Samagra Jindgi - 7 Chakro ma Samavisht Yatra - 4 books and stories free download online pdf in Gujarati

સમગ્ર જીંદગી - ૭ ચક્રોમાં સમાવિષ્ટ યાત્રા - 4

પ્રકરણ 4
ચક્રો

કોઈ પણ પ્રકારની આધ્યાત્મિક સાધના જાણતાં કે અજાણતાં થતી ચક્રયાત્રા જ છે. રેલ્વેમાં જયારે ઘણી બધી ગાડીઓની લાઇન્સ કોઈ એક સ્ટેશન પર મળે ત્યારે તેને જંક્શન કહીએ છીએ. તેમ ચક્રોને નાડીઓના જંક્શન સાથે સરખાવી શકાય. પ્રકરણ 3માં સમજ્યા તેમ ત્રણ મુખ્ય નાડીઓ અને અનેક ગૌણ નાડીઓ દ્વારા શરીરમાં ઊર્જાવહનની પ્રક્રિયા થાય છે. આ નાડીઓ અનેક જગ્યાએ એકબીજીને મળે છે, ક્રોસ કરે છે. આ એવાં ઊર્જા કેન્દ્ર છે જે સંપૂર્ણ ઊર્જાનું નિયમન કરે છે, શરીરના જૂદા-જૂદા ભાગ સુધી પહોંચાડે છે, ઇમ્યુન સિસ્ટમ પૂર્ણ રીતે તેમના પર આધારિત છે.

વિવિધ ક્ષેત્રમાં સફળતા, શારીરિક સ્વાસ્થ્ય, માનસિક શાંતિ અને સ્વસ્થતા, અવાજનું માધુર્ય, અભિવ્યક્તિની ક્ષમતા, કૌટિમ્બિક તથા સામાજિક સંબંધો, જાતીય જિંદગી, સ્વપ્રેમ તથા અન્યો માટેનો પ્રેમ, અતીન્દ્રિય શક્તિઓ, આધ્યાત્મિક ઊંચાઈ - જીવનમાં જે વિચારી શકાય તે બધું જ ચક્રોની સ્થિતિ પર અવલંબિત છે. ચક્રોની જાણકારી મેળવવી, પોતાનાં ચક્ર કેવાં છે તેનું મૂલ્યાંકન કરવું અને ચક્રસંતુલન માટે તમામ પ્રયાસો કરવા - આ બધું કેટલું મહત્ત્વનું છે તેનો આ વાત પરથી ખ્યાલ આવશે. આગામી પ્રકરણોમાં આ વિષય વિગતે આવરી લઈશું.

કરોડરજ્જુના સૌથી નીચેના છેડાથી શરૂ કરી માથાના તાળવા સુધીમાં આ ચક્રો ગોઠવાયેલાં છે. સૌથી નીચે મૂલાધાર, ત્યાર બાદ સ્વાધિષ્ઠાન, નાભિ, અનાહત, વિશુદ્ધિ, આજ્ઞા અને સૌથી ઉપર સહસ્ત્રાધાર ચક્ર આવેલ છે.

મુખ્ય નાડી ત્રણ છે, ગૌણ નાડી અનેક છે. તેમ મુખ્ય ચક્ર સાત છે, ગૌણ ચક્ર અનેક છે. એક્યુપ્રેસર અને એક્યુપંકચરના બધા પોઈન્ટ્સ પણ આમ તો ગૌણ ચક્ર જ છે. આધુનિક ચિકિત્સા વિજ્ઞાનની આંખોથી જોઈએ તો આ બધાં જ ચક્રોને શરીરની અલગ-અલગ ગ્રંથિઓ (Glands) સાથે સાંકળી શકાય. વિવિધ ચક્રોના વિવિધ ગ્રંથિઓ સાથેના સંબંધ ભવિષ્યમાં જયારે દરેક ચક્ર વિષે વિસ્તૃત ચર્ચા કરીશું ત્યારે જોઈશું. નાડીઓ ઊર્જાવહન પદ્ધતિ - ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ છે, જયારે ચક્રો ઊર્જાકેન્દ્રો - એનર્જી સ્ટેશન્સ છે. ચક્રો એવાં ટ્રાન્સફોર્મર્સ છે કે જે બ્રહ્માંડમાંથી મેળવેલ ઊંચી ફ્રિક્વન્સીની ઊર્જા પર એવી પ્રક્રિયા કરે છે કે જે શરીરમાં કેમિકલ, હોર્મોનલ અને સેલ્યુલર બદલાવ લાવે છે.

ચક્રોનું કાર્ય

ચક્રોનું કાર્ય છે કે બ્રહ્માંડમાંથી ઊર્જા ગ્રહણ કરવી અને રોજબરોજ જૂદાં-જૂદાં કારણોસર (ખાસ કરીને તો વિચારો દ્વારા) શરીરમાં જન્મતી દૂષિત ઊર્જાને બહાર ફેંકવી. કોઈ પણ પ્રકારની મેમરીનું જેમ ન્યુરૉન્સમાં ઓટોમેટિક કોડિંગ થઈ જાય છે તેમ વિચારોની ઊર્જાનું એનર્જેટિક કોડિંગ ચક્રોમાં થઈ જાય છે. દરેક વિચારોની અસર ચક્રો પર છે, કારણ કે દરેક વિચારની પણ એક ઊર્જા છે. આ પરથી સમજાશે કે જયારે ભય, ગુસ્સો, ચિંતા, અદેખાઈ, ઉદાસી, હતાશા, અપરાધભાવ-ગિલ્ટ કે આવા કોઈ પણ નકારાત્મક વિચારોનો હુમલો થાય ત્યારે મનુષ્યને કેમ કોઈ શારીરિક શ્રમ વગર પણ અતિશય થાક લાગે છે. 'ચિંતા ચિતા સમાન' જેવી કહેવાતો અને આપણા અનુભવો આ વાતની પુષ્ટિ કરશે.

ચક્રો શરીર ફરતે ઢાલનું કાર્ય કરે છે, બધા ઘા પોતાના પર ઝીલી લે છે. જયારે તે નબળાં પડે ત્યારે જ શરીર પર રોગોનું આક્રમણ થાય. નબળાં ક્યારે પડે? જયારે વૈચારિક કચરો વધુ ભરાતો જાય ત્યારે એક તબક્કે તેમનું કાર્ય (નવી ઊર્જા ગ્રહણ કરવી અને દૂષિત ઊર્જા બહાર ફેંકવી) અવરોધાય - જેમ રસોડાની ખાળમાં કચરો ભરાય અને પાણીનો પ્રવાહ અવરોધાય. ઘણી વખત બાળકોનાં ચક્રો પણ દૂષિત હોઈ શકે છે. ગર્ભાધાન સમયે અને ત્યાર બાદમાં માતાના વિચારોથી તેમનાં ચક્રો દૂષિત થયાં હોય છે. સગર્ભાવસ્થા દરમ્યાન સારું વાંચન અને વિચારો કરવા માટે જે વિશેષ ભાર મૂકાય છે, તેની પાછળનો તર્ક હવે સમજી શકાશે.

લે લાઇન્સ અને પૃથ્વીનાં ચક્રો

જેમ શરીરનાં સાત ચક્રો છે તેમ ઘરનાં, કોઈ પણ સ્થળનાં અને દુનિયાનાં પણ સાત ચક્રો છે. જેમ અક્ષાંશ અને રેખાંશ છે તેમ ઊર્જા આધારિત 'લે લાઇન્સ' - Ley Lines થિયરી છે. આ લે લાઇન્સ જ્યાંથી વધુ માત્રામાં પસાર થાય છે ત્યાં ઊર્જા અત્યધિક છે, તેના પરથી પૃથ્વીનાં સાત ચક્રો માનવામાં આવે છે. પહેલા બે ચક્રો અમેરિકામાં , ત્રીજું ચક્ર ઑસ્ટ્રેલિયામાં, ચોથું ઇંગ્લેન્ડમાં, પાંચમું ઈજીપ્તમાં, છઠ્ઠું ઇંગ્લેન્ડમાં ( આ ચક્રનું સ્થાન બદલાતું રહે છે ને માટે તેના હાલના સ્થાન વિષે મતમતાંતરો છે) અને સૌથી ઉપરનું માઉન્ટ કૈલાશ પર માનવામાં આવે છે.

ચક્ર સંતુલન/શુદ્ધિકરણ

અસંતુલિત/દૂષિત ચક્રોને સંતુલિત/શુદ્ધ કરવા માટેની વિવિધ રીતો છે. ધ્યાન આ માટેની સર્વોત્તમ રીત છે. ધ્યાનના તો અગણિત બીજા ફાયદાઓ પણ છે. એ સિવાયની ઘણી રીત છે. અમુક પ્રકારના વિચાર મનમાં જાગૃત રીતે આરોપવા ( Affirmations ), મસાજ, કલર થેરાપી, યોગાસન, અમુક પ્રકારના તેલ, સાઉન્ડ થેરાપી, ક્રિસ્ટલ્સ, હિપ્નોસીસ વિગેરે દ્વારા વિવિધ ચક્રોને એનર્જી આપી શકાય છે, અનેક એનર્જી હીલિંગ પદ્ધતિઓ પણ છે જેમ કે રેકી, પ્રાણિક હીલિંગ વિગેરે. (વિશેષ જાણકારી પ્રકરણ 20માં છે.)

સાઇકિક ડિટેકટિવ

ઊર્જા વિષે વિશ્વભરમાં થઈ રહેલી જાગૃતિનો એક બીજો દાખલો. અમેરિકા, ઇંગ્લેન્ડ વિગેરે દેશોમાં પોલીસ ડીપાર્ટમેન્ટ સાઇકિક ડિટેકટિવ'ની મદદ લે છે, ગુનાઓ શોધવામાં તેમનો ઉપયોગ કરે છે. ઘણા લોકો કદાચ એમ સમજે છે કે 'સાઇકિક' એટલે માનસિક રીતે અસ્થિર વ્યક્તિ. ખરેખર એમ નથી પણ 'સાઇકિક' એટલે જેની ESP - એક્સ્ટ્રા સેન્સરી પર્સેપ્શન મતલબ છઠ્ઠી ઇન્દ્રિય વધુ કાર્યરત હોય. બાર્બરા મેક નામની મારી એક ફ્રેન્ડની મદદ જૂદા-જૂદા દેશોની પોલીસ અનેક વાર લઈ ચૂકી છે. જયારે પોલીસ કોઈ ગુનો ઉકેલી ના શકે ત્યારે તે બાર્બરાની કે આવા કોઈ બીજા ડિટેકટિવની મદદ લે છે. દરેક સ્થળની, દરેક ઘટનાની, દરેક વ્યક્તિની ઊર્જા હોય છે, જેની સાથે આવા ડિટેકટિવ ધ્યાનની એક અવસ્થામાં જઈ સંપર્ક સાધે, તેમને જે દેખાય તે પોલીસને જણાવે અને તેને આધારે પોલીસ ગુનો ઉકેલે. barbaramackey.com પરથી બાર્બરા વિષે વિષે વધુ માહિતી મળી શકશે.

આર્ટમાં ઊર્જા

કોસ્મિક એનર્જી અંગે વિશ્વભરમાં હવે ઘણી જાગૃતિ આવી ગઈ છે, એનર્જી મેડિસિન અથવા તો વાઈબ્રેશનલ મેડિસિન તરીકે ઓળખાતી ચિકિત્સાની એક વિશાળ શાખા પ્રચલિત થઈ ગઈ છે. અમેરિકાની હોસ્પિટલ્સમાં ફ્લોરિડાના ફાઈન આર્ટિસ્ટ જેકલીન રીપ્સ્ટેઇનનાં એવાં પેઈન્ટિંગ્સ રાખેલાં જોવાં મળે છે જેમાંથી વિશિષ્ટ ચક્રો પર ઊર્જા પ્રવાહિત થતી હોય. જેકલીન એક બહુમુખી પ્રતિભા છે, વિશ્વપ્રસિદ્ધ આર્ટિસ્ટ અને લેખિકા છે, તેમની આર્ટમાંથી કેટલા હર્ટઝની ઊર્જા નીકળે છે તે વિશ્વના પ્રખ્યાત વૈજ્ઞાનિકોએ પ્રમાણિત કરેલું છે, તેઓ 'ઇન્વિઝિબલ આર્ટ' એટલે કે 'અદૃશ્ય કળા'ની વૈશ્વિક પેટન્ટ ધરાવે છે, યુનાઇટેડ નેશન્સના શાંતિદૂત (એન્વોય ફોર પીસ થ્રુ આર્ટ) છે, તેમના 400 જેટલા આંતરરાષ્ટ્રીય શૉ થઈ ચૂકેલા છે. તેમની આર્ટની વિશેષતા એ છે કે અજવાળામાં એ જુદાં દેખાય, ચોક્કસ Hertzની ઊર્જા આપે, અંધારામાં જુદાં દેખાય અને જૂદા જ Hertzની ઊર્જા આપે, UV લાઈટમાં તદ્દન અલગ જ દેખાય અને જૂદા હર્ટઝની એનર્જી આપે.

(જેકલીન અંગત મિત્ર છે, ભારતમાં મારાં મહેમાન પણ બની ચૂક્યાં છે, આ અંગે ઘણી અત્યંત રસપ્રદ માહિતિ તેમના તરફથી ફર્સ્ટ હેન્ડ મળેલી છે, અહીં ફક્ત પ્રાથમિક માહિતી આપેલ છે). તેમની અત્યંત રસપ્રદ સાઈટ jacquelineripstein.com જેમને કળામાં વિશેષ રુચિ હોય તે જોઈ શકે છે.

આગામી પ્રકરણોમાં દરેક ચક્ર વિષે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ, ત્યારે ઉપરોક્ત બે સંદર્ભ કદાચ એ સમજવામાં વધુ મદદરૂપ બનશે કે બ્રહ્માંડની ઊર્જા જો વધુ માત્રામાં ગ્રહણ કરી શકે તો મનુષ્ય પોતાની ક્ષમતા કેટલી હદે વધારે શકે.

પુસ્તકનો પ્રથમ વિભાગ પ્રાથમિક ખ્યાલ લેવા માટે હતો, અહીં પૂરો થાય છે. વિભાગ 2માં દરેક ચક્રો વિષે, વિસ્તૃત ચર્ચા કરીશું, દરેક ચક્રોની વિશિષ્ટતા જાણીશું, તેને સંતુલિત કરવાં માટેની અનેકવિધ પદ્ધતિઓ જાણીશું. યાદ કરી લઈએ કે જીવનની હર એક પરિસ્થિતિ ૭ ચક્રોમાં જ સમાવિષ્ટ છે, જન્મ પહેલાંથી જ (ગર્ભાધાન સમયથી) ચક્રોની સ્થિતિ નક્કી થતી આવે છે, તમામ ચક્રો કામ કરતાં બંધ થાય તે સાથે જીવનની સમાપ્તિ થતી આવે છે. હૃદયચક્ર બંધ થાય એટલે બધા જ ચક્રો એક સાથે રાજીનામું આપે છે .

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED