Self-actualization books and stories free download online pdf in Gujarati

સ્વકર્મ

*સ્વકર્મ*

પહેલાં તો સ્વકર્મ એટલે શું?
સ્વકર્મ એટલે તમે સ્વયંમ કરેલું કર્મ, અર્થાત *જીવ અને શિવનું મિલન*
તો પછી શિવની પ્રાપ્તિ કેમ કરશો? એવી કઈ મૂડી છે જેનાંથી જીવ શિવમાં એકાકાર થઈ જાય! એ છે સત્કર્મ.
મિત્રો, એવાં સત્કર્મ કરો કે ભગવાને સ્વયંમ તમને મળવા આવવું પડે. એક એવું સ્વકર્મ જે ભગવાનને ચોપડે પણ એની નોંધ લેવાય ને ભકત પુંડરીકની જેમ ભગવાન તમારે દ્વારે આવીને તમારી એપોઇન્ટમેન્ટ લેવાં તત્પર હોય અને કદાચિત નરસિંહ મહેતા, મીરાંબાઈ કે યુધિષ્ઠિરની જેમ તમને પણ સદેહે સ્વર્ગની પ્રાપ્તિ થાય . અત્યાર સુધી તો માનવીની જ એપોઇન્ટમેન્ટ લેવી પડતી હતી , ભગવાનના દ્વાર તો ખુલ્લા જ હોય છે પણ તમારું એક સત્કર્મ ભગવાનને પણ તમારી પાસે ખેંચી લાવે છે!
મિત્રો, ભગવાનનો ડર ન રાખો એને મિત્ર બનાવો પછી જુઓ ચમત્કાર કારણ તમારો આ મિત્ર તમને કોઈ દિવસ હારવા નહીં દે!
આજે આ કોરોના કાળમાં પ્રભુ આપણાથી રિસાઈ ગયાં છે કદાચિત એટલે જ એમનાં દ્વાર આપણાં માટે બંધ થયાં છે તો ચાલો ભેગાં થઈને પ્રભુને મનાવી.
પ્રભુ માનશે કઈ રીતે? તો અહીં મને એક મરાઠી કવિતા યાદ આવે છે કોણે લખી એ ખબર નથી પણ એનો અનુવાદ હું કરું છું,
*પરમેશ્વર રજા પર છે.*
એ ગયાંછે કોઈ અનાથાશ્રમમાં,
કોઈ અનાથનાં મુખ પર હાસ્ય લાવવા,
ત્યા તમે જઈ થકો છો કારણ,
*પરમેશ્વર તો રજા પર છે.*

એ ગયાં છે કોઈ હોસ્પિટલમાં,
કોઈ દર્દીના દર્દને દૂર કરવાં,
ત્યાં તમે જઈ શકો છો કારણ,
*પરમેશ્વર તો રજા પર છે*

એ ગયાં છે કોઈ વૃધ્ધાશ્રમમાં,
કોઈ વૃધ્ધનાં આંસુ લુંછવા,
ત્યાં તમે જઈ શકો છો કારણ,
*પરમેશ્વર તો રજા પર છે*

એ ગયાં છે કોઈ સેવાભાવી સંસ્થામાં,

કોઈ બાળકની ફી ભરવાં કારણ,
*પરમેશ્વર તો રજા પર છે*
અજ્ઞાત

ખરેખર મિત્રો , શું આવા સ્વકર્મ કરવાથી પરમેશ્વર ખુશ નહીં થાય?
મને સમાજના મહાનુભાવોને એક સવાલ છે , શું ખોટા આડંબર કરવાથી પ્રભુ રાજી થશે? ભગવાન તો ભાવના જ ભુખ્યાં છે ,એ કેવળ મંદિરમાં નહીં, પણ સર્વત્ર છે. કોઈ સેવાભાવી મનુષ્ય માનવસેવા કરતો હોય છે એજ સાચો પરમેશ્વર છે એને મંદિરમાં શોધવાની જરૂર જ નથી, પણ આપણે તો બગભગત બનીને ખોટાં આડંબરમાં રહીને ભગવાનને શોધીએ તો નિરાશા જ પ્રાપ્ત થાય છે. અરે! વિશેષ માસમાં તો આવા બગભગત સંખ્યામાં વધારો થઈ જાય છે ! શ્રાવણ મહિનો શંકર ભગવાનનો , અધિકમાસમાં પુરુષોત્તમભગવાન, ભાદરવો આવે એટલે ગણેશજી અને આસો માતાજીનો આ મહિનાઓમાં તો બગભગતના ઘોડાપૂર ઉમટી પડે છે . માસ તો છોડો આપણે તો વારને પણ નથી છોડ્યા! સોમવારે શંકરનો, મંગળવાર ગણપતિનો,ગુરૂવારે સાંઈબાબા , શુક્રવાર સંતોષીમાતા, શનિવાર હનુમાનજીનો ને રવિવાર માતાજીનો! ભગવાનના પણ ભાગલાં પાડી દીધા! આમાં સૌથી કફોડી હાલત હોય તો શંકરભગવાનની અને હનુમાનજીની, એક પર જળ દહીં દૂધનો અભિષેક અને બીજા પર તેલ અને સિંદુરનો ,એકને બીલીપત્ર તો બીજાને આંકડાની માળા પહેરાવી દીધી.મને ઘણીવાર થાય છે કે આ તે કેવી આસ્થા?મને એક સવાલ છે શું જળ અને તેલ ચઢાવવાથી ભગવાન રાજી થશે? પછી ભલેને આપણે બીજાને દુભવતા હોય અથવા નારાજ કરતા હોય? શું આ સાચી પ્રભુ સેવા છે? ધણાં એમ કહે છે કે પૃથ્વીનાં પેટાળમાં જે લાવા છે એને ઠંડો રાખવા માટે મહાદેવનો અભિષેક થાય છે , તો શું એ લાવાને ઠંડો કરવા માટે જે પૃથ્વી પર જળનો ભંડાર છે એ પર્યાપ્ત નથી? માટે આવા પ્રકારના કૃત્યથી જ તો પ્રભુએ નારાજ થઈને તમારા પ્રવેશ પર જ પ્રતિબંધ લગાવી દીધો જાણે કહેતાં નહોય "કે હે માનવ હવે તો સુધરી જા."

મિત્રો , કહેવાનો તાત્પર્ય એ છે કે બે હાથથી તમે કોઈની સેવા કરશો તો હજાર હાથવાળો તમે આપવામાં કંઈ બાકી નહીં રાખે માટે ભગવાનનો ડર રાખ્યા વગર એને મિત્ર બનાવો , એજ તમારું સાચું સત્કર્મ છે.
જીજ્ઞા કપુરિયા "નિયતી"
16/ 7 /2021

બીજા રસપ્રદ વિકલ્પો