REIKI - EL ADHYAYAN - 1 books and stories free download online pdf in Gujarati

રેકી - એક અધ્યયન - 1

પ્રાસ્તાવિક

અતિ વિશિષ્ટ સંજોગોમાં વર્ષ 2001માં લખાયેલ આ મહાનિબંધ છે. તે સંજોગોનો અને રેકીના મહત્ત્વનો ખ્યાલ આવે તે માટે લખાણ સમયનું મૂળ પ્રાસ્તાવિક સંક્ષિપ્તમાં રજુ કરી, ત્યાર બાદ વિષયની શરૂઆત અહીં કરીશું. 2001થી હસ્તપ્રત તરીકે સચવાયેલ આ લખાણ આકસ્મિક સંજોગોમાં જ 19 વર્ષ પછી 2020માં 'વિસ્મય' નામક ડિજિટલ મેગેઝીનના માધ્યમથી અત્યંત બહોળા વાચકવર્ગ સુધી ભારત તેમ જ વિદેશોમાં પહોંચ્યું. લોકોએ દાખવેલ રસ અને એનર્જી હીલિંગમાં સમાજની વધી રહેલી રુચિને લક્ષ્યમાં લઈ આ મહાનિબંધ અહીં પ્રસ્તુત કરી રહ્યો છું.

મૂળ લખાણ સમયની પ્રસ્તાવના (લખ્યા તારીખ 13.03.2001)

1998ના સપ્ટેમ્બર માસમાં જ્યારે 'રેમ્સે હન્ટ સિન્ડ્રોમ' (Ramsay Hunt syndrome )નામનો એક અસાધ્ય પ્રકારનો ફેસીયલ પેરાલીસીસ થયેલો ત્યારે સ્વપ્ને પણ ખ્યાલ ના હતો કે જીંદગીનો પુરો રાહ બદલી નાખનારા દિવસો આવી રહ્યા છે. ભારતના સર્વશ્રેષ્ઠ ન્યુરોલોજીસ્ટે પણ જ્યારે હાથ ઊંચા કરીને કહી દીધું કે.......

"હવે કંઈ થઈ શકે તેમ નથી." ત્યારે આકસ્મિક રીતે કોઇએ 'રેકી'નો ઉલ્લેખ કર્યો. 'ડૂબતો માણસ તણખલું પણ પકડે ' તે કહેવત મુજબ રેકી શું છે તે જાણવાનો પ્રયત્ન કર્યો. જે કંઈ વિગતો જાણવા મળી તે કંઈ ગળે ઉતરે તેમ હતી નહીં. બુદ્ધિગમ્ય ના હોય તેવી કોઇપણ વાત તે દિવસોમાં અસર કરી શકતી નહીં. પરંતુ "એક સેમિનારમાં ભાગ લેવામાં શું જાય છે? ₹ ૫૦૦/- નો જ સવાલ છે ને?" એવા વિચાર સાથે સેમીનારમાં ભાગ લીધો. કુલ ૧૨ કલાક દરમિયાન જે કંઈ સાંભળ્યું, અનુભવ્યું, તે કંઈ બહુ બુદ્ધિગમ્ય લાગ્યું નહીં.

"સમય અને પૈસા વેડફયા" એવી થોડીક લાગણી સાથે અને "કંઇક જાણ્યું" એવા આશ્વાસન સાથે વાત પૂરી થઈ."

પાંચ સાત દિવસ થયા; અચાનક જ દરરોજ શરીરમાં અમુક સમયે તાવ આવતો હોય તેવી ઉષ્ણતા ફરી વળવા લાગી. નવાઈની વાત એ હતી કે શરીરના ડાબા ભાગમાં, કે જ્યાં આ રોગની અસર હતી, તે ભાગમાં જ આવું થવા લાગ્યું. અચાનક યાદ આવ્યું કે રેકી માસ્ટર કહેતા હતા કે:

"શરીરનો જે ભાગ રોગગ્રસ્ત હશે, તે ભાગ ઉપર રેકી પહોંચશે, અને ત્યાં ગરમી અનુભવાશે."

બ...સ ! આ એક અનુભવ થતાં બુદ્ધિને બાજુએ રાખી, રેકી માસ્ટરે કહ્યા મુજબ, 21દિવસની શુદ્ધિકરણ પ્રક્રિયા, ફૂલ બોડી સેશન શરૂ કર્યાં, નવા-નવા અનુભવો ચાલુ થયા. દુનિયા બદલાઈ ગઈ. વિચાર-મંથન શરૂ થયું છે કે 'આમ' થાય છે તે હકીકત છે. પણ 'આમ' બની કઇ રીતે શકે? ચમત્કારોમાં ના માનનારું મન અચાનક ચમત્કારો અનુભવવા લાગ્યું. જાત-અનુભવને તો કઇ રીતે નકારી શકાય? બહુ જ જલ્દી રેકી ડિગ્રીII, IIIના એટ્યૂનમેંટનો, 'ગ્રાન્ડ માસ્ટર' થવાનો લાભ મળ્યો. વિષયમાં વધુ ને વધુ ઊંડા ઊતરવાની કોશિશ કરી. અમેરિકન લેખકોએ આ અંગે ખૂબ જ સંશોધન કર્યા છે. અંગ્રેજીમાં વિપુલ સાહિત્ય ઉપલબ્ધ છે. જે મળે તે ઉથલાવ્યું. જાત પર તેમ જ જે કોઈ લોકોને સારવાર આપી તેમાં અનેક પ્રયોગો કર્યા. બહુ જ આશ્ચર્યજનક ઘટનાઓ બની. તકલીફ પણ પડી. અચાનક ઇલેક્ટ્રિક કરંટ લાગવાના ચાલુ થયા. કાચને અડવાથી, ઘરના બારણાંને અડવાથી, મોટરના બારણાંને અડવાથી, અંતમા કોઈ કોઈ વાર સામેની વ્યક્તિને અડવાથી પણ કરંટ નો અનુભવ થયો. ...ગભરાયો !

ભારતીય યોગ સાહિત્યમાંથી અને ગુરુવર્ય શ્રી વિભાકરભાઈ પંડ્યા પાસેથી આ અંગેનો સંતોષકારક જવાબ મળ્યો. ઉપરોક્ત યાત્રા લંબાતી ગઈ. પહેલી વખત જ્યારે ઍટયૂન્મેન્ટ આપ્યું ત્યારે એટલી બધી ગરમી ઉત્પન્ન થઈ કે હથેળી દાઝી ગઈ. કેટલાય દિવસો સુધી દાઝવાના ડાઘ રહી ગયા. આ બધું લખવાનું પ્રયોજન એ છે કે રેકી એક અદ્ભુત વિદ્યા પદ્ધતિ છે, તે સમજી શકાય. આ સિવાયના અનેક અનુભવો છે જેની ચર્ચા માટે અલગ અલગ પુસ્તક લખવું પડે. સંક્ષિપ્તમાં એટલું કહીશ કે ભારતના સર્વશ્રેષ્ઠ ડોક્ટરનો અભિપ્રાય ખોટો પડ્યો. 'રેમ્સે હન્ટ સિન્ડ્રોમ' ભાગી ગયો.

' ડિપ્લોમા ઈન યોગ એજ્યુકેશન' પરીક્ષા માટે નિબંધ લખવાનું આવ્યું ત્યારે વિચાર આવ્યો કે રેકી વિશે લખું તો મારા અભ્યાસનો, અનુભવનો અર્ક તેમાં આપી શકાય. શરૂઆતમાં એમ વિચાર હતો કે પચ્ચીસ-ત્રીસ પાનાં લખીને આપી દઈશ એટલે પરીક્ષાલક્ષી નિબંધ પુરો. પરંતુ લખવાનું શરૂ કર્યા બાદ જેવી રીતે પેન સડસડાટ ચાલવા લાગી અને વિચારોનો ધોધ જે રીતે વહેવા લાગ્યો તે જોઈને દિગ્મૂઢ થઈ ગયો. વિચારોનો પ્રવાહ એ રીતે ધસમસતો આવ્યો કે તે બધાને સમયના અભાવે અને આ લખાણ રજૂ કરવાની સમયમર્યાદા આવી જવાના કારણે લખાણમાં સમાવિષ્ટ કરી શકાય નથી. ખાસ કરીને 'સ્વાનુભવો' તથા 'રેકી થકી આધ્યાત્મિક ઉન્નતિ", બે પ્રકરણ અદમ્ય ઇચ્છા હોવા છતાં લખી શકાયાં નથી.

અનેક વિદ્વાનોના પુસ્તકોમાંથી ખૂબ જ જાણવા મળ્યું છે. ડાયના સ્ટેઇન તેમાં સૌથી અગ્રસ્થાને છે. આ સિવાય આ સાધના દરમિયાન એટલા બધા લોકો મદદગાર બન્યા છે કે તેમના નામનો સ્વતંત્ર ઉલ્લેખ કરવા માટે એક પ્રકરણની જરૂર પડે. આ બધાના સંયુક્ત પ્રોત્સાહન તથા સીધી-આડકતરી મદદને કારણે જ હું રેકી વિષયમાં આગળ વધી શકાયું છે. આ બધાનો ખૂબ ઋણી છું.

પ્રકરણ ૧

પ્રાથમિક પરિચય

અનાદિકાળથી ભારતમાં તથા તમામ પ્રાચીન સંસ્કૃતિઓમાં એ સમજ છે કે કોઈ એક એવી શક્તિ છે કે જે આ સમગ્ર બ્રહ્માંડને ચલાવે છે. આ શક્તિને ભારતમાં 'પ્રાણતત્વ', ચાઇના માં 'ચી,' રશિયામાં' બાયો-પ્લાસ્મિક એનર્જી ' તથા જાપાનમાં 'કી ' તરીકે ઓળખવામાં આવે છે. અને આ પરથી જ જાપાની ભાષામાં બન્યો છે શબ્દ, ' રેકી.' રેકી શબ્દ મૂળ જાપાની જ છે, પરંતુ તેના મૂળ બૌદ્ધ ધર્મમાં છે. કોઈ અન્ય સ્વરૂપે તે તિબેટમાં પ્રચલિત છે.

'રે' નો અર્થ થાય છે ' સર્વવ્યાપી, 'કી' મતલબ 'પ્રાણતત્વ.' આમ રેકી એટલે 'સર્વવ્યાપી પ્રાણતત્વ' એટલે કે 'યુનિવર્સલ લાઈફ ફોર્સ એનર્જી'

રેકી છેલ્લા થોડા વર્ષોમાં એક ઉત્તમ આધ્યાત્મિક સારવાર પદ્ધતિ તરીકે ખૂબ જ પ્રચલિત થઈ છે / થતી જાય છે. તેના કારણો અનેક છે, જે હવે પછીના લખાણમાં આપણે ચર્ચીશું. તે પહેલાં રેકીની અસર કઈ રીતે થાય છે તે વિશે ટુંકમાં સમજી લઈએ.

ઉપર જણાવ્યું છે તેમ રેકી એ સર્વવ્યાપી પ્રાણતત્ત્વ છે કે જે દરેક વ્યક્તિ વાતાવરણમાંથી મેળવ્યા..... જ કરે છે. શરીરમાંના મુખ્ય 7 ચક્રો દ્વારા આ શક્તિ પ્રાપ્ત થાય છે. કોઇ ને કોઇ કારણસર આ ચક્રો દૂષિત થતા રહે છે, બ્લોક થતા રહે છે. બ્લોકેજ નું પ્રમાણ અલગ-અલગ વ્યક્તિએ અલગ-અલગ હોઈ શકે. ઈમોશનલ સ્ટ્રેસ, એ આ પ્રકારના બ્લોકેજનું સૌથી મહત્વનું કારણ છે. ચક્રો બ્લોક થતાં જરૂરી માત્રામાં પ્રાણતત્વ શરીરને પહોંચતું નથી, ઉદભવે છે અનેક રોગો / વ્યાધિઓ. જો આ બ્લોક્સ દૂર કરી દેવામાં આવે તો પર્યાપ્ત માત્રામાં કોસ્મીક એનર્જી ખેંચી શકાય; રોગ દૂર કરી શકાય. રેકી આ સિદ્ધાંત પર કાર્ય કરે છે. રોગમુક્તિ સિવાયનું પણ ઘણું બીજું સમાયેલું છે... રેકીમાં. જે હવે પછી અનુકૂળ/યોગ્ય જગ્યાએ છણાવટ કરીશું.

અનેક ફાયદાઓ હોવા છતાં 'રેકી' એટલી સરળ ટેકનીક છે કે એવું કહેવાને મન લલચાય છે કે રેકીની સુંદરતા તેની સરળતામાં સમાયેલી છે. કોઈપણ વ્યક્તિ, ચાહે તે સ્ત્રી હોય કે પુરુષ, વૃદ્ધ હોય કે યુવાન, શિક્ષિત હોય કે અશિક્ષિત; તે રેકી શીખી શકે છે. પારંગત થવાની એકમાત્ર શર્ત છે દ્રઢ નિર્ધાર શક્તિ; બુદ્ધિ ના કહેતી હોય તો પણ રેકીને વળગી રહેવાની તૈયારી.

રેકી અથવા તો પ્રાણ ચિકિત્સા વિષે જાણતાં પહેલાં પ્રાણ વિષે થોડું સમજવું જરૂરી છે.

માનવીય પ્રાણમાં જે રોગનિવારક શક્તિ છે તેની અભાનપણે જાણકારી તો સર્વેને છે. કંઈ વાગે અને બાળક દોડતું માતા પાસે જાય, માતા વાગ્યા પર ફુંક મારે અથવા તો બાળકને થપથપાવે અને બાળક રડતું બંધ થઈ જાય, તે પ્રાણ શક્તિનો જ ચમત્કાર છે. હસ્તધૂનન, આલિંગન, ચુંબન વગેરેને કારણે જે પ્રસન્નતા ઉત્પન્ન થાય છે, તે પણ પ્રાણશક્તિનો પ્રતાપ છે. યોગ સાધનામાં આગળ વધેલી વ્યક્તિઓના પ્રાણનો પ્રવાહ અતિ પ્રબળ હોય (બને) છે. આથી જ આવી વ્યક્તિઓને ચરણ સ્પર્શ કરવાની પ્રથા આવી છે. કારણ કે આવી વ્યક્તિઓની હથેળી અને પગના અંગૂઠામાંથી પ્રાણનો જબરદસ્ત પ્રવાહ વહેતો હોય છે. ચરણસ્પર્શ કરવાથી આ પ્રાણના પ્રવાહનો લાભ જે તે વ્યક્તિને મળે છે. આવી પવિત્ર વ્યક્તિઓ જ્યારે ચરણસ્પર્શ કરનારી વ્યક્તિના માથા પર હાથ મુકીને આશીર્વાદ આપે, ત્યારે હથેળીમાંથી વહેતા પ્રાણના પ્રવાહનો લાભ જે તે વ્યક્તિને મળે છે.

-ઈ. સ. પૂર્વે લગભગ 100 વર્ષ પહેલા ડો. હિપોક્રેટસ નામની એક ગ્રીક વ્યક્તિએ અનેક લોકોને પ્રાણચિકિત્સા દ્વારા સાજા કર્યાનો ઉલ્લેખ જોવા મળે છે.

-ઇ. સ.1700ની આસપાસ આયર્લેન્ડની એક ગ્રીટેક્સ નામની વ્યક્તિએ પ્રાણચિકિત્સા દ્વારા દુનિયાભરના અનેક લોકોને રોગમુક્ત કર્યા હતા.

-વિખ્યાત ગ્રીક પંડિત પાયથાગોરસ હાથના ઇશારાથી જ ભયાનક પ્રાણીઓને વશ કરી લેતા, તે બહુ જાણીતી હકીકત છે. પાયથાગોરસનો સમયકાળ ઇ.સ. પૂર્વે ૫૦૦ વર્ષનો ગણાય છે.

- ડો. મેસમર તો તેમની વિદ્યા ને કારણે એટલાં જાણીતા થયા કે તેના પરથી પૂરું ચિકિત્સાશાસ્ત્ર વિકસ્યુ, જે મેસ્મેરિઝમ નામથી ઓળખાય છે. પૂરતી માહિતીના અભાવે મેસ્મેરિઝમ શબ્દ પ્રયોગ આજના સમયે ખોટી રીતે વપરાય છે,

- ભારતીય યોગીઓની આ પ્રકારની શક્તિ વિશે એટલી બધી વાતો પ્રચલિત છે કે તેનો કોઈ રેકોર્ડ રાખવો શક્ય જ નથી. .

આમ પ્રાણચિકિત્સા એ બહુ પ્રાચીન વિજ્ઞાન છે. રેકી વિશેની પૂરી ચર્ચા બાદ જોઈ શકાશે કે તે પ્રાણચિકિત્સા જ છે, એવી સરળ છે જે સૌ કોઈ શીખી શકે છે, ધગશ તથા મહેનતથી તેમાં આગળ વધી શકે છે. એટલું જ નહીં, તે પારંપારિક પ્રાણચિકિત્સા કરતાં અનેક ગણી વધુ શક્તિશાળી છે.

હવેના હપ્તે રેકીનો ઇતિહાસ જાણીશું.

(ક્રમશઃ)

✍🏾 જીતેન્દ્ર પટવારી ✍🏾

FB: https://www.facebook.com/jitpatwari
FB Page: https://www.facebook.com/Self-Tune-In-274610603329454/
jitpatwari@rediffmail.com
Cell: 7984581614

બીજા રસપ્રદ વિકલ્પો