Agnisanskar - 9 books and stories free download online pdf in Gujarati

અગ્નિસંસ્કાર - 9



રાણીપુર ગામ નદીના કાંઠે વસેલું એક નાનુકડું ગામ હતું. એ ગામમાં થોડાઘણા જમીનદાર હતા અને બાકી બધા મજદૂરી કરીને પોતાનું ઘર ચલાવતા હતા. આ નાનકડા ગામમાં નદીના કાંઠે એક પરિવાર ઝૂંપડી બાંધીને વસવાટ કરતું હતું. રાતના સમયે રાહ જોતી રસીલાબેને ફરી ઘડિયાળમાં નજર મારી.

" રાતના બાર થવા આવ્યાને એ હજુ નહિ આવ્યા..ક્યાં રહી ગયા હશે?" નદીનું પાણી ધીમે ધીમે ઉપર ચડતું ઝૂંપડીમાં પ્રવેશી રહ્યું હતું. જેના લીધે રસીલાબેનને વધુને વધુ ચિંતા થવા લાગી હતી. ત્યાં જ નદીએથી પોતાના પતિ શિવાભાઈને આવતા જોયા તો રસીલાબેનનો ચહેરો ફૂલની જેમ ખીલ્લી ઉઠ્યો. પરંતુ જ્યારે એમની નજર શિવાભાઈના હાથમાં રહેલા નાના અમથા બાળક પર ગઈ તો મન હજારો સવાલોથી ભરાઈ ગયું.

" આ શેનું બાળક ઉઠાવી લાવ્યા?" રસીલાબેને તરત સવાલ કર્યો.

" અરે રસીલા મને ઘરમાં તો આવવા દે... જા જલ્દી કપડાં લઈ આવ.."

" હા હા હું હમણાં લાવી.." રસીલા કપડાં લેવા દોડી ગઈ.

બાળકના ભીંજાયેલા કપડાં બદલાવ્યા. ત્યાર બાદ બાળક શાંતિથી સૂઈ ગયું.

" કેટલું સુંદર બાળક છે નહિ રસીલા?" શિવાભાઈ ની નજર બાળકથી હટતી જ ન હતી.

" પણ તમને આ બાળક ક્યાંથી મળ્યું? અને અહીંયા કેમ લઈ આવ્યા?"

શિવાભાઈ એ પોતાની કહાની કહી સંભળાવી.

" હું નદીએથી જ્યારે ઘર તરફ આવી રહ્યો હતો તો મેં જોયું કે પુલ ઉપર બે આદમીઓ એક બાળકને નદીમાં ફેંકવાની તૈયારી કરી રહ્યા હતા. મન તો થયું કે હમણાં એની પાસે જઈને બાળક છીનવી લવ, પરંતુ હું ત્યાં પહોંચું એ પહેલા જ તેમણે બાળકને નદીમાં ફેંકી દીધું. મેં તરત નદીમાં ડૂબકી લગાવી અને બાળકને ડૂબતા બચાવી લીધું. ભગવાનનો એટલો આભાર કે બાળકને કોઈ ઇજા ન થઈ...."

" આવા કાન્હા જેવા બાળકને નદીમાં ફેંકવાનો જીવ કઈ રીતે ચાલ્યો હશે?"

" કોને ખબર આ બાળક કોનું હશે?..." બાળકને હાથમાં ધીમે ધીમે હીંચકો ખવરાવતા શિવાભાઈ બોલ્યા.

" હવે આ બાળકનું શું કરશો?"

" મારું તો મન છે કે આપણે જ આ બાળક આપણી પાસે રાખી લઈએ તો?"

રસીલાનું મન પણ બાળકને પોતાની પાસે રાખી લેવાનું હતું.

" આના મા બાપ શોધતા શોધતા અહીંયા આવી પહોંચશે તો શું કરશો ?"

" તો શું, જેનું બાળક છે એને પાછું આપી દઇશું...પણ જ્યાં સુધી આ બાળકના મમ્મી પપ્પા ન આવે ત્યાં સુધી હું આનો પપ્પા અને તું આની મમ્મી...."

શિવાભાઈના પરિવારમાં લાંબા સમયબાદ આનંદનો અનેરો અવસર આવ્યો હતો. બન્ને જણાં બાળકને પોતાના જીવથી પણ વધારે પ્રેમ કરવા લાગ્યા હતા.

વરસાદ પડવાના લીધે શિવાભાઈ એ પોતાની ઝૂંપડી છોડી દીધી અને થોડે દૂર એક ફેક્ટરીની નજીક બાંધી હતી. ઝૂંપડી સરસ રીતે બાંધતા થોડાક દિવસ પસાર થઈ ગયા. શિવાભાઈ ફેક્ટરીમાં વર્કર તરીકે કામ કરતા હોવાથી ઘરેથી આવા જવાનું અંતર પણ ઘટી ગયું હતું. જેથી શિવાભાઈને જ્યારે પણ કામથી ફુરસત મળે ત્યારે પોતાના બાળકને રમાડવા આવી પહોંચતા.
" અરે આપણે તો બાળકનું નામકરણ કરવાનું જ ભૂલી ગયા!" એક દીવસ અચાનક રસીલાબેન બોલી ઉઠ્યા.

" તો તું જ નામ આપી દે...મારા કાન્હાનું..."

બે ઘડી વિચાર્યા બાદ રસીલા બેને કહ્યું. " કેશવ નામ કેવું રહેશે?"

" વાહ રસીલા...ખૂબ સુંદર નામ છે...કેશવ..."

શિવાભાઈ ફેક્ટરીમાં ઓવર ટાઇમ કરીને બાળકનું ભરણપોષણ કરી લેતા હતા પરંતુ જિતેન્દ્રને પોતાના ઘરના ખર્ચા પૂરા પાડવામાં પણ મુશ્કેલી સર્જાઈ રહી હતી.

બલરાજ સાથેના ઝઘડા પછી ચંદ્રશેખર ચૌહાણ એ છળકપટ કરીને પોતાના નાના ભાઈની જમીન હડપી લીધી હતી. જેના કારણે જિતેન્દ્ર પોતાના જ જમીન પર મજૂર બની કામ કરવા મજબૂર બન્યો હતો. જીતેન્દ્ર એ પોતાના પરિવારના બચાવ માટે વિરોધ ન કર્યો અને બસ રાતદિવસ ન્યાય માટે ઈશ્વરને પ્રાથના કરવા લાગ્યો.

બલરાજ ચુંટણી જીતી ગયો અને નંદેશ્વર ગામનો નવો સરપંચ બની ગયો. બલરાજને પોતે કરેલા બાળકની હત્યા પર જે થોડોઘણો અફસોસ હતો એ પણ ચૂંટણી જીત્યા બાદ છુંમંતર થઈ ગયો. બલરાજ ફરી બાબા પાસે ગયો અને એનો આભાર વ્યક્ત કર્યો. બાબા અને બલરાજની દોસ્તી ગાઢ બનતી ગઈ. બલરાજ પોતાના નાના મોટા નિર્ણયો માટે પણ બાબાને પૂછીને જ લેતો પરંતુ એક દિવસ બાબાનું અવસાન થઈ ગયું અને ત્યાર પછી બલરાજે પોતાના નામની જેમ બલ વડે આખા ગામ પર હુકુમ ચલાવાનો શરૂ કર્યો.

ક્રમશઃ





બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED