Saraswati Chandra - 1 Chapter - 10 books and stories free download online pdf in Gujarati

સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 10

સરસ્વતીચંદ્ર

ભાગ : ૧ : બુદ્ધિધનનો કારભાર

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ ૧૦

ખટપટનાં શસ્ત્ર અને કારભારીઓની યુદ્ધકળા

નવીનચંદ્રની ચિંતા અલકકિશોરીને માથે પડી. મૂર્ખદત્ત આવતો જતો અને ખબર લેતો. વૈદ્ય ઔષધ કરતો. ચાકરો ચાકરજોગ કામ કરતા.

સૌભાગ્યદેવી નીચે રહી પૂછપરછ કરી તપાસ રાખતી અને દિવસમાં એક વાર ઉપર આવી સમાચાર પૂછી જતી. પ્રમાદધન ‘ન્યૂસપેપર’ વાંચી જતો અને જતાં આવતાં ફેરો ખાતો ને મિત્રમંડળ સાથે પથારીની આસપાસ બેસી ગામગપાટા ચલાવતો. બુદ્ધિધન પણ નિત્ય આવી પથારીમાં બેસી કાંઇક વાતો કરી જતો અને વૈદ્યને હુકમ આપ્યો હતો કે રોજ સમાચાર કહી જવા. કોઇપણ બીજું હાજર હોય તે વખતે કુમુદસુંદરી આવવાનો

પ્રસંગ ભૂલતી નહીં, આવી આઘે રહી કુશળ વર્તમાન જોઇ જાણી આનંદ

પામી પાછી જતી, અને જોડેથી મેડીમાં બેસી કોઇની સાથે નવીનચંદ્ર કામની કે નકામી કાંઇ પણ વાતો કરે તે રસથી સાંભળતી. ત્રાહિત પુરુષો જોવા આવ્યા ન હોય ત્યારે ઘણુંખરું અલકકિશોરી એકલી હોય તોપણ પથારી પાસે બેસી રહેતી, ઉપચાર કરતી, નિર્દોષ વાતો કરતી, અને ભાભીને કે જે કોઇ હોય તેને તો વાતોમાં ભાગ લેવા બોલાવતી. કોઇ વખત નણંદ, ભોજાઇ, અતિથિ અને પ્રમાદધન ચોપાટ કરતાં. અતિથિ ઘરના માણસ જેવો થોડા કાળમાં થઇ ગયો અને તેની પ્રકૃતિ સુધરતી ચાલી. તેના પરાયા ઘર જેવું લાગતું બંધ થઇ ગયું. અમાત્યના ઘરમાં આ શાંતિ વર્તતી હતી તે જ સમયે દરબારમાં ખટપટ જામી રહી હતી અને તે નજરે જોવા શક્તિ ન હોવાથી નવીનચંદ્ર પોતાને હીનભાગ્ય સમજતો હતો. વાયો વાતો ઊડતી હતી અને એની પાસે કંઇ કંઇ તડાકા ચાલ્યા આવતા હતા.

જમાલવાળા બનાવથી બુદ્ધિધનનું માથું ફરી ગયું હતું. અને એ બનાવનું મૂળ દેખાતું તેથી વધારે ઊંડું એ કલ્પતો. ભોંયરામાં પૂરેલો જમાલ

ન જડવાથી તેની તપાસ છાનીમાની ચાલી રહી હતી અને ચિંતામાં પડેલી ખલકનંદાએ તપાસ કરવા પોતાના ભાઇને કંઇ કંઇ નિમિત્તે ઉશ્કેર્યો અને કંઇ કંઇ કાર્યોમાં પ્રેર્યો. બુદ્ધિધને આ પરિણામ કલ્પી મૂક્યું હતું, એને તે પરિણામના પરિણામ પોતાનાં ઇષ્ટ કરી દેવા તત્પર હતો. શઠરાય સાથે

મેદાનમાં ઉઘાડા પડવાનો દિવસ તેની દૃષ્ટિમર્યાદાની ભાગોળ આગળ ભમતો દેખાયો. માતુશ્રીને અને સૌભાગ્યદેવીની પવિત્રતાને આપેલા અપમાનંથી ઉત્પન્ન થયેલો વૈરનો તણખો હોલાઇ ગયો ન હતો અને શઠરાયની ખટપટે તેને જાગ્રત રાખ્યો હતો ને ધીકધીકતા અંગારા જેવો બનાવી દીધો હતો.

અલકકિશોરીએ ખમેલા અસહ્ય અપમાનથી આ અગારા ઉપર ઘી હોમાયું અને ભડકો થયો. શઠરાયના કટુંબ અને કારભારની આસપાસ બુદ્ધિધનની બુદ્ધિરૂપ વાયુ આ ભડકાને ફેલાવી દેતો હતો. એ આગ ચારે પાસ ફરી વળશે અને વચમાંની વસ્તુ બળી રાખ થઇ જવાની - એ પ્રસંગ એકલા પડ્યા બુદ્ધિધનની દૃષ્ટિ આગળ આવતો દેખાયો. તેની પાછળ અમાત્યનો પોતાનો મધ્યાલ્નકાળ ઊભો લાગ્યો. અનાથ વિધવાના ગરીબ અને બાળક દીકરા બુદ્ધિધનના વૈરભાવના આવેશને મંદવાડના લવારામાં ગણનાર પણ હેતસ્વી દયાશંકર ઘણા વૃદ્ધ અને જર્જરિત બની જીવતા હતા. તેમણે હસી કાઢેલી વાતનું મહાપરિણામ તેમને પ્રત્યક્ષ કરાવવાનો સમય આવે છે. એવું બુદ્ધિધનને લાગતું અને તેથી એક જાતનો આનંદ મળતો. માતુશ્રી આ સમયે હોત તો ! તે કેટલું અનુમોદન કરત ! એ આજ નથી એવું ભાન આવતાં પોતાનો આનંદચંદ્ર નિષ્કલંક નહીં ઊગે એવો કોઇક વખતે તેને વિચાર થતો. પરંતુ માતાનું શ્રાદ્ધ-તર્પણ પૂરું કરી દેવાના અવસરે દીકરાની વૃત્તિઓ જબરી ઊછળવા લાગી. એ તોફાની વૃત્તિઅઇોના સાગરમાં પોતાની પ્રિય પુત્રીને થયેલા અપમાનરૂપી વાયુએ ખટપટના મોજાંને ઉછાળવા માંડ્યાં અને જે રાત્રે પકડાયેલો જમાલ ચોકમાં માર ખાતો હતો અને અલકકિશોરી પરસાળની મેડી પરના ઊમરા પર માના ખોળામાં પડીપડી ડૂસકાં ભરતી હતી, તે વખત અગાશીમાં હેરાફેરા કરતો બુદ્ધિધન ભ્રૂકુટી ચઢાવી, મૂછ પર હાથ નાખી બોલી ઊઠ્યો હતો કે ‘સંભાળજે ! શઠરાય ! હવે હું અસ્ત્ર

નથી ! એ તો હું !’ બૂમાબૂમમાં આ શબ્દ કોઇએ સાંભળ્યા ન હતા અને અંધારામાં ભ્રૂકુટી ચડેલી કોઇએ દીઠી નહોતી.

આમ હત્યાનું મગજ ચકડોળે ચડ્યું હતું. અને દિને દિને વધારે વધારે સહેજ સહેજ નિમિત્તથી ચડતું હતુ. એક દિવસ તો પ્રાતઃકાળમાં ઊઠ્યો. દેવી રોજ વહેલી ઊઠતી હતી પણ આજ કાંઇક મોડી ઊઠી અને બુદ્ધિધન પહેલો ઊઠ્યો; પથારીમાં બેઠો થયો; પતિવ્રતાના મુખ સામું જોઇ

રહ્યો; તેને પહોંચેલા અપમાનનું વેર લેવાયું નથી અને તેથી પોતે હજી

દેવાદાર છે એમ મનમાં લાગ્યુ. કમળની પાંખડીઓ પેઠે બિડાયેલી નાજુક આંખો, ઉશીકાની આસપાસ વેરાયેલા છૂટા લાંબા કાળા કેશ, ચળકતું ભવ્ય

કપાળ, પક્વબિમ્બાધરનું સંપુટ, અને ઉજાસ મારતા લોભાવતા કોમળ ગાલ

- સર્વ જોતાં મનોવૃત્તિ લલચાઇ. નાની ઉમ્મરના અને આજના દેખાવમાં ફેર લાગવા છતાં સુંદરતા કમી લાગી નહીં અને પોતાના અંતઃકરણમાં વહાલની સેર વધારે જોસભેર વછૂટી વૈર લેવાયું નથી ત્યાં સુધી આ વર્ષ વહાલ લૂખું અને ઠગાઇ ભરેલું લાગ્યું. એ કલંક પોતાને માથેથી એકદમ

ઉતારા ઠરાવ કર્યો અને મનમાં ને મનમાં દેવીને વચન આપી હાથ ઊંચો કરી બોલી ઊઠ્યો : ‘દેવી ! મને બાયલો ધારીશ નહીં. હવે,’

‘રણ વચ્ચે પડે બૂમડી ત્યાં જોજે મારો હત્થ !૧

એમ કહી હસ્યો, દેવીના મોં સામે બરોબર ફર્યો, હાથ વતે ગાલ

સંપુટ સાહી-દાબી નીચો પડ્યો અને લાંબા કરેલા ઓઠ દ્ધારા નિદ્રાવશ ઓઠમાં, ને ઓઠમાંથી મગજમાં આત્મામૃત રેડ્યું. દેવી જાગી, અમૃતપાનથી સ્મિત બની અને પ્રત્યાઘાતરૂપ તેના મનહર સાકાર વિકારને મંગળ શકુન ગણી - સત્કાર આપી - બુદ્ધિધન ઊઠ્યો અને કર્તવ્ય કામનાં વૈરભાવ વગેરે સાધનોમાં ઉત્સાહ ઉમેર્યો. કારભારી થવાનો ઉત્સાહની ગંગામાં આ ઉત્સાહનદી વેગથી ભળી.

આણીપાસ શઠરાયે પણ બુદ્ધિધનને દૂર કરવા ઠરાવ કર્યો હતો.

ઘણાં વર્ષ સુધી એણે કારભાર કર્યો હતો અને નિષ્કંટક સત્તા ભોગવી હતી.

કંટક રાખવો નહીં એ તેનો નિશ્ચય હતો. ભૂપસિંહનો ડર હવે તેના મનમાંથી જતો રહ્યો હતો, પરંતુ બુદ્ધિધનની બીક તેને લાગવા માંડી. બીક તો

મૂળથી જ હતી. પરંતુ રાણાની બીક હતી ત્યાં સુધી અમાત્યનની બીક જણાઇ પડતી ન હતી. ભૂપસિંહ પોતાની પાસે શૂન્ય જેવો વસતો અને

માત્ર બુદ્ધિધન કાળ જેવો લાગતો. એ કાંટો કાઢી નાંખવો અને તેમ કરવામાં ભૂપસિંહ પ્રતિકૂળતા બતાવે તો તેનું પણ ઓસડ કરવું એ સર્વ લક્ષ્યનાં સાધન શઠરાય ચલાવતો હતો.

એક મ્યાનમાં બે તલવારો કોઇ ઠેકાણે સમાઇ સાંભળી નથી. જ્યાં સુધી બુદ્ધિધન અને શઠરાય એકબીજાને નમીને ચાલતા હતા ત્યાં સુધી સર્વ સમું ચાલ્યું. પરંતુ,

‘અભિલાષી એક બાતકો યામે હોત વિરોધ.’

વિરોધ તો ગુપ્ત હતો જ, પરંતુ જૂનો સમો બદલાયો અને બુદ્ધિધનને પોતાનો પાયો સ્થિર લાગ્યો એટલે દેખીતી ઇમારત ચણવાનો પ્રસંગ આવ્યો.

એનો તનમનાટ શઠરાય કળી ગયો, બુદ્ધિધનની જ બુદ્ધીથી ભૂપસિંહ શઠરાયના હાથમાં જતો જણાયો, અને શઠરાયે તેમ જાણ્યું અને ધાર્યું કે ભૂપસિંહ બુદ્ધિધનનાથી પૂરો જુદો પડતાં વાર નહીં લાગે. બુદ્ધિધન જેવા ચાંચડને

મસળી નાખવામાં એને કાંઇ મુશ્કેલી લાગી નહીં. ખટપટમાં તે અનુભવી હતો. ઘણી કળાઓ તેને આવડતી હતી. ફલાણું કામ કરતાં ચિત્ત અટકે એમ ન હતું. ઘણી મિલકત અને ઘણાં માણસ તેનાં પોતાનાં હતાં. ભૂપસિંહની કૃપા, ઇશ્વરે આપેલી બુદ્ધિ અને તેથી મળેલાં ફળ, થોડાંક પણ સાચાં

માણસો અને સાધારણ દ્રવ્ય : એટલામાં બુદ્ધિધનનાં સાધનોનો સમાવેશ થઇ

રહ્યો હતો.

સંસ્થાનો વડો ન્યાયધીશ શઠરાયનો ભાઇ કરવતરાય હતો. અમાત્ય

થયા પછી કરવતરાયના ફેંસલા ઉપર ભૂપસિુંહ પાસે અપીલો જતી અને એની જોડે અમાત્ય બેસતો અને અમાતયના જ કહ્યા પ્રમાણે થતું. આ કામ

કરવાનો સમય બપોરનો રાખ્યો હતો. તે વખતે સ્વાભાવિક રીતે રાણાને અને અમાત્ય એકલાને પડવાનો પ્રસંગ આવતો. પ્રથમ તો બુદ્ધિધન ઝાઝું વચ્ચે ન પડતો પણ આખરે ઉઘાડા પડવાનો પ્રસંગ વધારે વધારે પાસે આવ્યો તેમ તેમ કરવતરાયના ફેંસલા ફરવા માંડ્યા અને એમ થયું એટલે એને મળતી દક્ષિણા પણ ઓછી થઇ. આ હુમલાની ખબર શઠરાય પાસે જતાં તેણે ઔષધ શોધવા માંડ્યું. કલાવતી કરીને એક નાજુક, પાતળી, ગોરી અને સુંદર ગાનારી નાયકાને દુષ્ટરાયે મુંબઇથી આણી સુવર્ણપુરમાં વાસતી હતી. તેને એક દિવસ દરબારમાં ગાવા આણી. રાણાને ગાયન ગમ્યું અને હળવે હલવે દરબાર વેરાઇ જાય તોપણ શીખવી મૂકેલા દરબારીઓની સૂચનાથી તે વધારે વાર બેસતી અને રાણો ના ન કહેતી.

મંડળ થોડું હોય ત્યારે એનાં ગાનનાં વખાણમાંથી શરીરનાં વખાણની વાત કાઢવામાં આવતી. મૂર્ખ રાણો તે પ્રીતિથી સાંભળતો, અને આઘે બેસી ગાતી હોય અથવા ઊભી ઊભી ફરતી નાચતી હોય તે વખતે તેના જાણી જોઇ નિર્લજ્જ અવસ્થામાં રહેતા - આવી જતા - અવયવો ઉપર રાણાની આંખ લાચાર બની ઠરતી. તોપણ બુદ્ધિધનની બીકે તે ઝાઝું ન બોલતો.

એમ કરતાં એક દિવસ તો ખાનગીમાં - બુદ્ધિધનની ગેરહાજરીમાં - તેણે એની ખૂબી વખાણી અને શઠરાયે પોતાનો કરી મૂકેલો મ્હાવ ખવાસ હાજર જ હતો. તેણે સમયસૂચકતાથી કલાવતીને મહારાણાની સેવામાં હાજર કરવાનું

માથે લીધું. રાણાએ ના ન કહી અને એક દિવસ બપોરે તેને રાજમહેલમાં આણી - રાજમહેલ અપવિત્ર કર્યો - સુવર્ણપુરના રાણાના શરીરને દૂષિત કર્યું - તેના મનને ભ્રષ્ટ કર્યું અને સુવર્ણપુરની પ્રજાને માથે અતિ નીચ

શોક્ય લાવી બેસાડી. બપોરે ન્યાયનું કામ કરવા બેસવું તે ભૂપસિંહને વસમું લાગવા માંડ્યું. હજુરિયા તે વાત સમજ્યા. ખાનગી કારભારી નીચદાસે વાત કાઢી : ‘રાણાજી !આપને કાંઇ ઇશ્વરે આ વૈતરા સારુ સરજેલા નથી.

કરવા દોને અમાત્યને જ એ કામ.’ અમાત્યને કોણ કહે ? નીચદાસને શઠરાયને સમાચાર કહ્યા. બુદ્ધિધનના દેખતાં શઠરાયના શીખવી મૂકેલા જગાભાઇ

ચારણે પ્રસંગ આણી કવિત ગાયું :

‘ભલો ભલો ભૂપ ભૂપ, ગુણ રૂપ બે અનુપ,

રાતદિન રાજકાજના જ સાજમાં જ આજ

ચિત્ત વિત્ત સર્વ દીધ, રીધ, સીધ એ જ કીધ,

મોજશોખ ને વિલાસ છોડી સીધ છે વિહાર !

ભલો ભલો ભૂપસિંહ ! થા તું હવે સિંહ, સિંહ !

દિવસમાંહી એક વાર હોય તાહરે શિકાર !

રૂડી ઘટાઘાડીવાળી, ઝાડીમાંહી રહેવું દહાડી -

એ જ મૃગરાજતાજ, રાજને શું બીજું કાજ ?’

‘ભલો, ભલો, ભૂપસિંહ !’ કરી ચારણે હાથ જોડ્યા અને બોલ્યો

ઃ ‘દીનાનાથ ! મારા જેવાનેય રાતદિવસ વૈતરું ને આપના જેવાનેય વૈતરું

- એ કાંઇ હોય ?’

બુદ્ધિધન જરીક ચમક્યો અને વહેમાઇ ચારણ સામું જોઇ રહ્યો.

ચારણે નજર ચુકાવી.

શઠરાય : ‘ત્યારે જગાભાઇ, રાજકાજ ન કરે તો બેસી રહે ! શું ઇનસાફ ન કરે ?’

જગાભાઇ : ‘ઓય, ઓય, બાપજી ! જ્યારે એ કડાકૂટોયે રાણોજી

કરશે ત્યારે આવા વિશ્વાસુ અમાત્ય શું કરશે ?’

‘આવી આવી વાતોથી પથ્થર ઘસાયો અને ભૂપસિંહનો જીવ કામકાજમાંથી ઓછો થયો. બપોરે બુદ્ધિધન આવે ત્યારે રાણો કહાવે કે

‘ચાલતું કરો, હું આવું છું.’ આખરે આવે અને કાગળ પર બે બિલાડાં તાણી આપે. બુદ્ધિધન સૌ જોયાં કરતો.

પોતાના પરથી ભાવ ઊઠી શઠરાય પર ગયો ન હતો પણ તેમ

થવાનો આ રસ્તો હતો. કલાવતી રોજ બપોરે આવતી તે એને માલૂમ

પડ્યું. કલાવતીનો ઇતિહાસ માલૂમ પડ્યો. બપોરે રાણાને ત્યાં એ ને રાત્રે એને ત્યાં દુષ્ટરાય - એમ થતું. રાણો પૈસા ખરચે એટલે દુષ્ટારાય વગર પૈસે મોજ માણતો. મેરુલાને પણ ગમ્મત થઇ. એ નરભેરામની પાસે ફૂલ્યો ને નરભેરામને બધી વાત કહી. હળવે હળવે રાણો નફટ થયો અને સેવા કરવાને બહાને રઘી ખવાસણ, રાણો ને કલાવતી એકાંતમાં હોય તે સમયે હાજર રહેતી. રઘી કલાવતીની પણ સેવા કરતી અને બેની માનીતી થઇ

પડી હતી. મ્હાવા સાથે એને સંબંધ હતો, અને એ લુચ્ચો છતાં બધી વાતો એને મોંએ કરતો. મ્હાવ લંપટ હતો અને રઘી પૈસાની અને ઘરેણાંની

લોભી હતી. મ્હાવો લુચ્ચો હતો પણ રઘીની પાસે ગરજ વખતે મૂર્ખ બની જતો, રઘી મૂર્ખી હતી પણ રમતિયાળ હતી અને મ્હાવાને ગરજ હોય ત્યારે

ચેતતી એને અને ઠગતી, ધમકાવતી, લુંટતી અને ફાવી જતી. બે જણને

મહેલમાં યથેચ્છ વર્તવા પુષ્કળ સગવડ મળતી; મોટાનાં ઘર એવાં જ હોય

છે. શઠરાયના ઘરમાં રઘીને સૌ ખેલાવતાં અને ખેલાવનારમાં અગ્રેસર નરભેરામ હતો. નરભેરામે રઘીને છાનાંમાનાં શીખવ્યું કે ‘રાંડ, જાને, રાણો ને કલાવતી હોય ત્યારે જઇએ ને બધી જાતની ચાકરી કરીએ. એમાંથી પૈસાવાળી થઇશ ને કોઇ દહાડો રાણાની રાણીયે થવાય !’ રઘીએ આ ખરું

માન્યું અને તેનું ફળ આપણે જાણીએ છીએ. નરભેરામનો રઘી ઉપકાર

માનતી અને માન્યું અને તેનું ફળ આપણે જાણીએ છીએ. નરભેરામનો રઘી ઉપકાર માનતી અને બધી વાત સાંભળતી તે નરભેરામ કલાવે એલે કહી દેતી. એક મ્હાવો તારો ક્યારે કે એની એ કોઇને કહેતી નહીં. નરભેરામે એક દિવસ કહ્યું : ‘રાંડ, મ્હાવો તારો ક્યારે કે એની વહુને રાણીએ નથડી આપી છે તે તને આણી આપે તો. ગમે એટલું પણ તું તે રાખ - રાખેલી.’

રઘી ઉત્સાહ આણી ઊછળી બોલી : ‘હા, હા, એ તો આણું.’ પણ નિષ્ફળ

થઇ. મ્હાવાને વહુ પાસેથી મળે એમ હતું નહીં, મ્હાવે બહાનું કાઢ્યું અને રઘીને સમજાવી, પણ રઘીએ માન્યું નહીં. નરભેરામે ફૂલીને કહ્યું : ‘હેં,

લેતી જા. મારો મ્હાવો - મારો મ્હાવો - તે તારો નહીં નીવડ્યો હોય !

વખત આવ્યો સૌ જણાય. મ્હાવાનો સંબંદ તો રઘીથી તૂટ્યો નહીં પણ જીવ જુદો થયો. મ્હાવાની વાતો થોડી થોડી નરભેરામ પાસે કરવા માંડી.

રાણાને રણજિત નામનો ચોબદાર હતો. તેને આંખ એક જ હતી. મેરુલાના પહેલાં એને રૂપાળી સાથે સંબંધ હતો. દુષ્ટાયને લીલાપુર ગયો તે પહેલાં બુદ્ધિધનને શઠરાયને ત્યાં જવાનો પરિચય હતો ત્યારે આ વાત કાને આવ્યાથી બુદ્ધિધને રણજિતને ચેતાવ્યો હતો અને ઉપાય બતાવ્યો હતો. તે ઉપરથી રણજિત શઠરાયને મળ્યો અને ફરિયાદ કરી કે ‘સાહેબ, દુષ્ટરાયની પાસે

મારા વેરીઓ ખોટું ખોટું ભેરવે છે, માટે કૃપા કરી મારી બદલી કરો; ત્યાં રાખવો હોય તો હું રજા લઉં છું.’ દુષ્ટરાયથી ખરું કારણ કહેવાયું નહીં અને

‘મૂઓ,છો બીજે ઠેકાણે જતો’ કરી હરકત ન કરી. એ બદલીમાંથી આખરે રણજિત ચોબદાર થયો. તે હજી બુદ્ધિધનનો ઉપકાર માનતો હતો અને અંદરથી એના પક્ષમાં હતો. બુદ્ધિધને સમરસેન પાસે શિખવાડ્યું અને રણજિતે રઘી જતી આવતી હતી તે વખત મશ્કરી કરી અને એમ કરતાં કરતાં બેનો સંબંદ થયો એટલે મ્હાવાની બધી વાતો ફૂટવા માંડી. રઘી રાણીઓની પ

માનીતી હતી. નરભેરામ અને રણજિત બેની કમાન બુદ્ધિધનની બુદ્ધિ હતી અને એ બુદ્ધિના બળથી રાણાનો મહેલ અંતઃપુર અને દરબાર બુદ્ધિધનને

મન પારદર્શક થઇ ગયાં હતાં. કલાવતી અમાત્યને પોતાના હાથમાં લાગી અને તેની કરેલી રજેરડ વાત પોતાની પાસે આવતી. હજી સુધી શઠરાયે તેને રાણાના બિગાડ સિવાય બીજા પ્રપંચની સહાયભૂત નહોતી કરી, કારણ તે કરવાનો સમય આવ્યો લાગ્યો ન હતો. એમ કરતાં કોઇ કોઇ વખત તે કહેવા લાગી : ‘હવે અમારો ધંધો પડ્યો એટલે અમે વગોવાઇએ. અમને સારાં કહેવડાવે એવી સ્ત્રીઓ અંતઃપુરુષમાં ક્યાં નતી હોતી ?’ ‘કર્ણદોષ થયો છે - ખરું ખોટું ઇશ્વર જાણે, રાણીઓની વાતો કોણ કરી શકે ?’

‘રાજબાની વાત સાંભળવામાં આવી છે.’ એમ ક્રમે ક્રમે ચડી.

આખરે નરભેરામે કાગળ આપ્યા તે લઇ સવારના પહોરમાં બુદ્ધિધન દરબારમાં ગયો અને રાણાના ખોળામાં કાગળો નાંખ્યા. કંઇક આંસુભરી આંખે બોલ્યો : ‘રાજબાને મેં માતુશ્રીને ઠેકાણે ગણ્યાં છે. આ કાગળો જોઇ

મને કંપારી વછૂટે છે. એ કાગળ વાંચી લો. શઠરાય મ્હાવા મારફત તમને બતાવશે. તમારા મનમાં લેશ પણ વહેમ હોય તો મને કહેજો. હું રાજીનામું આપી તમને આશીર્વાદ આપી તમારી ચડતી જોઇ રાજી રહીશ’ રાણાને દયા આવી અને ઊઠી જૂના મિત્રનાં આંસુ લોહી બોલ્યો : ‘બુદ્ધિધન, તમારો મારે પૂર્ણ વિશ્વાસ છે. તમારે લીધે તમારે લીધે મારા આ દિવસ છે.

આ તરકટી કાગળો મારી પાસે આવવા દો. આપનારને હું ફાંસીએ ચડાવીશ.

શા વાસ્તે તમે શઠરાયનો ઉપાય કરતા નથી ?’

કાગળો લઇ બુદ્ધિધને શિખામણ આપી : ‘આ કાગળો મ્હાવો આપે ત્યારે લેજો. માનતા હો તેમ જણવજો. મારા પર દ્રેેષ જણવજો અને શઠરાયના હો તેમ બહારથી ચાલજો.’ બીજી જોઇતી સૂચના આપી અમાત્ય

ઘેર ગયો.

મ્હાવાએ બપોરે કાગળો રાણાને આપ્યા. રાણો કોપાયમાન દેખાયો, બુદ્ધિધનને પાયમાલ કરવાની ગર્જના કરી, શઠરાયને બોલાવ્યો, સૌ વાત કહી, શઠરાય મનમાં ફુલ્યો, અને વચન આપ્યું કે બુદ્ધિધનનું મોં તમારે જોવું ન પડે એમ કરી આપું. રાણો કહે : ‘અમાત્યનું કામ માથે લેવા કોઇ

માણસ તૈયાર રાખો અને આપણું ધાર્યું થાય ત્યાં સુધી અમાત્ય જાણે નહીં

એમ કરજો.’ કારભારી વિચાર કરી કહે : ‘નરભેરામને આપની સાથે હજૂર સેક્રેટરી કરી રાખો. બુદ્ધિધનની પ્રથમ જગા એ જ હતી. એને નીમશો તો અમાત્ય વહેમ નહીં ખાય ને નરભેરામ તરત સૌ કામ શીખી જશે.’ એ

પ્રમાણે થયું.

બેચાર દિવસ પછી ચૈત્રી પડવો હતો. તે દિવસે દરબાર ભરાવાનો ત્યાં સૌ ખેલ રચવાનું નિર્માણ થયું. બુદ્ધિધને પૈસા ખાધેલા - ન્યાયમાં કૂંડાળા વાળેલાં - તેની ચાડી ખાવાનું ભારેખમ પણ બેશરમ ગરબડદાસે

માથે લીધું. મ્હાવાનો લાઇ ખોડો થોડા દિવસ લીલાપુર ટપાલખાતામાં હતો તેણે રાજબાવાળા કાગળો ઉઘાડા કરવાનું માથે લીધું. તેણે પોતાની પાસે કાગળો શી રીતે આવ્યા તેની હકીકત જોડી કાઢી. રાજબાની વાતમાં સાક્ષી પૂરવાનું નરભેરામને માથેે પડ્યું. રાણો ગુસ્સે થાય અને હુકમ કરે કે દુષ્ટરાયે બુદ્ધિધનને પકડવો અને એનું ઘર જપ્ત કરવું એ નક્કી થયું. રાણાને માથે કામ નાંખવામાં આવ્યું કે બુદ્ધિધનને માથે આવેલા ચાર્જનો ઇનસાફ કરવતરાયને સોંપવો. દુષ્ટરાયે રાણાના કાનમાં કહ્યું : ‘બુદ્ધિધનને પકડ્યો એટલે એના ઘરનાં ત્રણે બૈરાંને આપની પાસે લાવીશું. બહુ દેખાવડાં છે.’ રાણાને કંપારી છૂટી પણ મનોવૃત્તિ સંતાડી. દરબારમાંથી નીકળ્યા પછીં રસ્તામાં જ શઠરાયે કરવતરાયના કાનમાં વાત કરી : ‘તારે માથે વળી શું કરવા જોઇએ ?

પોલિટિકલનું લફરું આવી બેસે. રણજિત, મ્હાવી, ને એ બધાંને સમજાવીશું એટલે છાનીમાની કાશ કાઢશે. લોક જાણશે એણે આપઘાત કર્યો. રાણાને કહીશું કે રાજબાની કોર્ટમાં ફજેતી થતી અટકી. ઠીક પડશે. ટૂંકું ને ટચ.’

પાપમાં વૃદ્ધ થયેલાને આ વિચાર ખૂંચ્યો સરખો નહિ. ‘બુદ્ધિધન મૂઓ, રાણો કલાવતીમાં પડ્યો, અને રાણીઓને એક છોકરો કરી આપીશું એટલે પછી બીજું શું જોઇએ ?’ રાણીની દાસીઓમાં બેત્રણ સગર્ભા રાખી કે ઝટ

લઇ અદલાબદલી થાય અને જડસિંહની રાણીની બાબતમાં થયું એમ ન થાય. શઠરાયની ખાતરી થઇ કે હું અને મારા પછી દુષ્ટરાય બેના કારભારનો તો બ્રહ્માએ લેખ કરી આપ્યો - રાણીને ખોટો છોકરો, એટલે છોકરો ને મા બે જણ હાથમાં ! પરણ્યા પહેલાં સીમંતના વિચાર થઇ ગયા !

ચૈત્રી પડવે નવું વર્ષ તેમ રાણાને જન્મદિવસ હતો. બે દરબાર, એક સવારે અને એક સાંજે, એમ ભરાતા. સવારના દરબારમાં બુદ્ધિધનને પદવીબ્રષ્ટ કરવાનું ઠર્યું. એ દરબારમાંથી પાછો નીકળે તે જ સમય સિપાઇઓને સ્વાધીન કરવાનું પણ નક્કી થયું. દુષ્ટરાયને આ બાબતમાં કેટલીક ગોઠવણ કરવાની આવી અને તેણે કહ્યું કે : ‘તારા સિપાઇઓ થોડીક વાર એને

માન આપી એની સાથે ચાલે અને એને છૂટો ફરવા દે એમ રાખવું; દરબારની પાછળના ભાગમાંથી એને લઇ જવો.’ દરબારની પાછળ મોટો બાગ અને તેમાં ગલીકૂંચીઓ હતી. તે ગલીકૂંચીઓ ઉપર વેલા ચડાવી અંધારી જગા કરવામાં આવી હતી અને પક્ષીઓ રાખવામાંં આવેલાં હતાં.

જડસિંહના વખતમાં તેની રાણીઓ, દાસીઓ, કારભારીઓ અને બીજા હજૂરીઓનાં એમાં જુદે જુદે સ્થળે સંકેતસ્થાન, લલચાવી, ધમકાવી, છેતરી અને કોઇ કોઇ વખતે તો ઊંચકી આણી. આ ગલીઓમાં ગૂંચવવામાં આવતી અને સર્વ ભ્રષ્ટ મંડળમાં જડસિંહ પણ તે લાચાર સ્ત્રીઓ સાથે અનાચાર કરવામાં ભળતો. ભૂપસિંહ આવ્યા પછી બુદ્ધિધનના દોરથી આ સૌ બંધ

પડ્યું હતું, અને એ રસ્તો માત્ર કલાવતીને જ કામમાં લાગતો. એ ગલીઓના

મધ્યભાગમાં એક નાનું પણ પાતાળ પાણીવાળું ઊંડું તળાવ હતું. બુદ્ધિધનને એણીપાસ દોરવો - જવા દેવો અને તળાવ પાસે આવે કે મ્હાવાએ અને રણજિતે એક ગલીમાંથી નીકળી અચિંતો એને પાછળથી ધક્કો મારી તળાવ પાસેના એક ખાડામાં ઊંઘે માથે નાંખી દેવો, અને પીઠ પર ચડી બેસી ગળે ફાંસો દઇ મારી નાખી તળાવમાં ઝબકોળી પાછો ખાડામાં નાંખવો અને ડૂબેલાને બહાર કાઢી આસનાવાસના કરતા હોય તેમ કરવું એવી ગોઠવણ થઇ. દરબારના ઉઘાડા પડવાથી એણે આપઘાત કર્યો તેમ ઠરાવી બાળી

મૂકવો અને શઠરાયે અત્યંત શોક પાળવો એ પણ ઠર્યું.

રઘી ખવાસણે રણજિતને આ વાત કહી અને રણજિત દ્ધારા બુદ્ધિધન પાસે આવી. રણજિત ઉપર કેટલો વિશ્વાસ રાખવો તે શંકા ભરેલી વાત હતી. રાણો ગમે તેટલું પણ ગરસિયો - ગરાસિયો કોઇનો નહીં - તે પણ કલાવતીના હાથમાં ગયેલો ! નરભેરામ પણ વખત આવ્યે કેમ વટલાય

નહીં ? આ અવિશ્વાસમાં અને અંતર્ભયમાં અમાત્ય અર્ધો થઇ ગયો. દેવી અને છોકરાંને જોઇ પાછળ તેમનું શું થશે એ વિચાર તેના મગજમાં ભમતો.

‘ત્રુટી સરખી ઝૂંપડી ને લૂંટી સરખી નાર,

સડ્યાં સરખાં છોકરાં મને મળ્યાં ન બીજી વાર !’

સુદામચરિત સૌભાગ્યદેવીને મોંએ હતું તે એ અને વનલીલા બેસી ગાતાં ત્યારે આ કડી એક દિવસ કાનમાં પડવાથી બુદ્ધિધનના મનમાં કંઇક થઇ આવ્યું - તેનું હૈયું ભરાઇ આવ્યું - આંખમાં આંસુ આવ્યાં. અચિંત્યો ઊઠી મોં ધોઇ લોહી કામે વળગી ગયો. આવા પ્રસંગ હાલમાં ઘણા આવતા.

પોતે કારણ પૂરું જાણતોન હોવા છતાં સૂતો સૂતો નવીનંચદ્ર આ અવસ્થા કદી આઘેથી દેખતો, વિસ્મય પામતો અને દયા આણતો . આ અવસ્થા બુદ્ધિધનને થઇ અઆવતી તે છતાં તેનું ધૈર્યું ગયું નહીં. મનની મોટાઇ

કઠિનતામાં નથી, પણ કોમલ હોવા છતાં સંસારના ઘા સહેવામાં છે. મનની

મોટાઇ કઠિનતામાં નથી, પણ કોમળ હોવા છતાં સંસારના ઘા કહેવામાં છે. મન મોટું તેમ તેની રસજ્ઞતા વધારે હોય છે અને તેના મર્મ કોમળ થાય

છે. જ્ઞાનેન્દ્રિય તીક્ષ્મ અને પટુ થાય છે તેમ તેમ રસેન્દ્રિય પણ તેવી જ થાય છે. મોટાં મન ‘નઘરોળ’ ‘નઠોર’ નથી હોતાં. માત્ર તેની સ્થિતિસ્થાપકતા વધારે હોય છે. તરવારના ગાથી રૂ દબાય છે પણ કપાતું નથી. કદી કપાય

છે તો પાછું એકઠુ થઇ શકે છે. જડ પથ્થર પર પદાર્થ પડતાં એવો ને એવો રહે છે અથવા તો કટકા થઇ જઇ સંધાતો નથી. પણ પાણી પર પદાર્થ પડતાં પાણીનું અંતઃકરણ ચિરાય છે અને પદાર્થને સમાસ આપે છે, પણ આખરે એ જ પાણી પોતાની મેળે એકઠું થઇ જાય છે. દેવતાઓને શસ્ત્ર વાગતાં નથી એમ નથી. પણ તેમના ઘા પોતાની મેળે જ રૂઝે છે.

બુદ્ધિધનનાં મર્મસ્થળ બહેર મારી ન જતાં વધારે વધારે સચેત થયાં હતાં, પરંતુ તેમની સ્થિતિસ્થાપકતા બળવાન હતી.

વજ્રાદપિ કટોરાણિ મૃદૂનિ કુસુમાદપિ

લોકોત્તરાણાં ચેતાંસિ કાડત્ર પારપિતું ક્ષમઃ કુટુંબનો વિચાર કરતાં કુસુમથીયે કોમળ બનતું હ્યદય કર્તવ્ય કામ

વિચારતાં પથ્થર કરતાં કઠોર બનતું, વૈરભાવ વિચારી ફૂંફાડા મારતું, શઠરાય

આદિની દુષ્ટતાં જોઇ કોપાયમાન થતું, ભવિષ્ય વિચારી કેસરિયાં કરવા તત્પર થતું, યુદ્ધપ્રસંગ પાસે જોઇ આતુર થતું, શત્રિની સ્થિતિ જોઇ બે હાથને એકબીજાની બાંયો ચડાવવા ઉશ્કેરતું, પોતાના બળની અજમાયશ કાઢી બળવાન બનતું, પુરાણી ઇચ્છાઓ પૂર્ણ થવાનો અવસર જોઇ ઉત્સાહ પામતું, સમૃદ્ધિ ખોળે બેસવા આવતી જોઇ પ્રફૂલ્લ થતું, અને ઉદયસૂર્યનાં કિરણોને અવકાશ આપવા બુદ્ધિની પાંકડીઓને પહોળી કરતું.

ચૈત્રી પડવો પાસે આવતો ગયો તેમ તેમ મુંબઇનાં વર્તમાનપત્રોમાં સુર્વણપુર વિષે ઉપરાઉપરી લખાણ થવા માંડ્યું. શઠરાયનો કારબાર, તેનું અંધેર અને તમાં સુધારાની જરૂર; પ્રજા ઉપર જુલમ, ભૂપસિંહ ઉપર શઠરાયની ખરાબ અસર અને કલાવતીની વાતઃ ઇત્યાદિ વિષયોની ચર્ચાથી દિવસે દિવસે વર્તમાનપત્રોની કટારો ભરાવા માંડી. અંગ્રેજી પત્રોમાં તાન્ત્રિક લખાણ નહોતું આવતું, પણ લોકનાં ચર્ચાપત્ર આવતાં તે સ્વીકારતાં. શઠરાયના

મંડલમં તે સર્વ વંચાતું અને બુદ્ધિધનનેમાથે એ લખાણની ઉશ્કેરણીનો આરોપ થતો. નરભેરામે કહ્યું : ‘રાણાજીને આ બતાવવું જોઇએ - આ વાત અમાત્યને ન ઘટે.’ શઠરાયે આ મત સ્વીકાર્યો અને દરરોજ નરભેરામ રાણા પાસે આવા પત્ર મૂકવા - વાંચી બતાવવા લાગ્યો. રાણો કોપાયમાન દેખાતો, અને નરભેરામને પણ કેટલીક વાર તે કોપ ખરો લાગતો. કલાવતીની વાત બાબત રાણાને ખોટું લાગ્યું પણ ખરું. બુદ્ધિધને કેટલીક વાત લખાવી હતી, રાણાને તે વિષે ભોમિયો રાખ્યો હતો, અને આટલો બધો બુમાટ ઉઠાડવાની શક્તિ બુદ્ધિધનમાં જોઇ તે વિસ્મય પામ્યો. બુદ્ધિધને કહ્યું કે કલાવતીની વાત મેં ઉઘાડી પાડી નથી, પણ એ શબ્દ પર રાણાને પૂરો વિશ્વાસ ન આવ્યો અને અમાત્ય તે કળી ગયો. ગરાસિયા પર અવિશ્વાસ આણવાનું આ એક કારણ હતું.

પ્રજામાંથી ઘડીક પોકારની અરજો આવતી તે શઠરાયને કહી નરભેરામ

રાણા સુધી જવા ન દેતો અને સંતાડી રાખતો; શઠરાયનો વિશ્વાસ નરભેરામ

પર સંપૂર્ણ થયો.

કરવતરાયે કરેલા જુલમ બાબત એક વાણિયાએ સાહેબ પાસે અરજી

કરી હતી. તે અરજી સરકારમાંથી એજંટ પાસે અને એજંટ પાસેથી દરબારમાં ખુલાસા સારું આવી હતી. દરબારના મંત્રી નરભેરામે તે શઠરાય પર મોકલી.

શઠરાયને નરભેરામે સુઝાડ્યું એટલે વાણિયાને કેદ કરી એની પાસેથી લખાવ્યું કે મને દરબાર તરફથી આખરે ઇન્સાફ મળ્યો છે. આ લખાણ સરકારમાં ગયું અને વણિક કેદમાં જ રહ્યો.

વર્તમાનપત્રોની નકલો અને પ્રજાપોકારની અરજીની નકલો સાહેબ પાસે પણ પરભારી જાય એ બંદોબસ્ત બુદ્ધિધને કર્યો. વાણિયાની સ્ત્રીને

લીલાપુર મોકલી અને અરજી કરાવી. બસ્કિન્‌ સાહેબ બીજાં પ્રાંતમાં હતા તેમની સાથે પત્રવ્યવહાર ચલાવ્યો અને પોતાની સ્થિતિ કંઇક અંશે જણાવી.

બસ્કિન્‌ સાહેબે ઉત્તરમાં એક આશ્વાસનપત્ર મોકલ્યું અને જણાવ્યું કે હું રસલ સાહેબને તારે વાસ્તે લખીશ. બસ્કિન્‌ સાહેબનાં મડમ વિલાયતથી આવવાનાં હતાં; તેમનો રસ્તો લીલાપુર થઇને હતો. બુદ્ધિધન પ્રમાદધનને સાથે સાથે લઇ તેમને મળી આવ્યો, મેડમ સાહેબ મારફત સાહેબને મળ્યો, સંસ્થાની વાતો કરી, અને સાહેબને ખુલાસો મળતાં બોલ્યા કે, ‘સમય

પડ્યે માગજો. હું સારી રીતે આશ્રય આપીશ.’ રસલ સાહેબનાં મડમ પણ

મળ્યાં અને મેવામીઠાઇનો ઉપયોગી વિવેક થયો. સાહેબ પાસે ભૂપસિંહને જવાનો વિચાર કલાવતી આવ્યા પછી ફર્યો હતો, અને ઉત્તરમાં સાહેબે કાગળ લખ્યો તેમાં બુદ્ધિધનના વખાણ કર્યાં. લીલાપુર ખાતે સુવર્ણપુરનો એક વકીલ રાખવામાં આવ્યો હતો તે રોજ દરબારમાં ખોટા ખોટા અને અતિશયોક્તિ ભરેલા રિપોર્ટ કરતો ને વર્ણનની છટામાં લખતો કે આજ તો સાહેબ સાથે બે કલાક વાત કરી, આજ તો કારભારીનાં બહુ વખાણ કર્યા, આજ તો કારભાર વખાણ્યો, ઇત્યાદિ ઇત્યાદિ. બુદ્ધિધન સાહેબને મળી આવ્યો તે બાબતે તેણે શઠરાયને એકબે લીટીઓ લખી અને જણાવ્યું કે બુદ્ધિધનને અત્રે કાંઇ માન મળ્યું નથી. શઠરાય ખુશ થયો. એ ખુશી ખોટી પાડવી એમાં બુદ્ધિધનને સ્વાર્થ ન હતો. બે મડમ સાહેબોએ પોતાની છબીઓ અમાત્યને આપી હતી અને ઉપર સ્વહસ્તે સહીઓ કરી હતી તે તથા સાહેબનો કાગળ બુદ્ધિધને રાણાને બતાવ્યો અને એ સર્વ મંડળ તરફથી

મળેલા માન બાબત સંતોષ જણાવ્યો. રાણાને ખાતરી થઇ કે એજંસીમાં બુદ્ધિધનની પ્રતિષ્ઠા બળવાન છે અને તે ધાર્યું કરે એમ છે. વર્તમાનપત્રો તથા સાહેબ બે ઠેકાણે પોતાનું બળ છે એ જણાવ્યાથી ભૂપસિંહ હાથમાં રહેશે એમ અમાત્યના મનમાં હતું. એ જણાવવાનો મનોરથ સિદ્ધ થયો.

બરોબર ચૈત્રી પડવાથી એક દિવસ પહેલાં અંગ્રેજી પત્રમાં બુદ્ધિધનની બાબત

લખાણ આવે એ બંદોબસ્ત કરવાું નવીનચંદ્રને માથે પડ્યું. તેનામાં બેસવાની શક્તિઆવી હતી અને તે કામ તેણે ઉત્સાહથી સ્વીકાર્યું. પ્રકૃતિ સારી થાય

તો પડવાના દરબારમાં જવા તેને અભિલાષ હતો અને તે અભિલાષ પાર પાડવા અમાત્યે કહ્યું હતું.

અમાત્યની નીતિ કારભારી પર ઘા કરવાની ન હતી પરંતુ તેને તેના પોતાના જ ખોદેલા ખાડામાં પાડવાની હતી અને તેમ કવા સારુ યોગ્ય

ઉપાય લેવા તે તત્પર હતો. દરબારને દિવસે કારભારીએ ધારેલા પ્રાપંચ

સામી ઢાલ રાખવાની પણ જરૂર હતી. ખટપટાસ્ત્ર સામું ખટપટાસ્ત્ર મૂકવાની તો યોજના હતી જ; પણ વખત છે, ધારેલી સિદ્ધિ ન થઇ અને કાંઇક હરકત પડી તો દુષ્ટરાયની પોલીસના હાથમાં ન પડવા સારુ યોગ્ય ઉફાય

તેણે શોધ્યો.

અણીને સમયે દુષ્ટરાયને દરબારમાંથી ઘેર જવું પડે એવી યુક્તિનો અમલ નરભેરામને સોંપ્યો, તે એવા વિચારથી કે ફોજદારની આંખની શરમ

દૂર થતાં એના સિપાઇઓમાં કેટલાકને બુદ્ધિધનની શરમ પડવાની અવસર

મળે. એમ પણ ન થાય તો પોલીસને વશ કરવા રસાલાનાં માણસોને તત્પર રાખ્યાં. સમરસેનનો મોટો ભાઇ વિજયસેન રસાલામાં એક ટુકડીનો ઉપરી હતો. આ શાંતિના અને અંગ્રેજ સરકારની સત્તાના દિવસોમાં રસાલો કટાતો હતો ને માત્ર શોભાકાર્ય સ્મરણમાં આવતો. દરબાર પ્રસંગે તોપો ફૂટે અને આનંદોત્સવ થાય ત્યારે તે ઉત્સવની પૂર્તિ સારુ રસાલાની એક ટુકડી ઉઘાડી તરવારે રાજમહેલમાં હાજર રહેતી. આ વખતે વિજયસેન અને તેની ટુકડી હાજર રહે એવો હુકમ થયો. વિજયસેન થનાર ઊથલપાથલની વાત જાણતો ન હતો. પણ બુદ્ધિધને સમરસેનને હુકમ આપ્યો હતો કે દરબાર સમયે મારા શરીર પાસે રહેવું, અને પ્રસંગ પડ્યે વિજયસેનને કેવી સૂચના આપવી તે શીખવી મૂક્યું. પોતે દરબારમાં જાય તે સમયે ઘરનો બંદોબસ્ત રાખવા બેત્રણ વિશ્વાસુ રજપૂત સિપાઇઓ અને આરબોને વરદી આપી અને ખાનગી કહી મૂક્યું કે હું આવું ત્યાં સુધી કોઇ પરભાર્યા માણસને ઘરમાં ન જવા દેવો અને ફોજદાર અને તેનાં માણસોની સાવધ રહેવું.

સ્ત્રીવર્ગને સખત હુકમ થયો કે તે સમયે ઘરમાંથી બહાર ન નીકળવું. આ સર્વ સૂચનાઓ સિવાયનો સર્વ બંદોબસ્ત સાધારણ હતો, પણ સૂચનાઓ સૌને અસાધારણ લાગી. સૂચના ઉપરાંત કાંઇ વાત કોઇને ખબર ન હતી.

અને તર્કવિતર્ક કરતાં સૌ માણસો સૂચનાઓનો અમલ કરવા તૈયાર બન્યાં અને એ વિચિત્ર દિવસમાં શું બનવાનું છે તે જોવાં તળેઉપર થઇ રહ્યાં.

ફાગણ વદ અમાસની રાત્રે અમાત્યના ઘરમાં આ સ્થિતિ હતી.

કાલ કેવી પડે છે ને કાલની રાત કેવી જશે તે જોવા સૌ આતુર થઇ રહ્યાં.

ઉનાળામાં વગર પવનની રાત્રે ઊકળતી પથારીમાં સૂત હોય તેમ બુદ્ધિધને આખી રાત પથારીમાં તરફડિયાં માર્યાં અને ત્યાં સુધી મેડીની છત સામી ઉઘાડી આંખો જોઇ રહી. તેને મીંચાવવા સૌભાગ્યદેવીની શય્યા અશક્ય

નીવડી. આખરે છેક બે વાગતે થાકીને નિદ્રા જ આવી અને ચતા સૂતેલાને કલાંઠી બદલવા ન દીધી. રાજ્યચિંતાએ ગ્રહેલા હ્ય્દયમાં મારે સારું કંઇ

અવકાશ ખાલી છે કે નહીીં તે જાણવા સારુ અથવા તો એ હ્ય્દયને પકડી પોતાને સ્વાધીન રાખવા સારુ ઊંઘતી અબળાને જાગતો હાથ જૂના મિત્રની છાતી પર પડાવ નાંખી રહ્યો હતો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED