Reva books and stories free download online pdf in Gujarati

રેવા

આજે નર્મદાશંકરનું મન ચકડોળે ચડ્યું હતું. તેમનાં ગુરુએ જ્યારે છેલ્લી દીક્ષા પરિવારમાંથી લેવાની વાત કરી હતી. નર્મદાશંકરને જમાતમાં આવ્યે પચાસ પચાસ વર્ષો વીતી ગયા છતાં પણ હજુ સુધી તેમનાં ગુરુ અને ગુરુભાઈઓને ખબર નથી કે, નર્મદાશંકર ઘરેથી કોઈને કહ્યાં વિના જ ઘરબાર છોડીને આવી ગયા છે અને આજ દિન સુધી પરિવારને નર્મદાશંકર ક્યાં છે તેની કોઈ જ જાણ નથી કે નર્મદાશંકરે કદી પોતાનાં પરિવારને જાણ કરવાનો કે વાત કરવાનો પ્રયત્ન જ કર્યો નથી. હવે જયારે મોક્ષ પ્રાપ્તિ માટે અંતિમ દીક્ષા પરિવાર પાસેથી લેવાની વાત થઈ ત્યારે નર્મદાશંકરને શું કરવું તે સમજાતું નથી. કેવી રીતે ગામમાં જઈશ ? મારી માતા, પત્નિ અને મારી બંને નાની દીકરીઓ, મને સ્વીકારશે કે તિરસ્કાર કરશે ? તિરસ્કાર જ સ્તો! નાની દિકરી પુષ્પા એક જ વર્ષની હતી અને મોટી દીકરી હસુમતી ત્રણ વર્ષની હતી ત્યારે નર્મદાશંકરે પચ્ચીસ વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરેલો. કોઈને પણ કહ્યાં વિના વહેલી સવારે ઘરેથી નીકળી ગયા હતા. કોઈ મિત્રને પણ આ બાબતની જાણ નહોતી કરી. આજે નર્મદાશંકરનું મન જે રીતે ચકડોળે ચઢેલું છે તેવું જ આજથી પચાસ વર્ષ પહેલાં તેમનું મન આ સંસાર ત્યાગ કરતી વખતે ચઢેલું હતું.


નર્મદાશંકરને ક્યાં ખબર હતી કે તેમનાં ગયા પછી ઘરનાં સભ્યો કેટલાં હેરાન થયેલાં ? એમાંય ખાસ તો તેમની પત્નિ. માતા વૃદ્ધ હતાં. નર્મદાશંકર ઘરમાં સૌથી મોટાં હતાં. તેમનાં બંને ભાઈઓ પાસે વારાફરથી તેમની માતા રહેતાં હતાં. તેમની પત્નિ રેવા તો રૂપ રૂપના અંબાર. બંનેનું દામ્પત્ય જીવન ખુશખુશાલ અને સુખી હતું. રેવા અને નર્મદાશંકર બંને એકબીજા સાથે પ્રેમથી રહે. એકબીજાની ખૂબ કાળજી રાખે સાથે સાથે બંને ઘરમાં મોટાં હોવાના નાતે ઘરમાં સૌનો એટલો જ ખ્યાલ રાખે. તેમનાં પિતા પૂર્ણાશંકર હયાત નહોતા. તેમનાં પિતા બાજુના ગામમાં એક રાજાના દરબારમાં રાજગોર હતાં. રાજગોર હોવાના નાતે તેમની ઉપર રાજા ખૂબ પ્રસન્ન રહે. રાજા પણ ખૂબ ભલો અને દાની હતો. રાજા આ રાજગોરને કંઇક ને કંઇક ભેટ સોગાદો રૂપે સોનામહોરો આપ્યાં જ કરે. તેમની પાસે ઘણી સોનામહોરો, હીરા મોતીના હાર અને ધન સંપત્તિ સારા પ્રમાણમાં હતાં. કોઈવાતનું દુઃખ નહોતું. આમ, નર્મદાશંકરની આર્થિક સ્થિતિ પણ સારી. લોકોમાં ચર્ચાઓ શરૂ થઈ. નર્મદાશંકર કેમ ગયાં હશે? ક્યાં ગયા હશે? શા માટે ગયાં હશે ? તેમના પરિવારમાં પણ કોઈ એવો પ્રશ્ન નહોતો કે નર્મદાશંકરને આવુ પગલું ભરવું પડે. પત્નિ, માતા અને ભાઈઓ સાથે હંમેશાં પ્રેમાળ વર્તન વ્યવહાર હતાં. ઘરનાં મોટાં ભાઈ તરીકે નર્મદાશંકર પોતાની જવાબદારી સારી રીતે અદા કરતાં હતાં. એક બાપની જગ્યાએ નર્મદાશંકર હોઈ પરિવારમાં દરેકનો ખ્યાલ રાખે. પરિવારમાં કોઈને પણ કોઈ જ વાતે ઓછું ન આવે તેનો ખ્યાલ રાખતાં. નર્મદાશંકરના બંને નાના ભાઈઓ પણ તેમનો પડ્યો બોલ ઝીલે અને ખૂબ માન જાળવે.

નર્મદાશંકરની શોધખોળ શરૂ થઈ. આસપાસનાં ગામોમાં, મિત્રો અને સગા - સંબંધીઓ દરેક જગ્યાએ તપાસ કરી પણ ક્યાંય ન મળ્યાં. તેમની પાસે ત્રાજવે તોલી શકાય તેટલું સોનું હતુ તે બધું જ નર્મદાશંકરને શોધવામાં ખલાસ થઈ ગયું. પહેલાંના જમાનામાં ક્યાંય ફોન, ટી.વી.કે સમાચાર ચેનલો હતી નહીં એટલે સરકારી બસોમાં ફરી ફરીને અડધું ભારત ખૂંદી વળ્યા. પણ ક્યાંય નર્મદાશંકરનો પત્તો ન મળ્યો. કેટ કેટલી પ્રાર્થનાઓ અને બાધા આખડીઓ રાખી પણ બઘું જ વ્યર્થ. તેમનાં પત્નિ રેવાએ તો ઘણાં સમય સુધી અન્ન જળ ત્યાગ કરી દીધો હતો. પરિવારના કહેવાથી ઘણાં સમય પછી અન્ન જળ લેવાનું શરુ કર્યુ હતુ અને તેમાંય રેવાએ જ્યાં સુધી તેમનાં સ્વામિનો પત્તો ન મળે ત્યાં સુધી ચોખાનો ત્યાગ કર્યો. તેમનાં માતા અને પત્નિ સતત રોકક્કળ કર્યા કરે. એમ કરતાં આશરે એકાદ વર્ષ ઉપર થઈ ગયું છતાં પણ નર્મદાશંકર ન મળ્યાં તે ન જ મળ્યાં. તેમનાં પત્નિ રેવા સતત ઈશ્વર સ્મરણ કર્યાં કરતાં હતાં. પાસેના શિવાલયમાં દરરોજ જઈને પૂજા અને પ્રાર્થના કરતાં હતાં. રાત દિવસ રેવાના મનમાં એક જ વિચાર ' મારા સ્વામિ ક્યાં ગયા હશે ? શા માટે તેમને ઘર છોડવું પડ્યું ? કયારે આવશે?' રેવાના મુખમાં સતત હરિનામ સ્મરણ રહેતું. દર શ્રાવણ માસમાં રેવા શિવભક્તિ કરતાં. મહાદેવ ભોળાનાથને ખૂબ રીઝવતાં. ભોળાનાથ પાસે તેના સ્વામિનું સરનામું માંગતાં. તેના સ્વામિ જ્યાં હોય ત્યાં તેમનાં રક્ષણ માટે પ્રાર્થના કરતાં. બંને દિકરીઓ પણ અવારનવાર તેમના પિતાશ્રી વિશે પૂછતી. 'મા બાપુ ક્યારે આવશે?' એવું પૂછ્યા કરતી હતી. રેવા તેમને આશ્વાસન આપતાં કહે, ' બેટા, તમારા બાપુજી શહેરમાં કમાવા ગયા છે. જલ્દી આવી જશે.' આમ કહી રેવા બન્ને દીકરીઓને આશ્વાસન આપતી. નાની દિકરીઓ હજુ ક્યાં કંઈ સમજે તે ઉંમરની હતી! પિતાજી યાદ આવે એટલે પૂછે , બાકી રમતમાં પડે અને ભૂલી જાય.


બે વર્ષ પૂરાં થવાં આવ્યા, હજુ નર્મદાશંકરનો કોઈ જ પત્તો નથી. રેવા માટે હવે બંને દીકરીઓને લઈને રહેવું અઘરું જણાયું. ઘર ચલાવવા માટે કોઈ સહારો તો જોઈએ ને! નર્મદાશંકરના બંને ભાઈઓ અને તેમનાં માતા પણ હવે શ્રદ્ધા ગુમાવી બેઠા હતાં. બઘું જ સોનુ અને પાસે જે રોકડ રકમ હતી તે ઉપરાંત દાગીના પણ વેચી દીધા હતા. બન્ને ભાઈઓનું દેવુ વધી ગયું. હવે શું થાય ? ઘણો સમય અને સંપત્તિ બરબાદ થઈ ગયા. બન્ને ભાઈઓએ દેવુ વહેંચ્યું. અને સાથે સાથે મકાનોની પણ વહેચણી કરી. બંને ભાઈઓને બે રૂમ, રસોડું અને ઓસરી વાળું મકાન ભાગે આવ્યું અને રેવાના ભાગે એક જ નાની ઓરડી!!! રેવાને બે દીકરીઓ, કમાનાર કોઈ નહીં. કેવી રીતે ઘર ચલાવે ? રેવા ચારેય બાજુથી સંકટોથી ઘેરાઈ ગયા. નાનો ભાઈ દિનેશચંદ્ર હવે દેવુ ભરપાઈ કરવા અભ્યાસની સાથે સાથે વર્તમાનપત્રો ઘેર ઘેર નાંખે અને જે પૈસા આવે તેમાંથી થોડું દેવું ભરે અને થોડું ઘર ચલાવવા અને અભ્યાસ માટે રાખે. હવે ભગવાન નર્મદાશંકરનુ રક્ષણ કરે અને સદ્બુદ્ધિ આપે આવું વિચારી બંન્ને ભાઈઓ અંતે પોતપોતાના કામમાં લાગી ગયાં. પણ રેવા !!! બંને દિકરીઓ!!! તેમનું શું ? તેમનું કોણ ? રેવા બન્ને દીકરીઓને લઈને તેમનાં પિયરે જતાં રહ્યાં. તેમનાં બંને ભાઈઓ પૈસે ટકે સુખી હતા. તેમની બાજુમાં એક નાનું અલગ ઘર રેવાને રહેવા માટે આપ્યું. રેવાની દીકરીઓને ભણાવવાની અને સૌને સાચવવાની સંપૂર્ણ જવાબદારી રેવાનાં ભાઈઓએ લઈ લીધી. નર્મદાશંકરના માતા તેમનાં બંને ભાઈઓ સાથે રહેવા લાગ્યાં. એમ કરતાં કરતાં ઘણો સમય પસાર થઈ ગયો. વર્ષો વીતી ગયા. આશરે એક દશકો. આ એક દશકામાં રેવા સતત રડ્યા કરે અને તેનાં સ્વામિને યાદ કર્યા કરે. ન ખાવું ભાવે, ન તો કોઈની સાથે બોલવું ગમે કે બેસવું ગમે. રાત્રિ તો એક વર્ષ જેટલી લાંબી લાગે. રાત પૂરી જ ન થાય. બંને દીકરીઓ હવે મોટી થઈ ગઈ. રેવા સાથે અલક મલકની વાતો કરે. દીકરીઓ શાળા - કોલેજ જાય, બાગ બગીચા માં જાય, સખીઓ સાથે ફરવા જાય પણ રેવા કદી ક્યાંય બહાર ન નીકળે. દીકરીઓની ખુશીમાં ખુશ. બંને દીકરીઓને મોટી કરવામાં, ભણાવવામાં સમય ક્યાં પસાર થઈ ગયો તે ખબર જ ન પડી. દિકરીઓ હવે પરણાવવા લાયક થઈ. સારા સારા ઘરોનાં માંગા આવ્યા. પુષ્પા અને હસુમતી સારુ ભણીને નોકરી લાગ્યાં , તેથી જમાઈ અને સાસરિયાં સારા મળ્યાં. બંને દિકરીઓને ભણાવી ગણાવીને નોકરીએ લગાડી અને સારા કુટુંબમાં પરણાવી. હવે રેવાનો પરિવાર વધતો ગયો. દીકરીઓ, જમાઈ અને ભાણિયા સાથે રેવાનું દુઃખ ઓસરાવા લાગ્યું. જ્યારે દીકરીઓ આવે ત્યારે રેવા યથાશક્તિ જે કંઈ મળે તે આપતાં. દીકરીઓને પરણાવ્યા બાદ રેવા હવે એકલાં. સતત હરિનામ સ્મરણ કર્યા કરે. રેવાની દીકરીઓ તેમનાં સંસારમાં સુખી હતી. બધાં હવે નર્મદાશંકરની વાત ભૂલી ગયા હતા ન ભૂલ્યા હોય તો માત્ર રેવા. હૃદયનાં એક ખૂણે પોતાનાં પતિનું સ્મરણ ; અને હરિનામ સ્મરણ , બસ આ બે જ કામ આખો દિવસ કર્યાં કરે. એકલાં પડયા પછી રેવાની પતિને પાછા મેળવવાની એક મહેચ્છા વધી હતી. એકલા પડેલાં રેવા હવે આકરું તપ કરવા લાગ્યા. સતત એક વર્ષ સુધી, રેવા સવારે વહેલાં ઊઠી બ્રહ્મમુહૂર્તમાં એક પગે ઊભા રહીને ' ૐ નમ: શિવાય 'ના ત્રણ કલાક અખંડ જાપ કરે. હવે રેવા માટે આ નિત્ય ક્રમ બની ગયો. અનસૂયા, સીતા, મંદોદરી , દ્રૌપદી, તારા, સાવિત્રી અને સુલક્ષણા જેવી સતી સ્ત્રીઓ આપણાં શાસ્ત્રોમાં વર્ણન કર્યું છે પરંતું રેવા પણ એક સતીથી કમ નહોતા.
રેવાનો અંતરાત્મા સતત કહ્યા કરતો કે તેના સ્વામિ જરૂર એક વાર તો આવશે જ. રેવા હવે વૃદ્ધ થવાં આવ્યા. હવે તે બેઠાં બેઠાં જાપ કરવાં લાગ્યાં. રેવાનું જીવન આ રીતે જ પસાર થઈ ગયું. રેવાની અંતિમ ઇચ્છા મૃત્યુ પહેલાં પતિના દર્શન કરવાની હતી. અને વિશ્વાસ પણ હતો. રેવા જીવનનાં અંતિમ વર્ષો ખૂબ જ સાદાઈથી અને ઈશ્વર સમર્પિત જીવતાં હતાં. રેવા હવે વૃદ્ધ અને અશક્ત પણ થઈ ગયાં હતાં. પણ ઈશ્વરની એટલી મહેરબાની હતી કે તેઓ તેમનાં બધાં જ કામ જાતે કરી શકે તેટલાં શારીરિક અને માનસિક સ્વસ્થ હતાં.

હાથી જમાત નર્મદાશંકરને છેલ્લી દીક્ષા માટેની તૈયારીઓ કરવા બાબતે વારંવાર યાદ દેવડાવી રહ્યાં હતાં જ્યારે નર્મદાશંકરની મૂંઝવણો વધી રહી હતી. હવે નર્મદાશંકરને પોતાનાં ઘરે ગયે જ છૂટકો. સતત હરિનામ સ્મરણ કરતાં નર્મદાશંકરે અંતે બધું જ ઈશ્વર પર છોડી દઈને તૈયારીઓ શરૂ કરાવી દીધી. નર્મદાશંકર એકલા નહોતા જવાના તેમની સાથે આખી હાથીબાવાઓની જમાત પણ જવાની હતી. પોતાનાં ઇષ્ટદેવનું સ્મરણ કરતાં નર્મદાશંકર હંમેશા ખૂબ જ હકારાત્મક વલણ ધરાવતાં. જયારે મનુષ્યના હાથમાં કંઈ ન હોય ત્યારે બધું જ ઈશ્વર પર છોડી દેવાથી ઈશ્વરે આપણે ઇચ્છ્યું હોય તેથી વિશેષ સારું કરી આપતાં હોય છે. હાથીબાવાઓની જમાત તૈયાર થઈ ગઈ. આશરે દશ હાથી અને પચાસ જેટલાં હાથીબાવાઓની જમાત નીકળી ગઈ. આ બધામાં નર્મદાશંકર સૌથી વૃદ્ધ અને સૌના ગુરુ સમાન હતાં. ઈષ્ટદેવનું સ્મરણ કરી નર્મદાશંકર હાથી પર બેઠા. બાકીના હાથી ઊપર સૌએ પોતાનો સમાન અને અન્ય જરૂરિયાતની ચીજવસ્તુઓ મૂકી. બાકી જે વૃદ્ધો હતાં તે પણ હાથી પર બેઠાં. બાકીના ચાલતાં ચાલતાં પોતાનો રસ્તો કાપે. કોઈ થાકે કે અન્ય શારીરિક તકલીફ હોય તો હાથી પર વારાફરથી બેસે. રસ્તામાં જ્યાં પણ જે કંઈ પણ ખાવા પીવાનું મળે તે ગ્રહણ કરે. નદી નાળાં આવે ત્યાં સ્નાન કરે. જે સમયે જે મળે તે લઈ લે. ઘણી વખત ખાવાનું ન પણ મળે. ઘણાં દિવસો ભૂખ્યા પણ રહેવું પડે. ટાઢ, તાપ અને વરસાદ માંથી પસાર થતાં થતાં જમાત ત્રણ મહીને નર્મદાશંકરને ગામ માલપુર આવી ગઈ. અહીં આવ્યા બાદ ગામનાં લોકોએ જાણ્યું કે આ હાથીબાવાઓની જમાતને અહીં રોકાવું છે તો ગામનાં ભૂદેવોએ સૌને રહેવાની અને જમવાની તમામ સગવડો ગામનાં રક્ષેશ્વર મહાદેવના મંદિરમાં પૂરી પાડી. આખી હાથીબાવાઓની જમાત અહીં મંદિરમાં રહેવા લાગી. નર્મદાશંકર અને તેમનાં ચેલાઓ રોજ સત્સંગ અને ભજન કરવા લાગ્યા. ધીરે ધીરે આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે હાથીબાવાઓની જમાત આવી છે અને ખૂબ સારા ભજનો અને સત્સંગ કરે છે. ગામનાં લોકો ધીરે ધીરે તેમનાં દર્શને આવવા લાગ્યાં. પચાસ વર્ષ પછી આવેલાં નર્મદાશંકર ગામનાં ઓળખીતા લોકોને નામથી બોલવા લાગ્યા. ' આવો પ્રભાશંકર! કેમ છો ? , આવો હરિપ્રસાદ! મારા પ્રભાવતીબહેન અને બાળકો શું કરે છે ? ' આ રીતે બધાં સાથે વાત કરવા લાગ્યાં. ગામનાં લોકો તો અચંબિત! આ શું ? કેવી રીતે અમને આ સંત બધાંને ઓળખે છે? નર્મદાશંકરનું ચુંબકીય વ્યક્તિત્વ દરરોજ લોકોને આકર્ષિત કરતું. એ પોતે હાર્મોનિયમ પર શિવ ભજનો ગાતા અને ગામ લોકોને ભક્તિરસમાં તરબોળ કરી દેતા. ગામમાં ચર્ચા થવાં લાગી કે કોઈ ચમત્કારી સંત આવ્યા છે બધાંને નામથી બોલાવે છે અને પરિવારના સભ્યોના નામ પણ જાણે છે. આ જમાતને હવે લાગ્યું કે હવે ઘણાં દિવસો સુધી અહીં રહેવામાં કોઈ વાંધો નહીં ઉઠાવે. લોકોને પણ આ સંતમાં અને તેમનાં સત્સંગમાં રસ પડવા લાગ્યો. આજુબાજુના ગામોમાં પણ આ વાત ફેલાઈ ગઈ. આજુબાજુના ગામોથી લોકોના ટોળે ટોળા દર્શને આવવા લાગ્યાં. પ્રેમાળ અને શ્રદ્ધાળુ લોકો ખાલી હાથે આવે નહીં. કંઈક ને કંઈક લેતાં આવે. એકવાર બન્યું એવું કે તેમના નાના ભાઈએ આ વાત જાણી તો સમયની અનુકૂળતાએ તેઓ પણ દર્શને ગયા. નર્મદાશંકર તેમના ભાઈને જોઈને તરત જ બોલી ઉઠ્યા, ' આવ મારા ભાઈ, પુરુષોત્તમદાસ! ' આ સાંભળીને પુરુષોત્તમદાસ તો અચંબામાં પડી ગયા. તેમનાં ચરણસ્પર્શ કરીને આંસુભરી આંખે તેમની પાસે બેઠા. બરાબર તેમની સામે જોઈ રહ્યા. પુરૂષોત્તમદાસને ચહેરો થોડોઘણો ઓળખાયો પણ હજુ વિશ્વાસ કેવી રીતે કરાય ? નર્મદાશંકરની સાથે આવેલાં તેમનાં ચેલાઓએ બધી વાત કરી કે, પરિવારની છેલ્લી દીક્ષા લેવા આવ્યાં છીએ. ખૂબ જ માન સાથે અને શાંતિથી તેમની બધી જ વાતો પુરૂષોત્તમ દાસે સાંભળી અને ઘરે ગયાં. પરિવારમાં સૌને વાત કરી. હવે તો ગામ આખામાં આ વાત ફેલાઈ ગઈ કે આ તો આપણાં નર્મદાશંકર છે જેમણે પચાસ વર્ષ પહેલાં ગૃહત્યાગ કરેલો અને આજદિન સુધી તેમનો પત્તો નથી મળ્યો અને આજે તેઓ જાતે અહીં આવ્યા છે. આ વાત જાણીને એકદમ તો કોઈએ સ્વીકાર્યુ નહીં. કદાચ નર્મદાશંકર ના પણ હોય. હવે સાચે જ આ આપણાં નર્મદાશંકર છે તે કેવી રીતે જાણવું ? આ ચર્ચાઓ થવા લાગી. નર્મદાશંકરનાં જે બે ચાર મિત્રો હયાત હતાં તેમને ત્યાં લઈ જવામાં આવ્યા. તેમનાં મિત્રો પણ વૃદ્ધ અને અશક્ત હતાં છતાં પણ તેમને લઈ જવાની સગવડો પૂરી પાડવામાં આવી. તેમનાં મિત્રો સાથે નર્મદાશંકરે ખૂબ વાતો કરી. બાળપણની વાતો તાજી થઈ. આ મિત્રોને હવે લાગ્યું કે આ નર્મદાશંકર છે. તેમનાં પરિવારને જણાવ્યું કે અમારા મિત્ર નર્મદાશંકર જ છે. હવે ધીરે ધીરે ગામનાં લોકોને પણ સત્ય લાગ્યું. પણ હજુ ખાતરી બરાબર કરવી પડે. તેમનાં માતા સાંકળીબા પંચાણું વર્ષની ઉંમર હતી તેમને પણ નર્મદાશંકરની ખાતરી કરવા લઈ આવ્યા. માતાજીની સાથે તેમનો નાનો ભાઈ દિનેશચંદ્ર અને તેમનો પરિવાર પણ આવ્યો. દિનેશચંદ્ર અને નર્મદાશંકર દેખાવે એકદમ સરખાં, એ પરથી પણ લાગે કે આ સંત નર્મદાશંકર જ છે. તેમનાં માતા આવ્યા અને બીજી કંઈ જ ખાતરી કરવાની વાત બાજુ પર રાખીને તેમને ગુસ્સે થઈ બોલવા લાગ્યા, ' તને ખબર છે ? તારા ગયા પછી અમે કેટલું હેરાન થયા છીએ? કેટલો પૈસો તને શોધવા પાછળ ખર્ચ્યો છે ? કેટલું તો માથે દેવુ થયુ હતુ ? , રેવાએ કેટલું કષ્ટ વેઠીને બન્ને દીકરીઓને ભણાવી ગણાવી અને પરણાવી! તારા કોઈ જ સમાચાર નહીં! શું કામ તેં આવું કર્યું? બધાંને દુઃખી કેમ કર્યા ? અને હવે અહીં શું કામ આવ્યો છે ? આજે અમારે તારું કઈજ કામ નથી!! ' આવું તો ઘણું બધું બોલતાં જાય અને રડતાં જાય. નર્મદાશંકર માતાનો આ બધો જ ગુસ્સો બે હાથ જોડીને સાંભળતા જાય. નર્મદાશંકરની આંખોમાં ચોધાર આંસુ વહે છે મનોમન મા પાસે માફી માંગે છે . કંઈ જ બોલતા નથી. સાંકળીબા થોડાં શાંત થયાં પછી સૌને પાણી આપ્યું. પ્રસાદ આપ્યો અને ખૂબ આશિર્વાદ આપ્યા. એ પછી માતા અને નાના ભાઈ સાથે ઘણી વાતો કરી. માતાને નર્મદાશંકરે કહ્યું, ' મા વિધાતા ને જે મંજૂર હતું તે જ થયું છે. તમે શોક ન કરો. મને માફ કરો. હું દિક્ષા લેવા આવ્યો છું. મને પ્રેમથી દિક્ષા આપો તેમાં જ મારુ અને આપણાં સૌનું કલ્યાણ છે. ' નાનાભાઈ સાથે વાત કરી. નાનો ભાઈ દિનેશચંદ્ર દશ વર્ષનો હતો ત્યારે નર્મદાશંકરે ગૃહત્યાગ કરેલો. નાનાભાઈ દિનેશચંદ્ર સાથે ઘણી વાતો કરી. તેમનાં પત્નિ જશોદાબેનનો તથા તેમનાં સંતાનોને પરિચય મેળવી સૌને આશિર્વાદ આપ્યાં અને દરેકને પ્રસાદી રૂપે એક એક રુદ્રાક્ષ આપ્યો.એ સૌને પણ લાગ્યું જ કે છે તો નર્મદાશંકર જ!

નર્મદાશંકર વારાફરથી બધાંને મળે છે પણ હજુ સુધી રેવા કેમ નથી આવ્યા ? એ વિચાર નર્મદાશંકર ને દિવસમાં કેટલીય વાર આવી જતો. શું રેવા મારા પર ગુસ્સે હશે? રેવા નહીં આવે કે શું ? રેવા ક્યાં હશે ? રેવા હશે કે નહી? આવાં અનેક સારા ખોટા વિચારોથી ઘેરાયેલાં રહે. રેવા વિશે પૂછે તો કોને પૂછે ! એ પછી એકવાર રાતનાં સત્સંગમાં આવેલા તેમના નાના ભાઈને રેવા વિષે પૂછ્યું. દિનેશચંદ્રએ જણાવ્યું કે , ' રેવાભાભુ તો પાસેના મેઘરજ ગામમાં તેમના ભાઈઓ સાથે રહે છે. તમે ગૃહ ત્યાગ કર્યો તેનાં બીજા જ વર્ષે રેવાભાભુ મેઘરજ જતાં રહેલાં. ' રેવા મેઘરજ છે તે વાત જાણ્યા પછી નર્મદાશંકરને હાશ થઈ અને હવે નર્મદાશંકર એક ક્ષણ પણ અહીં રોકાવા ઈચ્છતા નહોતા. રાત્રે સત્સંગ પછી ત્યાં આવેલાં ગામ લોકોને કહી દીધું કે અમે કાલથી મેઘરજ જવાનાં છીએ. માલપુર ગામમાં બે મહિના ઉપર થઈ ગયું મારે હવે દિક્ષા લેવા મેઘરજ જવુ પડશે. વહેલી સવારે હાથીબાવાઓની જમાતને લઈને નર્મદાશંકર મેઘરજ જવા નીકળી ગયા. મેઘરજ ગામના લોકોને પણ આ વાતની જાણ થઈ ગઈ હતી કે, માલપુર ગામમાં નર્મદાશંકર દિક્ષા લેવા આવ્યા છે અને રેવાબા મેઘરજ હોવાથી મેઘરજ આવ્યા છે. ગામનાં લોકો આવા ઉચ્ચ કોટિના અને એક પ્રભાવશાળી સંત કે જે મેઘરજ ગામના જમાઈ છે તે જાણી ખૂબ ગર્વ અનુભવતા. મેઘરજ ગામના લોકોએ તેમની ખૂબ આગતા સ્વાગતા કરી. અહીં પણ લોકો તેમનાં દર્શને આવવા લાગ્યાં. દરરોજ સત્સંગ અને ભજનો થતાં. મોટાં મોટાં ભંડારા થયા. લોકો પોતાનાં ઘરોમાં પણ સંતોની પધરામણી કરાવે અને યથાશક્તિ ભેટ સોગાદો અને તેમને જરૂરિયાતની ચીજવસ્તુઓ આપે. એમ કરતાં કરતાં એક મહિનો થવાં આવ્યો. તેમનાં ભાઈઓ પણ અઠવાડિયે મેઘરજ આવી જતાં અને રેવાને સમજાવતાં કે , ' રેવાભાભુ હવે અમને સૌને તો આ નર્મદાશંકરભાઈ છે તેવુ લાગે છે પણ હજુ સંપૂર્ણ વિશ્વાસ નથી બેસતો. હવે તમે કહો તે સાચું. ' રેવા શું કરે ? શું જવાબ આપે ? છેલ્લાં એક મહિનાથી આ સમાચાર જાણ્યા છે ત્યારથી રેવાની ઊંઘ ઉડી ગઈ છે. રેવાને પણ શું કરવું તે સમજાતું નથી. રેવાની દીકરીઓ સપરિવાર નર્મદાશંકરના દર્શન કરી આવી પરંતુ તે બંનેને નર્મદાશંકરે ગૃહત્યાગ કર્યો તે સમયે ખૂબ જ નાની હતી તો કોઈને કોઈ જ સ્મૃતિ ક્યાંથી હોય ? એ જ રીતે નર્મદાશંકરને પણ પોતાની દીકરીઓ મોટી થયાં પછી તેઓનાં ચહેરા બિલકુલ બદલાઈ ગયેલા હતા તો નર્મદાશંકરને પણ દીકરીઓની સ્મૃતિ કયાંથી હોય ? દીકરીઓના ઘરે પણ ભાણિયા આવી ગયા. સૌને નર્મદાશંકરે આશિર્વાદ આપ્યાં પ્રસાદી રૂપે રુદ્રાક્ષ અને શિવલિંગ ભેટ આપ્યા. મનોમન માફી માંગી. દિકરીઓને જોઈને નર્મદાશંકરનું દિલ રડતું હતું પણ તે છુપાવેલું હતું. દીકરીઓ માટે એક બાપ તરીકેની જવાબદારી નથી નિભાવી તેનું નર્મદાશંકરને ખૂબ જ દુઃખ હતું. હવે નર્મદાશંકર અને રેવા બંને એકબીજાને મળી લે તો પાકું થઈ જાય. રેવાને તેમની દીકરીઓએ તેમના બાપને મળવા માટે સમજાવી. રેવાને મનમાં થયું, મારાં ભોળાનાથે મારી પતિ દર્શન કરવાની અંતિમ ઇચ્છા પૂરી કરી લાગે છે. મારી પ્રાર્થના મારા મહાદેવ સુઘી પહોંચી છે. સૌની ઈચ્છા છે કે અમે મળીએ , તો હું પણ જાણું કે ખરેખર મારા સ્વામિ છે કે બીજુ કોઈ ? આમ વિચારી રેવા નર્મદાશંકરને મળવા તૈયાર થયાં.

રેવા સાદું જીવન જીવતાં હતાં. તેમનો પોશાક પણ સાદો અને ગૃહસંસારમાં રહીને પણ સન્યાસી જીવન જીવતાં. કપાળે ચંદનનું તિલક અને કાયમ સફેદ કે સાદી સાડી પહેરે. આવી સ્ત્રીને શું કહી શકાય? ન તો ત્યકતા, ન તો વિધવા !!! પણ, હવે જ્યારે નર્મદાશંકરને મળવા જવાનું નક્કી થયું ત્યારે તેમના ભાઈઓ અને દીકરીઓના કહેવાથી રેવાએ લાલ કંકુનો ચાંલ્લો, હાથે લાલ રંગની બંગળી અને સરસ મજાની રંગીન સાડી પહેરી હતી. ગામ લોકોમાં સમાચાર ફેલાઈ ગયાં હતાં કે, આવતીકાલે રેવા નર્મદાશંકરના દર્શને જવાના છે. લોકોમાં ખૂબ ખુશી હતી. બીજા દિવસે રેવાને તૈયાર કરીને લાવવામાં આવ્યા. સિત્તેર વર્ષનાં રેવા જ્યારે ઘણાં વર્ષો પછી સોહાગણ બની આવે છે ત્યારે લોકોની નજર તેમના પરથી હટતી નહોતી. આટલી ઉંમરે પણ તેઓ ખૂબ જ સુંદર લાગતાં હતાં. " રેવા જુવાનીમાં કેટલાં સુંદર લાગતાં હશે ! " લોકો કે જેમણે રેવાને જુવાનીમાં નહોતા જોયા તેવાં લોકો અંદરો અંદર વાતો કરવા લાગ્યા. સૌ ગ્રામજનો પ્રસન્ન હતાં. નર્મદાશંકર પણ ખૂબ ખુશ હતાં. તેમને રેવાને મળવાની, તેને જોવાની અને તેની સામે હ્રુદય ઠાલવીને રડી રડીને માફી માંગવાની ઈચ્છા હતી. નક્કી કરેલાં સમય મુજબ રેવા આવી પહોંચ્યા. આજે નર્મદાશંકર અને રેવાનું મિલન થવાનું છે. અંતે તો બંનેનો આત્મા એક જ છે. નામના અર્થ પણ એક જ. નર્મદાશંકર અને રેવાને એકાંત આપ્યું. બંનેની વાતો પરથી આજે સત્ય બહાર આવવાનું હતું. રેવાએ સૌને અડધો કલાક જ નર્મદાશંકરને મળીશ તેવુ કહયું હતું. રેવાને તો તેનાં સ્વામિને ઓળખી અને તેમનાં દર્શન જ કરવાના હતાં માટે બહુ સમય ન માંગ્યો. આજે આખું ગામ અને આજુબાજુના ગામોમાં રહેતાં તેમનાં સગા સંબંધીઓ હાજર હતાં. આશરે હજાર ઉપર માણસ બહાર રાહ જોઈને બેઠું હતું કે હમણાં અડધો કલાકમાં રેવા બહાર આવશે અને સત્ય પ્રગટ થશે. અંદર નર્મદાશંકર અને રેવા બંને એકલાં જ બીજુ કોઈ જ નહીં. અડધો કલાકનો કલાક થવાં આવ્યો પણ હજુ રેવા બહાર નહોતા આવ્યા છતાં પણ બહાર લોકોને કોઈ જ કંટાળો નહોતો. બહાર બીજા સંતો ભજનો ગાતા હતા અને સત્સંગ કરતાં હતાં. પરિવારજનો ઈશ્વર સ્મરણ કરતાં, સૌ આતુરતા પૂર્વક બહાર રાહ જોઈને બેઠાં હતાં. નર્મદાશંકરની પાકી અને સાચી ઓળખ આજે રેવા આપવાના હતાં. પચાસ પચાસ વર્ષ પછી મળેલાં દંપતિ શું વાતો કરતાં હશે ? કેટ કેટલી ફરિયાદો હશે? કેટલાં તો રિસામણા અને મનામણાં હશે? અડધો કલાક તો શું બાકીની જિંદગી પણ ઓછી પડે રેવા અને નર્મદાશંકર માટે કેમકે પચાસ પચાસ વર્ષોની કેટલી બધી વાતો હોય ! એમ કરતાં કરતાં સાંજ થવાં આવી આશરે પાંચ કલાક જેટલો સમય થઈ ગયો હતો. હજુ સુધી રેવા બહાર આવ્યા નથી. સૌની આતુરતામાં હજુ પણ એટલો જ જોશ હતો!!!!






બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED