સરસ્વતીચંદ્ર - ભાગ-3 - પ્રકરણ - 4 Govardhanram Madhavram Tripathi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સરસ્વતીચંદ્ર - ભાગ-3 - પ્રકરણ - 4

સરસ્વતીચંદ્ર

ભાગ : ૩

રત્નનગરીનું રાજ્યતંત્ર

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ-૪

સુવર્ણપુરના સમાચાર : કારભારીનો શિક્ષાપાત્ર પુત્ર

“Every good political institutionn must have apreventive operation as well as a remedial. It ought to have a natural tendency to exclude bad men from Government and not to trust for the dafaty of the State to subsequent punishment alone; punishment, which has ever been tardy and uncertain; and which when power is suffered in bad hands, may chance to fall rather on the injured than the criminal.”

-Burke

પોતાના પક્ષનાં માણસોનો દોષ થતાં પ્રજા પોતાની પાસે ફરિયાદી કરવા નહીં આવી શકે - બિચારી કચડાશે - પોતે પામ્યો હતો તેવી જ અવસ્થા કોઇને પામવા વખત આવશે તો એ પાપ કોને માથે ? અધિકારનો નશો પોતાાનાં માણસોને ચડશે અને કદી જાણ્યો અજાણ્યો જૂલમ કરશે તો પ્રમાદધનનો - અથવા બીજાનો જ - દોષ ‘બુદ્ધિધન ! તારી પાસે કોણ કાઢશે ?’ એ પ્રશ્ને એનું મસ્તક ભમાવ્યું. આ પ્રશ્ને કારભારે ચડતા બુદ્ધિધનનું મસ્તક વિચારમાં જ ભમાવ્યું હતું.૧ તે સમયે એને એવી ભ્રાન્તિ પણ થઇ ન હતી કે આ પ્રશ્ન મારા ઘરમાં ઊઠશે, મારા રાજ્યતંત્રમાં ઊઠશે, મારા પુત્રને માથે આરોપ આવશે, અને કૃષ્ણકલિકાનો વર તો શું પણ મારી ગરીબ કુમુદસુંદરી પણ મારા પુત્ર, ભાઇ, મિત્ર, અને એવા બીજા નિકટના સ્નેહી - સંબંધીઓરૂપ પીછાંવાળા પશ્રથી ઊડનાર કારભારીઓ અને અધિકારીઓને અંતઃકરણ હોય તો તે અંતઃકરણને જગાડવા આ પ્રશ્નો પ્રસંગ સમર્થ છે; એટલું જ નહીં પણ એ જાગ્રત થયેલો અધિકારી જૂના સ્નેહના અને સંબંધના પાત્ર થયેલા મનુષ્યને પ્રસંગ આવ્યે શિક્ષા કરવાની શક્તિનું અભિમાન ધરાવતો હોય તો એ જ પ્રસંગ એ અભિમાન ઉતારી દેવાની શક્તિનો પણ અનુભવ કરાવે છે. પ્રમાદધનની વધારે વધારે કથા જાણતાં બુદ્ધિધનને આ પ્રશ્નના પ્રસંગે વધારે વધારે કંપાવ્યો અને આ અનુભવે વધારે વધારે નરમ કરી નાંખ્યો. દુષ્ટરાય આદિ મંડળ દ્ધારા જુલમ કરનાર શઠરાયમાં અને પ્રમાદ દ્ધારા જુલમ કરનાર પોતાનામાં કાંઇક સરખાપણું લાગ્યું, એ સરખાપણું લાગતાં તેના હ્ય્દયને અત્યંત દુઃખ થવા લાગ્યું, અને એ દુઃખરૂપ કાર્યનું કારણ નષ્ટ કરવા બળ અજમાવવાની યુક્તિ શોધવા લાગ્યો. ‘મારામાં ને શઠરાયમાં શો ફેર ?’ શું મને પડેલાં દુઃખ બીજા ઉપર પડવાનું હું સાધન થઇશ ?’ આ અને એવા પ્રશ્નો કારભારને બીજે બીજે દિવસે બુદ્ધિધનના મસ્તકને ખાઇ જવા લાગ્યા.

બનાવો એવા બન્યા હતા કે આ દુઃખી મગજમાં દુઃખની ભરતીઓ પાર રહ્યો ન હતો. નવીનચંદ્ર જતાં પહેલાં વનલીલા દ્ધારા પ્રમાદધનની કેટલીક વાતો સૌભાગ્યદેવી અને અલકકિશોરી પાસે ગઇ હતી, તેમની પાસેથી બુદ્ધિધન પાસે ગઇ હતી, અને તેથી ઉત્પન્ન થયેલા દુઃખમાં બુદ્ધિધન નવીનચંદ્ર જતી વેળા જ પડેલો હતો તે આપણે જાણીએ છીએ. પણ એ વાતોે કરતાં પણ વધારે દુઃખની વાત હવે આવી. જે દિવસે કુમુદસુંદરી ગઇ તે જ દિવસે કૃષ્ણકલિકા અને પ્રમાદધણના સર્વ સંકેતની કથા વનલીલા અલકકિશોરી અને સૌભાગ્યદેવી પાસે કહી આવી. એ બે જણે પ્રમાદધનને બોલાવી, કોઇનું નામ દીધા વિના, વિગત કહ્યા વિના, બાંધે ભારે, એને પિતાના નામને કલંક પહોંચે એવી વર્તણૂક વિશે, વિગત કહ્યા વિના, બાંધે બારે, એને પિતાના નામને કલંક પહોંચે એવી વર્તણૂક વિશે, મોધમ ઠપકો દીધો. ઠપકો મળતાં દીધો. ઠપકો મળતાં અપરાધી ચિત્તે પોતાના અપરાધ વિશે જ આ ઠપકો છે એ કલ્પના સ્વીકારી, અને તેમાંથી બચી જવા કૃષ્ણકલિકાએ આપી મૂકેલું શસ્ત્ર ઉઘાડી વાપરવા માંડ્યું. ‘મર્મદારક ભસ્મ’ વાળા કાગળના ખીસામાં રાખી મૂકેલા કકડા બતાવ્યા, કોપાયમાન મુખે ગરીબ કુમુદ ઉપર આરોપ મૂક્યો, અને તે સર્વ સાંભળતાં જ માદીકરીના મનમાં વનલીલાએ કહેલી વાતની પૂર્ણ ખાતરી થઇ.

સૌભાગ્યદેવીની આંખમાં આંસુ આવ્યાં : ‘અલક, મારાં પૂર્વ ભવનાં પાપ ઊભી નીકળ્યાં. બ્રાહ્મણીને પેટે રાક્ષસ અવતાર્યો ! શિવ ! શિવ ! શિવ ! ગરીબ ગાય જેવી મારી વહુને કાપળે આ દુઃખ ! હું જાઉં છું, આ દીકરાનું મોં હું નહીં જોઉં. તું જાણે ને તારો ભાઇ જાણે ! અરે ! હું રાંકની દીકરી મહાપુરુષ જેવા તારા બાપના ઘરમાં આવી, પણ મારું રાંક ભાગ્ય ક્યાં જાય કે આ એમને કારભાર મળ્યો ને આ આજ મારું સર્વસ્વ ગયું !’ પાણીથી ઊભરાતી આંખે દેવી ઊઠી ચાલતી થઇ અને અનકે દુઃખ સહેનારીથી આ દુઃખ ન સહેવાતાં પરસાળમાં જઇ જમીન ઉપર લૂગડું પગથી માથા સુધી ઓઢી રોતી રોતી સૂઇ ગઇ.

દેવી ગઇ અને અલક ભાઇ ઉપર કૂદી ઊછળી, અને ભાઇની હડપચી ઝાલી અને રાતી આંખે ગાજી : ‘ઓ ચંડાળ ! આ બુદ્ધિ તને રાંડ કાળકાએ આપી છે તે હું જાણું છું - ભાભી ગયા પહેલાંની આપી છે કે ભાભી જાય એટલે આ તારું કાળું કરજે ! ધિક્કાર છે તને ! લાજ ! લાજ !’ ભાઇને ધક્કો મારી બહેન આઘી ખસી ઊભી અને એના સામી આંખો ફાડી ઓઠ પીસી જોઇ રહી.

પોતાની વાત ઉઘાડી પડી જાણી પ્રસાદ ગભરાયો, પરંતુ રંક સ્વભાવવાળા ગોરને પણ ગોરી પકડાતાં છટકી જવાનો માર્ગ શોધવાની બુદ્ધિ સૂઝે છે અને તે સૂઝતાં બળ આવે છે.

‘બહેન, તું અને દેવી તો ભોળાં છો. હું જૂઠો, મેં તો ગમે તેમ કર્યું, પણ આ અક્ષર તો તું ઓળખે છે. જરરા જો કે મારો પુરાવો ખરો છે કે ખોટો.’

ચિઠ્ઠીના કટકા અલકે વાંચ્યા :

‘હા, ભાઇ, હા ! તને દિવસ થયા છે એટલાં મને વરસ થયાં છે. ભાભીને કવિતા જોડતાં આવડી પણ તને અર્થ કરતાં ન આવડ્યો. આવી કવિતા તો ભાભી રોજ લખતાં એમાં તારો પુરાવો ક્યાં આવ્યો ?’

‘અરે ઉતાવળાં બહેન, જુઓ તો ખરાં કે આ તારી ભાભીએ નથી લખ્યું પણ પેલા નવીનચંદ્રે લખ્યું છે !’

‘ના, તારી ભાભીના ટેબલ તળેથી હાથમાં આવ્યા !’

‘તે ભાભી ગયા પછી આવ્યા કે એમની પૂઠ પાછળ તારા એકલાનું કહ્યું સાંભળીએ અને તું કહે તે સાચું માનીએ ને એમને પૂછવાનો વારો પણ ન આવે ! એ તો ભાઇ, પેલી કાળકાની આપેલી અક્કલ ! પણ એ રાંડ જેવી તો સૌને તારી બહેન પહોંચે એવી છે. આ અક્કલ મારા ભાઇની ન્હોય !’

‘શાની હોય જે ? ભાઇની કાંઇ શરમ પડે ? એ તો ભાભીની શરમ કે પછી નવીનચંદ્રની પડે ! હું પણ કંઇક જાણું છું.’

‘અલકકિશોરીને પોતાના ઉપર આરોપ આવ્યો લાગ્યો અને ક્રોધમાં ઉમેરો થયો. ‘બહુ સારુ, ભાઇ, આ બોલ ભાઇ નહીં સંભળાવે તો બીજું કોણ સંભળાવશે ? ખરી વાત છે, સોબત તેવી અસર. કાળકામાં હડહડતો કળિ હોય તો તારામાં તેના છાંટા પણ ન આવે ? અરેરે ! ભાભી તો ગયાં, પણ આજ તો મને દેવીની દયા આવે છે ! જા, જા -’

‘લાવો પાછા અમારા કાગળના કટકા-’

‘હં અં, નાની કીકી છું ખરી કની ?’

‘ત્યારે શું કરશો એને ?’

‘એ તો દેવીને અને પિતાજીને બેને દેખાડીશ તે તારો, મારો, ને ભાભીનો બધાંનો અને ભેગો તારી કાળકાનો પણ ન્યાય ચૂકવશે. મને કહો છો તે બધું પિતાજીને કહેજો ને કાળકાને પણ કહેજો કે રાંડ તારું ચાલે તે કરી લે જે - ભાઇ તો આખરે ભાઇ પણ - એ કાળકાને તો ગામમાંથી કાઢ્યા વગર રહું નહીં !’

‘મારી પાસે તો આ પુરાવો છે પણ તમારો શો પુરાવો છે ?’

‘પુરાવો ને બુરાવો - જોઇ લેજો ને કે બધુંયે નીકળશે ! રાંડ તારી મેડીમાં આવી હતી ને આપે કેવડો ને સાંકળી એના પર રસ્તામાં ફેંક્યાં હતાં તે શાનું સાંભરે ?’

કુમુદસુંદરીએ કૂટતી સ્ત્રીઓ વચ્ચે કૃષ્ણકલિકા પર ફેકેલાં કેવડો અને સાંકળી૧ સાંભર્યાં અને તે સાંભરતાં પ્રમાદધન નરમ થઇ ગયો. એની બુદ્ધિ ગુમ થઇ ગઇ ને બાજી હાથમાંથી ગઇ સમજી નીચું જોઇ ચાલતો થયો.’

આ સર્વ હકીકત બુદ્ધિધનને પહોંચી. તેણે શાંતિ રાકી સર્વ વાત સાંભળી નરભેરામ દ્ધારા પુત્રની પાસે ઉત્તર લીધો. સર્વ હકીકત ઉપરાંત એણે કૃષ્ણકલિકાનો સૂઝાડેલો વધારે ઉત્તર એ આપ્યો કે નવીનચંદ્ર અને કુમુદ સંપ કરી પોતાની વાત ઉઘાડી પડતાં ભદ્રેશ્વર ગયાં છે એ મારો વધારે પુરાવો. પોતે જે રાત્રે લીલાપુર સાહેબને મળવા ગયો હતો તે રાત્રે પોતાની મેડીમાં કુમુદ એકલી હતી અને જોડેની મેડીમાં નવીનચંદ્ર એકલો હતો ને બે જણ ભરેલાં એટલે આ સર્વ યોગ અનુકૂળ થઇ ગયો એવું પણ કહાવ્યું.

શાંત વિચાર કરતાં પુત્રની કરેલી વાત પણ પિતાને છેક અસંબવિત ન લાગી. બધાંને એકઠાં કર્યા સિવાય ખુલાસો શી રીતનો થાય અને એકઠાં કરવાનો પ્રસંગ આવે તો કુટુંબની પ્રતિષ્ઠા જાય એ વિચારમાં આખો દિવસ કાઢી નાંખ્યો. છેક સાયંકાળે સુરસિંહને પકડી પોતાનાં માણસો આવ્યાં અને રાત્રિના નવ વાગતાં કુમુદસુંદરીવાળો રથા ઠાલોે લઇ ગાડીવાન પાછો આવ્યો, તેણે કુમુદસુંદરી, નદીમાં તણાઇ ગયાના અને શોધ કરતાં પણ ન જડ્યાના સમાચાર કહ્યાથી કુટુંબમાં અત્યંત શોક વ્યાપી ગયો, કુમુદસુંદરી ઉપર મૂળથી હતી તે દયા અને પ્રીતિ દશગણાં થયાં, અને તેની સાથે કૃષ્ણકલિકા અને પ્રમાદધન ઉપર સર્વ કુટુંબનો ક્રોધ સોગણો વધ્યો.

રાત્રિએ બુદ્ધિધને નરભેરામને બોલાવી તેનો અભિપ્રાય માગ્યો.

નરભેરામે ઉત્તર આપ્યો : ‘બુદ્ધિધનભાઇ, મને પૂછો તો થયું તે તે ન થયું થનાર નથી. આ વાત ચોળીને ચીકણી કરવાથી ગઇ કાલ મળેલો કારભાર આવતી કાલ જવા બેસશે, અપકીર્તિ થશે, પોતાનાં છિદ્ર ઉઘાડવા જેવી મૂર્ખતા બીજી નથી તે મૂર્ખતા તમે કરશો, પ્રમાદધનભાઇનાથી તમારી પાસે ન બોલાતાં લજ્જા અને ભયના માર્યા કાંઇ અકાર્ય થઇ જશે અને સૌ પાછળથી પસ્તાશો. ન્હાની વાત કોઇ જાણતું નથી તેને મોટી કરી બધાંને જણાવશો. આ હું તો એમ ગણું છું કે આપના કુટુંબમાં સર્વ વાતે સંપૂર્ણતા થવા આવી હતી તે થાત અને છાજત નહીં અને લોકની નજર પડત તો કાંઇ ભારે વિપત્તિ માથે પડત તેને ઠેકાણે આ શૂળીનો ઘા સોયે ગયો સમજી સૌ વાત પડતી મૂકો અને ઇશ્વરનો પાડ માનો. ઘેરે ઘેર હોય છે તેમ તમારે ઘેર નહોતું તે આ થયું. જુવાનીનો કાળ છે તે પોતાનો સ્વભાવ બતાવ્યા વગર કાંઇ રહેતો નથી. ને ખરું પૂછો તો લો કહી દઉં છું કે હાડ જશો તો છોકરો કાંઇ ન કરવાનું કરી બેસશે ને પછી હાથ ઘશીને રહેશો. વહુ ગઇ ને છોકરો પણ ગયો તો પગ, હાથ, ને નાક ત્રણે વાનાં બગડ્યાનું થશે માટે જે કરો તે વિચાર કરીને કરજો કે સાહસ ન થાય.

‘જોઇશું. પ્રાતઃકાળે અવશ્ય આવજે. આવે ત્યારે સાાથે વનલીલા અને કૃષ્ણકલિકાના વરોને લેતો આવજે.’

‘તેમનું શું કામ છે ?’

‘સવારે કહીશ.’

‘એ તો હું કાઇ ન સમજું એવું પ્રયોજન નથી. આપની આજ્ઞા પાળીશ. પણ સહસા વિદધીત ન ક્રિયામ્‌ એ વાક્ય ભૂલશો નહી.’

‘એ તો જે થશે તે તને પૂછ્યા વગર કાંઇ થવાનું નથી. વારુ, કુમુદનું શું કરીશું ?’

‘એ કામ કરવાનું પૂછો તે તો ઉતાવળે કરવાનું ખરું. નદીમાં તણાયાં ને સાંજ સુધી જડ્યાં નહીં એટલે ગાડીવાન આવ્યો. આ સિવાય એને વધારે ખબર નથી.’

‘એમને નદિમાં દુઃખને માર્યે પડતું મૂક્યું એ વાત એણે તને કહી?’

‘એ તો અમસ્તો.’

બુદ્ધિધને નિઃશ્વાસ મૂક્યો. ‘ઠીક છે, પણ પ્રાતઃકાળ પહેલાં એમની તપાસ કરવા પચ્ચીસેક હોશિયાર માણસો મોકલવાં. વિદ્યાચતુરને પણ જઇને મળે.’

‘આ વાત બરાબર.’

‘વિદ્યાચતુરનો મારા ઉપર પત્ર આવ્યો છે તે યાદ આવ્યું. લે વાંચ.’

નરભેરામે પત્ર વાંચ્યો :

‘પરમ સ્નેહી બુદ્ધિધનભાઇ,

આપના મહારાણાશ્રીની આપના ઉપર સંપૂર્ણ કૃપા થઇ, દુષ્ટ વર્ગ અસ્ત થયો, અને આપને મંત્રીપદ મળ્યું જાણી મને આનંદ થાય એ કહેવા જેવી નવીન કથા નથી. રાજા, પ્રજા અને આપ, ત્રણેનાં સુભાગ્ય આમાં રહેલાં છે એ સર્વને આનંદનું કારણ છે. અમારા મહારાજશ્રી મણિરાજજીના હસ્તાક્ષરનું અભિનંદનપત્ર મહારાણાશ્રી ભૂપસિંહજીને પહોંચશે.’

આપના જેવા રાજકાર્યના ધુરંધરને મારા જેવો અલ્પાનુભવી કાંઇ મંત્રીધર્મ કથવા બેસે તો તેમાં પ્રગલ્ભતાદોષ આવે છે. પરંતુ ચિ. પ્રમાદધન વિશે કાંઇ સૂચના કરું તો સંબંધસ્વભાવને પ્રતિકૂળ નહીં ગણો એવી વિજ્ઞપ્તિ છે.

ચિ. પ્રમાદધને જેવા રાજકાર્ય વિદ્યાર્થી-અવસ્થામાં રહેવા વધારે અવકાશ મળે તો ઉત્તમ છે, કારણ એ અવસ્થાના પરિપાકવાળાને અનુભવનો રંગ ઓર જ ચડે છે. વળી અને અંગ્રેજી ભણેલા એવું માનીએ છીએ કે જેમ પ્રધાનને રાજા પ્રતિ ધર્મ હોય છે, તેમ રાજ્ય પ્રતિ ધર્મ પણ હોય છે. પ્રથમ રાજધર્મ ને બીજો રાજ્યધર્મ. પોતાની સાથે પુત્ર, ભાઇ, ભત્રીજા, જામાતૃ વગેરે સંબંધવાળા પુરુષોને પ્રધાને પોતાના હાથ નીચે નીમવાથી રાજ્યધર્મનો ભંગ થાય છે એવું હું માનું છું; અને એ ધર્મભંગથી રાજ્યનું હિત જાળવવાના પ્રયત્નમાં ન્યૂનતા રહે છે, પ્રજાને અન્યાયભય રહે છે અને ન્યાયકાલ જડવામાં કઠિનતા રહે છે, અને નિમણૂકથી જે પુરુષના ઉપર આપણે કૃપા કરવા ધારીએ છીએ તેની પરાક્રમશક્તિ કૃપાના આધારથી ક્ષીણ થાય છે. આથી રત્નનગરી તેમ સુવર્ણપુર ઉભય સ્થાન છોડી કોઇ ત્રીજે જ જળાશયે ચિ. પ્રમાદધનને તરવા મોકલવા જોઇએ, એવો મારો અભિપ્રાય છે. પછી આ વાતમાં આપની ઇચ્છા પ્રમાણ છે.

પત્રના બાકીના ભાગમાં કુટુંબકથા હતી તે નરભેરામ મનમાં ઉતાવળે વાંચી ગયો. પત્ર પાછો આપી બોલ્યો :

‘ભાઇસાહેબ, વિદ્યાચતુરભાઇ મોટા વિદ્ધાન છે. આપણે જુદું શાસ્ત્ર ભણ્યા છીએ-’

‘પણ એમની વિદ્યા ખરી છે તેનો કાંઇક અનુભવ પ્રમાદભાઇ આપે છે.’ બુદ્ધિધન વચ્ચે બોલી ઊઠ્યો.

‘હા જી, એ તો હોય. આપને આપના પુત્રથી અનુભવ મળે છે, તો બીજાંને બીજાંથી અનુભવ મળે છે. ભાઇસાહેબ, પ્રાકૃત ભાષા બોલવા દો તો તરત સમજાવું. આ આપના વેવાઇ તો વેદિયું ઢોર છે. પણ જુઓ, આપણાથી પચાસ ગાઉ જે રાજા જે રાજા છે તેના કારભારીએ ડાહ્યા થઇ જમશેદજી માણેકજી શેઠને પેંગડે પગ મૂકવા દીધો ત્યારે દીધો ત્યારે કારભારી પગે ચાલે છે ને જમશેદજી શેઠ ને બીજા નસરવાનજી શેઠ તે બધા ફલાણાજી ને ઢીકણાજીને જીયે જી ઉભરાયા છે ને ઘોડે ચડી છે મૂછે તાલ દે છે. બીજા દાખલા ખોલીશું તો દક્ષણી જાય ત્યાં દક્ષણીઓનો વરસાદ, બ્રાહ્મણ પાછળ બ્રાહ્મણનો અને વાણિયા પાછળ વાણિયાનો વરસાદ વરસવાનો જ ! હું કાંઇ તેમનો વાંક નથી કાઢતો. એ તો જગતનો કાયદો છે તે જગત પાળે છે ને આપણે બીજો પાળવો નથી. પણ આ તો સૌૈને પારકે ભાણે લાડુ સારો લાગે છે. હું તો તારે ઘેર લાડુ ખાઉં, ને મારે ઘેર તું આવે ત્યારે તારે એકાદશી કરવી. ઠીક છે, એ કહે તે પણ સાંભળવું. જૂઠો કબૂલ કરે કે જૂઠું બોલું છું ત્યારે જૂઠો શાનો ! એ તો તેનો લાગ ફાવે તે તે કરે ને આપણો ફાવે ત્યારે આપણે કરીએ. એ બધા કહે તે કહેવા દઇએ, આપણે પણ એમ જ કહીએ, ને આપણું ચાલે ત્યારે આપણા માણસને વર્તાવીએ ને જગત જખ મારે ! બધા બોલે તે સાચું માનીએ તો તે ડાહ્યા ને આપણે મૂર્ખ.’

બુદ્ધિધન દુઃખ ભૂલી હસ્યો. ‘વારુ, નરભેરામ, એ ભાષણ પણ ખરું. તારે કારભાર કરવાનો આવે ત્યારે એમ કરજે.’

‘તે એમાં કાંઇ વાંધો ? ભાઇસાહેબ, હું તો આપણે પણ કહું છું કે આ વેદિયાં ઢોરશાઇ વિચાર કરી પ્રમાદભાઇનો વાળ વાંકોો કરશો તો હું જાતે રાણાજી પાસે જઇને કહીશ કે બુદ્ધિધનભાઇનું રાજીનામું લો, એમને કામ મને સોંપો અને મારું પ્રમાદભાઇને સોંપો ! આ જોઇ લેજો કે એ કારભાર પણ ચાલશે ને પ્રમાદભાઇ મારી પૂઠે કારભારી થાય ને એમના જસનો ડંકો વાગે એટલે આપણે બે સંન્યાસી થઇશું ને જગતને ખોટું ગણીશું અને સૌને અહંબ્રહ્મ કહીશું. બાકી હાલ તો હું, તમે ને પ્રમાદભાઇ એટલામાં દુનિયા પણ આવી અને બ્રહ્મ પણ આવ્યું. અને બાકીનાં પારકાં તે માયા, તેનો ત્યાગ કરવો. બસ !’

બુદ્ધિધનનું હસવું રહ્યું નહીં. નરભેરામને ધક્કો મારી તકિયે પાડ્યો, ‘હવે કાંઇ બાકી છે ?’

‘હા. હવે શાસ્ત્રનું વચન સાંભળો :

સુહદામુપકારણાત્‌ દ્ધિષતામપ્યપકારકારણાત્‌ ।

નૃપસંશ્રય ઇષ્યતે બુધૈર્જઠરં કો ન વિભર્તિ કેવલમ્‌ ।।’

આ લ્યો શાસ્ત્ર. વિદ્યાચતુરભાઇને ઉત્તર મારી પાસે લખાવજો તે ફાંફડો ઉત્તર લખી આપીશ. અને હું કહું છું તે કરજો. લ્યો, જાઉં છું.

નરભેરામ પાઘડી માથે મૂકી ગયો. નીચે સ્ત્રીમંડળનાં મન વાળવા ગયો. બુદ્ધિધન એની પૂઠ ભણી દૃષ્ટિ કરી રહ્યો. ‘’આ પણ શી મૂર્તિ છે? કિયા બ્રહ્માએ મારો ને એનો જોગ ઘડ્યો હશે ? એ કહે છે તે પણ છેક કાાઢી નાંખવા જેવું નથી. બુદ્ધિમાને જડમાંથી પણ ઉપદેશ લેવાનો છે તો નરભેરામનું કહ્યું કેમ ન સાંભળવું જોઇએ ? એ પણ અનુભવી છે.’

આ વિચાર કરે છે એટલામાં અલકકિશોરી આવી અને તેની પાછળ સોડિયામાં સંતાતી સંતાતી વનલીલા આવી. અલકકિશોરી કોપેલી વાઘણ જેવી દેખાતી હતી. એની આંખમાં કોપી માતો ન હતો. ઓઠ ફફડતા હતા, અને હાથ ઉછાળા મારવા તત્પર થઇ રહ્યા હતા. પિતાની પાસે ઊભી રહી ત્યાં એનો અહંકાર ઉછાળા મારી છાતીમાંથી નીકળવાનું કરતો હોય તેમ છાતી કાઢી પિતાની સામી આવી ઊભી રહી અને ક્રોધમાં ને ક્રોધમાં વીજળી અચિંતી ભડાકો કરે તેમ ગાજી :

‘પિતાજી, હવે તો હદ વળી ગઇ.’

‘કેમ, બહેન, શું કાંઇ નવું થયું છે ?’ શાંત સ્વરે બુદ્ધિધન બોલ્યો.

‘આ જુઓ, ભાભીના સમાચારથી દેવી તો શીંગડું વળી સૂતી છે, અને ભાઇ તો દેવીને પેટ રાક્ષસ અવતર્યો હોય એવો થઇ ગયો છે. ને તેમ પણ કાંઇ ભાભીની તપાસ નથી કરતા !’

‘અલક, તારી ભાભીની તપાસ નહીં કરીએ ત્યારે કોની કરીશું ? જા, પૂછ નરભેરામને કે પ્રાતઃકાળે અંધારામાં માણસોએ શોધ કરવા જવું એવો બંદોબસ્ત કર્યો છે કે નથી કર્યો ?’

‘તે કિયાં માણસોને મોકલો છો ? ભાઇના મળતિયાને ન મોકલશો. એ લોક તો એમને મારી નાંખશે.’

‘એમ તે કોઇ કરતાં હશે ?’

‘ના, ભાઇને તો તમે બસો રૂપિયાનો પગાર કર્યો એટલે સારો ! એના પગારનું શું થાય છે તેનો હિસાબ કોઇ દિવસ જુઓ છો ?’

‘કેમ, એ પગારનું શું કરે છે ?’

‘આ જુઓ, મારામાં ને ભાભીનામાં ફેર છે. મારે નાકે તો માખી બેસવા આવે કની તો હું મસળી નાંખું, ને ભાભીની પાસે તો ભમરો આવે તોયે હળવે રહીને લૂગડૂં આડું ધરે કે રખેને ભમરાને ઝાપટ વાગે ! આ બે રાંડો એક કાાળકા ને બીજી કોક ગુણકા પદમડી છે તેણે ભાઇને ફોલી ખાધો ને એ બે ને ત્રીજો ભાઇ ત્રણેનાથી છૂટવા સારુ ભાભીએ આ કર્યું છે - લ્યો -એ તો નક્કી એણે નદીમાં પડતું મૂક્યું અને આપણું રત્ન ગયું-’ અલકકિશોરી રોઇ પડી ને રોતી રોતી બોલી : ‘હવે તે કેમ જીવ્યાં સહેવાશે, મારા બાપ !’ માથું પછાડી અલક પિતા પાાસે ગાદી પર પડી, ઝીણું ઝીણું રોતી વનલીલા તેને ઝાલી રાખવા જતાં એની પાછળ પડી ને અલકના મોટા શરીર નીચે એનો ન્હાનો હાથ દબાયો. બુદ્ધિધને બેને ઉઠાડ્યાં અને છૂટાં કર્યાં.

અલક બેઠી : ‘પિતાજી, હવે તો એક તમે આમાંથી ઉગારો ત્યારે. ભાભી જવા બેઠાં તે સહેવાતું નથી તેમાં આ ભાઇ એમની પાછળ ગમે તે બકે છે ને ઊલટો ચોર કોટવાળને દંડે તેમ થયું છે હોં ! તમે એને બહેકાવશો નહીં હો ! આ ભાભી મરતાંને મરે કહે નહીં તેને મૂઆ પછી આ મૂકવાનો નથી ને સૌ ઊભાં ને ઊભાં બળી મરીશું. દેવીનો તો અત્યારથી જીવ ખસ્યો છે.’

‘બહેન, સૌને રસ્તો થશે.’

‘પણ તમે શું માનો છો ?’

‘જોઇશું હવે.’

‘ના, જોવાનું નહીં, ભાઇ તમારી પાસે આડીઅવળી વાતો ભરવશે ને ભાભીના ભણીની વાત કોઇ કહેનાર નથી. માટે જુઓ, જાણે નહીં તો મને પૂછજો.’

વનલીલા અલકકિશોરીને કાનમાં કહેતી ગઇ, અને અલકકિશોરી સૌ વાત બુદ્ધિધનને રખાય એટલો શરમનો પડદો રાખી, કહેતી ગઇ અને આખરે બે જણ ગયાં. બુદ્ધિધન એકલો પડ્યો.

‘હે ઇશ્વર, આ જગતનાથી ઊલટો માર્ગ કે ભાઇનું સગપણ મૂકી ભાભીની વકીલાત કરવા બહેન આવી. કુમુદસુંદરી ! મારા ઘરની લક્ષ્મી ! આ સૌ તમારી પવિત્રતાનો પ્રતાપ !’

‘નવીનચંદ્ર અને કુમુદસુંદરી સંકેત કરી ગયાં એવો આરોપ પ્રમાદે મૂક્યો - તે ખરો ? - પણ અલકે કહ્યું તે સાચું. નવીનચંદ્ર ગયો તે પછી કુમુદસુંદરીને તેડવા માણસ આવ્યાં, ને કુમુદસુંદરી જવાનાં છે તેની તો નવીનચંદ્રને ખબર પણ ન હતી.’

‘અરેરે ! એ બે જણ નીચેથી ઊંચું જોતાં ન હતાં - તેમાં આ ભરેલા ઘરમાં, જ્યાં એકાંત મળવાનો પ્રસંગ જ નહીં ત્યાં - સર્વ આરોપ અસંભવિત જ !’

‘કુમુદસુંદરી ગયા પહેલાં પ્રમાદ અને કાળકાનો જે જે સંકેત કરેલા વનલીલાએ કહ્યા હતા તે સર્વ ખરા પડ્યા !’ - ‘સાંકળીની વાત ખરી !’-‘કાગળના કટકા પર નવીનચંદ્રના અક્ષર તો ખરા !’ પણ - ‘હતા તાત !’ અને ‘હતો ભ્રાત !’ - ‘શું આ અક્ષરો જણાવતા નથી કે કવિતા નિર્દોષ છે ?’ - ‘પુત્ર મૂર્ખ છે કે આટલા ઉપરથી વહેમાય છે.’ - ‘હું નથી માનતો કે એવો મૂર્ખ હોય ! - ત્યારે શું ? એ તો એ જ - આરોપમાંથી બચવાનો પ્રત્યારોપ.’

‘ખરા આરોપમાંથી બચવા ખોટો પ્રત્યારોપ કુમુદ જેવી નિર્મળ ગંગા ઉપર મૂકવો એ શઠરાયનો કુલમાર્ગ. મારા પુત્રને એ ન આવડે એ ન આવડે - શઠરાયની સગી કાળકાએ જ એ શીખવેલું !’

‘કાળકાની શીખવણી ખરી કે નહીં - તે જ્યાં જ્યાં વનલીલાનાં વચન ખરાં પડ્યાં ત્યાં ત્યાં નિશ્ચિત !’

‘સાંકળી અને શીખવણી - બે વાનાં કૃષ્ણકલિકાનાં. બેની સાથે પુત્રની મલિનતા સિદ્ધ થઇ !’

ન્યાયવિચારના સંશોધનને અંતે સિદ્ધાંત બંધાતાં, મનમાં પુત્રની મલિનતા સિદ્ધ થતાં, કુમુદનું દુઃખ અને તેને માથે ગુજરેલો અન્યાય સ્પષ્ટ થતાં, તેમના સગા આ ન્યાયધીશનું મોં ઊતરી ગયું - પ્રાપઃકાળ થતાં ચંદ્ર નિસ્તેજ થઇ જાય તેમ દીન થઇ ગયું. કૃષ્ણકલિકાના વરને પણ અન્યાય થયો છે - એ વિચારથી દીનતા વધી. કુમુદસુંદરી જીવતી જડો કે ન જડો પણ એણે આ દુષ્ટની કૃતિઓથી કંટાળી આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરેલો સંભવિત લાગ્યો તેની સાથે બુદ્ધિધનના મુખ ઉપરથી દીનતા પવનની ઉરાડેલી ભસ્મ પેઠે ઊડી ગઇ અને તેને સ્થાને ક્રોધના અંગારા ઉઘાડા પડી મુખ ઉપર ભભૂકવા લાગ્યા :

‘દુષ્ટ ! મારી પ્રતિજ્ઞા છે કે મારો સંબંધી હશે તેને માથે પણ આરોપ સિદ્ધ થતાં હું શિક્ષા કરીશ ! પ્રસાદ ! તું હવે મારો પુત્ર નથી અને હું તારો પિતા નથી !’

વળી વિચાર થયો કે પુત્રને શિક્ષા કરી મારાથી દૂર કરીશ તો એનાં પુણ્યપાપની ભાગિયણ થવાને સરજાયેલી ગરીબ કુમુદને પણ વગર શિક્ષાએ જ શિક્ષા થવાની ! ‘ત્યારે એવી શિક્ષા શી રીતે કરવી કે અપરાધી પ્રમાદને શિક્ષા થાય અને નિર્દોષ કુમુદ એમાંથી બચે ?’ આ પ્રશ્ને એનું મસ્તક વળી ભમાવ્યું. વિચાર થતાં થતાં ગાદી ઉપર હાથ પછાડ્યો અને બબડ્યો : ‘વિદ્યાચતુર, તમારું કહેવું ખરું છે; એવો શો કારભાર કરીએ કે અન્યાય કરીએ તો નિરપરાધી દંડાય ને ન્યાય કરીએ તો આપણે દંડાઇએ ? ન્યાય કરવો હોય ને આપણે જાતે દંડાવું ન હોય તો દંડાવાનો પ્રસંગ જ આવવા દેવો ન જોઇએ. એવો પ્રસંગ ન જોઇતો હોય તો સંબંધી પુરુષને સિક્ષા કરવાનું ઠેકાણું ન રાખવું જોઇએ. ભાઇભાંડુને તાબામાં પ્રથમથી જ સમજીને ન રાખવા ! આ તો પાણી પીને પૂછે ઘર તે કહેવો તે બીજો ખર - તે ખર હું !

‘ત્યારે હું જ રાજીનામું આપું તો ! મનેયે શિક્ષા અને પુત્રને પણ શિક્ષા ! શું હું પણ શિક્ષાને લાયક નથી ? ભવિષ્ય ગમે તેમ સુધારો, પણ ભૂતકાળમાં મારી ભૂલોથી જે જે અનર્થ થઇ ગયેલા હું દેખું છું - અને ઘણાક તો હું દેખતો પણ નહીં હોઉ - જે જે દુઃખ કૃષ્ણકલિકાના વર જેવા અનેકને માથે અનેકધા પડવાનું સાધન - મારી રાજ્યનીતિની ભૂલો - થઇ પડી હશે - એ સર્વ ભૂલોનું, અનર્થોનું અને દુઃખોનું જોખમ અને પાપ બુદ્ધિધન ! તારે માથે નહીં તો કોને માથે ? હરિ ! હરિ ! એ સર્વ પાપ મારે જ માથે, અને એ સર્વના બદલામાં શિક્ષાને યોગ્ય તો હું જ છું ! રાજ્યને અંતે નરક તે આ જ !

‘બુદ્ધિધનભાઇ ! તમે પણ ત્યારે શિક્ષાને યોગ્ય તો ખરા. રાજીનામું આપું તો ? પણ યુદ્ધપ્રસંગે નોકરી છોડી તમારા પર પડવાની ખરી શિક્ષામાંથી બચી જવા માગો એ રાજીનામું તો જાતે શિક્ષામાં બચવાનો રસ્તો ! હવે તો આજ સુધી મહારાણાનું અન્ન ખાધું તેનું ફળ તેમને આપો - ને તે આપવું હોય તો નોકરીમાં રહો, પુત્રને શિક્ષા કરો અને એ શિક્ષા કર્યાથી સ્નેહસંબધનને જે દુઃખ થાય, મહાન આત્મછિદ્ર અને કુટુંબછિદ્ર પ્રકટ થવાથી જે ગ્લાનિ થાય, અને લોકમાં જે અપકીર્તિ થાય - તે સર્વ કષ્ટ વ હોરી લ્યો ત્યારે તમારું કર્તવ્ય થાય. અને એથી ગરીબ કુમુદનું જે મહાદુઃખવાળું દીન મુખ જોવું પડે તે જોવાનું દુઃખ ખમવું ખમવું પડે તે પણ બુદ્ધિધનભાઇ -ખમો ને કુમુદને એ દુઃખ દીધાનું પાપ બેસે તેનું પ્રાયશ્ચિત્ત કરો ! મહારાણાને અધવચ ડૂબતા મૂકવાથી એ પ્રાયશ્ચિત્ત નહીં થાય.

‘નરભેરામ ! તારો શ્લોક ખોટો છે. સગાંસંબંધીને વર્તાવવાં અને શત્રુને મારવા - એને સારુ જો પ્રમાનપદ પર ચડવું હોય તો એ અભિલાષમાં માલ નથી - એ અભિલાષ પામર જીવોનો છે - પાપનો ભરેલો છે અધર્મનો ઉત્પાદક છે - અને ધર્મિષ્ટ હ્ય્દયને આવાં મહાકષ્ટમાં ઝબકોળનાર છે - તે, વિદ્યાચતુર, તમારું કહેલું હું આજ અનુભવ પડ્યે સમજ્યો ! દેવી ! તેં મારું હ્ય્દય ધર્મિષ્ઢ કર્યું છે તેમાં અધર્મને નહીં પેસવા દઉ !

‘ત્યારે હું કાલ પ્રાતઃકાળે આ કામ કરીશ - પ્રમાદને પદવીભ્રષ્ટ કરીશ, દરબારમાંથી એનો પગ કાઢીશ. બીજી શિક્ષા - ન્યાયાધીશ પાસેની?’

આ વિચાર થતાં બુદ્ધિધનનું આખું શરીર ત્રાસથી કંપવા લાગ્યું. તેની આંખમાં આંસુ આવ્યાં, તે લ્હોતો લ્હોતો બોલ્યો - ‘બધા વ્યભિચારીઓને હું કેદની શિક્ષા કરું ને આને ન કરું તે શું એ મારો પુત્ર માટે ?’

નિ-શ્વાસ ઉપર નિઃશ્વાસ મૂક્તો બોલ્યો : ‘હરિ ! હરિ ! તને જે ગમે તે ખરું ! સવારે જે બુદ્ધિ તું આપીશ તે હું કરીશ.

‘પ્રભુ, તે મારું અભિમાન મુકાવ્યું. માતુઃશ્રીનું અપમાન-દેવીનું અપમાન - દુષ્ટરાયને હાથે થયેલું - એ અપમાનથી સળગેલા મારા વૈરાગ્નિથી ખઆજ શઠરાયનું કુટુંબ ભસ્મ થઇ ગયું - તે વૈરાગ્નિના પ્રચંડ તાપ અને તેજના અહંકારમાં હું મારી રંક જાત ભૂલી ગયો હતો અને એ અગ્નિના બળને મારું પોતાનું બળ માનતો હતો. તે અગ્નિ હવે શાંત થઇ ગયો અને તે શાંત થતાં પ્રમાનપદ રાખવાને મારું ગજું નથી તો મેળવવાનું તે ક્યાંથી હોય ? એ વિચાર અત્યારે થાય છે. ઓ પ્રભુ ! એ વૈરાગ્નિ તે તારી જ શક્તિ, તારી જ ઇચ્છા - કોઇ અતકર્ય ભેદભરેલા કારણથી તેં એ શક્તિ -એ ઇચ્છા - પ્રવર્તાવી ને હવે શાંત કરી. તો હું તો એ અગ્નિની જડ સગડી જેવો રંગ જીવ છું. એ અગ્નિના જન્મકાળથી બળવા માંડેલા શઠરાયના કુટુંબ પેઠે - એ બળી રહેલા કુટુંબ પેઠે - હું પોતે જ એ અગ્નિદેવતાને હાથ નહીં અરકાડું, હું એ અગ્નિદેવને નિર્માલ્ય નહીં ગણું ! પ્રભુ એને અપમાન તે તને જ અપમાન છે - પ્રલયકાળની ઉત્પત્તિ તારામાં છે તો આવા ક્ષુદ્ર અગ્નિની કેમ ન હોય ?

‘એ અગ્નિ પણ જડ છે - એક ચૈતન્ય તું પ્રભુ છે ! હું રંક વિધવાનો પુત્ર તેને ખોળે તેં આ સંપત્તિ આપી, આ કુટુંબ આપ્યું, આ કીર્તિ આપી, એ સર્વ તારી કૃપાનાં ફળ - તેમાંથી એક ફળ તને પાછું આપવાનો સમય આવ્યો ત્યારે જો હં પાછી પાની કાઢીશ - તો મારા જેવો કૃતઘ્ન કોણ ? જેટલું આપ્યું છે તે સર્વ તું પાછું લઇ લે ત્યાં સુધી તો હું એક તારી સેવા નિમિત્તે એટલું કરવાને બંધાયેલો છું !’

‘આ સેવા કરતાં બડબડવું કે મનમાં દુઃખ પામવું એ શાને ? મને તેમ કરવા શો અધિકાર છે ?’

‘દુષ્ટરાય ! શઠરાય ! તમારા કારભારરૂપ કારણના કાર્યરૂપ બંધાયેલા દેહવાળો મારો કારભાર - તમારા જેવો મારો કારભાર - કાલ પ્રાતઃકાળે પૂરો થશે; તમારા જેવો હું છું તે કાલથી મટીશ, કાલથી મારા કારભારનું કારણ એક જ રહેશે - એ કારણ ઇશ્વરની સેવા, લોકની સેવા, મહારાણો શુદ્ધ હશે તેટલી તેની સેવા - આ કારણથી મારા પ્રધાનપદનો દેહ કાલથી બંધાશે; બાકી હું તો હતો તેવો રંક - તસુ પૃથ્વી સૂવા જોઇએ ને કોળિયો અન્ન ખાવા જોઇએ - તેનો અધિકારી...ઇ...’

આટલું મનમાં બોલતાં બોલતાં બુદ્ધિધન નિદ્રાવશ થયો. રાજા અને પ્રધાનની નિદ્રા કહેવાતી નથી, પણ કેવળ ધર્મને અર્થે પદ ભોગવનાર રાજા અને પ્રધાનને નિદ્રાનો અવકાશ ધર્મ જ આપે છે. આજ બુદ્ધિધન સ્વસ્થ અને ગાઢ નિદ્રામાં પડ્યો.

એ નિદ્રામાં પડ્યો તે વેળાએ પ્રમાદધન ઘેર આવ્યો ન હતો, આવવાનો ન હતો, અને પ્રાપઃકાળે સૌ ઊઠ્યાં પણ એ આવ્યો ન હતો. લોકમાં તો અનેક વાતો કહેવાઇ. સમુદ્ર પર એક મડદું તણાતું દેખાયું હતું તે એનું કહેવાયું. કોઇ કહે એણે આપઘાત કર્યચો. કોઇ કહે એને કોઇએ મારી નાખ્યા. કોઇ કહે એ જતો રહ્યો ગુપચુપ નિકટનાં સંબંધીઓમાં ત્રણ ચાર વાતો કહેવાઇ. કુમુદ પાછળ ઘેલો થઇ નાઠો કહેવાયો; એના ઉપર વહેમાઇ એનું ખૂન કરવા, વેરનો માર્યો, ગયો કહેવાયો. નવીનચંદ્રને મારવા ગયો કહેવાયો. પિતાની પાસેથી મળવાની શિક્ષાના ભયથી તેમ લજ્જાથી પણ ગયો કહેવાયો. એનું ખરેખરું શું થયું છે તે ઇશ્વર જાણે. ‘એ પુત્ર શોધી કાઢવા યોગ્ય નથી’ - ‘ગયો તો ભલે’ - ‘મારે એનું કામ નથી’ ‘જીવતો હો કે મૂઓ હો તે મારે મન એક જ છે’ - ‘હું તો એનું સ્નાન કરી નાંખું છું’ - ઇત્યાદિ વચન પુત્રના સંબંધમાં બુદ્ધિધને કહ્યાં કહેવાયાં.

વાંચનાર ! સુવર્ણપુરમાં હવે રહેલાં માણસોની કર્મકથા આથી આગળ જાણવાનું આપણને શું પ્રયોજન છે ? આટલું જાણવું બસ છે કે

૧એતદ્ધિ પરિભૂતાનાં પ્રાયશ્ચિ । મનસ્વિનામ્‌ ।