Sorath tara vaheta paani - 34 books and stories free download online pdf in Gujarati

સોરઠ તારાં વહેતાં પાણી - 34

૩૪. કોઈ મેળનો નહિ

તે દિવસે બપોરે મહીપતરામનો ખુલાસો લેવા માટે પોલીસ-ઉપરીએ ખાનગી ઑફિસ ભરી. એમને પૂછવામાં આવ્યું : “બહારવટિયાના ખબર મળ્યા પછી તમે કેમ ન ગયા ?”

મહીપતરામે પ્રત્યુત્તર ન દીધો.

“ડર ગયા ?”

“નહિ, સા’બ !” મહીપતરામે સીનો બતાવ્યો.

“નહિ, સા’બ !” સાહેબે એનાં ચાંદુડિયાં પાડ્યાં. “બમન ડર ગયા.”

“કભી નહિ !” મહીપતરામે શાંતિથી સંભળાવ્યું.

“બહારવટિયા પાસેથી કેટલી રુશવતો ખાધી છે ?”

“સાહેબ બહાદુર તપાસ કરે ને સાચું નીકળે તો હાથકડી નાખે.”

“સુરેન્દ્રદેવની ભલામણથી જતા અટક્યા’તા ?”

“નહિ, સા’બ.”

“સુરેન્દ્રદેવની ભલામણ આવી હતી ખરી ?”

મહીપતરામે મૌન સાચવ્યું.

“અચ્છા !” સાહેબે પગ પછાડ્યા. “બૂઢા હો ગયા. તુમકો સરકાર નોકરીસે કમી કરતી હૈ.”

મહીપતરામે સલામ ભરી રુખસદ લીધી.

મહીપતરામ તૂટી ગયા, એ સમાચાર સોરઠમાં પવન પર પલાણીને પહોંચી ગયા. મહીપતરામને યાદ આવ્યું કે આજ સુધી અનેક નાનાં રજવાડાંઓએ પોતાના પોલીસ-ઉપરી તરીકે એની માગણી કરી હતી પણ એણે જ ના પાડ્યા કરી હતી. એજન્સીને પણ હંગામી સમયમાં એક બાહોશ આદમીની ખોવાની નારાજી બતાવી હતી. અત્યારે મહીપતરામની નજર એ રજવાડાં પર પડી. એણે કાગળો લખ્યા. જવાબમાં અમુક દરબારોએ કહેવરાવ્યું કે એજન્સીનો સંદેહપાત્ર પોલીસ-ઉપરી અમે રાખીએ તેમાં અમને જોખમ છે. બીજા કેટલાકોએ જવાબો જ ન મોકલ્યા. એક ફક્ત સુરેન્દ્રદેવજીનું કહેણ આવ્યું : “મારે ત્યાં રહો. વાટકીનું શિરામણ છે, પણ રોટલો આપી શકીશ.”

મહીપતરામ સામે કહેવરાવ્યું : “આપને સરકાર ખરાબ કરતાં વાર નહિ લગાડે.”

“સરકારડી બાપડી કરીકરીને શું કરશે ?” સુરેન્દ્રદેવે મહીપતરામને રાજકોટમાં રૂબરૂ તેડાવી કહ્યું.

“નહિ નહિ, દરબાર સાહેબ, હું જાણી જોઈને આપત્તિનું કારણ નહિ બનું.”

રાજકોટના મોરબી સ્ટેશનની બાજુએ ખોરડું ભાડે રાખીને મહીપતરામ પોતાના ઢોરઢાંખર લઈ રહેવા લાગ્યા. પિનાકીને ભણાવવાના લોભથી રાજકોટ છોડી ન શકાયું. હાથમાં એ-નો એ ડંડો રાખતા અને ધોતિયા પર ખાખી લાંબો ડગલો તેમ જ ખાખી સાફો પહેરીને એ ગામમાં ફરવા લાગ્યા. થોડા દિવસ તો એમને કેટલીક બેઠકોમાં ને ઑફિસોમાં સત્કાર મળ્યો. પણ નોકરીથી - તેમાંય પોલીસની નોકરીથી - પરવારી જનાર માણસ ભાગ્યે જ કોઈ બેઠકમાં પોતાનો સૂર મિલાવી શકે છે. એની પાસે વાર્તાલાપનો પ્રદેશ એકનો એક જ હોય છે. એ વાતોની કોથળીમાંથી ઝંડુરિયો, કાસુડો, ખોટા રૂપિયા પાડનારો દસ્તગીર, પેથો અને લધો મિયાણો, ઝીણકી વાઘરણ અને મિયાં મેરાણી વગેરે પાત્રોના ખજાના ઝટઝટ ખૂટી ગયા. પોતે જંગલમાં બે-પાંચ શિકાર કર્યા હતા તેની રોમાંચક વાતો પણ ચુસાઈ ચુસાઈને છોતાં જેવી થઈ ગઈ. કંટાળેલા વકીલો, શિક્ષકો અને કામદારો મહીપતરામભાઈને આવવાનો વખત થાય એટલે બહાર ચાલ્યા જવા લાગ્યા.

કોઈકોઈ વેપારી દોસ્તોની દુકાને બેસીબેસી મહીપતરામે અનાજ, પથ્થર, કપાસ વગેરેના વેપારમાં નજર ખૂંચાડવા પ્રયત્ન કર્યો, પણ થોડા જ દિવસોમાં એને ખાતરી થઈ કે શકદારો, ગુનેગારો વગેરેનાં ઝીણામાં ઝીણાં ચહેરા-નિશાનોને વીસ-વીસ વર્ષો સુધી ન ભૂલી જનારી પોતાની યાદદાસ્ત ઘઉંના ગઈકાલના ભાવોને પણ સંઘરવા તૈયાર નહોતી. ભદ્રાસરની ડાકાયટી કરાવનાર રાણકી કોળણને ડાબે ગાલે તલ હતો તેની સંભારણ રોજ તાજી રાખવી સહેલી હતી; પણ ખાવાના તલની કઈ વાનગી કાલે આવી હતી તે સંભારી રાખવું અશક્ય હતું.

મહીપતરામે પોતાની બેકારીને વ્યાપાર-ધંધાથી પૂરવાની આશા છોડી. કોઈની અરજીઓ લખી દેવાનું કામ સૂઝ્‌યું. પણ બંદૂક-તલવારોની મહોબતે રમેલાં આંગળાએ તુમારી કામ કયે દહાડે કર્યું હતું ! અક્ષરો ભાળીને જ માણસો દૂર ભાગ્યા.

આખરે મહીપતરામને એક બૂરી મૂંઝવણનો દિવસ આવી પહોંચ્યો. ચાર ઢોરને માટે ઘાસનાં ભરોટિયાં લેવાના પૈસા નથી રહ્યા. ઘોડીની ઓગઠનું પણ તરણું નથી રહ્યું. પત્ની રસોડામાં બેઠીબેઠી રડે છે. ઢોરને પાણી પાવા લઈ જનાર નોકર પણ સૂનમૂન બેઠો છે. વિક્રમપુરથી પિનાકીની સ્કૉલરશિપનો મનીઑર્ડર આવ્યો હતો તે પણ ઘાસની મોંઘીમોંઘી ભારીઓ લેવામાં ખરચાઈ ગયેલ છે. મહીપતરામને એ વાતનું ભાન નહોતું.

ઘરમાં દાખલ થતાં જ પહેલું કામ પોતે પશુઓ પાસે જવાનું કરતા. તે દિવસે જઈને ચારેયને કપાળે-બરડે હાથ ફેરવ્યો. ઢોરનાં નેત્રોમાં કરુણતા નિહાળી. પશુઓએ ઘાંઘાં થયાં થયાં હોય તેમ ફરડકા નાખી હાથ ચાટ્યા. મહીપતરામે હાક મારી : “એલા, આ ચારેયના ખીલા ખાલી કેમ છે ? આઠમનો ઉપવાસ તો નથી કરાવ્યો ને ! ક્યાં ગઈ ધરમની મૂર્તિ ?”

કોઈએ જવાબ ન આપ્યો. મહીપતરામ ઘાસની ઓરડીમાં જાતે ગયા. ત્યાં કશું ન હતું. પોતે બૂમ પાડી : “ઘાસ ક્યાં ભર્યું છે ?”

જવાબ ન મળ્યો. પોતે અંદર ગયા. પત્નીને રડતી જોઈ પૂછ્યું : “ઘાસ ક્યાં ?”

પત્નીએ આજે પહેલી જ વાર જમણા હાથની આંગળી ઊંચે આસમાન તરફ ચિંધાડી.

પશુઓ ઘરની આજ સુધીની આંતરદશા ઉપર એક ઢાંકણ જેવાં હતાં. પશુઓની બૂમ નહોતી ઊઠી ત્યાં સુધી મહીપતરામને ભાન પણ નહોતું રહ્યું કે રોજ પોતાની થાળીમાં કયું અન્ન પિરસાય છે કે પોતાના કપડાં કેટલે ઠેકાણે જર્જરિત છે. દૂધનો વાટકો બંધ થઈને છાસ ક્યારથી પોતાને પિરસાવા લાગેલી તેનીય એને ગમ નહોતી. ઘરની સજાવટ પણ એણે આજે જ સભાન નિહાળી, ફાટેલાં ગાદલાં રૂના ગાભા બતાવી બતાવી જાણે ડામચિયા પરથી એની સામે ઠઠા કરતાં હતાં. ભાંગેલી ખુરસી, ઘરની કોઈ ચિર-રોગી પુત્રી જેવી, ખૂણામાં ઊભી હતી.

વધુ વિગતોને નીરખી જોવાની હાલત ન હતી. મહીપતરામે ફેંટો ને ડગલો ઉત્રાયં. ચારેય ઢોરને છઓડી પોતે બહાર હાંકી ગયા; અવાડે પાણી પાયું ને પછી નજીકમાં ચરિયાણ જગ્યા હતી ત્યાં જઈ ગાય-ભેંસને મોકળાં મૂક્યાં. ઘોડીની સરકનો છેડો પકડી રાખી એનેય ચરતી છોડી.

ચરતાં ચાર પશુઓનો આનંદ દેખી મહીપતરામનું પિતૃહૃદય કેટલું પ્રસન્ન થયું ! પશુઓ ચારતાં ચારતાં એને નાનપણમાં પગ તળે ખૂંદેલા ઈડરિયા ડુંગરા યાદ આવ્યા. શામળાજીના મેળાની સ્મૃતિઓ જાગી. ઢોરાં ચારીને લાંબા બાળરંડાપા વેઠતી પોતાની ન્યાતની ત્રિવેણી, જડાવ અને ગોરની છોકરી ગંગા સાંભરી. ગંગાની વેરે પહેલાં પોતાનો સંબંધ થવાનો હતો તે યાદ આવ્યું.

“ના, ના, હવે યાદ કરીને પાપમાં ન પડવું. મારી ડોસલી બાપડી દુભાશે ક્યાંક !” એણ વિચારીને પોતે ઈડરનાં સ્મરણો પર પડદો નાખ્યો.

પછી છેવટે એને લખમણ બહારવટિયો યાદ આવ્યો. લખમણ પણ ગાયોનો જ ચારનોરો હતો ને ! ગાયોની જોડે પ્રાણ પરોવનાર લખમણ મારા અત્યારના સુખ કરતાં કેટલા મોટા સુખનો સ્વાદ લેનારો હતો ! ગૌચર ખાતર ખૂન કરનારાનું દિલ કેટલું ખદખદ્યું હોવું જોઈએ !

બે-ત્રણ કલાક ચારીને પોતે પાછા ફરતા હતા ત્યારે ઘરને આંગણે ટપાલી દીઠો.

“આપનું રજિસ્ટર છે, સાહેબ !” ટપાલી હજુ પણ મહીપતરામને ‘સાહેબ’ શબ્દે સંબોધતો.

“ભાણા !” પોતે હાક મારી : “આ તો કશોક અંગ્રેજી કાગળ છે. ને અંદર સો રૂપિયાની નોટો છે. કોનું છે આ ? આ નીચે સહી તો પરિચિત લાગે છે. કોની - અરે - માળું જો ને... હૈયે છે પણ હોઠે નથી. કોની...”

“આ તો બાપુ સાહેબ બહાદુરનો કાગળ છે.”

“હાં હાં, સાહેબ બહાદુરની જ આ સહી. જો ને, એના અક્ષરોનો મરોડ તો જોઈ લે ! વાહ ! ફાંકડી સહી. શું લખે છે ?” મહીપતરામનો હર્ષ મેઘને જોનાર મોર માફક ઊછળવા લાગ્યો. પિનાકી વાંચવા લાગ્યો : લખે છે કે -

મારા વહાલા મહીપતરામ,

મેં ઊડતી વાતો જાણી કે તમને બરતરફ કર્યા છે. તમારી કાંઈ કસૂર થાય એ હું માની શકતો જ નથી. નામર્દાઈ તો તમે કરો જ નહિ ! કશીક ગેરસમજ લાગે છે. હું તો લાચાર છું કે નવા સાહેબોને પિછાનતો નથી. નવો જમાનો નાજુક છે. દુઃખી ન થશો, આ સ્મરણચિહ્ન સ્વીકારજો. જ્યારે જ્યારે મારા તરફથી કંઈક મળે ત્યારે ઇન્કાર ન કરશો ને ભાણાને બરાબર ભણાવજો.

કાગળ સાંભળીને મહીપતરામનું હાસ્ય પાગલ બન્યું. હસતા હસતા એ ગદ્‌ગદિત બન્યા : “ગોરો, એક ગોરો, આંહીંથી બદલી થઈને ચાલ્યો ગયેલ ગોરો સાહેબ મારી આટલી હદે ખબર લે છે ! વાહ સાહેબ, તારી ખાનદાની ! કેટલી રખાવટ !”

“પણ બાપુજી, હજુ ‘તા.ક.’ કરીને એણે લખ્યું છે.”

“શું છે ?”

“કે -

તમારા બાપનો જોષ સાચો પડતો જણાય છે. મને થોડા વખતમાં જ મુંબઈના કમિશનરનો હોદ્દો મળશે. તમારા પિતા મહાન જ્યોતિષી હોવા જોઈએ.

એ સાંભળીને મહીપતરામનું હસવું પાંસળીઓને ભેદવા લાગ્યું.

“એ શું ? હેં બાપુજી ?” પિનાકીએ પૂછ્યું.

ઘરમાં જઈ એણે પત્નીને બોલાવી કહ્યું : “આમ તો જો જૂના જમાનાના સાહેબ લોકોની મહોબ્બત ! ક્યાં એ પડ્યા છે ! ક્યાં હું ! પણ ભૂલ્યા મને ? હવે ? જો તું એક કામ કર. સરસ મજાનાં સેવ, પાપડ અને વડી કર. આપણે સાહેબ બહાદુરને મોકલશું. એને બહુ ભાવતા : યાદ છે ને ?”

“ભેળું મારું અથાણુંયે મોકલીશ : રૂપાળું સોના જેવું ધમરક અથાણું !”

“તું બધું એકલે હાથે કરી શકીશ ?”

“ત્યારે ? હવે સિપાઈઓની વહુને ક્યાંથી લાવીએ ?”

“હવે તો ભાણાની વહુ આવે ત્યારે કરાવવા લાગે, ખરું ને ?” મોટાબાપુજીએ આજે પહેલી જ વાર ભાણેજની હાંસી કરી. પિનાકી ચમકી ગયો. કોઈ અણસમાતા આનંદને કોઈક જ પ્રસંગે બાપુજી આટલા આછલકા બનતા. છતાં આવી હાંસીનો તો આ પ્રથમ જ ઉચ્ચાર હતો.

પિનાકી ત્યાંથી ખસી ગયો પણ હૈયાની આંબા-ડાળે ઝૂલતું કોઈક ચાવળું કાબર પક્ષી ન રહી શક્યું. ‘ભાણાની વહુ આવશે !’ એવા ચાંદુડિયાં એના હૃદયમાંથી એ પાડવા લાગ્યું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED