સરસ્વતીચંદ્ર - ભાગ-2 - પ્રકરણ - 2 Govardhanram Madhavram Tripathi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સરસ્વતીચંદ્ર - ભાગ-2 - પ્રકરણ - 2

સરસ્વતીચંદ્ર

ભાગ : ૨

ગુણસુંદરીનું કુટુંબજાળ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ - ૨

બહારવટિયું મંડળ

થોડે થોડે વડ નીચે પચાસ પોણોસો માણસ એકઠું થઇ ગયું. પણ કોઇ કોઇની સાથે બોલતું ન હતું; માત્ર પગના ઘસારા અને હથિયારોના ખખડાટ સંભળાતા હતા. એવામાં એક જણ એક મશાલ સળગાવી ચારેપાસ ફરી વળ્યો અને સૌનાં મોં તપાસી સુરસંગ પાસે આવ્યો એ તે નીચે બેઠો એટલે સૌ મંડળ બેસી ગયું. ચારપાંચ માણસો મશાલો સળગાવી સૌ મંડળની આસપાસ લક્ષ રાખતા ઊભા રહ્યા, અને ચાર માણસો વડની ચારે દિશા જોતા હાથમાં બંદૂકો રાખતા ઊભા રહ્યા, અને ચાર માણસો વડની ચારે દિશા જોતા હાથમાં બંદૂકો રાખી ઊભા. સર્વ માણસ મજબૂત બાંધાના હતા. કોઇ ઠીંગણા ગાંઠા જેવા, કોઇ લાંબા પહોળા, કોઇ એકલા ઊંચા પણ તરી આવતી નસોવાળા, પણ સર્વ શૂરવીર દેખાવાના હતા, અને જૂનાં તથા નવાં જુદી જુદી જાતનાં હથિયાર તેમના હાથમાં હતાં. સુરસંગની આસપાસ ચાર વૃદ્ધ અને બે જુવાન ગરાસિયા અને એક બ્રાહ્મણ એટલા કુંડાળું વળી બેઠાં.

“બાપા !” બે જુવાનમાંનો મોટો માથું ઊંચું કરી બોલ્યો : “હવે બુદ્ધિધન જખ મારે છે. એના દીકરાની વહુ ભદ્રેશ્વર જવા નીકળી છે અને અંબા સહાય તઇ તો આ જ વડ પાસે આપણા હાથમાં સવારે આવશે. પછી એ ધીરપુર પચાવી પડ્યો છે તે જીવતી માખ ગળ્યા જેવું થશે.”

બ્રાહ્મણ જરા પાસે આવ્યો અને બોલ્યો : “ઠાકોર ! પરતાપસંગ બાપુ બરાબર કહે છે, પણ મારું બ્રાહ્મણભાઇનું યે જરા સાંભળવું જોઇએ. એ બાઇને પકડ્યાથી બીજો શત્રુ થશે. રત્નનગરીવાળાને વેરી કરવાથી હાંસલ નહીં થાય. પછી તો તમે જાણો. અમે તો પશ્ચિમબુદ્ધિવાળા બ્રહ્મબંધુ.”

પ્રતાપસિંહનો નાનો પણ બુદ્ધિવાળો ભાઇ વાઘજી બોલ્યો : “ બાપા ! શંકરમહારાજ ઠીક કહે છે. વળી સ્ત્રી અને બાળક બેને હેરાન ન કરવાં એ આપણો નિયમ છે. તેથી તો આપણને બધી વસ્તીની મદદ છે તે પણ ભાઇના કહ્યા પ્રમાણે કર્યાથી બંધ થશે.”

પ્રતાપસિંહ ક્રોધમાં આવી બોલી ઊઠ્યો : “વાઘજી ! હજી તમે ખરો વિચાર કરી શકતા નથી. રાણા ખાચરને ભૂપસિંહ કરતાં વિદ્યાચતુર પર વધારે વેર છે. આ જ કારણથી સામંતમુળુને ખાચર આપણા કરતાં વધારે મદદ આપે છે. સામંતમુળુ અને આપણે એક થઇ જઇને તો ખાચરની મદદ વધારે થશે.’

વાઘજી પોતાના ભાઇના સામું ગૂંચવાડાભરેલી નજરથી જોઇ રહ્યો. મણિરાજ રત્નનગરીઓ રાજા હતો અને સામંતમુળુ એની સામે બહારવટે નીકળેલો હતો. કુમુદસુંદરી વિદ્યાચતુર દીકરી એટલે એને પકડવાથી સામંતમુળુ અને સુરસંગ બેનો સંબંધ ઘાડો ક્ષાય એ સ્પષ્ટ હતું. પરંતુ પ્રતાપની સૂચનાનું ખરું કારણ આ ન હતું. તે વિષયી હતો અને કુમુદને પકડવામાં પિતાનો સ્વાર્થ પૂરવા કરતાં પોતાની વાસના પૂરવાની ઇચ્છા તેને વધારે હતી. સુરસંગ વાઘજીનું મન સમજી ગયો, પરંતુ તેનો પોતાનો વિચાર કંઇ જુદો જ હતો.

સુરસંગ એ જડસિંહનો ભાયાત હતો પણ શઠરાયે એના કબજામાંથી ઘીરપુર લઇ લીધું અને સુરસંગને ન્યાયનું દ્ધાર ન જડવાથી બહારવટું લીધું હતું. ભૂપસિંહને અને સુરસંગને મૂળ સ્નેહ હતો અને ભૂપસિંહ ગાદી પર બેઠા પછી પોતાના ગરાસની આશા રાખી હતી. પરંતુ શઠરાય ભૂપસિંહ અને સુરસંગનો મેળાપ થવા ન દેતો. ભૂપસિંહને ખાનગી સંદેશો ગયે જ વર્ષે કહાવતાં સુરસંગને ઉત્તર મળ્યો હતો કે ‘તમે ધીરજી રાખો. હળવે હળવે સૌ થશે.’ આથી શાંત રહી સુરસંગે કંઇ તોફાન કર્યું ન હતું. ભૂપસિંહના મનમાં એવું હતું કે શઠરાયનો કારભાર બદલાયા પછી ન હતું. આ કામ કરવું. આ કારણ જાણતો ન હોવાથી સુરસંગ ધીરજ રાખી શક્યો નહિ અને શઠરાયના જ તરફથી સંદેશો આવતાં લૂંટફાટ કરવા મંડ્યો હતો. પણ તેના મનમાં એમ હતું કે આમ કરી ભૂપસિંહને ડરાવી બધી બાબતનો નિકાલ આપવો. કુમુદસુંદરીને પોતાના માણસો પાસે કેદ કરાવવી, પોતે છૂટા રહેવું, ઉપકાર કરતો હોય એમ બુદ્ધિધનને પાછી સોંપવી, અને એ ઉપકાર સંપૂર્ણ થઇ રહે તે પહેલાં બુદ્ધિધનને ઉપકારવશ તેમ જ ભીતિવશ રાખવો અને પોતાનું કામ કાઢી લેવું એવો તેના મનનો ખેલ હતો. પ્રતાપ તામસી વૃત્તિવાળો અને બાપની પરવા ન કરે એવો હતો. તેની ઇચ્છામાં હાલ દેખીતું વિઘ્ન પડશે તો તે વિવાહનું વરશી કરી બેસશે એમ પણ હતું. બે દીકરા શાંત રહે એવો માર્ગ તેણે શોધ્યો. તેણે બેની વાત ઉડાવી અને પાસે બેઠેલા વૃદ્ધોને પૂઠવા લાગ્યો :

“કહો ભીમજી, તમે શા સમાચાર આણ્યા ? ચંદનદાસ ! તમે પણ તમારી હકીકત બોલો.”

ભીમજી વૃદ્ધ ગરાસિયો હતો અને સુરસંગની સાથે નિઃશ્વાર્થી પ્રીતિને લીધે બહારવટે નીકળ્યો હતો અને સર્વ મંડળને અત્યંત વિશ્વાસનું પાત્ર હતો. રજપૂત લોહીના પ્રવાહને વૃદ્ધાવસ્થાએ કાંઇક શાંત કર્યો હતો અને અનુભવે તેમાં ડહાપણનો વટ ભેળવ્યો હતો. બહારવટિયા સુરસંગની એક ખાસ ટોળીનો તે નાયક હતો. રત્નનગરી અને સુવર્ણપુરની સીમ તેને સોંપી હતી. ચંદ્રકાંતના રથ ઉપર તેણે હુમલો કર્યો હતો અને તે બાબતના સમાચાર તેની પાસે હતા.

ચંદનદાસ એક વાણિયો હતો અને તે છતાં કદાવર લડવૈયો હતો. રજપૂતોના પરિચયથી તેમનો પટ તેને બેઠો હતો. જાતિગુણનો તેનામાં માત્ર એટલો જ અંશ હતો કે સામ, દામ અને ભેદથી કામ થાય ત્યાં સુધી દંડસાધન ઇચ્છતો ન હતો અને સ્વાર્થ વિના લડી પડવું એ તેની પ્રકૃતિ ન હતી.

સરસ્વતિચંદ્રને લઇને સુવર્ણપુરથી નીકળેલું ગાડું આંબા અને તાડનાં વન વચ્ચેના રસ્તાના આરંભ આગળ આવી પહોંચ્યું ત્યારે પાછળા પહોરના ત્રણ વાગવા આવ્યા હતા અને આંબાઓની ઘટામાં ચંદનદાસ બહારવટિયાઓનું એક ટોળું લઇ પડાવ નાખી રહ્યો હતો અને સંન્યાસીને વેશે સુવર્ણપુરની સ્થિતિ તપાસી આવતા સુરસંગની વાટ જોતો હતો. સુરસંગ જેલમાં જઇ શઠરાયને મળી આવ્યો હતો. ગરબડદાસ સાથે બારોબાર સંબંધ રાખવા ટપાલ ગોઠવી મૂકી હતી, સરસ્વતીચંદ્ર બુદ્ધિધનના ઘરનો માણસ છે એ તપાસ કરી હતી, રાણાના મહેલમાં પહેલી જ રાત્રે તે ગયો હતો એ ખબર મેળવી હતી, અને તેને પકડ્યાથી લાભ સમજી તેના ગાડા જોડે ચાલતો હતો.

આંબા અને તાડમાં વનના મુખ આગળ ગાડું આવ્યું અને ઉઘાડું મેદાન બંધ પડ્યું એટલે સુરસંગ ગાડાથી આગળ નીકળ્યો. ચંદનદાસ ઝાડીમાંથી બહાર આવ્યો અને સુરસંગે કરેલી સાન ઉપરથી ચેતી આઠેક હથિયારબંધ માણસો લઇ ગાડા ઉપર તૂટી પડ્યો. એક જણે તરવાર વડે જોતરાં કાપી બળદનો કબજો લઇ લીધો. ગાડાવાળો રાશ લઇ એક પાસ ઊભો અને ધ્રૂજતો ધ્રૂજતો કહેવા લાગ્યો : “બાપુ ! બ્રાહ્મણવાણિયા કાંઇ સામા થાય એવા નથી. અમસ્તી હત્યા ન કરશો. પાસે હશે તે આપશે અને કહેશો તે કરશે. હું તો મારે ગાડાવાળો છું.”

ગાડામાંથી વાણિયાને એક જણે ઊંચકી હેઠે નાખ્યો અને તે નીચે પડી પોકેપોક મૂકી રોવા લાગ્યો; જુવાન વાણિયણ ગભરાઇ ગઇ અને એક જણે નિશાની કરી તે પ્રમાણે પૈડાં ઉપરથી ઊતરતાં ઊતરતાં નીચે પડી ગઇ અને તેના શરીર પરથી દાગીના એક બે સરી પડ્યા તે લેવામાં બે જણ ગૂંથાયા. બાઇને ભોંય ભારે થઇ પડી-તેનાથી બોલાયું નહીં ચલાયું નહીં - અને આંખમાંથી માત્ર પાણી ખરખર ચાલ્યું. તેનું ભાન ખસી ગયું અને બોલવાનો પ્રયત્ન કરતી જીભ દાંત વચ્ચે અટકી. બિચારીની બોચી ઝાલી એક જણે તેને પકડી રાખી.

સૌમાં અનુભવી ડોસી નીકળી. એક નાનીસરકી પોટલીમાં થોડાક રૂપિયા રાખ્યા હતા તે પોટલી લૂગડામાં સંતાડવી કઠણ ન પડી. સામાન માત્ર ગાડામાં રહેવા દઇ હળવે રહી ડોસી બહાર નીકળી પડી અને છેટે ઊભી ઊભી બોલી : “ભા, આ હું તો મારે લૂગડાભેર ગાડા બહાર નીકળી. મારો સામાન બધો માંહ્ય છે. જોઇએ તે લઇ લો. બ્રાહ્મણી છું. તે તમારી પાસેથી માગવા લાયક છું. પછી તમને ખપે તે તમે લો.”

“હવે, બેસ બેસ, બુઢ્ઢી” કરી એક જણ તેને ધૉલ મારવા આવ્યો. ડોસી આઘી ખસી ગઇ અને ધૉલ ચુકાવી દયામણું મોં કરી બોલી : “ભા ! માર મારવી હોય તો, વર્ષે બે વર્ષે મોતનું મોં તો મારે છેસ્તો, તે એમ જાણીશ કે આજે જ આવ્યું. તને ય ઘડપણ આવજો, સૌ વરસનો થજે, ભા-મારા જેવો !” બહાવટિયો છક થઇ ગયો અને આઘો ખસી ડોસીને એમ ને એમ મૂકી, પણ દૃષ્ટિ તેના ભણી જ રાખી, ગાડા ભણી ગયો. “નાસવાનું કરીશ તો બીક છે. અહીં જ ઊભી રહીશ તો મને શું કરનાર છે ?” ગણી ડોસી ગાડા આગળનો તમાસો જોતી જોતી એક પથરા ઉપર રસ્તાની બાજુએ બેઠી.

સરસ્વતીચંદ્ર ગાડામાં પગથી માથા સુધી ધોતિયું ઓઢી સૂઇ ગયેલો હતો તે આ લોકોનો ગરબડાટ સાંભળી સફળો ઊઠ્યો અને વાણિયાને મુકાવા વિચાર થયો ન થયો એટલામાં તો બીજી પાસ વાણિયણની અવસ્થા જોઇ તે પાસ કૂદી પડ્યો. તેને સામો થતો જોઇ ચંદનદાસ અને તેના માણસ તેની આસપાસ વીંટાઇ વળ્યા. હથિયાર વિનાનો સુકુમાર પુરુષ આ લોકો સામે શું કરી શકે એમ હતું ? આખા દિવસનાં ધૂળ અને તાપ વચ્ચેના પ્રવાસથી તેના શરીરમાં તાવ ઉત્પન્ન થયો હતો. કુમુદસુંદરીના વિચારથી તેનું મસ્તિક (મગજ) ઊકળેલું હતુ.ં સ્વપ્નોથી ભરેલી પણ નિદ્રા ભોગવવાથી તે કાંઇક શાંત થયો હતો તે આ અણધાર્યા પ્રસંગથી બીજા વ્યાપારમાં ગૂંથાયો, અને નિદ્રા છૂટતાં અકસ્માત્‌ વાણિયણને બચાવવા કૂદી પડ્યો હતો. તેને પોતાની અશક્તિ અને શસ્ત્રહીનતાનું ભાન આવ્યું, તોપણ વાણિયણને હસ્તબળથી છોડવી અને એક હાથે તેને ઝાલી ભમ્મર ચડાવી હઠી ગયેલા બહારવટિયા સામું જોઇ રહ્યો. આ જોઇ સુરસંગ અત્યારસુધી છેટે ઊભો હતો તે હસતો હસતો આવ્યો અને કહેવા લાગ્યો :

“ચંદનદાસ ! આ ભવાઇ હવે જવા દે. આ બૈરાંને જવા દે અને મરદોને સાથે લઇ જા. ચંદરભાઇ ! હું તમને ઓળખું છું. જાઓ આમની સાથે.”

કોપાયમાન મુખવાળો પણ શું કરવું તે ન સમજનાર વિચારમાં પડેલો સરસ્વતીચંદ્ર બોલ્યો પણ નહીં, ખસ્યો પણ નહીં ; માત્ર સુરસંગ સામો દાંત પીસી ઊભો રહ્યો.

“ચંદરભાઇ ! તમને લૂંટવા નથી. હું તમને ઓળખું છું. મારે તમારું કામ છે. આમની સાથે જાઓ.”

સરસ્વતીચંદ્ર ન જ ખસ્યો. સુરસંગે પાછળથી આવતા ત્રણ સવાર દીઠા અને હોંકારો કર્યો. તેની આંખ ફરી ગઇ.

“જા ! જાય છે કે નહીં ? ચંદન, ખેંચી જા આ જુવાનને ! સખત જાપતો રાખજે ! એકદમ ચલાવ હથિયાર, ન માને તો. સાળી બ્રાહ્મણની જાત ! માર વગર માને જ નહીં ને !”

ચંદનદાસ અને તેના માણસોએ હાથ ઉગામ્યા અને સરસ્વતીચંદ્રને ખેંચી ગયા. ખેંચતા હતા તેવામાં પાછળના સવારો આવ્યા. તેમને આડી વાટે દોરવા સુરસંગ તેમની સાથે લડવા લાગ્યો અને સરસ્વતીચંદ્ર ખેંચતાણ કરતો પાછો નાસવા જતો હતો તેને ડાંગવતે ગોદો એવો માર્યો કે લોહીવાળો થઇ પડી ગયો. સવારોની દૃષ્ટિ તો સરસ્વતીચંદ્ર ભણી જ હતી. તેને ઘવાયેલો તથા બેભાન લઇને દોડનાર મંડળની પાછળ તેઓ પણ દોડ્યા. પગના નળામાં વાગવાથી ચાલવાને અશક્ત સુરસંગ ગાડામાં બેસી વડ તળે આવ્યો તે આપણને ખબર છે.

પણ સરસ્વતીચંદ્રનું શું થયું ? વડ તળે ચંદનદાસ આવ્યો ત્યારે તેના સાથમાં એ ન હતો. કુમુદસુંદરીએ મોકલેલા સવારો ત્રણ હતા પણ તેઓ શૂરવીર અને ઊંચી જાતનાં હથિયારો લઇ ઘોડે ચડેલા હતા અને પૂરવેગમાં બહારવટિયાઓની પાછળ દોડતા હતા. ચંદનદાસના માણસોની સંખ્યા વધારે હતી, પણ તેઓ સર્વ પાળા હતા, ત્રણ ત્રણ દિવસના અપવાસી હતા, તેમનાં હથિયારો સારાં ન હતાં, દસ દસ વર્ષના નિષ્ફળ બહારવટાથી કંટાળેલા હતાસ, અને માત્ર વટને ખાતર જ સુરસંગના પક્ષમાં ઘસડાતા હતા; તેમાં અત્યારે પાછળ આવા સવારો આવે અને બે માણસોને સાથે ખેંચી ચાલવું ભારે પડ્યું તેમ નિરર્થક અને પોતાને વાસ્તે હાનિકારક લાગ્યું. ચંદનદાસે પણ વણિગ્બુદ્ધિ ગ્રહી. આ મુસાફરોને પકડવામાં તેમની પાસે દ્રવ્ય હોય તો તે લૂંટવા સિવાય બીજો અર્થ સુરસંગના મનમાં હોય એવી તેને કલ્પના પણ ન થઇ, અને “આ માણસો તો ભિખારી છે-મૂકોને પડતા” એ વિચાર કરી, એક ઊંચા ઘાસવાળી જમીનમાં ઘાસ વચ્ચે તેમને સુવાડી દઇ પડતા મૂકી, પોતે ભાર વિનાનો થતાં સવારોની નજર ચુકાવી નાસી ગયો. સરસ્વતીચંદ્રને આમ પડતો મૂક્યો તેની સવારોને ખબર ન પડી અને થોડેક સુધી દોડી નિરાશ થઇ મનોહરપુરી ભણી વળ્યા.

ચંદનદાસે આ સર્વ સમાચાર વડે તળેની સભાના અધ્યક્ષ સુરસંગને બીતે બીતે કહ્યા. સુરસંગ માત્ર એટલું જ બોલ્યો : “ચંદનદાસ, ! તું ગમે તેવો શૂરવીર છે, પણ વાણિયો છે. રાજકાજનાં કામ સમજે પણ આખરે તારી નજર વેપારીની હશે. તેં તારા ગજા પ્રમાણે કર્યું. કામ સોંપતાં પહેલાં કામ કરનારનું ગજું જોવું અને તેનાથી કેટલું ઊપડી શકશે એ ક્યાસ કરી જોવો-એ રાજાનું કામ છે. તેં થયું કર્યું. તે તારો દોષ નહીં. દોષ મારે કે તને કામ સોંપ્યું. ખરી વાત. દસ દસ વર્ષ થયાં રાજા મટી ધાડપાડુનો ધંધો લઇ બેસનારમાં રાજબુદ્ધિ ક્યાંથી રહે ? જો બુદ્ધિ હોય તો તમારે જેવા શૂરવીર અને વટવાળા સાગરીતો સાથે હોવા છતાં શું શું બનવું ન જોઇએ ?” સુરસંગનું મોં લેવાઇ ગયું કારણ તેને મનથી હાથમાં આવેલું એક મોટું સાધન જતું રહ્યા જેવું થયું. “વારુ, ભીમજી ! તમારે પણ એવી જ કથા કરવાની છે કે કાંઇ બીજી ? ભા, ચડતાનું નસીબ ચડતું, ઊતરતું. બોલો, બોલો, જે હોય તે.” વૃદ્ધ ભીમજી આગળ આવી ભ્રૂકુટી ચડાવી તાકી જોઇ બોલ્યો : “સુરસંગ ! તારા બાપને આટલાથી તું હારી જાય છે ત્યારે હવે બીજું શું કરશે ? તારું કામ તો એ છે કે આ બધાંને હિંમત આપવી. ચાલ, ચાલ, આમ નબળા બોલ બોલતાં રજપૂતના દીકરાને શરમ નથી આવતી ? ઘોડે ચડે તે પડે. બીજાને કંઇ પડવાનું હતું ? આવા તારો શત્રુ શઠરાય તે આજ તારી મદદ માગે; કંઇ મારી માગે છે ? તારો બાપ કોણ ? તારી મા કોણ ? તારું કુળ કોણ ? તું કોણ ? જા, મારા ભા ! દસને ઠેકાણે પચાસ વર્ષ આવાંથાય ! જંગલમાં તો ખાવાનું યે મળે છે, પણ કઠણ પહાડની ખોમાં બે વરસ ભરાઇ રહેવું પડે, તેમાં શું થયું જે ? વાણિયાબ્રાહ્મણને કંઇ એમ થવાનું હતું ? રજપૂતનું રજપૂતપણું તરવાર મારવામાં ને તરવારના ઘા સહેવામાં જ પૂરું નથી થતું.રજપૂત ! રજપૂત બધી જા ઉપર ઘા કરે તેમ તેમ રજપૂતનું લોહી વધારે વધારે ઊકળે છે; તેનું લોહી વધારે વધારે બળવાળું થાય છે ! રજપૂતને તો પોતાની જ ચિંતા હોય છે, પણ રજપૂત રાજાને તો પારકી ચિંતા પણ હોય છે. બાપુ ! તું જુએ છે કની કે આ વાદળાં આખા વાદળને કાળુંબલક કરી મૂકે છે અને વરસવાને સાટે ગાજવીજ કરી મૂકે છે ત્યોર ઝાડીમાં અંધારી રાતે એકલું ઊભેલું પણ સાવજનું બચ્ચું ખીજી ખીજીને ફાળે ભરે ને સામું ગાજે છે ! સુરસંગ ! તું સાવજનું બચ્ચું છે-જ્યાં સુધી આ વાણિયાબ્રાહ્મણનો વેશ છોડી તારી જાત ઉપર-તારા કુળ ઉપર-નહીં આવે ત્યાં સુધી હું કંઇ તને સમાચાર કહેવાનો નથી. તારું મન આવુંથાય ત્યારે તો સૂરજ આથમણે ઊગવો જોઇએ-તને રજપૂત કોણ કહે ?-તારી સાથે બોલું તો ભ્રષ્ટ થાઉ. ઘરડો પણ રજપૂત છું. તારા બાપની, અને તું રજપૂત હતો ત્યારે તારી નોકરી કરી છે. ગાજી ઊઠ અને જણાવ કે હજી તું એ ને એ મારો શૂરો સુરસંગ છે. ત્યાં સુધી હું નહિ બોલું.”

આટલું બોલી ભીમજી એકદમ સુરસંગ ભણી પૂંઠ ફેરવી બેઠો.

“ભીમજીભા !” -સુરસંગ ડોસાને ખભે હાથ મૂકી તેને મનાવવા લાગ્યો.

“ભા યે નહીં ને બા યે નહીં. હું રજપૂતનો સગો છું-બીજાનો નહીં. બોલ કે સુરસંગ હજી નાહિંમત નથી થયો.”

સુરસંગ ભીમજીના સામો આવી ઊભો અને તેનો હાથ ઝાલી તેને ઉઠાડી ગાજી ઊઠ્યો : “ભીમજીભા ! ઊઠો, ઊઠો ! વાણિયા સાથે વાણિયાનો વેશ કાઢ્યો માટે હું વાણિયો થયો ન સમજશો. ચંદનદાસ ! તારામાં ઊકળતું લોહી ન હોય તો ખોલ તારી નસ ને મારી નસ ખોલી મારું લોહી થોડું લે. ખરું છે કે સેનાધીશ એ અંગમાં વસનાર આત્મા છે. સેનાધીશનું શૂરત્વ એ અંગને ઉકાળનાર અને કુદાવનાર લોહી છે ! એ લોહી મારામાં છે. ભૂપસિંહના વાયદા હવે હું સાંભળનાર નથી. તેનો કારભારી શઠરાય હો કે બુદ્ધિધન હો-મારે તેની સાથે શો સંબંધ છે ? ધીરપુર પાછું મેળવવું એ મારો પુરુષાર્થ છે. આ મારું મંડળ દસદસ વર્ષ થયાં રખડે છે. તેનો અંત હવે આવશે એવું મારો આત્મા મને કહે છે. કહો ભીમજીભા ! બીજી વાત પડતી મૂકી, હવે શું કરવું અને આપણું બળ ક્યાં અજમાવવું તે બતાવો. જુવાન લોહી લડે ખરું પણ માર્ગ ઘડપણ જ બતાવી શકે.”

ભીમજી સુરસંગનો ખભો થાબડતો ઊઠ્યો અને તેને આનંદથી ભેટી પડ્યો. જુદો પડી આખરે બોલ્યો. “શું કરવું ?” એ પ્રશ્નના ઉત્તરના વિચારે અનુભવી રજપૂતના લોહીને કંઇક ટાઢું પાડ્યું.

“ભા ! લડવું એટલે અમસ્તકાં બળતામાં કૂદી પડવું એમ નથી. રત્નનગરીથી કેટલાંક માણસ સુવર્ણપુર જતાં હતાં તેને સાંજે-બરોબર રોળીકોળીને સમે લૂટ્યાં છે. પણ બહારવટાું નસીબ પણ બહારવટે જ હોય. આ પેટીઓ સિવાય તે માણસો પાસે કાંઇ ન હતું. અને એ પેટીઓમાં તો આ સાહેબલોકશાહી લૂગડાંનાં ચીંથરાં અને આ કાગળિયાં છે. લૂંટેલાાં માણસ સામાન નાખી દઇ પાછાં ગયાં અને સામાનમાંથી આ નીકળ્યું ! જાણ્યું’તું કે પંદર દિવસનું ભાથું મળશે-પણ કાગળ ને કપડાં તે પણ એવાં કે વાણિયો વેચાતાં પણ ન લે ! મારી નજરમાં તો હવે એમ આવે છે કે આ હવાતિયાં મારવાનું આપણે છોડી દેવું. આપણું બળ એવું નથી કે દેશ લૂંટીનું રાજાને કાયર કરીએ. માણસો છે પણ પૈસા વગર પગમાં જોર ન હોય અને હથિયાર વગર હાથમાં જોર ન હોય. હવે આપણે જુદા રસ્તા પકડવા.

“હવે તો શઠરાયની મદદ મળે તે લેવી પણ એના પૈસા લૂંટ કરીને લેતા હતા તેને માટે એની ગરજે આપ્યા લેવા અને ખબર આપે તે સંભાળીને લઇ લેવી. ભૂપસિંહ ગમે તેટલા કૉલ આપે પંણ એ ગાદી પર બેઠો એટલે આપણાં અને એનાં પેટ જુદાં થયાં. હવે તો ગમે તો એકાદ રાત્રે શઠરાયની મદદથી રાણાના મહેલમાં જઇ તેની પાસેથી માગ્યું લેવું-પણ આ સાહસ હાજી કરવા જેવું નથી.

“મારી નજરમાં પ્રતાપબાપુએ બતાવેલો રસ્તો બહુ વાજબી લાગે છે. વાઘજી કહે છે તે ખરું છે પણ બુદ્ધિધનની ચોટલી આપણા હાથમાં આવી એટલે પછી એ ભૂતને ધુણાવવું હશે તેમ ક્યાં ધુણાવાતું નથી ? વિદ્યાચતુરથી પણ આપણું માગ્યું અપાવવામાં પછી કેમ પાછાં પડાશે ? એની દીકરી સારી રીતે જાળવજો એટલે છૂટવા પછી એ આપણું સારું જ બોલશે અને તેમ થશે એટલે દુશ્મનાઇનો અંત આવ્યો સમજવો.

“કેમ વાઘજીભા ! એમાં કાંઇ વાંધો છે ? બોલી જજો બધામાંથી જેને કાંઇ બીજી વાત સૂઝતી હોય તે. હા, પછી વખત નથી.”

વાઘજીએ ઉત્તર ન વાળ્યો. બીજું પણ મંડળ શાંત આતુરતાથી બેસી રહ્યું.

સુરસંગે ભીમજીના કાનમાં કહ્યું : “શઠરાય હાલ કામમાં લાગે એમ નથી એ મેં કાલ નક્કી કર્યું છે.”

ભીમજી મોટે સાદે કાનમાં કહ્યું : “ત્યારે તો ધાર્યું તે નક્કી કરવું જ. હવે વેળા વિતાડવી નહીં.”

સુરસંગ ટટ્ટાર થયો, છાતી કાઢી અને તેની સાથે બધું મંડળ ઊઠ્યું. સુરસંગે બૂમ મારી કહ્યું : “મોટા મળસકામાં આ તાડો વચ્ચે સુભદ્રાનદીની આણી પાર આપણે મળવું-ભીમજી! તપે નદીીના કોતરોમાં રહેજો. ચંદનદાસ ! તારે બે વન વચ્ચેના રસ્તા પર ફરવું અને માણસો એક જણને ઢોલ આપી બેસાડવો અને તેની ઢોલ બોલાવે તે પ્રમાણે બધાએ ચાલવું. પરતાપ ! તું રસ્તાની પેલી બાજુએ આંબાના વનમાં રહેજે ને વખત પડ્યે અવાજ. વાઘજી ! તું આ વડની બાજુ સાચવજે. હું ચારેપાસ ફરતો રહીશ. સૌએ પોતપોતાનાં માણસ લઇ છૂટાંછૂટાં ફરવું અને વખત આવ્યે ભેળા થવું - હવે શંકર સહાય થશે અને આટલાં વરસનાં દુઃખનો છેડો આવશે એ નક્કી.

“ચંદનદાસ ! હું આખો દિવસ સુવર્ણપુરમાં જ હતો. આપણું ધાર્યું થશે. એ લોકના સાથમાં માત્ર રત્નનગરીના દસેક સવાર જ છે. પણ ફેર એટલો જ છે કે આપણે ચીંથરેહાલ છીએ અને તે લોકો સારા સરંજામવાળા છે. બુદ્ધિધનનાં પણ માણસ હશે માટે સંભાળીને ચાલવું, જો કાલે લાગ ન ફાવ્યો તો જન્મારો ન ફાવ્યો સમજવો-પછી ધીરરપુરની આશા મૂકવી. મારા શૂરાઓ ! મારા આટઆટલા વખત થયાં સુખદુઃખના સાથીઓ ! મારી સાથે તમે ઝાડોમાં ને જંગલોમાં આથડ્યાં છો; મારે માટે તમે કાંટાઓમાં ચાલ્યા છો અને નદીના કાદવમાં કળતા કળતા લડ્યા છો, આ ઉઘાડા આકાશ તળે શિયાળાઉનાળાના ટાઢતડકા ખમવામાં કસર નથી રાખી. ઉપર વરસાદ મૂસળધાર અને નીચે કીચડકાદવ તેમાં તમે ભમ્યા છો. સાવજની ગર્જના સાંભળી કંપ્યા નથી અને તેના ભયંકર પંજાને તમારાં બાળકો વસ થયાં છે. પંદરપંદર દિવસ ભૂખે રહ્યા છો અને વગર દુકાળે દુકાળ વેઢ્યો છે. નહીં ઘરના, નહીં બહારના; નહીં સ્ત્રીના-નહી માબાપના-એમ આટલાં વર્ષ કાઢ્યાં છે તેનો બદલો હું શી રીતે વાળનાર હતો ? પણ એ બધી દશામાંથી છૂટવાનો વખત આવ્યો છે, તે કોણ નથી સમજતું ? આટલું કર્યું તો હવે એટલું જ વધારે કરો કે એક પળમાં શત્રુ વશ થાય અને તમને સુખ આપવાનો મારો વારો આવે ! જે અંબે ! જોગણી માયા ! આજ તારે અમારી ઓથ કર્યા વિના ચાલે એમ નથી. જોગણી ! અંબા ! ભવાની ! બોલો જે !”

“અંબે માતકી જે”... ચારેપાસ બૂમ ઊઠી અને અંધકાર વીંધાઇ કંપવા લાગ્યો.

આ બૂમની સાથે સર્વ મંડળ હર્ષવાર્તાનો ગણગણાટ કરતું બહાર નીકળ્યું અને ચારેપાસ વેરાઇ ગયું. મનોહરપુરીની ગરીબ અજ્ઞાની વસ્તી ઘણી વખત આ મંડળને અહીં મશાલો સાથે મળતું ને હોંકાર કરતું જોતી, પણ જૂના કાળમાં પોતાની નગરીની કોઇ સેના આ ભૂતાવળીરૂપે મળતી હશે એમ વાતો કરી અદ્‌ભુત આશ્ચર્ય પામતી. આ કારણથી આ બહારવટિયા ભૂતાવળીમાં લેખાતા અને તેઓ જ ત્યાં મળતા હશે એવી કોઇને શંકા થતી ન હતી.

થોડી વારમાં વડ તળે અંધકારનોતંબૂ હતો તેવો પાછો પથરાઇ ગયો. માત્ર વાઘજી અને શંકર મહારાજ અંધકારમાં ભૂત પેઠે ઊભા રહ્યા.

“વાઘજીબાપુ ! ભાઇની યુક્તિ ફાવી. કુમુદસુંદરીથી એમની દાઢ સળકી રહી છે તે બાપા જાણતા નથી.”

“શંકર ! એ હું સમજ્યો છું. મારાથી ધિંગાણાને ઠેકાણે હવે નહીં જવાય-નીકર હું સંભાળી લેત. હશે. પણ હવે તો સોંપ્યું કામ કરવું. તું જા. હું બાપાને મળું છું.” વાઘજી ગયો.

“બુદ્ધિધનભાઇ, આ લોક હજી તમને ઓળખતા નથી. પણ હું અત્યારે જઇ કુમુદસુંદરીના સાથને મળું છું. આ લોક ઉદારતા નહીં ચાખેશિક્ષા ચાખશે-ઠીક, એ તો ઉપાય સૂઝયો જ !” અંધકારમાં હરણની પેઠે ફલંગો ભરતો રસ્તાનો ભોમિયો શૂર બ્રાહ્મણ ચાલ્યો.

ઝાડ ઉપરથી કોઇક હળવે રહીને ઊતર્યું.