Balakona Ghadatarma Matapitano Faalo books and stories free download online pdf in Gujarati

બાળકોનાં ઘડતરમાં માં માતાપિતાનો ફાળો

નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888

શીર્ષક : બાળકોનાં ઘડતરમાં માં માતાપિતાનો ફાળો

શબ્દો : 1146
સજેસ્ટેડ શ્રેણી : પ્રેરણા

બાળકોનાં ઘડતરમાં માં માતાપિતાનો ફાળો

બાળક અને માતાપિતાનો સંબંધ એ એવો નાજુક સંબંધ છે કે ખૂબ બધો પ્રેમ અને તોય ઘણી બધી બાંધછોડ. પરંતુ આ બધી બાંધછોડ માં પણ બાળકોનાં ઘણાં ખરાં વ્યક્તિત્વનાં વિકાસનો આધાર રહેલો હોય છે. નાની નાની એવી ઘણી બાબતો કે જેને આપણે શિસ્ત અથવા તો આજ્ઞાંકિતતાના નામે ઓળખીએ છીએ તેમાં રોજિંદા જીવનક્રમનાં નાનાં નાનાં બનાવો અને નાની નાની ઘટનાઓમાં આપણું બાળક કેવું વર્તન કરશે તે ઘણી વાર નક્કી નથી હોતું એવું પણ બને છે, પરંતુ એ કોઈ ચોક્કસ પ્રમાણનાં માહોલમાં અમુક ચોક્કસ પ્રકારનું જ વર્તન કરશે અને એ વર્તન યોગ્ય જ હશે એવું માતા પિતા ત્યારે જ કહી શકે છે જ્યારે તેઓ પોતાનાં બાળકને સંપૂર્ણ રીતે ઓળખતાં હોય અને ઓળખવા કરતાંય વિશેષ સમજતાં હોય.
ઘણીવાર એવું બનતું હોય છે કે બાળકને પોતાનાં માતાપિતાનાં સમર્થનની અત્યંત આવશ્યકતા હોય, અને એવા વખતે જો ક્યારેક માતા પિતાનું સમર્થન જો બાળકને ન મળે તો તેને આઘાતની લાગણી પણ અનુભવાય છે અને પછી બાળક સામું બોલવું કે પછી ખોટું બોલવું એવી વાતોનો સહારો લે છે, હવે આવું બધું કયા કારણોસર બનતું હોય છે તેનાં મૂળમાં પહોંચવું ઘણીવાર ખૂબ મુશ્કેલ થઈ પડે છે.
ઘણીવાર એવું બનતું હોય છે કે માતા પિતા પોતાની વ્યસ્તતા ને લઈને કે પછી કોઈક વાર પોતાનાં મૂડને લઈને બાળકોની વાતમાં ધ્યાન નથી આપતાં હોતાં, અને એવે વખતે કોઈકવાર બાળકની કોઈક અતિ ઉત્સાહની વાતની પણ માતા પિતા દ્વારા પ્રત્યક્ષ જ ઉપેક્ષા થઈ જતી હોય છે પરિણામે બાળકને ખુશ કરી ગઈ હોય કે કોઈ એની સારી વાત પણ એને ખરાબ લાગવા લાગે છે કારણ બાળકો મોટાભાગે એને જ સારું સમજે છે જેમાં એમને પોતાનાં માતા પિતાનું સમર્થન મળતું હોય કે માતા પિતાનો પૉઝિટીવ રિસ્પૉન્સ મળતો હોય, બાળક તો આખર બાળક જ છે તેને પોતાને નિર્ણય શક્તિ નથી હોતી, બાળક એ જ વાતને સાચી અને સારી સમજશે જેમાં તેનાં માતા પિતા તેની સાથે રાજી રહ્યાં હોય. પરંતુ એનો અર્થ એવો પણ નથી કે આપણે બાળકોની વાતનું સતત સમર્થન જ કર્યા કરવું. યોગ્ય કે અયોગ્ય વાતોનું સાચું મૂલ્યાંકન કરી શકીએ અને એ માટેનો યોગ્ય પ્રતિભાવ આપણે આપણાં બાળક સુધી પહોંચાડી શકીએ ત્યારે જ તો આપણું માતા પિતા બન્યું સાર્થક થયું કહેવાય.


એ વાત પણ યોગ્ય ન ચહેવાય કે બાળકની સતત ખોડ જ કાઢ્યા કરીએ, ઘડી ઘડી અગર જો બાળકોનો વાંક કાઢ્યા કરીશું તો બાળક ધીમે ધીમે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવવા લાગશે અને પરિણામ સ્વરૂપ એ પોતે ક્યારેય વિશ્વાસથી પોતાનાં પગ ઉપર ઊભો જ ન થઈ શકે એવું પણ બને, જરૂરી છે કે આજનું બાળક છે તે આવતી કાલનાં સમાજનું એક અવિભાજ્ય અંગ છે તેમ માની ને અને એ સત્યને સ્વીકારીને બાળકનાં કોઈપણ કાર્ય કે કોઈ વર્તનનાં બદલામાં એક માતા પિતા તરીકે આપણી એ ફરજ બને છે કે આપણે તેનો યોગ્ય પ્રતિભાવ આપીએ. આખા દિવસમાં નહીં નહીં તોય એવી પાંચ સાત ઘટના તો બનતી જ હશે કે જે બાબતે આપણે બાળકને આપણો પ્રતિભાવ આપવાનો બને, એવાં વખતે આપણાં અંગત ગમા અણગમા ને ધ્યાન ન આપતાં જે તે બાબતને યોગ્ય રીતે મૂલવીશું તો બાળકનો સ્વતંત્ર વિકાસ સારી રીતે કરી શકીશું તે ધાત નક્કી જ છે. આખા દિવસમાં બે ચાર બાબતો એવી કે જે ખરેખર આપણાં બાળક દ્વારા સાચો નિર્ણય લેવાયો હોય અથવા તો યોગ્ય વર્તન થયું હોય તો એ બાબતે પોતાની ખુશી વ્યક્ત કરવાનું સ્હેજ પણ ચૂકવું નહીં. કારણ એના ઉપરથી જ બાળકને પોતાનાં દ્વારા થયેલાં યોગ્ય વર્તન કે યોગ્ય નિર્ણયની જાણ થશે અને ફરી વખત એવા જ સંજોગ કે પરિસ્થિતિમાં એટલી જ સમયસૂચકતા કે પછી નિર્ણાયત્મકતા દાખવી શકશે, અને ખુશી ખુશો એમ કરવા તત્પર રહેશે. પરંતુ એનો અર્થ સ્હેજ પણ એવો નથી કે બાળકનાં દરેક વર્તનનાં આપણે વખાણ જ કરવા નહીંતર બાળકને પોતે જે કંઈ કરે છે તે સાચું જ કરે ચે અને સારું જ કરે છે એવી એને જો ગ્રંથિ બંધાઈ જશે તો એ એનાં વ્યક્તિત્વમાં અવરોધક પણ બની શકે છે.


એક માતા પિતા તરીકે એ સમજવું અત્યંત જરૂરી છે કે બાળકનાં કયા વર્તન પર એને બિરદાવવું અને કયા વર્તન પર એની ભૂલને સુધારવી અને કેવી રીતે સુધારવી. બાળકની સારી વાતમાં તેનું સમર્થન અને તેની ખોટી વાતમાં નારાજગી વ્યક્ત કરવી ખરેખર અત્યંત આવશ્યક છે. અને તેમ છતાં ન નારાજગી બતાવવામાં અતિશયોક્તિ થાય કે ન તેની પ્રશંસા કરવામાં, આ બંને પરિસ્થિતિઓમાં સમાયોજન સાધવું અત્યંત આવશ્યક છે. અને તેમ છતાંય એક માતા પિતા તરીકે ક્યારેય પણ પોતાનાં સિધ્ધાંતો સાથે બાંધછોડ કરવી જોઈએ નહીં કારણ એમ કરવાથી બાળક એવું સમજશે કે કેવું વર્તન કરવાથી માતા પિતાનાં સિધ્ધાંતોમાં ફેરબદલ કરી શકાય છે અને એવી માનસિકતાથી આગળ જતાં બાળક માત્ર માતા પિતાનો જ નહીં પરંતુ સમાજનાં કૉઈપણ વ્યક્તિનો ઉપયોગ પોતાનાં સ્વાર્થ માટે કરી શકે તેવું શીખશે જે એને જવાબદાર નાગરિક બનાવવાને બદલે મતલબી અને લેભાગુ વ્યક્તિ બનાવશે.


બાળકો આજ્ઞાંકિત હોય અને સાથે સાથે વિકાસશીલ હોય પરંતુ તેમ છતાં બાળકોને આંધળું આજ્ઞાપાલન પણ ન જ શીખવાય, માતા પિતા કહે તે દરેક વાત માનવી જ અને ગમે તે ભોગે માનવી એવું વલણ રાખી બાળકોને સતત પોતાનાં તાબામાં રાખવા તેવું પણ માતા પિતાએ ક્યારેય ન ઈચ્છવું જોઈએ કારણકે એમ કરવાથી બાળક પોતાની સ્વતંત્ર વિચારશક્તિ કે પોતાની સ્વતંત્ર ઓળખ બનાવી શકવામાં અક્ષમ બનશે, અને કોઈક કહે એટલું જ કહ્યું કરવું એથી વિશેષ કોઈપણ પ્રકારની ક્રિયાશીલતાને એ વિકસાવી નહીં શકે, એટલું તો ઠીક પણ પરંતુ કોઈપણ સત્તાવાહી અવાજની સામે દબાઈ જવું એવું ડિપ્રેસીવ વ્યક્તિત્વ બનશે, બાળક આજ્ઞાપાલન કરતા શીખે તે સારી જ બાબત છે પરંતુ જ્યાં પણ તેને અનુકૂળ ન લાગે અથવા તો પોતાનો જુદો મત હોય તો તે સ્વતંત્ર રીતે રજૂ કરી શકે અને માતા પિતા તરીકે આપણે એ વાત સાંભળીએ અને સાંભળીને તેની ફરિયાદનો યોગ્ય ઉકેલ લાવીએ તે પણ અત્યંત આવશ્યક છે. બાળકને પોતાનાં હક માટે અથવા તો પોતાની ફરિયાદ માટે અવાજ ઉઠાવતા આવડવો જ જોઈએ તો જ એ આવતીકાલનો જવાબદાર નાગરિક બની શકશે અને પોતાને છો કૉઈ અન્યાય થાય તો તે વિરુધ્ધ એ લડી શકશે.
એ જ રીતે ઘરમાં બાળકો માટે જો કોઈ નિયમો બનાવવામાં આવતા હોય તો તે જ નિયમોનું માતા પિતે દ્વારા ઉલ્લંઘન ન થાય તે બાબત પણ એટલી જ જરૂરી છે. જો માતાપિતા જ કોઈ નિયમોનું પાલન નહીં કરતાં હોય તો બાળક પણ નિયમોનું ઉલ્લંઘન કરતા શીખશે. એ જ રીતે માતા પિતાનાં એમ બંનેનાં બનાવેલાં નિયમો માં બંનેની સંમતિ હોય તે પણ અત્યંત આવશ્યક છે, કારણ જો માતા કે પિતા બે માંથી કોઈ એક પણ જો પરસ્પરનાં બનાવેલાં નિયમોમાં એકબીજાની વિરુધ્ધ જશે તો બાળક પોતે પોતાનાં માતા પિતામાંથી કોણ સાચું એમ મૂંઝાઈ જશે, અને નક્કી નહીં કરી શકે કે પોતે કોનું કહ્યું કરે, સાથે સાથે એક બીક એ પણ ખરી કે બાળક પોતાનાં મનની મૂંઝવણ વ્યક્ત નહીં કરી શકે, કે જેનું કહ્યું કરશે એનો તો વાંધો નહીં પરંતુ જેનું કહ્યું નથી કર્યું તે એને સજા તો નહીં કરે ને ? અને એવી ને એવી મૂંઝવણમાં એ ક્રોધી સ્વભાવનો બની જશે, કદાચ એવું પણ બને કે બાળક માતા અને પિતાને એમ બંનેને જ પોતાનું ધાર્યુ કરાવવા માટે બનાવવા લાગે કે મને આવું મમ્મીએ કહેલું કે પછી મને આવું પપ્પાએ કહેલું, અને મમ્મી પપ્પા વચ્ચે મતભેદ ઊભો કરાવી પોતે પોતાનું ધાર્યુ કરી લેશે.


આમ બાળકનાં માતા પિતા તરીકે માતા અને પિતા બંનેની એ ફરજ છે કે ઘરમાં બાળક પાસે પોતાનું કહ્યું કરાવવાની ચડસાચડસીમાં ક્યાંક બાળકનાં વ્યક્તિત્વ નો વિકાસ ઘડાવાને બદલે રૂંધાઈ ન જાય તે પણ એટલું જ અગત્યનું છે, ખૂબ નાની લાગતી એવી વાત ઘણાં મોટાં પરિણામ સર્જી શકે છે તે સમજવું જ રહ્યું.


અસ્તુ,

નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED