Vardaan ke Abhishaap - 24 books and stories free download online pdf in Gujarati

વરદાન કે અભિશાપ - ભાગ 24

વરદાન કે અભિશાપ (ભાગ-૨૪)

            (નરેશના પોતાના કાકા દેવરાજને વ્યવહાર કરવાના નિર્ણયથી મણિબેનને ઘણું જ ખરાબ લાગે છે. તેઓ આખી રાત ઉંઘી શકતા નથી. આખી રાત તેઓના મનમાં થોડું-થોડું કરીને ઝેર ભરાઇ ગયું હોય છે અને એમાં પણ નરેશની સાથે-સાથે હવે તેમના મનમાં દેવરાજ માટે પણ ઝેર ભરાઇ ગયું હોય છે. જે હવે તેમના મનમાં ઘર કરી ગયું હતું. બીજા દિવસે સવારે મણિબેન નરેશ અને સુશીલાને અલગ રહેવા જવા માટે કહી દે છે. નરેશ અને સુશીલા એકબીજાની સામે જુએ છે. તેઓ બંને સમજી જાય છે કે, કમલેશે કરેલી કાનભંભેરણીમાં મણિબેન ભરમાઇ ગયા છે અને જન્મદિવસના દિવસે થયેલ બનાવે તેમા ઘી હોમી દીધું છે. હવે આગળ..............)

            નરેશ અને સુશીલા ભારે હૈયા સાથે ઉપરના માળે રહેવા જાય છે. એ વખતમાં એટલી બધી આવક ન હતી કે તેઓ બધી ઘરવખરી લાવી શકે. જેમ તેમ કરીને તેઓ ઘરનું ગાડું ચલાવે છે. મણિબેન ખાલી છોકરાઓને રાખતાં એ સિવાય તેમનો કોઇ સાથ-સહકાર નરેશ કે સુશીલાને મળતો નહિ. એવામાં જ અચાનક તેમનો દીકરો મયુર બીમાર થાય છે. તેને એટલો તાવ આવી જાય છે કે તેને દાખલ કરવો પડે છે. નરેશ અને સુશીલા તો બહુ જ ચિંતામાં આવી જાય છે. એમને સમજ નથી પડતી કે એક બાજુ ઘર વસાવવાનું છે અને બીજી બાજુ બાળકને આવી તકલીફ. તેઓ બંને તો  ભાંગી જ પડે છે. તે બંનેને આ રીતે જોતાં મણિબેન ધનરાજભાઇને નરેશના બાળક વિશે પૂછે છે. નરેશના દાદા વિશ્વનાથના ગયા પછી દેવીશક્તિના ગાદીપતિ હવે ધનરાજ જ હતા.

            દેવીશક્તિ આવીને મણિબેનને જણાવે છે કે, નરેશ અને સુશીલા નવા ઘરમાં માટલી મૂકી પણ દેવીશક્તિની પૂજા કરવાનું ભૂલી ગયા. એટલે આ તકલીફ પડી. મણિબેન તરત જ નરેશને આ વાતની જાણ કરે છે. નરેશને પોતાની ભૂલ સમજાય છે કે મારા જીવનના નવા અધ્યાયમાં હું મા ને કઇ રીતે ભૂલી શકું ? તે તરત જ દેવીશક્તિીની પૂજા-પાઠ કરાવી દે છે. બીજા દિવસે તો જાણે ચમત્કાર થઇ જાય છે કે મયુર અચાનક સાજો થઇ જાય છે. ડૉકટર પણ વિચારમાં પડી જાય છે કે આટલી જલદીથી આ બાળક કઇ રીતે સાજો થઇ ગયો!!!!!

            મયુરને લઇને નરેશ અને સુશીલા ઘરે આવી જાય છે અને દેવીશક્તિની માફી માંગે છે. એ પછી તેઓ કોઇપણ ભૂલ ન થાય તેનું ધ્યાન રાખતાં-રાખતાં તેમના જીવનમાં વ્યસ્ત થઇ જાય છે. જયાં તેમની ઉતરોતર પ્રગતિ શરૂ થઇ ગઇ હોય છે. કેમ કે, વિશ્વનાથની ઇચ્છા દેવીશક્તિ નરેશ પાસે જ રહે અને દેવીશક્તિ વિશ્વનાથના બોલથી નરેશની બધી તકલીફો દૂર કરી રહી હતી. દેવીશક્તિએ તેનો ભવિષ્યનો ગાદીપતિ શોધી લીધો હતો.

દેવીશક્તિની કૃપાથી નરેશે ધીમે-ધીમે કરતાં ઘરનો બધો સમાન વસાવી લીધો. થોડા સમય બાદ નરેશ, સુશીલા અને બાળકો નવા વાતાવરણમાં સ્થાયી થઇ જાય છે. હવે તેમના જીવનની ગાડી પાટા પર આવી ગઇ હતી.  નરેશના અલગ રહેવા જતા હવે જે વધારાની આવક તે તેની મમ્મીને આપતો હતો તે પૈસા તેણે પોતાનો બાળકો માટે પોતાની પાસે જ રાખ્યા. આ બાજુ નરેશના આવા વર્તનથી મણિબેનમાં આગની જવાળા ફાટી ગઇ હતી. એ કદાચ ભૂલી જ ગયા હતા કે નરેશ તેમનો દીકરો છે. તેમનું વાણી-વર્તન અચાનક જ ઓરમાયા જેવું થઇ જાય છે. હવે તેઓ નરેશને અવગણવા લાગ્યા હતા. નરેશનું ઘરમાં રહેવું પણ તેમને સહન થતું ન હતું. પણ કેમ ? આ એક એવું રહસ્ય હતું જે ફકત ને ફકત વિશ્વનાથ અને ધનરાજ જ જાણતા હતા............

(શું આ એક રહસ્ય નરેશની પૂરી જીંદગી બરબાદ કરવા સક્ષમ હતું ? પણ એ રહસ્ય શું હતું?)   

 

(વધુ આવતા પ્રકરણે ભાગ-૨૫ માં)

-  પાયલ ચાવડા પાલોદરા    

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED