Chokkhu ne chanak - 3 books and stories free download online pdf in Gujarati

ચોખ્ખું ને ચણક - ભાગ ૩


"ગુજરાતી સાહિત્યની કરૂણતા એ છે કે મોટાભાગના ગુજરાતી સાહિત્યકારોના પૌત્રોને ગુજરાતી આવડતું પણ નથી."



સ્વર્ગવાસી ગુજરાતી


ના,હું એવી કોઈ વાત કરવાનો નથી કે ભાષા તો એક દિવસ મૃત્યુ પામવાની જ હોય,સંસ્કૃત જેવી સંસ્કૃત ન ટકી તો ગુજરાતી ભાષા શું બચવાની,ગુજરાતી ભાષા એ અંગ્રેજી ને એવી બધી ભાષાઓનું મિશ્રણ છે,ગુજરાતીમાં અમુક પ્રકારનું સાહિત્ય રચાયું જ નથી.આ બધી બહાનાબાજી છે.આપણી ભાષા કે સાહિત્યમાં રહેલા મર્મને બહાર લાવવાની આપણી શક્તિ ખૂટી ગઈ છે એટલે પછી બાળકનું પેટ ભરાય જાય પછી જેમ એ ન ખાવું હોય એટલે બહાના કાઢે એમ સાહિત્યકારો ને કહેવાતા ભાષાપ્રેમીઓ આ બધા બહાના કાઢે છે!બાકી હિબ્રુ ભાષા ઉભી કરેલી ને આપણે પણ જીવતી કરી શકીએ ને એ બધી વાતો સત્ય હોઈ શકે,પણ અત્યારે આપણે માટે નકામી છે.

મૂળ અને ખરી વાત જે દરેક દંભ કરતા ભાષાપ્રેમી અને સાહિત્યકારોમાં પડેલી છે એ વાત તો એમ છે કે એ કોઈને હવે ખરેખર આ ભાષા બચાવવામાં રસ નથી.એ બધાએ એને જોઈતી પ્રસિદ્ધિ આ ભાષામાંથી મેળવી લીધી અને હવે એ બધાના જીવનની રાત્રિ છે એટલે એ લોકોને કાલે જે ધૂંધળો સૂર્ય ઉગવાનો છે એની ચિંતા પણ નથી.નવા આવનારા અને ભાષા બચાવવા પોતે કમર કસી રહ્યા છે એવો ડોળ કરનારા લોકો પણ હકીકતમાં તો પૈસા બનાવવા માંગે છે નવોદિત લોકોને મોકો આપવાને નામે!

જો ખરેખર ગુજરાતી બચાવવામાં કોઈને રસ હોત કે એના અધ્યાપકોએ દંભ કરતા મહેનત વધુ કરી હોત તો આજે ગુજરાતીની આવી હાલત જ ન હોત!આજે હું વગર સર્વેક્ષણે કહી શકું એમ છું કે આજે જે છોકરાઓ પ્રાથમિક શાળામાં ભણે છે એમાંથી ઓછામાં ઓછા નેવું ટકા છોકરાઓને મેઘાણી પણ નથી સમજાતા અને ઉમાશંકર પણ!બક્ષી કહેતા કે લોકો તો વાંચે જો તમે એને ગમે એવું વાંચવાનું આપો.આ વાત પણ આજે વાહ્યાત લાગે છે.કદાચ દંભ કરવા ખાતર મારી વાત અત્યારે કોઈ ઇનકારે પણ અંદર એ પણ જાણે જ છે કે આ વાતમાં કેટલું તથ્ય અને સત્ય છે.ઉઘાડા પાડવા એ જ કલમનો સૌથી મોટો ઉદ્દેશ છે.

આજે જે લોકો માતૃભાષા બચાવવામાં પોતાનો ફાળો નોંધાવે છે એ લોકોને જઈને પૂછો કે તમે લખેલી વાર્તા તમારા સંતાનો કે એના સંતાનો વાંચે છે ખરા?મારી પુરી ખાતરી છે કે એ ભારતમાં પણ નહીં રહેતા હોય,તો વાંચવાનો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો જ નથી.ગુજરાતી સાહિત્યની કરુણતા એ છે કે મોટાભાગના ગુજરાતી સાહિત્યકારોના પૌત્રોને ગુજરાતી આવડતું પણ નથી.આવું કેમ?બાકી ગુજરાતી સાહિત્યમાં જે વિદ્વાન હોય એને ઘરે ભલે ગુજરાતી કવિતાનું આકંઠ રસપાન ન થાય પણ વાંચન તો થતું હોવું જોઈએ.

આવું એટલા માટે થાય છે કારણ કે ખરેખર ગુજરાતી ભાષાના સાહિત્યકારો પણ જાણે છે કે હવે આ ભાષાનું ભવિષ્ય ધૂંધળું છે કારણ કે ગુજરાતી લોકોને પણ હવે આ ભાષામાં રસ રહ્યો નથી.એટલે જ તો પોતે જે ભાષાને આધારે પોતાના ઘરની રોટલી શેકે છે એનું સામાન્ય જ્ઞાન પણ પોતાની અનુગામી પેઢીઓને એને આપ્યું નથી.બસ,હવે સો અથવા વધુમાં વધુ દોઢસો વર્ષ,પછી કદાચ નહિ હોય ગુજરાતી!હું ત્યારે જીવતો હોઈશ તો મને નવાઈ નહિ લાગે,દુઃખ થશે પણ હું ક્યાંય કોઈને કહેવા નહિ જઉં.

ખરેખર આપણે જેને 'સારસ્વત' કહીએ છીએ એ બધા ભાષાના ખરા ઉપાસકો હોત તો આવી સ્થિતિ આવે જ નહિ.ભાષાના ખરા ઉપાસકો તો એ લોકો છે જે આજે પણ આ મરી રહેલી ભાષા પોતાને આજીવિકા આપશે એમ માનીને ગુજરાતી મુખ્ય વિષય સાથે ભણી રહ્યા છે.કોણ નોકરી આપશે એને?આ દંભ કરતા સાહિત્યકારો?ભલે અજાણતા જ પણ આજે ગુજરાતી થોડી ઘણી પણ જીવે છે તો એ લોકોની શ્રદ્ધા પર,નહિ કે કોઈની મહેનત પર!સૌરાષ્ટ્રમાં તો સાવ ભુકકા બોલી રહ્યા છે આ ભાષના,કારણ કે અહીં બોલી છે પણ સાહિત્ય નથી.

સાચા સેવકોને સરકાર ગ્રાન્ટ આપવામાં ચુકી ગઈ છે કે આપણે ઓળખવામાં ભૂલ કરી છે એ ખબર નથી પણ બસ હવે ગુજરાતી ભાષાને સ્વર્ગવાસી થવામાં બહુ સમય નથી. બીજી એક આડ વાત જેમાં મારો પણ સમાવેશ થાય છે એ નવોદિત લેખકો જે કચરો લખી રહ્યા છે એનાથી મને એમ થાય છે કે 'ઉમાશંકરનું પુનરાવર્તન','બક્ષી-સુરેશની જોડી' કે 'કાવ્યમાં બ.ક.ઠાકોર કે ભગત સાહેબ' પાછા આવશે નહિ.હસ્યલેખકોને તો હસી કાઢ્યા જ છે ગુજરાતીએ પણ એને જેટલો પ્રેમ આજે મળે છે એટલો કવિતાને પણ નથી મળ્યો.

તમે બચાવવાનો પ્રયત્ન કરવાના હો તો અભિનંદન!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED