આપણા તરફથી આવકાર મળે છે. પણ શઠરાયને રાવણના જેટલું અભિામન છે અને આવાં માણસો સાથે ભારેખમ રહે છે એટલે તેને મળી પાછા જતાં તેેઓ તેને ધિક્કારે છે અને કેટલીક વાર તો નરભેરામ તેમનો અને કારભારીનો

મેળાપ પણ થવા નથી દેતો. બીજા સિપાઇઓ તેનું અનુકરણ કરે છે. આ સૌની અસર જોવી હોય તો આ છાપું વાંચજો. એમાં છપાયું એટલે જૂઠામાંથી સાચું ચાળી કાઢવા કોઇ બેસતું નથી. પરંતુ તેના લખાણનું વજન સરકાર ને લોકમાં કેવું રહે છે તે પ્રસંગ પડ્યે બતાવીશ.

‘રસલ સાહેબ લશ્કરી માણસ નથી. બસ્કિન્‌ સાહેબની પેઠે તેમનું અંતઃકરણ સમજાય એમ નથી. કોઇને નકામું અપમાન આપવું અથવા નઠારાને નઠોરો કહેવો એ એમની પ્રકૃતિ નથી. શઠરાયના ઉપર એમનો વિશ્વાસ છે એમ આપની અને જગતની જાણમાં છે. પણ સાહેબ ઊંડા છે. તરકડીના છોકરા બાબતનો ઠરાવ ખાસ દફતરમાં છે. તે સાહેબના જાણવામાં છે એ બાબત આ લીલાપુરથી કાગળ આવ્યો છે તે નિરાંતે વાંચજો.

‘પ્રજાનો પોકાર સાહેબ પાસે કાંઇક ગયો છે. આપ જશો ત્યારે સાહેબ એ વાત કાઢશે. કારભારીની નિંદા કર્યા સિવાય ખરી વાત કેમ

કરવી તે હું કાલ વિચારી કાઢીશ. હાલના સર્વ કારભાર બાબત જુમ્મો કારભારીને શિર છે.

‘પેલા વાણિયાના કામમાં કરવતરાયે જુલમ કર્યો તે બાબત વાણિયાને સાહેબ પાસે મોકલવા યુક્તિ કરી છે. વાણિયાને લાભ કાંઇ નહીં થાય

પરંતુ એ કામ સરકાર મારફતે આપની પાસે આવશે એ ઠીક પડશે.

‘હળવે હળવે દરબાર અને મહેલમાંથી સૌ જૂના માણસોને વધારે પગારે દૂર કાઢ્યાં છે અને નવાં માણસ આપણાં છે એ આપને ખબર છે.

શઠરાય તેમને પોતાનાં કરવા મથે છે અને એ સૌ વાત એમની જ મારફત આપણી પાસે આવે છે.

‘ગરબડદાસનો કેવો ઉપયોગ થવાનો છે તે આપને ખબર છે. એ ઉપયોગ કરવાનો વખત હવે આપણી ઇચ્છા છે તો આવે છે. તમે સાહેબને

મળી આવો એટલે સૌ વાત ઉપાડીએ.’

‘રિપોર્ટ’ પૂરો થઇ રહ્યો એટલે રાણાએ આળસ મરડ્યું અને મોં

મલકાવી ઊભો થયો. બુદ્ધિધન પણ ઊભો થયો અને ઊઠતાં ઊઠતાં બોલ્યો

ઃ ‘આપણી પાસે ખેલનાં બધાં સાધન છે. ખામીમાં એક અંગ્રેજી ભણેલો અને ગણેલો માણસ જોઇએ.

‘ઠીક, ઠીક, એ તો હવે જોજો. સરત રાખજો કે શઠરાયને બીજાં બેચાર વરસ ન મળે.’

‘રાણાજી, ધીરજ રાખો. વખત આવ્યે પ્રસવ એકદમ થાય છે અને જગત જાણે છે. પણ માના પેટમાં ગર્ભ પાકતાં નવ માસ લાગે છે અને તે ક્રિયા શી રીતે થાય છે તે કોઇથી સમજાતું નથી. લીલાપુરમાં કેટલાં વર્ષ થયાં ત્યારે ગાદી મળી ?’

‘હા, એ તો ઇશ્વરઅધીન વાત હતી.’

‘શઠરાયે પર્વતસિંહનું કરાવ્યું એમ તમે જડસિંહનું કરાવ્યું હોત તો તમારા હાથમાં હતું.’

રાણો માત થયો.

‘ઠીક, ભાઇ, પ્રસવકાળ આણો. પણ એય પહેલેથી જણાય છે હોં

! છોકરાવાળું પેટ ઢાંક્યું નથી રહેતું.’

‘પણ આ તો વગર પેટે છોકરું આવવાનું છે.’

રાણો ફરી માત થયો.

‘બહુ સારું. તમે કહો - કરો - તે ખરું.’

આગળ રાણો અને પાછળ અમાત્ય એમ બે જણ ચાલ્યા. પાછળ

ચાલતાં ચાલતાં બુદ્ધિધનિ બોલ્યો : ‘રાણાજી ! હવે થોડા દિવસમાં સૌ જણાશે.’ ફરી પાસે જઇ કાનમાં કેટલીક વાર કરી.

ભૂપતસિંહ ખુશ થયો, પાછો ફર્યો, પ્રધાનનો વાંસો થાબડ્યો અને

મંદિર બહાર નીકળ્યો.

‘નિઘારખો મહેરબાન’ - બૂમ પડી. ગાડીમાં બેસી, ગાડીનાં ચક્ર, ઘોડાઓની ખરીઓ અને સવારોની તરવારોના ખડખડાટ સાથે સવારી ચાલી.

ગાડી નજર બહાર થઇ જોઇ બુદ્ધિધન પાછો અંદર ચાલ્યો. મંદિરનાં પગથિયાં પર ઊભો રહી, દાઢીએ હાથ મૂકી, વિચારમાં પડી બોલ્યો : ‘ઇશ્વર ! હું કાંઇ કરતો નથી. આ સૌ તું જ કરે છે.’

છાતી પર હાથ મૂકી બોલ્યો : ‘ઇશ્વર ! મેં કોઇનું નુકસાન -

વગર કારણ નુકસાન કર્યું નથી - કરનાર નથી. યોગ્ય કારણસર નુકસાન કરવું - તે તો તુંયે ક્યાં નથી કરતો ?’ અંતઃકરણને દિલાસો મળ્યો. તેમાંથી ખૂંચ નીકળી ગઇ. તે સાફ થતાં જાગ્યો હોય તેવો બની, ચારે પાસ નજર કરી બૂમ પાડી, ‘દત્ત ! દત્ત !’

મૂર્ખદત્ત ઉતાવળો ઉતાવળો આવ્યો. તે રસોઇ કરી રહ્યો હતો અને રાણો કલાક બેઠો હતો એટલે મૂર્ખદત્તને પણ અંદર ભરાઇ રહેવું પડ્યું હતું. અંદર ગયા પછી સાંભર્યું કે નવીનચંદ્ર પણ વાડામાં છે અને અમાત્ય

કુટુંબ પણ ત્યાં ગયું. ગભરાયેલો ઊઠ્યો અને રસોઇની ઓરડીમાં એક જાળિયું બહાર તળાવમાં પડતું હતું ત્યાંથી અંગૂઠા પર ઊભો રહી બે હાથે જાળીના સળિયા ઝાલી જોવા લાગ્યો. સારે ભાગ્યે નવીનચંદ્ર વાડામાં ઝાઝી વાર ન રહેતાં તળાવમાં નાહવા પડ્યો હતો અને નાહી રહી ઓટલા પર ઊભો રહી ડિલ લોહતો હતો. બૂમ ન પાડવી ઠીક કરી દત્ત ઝપ લઇ ભોંય

ઉપરથી લીંપણના પોપડા ઉખાડી નવીનચંદ્ર પર ફેંક્યો. જાળી બહાર હાથ નીકળતો ન હતો એટલે પોપડા બરોબર વાગ્યા નહીં. આખરે એક પોપડો બરાબર નાહેલ નવીનચંદ્ર વાંસા પર પડી, વાગી, ભાંગી ગયો. નવીનચંદ્ર

ચમક્યો અને પાછળ ફરી ઊંચે આંખો ચડાવી જુએ છે તો દત્તને દીઠો અને જાળિયા પાસે ગયો. દત્તે રાણો તથા અમાત્ય અને એનું કુટુંબ આવ્યાના સમાચાર ધીમે સાદે કહ્યા અને સૂચના આપી કે સૌ જાય ત્યાં સુધી વાડામાંયે ન જશો અને મંદિરમાંયે ન આવશો. ‘રાણાને જોવા હોય તો પેલી પાસ થઇ દરવાજા આગળ ઊભા રહેજો’ એમ કહ્યું. નવીનચંદ્રે વખત ગાળવા ગાંસડી છોડાવી એક ચોપડી માગી. દત્ત ચમક્યો અને આ વળી પંડિતની પેઠે ચોપડી માગે છે તે શું એમ વિચાર કરતાં કરતાં આપી. ઝાડની ડાળીમાં પોતાનું ભીનું પોતિયું ધોઇ નિચોવી મોં પર ચાંયડો આવે એમ નવીનચંદ્રે સૂકવ્યું, અને શિયાળાની સવારનો આસપાસનો દેખાવ જોવા લાગ્યો. મૂર્ખદત્ત રસોઇમાં પડ્યો, પરવાર્યો અને અમાત્યે બોલાવ્યો તે સાંભળી બહાર આવ્યો.

ડોકું ઊંચું કરી બોલ્યો : ‘જી !’ ઘુંમટમાં જીકારનો પડઘો થયો.

બુદ્ધિધન : ‘કેમ આજ કોઇ આવ્યું નથી કે ?’

મૂર્ખદત્ત : ‘અલકબહેન અને ભાભીસાહેબ આવ્યાં છે ને !’

‘ક્યાં છે ?’

‘વાડામાં. પધારો. રાણાજી આવ્યા હતા એટલે તાળું વાસ્યું હતું.’

આગળ તપોધન દોડ્યો અને પાછળ અમાત્યે ચાલવા માંડ્યું.

‘હાલ કોઇ ઉતારુ નથી કે ધર્મશાળામાં ?’

‘હા જી, એક જણ છે : તલાવ પર કે ઓટલે બેઠા હશે.’

તાળું ઉગાડ્યું અને બારણું ઉઘાડ્યું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED