સૂર્યાસ્ત - 10 Amir Ali Daredia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સૂર્યાસ્ત - 10

સૂર્યાસ્ત 10
સૂર્યકાંત ના ગળામાં થતા અસીમ દુખાવાના કારણે.તેમના ગળા પર ડોક્ટરે કહેલી બેંડેડ ધનસુખે લગાવી આપી. એનાથી દુખાવો તો સદંતર મટી ગયો. પણ ડૉકટર ના કહ્યા પ્રમાણે એની આડ અસર શરુ થઈ.ઉલટીઓ તો ન થતી પણ ઘણા ઓબકા આવતા.
અને જુલાબ થવા લાગ્યા.ધનસુખ અને પ્રિયા બંને મળીને બાપુજીનું ડાઈપર બદલતા.અને સૂર્યકાંત લાચાર નજરે. અસહાય સ્થિતિમાં.પોતાના પુત્ર અને પુત્રવધુ ને જોઈ રહેતા.કંઈ બોલવાની કોશિષ કરતા પણ બોલી ન શકતા.
સૂર્યકાંત મૃત્યુના અંતિમ દિવસ સુધી બિલકુલ હોશ મા.અને સભાન સ્થિતિ માં હતા.
એ તારીખ હતી ૧૧/૧૨/૨૦૦૯ અને શુક્રવારનો દિવસ હતો.ધનસુખ દુકાને જવા તૈયાર થઈને સૂર્યકાંત ની પથારી પાસે ગયો અને સૂર્યકાંત ની રજા લીધી.
"હું દુકાને જાવ છું બાપુજી."
સૂર્યકાંતે ચહેરા પર દર્દીલુ સ્મિત ફરકાવ્યું અને જમણો હાથ ઉંચો કરીને દીકરાને રજા આપી.ધનસુખ દુકાને જવા રવાના થયો.પ્રિયા પોતાના કામે લાગી.અને સૂર્યકાંત વિચારોના ચકડોળે ચડ્યા.
આજથી સાતેક વર્ષ પહેલાં એક મહાત્મા સાથે થયેલી મુલાકાત એમને યાદ આવી ગઈ.મહાત્માએ એમની હથેળી જોઈને કહેલુ.
"સૂર્યકાંત.વર્ષો સુધી તમારો સૂર્ય વાદળો માં ઘેરાયેલો રહ્યો હતો.ઘનઘોર વાદળા ઓમા અટવાયેલો રહ્યો હતો.પુત્રોના યુવાન થતાં જ એ વાદળો વિખરાઈ ગયા.અને તમારો સૂર્ય સોળે કળાએ ચમકવા લાગ્યો.પણ તમે રામાયણ તો વાંચી જ હશે ને?"
"હા મહારાજ વાંચી છે.પણ આ પ્રશ્ન પૂછવાનું કારણ?"
સૂર્યકાંતે આશ્ચર્ય પામતા પૂછયુ. જવાબમાં મહાત્મા આગળ બોલ્યા.
"મહારાજ દશરથને.શ્રવણના માતા પિતાએ શ્રાપ આપ્યો હતો કે.તારા મૃત્યુ સમયે તારા ચારમાંથી એક પણ પુત્ર તારી પાસે હાજર નહીં હોય.એ યાદ છે ને?"
"હા યાદ છે.પણ મને કેમ એ યાદ અપાવો છો?"
સૂર્યકાંતે ફફડતા જીવે પૂછ્યુ.મહારાજે કહ્યું.
"ભલે તમને કોઈએ એવો શ્રાપ નથી આપ્યો સૂર્યકાંત.પણ વિધાતાના એવા લેખ લખાઈ ચૂક્યા છે.કે તમારા પણ મૃત્યુ સમયે તમારું એકેય સંતાન તમારી પાસે હાજર નહીં હોય."
સૂર્યકાંત સ્તબ્ધ થઈને મહત્માના ચહેરાને જોઈ રહ્યા.
"તમારે પણ ચાર પુત્ર હતા.જેમાંથી એકને ઈશ્વરે પહેલા જ લઈ લીધો.અને હવે ત્રણ છે.પણ એ ત્રણમાંથી એકેય તમારા મૃત્યુ વખતે તમારી આસપાસ નહીં હોય...." .......
"બાપુજી.તમારા માટે રાબ લાવી છુ."
પુત્રવધુ પ્રિયાના શબ્દો કાન સાથે અથડાતા સૂર્યકાંત ની વિચાર માળાના મણકા તૂટી ને વિખરાઈ ગયા.ધીરે ધીરે સૂર્યકાંત પલંગ ઉપર પીઠ અઢેલી ને બેઠા થયા.ચમચીથી બાપુજીના મોઢામાં ચાર-પાંચ ચમચી રાબ નાખી પ્રિયાએ. પછી સૂર્યકાંતે હાથના ઈશારે થી એમને રોક્યા.પ્રિયાએ નેપકીન થી સૂર્યકાંત નુ મોં લુછ્યું.અને વધેલી રાબ લઈને પાછા કિચનમાં ચાલ્યા ગયા.સૂર્યકાંત ચકળ વકળ નજર પોતાના ઓરડામાં ફેરવવા લાગ્યા.એમને મહાત્મા ના શબ્દો ફરીથી યાદ આવવા લાગ્યા.
"સૂર્યકાંત તમારા મૃત્યુના સમયે તમારા ત્રણ પુત્રમાંથી એકેય પુત્ર તમારી આસપાસ નહીં હોય.અને મહાત્મા ના એ શબ્દો વારંવાર તેમના કાને પડઘાવા લાગ્યા.અને એ વારંવાર પડઘાતા શબ્દોના કારણે સૂર્યકાંત ને સમજાઈ ગયું હતું કે આજે એમનો નક્કી આખરી દિવસ છે.
સંધ્યા વેળા થઈ અને એમની પૌત્રી સોનિયા ઘરે આવી.અને એણે પોતાની મમ્મીને કહ્યુ.
"મમ્મી તમારે મંદિરે જાવું હોય તો જાવ.આરતી નો સમય થવા આવ્યો છે. હું બાપુજીની પાસે બેસુ છું."
પ્રિયા મંદિરે ગઈ.સોનિયા પોતાના દાદાની પથારીમાં દાદાના પગ પાસે બેઠી.એણે પોતાના દાદાના ખબર અંતર પૂછ્યા.જવાબમા સૂર્યકાંતે મધુરા સ્માઈલ સાથે.આકાશ તરફ ઈશારો કર્યો.જાણે કહેતા હોય કે બસ આજે હું ઉપર જવાનું છુ.દાદા નો ઈશારો સોનિયા ને સમજાયો નહીં.તે બાપુજીના ચહેરા ને જોતા જોતા બાપૂજી ના પગ દબાવવા લાગી.
સૂર્યકાંત પોતાના હાથ અચાનક પથારીમા કંઈક શોધતા હોય એમ આમતેમ ફેરવવા લાગ્યા.બાપુજીને આ રીતે કંઈક શોધતા જોઈ સોનિયા પુછે છે
"કંઈ જોવે છે બાપુજી?"
પણ સૂર્યકાંત કંઈ બોલી ન શક્યા.ફક્ત પ્રશ્નાર્થ ભરી નજર એમણે સોનિયા ઉપર નાખી.જાણે પૂછતા હોય.
"મારા દીકરાઓ ક્યાં?"
પણ એ બોલી ન શક્યા.તેમણે સોનિયા ના ચહેરા પરથી નજર હટાવી.અને બારીની બાહર નાખી.તો સૂર્ય અસ્ત થઈ ચૂક્યો હતો.એમણે ઈશારાથી પૂછ્યુ.
"કેટલા વાગ્યા?"
"સવા સાત"
સોનિયાએ પોતાના હોઠ ફ્ફડાવ્યા. સૂર્યકાંતે પોતાના જમણો હાથ ઉંચો કરી ને સોનિયા તરફ હલાવ્યો.જાણે વિદાય લેતા હોય એ રીતે.અને પછી એમની ગરદન એક તરફ ઝૂકી ગઈ.સોનીયાને તરત સમજાઈ ગયું કે શું થયું છે.એ ઝડપથી ઉઠી ફ્રીઝ ઉપર રાખેલી ગંગાજળની બાટલી લઈને આવી.અને એક ચમચી એણે બાપુજીના મુખમાં નાખી.અડધું ગળામાં ઉતર્યું.અને અડધું હોઠ માંથી બાહર રેલાયુ.
ઝળહળતા સૂર્યનો.
સુર્યકાંતે ત્રણ વર્ષ પહેલા પારખી લીધેલા મૃત્યુના સમયથી ત્રણ મહિના પછી અસ્ત થયો.
સૂર્યકાંત નો આ રીતે સૂર્યાસ્ત થયો.
સમાપ્ત