So let's read about the storm!!! books and stories free download online pdf in Gujarati

તો ચાલો, વાવાઝોડાની વાતો વાંચીએ !!!




તો ચાલો, વાવાઝોડાની વાતો વાંચીએ !!!

નમસ્તે વ્હાલાં બાળકો, કેમ છો? મજામાં ને ? છેલ્લાં ઘણાં દિવસોથી ટી. વી. પર અને સમાચારપત્રોમાં વાવાઝોડાનાં સમાચારો તમે સાંભળ્યા હશે. છેલ્લાં બે દિવસથી ઘણો પવન ફૂંકાયો છે. 'બિપરજોય ' વાવાઝોડું ગુજરાતમાં મોટી આફત લઈને આવી રહ્યું હતું. હવામાન ખાતાની આગાહી અને અગાઉથી રાખવામાં આવેલી તકેદારીઓને લીધે ગઈકાલે રાત્રે વાવાઝોડું ટકરાયું પરંતુ કોઈ મોટી જાનહાનિ થઈ નથી. તો ચાલો આજે આપણે વાવાઝોડા વિશે વિગતે જાણીએ.


વાવાઝોડું એટલે શું ? :-

વાવાઝોડાનો સીધો સાદો અર્થ એટલે અતિશય વેગથી જોરમાં ફૂંકાતો પવન. વાવાઝોડું એ વર્તુળાકાર ઘુમતો અને ભારે વેગથી ફૂંકાતું હવાનું તોફાન છે. જે દરિયામાંથી પેદા થઈ જમીન ઉપર આવે છે. વાતાવરણમાં હળવા દબાણના કારણે અરબી સમુદ્ર કે બંગાળના અખાતમાં સર્જાતા આ વર્તુળાકાર પવનો સામાન્ય રીતે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી દરિયામાંથી જમીન ઉપર ત્રાટકે છે. વાવાઝોડાની અસર તળે ભારેથી અતિભારે વરસાદ પણ થઈ શકે છે.


વાવાઝોડું કઈ રીતે આવે છે? :-


ઉત્તર-પશ્ચિમ ભારતમાં પ્રચંડ ગરમીનું મોજુ વાવાઝોડાને પેદા કરતું પરિબળ છે. હવા ગરમ થવાથી હલકી થાય છે. ઉપર ઉઠે છે, જેથી ઓછા પ્રેસરે (હળવા દબાણ)નું ક્ષેત્ર સર્જાય છે. આ જગ્યા ભરવા બીજા પવન આ બાજુ આગળ વધે છે. આ રીતે અરબી સમુદ્રમાંથી વરાળ સાથેનું વાદળોનું પ્રચંડ સમૂહ આગળ ગતિ કરી દરિયાકાંઠા ઉપરથી દબાણ ક્ષેત્રની તરફ વધે છે.

વાવાઝોડાની આંખ :-

વાવાઝોડું ઘડિયાળનાં કાંટાની વિરૂદ્ધ દિશામાં ગોળ ફરે છે તે દરિયાની સપાટીથી ૮ થી ૧૨ કિ.મી. ઊંચાઈ સુધીનું પણ હોઈ શકે છે. વાવાઝોડાની પહોળાઈ ૨૦ થી ૫૦ કિ.મી.ની હોઈ શકે છે. વાવાઝોડાની વચ્ચે આવેલ શાંત કેન્દ્રને વાવાઝોડાની ‘‘આંખ’’ કહેવાય છે. આંખ, અંદરનું વર્તુળ અને બહારનું વર્તુળ એ વાવાઝોડાનો જ ભાગ ગણાય, પવનની ગતિ અને દિશાના આધારે વાવાઝોડું ક્યારે અને ક્યાં જમીનની સપાટી ઉપર ત્રાટકી શકે છે તેની ગણત્રી માંડી હવામાન ખાતું ચેતવણી (વાવાઝોડા બુલેટીન) આપે છે.

ગુજરાતમાં વાવાઝોડું ક્યાંથી આવે છે?

ગુજરાતમાં મોટે ભાગે અરબી સમુદ્રમાંથી વાવાઝોડું આવે છે અને ઉત્તર, ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધે છે. તે મોટે ભાગે દરયિાઈ કાંઠાના વિસ્તારો અને ખાડી વિસ્તારોના પ્રદેશોમાં પ્રતિકૂળ અસર કરે છે. જેમાં કચ્છ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ,સુરત, વલસાડ જિલ્લાના વિસ્તારોનો સમાવેશ થાય છે.


બિપરજોય’ નામ કોણે આપ્યું?

બાંગ્લાદેશ દ્વારા આ ચક્રવાતનું નામ ‘બિપરજોય’ રાખવામાં આવ્યું છે. તે બંગાળી નામ છે અને તેનો અર્થ ‘આપત્તિ’ થાય છે. બિપોરજોયનો અર્થ છે ડિઝાસ્ટર એટલે કે આપદા. તમામ દેશોને કોઈને કોઇ વાવાઝોડાનું નામ આપવાની તક મળે છે. આ માટેના પણ કેટલાક નિયમો છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં જેટલા પણ વાવાઝોડા આવે છે તેના નામ વારાફરથી રાખવામાં આવે છે.


વાવાઝોડા પહેલાં શું કરવું જોઈએ :

સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો. હવામાન ખાતાની આગાહી મુજબ સૂચવવામાં આવેલ સૂચનોનું કડક પાલન કરો તો જાનહાનિ તળે છે. જો પાક લણણી માટે તૈયાર હોય તો ઊભા પાકને સમયસર લણી લઈ સલામત સ્થળે રાખો જેથી પૂરથી તેને નુકસાન થતું અટકે. જો તમે જોખમી વિસ્તારમાં રહેતા હો તો વાવાઝોડાની પ્રથમ આગાહી સમયે જ સ્થળાંતર કરવું સલાહભર્યું છે.માછીમારોએ દરિયામાં જવું નહીં, સલામત સ્થળે બોટને લાંગરવી. સ્થળાંતર સમયે ગભરાટ કર્યા વગર આપના સામાન તેમજ ઢોર-ઢાંખરની સલામતીનું ધ્યાન રાખો. શાંત રહો, ગભરાટ કરશો નહીં.
ઘરના સભ્યો સાથે વાવાઝોડા અને તેની અસરો તેમજ સલામતીના પગલાં વિશે ચર્ચા કરો જેથી કટોકટીના સમયે કોણે શું કરવું તેનું તેઓને જ્ઞાન રહે. આમ કરવાથી તેઓનો ભય દૂર થશે અને આપત્તિ સમયે ઝડપથી સલામતીભર્યા પગલાં લેવાની સુઝ વિકસશે.
આપના આવાસની મજબૂતીની ખાતરી કરી લો અને બાંધકામને લગતી ક્ષતિઓ દૂર કરવાનો પ્રયત્ન કરો.
આપની પાસે ફાનસ, ટોર્ચ અને વધારાની બેટરી રાખો. ધાબળા, કપડા અને પ્રાથમિક સારવારની કિટ સાથે રાખો. બિમાર વ્યક્તિઓ અને બાળકો માટે ખોરાક, પાણી અને દવાઓની લગભગ સાતેક દિવસ ચાલે તેવી વ્યવસ્થા રાખો.કેટલાક લાકડાના પાટીયાઓ રાખો જેથી બારીઓમાં જડી શકાય. વૃક્ષોના સુકા અને રોગયુક્ત ભાગો કાપી નાખો જેથી ફૂંકાતા પવનને લીધે તેઓના પડી જવાથી થતું નુકશાન અટકી શકે, નબળી ડાળીઓ પણ કાપી નાખો. વાહનો ચાલી શકે તેવી સ્થિતિમાં રાખો. જરૂરી અને કિંમતી સામાન પ્લાસ્ટીકમાં પેક કરી શકાય તેમ હોય તો ઉપરના માળે ખસેડી લેવો.


વાવાઝોડું ત્રાટકે ત્યારે શું કરવું - શું ન કરવું ?

ઘરના તમામ બારી બારણાં બંધ કરી દેવા.વાવાઝોડાના સમયે બહાર નીકળવાનું સાહસ કરવું નહીં.વાવાઝોડા સમયે રેલ મુસાફરી કે દરિયાઈ મુસાફરી હિતાવહ નથી.
બહુમાળી મકાનો ઉપર કે મકાનોની છત ઉપર રહેવાનું ટાળો. બને ત્યાં સુધી મેદાનમાં કે તેની આસપાસ રહો.
માછીમારોને દરિયામાં ન જવા અને પોતાની હોડી સલામત સ્થળોએ બાંધી રાખવી જોઈએ.અગરીયાઓ કે અગરો છોડી સલામત જગ્યાએ આશ્રય લેવો.
ઝાડ હેઠળ કે જૂના જર્જરીત મકાનોમાં આશ્રય લેવાનું ટાળો. વીજળીના તાર કે વીજ ઉપકરણોને અડશો નહીં, વીજળીના થાંભલાથી દૂર રહો.વીજપ્રવાહ તથા ગેસ કનેકશન બંધ કરી દેવા. ટેલીફોન દ્વારા શક્ય હોય તો કંટ્રોલ રૂમમાંથી સાચી માહિતી મેળવવી અને અફવાઓથી દૂર રહેવું.


વાવાઝોડાં પછી શું કરવું - શું ન કરવું?

કાટમાળમાંથી ચાલતી વખતે તુટેલા કાચના ટુકડા કે પતરા જેવી વસ્તુઓ તેમજ સાપ જેવા ઝેરી જીવ-જંતુઓથી સાવધાન રહો. સ્થાનિક અધિકારીઓની સૂચના પ્રમાણે વર્તો. બહાર નીકળતા પહેલાં વાવાઝોડું પસાર થઈ ચુક્યું છે તેની ખાતરી કરીને જ બહાર નીકળવું. રેડીયો કે ટી.વી. ઉપર સલામતીનો સ્પષ્ટ સંદેશો આવે ત્યાં સુધી રાહ જુઓ. તત્કાલ રાહત ટુકડી પહોંચવાની રાહ જુઓ. પૂરગ્રસ્ત વિસ્તારોથી દૂર રહો.
લોકોની મદદ માટે આપનાથી બનતી સેવા કરો જેવી કે, ઘર છોડીને ગયેલા લોકોને પાછા લાવવા મદદ કરો અને તેમના જાનમાલના નુકસાનની માહિતી ભેગી કરો. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર પૂરી પાડો.કાટમાળમાં ફસાયેલાઓનો તાત્કાલિક બચાવ કરો. રક્તદાન કરવા તૈયાર રહો. કાટમાળના નિકાલની વ્યવસ્થા કરો જેથી સ્થિતિ ઝડપથી સામાન્ય બની શકે. ભયજનક અતિ નુકસાન પામેલ મકાનને તાત્કાલિક ઉતારી લેવા.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED