Kasumbino Rang - Sampadit Bhajano books and stories free download online pdf in Gujarati

Kasumbino Rang - Sampadit Bhajano


કસુંબીનો રંગ

(સંપાદિત ભજનો)

ઝવેરચંદ મેઘાણી



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમ

સંપાદિત ભજનો

•અજરા કાંઈ જર્યા નહીં જાય

•અવળાં શીદને સંતાપો રે, શીદને રંઝાડો રે

•એ જી, તમે મારી સેવાના શાલીગરામ!

•એ જી, મનષા માયલી જી રે

•કલેજા કટારી રે

•કાયાના ઘડનારાને ઓળખો રે

•કે’જો સંદેશો ઓધા કાનને રે

•ગુરુ! તારો પાર ન આયો

•છયેં રે દુખિયાં, અમે નથી સુખિયાં

•જી રે લાખા! મૂળ રે વચનનો મહિમા બહુ મોટો જી

•જેને દીઠે નેણલાં ઠરે

•જેસલ, કરી લે વિચાર

•નાથ નિરંજન ધારી રે અલખ તારી, ભાઈ, રચના ન્યારી ન્યારી

•પાપ તારાં પરકાશ, જાડેજા!

•બાણ તો લાગ્યાં જેને

•બેની! મુંને ભીતર સતગરુ મળિયા રે

•૯પ. ભાળેલ રે બાયું! દેખેલ રે બેની!

•૯૬. ભૂલ્યો રે ભૂલ્યો રે રાજા ગોપીચંદણ

•૯૭. મન માંયલાની ખબરું લાવે રે

•મારે પૂરવની છે પ્રીત્યું રે

•મેરુ રે ડગે ને જેનાં મન નો ડગે

•મેં તો સધ રે જાણીને તમને સેવિયા

•મૈયા મારો મનવો હુવો રે વિરાગી

•મોર તું તો અવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો રે

•રોઈ રોઈ કેને સંભળાવું રે

•લાવો લાવો કાગળ ને દોત, લખીએં હરિને રે

•વચન વિવેકી જે નરનારી, પાનબાઈ

•વનમાં તે મેલી મુંને એકલી રે, વણઝારા!

•વાગે ભડાકા ભારી ભજનના

•વીજળીને ચમકારે મોતી પરોવવું, પાનબાઈ!

•વેરાગનાં વછોયાં રે, ભવે ભેળાં નૈ મળે રે

•શીલવંત સાધુને વારેવારે નમીએ, પાનબાઈ!

•સાંયા! મેં તો પકડી આંબલિયાની ડાળ રે

જીવન ઝાંખી

સંપાદિત ભજનો

(ભજન-સમારંભનો પ્રારંભ સાખીથી થાય છે)

સદા ભવાની! સા’ય રો, સનમુખ રહો ગણેશ!

પંચ દેવ રક્ષા કરો, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ.

દૂંદાળો દુઃખભંજણો, સદાય બાળે વેશ,

પરથમ પે’લો સમરિર્યે, ગવરીનંદ ગણેશ.

ગવરીઃ તમારા પુત્રને, મધુરા સમરે મોર,

દી’એ સમરે વાણિયા, રાતે સમરે ચોર.

અઘોર નગારાં તારાં વાગે

અઘોર નગારાં તારાં વાગે

ગરનારી વેલા! અઘોર નગારાં તરાં વાગે!

ભવે રે સરમાં દાતણ રોપ્યાં રે

ચોય દશ વડલો બિરાજે. - ગરનારી.

ગોમુખી ગંગા ભીમકંડ ભરિયા

પરચે પાણીડાં પોંચાડે - ગરનારી.

ચોસઠ જોગણી બાવન વીર રે

હોકાર્યો મોઢાં આગળ હાલે રે - ગરનારી.

વેલનાથ ચરખે બોલ્યા રામૈયો ધાણી

ગરનારી ગરવે બિરાજે. - ગરનારી.

રામૈયો

થોડે થોડે પિયો!

અજરા કાંઈ જ્યાં નહીં જાય.

એ જી વીરા મારા ! અજરા કાંઈ જ્યાં જહીં જાય.

થોડે થોડે સાધ પિયોને હાં.

તન ઘોડો મન અસવાર.

તમે જરણાંનાં જીન ધરોને જી.

શીલ બરછી સત હથિયાર,

તમે માયલાસે જુદ્ધ કરોને હાં.

કળીયુગ કાંટા કેરી વાડ્ય,

તમે જોઈ જોઈને પાંઉ ધરોને હાં.

ચડવું મેર અસમાન,

ત્યાં આડા અવળા વાંક ઘણાં છે હાં.

બોલિયો કાંઈ ધ્રુવ ને પ્રેહલાદ

તમે અજંપાના જાપ જપોને હાં

શીદને સંતાપો રે!

અવળાં શીદને સંતાપો રે, શીદને રંઝાડો રે,

સઘળું કુટુંબ મળીને.

મારે છે કાંઈ હાં....સાંઈને સમર્યાનું રે હેત,

મારે છે કાંઈ હાં... હરિને ભજ્યાનું હેત. - અવળાં.

ઘરણાં વગોણાં રે મારે મન અતિ ઘણાં રે,

તેમાં તમો કડવાં મ બોલોને વેણ. - અવળાં.

કાચી છે હે કાયા રે કુંપો વીરા કાચનો રે,

તેને તો કાંઈ ફૂટતાં નહીં લાગે વાર. - અવળાં.

ઝેરના પિયાલા રે સિકંદર સુમરો મોકલે રે,

પી લે પી લે હેતેથી તું એલા દાસ. - અવળાં.

ઝેરના પિયાલા રે હોથી સુમરો પી ગયા રે,

આવ્યા છે કાંઈ અમી તણા ઓડકાર. - અવળાં.

મોરારને વચને રે હોથી સુમરો બોલિયા રે,

દેજો દેજો સંતુના ચરણુંમાં વાસ. - અવળાં.

હોથી

એ જી તમે મારી સેવાના શાલીગરામ!

એ જી તમે મારી સેવાના શાલીગરામ!

મીરાં, તમે ઘેર જાવને!

તમે રે રાજાની કુંવરી ને અમે છૈયેં જાતના ચમાર,

જાણશે તો મેવાડો કોપશે ને ચિત્રોડો ચોંપે દેશે ગાળ,

મીરાં, તમે ઘેર જાવને!

કાશી રે નગરના ચોકમાં રે ગુરુ મને મળ્યા રોઈદાસ,

મીરાં, તમે ઘેર જાવને!

રોઈદાસ

એ જી, મનષા માયલી જી રે

એ જી, મનષા માયલી જી રે,

ગોરખ, જાગતા નર સેવીર્યે.

જાગતના નર સેવીયેં

તુંને મળે નિરંજન દેવ. - મનષા.

પથર પૂંજ્યે હર મિલે તો

મેં બી પૂજું પ્હા’ડ જી

ઓહી પ્હા’ડકી ચકી બનત હૈ

પીસ પીસ જગ ખાત. - મનષા.

માલણ લાવી ફૂલડાં એ

ધર્યાં હરિની પાસ જી

એ દેવમાં જો સાચ હોય તો

કેમ ન આવે વાસ. - મનષા.

ગોરખનાથ

કલેજા-કટારી

કલેજા કટરી રે

રુદિયા કટારી રે

માડી! મુંને માવે લૈને મારી.

વાંભું૧ ભરી મુજને મારી,

વાલે મારે બહુ બળકારી,

હાથુંની હલાવી રે. - માડી! મુંને.

કટારીનો ઘા છે ભારી,

પાટા બાંધું વારી વારી,

વૈદ ગિયા હારી રે. - માડી! મુંને.

કટારીની વેદના ભારી,

ઘડીક ઘરમાં ને બા’રી;

મીટ્યુંમાં મોરારી રે. - માડી! મુંને.

દાસ જીવણ ભીમને ભાળી;

વારણાં લીધાં વાળી વાળી;

દાસીને દીવાથી રે-

માડી- મુંને માવે લૈને મારી.

દાસી જીવણ

પવન-ચરખો

કાયાના ઘડનારાને ઓળખો રે

રામ! અભિયાગતને નરખો રે

રામજીને બનાયા પવન-ચરખો.

જિયાં જુઓ તિયાં સરખો

રે રામ સરખો.

દેવળ દેવળ દેવે હોંકારા

પારખુ હોઈ નર પરખો રે

રામજીને બનાયા પવન-ચરખો.

ધૂડના ઢગામાંય જી, જીવો રામજી,

જ્યોત જલત હૈ;

અંધા મટ્યો કાલા દલ કો

રામ દલ કો.

એને અજવાળે રામ અગમ ન સૂઝ્‌યો તેને

ભેદ મળ્યો નૈ એના ઘરકો

રામજીને બનાયા પવન-ચરખો.

પાંચ તતવ કેરા જી, જીવો રામ જી,

સંઘ ચલાય જી

એકેક દોય દોય નરખો.

પવન પૂતળી રમે ગગનમાં

નૂરતે સૂરતે નરખે-ચરખો.

કે’ રવિ સાબ સંતો સદ્‌ગુરુ સાચા

મેં ગુલામ એના ઘરકો,

આ રે કાયાનો તમે ગરવ ન રાખજો!

ચરખો નહીં આ તો સરખો

રામજીને બનાયા પવન-ચરખો.

રવિ સાહેબ

સંદેશ

કે’જો સંદેશો ઓધા કાનને રે

તમે છો માયલા ઓધાર રે. - કે’જો.

રત્યું પાલટીયું વન કોળિયાં રે

બોલે બાપૈયા ઝીણા મરો રે

પિયુ! પિયુ! શબદ સુણાવતાં

હૈયું રિયલ નૈ મારું ઠોર રે. - કે’જો.

આપે કાળા ને વળી કૂબજા રે

જોતાં મળી છે એને જોડ રે

તાળી દૈને તરછોડિયાં રે

તુંને ઘટે નૈ રણછોડ રે. - કેજો.

આવું જો જાણું તો જાવા દેત નૈ

રાખત ગોકળિયા મોજાર રે

મુવલને નવ મારીએં રે

મોહન મનથી વિચાર રે. - કે’જો.

એટલી અરજ વ્રજ-નારની

વાંચીને કરજો વિચાર રે,

દરશન દેજો દેજો દેવીદાસને

હરિવર રે’જો પાસ રે. - કે’જો.

ઓળખો

ગુરૂ! તારો પાર ન પાયો

એ જી! તારો પાર ન પાયો

પૃથવીના માલિક! તારો જી-હો-જી.

હાં રે હાં! ગરવીનો નંદ ગણેશ સમરીએ જી-હો-જી.

એજી! સમરું શારદા માત

એ વારી! વારી! વારી!

અખંડ ગુરુજીને ઓળખો જી-હો-જી.

હાં રે હાં! જમીં આસમાન બાવે મૂળ વિના માંડ્યાં. જી-હો-જી.

એ જી, થંભ વિણ આભ ઠેરાયો

એ વારી! વારી! વારી! -

અખંડ ગુરુજીને ઓળખો જી-હો-જી.

હાં રે હાં! ગગન-મંડળમાં ગૌધેન વ્યાણી જી-હો-જી.

એ જી! માખણ વિરલે પાયો

એ વારી! વારી! વારી!

અખંડ ગુરુજીને ઓળખો જી-હો-જી.

હાં રે હાં સુન રે શિખર પર અલખ અખેડા જી-હો-જી.

એ જી વરસે નૂર સવાયો

એ વારી! વારી! વારી!

અખંડ ગુરુજીને ઓળખો જી-હો-જી.

ગગન-મંડળમાં બે બાળક ખેલે જી-હો-જી.

એ જી બાળકનો રૂપ સવાયો

એ વારી! વારી! વારી!

અખંડ ગુરુજીને ઓળખો જી-હો-જી.

શંભુજીનો ચેલો પંડિત દેવાયત બોલિયા જી-હો-જી.

એ જી સાધુડાંનો બેડલો સવાયો

એ વારી! વારી! વારી!

અખંડ ગુરુજીને ઓળખો જી-હો-જી.

દેવાયત પંડિત

દાઝેલ દેહનાં દુઃખિયાં

છયેં રે દુખિયાં, અમે નથી સુખિયાં

મારો દાઝલ દેયુંના અમે છયેં દુઃખિયાં

વાને વંટોળે અમે રે આવી ભરાણાં વા’લા!

સામા કાંઠાનાં અમે છયેં પંખિયાં - મારી.

છીછરા જળમાં અમે રે જીવી ન શકીએ વા’લા!

ઉંડા રે જળનાં અમે છયેં મછિયાં. - મારી.

પરદેશી સાથે અમને પ્રીત બંધાણી વા’લા!

નિરખી નિરખીને મોરી ફૂટી અંખિયાં.- મોરી.

બાઈ મીરાં કે’છે પ્રભુ ગિરધરના ગુણ વા’લા!

ચરણુંમાં રાખો તો અમે થાયેં સુખિયાં

મોરી દાઝલ દેયુંનાં અમે છયેં દુઃખિયાં.

મૂળ વચન

ઉપર જેને ‘શબદ’ કહેલ છે તેને સોરઠની સ્ત્રીસંત લોયણ, પોતાના શિષ્ય લાખાને પ્રબોધતાં ‘મૂળ વચન કહીને ગાય છે.’

જી રે લાખા! મૂળ રે વચનનો મહિમા બહુ મોટો જી

એને સંત વિરલા જાણે હાં!

જી રે લાખા! વચન થકી જે કોઈ અધૂરા જી

તે તો પ્રેમરસને શું માણે હાં!

જી રે લાખા! વચન થકી બ્રહ્માએ સૃષ્ટિ રચાવી જી

વચને પૃથવી ઠેરાણી હાં.

જી રે લાખા! ચૌદ લોકમાં વચન રમે છે જી

તેને જાણે પુરુષ પુરાણી હાં.

જી રે લાખા! એવા રે વચનની જેને પરતીત આવે જી

એ તો કદી ચોરાશી ન જાવે હાં.

જી રે લાખા! વચનના કબજામાં જે કોઈ વસે જી

એની સૂરતા શુનમાં સમાવે હાં.

જી રે લાખા! એ રે વચન શિરને સાટે જી

એ ઓછા માણસનતે ન કહેવું હાં.

જી રે લાખા! સદ્‌ગુરુ આગળ શીષ નમાવી જી

એના હુકમમાં હંમેશાં રે’વું હાં.

જી રે લાખા! આદ ને અનાદમાં વચન છે મોટું જી

એને જાણે વિવેકી પૂરા હા.

જી રે લાખા! શેલણશીની ચેલી લોયણ બોલિયાં જી

એને નેણે વરસે નૂરા હાં!

લોયણ

જેને દીઠે નેણલાં ઠરે

જેને દીઠે નેણાલાં ઠરે

બાયું! અમને એડા એડા સંત મળે.

ઉરમાંથી એક બુંદ પડે નૈ,

ભગત નામ નવ ધરે;

નરક છોડાવીને ન્યારા રે’વે

અમર લોકને વરે. - બાયું.

ચાલતાં નર ધરતી ન દુવે,

પાપ થકી બહુ ડરે;

શબ્દે વિવેકી ને ચાલે સુલક્ષણા

પૂછી પૂછીને પાઉં ધરે. - બાયું.

ત્રિગુણ પૂતળી રમે સુનમાં,

અનઘડ ઘાટ જ ઘડે;

ગુરુજીના શબ્દો એવા છે ભાઈ,

ખોજે તેને ખબરું પડે. - બાયું.

કાયાવડાીનો એક ભરમલો,

સંધ્યાએ ઓથ ધરે;

આરે સંસારમાં સંત સુહાગી,

બેઠા બેઠા ભજન કરે. - બાયું.

વર્ષાઋતુનો એક હિમ-પોપટો,

નીર ભેળાં નીર ભળે;

લખમાના સ્વામીની સંગે રમતાં

સ્વાતિનાં બિન્દુ ઠરે,

બાયું! અમને એડા એડા સંત મળે.

લખમો માળી

જેસલ, કરી લે વિચાર

તોળલ નામનાં સ્ત્રી-સંતે, લૂંટારા જેસલ જાડેજાની સાથે જઈ તેનો મદ ગાળી નાખી, તેને માનવ-જીવનનું રહસ્ય સમજાવ્યું છે.

જેસલ, કરી લે વિચાર

માથે જમ કેરો માર

સપના જેવો છે સંસાર

તોળી રાણી કરે છે પોકાર

આવો જેસલરાય!

આપણ પ્રેમ થકી મળીએં જી

પૂરા સંત હોય ત્યાં જઈ ભળીએ જી!

આવ્યો અમુલખ અવતાર

માથે સતગુરુ ધાર

જાવું ધણીને દુવાર

કાયા બેડી ઉતારે ભવપાર

આવોન જેસલરાય. - આપણ.

ગુરુના ગુણનો નહીં પાર

ભગતી છે ખાંડાની ધાર

નુગરા ક્યા જાણે સંસાર

એનો એળે જાય અવતાર

આવોને જેસલરાય. -આપણ.

જીવની ગતિ જીવની પાસ

જેવી કસ્તૂરીમાં વાસ

ધણી તારા નામનો વિશ્વાસ

સેવકોની પૂરો હવે આશ

આવોને જેસલરાય. - આપણ.

છીપું સમુદરમાં થાય

તેનીયું સફળ કમાઈ

સ્વાતના મેહુલા વરસાય

ત્યારે સાચાં મોતીડાં બંધાય

આવોને જેસલરાય. - આપણ.

મોતીડાં એરણમાં ઓરાય

માથે ઘણ કેરા થાય

ફૂટે તે ફટકિયાં કે’વાય

ખરાની ખળે ખબરું થાય

આવોને જેસલરાય. - આપણ.

ચાંદો સૂરજ વસે છે આકાશ

નવલખ તારા તેની પાસ

પવન પાણી ને પરકાશ

સૌ લોક કરે તેની આશ

આવોને જેસલરાય. - આપણ.

નવ લાખ કોથળિયું બંધાય

તે તો ગાંધીડો કે’વાય

હીરામાણેક હાટોડે વેચાય

તે દી એનાં મૂલ મોંઘાં થાય

આવોને જેસલરાય. - આપણ.

નત્ય નત્ય ઉઠી નાવા જાય

કોયલા ઉજળા ન થાય

ગુણિકાને બેટડો જો થાય

બાપ કેને કે’વાને જાય

આવોને જેસલરાય. - આપણ.

પ્રેમના પાટ પ્રેમના થાટ

ઝળહળ જ્યોતુંના ઝળળાટ

આગળ નમણ્યું જ્યાં થાય

આવોને જેસલરાય. - આપણ.

૧મનની માંડવીયું રોપાય

તન કેરા પડદા બંધાય

જતિસતી મળી ભેળાં થાય

સતીયુંના પંજા જ્યાં મેળાય

આવોને જેસલરાય. - આપણ.

દેખાદેખી કરો તે મત ભાઈ!

હાથમાં દીવડિયો દરશાય

અંતરે અંજવાળા થાય

ચાર જુગની વાણી તોરલ ગાય.

આવોને જેસલરાય. - આપણ.

તોરલ

આ દેહમાં બેઠા

નાથ નિરંજન ધારી રે અલખ તારી, ભાઈ, રચના ન્યારી ન્યારી,

આ દેવમાં મારો સતગુરુ બેઠા. - નાથ નિરંજનધારી.

નાવે ધોવે ને કરે ચતુરાઈ, ચોકા કરે ઓલા બ્રહ્મચારી,

જગતમુક્તિનો ભેદ ન જાણે, પાખંડ પૂજે સંસારી;

આ દેવમાં મારો સતગુરુ બેઠા. - નાથ.

મન મારીને સુરતા લગાઈ લે, કરો ગુરુજી સેં યારી,

ભૂલેલ નરને જ્ઞાન બતાવે, અધર હાલે અહંકારી;

આ દેહમાં મારો સતગુરુ બેઠા. - નાથ.

આ કાયામાં પાંચ ચોર વસે, પાંચેની સુરતા હે નારી,

પાંચ પકડ કે એક કરો તો હો જાવે હીરલા હજારી;

આ દેહમાં મારો સતગુરુ બેઠા. - નાથ.

બિનરાબનકી કુંજગલીમેં વાલો ખેલે ખેલ હજારી,

કહે ગુરુપદ તમે સુનોને વિનંતિ, પાર ઉતરે સંસારી;

આ દેહમાં મારો સતગુરુ બેઠા. - નાથ.

કાળથી ડર્યો

પાપ તારાં પરકાશ, જાડેજા!

ધરમ તારો સંભાળ જી;

તારી બેડલીને બૂડવા નહીં દઉં

તારી નાવડીને ડૂબવા નહીં દઉં

જાડેજા રે... એમ તોળલ કે’ છે જી.

હરણ હણ્યાં લખ ચાર તોળી રાણી!

હરણ હણ્યાં લખ ચાર જી,

વનના મોરલા મારિયા,

મેં તો વનના મોરલા મારિયા,

તોળાંદે રે... એમ જેસલ કે’છે જી. - પાપ તારાં.

ફોડી સરોવર પાળ, તોળી રાણી

ફોડી સરોવર પાળ જી!

ગોંદરેથી ગૌધણ વાળિયાં

મેં તો ગોંદરેથી ગૌધણ વાળિયાં

તોળાંદે રે...એમ જેસલ કે’છે જી. - પાપ તારાં.

લૂંટી કુંવારી જાન તોળી રાણી!

લૂંટી કુંવારી જાન જી,

સાત વીસ મોડબંધા મારિયા

મેં તો સાત વીર મોડબંધા મારિયા,

તોળાંદે રે...એમ જેસલ કે’છે જી. - પાપ તારાં.

જતા મથેજા વાળ તોળી રાણી!

જતા મથેજા વાળ જી

એટલા અવગણ મેં કર્યા

એટલા અવગણ મેં કર્યા

તોળાંદે રે...એમ જેસલ કે’છે જી. - પાપ તારાં.

પુણ્યે પાપ ઠેલાય જાડેજા!

પુણ્યે પાપ ઠેલાયજી.

તારી બેડલીને બૂડવા નહીં દઉં

તારી નાવડીને ડૂબવા નહીં દઉં

જાડેજા રે...એમ તોળલ કે’છે જી. - પાપ તારાં.

તોરલ

જેને લાગ્યાં શબદુંનાં બાણ

શબ્દનાં, એટલે કે ભક્તિનાં બાણ જેને વાગ્યાં હોય તેની મનોવસ્થા કેવી બની જાય? રવિ સાબેહ નામના સંત કહે છે કે -

કેબાણ

તો લાગ્યાં જેને

પ્રાણ રે વિંધાણા એનાં

નેણાંમાં ઘૂરે રે નિશાણ

જીવો જેને લાગ્યાં ભજનુંનાં બાણ,

જીવો જેને લાગ્યાં ભજનુંનાં બાણ.

પરતિવંતા જેના પિયુ પરદેશમાં

એને કેમ રે જંપે વ્રેહની ઝાળ;

નાથ રે વિનાની એને નિંદરા નો આવે ત્યારે

સેજલડી સૂનકાર. - જીવો જેને.

હંસ રે સાયરિયાને સનેહ ઘણેરો રે

મીનથી વછોયા રે મેરાણ.

થોડા થોડા જળમાં એના પ્રાણ તો ઠેરાણા તે

પ્રીતું કરવાનાં પરમાણ. - જીવો જેને.

દીપક દેખીને અંગડાં મરોડે તો

પતંગિયાંનાં પરમાણ,

કે’ રવિસાબ સંતો ભાણને પરતાપે

સપના જેવો છે સંસાર. - જીવો જેને.

રવિસાહેબ

ભીતર સદગુરુ મળિયા

બેની! મુંને ભીતર સતગુરુ મળિયા રે.

વરતાણી આનંદલીલા : મારી બાયું રે,

બેની! મુંને ભીતર સતગુરુ મળિયા રે.

કોટિક ભાણ ઉગિયા દિલ ભીતર

ભોમ સઘળી ભાળી;

સૂન-મંડળમાં મારો શ્યામ બિરાજે,

ત્રિકોટીમેં લાગી મુંને તાળી : મારી બાયું રે.

ઘડી ઘડીનાં ઘડિયાળાં વાગે

છત્રીશે રાગ શીની,

ઝળકત મો’લને ઝરૂખે જાળિયાં

ઝાલરી વાગી ઝીણી ઝીણી : મારી બાયું રે.

- બેની મુંને.

બાવન બજારું ચોરાશી ચોવટા,

કંચનના મોલ કીના,

ઈ મોલમાં મારો સતગુરુ બિરાજે,

દોય કર આસન દીના : મારી બાયું રે.

- બેની મુંને.

સત નામનો સંતાર લીધો,

અને ગુણ તખત પર ગાયો;

કરમણ ચરણે લખીરામ બોલ્યા,

ગુરુજીએ લુપત પિયાલો અમને પાયોઃ મારી બાયું રે.

- બેની મુંને.

લખીરામ

ગારુડી

ભાળેલ રે બાયું! દેખેલ રે બેની!

ગોકુળ ગામડાનો ગારડી રે, કાન કોયેં!

કાનુડો બતાવે એને નવનધ્ય આલું બેની!

આલું મારા હૈયા કેરી હારડી રેઃ કાન કોયેં - ભાળેલ રે બેની!.

ટચલી આંગળીએ વા’લે ગોરધન તોળ્યો વા’લા!

ગૌધન ગાવડી ઉગારડી રેઃ કાન કોયેં - ભાળેલ રે બેની!

કાળીનાગનાં કરડ્યાં, બેની! કોઈ નવ ઉગરે વા’લા,

ઝીણી આવે મુને લેરડી રે૧ઃ કાન કોયે - ભાળેલ રે બેની!

પતાળે પેસીને વા’લે કાળીનાગ નાથ્યો બેની!

ઉપર કીધી છે અસવારડી રેઃ કાન કોયે - ભાળેલ રે બેની!

બાઈ મીરાં કે’છે પ્રભુ ગિરધરના ગુણ વા’લા,

તમને ભજીને થૈ છું ન્યાલડી રે : કાન કોયેં - ભાળેલ રે બેની!

મીરા

ભૂલ્યો રે ભૂલ્યો

ભૂલ્યો રે ભૂલ્યો રે રાજા ગોપીચંદણ

પિયા પરદેશે ન જાનાં એ જી.

એ રે સેજડિયે અમને નીંદરા ન આવે રે

સૂતાં સેજડિયે અમને નીંદરા ન આવે રે

મારે મન રાજ ન ભાવે હો જી.

શાને રે કારણિયે રાજા મુંડ રે મુંડાવીને

શાને કારણ પે’રી કંથા હો જી?

શાને કારણીએ રાજા ખપર ધરાયો ને,

શાને કારણ લીધા ડંડા હો જી?

મુગતિને કારણ મૈયા, મુંડ તો મુંડાવી ને,

કાયા ઢાંકણ પે’રી કંથા હો જી?

વસ્તી માગણકું મૈયા, ખપર ધરાયો ને

કાળ મારણ લીના ડંડા હો જી.

કોણ કોણ રાજા, તેરી સંગ મેં ચલેગી ને

કોણ રે કરેગી દો દો બાતાં હો જી?

કોણ કોણ, રાજા, તેરા ચરણ પખાળશે ને

કિયાં જઈ જમશો દૂધ ને ભાતાં હો જી.

૧ચંદા ને સૂરજ મેરી સંગ મેં ચલેગી ને

રેન કરેગી દો દો બાતાં હો જીઃ

ગંગા ને જમના મારા ચરણ પખાળશે ને,

ઘેર ઘેર જમશું દૂધ ને ભાતાં હો જી.

૧ પાઠાન્તર : ધૂણી ને પાણી મેરી સંગ મેં ચલેગી.

કોઈ નૂરીજન નજરે આવે!

મન માંયલાની ખબરું લાવે રે,

કોઈ કામ કરોધને હટાવે રે;

કોઈ એવા નૂરીજન નજરે આવે...જી

જ્ઞાની હોય સો જ્ઞાન બતાવે, રૂડા ભરમોના ભેદ બતાવે,

રામનામની રટણાયું રટી લે, અંધિયારો મટી જોવે;

કોઈ એવા નૂરીજન નજરે આવે...જી

સંસાર-સાગર મહાજળ ભરિયો, હરિજન વા’ણ હોકારે,

એના માલમીને પકડ વશ કર લો, પાર ઉતરી જાવે;

કોઈ એવા નૂરીજન નજરે આવે...જી

નિજ નામનાં નાંગળ નાખીને, પવન-પુરુષ પધરાવે,

અસલ જુગની અમર વાદળી, મોતીડે વરસાવે;

કોઈ એવા નૂરીજન નજરે આવે...જી.

સતકી રોટી, સબસે મોટી, પ્યાસ હોય સો પાવે,

દોઈ કર જોડી જેઠીરામ બોલ્યા, કર્યા કરમ કંહીં જાવે;

કોઈ એવા નૂરીજન નજરે આવે...જી.

જેઠીરામ

પૂર્વની પ્રીતિ

મારે પૂરવની છે પ્રીત્યું રે

બાળાપણની પ્રીત્યું રે

ઓધા! મંદિર આવજો રે.

દાસી માથે શું છે દાવો,

મારે મો’લ નાવે માવો

આવડલો અભાવો રે. - ઓધા.

વાલે મળ્યે કરીએ વાતું,

ભાંગે મારા દિલની ભ્રાંત્યું,

આવી છે એકાંત્યું રે. - ઓધા.

જોઈ જોઈ વોરીએં જાત્યું,

બીબા વિનાના પડે ભાત્યું,

ભાર ઝીલે ભીંત્યું રે. - ઓધા.

દાસી જીવણ ભીમને વાળી

વારણાં લીધાં વારી વારી

દાસીને દીવાળી રે. - ઓધા.

દાસી જીવણ

મન નો ડગે

મેરુ રે ડગે ને જેનાં મન નો ડગે

મરને૧ ભાંગી રે પડે ભરમાંડર રે;

વિપદ પડે પણ વણસે નહીં,

ઈ તો હરિજનનાં પરમાણ૩ રે. - મેરુ રે.

ભાઈ’રે! હરખ ને શોકની ના’વે જેને હેડકી ને

શીશ તો કર્યા કુરબાન રે,

સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે,

જેણે મૈલયાં અંતરનાં માન રે. - મેરુ રે.

ભાઈ રે! નિત્ય રે’વું સતસંગમાં ને

જેને આઠે પો’ર આનંદ રે,

સંકલપ વિકલપ એકે નહીં ઉરમાં,

જેણે તોડી નાખ્યો માયા કેરો ફંદ રે. - મેરુ રે.

ભાઈ રે! ભગતિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ!

રાખજો વચનુંમાં વીશવાસ રે,

ગંગાસતી એમ બોલિયાં

તમે થાજો સતગુરુજીનાં દાસ રે. - મેરુ રે.

ગંગાસતી

જીવન ભલે જાગિયાં

મેં તો સધ રે જાણીને તમને સેવિયા

મારે રુદિયે દિવસ ને રાત

જીવન ભલે જાગિયાં.

મેં તો પુન્યના પાટ મંડાવિયા

મારે પધાર્યા પીર જસો રે વળદાન

જીવન ભલે જાગિયાં

મેં તો કરુણાના કળશ થપાવિયા

જ્યોતું જગાવે દેવીદાસ

જીવન ભલે જાગિયાં

સતિયું મળિયું મારા સમ તણી

સતી અમર અમૂલાં માંગલબાઈ

જીવન ભલે જાગિયાં.

નૂરીડાં મળ્યાં હરિજનનાં નિરમળાં

કોળી પાવળ પીર શાદલને હાથ

જીવન ભલે જાગિયાં

ગરવાં દેવંગી પરતાપે અમર બોલિયાં

તારા સેવકુંને ચરણુંમાં રાખ

જીવન ભલે જાગિયાં

અમરબાઈ

મૈયા મારો મનવો હુવો રે વિરાગી

મૈયા મારો મનવો હુવો રે વિરાગી,

મારી લે’ તો ભજનમાં લાગી રે,

મૈયા, મારો મનવો હુવો રે વેરાગી.

સંસાર વેવાર મને સરવે વિસરિયો,

બેઠો સંસારિયો ત્યાગી રે - મૈયા.

કામ ને કાજ મુને કડવાં લાગે,

મારા મનડાની મમતા લાગી રે. - મૈયા.

મંત્ર સજીવન શ્રવણે સાંભળિયો,

માંહીં મોરલી મધુરી ધૂન વાગી રે - મૈયા.

રાજ મોરારને રવિ ગુરુ મળિયા,

ભગતી ચરણની માગી રે - મૈયા.

મોરાર સાહેબ

આવડાં તે રૂપ!

મોર તું તો અવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો રે;

મોરલો મરતલોકમાં આવ્યો.

લાલ ને પીળો મોરલો અજબ રંગીલો,

વર થકી આવે વેલો,

સતી રે સુહાગણ સુંદરી રે;

સૂતા તારો શુ’ર જગાયો રે,

મોરલો મરતલોકમાં આવ્યો. - મોર તું તો.

ઈંગલા ને પીંગલા મેરી અરજું કરે છે રે,

હજી રે નાથજી કેમ ના’વ્યો;

કાં તો શામળિયે છેતર્યો ને કાં તો,

ઘર રે ધંધામાં ઘેરાયો રે

મોરલો મરતલોકમાં આવ્યો. - મોર તું તો.

દાસી જીવણ

રુદિયો રુવે

રોઈ રોઈ કેને સંભળાવું રે, જેસલજી કે’ છે

ઉંડા દુઃખ કેને સંભળાવું રે જાડેજો કે’ છે

રુદિયો રુવે રે મારો ભીતર જલે.

અમે હતાં, તોળી રાણી! ખારી વેલ્યે તુંબડાં,

તમ આવ્યે મીઠડાં હોય રે જાડેજો કે’ છે. - રોઈ.

અમે હતાં, તોળી રાણી! ઉંડે જળ બેડલાં,

તમે રે ઉતારો ભવપાર, જાડેજો કે’ છે - રોઈ.

કપડાં લાવો, તોળી રાણી, સાબુએ સુધારું,

નિંદા થકી ઉજળાં હોય. જાડેજો કે’ છે. - રોઈ.

તમે જાવ, તોળી રાણી, વડે સુંધે વાયકે,

તમ વિના દિનડા નવ જાય, જાડેજો કે’ છે. - રોઈ.

દોયલી વેળાની તોળી રાણી, ગાયત્રી સંભળાવો

સંભળાવ્યે મુગતિ હોય, જાડેજો કે’ છે. - રોઈ.

જેસલ

કાગળ

લાવો લાવો કાગળ ને દોત, લખીએં હરિને રે

એવો શિયો રે અમારલો દોષ, ન આવ્યા ફરીને રે.

જાદવ ઉભા રયોને જમનાને તીર, પાલવડે બંધાણા રે.

વા’લે દૂધ ને સાકરડી પાઈ ઉઝેરેલ અમને રે

એવાં વખડાં ઘોળી ઘોળી પાવ, ઘટે નૈ તમને રે. - લાવો.

વા’લો હીરના હીંડોળા બંધાવી હીંચોળેલ અમને રે

એવાં હીંચોળી તરછોડો મા મા’રાજ! ઘટે નૈ તમને રે. - લાવો.

વા’લે પ્રેમનો પછેડો ઓઢાડી રમાડેલ અમને રે

એવા ઓઢાડી ખેંચોમાં મા’રાજ! ઘટે નૈ તમને રે. - લાવો.

વા’લે અંધારા કૂવામાં આજ ઉતારેલ અમને રે

એવા ઉતારી વ્રત વાઢો મા મા’રાજ! ઘટે નૈ તમને રે. - લાવો.

ગુણ ગાય રે રવિ ને ભાણ ગુરુગમ ધારો રે.

એવી પકડેલ બાંય મા’રાજ! ભવસાગર તારો રે. - લાવો.

મોરાર સાહેબ

વચનનો વિવેક

વચન વિવેકી જે નરનારી, પાનબાઈ,

તેને બ્રહ્માદિક લાગે પાય;

તથારથ વચનની સાન જેણે જાણી, પાનબાઈ!

તેને કરવું હોય તેમ થાય. - વચન વિવેકી.

વચનમાં સમજે તેને મહાસુખ થાય રે

ઈ તો ગત ગંગાજી કહેવાય,

એકમના થૈને આરાધ કરે તો તો

નકળંગ પરસન થાય. - વચન વિવેકી.

વચને થાપ ને વચને ઉથાપ. પાનબાઈ!

વચને મંડાય જોને પાઠ,

વચનના પૂરા તે તો નહીં રે અધૂરા

વચનનો લાવો જોને ઠાઠ. - વચન વિવેકી.

વસ્તુના વચનમાં છે પરિપૂરણ, પાનબાઈ!

વચન છે ભક્તિનું જોને અંગ;

ગંગા રે સતી એમ બોલિયાં રે,

કરવો વચનવાળાનો સંગ. - વચન વિવેકી.

ગંગાસતી

સોદાગર હંસાજી

વનમાં તે મેલી મુંને એકલી રે વણઝારા!

જી હો! મુંને મેલી મત જાજો બાળા વેશમાં, સોદાગર હંસા જી.

કાગળ જેસી કોથળી રે વણઝારા!

જી હો! એને ગળતાં નૈ લાગે વાર રે. સોદાગર હંસા જી.

ડુંગર માથે દેરડી રે વણઝારા!

જી હો! હું તો ચડી ચડી જોઉં તારી વાટ રે. સોદાગર હંસા જી.

ફાલી ફૂલી રે ઓલી પીપળી રે વણઝારા!

જી હો! ઓલી ફળ વિના ઝૂલે નાગરવેલ રે. સોદાગર હંસા જી.

આંબો જાણીને મેં તો સેવિયો રે વણઝારા!

જી હો! એ તો કરમે ઉગ્યો છે ભંભૂર રે. સોદાગર હંસા જી.

હીરા માણેકની કોટડી રે વણઝારા!

જી હો! મને વેપારી મળ્યા સવા લાખના. સોદાગર હંસા જી.

કાજી મહમદશાની વિનતિ રે વણઝારા!

જી હો! તમે માની લિયો ગરીબનવાજ રે. સોદાગર હંસા જી.

કાજી મહમદશા

વાગે ભડાકા ભારી ભજનના

વાગે ભડાકા ભારી ભજનના

વાગે ભડાકા ભારી રે...હોજી.

બાર બીજના ધણીને સમરું

નકળંક નેજાધારી,

ભજનના વાગે ભડાકા ભારી રે હો....જી.

હરજી ભાટી

(સોરઠી સંતવાણીના પ્રવેશકમાં આ ભજનની માત્ર પહેલી કડીનો જ ઉલ્લેખ છે.)

દેખાડું એ દેશ

વીજળીનેચમકારે મોતી પરોવવું, પાનબાઈ!

નહીંતર અચાનક અંધાર થાશે,

જોતજોતામાં દિવસ વયા ગયા, પાનબાઈ!

એકવીશ હજાર છસો૧ને કાળ ખાશે-

ભાઈ રે! જાણ્યા જેવી આ તો અજાણ છે, પાનબાઈ!

આ તો અધૂરિયાંને નો કે’વાય,

આ ગુપત રસનો ખેલ છે અટપટો,

આંટી મેલો તો પૂરણ સમજાય. - વીજળીને.

ભાઈ રે! નિરમળ જૈને આવો મેદાનમાં, પાનબાઈ!

જાણી લિયો જીવની જાત;

સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને

બીબે પાડી દઉં બીજી ભાત. - વીજળીને.

ભાઈ રે! પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુ, પાનબાઈ!

તેનો દેખાડું હું તમને દેશ,

ગંગા રે સતી એમ બોલિયાં રે

ત્યાં નહીં માયાનો જરીએ લેશ. - વીજળીને.

ગંગાસતી

વૈરાગ્યનાં વિછોયાં

વેરાગનાં વછોયાં રે, ભવે ભેળાં નૈ મળે રે.

સાધનાં વછોયાં રે, ભવે ભેળાં નૈ મળે રે.

વેલ્યેથી વછૂટ્યું રે, સખી! એક પાંદડું રે,

ઈ રે પાંદડું ભવે રે ભેળું નહીં થાય. - વૈરાગનાં.

બેલીડાનાની સંગે રે, બજારુંમાં મા’તા રે,

એ જી બેલીડા થિયા છે બેદિલ હવે આજ. - વૈરાગનાં.

હૈયામાં હોળી રે ખાંતીલો ખડકી ગિયો રે,

એવી હોળી પ્રગટી છે આ પંડમાંય;

ઝાંપે ઝાળું લાગી રે સખી! એને દેખતાં રે,

ઈ રે અગનિ કેમ રે કરી ઓલાય. - વૈરાગનાં

મેરામણ માયાળુ રે, બચળાં મેલ્યાં બેટમાં રે,

ઈ રે પંખીડાં ઉડી રે હાલ્યાં પરદેશ;

આઠ નવ માસે રે, આવી બચ્ચાં ઓળખ્યાં,

સૌએ સૌની આવીને લીધી સંભાળ. - વૈરાગનાં.

પાટાનો બાંધનારો રે, ઈ શું જાણે પીડ ને રે,

એવી પીડા પ્રગટી છે આ અંગ માંય;

લખમો માળી કે’છે રે આપવીતી વીનવું રે,

દેજો અમને સાધુને ચરણે વાસ. - વૈરાગનાં.

લખમો માળી

સાધુની સંગત

શીલવંત સાધુને વારેવારે નમીએ, પાનબાઈ!

જેનાં બદલે નહીં વ્રતમાન૧ રે

ચિત્તની વરતીર જેની સદાય નિરમાળી

જેને મા’રાજ૩ થયા મે’રબાન રે-

ભાઈ રે! શત્રુ ને મિત્ર રે એકે નહીં ઉરમાં

જેને પરમારથમાં પ્રીત રે,

મન ક્રમ વાણીએ વચનુંમાં ચાલે ને

રૂડી પાળે એવી રીત રે - શીલવંત.

ભાઈ રે! આઠે પો’ર મનમસ્ત થઈ રે’વે

જેને જાગી ગયો તુરિયાનો૪ તાર રે

નામ ને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું ને

સદાય ભજનનો આહર રે - શીલવંત

ભાઈ રે સંગત્યું તમે જ્યારે એવાની કરશો ને

ત્યારે ઉતરશો ભવપાર રે

ગંગા સતી એમ બોલિયાં ને

જેને વચનુંની સાથે વેવાર રે. - શીલવંત.

ગંગાસતી

જંગલ બીચ

સાંયા! મેં તો પકડી આંબલિયાની ડાળ રે,

જંગલ બીચમેં ખડી હો જી

સરોવર કાંઠે બેઠો એક બગલો

હંસલો જાણીને કર્યો મે સંગ રે

મોઢામાં લીધેલ માછલી હો જી. - સાંયા.

ઉડી ગિયો હંસલો, ગાજે એની પાંખડી,

બાયું! મારો પિયુડો ગિયો પરદેશ રે

ફરુકે મારી આંખડી હો જી. - સાંયા.

બાઈ મીરાં ગૂંથે હાર, ફૂલ કેરા ગજરા,

બાયું! મારો શામળિયો રૂડો ભરથાર રે

બીજા રે વરની આંખડી હો જી. - સાંયા.

બાઈ મીરાં કે’છે પ્રભુ ગિરિધરના ગુણ વા’લા!

શરણુંમાં રાખો મારા શામ રે

ભજન કરીએં ભાવથી હો જી. - સાંયા.

મીરા

ઝવેરચંદ મેઘાણી સાહિત્યજીવન

૧૮૯૬ જન્મઃ ૨૮ ઓગસ્ટ, ચોટીલ (જિ. સુરેન્દ્રનગર.)

૧૯૧૨ અમરેલીમાં શાળાશિક્ષણ પૂરું કર્યું. ત્યાં સુધીમં સ્વદેશી ચળવળ, આર્યસમાજ અને થિયોસોફીનાં સંસ્કારબીજ વવાયાં.

૧૯૧૭ કૌટુંબિક કારણે ઓચિંતા કલકત્તા જઈ ચડ્યા. શિક્ષકગીરી અને એમ.એ.નો અભ્યાસ રઝળ્યાં. ઍલ્યુમિનિયમના એક કારખાનામાં નોકરી સ્વીકારી. બંગાળી સાહિત્યનાં પરિચય-પરિશીલન આરંભાયાં. પહેલ વહેલું ગીત ‘દવડો ઝાંખો બળે’ રચાયું.

૧૯ર૧ વતનનો ‘દુર્નિવાર સાદ’ સાંભળીને કલકત્તા છોડીને કાઠિયાવાડ પાછા ફર્યા.

૧૯રર રાણપુરથી પ્રગટ થતા શ્રી અમૃતલાલ શેઠના નવા અઠવાડિક ‘સૌરાષ્ટ્ર’માં બે-ત્રણ લેખો મોકલ્યા કે તરત તંત્રી-મંડળમાં સ્થાન પામ્યા; પત્રકાર તરીકેની કામગીરીનો આરંભ. રવીન્દ્રનાથના ‘કથા ઓ કાહિની’નાં બંગાળી કથાગીતો પરથી આલેખેલા સ્વાર્પણ અને ત્યાગના ભાવના-પ્રસંગોનો નાનો સંગ્રહ ‘કુરબાનીની કથાઓ’ આપીને લેખન-કારકિર્દીનું મંગલાચરણ કર્યુંઢ લોકસાહિત્યની પ્રથમ પ્રસાદીરૂપે ‘ડોશીમાની વાતો’ પુસ્તક બહાર પડ્યું.

૧૯ર૩ ‘સૌરાષ્ટ્રની રસધાર’નો પહેલો ભાગ બહાર પડ્યો ને લેખક તરીકે જાણીતા થયા. હવે પછ લોકસાહિત્યનું સંશોધન-સંપાદન જીવન-ઉપાસના બની. ૧૯ર૭ સુધીમાં ‘રસધાર’ના પાંચ ભાગ પૂરા થયા.

૧૯ર૮-ર૯ બાલ-કિશોર ને નારી-ભાવને ઝીલતાં, પોતે ‘પ્રિયતર’ ગણેલાં ગીતોના સંગ્રહો ‘વેણીનાં ફૂલ’ અને ‘કિલ્લોલ’ આપ્યા.

૧૯ર૯ લોકસહિત્યના સંશોધન બદલ પહેલો રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯ર૮) અર્પણ થયો. જ્ઞાનપ્રસારક મંડળીના આશ્રયે મુંબઈમાં લોકસાહિત્ય વિશે છ વ્યાખ્યાન આપ્યાં.

૧૯૩૦ સત્યાગ્રહ-સંગ્રામ નિમિત્તે રચેલાં શૌર્યગીતોનો સંગ્રહ ‘સિંધુડો’ બહાર પડ્યો, તે સરકોર જપ્ત કર્યો. તેની હસ્તલિખિત કાનૂન-ભંગ આવૃત્તિની સેંકડો નકલો લોકોમાં પહોંચી વળી. રાજદ્રોહના આરોપસર બે વરસના કારાવાસની સાજ થઈ. અદાલતમાં ‘છેલ્લી પ્રાર્થના’ ગીત ગાયું ત્યારે મૅજિસ્ટ્રેટ સહિત સેંકડોની મેદનીની આંખો ભીની થઈ. સાબરમતી જેલમાં પ્રસિદ્ધ ગીત ‘કોઈનો લાડકવાયો’ રચાયું. બદલી પામતા કેદીઓ મારફત બીજી જેલોમાં અને છૂટનારાઓ મારફત બહાર પ્રજામાં એ જોતજોતામાં પ્રસર્યું અને લોકજીભે વસી ગયું. ગાંધી-અરવીન કરારને પરિણામે માર્ચ ૧૯૩૧માં જેલમાંથી છૂટ્યા.

૧૯૩૧ ગોળમેજી પરિષદમાં લંડન જઈ રહેલા ગાંધીજીને સંબોધતું ‘છેલ્લો કટોરો’ કાવ્ય લખ્યું, એ જોઈને ગાંધીજીએ કહ્યુંઃ “મારી સ્થિતિનું આમાં જે વર્ણન થયું છે એ તદ્દન સાચું છે.” હવે પછી ‘રાષ્ટ્રીય શાયર’ તરીકે ઓળખાયા.

૧૯૩૪ ‘જન્મભૂમિ’ દૈનિક મુંબઈથી શરૂ થયું તેના સંપાદક-મંડળમાં જોડાયા. રવીન્દ્રનાથ સામે મુંબઈમાં મિલન; સૌરાષ્ટ્રના લોકસાહિત્યની પ્રસાદી એમને કંઠેથી કવિવ્રે સાંભળી; શાંતિનિકેતન આવવા આમંત્રણ આપ્યું.

૧૯૩૬ ‘જન્મભૂમિ’ છોડીને સૌરાષ્ટ્રમાં ‘ફૂલછાબ’ અઠવાડિકના તંત્રીપદે આવ્યા. પત્રકારત્વમાં નવી ભાત પાડી.

૧૯૪૧ શાંતિનિકેતનમાં લોકસાહિત્ય વિશેનાં એમનાં વ્યાખ્યાનોએ દેશ-વિદેશના વિદ્યાર્થીઓ-અધ્યાપકોને મુગ્ધ કર્યા.

૧૯૪ર સૂરતમાં સ્વ. કમળાશંકર પ્રાણશંકર વ્યાખ્યાનમાળામાં ‘લોકસાહિત્યઃ પગદંડીનો પંથ’ એ જાણીતું વ્યાખ્યાન આપ્યું. અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં ચારણો અને ચારણી સાહિત્ય વિશે વ્યાખ્યાનો આપ્યાં.

૧૯૪૩ મુંબઈ યુનિવર્સિટીની ઠક્કર વસનજી માધવજી

વ્યાખ્યાનમાળામાં લોકસાહિત્ય વિશેનાં પ્રસિદ્ધ વ્યાખ્યાનો આપ્યાં. વ્યાખ્યાનખંડ નાનો પડ્યો, બહાર બગીચામાં શ્રોતાઓની ભીડ થઈ, બેકાબૂ બની.

૧૯૪પ ‘ફૂલછાબ’ના તંત્રીપદેથી મુકત થઈ ર૩ વરસના પત્રકારજીવનમાંથી નિવૃત્તિ લીધી. રવીન્દ્રનાથનાં કાવ્યોની અનુકૃતિઓનો સંગ્રહ ‘રવીન્દ્ર-વીણા’ પ્રગટ થયો. ગુજરાતમાં પરિભ્રમણો આદર્યાં. રવિશંકર મહારાજના જીવન-અનુભવોનું પુસ્તક ‘માણસાઈના દીવા’ લખ્યું.

૧૯૪૬ ગુજરાતી સાહિત્ય પરિષદના સોળમા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ. ‘માણસાઈના દીવ’ને વરસની ઉત્તમ કૃતિ તરીકે ‘મહીડા પારિતોષિક’નું ગૌરવદાન મળ્યું.

૧૯૪૭ ભજન-સાહિત્યના સંશોધકનું પુસ્તક ‘સોરઠ સંતવાણી’ પૂરું કર્યું. ‘કાળચક્ર’ નવલકથા લખાતી હતી. માર્ચની ૯મીએ હૃદયરોગના હુમલાથી દેહ છોડ્યો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED