Bhagirath na varas books and stories free download online pdf in Gujarati

ભગીરથના વારસ - પ્રકરણ - 2

ભગીરથના વારસ

૨. ‘૧૯૭૨’

વીણા ગવાણકર


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૨. ‘૧૯૭૨’

લગલગાટ બે વર્ષ વરસાદ પડ્યો નહિ. ત્રીજા વર્ષે ૧૯૭૨માંય વરસાદ નહિ થવાથી મહારાષ્ટ્રમાં ભીષણ દુકાળ પડ્યો. પુરંદર તાલુકાના પૂર્વ ભાગમાં કલ્પનાબહેનના પિતાનું મોસાળ. ભાઉસાહેબ જગતાપનું ખાનદાન પણ ત્યાંનું જ. આમ આ પ્રદેશ ઓછા વરસાદનો જ. વરસાદી વાદળ વરસ્યા વગર જ અહીંથી ઉપરથી પસાર થઈ જતા. વરસાદ આવે તો આવે નહિ તો નહિ. સરેરાશ વરસાદ તદ્દન ઓછો ૩૦૦થી ૪૦૦ મિ.મી. તેને કારણે ત્યાં દુકાળ પડવો આમ નવું ન હતું, પણ આ વખતના દુકાળની વાતો જગતાપ બહેનોના કાને આવી જ હતી. તેમણે એકમતે ઠરાવ્યું. આ વર્ષે આપણે દિવાળી ઊજવીશું નહિ. આપણા દુષ્કાળગ્રસ્ત ગામે જઈશું. ત્યાં લાડુ અને ચેવડો વહેંચીશું. નાસ્તો તૈયાર કરીને જગતાપ બહેનો નીકળી. કલ્પનાબહેને વિલાસરાવનેય સાથે આવવાનો આગ્રહ કર્યો. એય નીકળ્યા. પુણે પાસેના દુષ્કાળગ્રસ્ત પુરંદર તાલુકામાં આપણે એકાદ ઉદ્યોગ શરૂ કરવો જોઈએ, એમ તેમને થતું હતું. એ દૃષ્ટિએ તેમને તે વિસ્તારમાં જગા પણ શોધવાની હતી જ.

દુષ્કાળના હૃદયવિદારક દર્શન

સતત બે વર્ષ વરસાદ ન પડવાને કારણે ચોતરફ નજરે પડતાં હતાં એ દુષ્કાળના વિદારક દર્શન. તડ પડેલી ધૂંધવાતી જમીનો, ક્યાંય ઘાસનું લીલું પાંદડુંય નહિ. પાણીની પારાવાર તાણ. કેટલાક ઠેકાણે લોકોને માંડમાંડ પીવા પૂરતું પાણી ટેન્કર દ્વારા પૂરું પાડવામાં આવતું હતું. ખેતીને ક્યાંથી પાણી મળે. ચારાને અભાવે જનાવરોની સંખ્યા ઘટી હતી. ભૂલથીય ક્યાંક એકાદું જાનવર નજરે પડે તો તેની એક એક પાંસળી ગણી શકાય. હવામાં અસાધારણ ગરમી હતી. ઉપરથી આગ ઓકનારો સૂરજ. હથેળી જેટલા છાંયાનો સુદ્ધાં આધાર નહિ. આવા ઉજ્જડ ઉગ્ર વાતાવરણમાં હજારોની સંખ્યામાં પથ્થરો ફોડનારા માણસો... ભયંકર દુષ્કાળ.

દુષ્કાળનો સામનો કરવા મહારાષ્ટ્ર સરકારે મે ૧૯૭૨માં દુષ્કાળ નિવારણનાં કામો હાથ ધર્યા. સામાજિક અને રાજકીય વિચારક શ્રી વિ. સ. પાગેના પ્રયત્નોને કારણે એક ખાસ કાર્યક્રમ તરીકે રાજ્ય સ્તરે ‘સંકલિત ક્ષેત્ર વિકાસ યોજના’ની એપ્રિલ ૧૯૭૧માં જાહેરાત કરવામાં આવી હતી. (આને ‘પાગે યોજના’ પણ કહે છે.) ગ્રામ્ય વિસ્તારોની બેરોજગારી અને દારિદ્રય નિર્મૂલન માટે સરકારે તૈયાર કરેલા ૧૫ મુદ્દાના કાર્યક્રમમાં તેનો સમાવેશ થતો હતો. મે ૧૯૭૨માં આ યોજનાનો પ્રારંભ થતા પહેલા અભૂતપૂર્વ એવો દુકાળ પડ્યો. તેને કારણે સૂચિત સંકલિત ક્ષેત્ર વિકાસ યોજના બાજુએ મૂકીને રસ્તા માટે પથ્થરો તોડવાની યોજના શરૂ કરવી પડી. સરકાર પાસે અનાજનો પર્યાપ્ત સંગ્રહ હતો. દુષ્કાળનાં કામો પર મજૂરી સાથે અન્નધાન્યની વહેંચણી શરૂ કરી હતી.

આ પથ્થર ફોડવાના કામ પર કોણ ન હતું ! સ્ત્રી-પુરુષ-નાનાં બાળકો-વૃદ્ધો-સગર્ભા-વસ્તારી. સગર્ભા સ્ત્રીઓ પ્રસૂતિ થતા સુધી પથ્થર ફોડતી. પ્રસૂતી પછી બીજા જ દિવસે કામ ઉપર આવતી. કામ વગરનો દિવસ એટલે રોજગારી અને અનાજ વગરનો દિવસ. એ અનાજ પર્યાપ્ત ન હતું. હલકી જાતનુંય હતું. વેતન પણ કેટલું ? દિવસના ત્રણ રૂપિયા. ‘આવા પીડાદાયક જીવન કરતાં નાની મોટી ચોરી કરીને જેલમાં ગયા હોય તો સારું.’ એવી લાગણી પથ્થર ફોડનારાઓમાં હતી. કારણ જેલમાં કાંઈ નહિ તો બે વખતના અનાજની નિશ્ચિંતતા તો હતી અને કામો પણ તડકામાં પથ્થર ફોડવા કરતાં ઓછી હેરાનગતીવાળાં.

આવા દુકાળ પર વિજય મેળવી શકાય ?

ઠેરઠેર આવા પથ્થર ફોડવાના દુકાળના કામો ચાલેલાં. જ્યાં ત્યાં ફોડેલા પથ્થરના ડુંગરના ડુંગર. છેક પહેલાના દુકાળમાં ફોડેલા પથરાનાય. ચિકણે વસતિ પાસે આવા જ પથ્થરના ડુંગરા. ત્યાં એક દુઃખદ ઘટના થઈ હતી. હવામાંની ઉષ્ણતા અને તીવ્ર તડકો સહન ન થતાં અઢી વર્ષનું બાળક મરણ પામ્યું. એ બાળકનાં મા-બાપ બંનેય પથ્થર ફોડવાના કામ પર મજૂરીએ, એ બાળક પહેલાથી જ માંદું. તેમાં ગરમીનો તાપ. પેલું બાળક એ સહન કરી શક્યું નહિ. ગયું બિચારું. લોકોએ પથરા ફોડવાના સ્થળેથી થોડે દૂર જઈને એક ખાડો ખોદીને એ બાળક દાટ્યું. બધા ફરીથી કામે લાગ્યા. બાળકને દફનાવીને મન પર મણનો પથ્થર મૂકીને એ મા-બાપ પણ કામ પર પાછાં ફર્યાં. પેટનો દીકરો મર્યાનું દુઃખ વાગોળતા બેસવુંય પાલવે નહિ એવી આ પરિસ્થિતિ.

દુષ્કાળની ભીષણતા જોઈને વિલાસરાવ અત્યંત અસ્વસ્થ, બેચેન થયા. આ બધું અટલ છે કે ? આ ચિત્ર બદલી શકાય કે નહિ ? માત્ર પથ્થર ફોડવા આપીને દુષ્કાળ પર વિજય મેળવી શકાશે ? અહીં દુકાળ કાંઈ અજાણ્યો ન હતો. અચાનક આવ્યો ન હતો. દર ત્રણચાર વર્ષે તેની હાજરી હોય જ. પછી તેનો વ્યવસ્થિત રીતે સામનો કરવાની પૂર્વતૈયારી કરી શકાય કે નહિ ? પથ્થર ફોડવા જેવા બિનઉત્પાદક કામો કરતાં અન્ય કાંઈક વિચારીને વિકલ્પ આપવો જોઈએ જ. આ ગામોનું અર્થશાસ્ત્ર સુધારવા માટે દુષ્કાળ અથવા તેના જેવા સંકટોનો વધુ સારી રીતે સામનો કરવાની ક્ષમતા નિર્માણ ન કરી શકાય કે ?

શ્રી ભાઉસાહેબ નેવાલકર, ડૉ. મધુસૂદન સાઠે, વિલાસરાવે વિચારવિનિમય કર્યો. એફઆઇટી મારફત ગ્રામ્ય વિસ્તાર માટે શું કરી શકાય એની આંકણી કરવા માટે તેમણે આ વિસ્તારોમાં પ્રવાસ શરૂ કર્યા. આ ત્રણેનો પુરંદર તાલુકાના અંદરના ભાગમાં પ્રવાસ શરૂ થયો. નિરીક્ષણ થવા લાગ્યા. તેમનું આ કામ સરળ બને એટલે વિલાસરાવના નાનપણના મિત્ર શ્રી યશવંતરાવ ચિગરેટીએ તેઓ કામ કરતા હતાં એ ‘સૅન્ડવિક’ કંપની તરફથી એક જીપ ભેટ મેળવી આપી. શરૂઆતમાં આ જીપને કારણે મજાના પ્રસંગો બનતાં. ગામડામાં આ જીપ દૂરથી આવતાં દેખાય કે ગામલોકોની નાસાનાસ શરૂ થતી. તેમને થતું કે આ જીપ સરકારી લોકોની છે. આ કુટુંબ નિયોજનના કાર્યક્રમવાળા લોકો છે. તેમને સમજાવતાં સમજાવતાં વિલાસરાવ અને તેમના સાથીઓ થાકી જતા. લોકોને ધીમેધીમે આ જીપનો અને તેમાંના કાર્યકરોનો વિશ્વાસ બેસવા લાગ્યો.

પોતાના સહકાર્યકરો પર, વ્યવસ્થાપકો પર ‘ઍક્યુરેટ’ની જવાબદારી સોંપીને વિલાસરાવ પુરંદર તાલુકાના દુષ્કાળનાં કામોનું નિરીક્ષણ કરતા ફરવા લાગ્યા. આમ ફરી રહ્યા હતા ત્યારે ઝેંડેવાડીમાં એક અનોખું દૃશ્ય જોવા મળ્યું. અહીંના રહેવાસીઓ દુષ્કાળનાં કામો પર પથ્થર ફોડવા ન જતાં પોતાના જ ખેતરમાં મહેનત કરતા દેખાયાં. ત્યાં પૂર્વેનાં વર્ષોમાં અનેક સ્થળે તેમણે આડબંધનું કામ કર્યું હતું. જે કાંઈ થોડો વરસાદ પડ્યો, તેનું પાણી અટકાવ્યું હતું. તેની પર તેમનું પૂરું પડતું હતું. અત્યારેય તે ખેડૂત રોજગાર બાહેંધરી યોજનાના કામો પર મજૂરી ન કરતાં નાળાઓની દુરસ્તી, ખેતરોમાં ચર ખોદવા જેવા કામોમાં વ્યસ્ત હતા. પોતે આ કામો પર ખુશ હોવાનું પેલા ખેડૂતોએ વિલાસરાવને કહ્યું. આ આડબંધને કારણે વરસાદનું પાણી વહી જતું નથી. જમીનનું ધોવાણ થતું નથી. પાણી રોકવાથી એ જમીનમાં શોષાય છે. ઊતરી જાય છે. તેને કારણે ત્યાંના કૂવાઓના પાણીનું સ્તર વધે છે. જમીનનો ભેજ પકડી રાખવાની ક્ષમતા વધે છે. આ બધું પેલા ખેડૂતદાદાએ વિલાસરાવને સમજાવ્યું. એ ખેડૂતોના પ્રયત્નોને કારણે તેમની જમીનની ઉત્પાકતા તો વધી જ હતી, પણ હવે બીજીવાર પાક પણ લઈ શકાતા હતા.

ઉત્પાદકતાવૃદ્ધિ સાથે જ રોજગાર નિર્માણ પણ !

આ બધું સાંભળીને, સમજી લીધા પછી આવાં કામોને પ્રાધાન્ય મળે તો દુષ્કાળ જેવા સંકટનો પ્રતિકાર કરવો શક્ય છે. ઝેંડેવાડી જેવી યોજનાઓ અમલમાં મૂકીને ખેતીની ઉત્પાદનક્ષમતા વધારી શકાય એ વિલાસરાવે ધ્યાને લીધું. કેવળ જમીનોની જ ઉત્પાદકતા વધશે એવું નથી, પણ તેમાંથી મોટા પ્રમાણમાં આખુંય વર્ષ રોજગાર નિર્માણ થાય એ પણ મહત્ત્વનું હતું.

દુષ્કાળગ્રસ્ત ગામોના ખેડૂતોને, સિમાંત ખેડૂતોને તાકીદની મદદ તરીકે સરકારે પથ્થર ફોડવા પર તત્પૂરતો રોજગાર ઉપલબ્ધ કરાવી આપ્યો એ ઠીક છે, પણ આ કામ દુષ્કાળનો કાયમી ઉકેલ નથી જ. ખેતર ખેડવાં, ખેત ઉત્પાદન માટે પ્રયત્નશીલ રહેવું એ ખેડૂતોનો પૂર્ણ સમયનો ઉદ્યોગ-રોજગાર. તે માટે જોઈએ પાણીની ખાતરી. સિંચાઈ માટે પાણી. અહીંના ખેડૂતોને પાણી ઉપલબ્ધ થાય તો તેમને રોજગાર આપોઆપ ઉપલબ્ધ થાય છે. અનાજની ખાતરી મળે છે... આ પાણી મળી રહે એ માટે શું કરી શકાય ???

‘જમીનની ઉત્પાદકતા વધારી શકાય તો અનેક સમસ્યા ઉકેલી શકાય, પણ એ ઉત્પાદકતા વધારી શકાશે ? રસ્તા બાંધવા માટે પથ્થર જોઈએ. પણ ખેડૂતોને તેમાંથી તત્કાળ શો લાભ ? રસ્તા બાંધવા માટે વિશાલ માત્રામાં પથ્થર જોઈએ. તે કરતાંય કેટલાય ગણી અન્ય બાબતો આવશ્યક હોય છે...’ વિલાસરાવનું ઇજનેરી મગજ ગણિત માંડવા લાગ્યું. તેમના અડસટ્ટા અંદાજ અનુસાર રસ્તા બાંધકામના એકંદર ખર્ચમાં પથ્થરનો ભાગ ૫% જેટલો જ. બાકીના ૯૫%ની પૂર્તાત થયા પછી આ રસ્તા થશે. ગામડાંઓની આર્થિક સ્થિતિ સુધરશે ત્યારે જ આ રસ્તા બાંધકામનું કામ સાર્થક નીવડશે. એટલે પહેલા ગામડાંઓની ઉત્પાદનક્ષમતા વધવી જોઈએ. એ વધારવાની દૃષ્ટિએ યોજના જોઈએ. એ યોજના વ્યવસ્થિત અમલમાં મૂકવા માટે કામોની આંકણી, આયોજન જોઈએ.

આ બધું કરવા માટે ઠેર ઠેર ઝરણ તળાવ, નાળા, બંધ, કન્ટૂર બંધ બાંધવા, ચેક ડેમ્સ તૈયાર કરવાની પૂર્વતૈયારી થવી જોઈએ. ડૉ. દાદા ગુજર (સાને ગુરુજી વિદ્યાલય, મહારાષ્ટ્ર આરોગ્ય મંડળ) એ એક સેવાભાવી સમાજવાદી કાર્યકર, ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે તે હંમેશા કાર્યશીલ. વિલાસરાવના તે સન્મિત્ર. તે બંનેની હંમેશા મુલાકાત થતી. ઉંડ્રી-પિસોળી ગામે ડૉ. ગુજરના કન્ટૂર બંધ બાંધવાની યોજના ચાલુ હતી. એ જોઈને વિલાસરાવને પોતે શું કરી શકે એમ છે એનો અંદાજ આવ્યો.

તત્કાલીન પુણેના જિલ્લાધિકારી શ્રી જમશેદ કાંગાની વિલાસરાવે મુલાકાત લીધી. તેમણે વિલાસરાવને સ્પષ્ટપણે જણાવ્યું, પથ્થર ફોડવા અને દુષ્કાળનિવારણનો કાંઈ સંબંધ નથી. પરંતુ મોટા પ્રમાણમાં લોકોને ઝડપથી કાંઈક કામ આપવાના માર્ગ તરીકે સગવડનો આ કાર્યક્રમ છે. કાંગાના આ પ્રત્યુત્તરથી વિલાસરાવ અધિક જ અસ્વસ્થ થયા. તે કાંગાને ફરીથી એક વખત મળ્યા. પોતાના વિચાર તેમની સમક્ષ રજૂ કર્યા. તેમના વિચારો, સૂચવેલી યોજનાઓનું એ અધિકારીને કૂતુહલ જાગ્યું. વિલાસરાવ કહે છે એ સાચું જ. દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ઠેરઠેર વરસાદી પાણી અટકાવવું, જમીનમાં ઉતારવું જોઈએ એ અંગે વિવાદ જ નથી. પણ સરકાર પાસે આવા કામ માટે સર્વેક્ષણ કરીને પદ્ધતિસર યોજના તૈયાર કરવા માટે પ્રશિક્ષિત નિષ્ણા નથી. આ મુશ્કેલી તે અધિકારીએ જણાવ્યા પછી વિલાસરાવ પુણે એન્જિનિયરિંગ કૉલેજના પ્રિન્સિપાલ શ્રી નગરકરને મળ્યા. તેમની સાથે ચર્ચા કરી. છેલ્લા વર્ષના પચાસ વિદ્યાર્થીઓ પસંદ કર્યા. સિવિલ એન્જિનિયરિંગના બે પ્રાધ્યાપકો પણ લીધા. જિલ્લાધિકારીને બધી રીતે મદદ પૂરી પાડી. એક ટ્રક પણ મદદમાં આપી. પાંચ-પાંચ વિદ્યાર્થીઓને એક-એક ગામ વહેંચી આપ્યા.

જિલ્લાધિકારીનો સહકાર

સવારે જ આ ટ્રક સર્વેયર ટુકડીને લઈને પુણેથી નીકળતી. સવારના નાસ્તાની વ્યવસ્થા દેવકર બેકરીવાળા પાંઉ આપીને કરતા. કલ્પનાબહેન યુવાનો માટે શાક બનાવી આપતાં. પુરંદર તાલુકાના જે ગામોમાં સર્વેક્ષણનું કામ ચાલુ હતું, ત્યાંના ગ્રામ્યજનો આ વિદ્યાર્થીઓના જમવાની વ્યવસ્થા કરતા. આવવા-જવાનો સમય, શક્તિ વેડફાય નહિ એટલે વિલાસરાવે સાસવડમાં બે રૂમ ભાડેથી લીધા. ત્યાં કાર્યાલય શરૂ કર્યું. ત્યાર પછીના પંદર દિવસમાં આ સર્વેક્ષણ દ્વારા દસ ગામોના મળીને જળસંચય માટે પચાસ સ્થળો નક્કી કરી શકાયા. આ બધાં કામોમાં એફઆઇટીએ ખૂબ સહકાર આપ્યો. પુણેના ઉદ્યોગપતિઓ, વ્યાવસાયિકોએ પણ મદદનો હાથ આપ્યો.

હવે આગળનો તબક્કો એટલે સ્ત્રાવ તળાવની દૃષ્ટિએ જગા નક્કી કરવી. આ દૃષ્ટિએ વિચાર ચાલુ હતો ત્યારે જ વિલાસરાવના ‘ઍક્યુરેટ’માં ત્રણ મહિના કાર્યાનુભવ મેળવવા પૉલિટેકનિક કૉલેજના શિક્ષક શ્રી મનોહર એન. ખડસે, શ્રી રાજગુરુ પુણે આવ્યા. હડપસરમાં વિલાસરાવ ન હતા. એટલે તેમને મળવા તે જેજુરી આવ્યા. વિલાસરાવ સાથે એ વિસ્તારમાં ફર્યા. આમ ફરતી વખતે સર્વત્ર સ્ત્રાવ તળાવની માંગણી વિલાસરાવ સમક્ષ મૂકવામાં આવતી હતી. આવા તળાવ ક્યાં બાંધી શકાય. એનો અંદાજ આવ્યા પછી તે જમીન સંરક્ષણ વિભાગના અધિકારીને મળ્યા. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું : ‘આવાં કામો ચાલુ કરવા પૈસા નથી. તેને કારણે યોજના પણ નથી.’ પછી તે લઘુ સિંચાઈ વિભાગના અધિકારીને મળ્યા. તેમણે કહ્યું, ‘અમારી પાસે યોજના છે, પણ નિષ્ણાત નથી.’ આ બધું આવું !

અલ્પશિક્ષિત યુવાનોને તાલીમ

વિલાસરાવે પછી શ્રી ખડસેને જ પૂછ્યું. આપણે હવે શું કરી શકીએ ? ખડસેએ જવાબ આપ્યો, આપણે અલ્પશિક્ષિત યુવાનોને આ કામ માટે પ્રશિક્ષિત કરી શકીએ. વિલાસરાવે તુર્ત જ દુષ્કાળના કામ પથ્થર ફોડનાર દસ અલ્પશિક્ષિત યુવાનો પસંદ કર્યા. તેમને હડપસર લાવવા-મૂકવાની વ્યવસ્થા કરી. હડપસરના ‘ઍક્યુરેટ’ કારખાનાના મેદાન પર આ યુવાનોને નિદર્શન સાથે તાલીમ મળી. થિયરીના પાઠ પણ મળ્યા. ખડસેએ એ જવાબદારી અત્યંત ઉત્સાહપૂર્વક પાર પાડી. વિલાસરાવ પોતેય કેટલાક વિષય શીખવતા.

બે અઠવાડિયાના પ્રશિક્ષણ પછી આઠ દિવસમાં જ આ ટુકડીએ પંદર ગામોમાંથી સ્ત્રાવ તળાવ માટે વીસ જગા નક્કી કરી. આ કામની યોજના ખર્ચના અંદાજ સાથે જિલ્લાધિકારી સમક્ષ રજૂ કરી. તેમણે તે વિશે ઝડપી કાર્યવાહી માટે ત્રીસ લાખ રૂપિયા ભંડોળ તાત્કાલિક મંજૂર કર્યું.

વિલાસરાવ જે કામ કરવા ઇચ્છતા હતા, તેમાં કાંઈ નવું ન હતું. સરકારી સમિતિએ તે પહેલાં જ જણાવ્યું હતું, પણ એ વિચાર પ્રત્યક્ષ સાકાર કરવા માટે કોઈ ઉત્સુક ન હતું. સરકારી અધિકારીઓમાં એ આસ્થા ન હતી. કલ્પનાશક્તિનો તો અભાવ હતો જ. ઉપરાંત સરકારી નિયમોના અવરોધોમાંતી, જંજાળમાંથી બહાર આવીને આવાં કામો પાર પાડવાનું તેમને ફાવતુંય ન હતું. કારણ ગમે તે હો, એ કામો વિલાસરાવે હાથમાં લીધા એ સાચું.

ઈ.સ. ૧૯૭૩માં સારો વરસાદ પડ્યો, પરંતુ દુષ્કાળની ભીષણ તીવ્રતા નિહાળનાર વિલાસરાવનું વિચારચક્ર હવે રોકાવા તૈયાર ન હતું. કેવળ વરસાદના અભાવે જ દુષ્કાળ પડે છે એવું નથી. વરસાદ જોઈએ એવો, જોઈએ એટલો, જોઈએ તે વખતે પડે નહિ તોય ખેતીમાં સમસ્યાઓ ઉદ્‌ભવે છે. અનિયમિત વરસાદ પણ ખેતીને મુશ્કેલીઓ સર્જે છે. આની પર કાંઈક ઉપાય યોજના જોઈએ જ. ત્યારે વરસાદ સારો પડ્યો એટલે હાથ ધરેલ યોજના અધૂરી પડતી મૂકવી નહિ, એમ વિલાસરાવે મનોમન નક્કી કર્યું.

આ ગાળામાં પુરંદર તાલુકામાં ‘કાસા’ યોજના હેઠળ બનાવવામાં આવનાર સ્રાવ તળાવોનાં કામો અપૂર્ણ સ્થિતિમાં રહ્યા ંહતાં. .ડૉ. રજનીકાન્ત કોલ્હટકર ‘કાસા’નાં કામો સાથે સંકળાયેલા હતા. પુરંદર તાલુકામાં વિલાસરાવ જે કામો કરી રહ્યા હતા, તેની તેમને જાણ હતી. તેમણે વિલાસરાવને એ અધૂરાં રહેલાં કામો ‘કાસા’ની મદદથી પૂરા કરવા સૂચવ્યું. ખડસેને લઈને વિલાસરાવ બારામતીમાં ‘કાસા’ના કાર્યાલયમાં ગયા. બારામતીમાં તરુણ શ્રી શરદ પવાર પણ તે વખતે ‘કાસા’ની યોજના દ્વારા સ્રાવ તળાવોનાં કામો પૂર્ણ કરાવી રહ્યા હતા.

પુરંદર તાલુકામાં અધૂરા બાંધકામવાળા પહેલાના આઠ સ્રાવ તળાવ અગ્રક્રમે પૂરા કરવા માટે ‘કાસા’એ વિલાસરાવને મદદ આપવાની તૈયારી દર્શાવી. યોજના પર કામ કરનારા મજૂરોને મજૂરીના બદલામાં તેલ અને ઘઉં મળનાર હતા.

ભૂખ્યા રહીને સામાજિક કાર્ય

આ વખતે વિલાસરાવને એક અમૂલ્ય સાથ પ્રાપ્ત થયો. એ હતો શ્રી જયવંતરાવ ઉર્ફે અણ્ણાસાહેબ કડ જેવા સિત્તેર વર્ષના એક યુવાનનો. તે નિવૃત્ત કાર્યપાલક ઇજનેર હતા. (નાયગાવનું પહેલું સ્રાવ તળાવ તેમણે ઈ.સ. ૧૯૬૪-૬૫માં બાંધ્યું હતું.) અપૂર્ણ રહેલાં સ્રાવ તળાવ તંત્રશુદ્ધ પદ્ધતિથી પૂર્ણ કરવા માટે તે ઉત્સાહભેર આગળ આવ્યા. વિલાસરાવને સંપૂર્ણ સહકાર આપવા લાગ્યા. વિલાસરાવના કામનું મહત્ત્વ પારખીને ઝેંડેવાડીના ગામલોકોએ કાર્યાલય માટે જગા આપી.

આ કામો ચાલુ હતાં ત્યારે વિલાસરાવ ખડસે સાથે પ્રત્યેક કામ પર જાતે જતા હતા. કામનું નિરીક્ષણ તો ખરું જ. પણ તેલ, ઘઉંની વહેંચણી યોગ્ય પદ્ધતિએ કરવામાં આવે છે કે નહિ એનુંય ધ્યાન રાખતાં. તે વિસ્તારમાં એ વખતે અનાજની એટલી અછત હતી કે ખિસ્સામાં પૈસા હોવા છતાંય ખાવા માટે કાંઈ વેચાતું મળતું ન હતું. વિલાસરાવને સાથે બાંધીને લઈ ગયેલ ચટની-ભાખરી પૂરી થાય કે બંનેને કેવળ શિંગદાણા નહિ તો દાળિયા પર દિવસ પસાર કરવો પડતો. કેટલીક વખત તે ભૂખ્યા જ રહેતા.

ખડસેએ પ્રશિક્ષિત કરેલ યુવાનો બધાં કામો પર હાજર રહેતાં. માર્ચમાં શરૂ થયેલાં કામો ચોમાસું શરૂ થતાં પહેલા પૂરાં થયાં. સદ્‌ભાગ્યે ઈ.સ. ૧૯૭૩માં સારો વરસાદ પડ્યો. પૂર્ણ થયેલા સ્રાવ તળાવોમાં ભરપૂર પાણી એકઠું થયું.

ત્રણ મહિના કામનો અનુભવ લેવા માટે આવેલા શ્રી મનોહર ખડસે ત્યાર પછી વધુ પાંચ મહિના વિલાસરાવ સાથે રહ્યા. ગામમાંના પાણીના મૂળ સ્રોતનો અભ્યાસ કેવી રીતે કરવો, ઉટ્ઠીંિ મ્ટ્ઠઙ્મટ્ઠહષ્ઠી કેવી રીતે કાઢવું, ખેતીને એક પાણી મળે તો શું, બે પાણી મળે તો શું, ખેડૂતોના ખેતમજૂરોનું સ્થળાંતર કઈ રીતે અટકાવી શકાય એ અંગે એ બંને સતત ચર્ચા કરતાં. ‘પાણી’ વિષય પર લોકોને કેવી રીતે સંગઠિત કરી શકાય એનીય ચર્ચા થતી.

વિલાસરાવના સહવાસમાં ખડસે સંપૂર્ણ ખાદીધારી તો થયા જ, પણ તેમના વિચારોનેય નવી દિશા મળી. ‘આપણે ગામડામાંથી, ગરીબ સમાજમાંથી આવ્યા છીએ. તેમના માટે આપમે કાંઈ કરવું જોઈએ, એ વિલાસરાવને કારણે જ મને સમજાયું.’ ખડસે આ ઋણ સ્વીકાર કરતા કહે છે. (નોકરી પર પછા ગયા પછી પણ ત્યાર બાદ કેટલાંક વર્ષ સુધી ખડસે ઉનાળુ રજાઓમાં બે મહિના સહકુટુંબ સાસવડ આવીને રહેતાં, વિલાસરાવના કાર્યમાં મદદ કરતા. વિલાસરાવ તેમના આવાસની, વાસણકુસણની, છેક સીધા સુધીની વ્યવસ્થા જાતે કરી રાખતાં. ખડસે આજેય પોતાના ગામ અમરાવતીમાં વિલાસરાવના વિચાર સાકાર કરવામાં કાર્યરત છે.)

૮૭ અનાવૃષ્ટિવાળા તાલુકાઓનું આમંત્રણ

ઈ.સ. ૧૯૭૩માં મહારાષ્ટ્ર સરકારે નિયુક્ત કરેલ શ્રી સુકથનકર સમિતિએ પોતાના અહેવાલમાં મહારાષ્ટ્રના ૧૨ જિલ્લાઓનાં ૮૭ તાલુકાઓને અનાવૃષ્ટિગ્રસ્ત (ડ્ઢર્િેખ્તરં-ઁર્િહી) તરીકે જાહેર કર્યા હતા. પુરંદર તાલુકો તેમાં હતો જ. દુષ્કાળનો સામનો કરવાની દૃષ્ટિએ આ તાલુકામાં જો કાંઈક યોજના કરી બતાવી શકાય, તો રાજ્યમાં અન્યત્ર તેવા ઉપાય કરવાની દૃષ્ટિએ એક દિશાદર્શક યોજના તૈયાર થશે એવો વિલાસરાવને વિશ્વાસ હતો.

ગ્રામ્ય વિસ્તારોમાં ફરતી વખતે, ત્યાંની સમસ્યાઓનો અભ્યાસ કરતી વખતે એકતરફ વિલાસરાવના મગજમાં પોતાના ઉદ્યોગનાય વિચાર આવતા. તેમનો ઘણોખરો સમય આ સર્વેક્ષણમાં જતો હોવા છતાં, પોતાના ઉદ્યોગ પરની પકડ તેમણે જરાય ઢીલી પડવા દીધી ન હતી. ઊલટ તેની કક્ષા વિસ્તરી હતી.

ગ્રામ્ય વિસ્તારોનાં યુવાનો વિષયે વિલાસરાવને આસ્થા હતી જ. પુરંદર તાલુકાના દુષ્કાળગ્રસ્ત ગામોમાંથી જે ઘરમાં એક જણનેય નોકરી ન હતી, એવા ઘરના એક એક યુવાનને પસંદ કરીને તેમણે પોતાના કારખાનામાં લીધા. આ યુવાનો નવમી-દસમી પાસ હતા. તે યુવાનોને કારખાનામાં યોગ્ય તાલીમ આપીને આઇ.ટી.આઇ.ની પરીક્ષામાં બેસવાની સગવડ વિલાસરાવ કરતા. બે-બે વર્ષની તાલીમ આપીને, તેમને પોતે જાતે શીખવીને કુશળ કામદાર બનાવતાં. તેમના માટે તેમણે ખાસ અભ્યાસક્રમ પણ તૈયાર કર્યો હતો. ઈ.સ. ૧૯૭૨-૭૩ના ગાળામાં તેમણે આવા બસો યુવાનો તૈયાર કર્યા, ઘડતર કર્યું, તેમાંના કેટલાકને ‘ઍક્યુરેટ’માં જ નોકરી મળી. કેટલાક અન્ય સ્થળે ગયા. યોગ્ય તક મળે, તો ગ્રામ્ય વિસ્તારના યુવાનો પણ પોતાની ક્ષમતા સિદ્ધ કરી શકે છે એ વિલાસરાવે દર્શાવી આપ્યું.

પ્રશિક્ષિત કામદારનો અનાદર અસહ્ય

પોતાના કારખાનામાંથી પ્રશિક્ષિત થઈને બહાર પડનાર યુવાનોને સુંદર નોકરી મળે, તેમના કામનું યોગ્ય એવું વળતર આપવામાં આવે, તેમનાં કૌશલ્યનો આદર કરવામાં આવે તેનું પણ તેઓ ધ્યાન રાખતાં. ઈ.સ. ૧૯૭૩નું વર્ષ હતું. પુણેની ‘ટેલ્કો’ કંપનીએ ‘ઍક્યુરેટ’માં આવાં પ્રશિક્ષિત પચાસ યુવાનોને એકાએક ત્રણ હજાર રૂપિયાના પગારે પોતાના કારખાનામાં લીધા. ત્રણસો રૂપિયાના સ્ટાઇપેન્ડ પર તાલીમ લેનાર યુવાનો માટે આ જબરદસ્ત પ્રલોભન જ હતું. પરંતુ કામ કરવા આપ્યું. તે માત્ર એકદમ નિમ્ન કક્ષાનું.

એ કંપનીનું આ કૃત્ય વિલાસરાવને ગમ્યું નહિ. એક તો એ કંપનીનું પોતાનું ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યુટ હતું. એક-એક કામદાર પ્રશિક્ષિત કરવા માટે કેટલો ખર્ચ થાય છે એની એ કંપનીને જાણકારી હતી. વળી કુશળ, પ્રશિક્ષિત કામદારને નિમ્ન કક્ષાનું બિનકુશળ કામ કરવા આપવું એ તેના વ્યક્તિત્વનો અનાદર. આવી ભૂલ એ કંપની કરે એ વિલાસરાવથી સહન થયું નહિ. તેમણે ‘ટેલ્કો’ના સંબંધિત વરિષ્ઠ અધિકારીશ્રી અરૃણ માયરાને પોતાના કારખાનાની મુલાકાત લેવા આમંત્રણ પાઠવ્યું. તદનુસાર તે અવ્યા. વિલાસરાવે તેમને આખુંય કારખાનું સાથે ફરીને બતાવ્યું અને અંતે કહ્યું, ‘અમારી કંપની કબજે લો અને ‘ટેલ્કો’ના ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યુટ તરીકે જાહેર કરો. આથી માયરાએ આશ્ચર્યચકિત થઈ પૂછ્યું, ‘આવું શા માટે ?’ પછી વિલાસરાવે તેમને સંપૂર્ણ હકીકત વર્ણવી. માયરાએ આ પ્રકરણમાં દિલગીરી તો વ્યક્ત કરી જ, પણ હવે પછી આવું થશે નહિ.’ એમ પણ લેખિત જાણ કરી.

આ સમગ્ર વ્યાપમાંથી સમય કાઢીને ચોકઠામાં બેસનાર વૈવાહિક, સાંસારિક જીવન જીવવું વિલાસરાવ માટે શક્ય જ ન હતું. પહેલાં પત્ની-બાળકોને લઈને સાંગલી અથવા ક્યાંક ઠંડી હવાના સ્થળે જવાનું થતું, પરંતુ હવે તે શક્ય ન હતું. બાળકોને પિતા ક્વચિત જ મળતાં. કલ્પનાબહેન જ સંપૂર્ણ ઘરગૃહસ્થી સંભાળતા. વિલાસરાવ-કલ્પનાબહેનને વિક્રમ પછી આદિત્ય અને સોનાલી એમ બે બાળકો પ્રાપ્ત થયાં. આ ત્રણ બાળકોના ઉછેરમાં કલ્પનાબહેન પૂર્ણતઃ ખોવાઈ ગયાં હતાં. ‘ઍક્યુરેટ’ કંપનીની મુલાકાતે દેશ-વિદેશથી લોકો આવતા. અનેક સ્થળોના એન્જિનિયરિંગ કૉલેજના વિદ્યાર્થીઓ પણ તેમાં હતા. એ સહુની આગતા-સ્વાગતામાં કલ્પનાબહેનનો દિવસ ક્યાં પૂરો થતો એની તેમને ખબર જ પડતી ન હતી.

હડપસરમાં ઘરે હોય કે, વિલાસરાવની કલ્પનાબહેન સાથેની વાતો, ચર્ચા થતી એ પુરંદર તાલુકાના દુકાળ, પાણીની તંગી, ખેતી વિષયની જ. કલ્પનાબહેનને પોતાને સમાજકાર્યની અભિરુચિ, આસ્થા. પતિની વ્યગ્રતા પ્રત્યે નારાજગી ન હતી. દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં જળસંચયના પ્રયોગ કઈ રીતે કરી શકાય ? કૃષિ વિષયક કાંઈ નવા પ્રયોગ હાથ ધરી શકાય એમ છે કે ? તેનાં પરિણામ શું હશે ? પરિણામ કેવા હશે ? એની પર તેમનું વિચારમંથન ચાલતું.

‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાન’ની સ્થાપના

નાયગામના અધૂરા રહેલા સ્રાવ તળાવોનું કામ ‘કાસા’ની મદદથી પૂર્ણ કરવાના સમયગાળા દરમિયાન વિલાસરાવનો પડાવ અનેક વખત ત્યાંના સિદ્ધેશ્વર મંદિરની અડાળીમાં રહેતો. ત્યાં જ તેમની પથારી થતી. નાયગામના યુવાન સરપંચ શ્રી પોપટરાવ ખેસેનો જીવ મૂળ સામાજિક કાર્યકરનો. તેમની અને શ્રી અણ્ણાસાહેબ કડૂની મંદિરની અડાળી પર બેસીને ચર્ચા-વાતો થતી. દુષ્કાળ પર કાયમી ધોરણે કાંઈ કરી શકાય એ અંગેની જ બધી વાતો થતી. આ અંગે વિલાસરાવ પ્રત્યક્ષ કાંઈક પ્રયોગ કરવા ધારે છે, એમ ધ્યાન આવ્યા પછી પોપટરાવ અને અણ્ણાસાહેબે વિલાસરાવને ઈ.સ. ૧૯૭૪માં સિદ્ધેશ્વર દેવસ્થાન ટ્રસ્ટની જમીન મેળવી આપી. પછી તરત જ વિલાસરાવે ભાઉસાહેબ નેવાળકર અને ડૉ. મધુસૂદન સાઠે સાથે વિચારવિનિમય કરીને, તેમને સહભાગી બનાવીને ‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાન’ ટ્રસ્ટની સ્થાપના કરી. તે ત્રણેય ટ્રસ્ટના ટ્રસ્ટી થયા.

નાયગામમાં પ્રયોગ કરતા પહેલા પાણી-ખેતી વિશે વધુ જાણકારી મેળવવા માટે વિલાસરાવ ઇઝરાયેલ ગયા. ત્યાં પાણીની ઉપલબ્ધતા, પાણીની વહેંચણી અને પાણીના વપરાશનું સંગઠિત આયોજન કરીને, ઓછામાં ઓછા પાણી પર અધિકાધિક ઉત્પાદન કઈ રીતે લેવામાં આવે છે, એની ઇઝરાયલી પદ્ધતિનો તેમણે અભ્યાસ કર્યો. ઇઝરાયેલે પાણી કેવી રીતે મેળવ્યું છે અને તેની સહુને શિસ્તબદ્ધ ચોક્કસ પદ્ધતિ દ્વારા વહેંચણી કેવી રીતે થાય છે એની પણ જાણકારી મેળવી. ઇઝરાયલે પોતાની જળનીતિને કાયદાનું સમર્થન આપવા માટે ખાસ નિયમ કર્યા છે એનીય નોંધ લીધી. ત્યાંના પાણી વપરાશ અંગેના પ્રાચીન નિયમોનો વિલાસરાવ પર વિશેષ પ્રભાવ પડ્યો. ભારતમાં પણ આમ કાંઈક અનુસરવું જોઈએ એવું તેમણે પરાકાષ્ઠાએ અનુભવ્યું.

પહેલા કરવું જોઈએ...

ભારત પાછા આવ્યા બાદ વિલાસરાવને ગામડાંઓમાં સ્થાનિક સ્તરે પાણી સંગ્રહ કરવો, સંગ્રહ કરેલા પાણીની તે વિસ્તારના બધા ખેડૂતોમાં સમાન વહેંચણી કરી શકાશે કે, રવિ અને ખરીફ ઋતુમાં આમ બંને પાકોને પહોંચે એટલા પાણીનો સંગ્રહ કરી શકાશે કે કેમ, જેવા અનેક પ્રશ્ન અસ્વસ્થ, બેચેન કરતા હતા. બધી શંકાઓનું નિવારણ પોતાને સંતોષ થયા વગર કેવી રીતે થશે ? નિષ્કર્ષ કેવી રીતે રજૂ કરીશું ? પ્રયોગ વગર તારણોય કેવી રીતે રજૂ કરી શકાય ? એટલે પહેલાં જ કરવું જોઈએ.

પ્રયોગની શરૂઆત એટલે આ પ્રદેશમાં સરેરાશ કેટલા ઈંચ વરસાદ પડે છે, એનો અંદાજ મેળવવો. એ તો કોઈને જ ખબર ન હતી. વિલાસરાવે નાયગામમાં વરસાદમાપક યંત્ર ગોઠવ્યું. તેની નોંધો અને સરકારી પત્રકોમાં ઉપલબ્ધ માહિતી આધારે વિલાસરાવના ધ્યાને આવ્યું કે અનિયમિત વરસાદ હોવા છતાં સરેરાશ ૧૫-૧૬ ઈંચ વરસાદ પડે છે.

આ અભ્યાસ દરમિયાન એવુંય તેમના ધ્યાને આવ્યું કે આ વરસાદ તરંગી અને અવિશ્વસનીય હોવા છતાં એકંદર વરસાદી વાતાવરણ બદલાતું નથી. આ દુષ્કાળગ્રસ્ત પ્રદેશમાં વરસાદ ઓછો પડતો હોવા છતાં કેટલાક દિવસ, ખાસ કરીને સપ્ટેમ્બર મહિનો એવા ભરપૂર વરસાદનો હોય છે કે વહેળા, નાળા બંને કાંઠે વહેતા હોય છે. આ પાણી કેવળ વહી જાય છે. વહી જનારું પાણી અટકાવીને સંગ્રહ કરીએ તો તેની પર ઓછા પાણી પર થનારા અનાજના પાકો લઈ શકાશે. પડનાર વરસાદનું પાણી વ્યર્થ વહી જવા ન દેતાં એનો યોગ્ય સંચય કરવો શક્ય છે કે ? એનો પ્રત્યક્ષ પ્રયોગ કરી જોવો આવશ્યક છે.

એ જ વખતે વિલાસરાવે એક મહત્ત્વનો નિર્ણય લીધો. વિલાસરાવે ડબલ્યૂએમડીસીનું અધ્યક્ષપદ અત્યંત ઉત્સાહભેર સ્વીકાર્યું હતું. પશ્ચિમ મહારાષ્ટ્રના વિકાસમાં અવરોધક સમસ્યાઓના નિરાકરણ કરવામાં આપણે સફળ થઈશું, વિકાસ કાર્યને વેગ આપી શકીશું. એવી તેમને અપેક્ષા હતી. પરંતુ નોકરશાહી રાજ્યમાં આપણી આકાંક્ષા સાકાર થવી ખૂબજ મુશ્કેલ છે, એ તુર્ત જ તેમના ધ્યાને આવ્યું. આ સર્વ કાર્ય, અગ્રતાક્રમ, યોજનાઓ શહેરી વિકાસ અને ઔદ્યોગિક વિકાસ માટે જ છે. ગ્રામ્ય વિકાસના નામે જે કાંઈ થઈ રહ્યું છે. એ જરૂરિયાતની દ્રષ્ટિએ નગણ્ય છે. વળી આ વિકાસનો લાભ સહુકોઈ સુધી સમાન પહોંચતો નથી, ગરીબો ગરીબ જ રહે છે. એય વિલાસરાવે અનુભવ્યું. તેમણે ડલબ્યૂએમડીસીના ચેરમેનપદેથી રાજીનામું આપ્યું.

સુનિયોજિત રીતે યોજનાઓની આંકણી કરીને, વ્યવસ્થિતપણે ક્રમવાર કામો પૂરાં કરીને, પોતાનો વિકાસ પોતે જ કરે એ માટે ગ્રામ્યબાંધવોને તૈયાર કરવાનું લક્ષ્ય સામે રાખીને તેમણે આ રાજીનામું આપ્યું. કાર્યકાળ પૂરો થતાં પહેલા જ જાતે રાજીનામું આપીને ડબલ્યૂએમડીસીનું ચેરમેન પદ છોડનાર વિલાસરાવ સાળુંખે એ એકમાત્ર જ વ્યક્તિ હતા. દેવસ્થાનની ૪૦ એકર જમીન મળ્યા પછી વિલાસરાવ પ્રયોગ માટે સજ્જ થયા.

પ્રયોગો માટે પરિવારનું સ્થળાંતર

જે જમીન પર પ્રયોગ કરી જોવાના હતા, તેનાથી દૂરના સ્થળે રહ્યે કેવી રીતે ચાલે ? અને દૂરથી સલાહ આપનારા પર વિશ્વાસ કોણ મૂકે ? એટલે હવે ઘરબાર ત્યાં જ સજાવવા જોઈએ. વિલાસરાવે પોતાનો વિચાર કલ્પનાબહેન સમક્ષ મૂક્યો. વિચાર રજૂ કર્યો કહેવા કરતાં પોતાનો નિર્ણય તેમને જણાવ્યો એમ કહી શકાય, કારણ હવે તેમાં ફેરફાર થવો સંભવ ન હતો.

‘ઍક્યુરેટ’ના બોર્ડ ઑફ ડાયરેક્ટર્સ (તેમાં ભાઉસાહેબ નેવાળકર, વી. ટી. ખર્શીકર, સી. આર. બોન્દ્રે, ઓમપ્રકાશ નૈયર, દાદા દામલે વગેરે હતા) આવો નિર્ણય લેશો નહિ, એમ વિલાસરાવને કહી જોયું. આગ્રહ કર્યો પણ વિલાસરાવે વિચાર બદલ્યો નહિ જ. પ્રકાશ સુમંત, આર. એ. વાકચૌરે, સુરેશ નવરે, એ. ડી. ઘાટેના સહકાર પર તેમને સંપૂર્ણ વિશ્વાસ હતો.

કલ્પનાબહેનને વિલાસરાવના સ્વતંત્ર મિજાજ સ્વભાવનો અનુભવ હતો જ. એકાદ વાત વિલાસરાવ મનમાં નક્કી કરે કે, એને પૂરી કર્યા વગર રહે નહિ એની કલ્પનાબહેનને ખાતરી હતી. પણ હવે પ્રશ્ન કરખાના કે ખેતીની જમીનનો ન હતો. વિક્રમ બીજામાં ભણતો હતો. આદિત્ય પણ આગલા વર્ષે શાળામાં જશે. સોનાલી માંડમાંડ બે વર્ષની. બાળકોના ભણતરનું શું ? કલ્પનાબહેન શારીરિક કષ્ટ વેઠવામાં પાછા હટે એમ ન હતાં, પણ તેમને ચિંતા બાળકોના ભવિષ્યની હતી. ખાસ કરીને ભણતરની ! ‘ત્યાં જિલ્લા પરિષદની એક શાળા છે. ત્યાંના બાળકો એ જ શાળામાં ભણે છે. આપણાંય ત્યાં ભણશે.’ એવા ‘એક’ મતે લીધેલા નિર્ણય પર વિલાસરાવ તદ્દન અટલ હતા. હવે છેક ઘરબાર ત્યાં ફેરવવાનો નિર્ણય થયા પછી કલ્પનાબહેને આગ્રહ સેવ્યો : સંડાસ અને બાથરૂમ હોય એવું સાદું ઘર પહેલા ત્યાં બનાવો. ઘરમાં વીજળીના દિવા, પંખા જોઈએ, એવી શરત માત્ર તેમણે મૂકી નહિ, કારણ ત્યાં સુધી વીજળી જ પહોંચી ન હતી એટલે !

વિલાસરાવે કલ્પનાબહેનની ઇચ્છાને તાત્કાલિક પ્રતિસાદ આપ્યો. નાયગામમાં જ એ દેવસ્થાનની જમીન પર અનુકૂળ જગાએ તેમણે ઘર બાંધવા લીધું. બાબૂમિયા નામના સ્થાનિક કડિયાને સાથે રાખીને, ઉપલબ્ધ સ્થાનિક બાંધકામ સામગ્રી વાપરીને ઘર બાંધવાનું શરૂ થયું.

તે વખતે પુણેના કારખાનામાં અપર્યાપ્ત વીજળી પુરવઠાને લીધે અઠવાડિયામાં બે દિવસ કામ બંધ રાખવું પડતું. વિલાસરાવ એ બે દિવસ નાયગામમાં રહેતા. અન્યથા અણ્ણાસાહેબ કડૂજ બધાં કામો જોતાં. ટૂંકા ગાળામાં સાદું પણ શાનદાર ઘર તૈયાર થયું. ડામરના પતરાનું છાપરું ગોઠવાયું.

૧ ઑગસ્ટ ૧૯૭૪ના રોજ સાળુંખે પરિવાર હડપસરના વિશાળ આધુનિક બંગલામાંથી નીકળીને નાયગામના સાદા એવા ઘરમાં રહેવા આવ્યો. ભેજવાળી જમીન, ઠંડી ભીંતો, કલ્પનાબહેને પેકિંગના પૂંઠા વગેરે જમીન પર ફેલાવીને ભેજ ઓછો કરવાનો પ્રયત્ન કર્યો. રાત્રીના બિછાના એ એવી જ ભેજવાળી જમીન પર જ નંખાયા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED