Ae kon hata ? books and stories free download online pdf in Gujarati

એ કોણ હતાં? - 3

આટલી મોડી રાત્રે વિરાન જેવા સ્થળે અચાનક જ દૂર કોઈ ઘૂઘરૂં વાગતું હોય એવો અવાજ આવવા લાગ્યો. ધીરે ધીરે તે અવાજ મોટો અને સ્પષ્ટ થતો ગયો. મનમાં ગભરાટ અને શરીરમાં પરસેવો છૂટવા લાગ્યો. રસ્તા પર કૂતરું પણ નથી દેખાતું ત્યાં આવા પ્રકારનો અવાજ અને તે પણ મધ્ય રાત્રીના સમયે એ વિચાર જ કંપારી કરાવવા માટે પૂરતો હતો. હૃદયમાં ધ્રાસકો પડવા લાગ્યો. ઇન્દુબેન જલારામ બાપ્પાના ભક્ત હતાં એટલે એમણે તો તરત આંખ બન્ધ કરીને જલારામનું સ્મરણ કરવાનું શરૂ કરી દીધું. અચાનક જ અવાજ આવતો બન્ધ થઈ ગયો પણ...
અવાજ આવતાં બન્ધ થઈ જતાં દરેકે હાશકારો લીધો. જ્યંતભાઈ બોલ્યા, 'બોલો હવે શું કરવું છે. સ્ટેશન ઉપર જ રાત વિતાવી દઈએ કે બહાર નીકળવું છે.' હજી જ્યંતભાઈના સવાલનો ઇન્દુબેન કે તેમની દીકરી જવાબ આપવા જાય એટલામાં તો બહારથી ઘોડાનો અવાજ આવ્યો. એક સેકન્ડ માટે તો બધાં ધબકારા ચુકી ગયાં. મગજ કંઈ કામ કરતું હતું નહીં અને ભગવાનનું નામ પણ બોલાતું નહતું એવી મનોદશામાં તેઓ હતાં.
થોડી વાર પછી 'પણ હવે કંઈક તો કરવું જ પડશે 'એમ વિચારીને જ્યંત ભાઈ એક ડગલું આગળ વધે છે. તેમની સાથે ઉભા રહેલ તેમનાં પત્ની અને પુત્રી તેમનો હાથ પકડીને અટકાવી દેઈ છે. જ્યંતભાઈ કહે છે,' જુઓ જો ભાગ્યમાં આજે મોત લખ્યું હશે તો અહીં પણ થશે અને બહાર પણ થશે જ એટલે ચલો હિંમત કરીને જોઈએ તો ખરા કે આ શેનો અવાજ આવે છે.'
ત્રણે જણ ધીરે ધીરે એક એક ડગલું આગળ માંડે છે. બહાર અવવાનાં એક બે ડગલાં જ માંડ બાકી હશે ત્યાં તેમને સ્ટેશનની બહાર એક ઘોડો દેખાઈ છે. આટલી અંધારી રાત્રીમાં ઘોડાની આંખો ચમકતી હતી. એકદમ હૃષ્ટપુષ્ટ અને ઉંચો એવો ઘોડો હતો જાણે કોઈ શ્રીમંતના ઘરનો હોય. હજી તો ઘોડાને જોતાં જ હતાં ત્યાં ઘોડાની પાછળ તરફથી અવાજ આવે છે 'ચલો જલ્દી બેસી જાઓ.' ફરી ધ્રાસકો પડે છે. અચાનક એક માનવીના જેવી આકૃતિ દેખાઈ છે. અંધારું હોવાથી ચહેરો દેખાતો નથી. આચનક જ આવી ગયેલા આમંત્રણનો જ્યંતભાઈ ઍન્ડ ફૅમિલી પાસે કોઈ જવાબ નહતો. તેઓ કંઈ બોલ્યા જ નહીં. પેલો ફરી વખત બોલ્યો, ' અરે ભાઈ, જલ્દી બેસી જાઓ. મને પણ મોડું થાય છે.'
જ્યંતભાઈ ફરી હિંમત એકઠી કરીને પૂછે છે 'તમે કોણ ભાઈ?' સામેથી જવાબ આવે છે કે' અરે, મને વિજયાબેને મોકલ્યો છે. તમે તેમના મોટા પુત્ર છો ને?' જ્યંતભાઈને કંઈ સમજાતું નથી. પેલા ભાઈ આગળ કહે છે, 'તમારું નામ જ્યંતભાઈ છે ને? મારે તમને ઘર સુધી પહોંચાડવાનાં છે. ચલો, હવે જલ્દી ઘોડાગાડીમાં બેસી જાઓ. અત્યારે ક્યાં મગજ કસો છો?' ભયના લીધે જ્યંતભાઈએ સામે ઉભેલી ઘોડાગાડી જોઈ જ નહતી. ઘોડાગાડી જોતાં તેમને હાશકારો થાય છે. તેઓ ઘોડાગાડીમાં પહેલાં પોતાની પત્નીને અને પછી તેમની છોકરીને ચઢાવે છે ત્યારબાદ સામન ચઢાવી પોતે બેસી જાય છે. રાત્રી એટલી ગાઢ હતી કે થતું હતું કે આ ભાઈ ટાંગો કેવી રીતે ચલાવશે. ત્યાં તે ભાઈ તેની પાસે મુકેલા ફાનસને ચાલુ કરે છે. ફાનસ એવી રીતે મૂકેલું હતું કે તેનો પ્રકાશ રસ્તા ઉપર જ પડતો હતો. જ્યંત ભાઈ હજી તે ભાઈનો ચહેરો જોઈ શક્યા નહતાં. રસ્તો થોડો લાંબો હતો. જ્યંતભાઈએ ટાંગાવાળાને પૂછ્યું,' ભાઈલા તારું નામ શું છે?' તેણે કોઈ પ્રતિઉત્તર ન આપ્યો. થોડી ક્ષણ પછી ફરી જ્યંતભાઈએ કહ્યું, ' હું અહીં જ જન્મ્યો અને મોટો થયો છું. લગ્ન પછી મુંબઈ ગયો પણ દર થોડા થોડા દિવસે અહીં મારી બા અને ભાઈઓને મળવા આવતો રહ્યું છું. પણ મારી મુસાફરી દિવસ દરમિયાનની જ રહેતી હોય છે શું આપણે અગાઉ મળી ચુક્યા છે?' ફરી કોઈ જવાબ જ્યંતભાઈને ન મળ્યો. તેઓ વિચારમાં પડયાં. આ ભાઈ કેમ કંઈ બોલતો જ નથી. માત્ર ઘોડો જ દોડાવ્યાં રાખે છે. થોડીવારમાં ગામ આવી ગયું. પોતાનું ગામ જોઈને જ્યંતભાઈ અને તેમની ફૅમિલીનાં જીવમાં જીવ આવ્યો. જય જલારામ કરીને ઇન્દુબેન ઘોડાગાડીમાંથી ઉતર્યા. બધો સામાન ઉતારી દીધો. જ્યંતભાઈએ ટાંગાવાળાને પૂછ્યું 'ભાઈ કેટલા પૈસા આપવાના?' ટાંગાવાળો બોલ્યો, ' ભાઈ, પહેલાં એક ગ્લાસ પાણી પીવડાવી દો.' જ્યંતભાઈએ કહ્યું, ' હા હા, કેમ નહીં. તમે એક જ ક્ષણ ઉભા રહો હું હમણાં પાણી લઈને આવ્યો.' એમ કહી જ્યંતભાઇ તેમના પત્ની અને પુત્રી સાથે ઘર નજીક જાય છે અને ઘરનો દરવાજો ખખડાવે છે. થોડીવાર સુધી કોઈ જવાબ આવતો નથી. ફરી જોરમાં દરવાજો ખખડાવે છે. અંદરથી અવાજ આવે છે.' કોણ છે બહાર નામ ?' જ્યંતભાઈ કહે છે કે' અરે હું છું તારા પપ્પા. હમણાં ગાડીમાં આવ્યો તારી મમ્મી અને બહેન સાથે' થોડીવાર રહીને દરવાજો ખુલે છે. અંદર તેમના બે પુત્રો ઊભેલાં હોય છે કે જેઓ જલ્દી આવી ગયાં હતાં. તેઓ તેમનાં પિતાને જોઈને ખુશ થઈ જાય છે અને આશ્રયચકિત થઈને પૂછે છે કે તમે અત્યારે સ્ટેશનથી કેવી રીતે આવ્યાં? એટલામાં જ્યંતભાઈની બા દરવાજા પાસે આવે છે. જ્યંતભાઈ તેમને પગે પડીને કહે છે કે 'બા સારું કામ કર્યું. આ ટાંગા વાળને મોકલ્યો નહીંતર સવાર સુધી રાહ જોવામાં અમારી શું પરિસ્થિતિ થઈ હોત તે ખબર નહીં' આટલું સાંભળીને વિજયાબેન કહે છે, 'કોણ ટાંગાવાળો, કયો ટાંગાવાળો? મેં તો કોઈને મોકલ્યો નથી. તમે કંઈ ટ્રેનમાં આવશો અને ક્યારે આવશો તે નક્કી ન હતું તો હું કેવી રીતે કોઈને લેવા માટે મોકલવાની હતી?' વિજયાબેન બોલી રહ્યાં હતાં અને જ્યંતભાઈ, ઇન્દુબેન તથા તેમની પુત્રી જાણે સામે કોઈ ભૂત જોઈ લીધું હોઈ તેવા ભાવે વિજયાબેનને જોઈ રહ્યાં હતાં.' આ સાંભળીને જ્યંતભાઈ પાછળ વળીને જુએ છે તો ત્યાં કોઈ ટાંગાવાળો દેખાતો નથી. ઘરમાંથી ફાનસ લઈને છોકરાઓ સાથે થોડેક આગળ સુધી જોવા જાય છે પણ ન તો કોઈ ટાંગો દેખાઈ છે કે ન તો કોઈ ટાંગાવાળો કે ન કોઈ ઘોડો. જ્યંતભાઈ કંઈ સમજી શકતા નથી. વિચાર્યું કે કદાચ કોઈ ઓળખીતો હશે જેણે અમને મદદરૂપ થવા માટે ખોટું કીધું હશે અને અહીં સુધી મૂકી ગયાં હશે. અથવા તો કોઈ ટાંગાવાળાને બે પૈસા કમાવવા હશે એટલે આવું થયું હશે. હા, એવું જ હશે કંઈ' એમ વિચારતાં વિચારતાં જ્યંતભાઈ ઘરે પહોંચે છે. વિજયાબેન કહે છે, ' જ્યંત, અહીં સાંજના સૂર્યાસ્ત થઈ જાય પછી કોઈ પણ ટાંગાવાળો સ્ટેશન પાસે ઉભો રહેતો નથી. કોઈ વખત મોડી ટ્રેનોના હિસાબે બે ત્રણ ટાંગા દસેક વાગ્યા સુધી ઉભા રહેતાં હોય છે ત્યારબાદ કોઈ કરતાં કોઈ ત્યાં ઉભું રહેતું જ નથી. પણ તું કહે છે કે કોઈ ટાંગાવાળો ત્યાં આવ્યો તો તે શક્ય જ નથી.' આટલું સાંભળીને તો જ્યંતભાઈ ના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એવું લાગ્યું. ઇન્દુબેન અને તેમની છોકરીના હાથનાં રૂંવાડા ઉભા થઇ ગયાં. તેઓની આવી હાલત જોઈને વિજયાબેન બોલ્યા, ' અરે, શાંત થાવો, ડરો નહીં. કદાચ આ ચોક્કસ કોઈ સંત માણસ હશે તો જ મદદે આવ્યાં નહીંતર તમે અહીં સુધી કેમ કરીને હેમખેમ આવી શક્યા હોત.' વિજયાબેનના શબ્દો ઇન્દુબેનને કાને પડતાંની સાથે તેઓ તરત જ બોલી ઉઠ્યાં, હા, આ ચોક્કસ જલારામ બાપ્પા જ હશે. જેઓ હંમેશા તેમના ભક્તોની મુશ્કેલીના સમયમાં સહાય કરવા કોઈપણ સ્વરૂપે હાજરાહજૂર થઈ જાય છે.'
જોકે સત્ય શું છે તે તો આજસુધી જાણી નથી શકાયું. તે દિવસની ઘટના બાદ બીજા દિવસે તેઓએ સ્ટેશન પર જઈ પૂછપરછ પણ કરી પણ કંઈ ખબર પડી નહીં. દરેક ટાંગાવાળા એક જ કહેતાં હતાં કે અમે મૂર્ખ છે કે આટલા વાગ્યા સુધી સ્ટેશન ઉપર ફર્યા કરીએ. પણ કહેવાય છે ને ' માનો તો ભગવાન નહીં તો પથ્થર'. બસ, આમાં પણ એવું જ કંઈક છે.

સમાપ્ત...........

બીજા રસપ્રદ વિકલ્પો