the secrets of nazargadh - 4 books and stories free download online pdf in Gujarati

The secrets of નઝરગઢ ભાગ 4

આપણે આગળ ના ભાગ માં જોયું કે અનિરુદ્ધ અને વિકર્ણ ને જે બે વ્યક્તિ બચાવે છે એ બે સ્ત્રી હોય છે જે એમની ઓળખાણ અવની અને ત્રિશા બે બહેનો તરીકે આપે છે ,ત્યારબાદ તે બન્ને બહેનો અનિરુદ્ધ અને વિકર્ણ ને ગુફા ના બીજા મુખ માં થી બહાર એક જાદુઈ નગર માં લઇ જાય છે,અનિરુદ્ધ અને વિકર્ણ બન્ને એ રહસ્યમયી જગ્યા જોઈ ને અચંભિત થઇ જાય છે ,અવની એ નગર નું નામ માયાપુર જણાવે છે ,અને માયાપુરના અસ્તિત્વ નું સંપૂર્ણ રહસ્ય જણાવે છે,સાથે એ પણ જણાવે છે કે બંને બહેનો અવની અને ત્રિશા એ માયાપુર ની સર્જક witch માયા ની પુત્રીઓ છે.

ક્રમશ: ....

અનિરુદ્ધ અને વિકર્ણ અવની ની વાતો પર થી વિચાર માં પડી જાય છે .

વિકર્ણ ને મન માં સંદેહ થાય છે કે અવની અને ત્રિશા આ જે પણ કહી રહ્યા છે એ સત્ય છે કે એમાં પણ કઈક અલગ રહસ્ય છુપાયેલું છે.પરંતુ ત્રિશા ના સ્વભાવ ને અનુલક્ષી ને વિકર્ણ એ આ બાબત ની કોઈ પણ ચર્ચા નાં કરી.

અનિરુદ્ધ : મતલબ કે તમે બંને બહેનો આ નગર ના શાસક છો ?

અવની : નાં.. અમારી માતા નો ઉદ્દેશ્ય હતો કે માયાપુર હમેશા લોકો ની સુખ શાંતિ માટે વસવાટ નું એક કેન્દ્ર બને જેથી ..આ નગર નું કોઈ શાસક નથી..બધા અહી પોતાની મરજી થી હળી મળી ને રહે છે.

ત્રિશા : હા ..પરંતુ આપ ..અમને આ નગર ના રક્ષક સમજી શકો ...અમે બન્ને વર્ષો થી અમારી માતા ની આજ્ઞા અનુસાર માયાપુર ની રક્ષા કરી રહ્યા છીએ.

અનિરુદ્ધ : વર્ષો થી મતલબ .... માફ કરશો પણ તમારી બન્ને થી આયુ એટલી લાગતી નથી.

અવની મુસ્કુરાવા લાગી... “બસ એ જ તો સમાનતા છે તમારા અને અમારા માં....”

અનિરુદ્ધ : મતલબ ?

અવની : તમે vampires વર્ષો સુધી વૃદ્ધ થતા નથી ... તમને મળતું તાજું રક્ત સદીયો સુધી તમને યુવાની બક્ષે છે ...અને અમે witches પોતાની જાદુઈ શક્તિ અને રહસ્યમયી ઔષધી ના પ્રભાવ થી સદીયો સુધી યુવાની માં રહી શકીએ છે .

અનિરુદ્ધ : તો હું તમારી આયુ કેટલી સમજી શકું ?

ત્રિશા : ચોક્કસ તો નાં કહી શકાય પરંતુ,નઝર ગઢ નાં અસ્તિત્વ ના ૨ સદી પશ્ચાત અમારો જન્મ થયો હતો એવું કઈક યાદ છે .

વિકર્ણ : અને નઝર ગઢ નાં અસ્તિત્વ ને આશરે કેટલી સદીયો વીતી ગઈ ?

ત્રિશા : કદાચ 6 સદી ... એક બે સદી માં ઊંચ નીચ પણ હોઇ શકે ?

બધા હસવા લાગ્યા.

અવની : હવે વાતો ખુબ થઇ ગઈ .. તમારે આરામ કરવો જોઈએ.તમે બન્ને વિશ્રામ કક્ષ માં વિશ્રામ કરો ,હવે પ્રાત: કાલ મુલાકાત થશે.

અને અનિરુદ્ધ .....

અનિરુદ્ધ : હા બોલો ....

અવની : કઈ પણ તકલીફ હોય તો આપ મને જણાવી શકો છો.

અનિરુદ્ધ : અવશ્ય ...તમારો આભાર.

અનિરુધ અને વિકર્ણ બન્ને પોતાના કક્ષ માં ગયા.

ત્રિશા અવની ના બદલાયેલા હાવ ભાવ જોઈ રહી હતી.એ આ વાત થી બિલકુલ ખુશ નહતી.

બે પ્રહર બાદ પ્રાતઃ કાળ થયો.

સૂર્ય ના પ્રકાશ નાં સાથે જ વિકર્ણ તો માયાપુર નાં દર્શન કરવા નીકળી ગયા.અનિરુદ્ધ હજુ પણ નિંદ્રા માં હતો.

અવની અનિરુદ્ધ નાં કક્ષ માં એને બોલાવવા પ્રવેશી...

આજે અવની અલગ જ શૃંગાર કરી ને આવી હતી.

એ અનિરુદ્ધ ને અવાજ લગાવવા જઈ રહી હતી .... પરંતુ અનિરુદ્ધ ને જોઈએ એને પોતાને રોકી લીધી,એ અનિરુદ્ધ ની નજીક ગઈ એના પાસે બેસી ગઈ.

અવની અનિરુદ્ધ ને એક ટકે જોઈ રહી હતી.

અનિરુદ્ધ નાં વાળ ને સ્પર્શ કરવા અવની એ હાથ લંબાવ્યો ...

અચાનક અનિરુદ્ધ ની આંખો ખુલી ગઈ...

અવની ઘભરાઈ ને તરત હાથ ખેંચી લીધો અને ત્યાંથી ઉભી થઇ ગઈ.

અનિરુદ્ધ : તમે અહી ? .... ઓહ ... કદાચ મારે જાગૃત્ત થવા માં થોડો વિલંભ થઇ ગયો.

અવની : નાં એવું કઈ નથી. લાંબા સંઘર્ષ બાદ તમારે વધારે વિશ્રામ ની જરૂર હતી.

અનિરુદ્ધ : હા ... કદાચ સત્ય છે ..પરંતુ વિકર્ણ ક્યાં છે ,એ આટલા પ્રાતઃ કાલ ક્યાં ચાલ્યા ગયા ?

અવની : કદાચ ... માયાપુર ની સુંદરતા નિહાળવા નીકળી ગયા.

અનિરુદ્ધ : હા ...એવું જ હશે ... એમને થયું હશે કે અહી થી નઝરગઢ પરત જઈએ એ પહેલા માયાપુર જોઈ લેવું.

અવની ચોંકી ગઈ .....

અવની : મ ..મતલબ તમે નઝરગઢ પરત જઈ રહ્યા છો ?

અનિરુદ્ધ : હા ... ત્યાં મારા પિતા આનવવેલા મારી અને વિકર્ણ ની ચિંતા માં હશે ,અને વિદ્યુત નો ખતરો પણ હજુ ટળ્યો નથી. એની કુદ્રષ્ટિ હજુ પણ નઝર ગઢ પર છે .... નઝર ગઢ ને અમારી જરૂર છે.

અવની ના જાણે શ્વાસ અટકી ગયા.

અવની : પરંતુ તમે હજુ સંપૂર્ણ સ્વસ્થ નથી ... તમારે થોડા દિવસ અહી રોકાવું જોઈએ.

અનિરુદ્ધ ઉભો થઇ ને અવની પાસે ગયો.

અનિરુદ્ધ : અમારા લીધે તમારે વધારે તકલીફ લેવાની જરૂર નથી ... એમ પણ અમે અમારું જોખમ તમારા આ સુંદર નગર પર તોળવા નથી માંગતા, વિદ્યુત ખુબ જ ક્રૂર છે ,એને જરા પણ જાણ થઇ કે અમે અહી છીએ તો એ માયાપુર ને તબાહ કરી નાખશે .

અવની : એ કોઈ દિવસ નહિ જાણી શકે.તમે અહી છો.તમે બેફિકર રહો .

અનિરુદ્ધ : અવની અમને ક્ષોભ માં ન મુકો .... આપના આગ્રહ ને હું નકારી નહિ શકું ,તમારા અનેક ઉપકાર છે મારા પર ,પરંતુ મારા પિતા ને મારી જરૂર છે, હું એમના પ્રાણ છું,મને એમના સમક્ષ નહિ જુએ તો એ તૂટી જશે...

અવની : પરંતુ ...

“અનિરુદ્ધ સત્ય કહી રહ્યો છે ... અવની ,એમનું નઝરગઢ પરત જવું વધારે ઉચીત છે” પાછળ થી ત્રિશા આવી.

અનિરુદ્ધ : આભાર ત્રિશા ....

હું વિકર્ણ જી ને શોધી લવ.

એટલું કહી ને અનિરુદ્ધ એ કક્ષ ની બહાર નીકળી ગયો.

અનિરુદ્ધ નાં બહાર જતા જ અવની પોતાની જગ્યા પર જાણે બેસુદ થઇ બેસી ગઈ.

ત્રિશા ભાગી ને એની પાસે આવી ,અવની ની આંખો માં અશ્રુ હતા ....

ત્રિશા : શું થયું છે અવની ?

અવની ના જાણે શ્વાસ અટકી ગયા હતા ... એના મોઢા માંથી શબ્દ જ નીકળી જ શકતા ન હતા.માત્ર એના અશ્રુ એની વેદના દર્શાવી રહ્યા હતા.

ત્રિશા : આ શું હાલત કરી લીધી છે તે તારી ? શું થયું છે મને જણાવ ?

અવની : અન... અનિરુદ્ધ અહી થી જઈ રહ્યો છે ત્રિશા ....

ત્રિશા : તો ... એમાં શું તકલીફ છે ? એ પોતાના ઘરે જ જઈ રહ્યો છે ? અને એ જાય એમાં તને આટલી તકલીફ કેમ છે ?

અવની : ખબર ....નહિ કેમ ? પરંતુ એ મને છોડી ને જઈ રહ્યો છે .તો મને એવું લાગી રહ્યું છે કે મારું સર્વસ્વ જઈ રહ્યું છે,કદાચ એના વગર હું નહિ રહી શકું...

ત્રિશા : પરંતુ એક અજાણ વ્યક્તિ માટે આટલી લાગણી કેમ ? એને તો અહી આવ્યા ને હજુ એક દિવસ પણ નથી થયો ...

અવની : હું કઈ નથી જાણતી ત્રિશા ...આ શું થઇ રહ્યું છે ? કેમ થઇ રહ્યું છે ? હું નથી ચાહતી કે એ મને છોડી ને જાય .....

ત્રિશા : તને શું થઇ ગયું છે અવની ....આટલા વર્ષો માં તે આવું વર્તન કોઈ દિવસ કર્યું નથી.અનિરુદ્ધ ના પ્રાણ બચાવવા તે માયાપુર ની સીમા નું ઉલ્લંઘન કર્યું ,એક vampire ને બચાવવા, તે એક અજાણ વ્યક્તિ ને માયાપુર નું સંપૂર્ણ રહસ્ય જણાવી દીધું. એના પોતાના કક્ષ માં ગયા બાદ સમગ્ર રાત્રી તું એના કક્ષ ની ખીડકી માં થી એને જ જોઈ રહી હતી. આટલા વર્ષો માં પ્રથમ વખત તે શૃંગાર કર્યો છે.

આટલો બધો બદલાવ એક વ્યક્તિ માટે ?

અવની : નથી જાણતી ત્રિશા .. બસ જ્યાર થી મારા નેત્રો એ અનિરુદ્ધ ને જોયો છે ,ત્યાર થી એક પલ માટે એને પોતાના થી દુર કરવાની ઈચ્છા થતી નથી.

ત્રિશા : તું એક vampire ના પ્રેમ માં છે અવની.પણ શું એ પણ એ જ અનુભવે છે જે તું અનુભવે છે ?

અવની : હું નથી જાણતી. મારે થોડોક સમય જોઈએ છે.

ત્રિશા : ઠીક છે...

એટલું કહી ને ત્રિશા ....કક્ષ ની બહાર નીકળી ગઈ.

અવની એ પોતાને સંભાળી.

અનિરુદ્ધ દુર એક વૃક્ષ નીચે ઉભો વિકર્ણ ને શોધી રહ્યો હતો.

ત્રિશા ત્યાં પહોચી ....

ત્રિશા : અનિરુદ્ધ ... હું એમ જણાવવા માંગતી હતી કે તમે આજે નઝર ગઢ થી નીકળશો તો પણ તમને ત્યાં પહોચતા થોડોક સમય લાગશે....એના બદલે અમે તમને માયાપુર થી એક જાદુઈ માર્ગ થી ટૂંક સમય માં ત્યાં પહોચાડી દઈશું.

અનિરુદ્ધ : આ તો ખુબ જ સારી વાત જણાવી તે ....

એટલામાં વિકર્ણ પણ ત્યાં પહોચ્યા.

ત્રિશા : પરંતુ અવની અને મારું મંતવ્ય એવું છે કે તમારે થોડોક સમય અહી રોકાવું જોઈએ.

તમે હજુ પણ યુદ્ધ કરવા સંપૂર્ણ સક્ષમ નથી. અહી માયાપુર માં ઘણી એવી ઔષધી છે જે તમારી શક્તિ ને વધારી શકે છે.

વિકર્ણ : મને લાગે છે કે ત્રિશા સત્ય કહી રહી છે.

અનિરુદ્ધ : પરંતુ વિદ્યુત નઝર ગઢ પર આક્રમણ કરી શકે છે ,અને પિતાજી ત્યાં એકલા ....

વિકર્ણ : આપણે વિદ્યુત ની સેના ને ભારે ક્ષતિ પહોચાડી છે ...જેથી હાલ થોડાક દિવસ એ યુદ્ધ કરી શકે એવી હાલત માં નથી ...અને તું આનવ વેલા ને એકલા અને અસહાય ન સમજીશ ..એ એકલા જ સંપૂર્ણ વિદ્યુત ની સેના ને પરાસ્ત કરવા સક્ષમ છે.

અનિરુદ્ધ : પરંતુ તેઓ આપણી ગેરહાજરી ને આપણી મૃત્યુ સમજી ને તૂટી જશે ,એમને જણાવવું જરૂરી છે કે આપણે બન્ને જીવિત છીએ અને સુરક્ષિત માયાપુર માં છીએ.

વિકર્ણ : હા ..આં વાત પર તો હું સહમત છું.

ત્રિશા : કદાચ હું તમારી આ સમસ્યા નો ઉકેલ આપી શકીશ... હું તમારા પિતા સુધી એક સંદેશ પહોચાડી દઈશ કે તમે બન્ને સલામત છો.

વિકર્ણ : એ કઈ રીતે શક્ય છે ...?

ત્રિશા : તમે ભૂલી રહ્યા છો કે તમે માયાપુર માં છો ....અહી કઈ પણ અશક્ય નથી ...

અનિરુદ્ધ : તમે બન્ને એ અમારા પર ખુબ ઉપકાર કર્યા છે ,અમે હમેશા માયાપુર નાં આભારી રહીશું.

ત્રિશા : તમે અમારા મહેમાન છો....

(મન માં) : મારી બહેન માટે આટલું તો કરવું જ પડશે અને ઉપકાર તો તે કર્યો છે અનિરુદ્ધ ,અહી રોકાઇને.

અનિરુદ્ધ : બસ આપ તુરંત મારા પિતા સુધી અમારો સંદેશ પહોચાડી દો.

ત્રિશા : ઠીક છે ... તમે સામે જે પહાડ દેખાય છે એના માંથી જે ધોધ પડી રહ્યો છે ,ત્યાં પહોચો ..હું જરૂરી સામાન લઇ ને પહોચું છું.

અનિરુદ્ધ અંને વિકર્ણ ત્રિશા ની આજ્ઞા પ્રમાણે એ જગ્યા પર જવા માટે નીકળી ગયા.

ત્રિશા ઘરે પહોચી .... અને જાણી જોઇને અવની થી છુપાવા લાગી.

અવની એના આસ પાસ ફરી રહી હતી કે ત્રિશા શું છુપાવી રહી છે,

ત્રિશા પોતાનો એક મેલો થેલો લઇ ને બહાર જઈ રહી હતી.

અવની થી હવે રહેવાયું નહિ.

અવની : અરે ત્રિશા ક્યા જઈ રહી છે ? અનિરુદ્ધ એ શું જણાવ્યું ?

ત્રિશા : અનિરુદ્ધ ના પિતા સુધી સંદેશ પહોચાડવા નો છે....

અવની : શેનો સંદેશ ?

ત્રિશા : કઈ ખાસ નથી ... બસ એટલું કે એ બન્ને સુરક્ષિત છે અને માયાપુર માં છે ...અને ...

અવની : અને ?

ત્રિશા : અને ... થોડાક દિવસ અહી માયાપુર માં જ રોકાશે.

આટલું સાંભળી ....અવની ખુશ થઇ ગઈ અને ભાગી ને ત્રિશા ને ભેટી પડી .... ત્રિશા પણ ખુશ થઇ ગઈ.

અવની : મને ખબર હતી કે આ કામ ફક્ત તું જ કરી શકે.

ત્રિશા : ઠીક છે ... હવે બહુ ખુશ થવાની જરૂર નથી ... એને થોડાક દિવસ સુધી જ અહી રહેવા માટે મનાવ્યો છે.

અવની : મને તો જેટલો પણ સમય મળ્યો એટલો પુરતો છે.

ત્રિશા : ઠીક છે તો..હવે તારા કેશ સરખા કર.. અનિરુદ્ધ જળ પ્રપાત

પાસે અપની રાહ જોઈ રહ્યો છે ... સંદેશ પહોચાડવા તારી પણ જરૂર પડશે,

અવની તુરંત તૈયાર થઇ ગઈ.બન્ને બહેનો જળ પ્રપાત પાસે પહોચ્યા ...અનિરુદ્ધ ત્યાં જ પથ્થર પર બેઠો હતો.

એને જોતા જ જાણે અવની ના ચહેરા ની રોનક બદલી ગઈ.

અનિરુદ્ધ : સારું થયું તું પણ અહી આવી ... અને આખરે તારી ઈચ્છા પૂર્ણ થઇ... અમારે અહી રોકાવવું જ પડ્યું.

અવની : હજુ બધી ઈચ્છા ક્યાં પૂર્ણ થઇ છે ?

અનિરુદ્ધ : મતલબ ?

અવની : મતલબ ... હજુ તો માયાપુર માં ઘણું બતાવવાનું બાકી છે .

અનિરુદ્ધ : હવે તો જોવું જ પડશે ... એમ પણ માયાપુર માં સુંદરતા ની કોઈ ઉણપ નથી.

અનિરુદ્ધ ના વચન થી અવની ના મન માં આશા નું એક કિરણ બંધાયું.

ત્રિશા જમીન પર કોઈ આકૃતિ દોરી રહી હતી.કોઈ ગુઢ જાદુ ના ચિન્હો હતા.

એ ચિન્હો ની વચોવચ ત્રિશા એ ધોધ માંથી ભરેલા પાણી નું પાત્ર મુક્યું.

ત્રિશા અને અવની એકબીજા ના હાથ પકડી ને મંત્ર ની શરૂઆત કરી.

અનિરુદ્ધ અને વિકર્ણ સમગ્ર દ્રશ્ય નિહાળી રહ્યા હતા.એમના માટે આ બધું એકદમ અસામાન્ય અને નવીન હતું.

બન્ને બહેનો ના મંત્ર પુરા થયા. ત્યાં પાણી માંથી એક મોટો પરપોટો ઉત્પન્ન થયો જે એ પાત્ર થી ઉઠી ને ઉંચો આવ્યો.

અવની એ અનિરુદ્ધ ને એનો હાથ પકડવા કહ્યું. અનિરુદ્ધ એ અવની નો હાથ થામ્યો.

અવની : હવે તું જે પણ વાત તારા પિતાજી સુધી પહોચાડવા માંગે છે એ ઊંચા સ્વરે આ પરપોટા પાસે બોલી દે.

અનિરુદ્ધ પરપોટા ના પાસે ગયો અને બોલ્યો ... “ પિતાજી ...હું અનિરુદ્ધ અને કાકા વિકર્ણ અમે બન્ને સલામત છીએ ... વિદ્યુત સાથે યુદ્ધ માં આપણા બધા સૈનિકો જીવ ઘુમાવી ચુક્યા છે,અમે બન્ને ખુબ લડ્યા બાદ અત્યંત ઘાયલ હતા,ત્યારે માયાપુર ની બે કન્યા ઓ એ અમારા પ્રાણ બચાવ્યા અને અમે અત્યારે માયાપુર માં સલામત છીએ,થોડાક દિવસ માં સંપૂર્ણ સ્વસ્થ થતા જ નઝર ગઢ પરત આવીશું,ત્યાં સુધી વિદ્યુત થી સાવચેત રહેશો”

અનિરુદ્ધ નો સંદેશ પૂર્ણ થતા જ ...અવની એ મંત્ર થી પરપોટા ને હવા માં મુક્ત કર્યો.

પરપોટો હવા ની ગતિ થી આકાશ માં અદ્રશ્ય થઇ ગયો.

અનિરુદ્ધ ને આત્મ સંતોષ થયો.

અનિરુદ્ધ : તમારો ઉપકાર હું કરી રીતે ચૂકવીશ એ નથી સમજાતું મને ?

અવની : કોઈ ઉપકાર નથી કર્યો મેં .... કદાચ આપણી કિસ્મત માં જ હતું ....

અનિરુદ્ધ : કદાચ મારી કિસ્મત માં જ હતું માયાપુર આવવાનું ,તમને મળવાનું.

હવે .. તમારે બન્ને એ મને માયાપુર ની સુંદરતા બતાવવાની છે.

ત્રિશા: માફ કરશો અનિરુદ્ધ .. મારે એક આવશ્યક કામ થી બહાર જવાનું છે ,અવની તમારી મદદ કરશે.

ઠીક છે ને અવની ?

અવની : હ... હા બિલકુલ ...

ત્રિશા એ જોયું કે હજુ પણ અનિરુદ્ધ એ અવની નો હાથ પકડી રાખ્યો હતો.

ત્રિશા : એટલે તમે આખું માયાપુર ... આવી રીતે હાથ પકડી ને જ ફરવાના છો ?

અનિરુદ્ધ ને જ્ઞાન થતા તરત જ હાથ છોડી દીધો.

અવની શરમાઈ ને ત્રિશા બાજુ ચાલી ગઈ ...ત્રિશા મન માં મુસ્કાઈ રહી હતી .... ત્યાં અવની એ જઈ ને ત્રિશા નો હાથ જોર થી દબાવ્યો.

અને બન્ને ત્યાં થી ચાલ્યા ગયા.

અનિરુદ્ધ પણ વિકર્ણ પાસે ગયો ... જે ત્યાં ઉભા ઉભા હસી રહ્યા હતા.

અનિરુદ્ધ : શું ?

વિકર્ણ : કઈ નહિ ? મેં કઈ જોયું જ નથી .

અને હું તો મારી રીતે જાતે જ માયાપુર ફરી લઈશ ...

વિકર્ણ હસતા હસતા ચાલ્યા ગયા.અનિરુદ્ધ ક્ષોભ માં મુકાઈ ગયો.

અહી આ બાજુ જે સેના ટુકડી અનિરુદ્ધ અને વિકર્ણ ને શોધવા નીકળી હતી એ થાકી ને વિદ્યુત પાસે ગઈ.

વિદ્યુત અને ઘાયલ ભીષણ મોટા વૃક્ષ નીચે છાવણી માં બેઠા હતા.

સેનાપતિ : મહારાજ ...

વિદ્યુત : શું થયું સેના પતિ ..પરત આવવામાં ઘણો સમય લાગી ગયો.

સેનાપતિ ભય થી શું બોલવું એ જ સમજી શકતો ના હતો.

ભીષણ : બોલો ...શું સમાચાર છે ? અને ક્યાં છે એ બન્ને પિશાચ ?

વિદ્યુત : એ લોકો તમારા હાથ માં થી બચી ને નથી ભાગ્યા ને ?

સેનાપતિ : ન ...નાં મહારાજ ... એ લોકો તો અમને મહા મહેનતે મળ્યા હતા.ત્યાર બાદ પણ એ અનિરુદ્ધ એ અમારા સાથે યુદ્ધ કરવાની કોશિશ કરી ... અને બચી ને ભાગવા જઈ રહ્યો હતો ત્યાં અમે એને ઘેરી ને એ બન્ને ને મોત ને ઘાટ ઉતારી દીધા.

ભીષણ : તો બન્ને ના મૃતદેહ મહારાજ પાસે કેમ નાં લાવ્યા ?

સેનાપતિ : અનિરુદ્ધ ભાગે એ પહેલા જ અમે ચારેય બાજુ આગ લગાવી દીધી ..જેથી એ બન્ને અમારી નજર સમક્ષ જ ભસ્મ થઇ ગયા.

વિદ્યુત પોતાની જગ્યા પર થી ઉભો થઇ ગયો

વિદ્યુત : શાબાશ .... શાબાશ .. સેનાપતિ ,મને તમારા પાસે એજ અપેક્ષા હતી.

ભીષણ ...આપણે આનવ વેલા ના મુખ્ય બે હથિયાર જ નષ્ટ કરી નાખ્યા,પોતાના પુત્ર અને મિત્ર ની મૃત્યુ ના આઘાત માં આનવ પંગુ થઇ ચુક્યો છે ... હવે આપણ ને નઝરગઢ હાસલ કરવામાં કોઈ રોકી નહિ શકે .

વિદ્યુત : તો નઝર ગઢ પર હુમલો કરવાની તૈયારી કરો.

ભીષણ : પરંતુ વિદ્યુત .. આપણી સેના હમણાં ક્ષતિગ્રસ્ત છે ...એને થોડોક સમય આપવો પડશે.

વિદ્યુત : સમય આપીશું તો ...આનવ ફરી થી મજબુત સ્થિતિ માં આવી જશે ... આ જ સમય છે ઘાત કરવાનો.

ભીષણ : પરંતુ અનિરુદ્ધ અને વિકર્ણ એ આપણા અનેક સૈનિકો ને માર્યા છે ... સેના નું મનોબળ સ્થિર નથી ,અને આનવવેલા ને કમજોર સમજવાની ભૂલ નાં કરો ... અત્યારે એ વધારે સતર્ક હશે.

વિદ્યુત : ઠીક છે સૈનિકો ને જેટલું બની શકે એટલું ઝડપી તૈયાર કરો ...હવે નઝર ગઢ ને કબજે કર્યા સિવાય મને આરામ નહિ મળે.

ફક્ત પાંચ દિવસ નો સમય આપું છું ભીષણ, છઠા દિવસે આપણી સેના નઝર ગઢ તરફ કુચ કરશે.

ભીષણ : ઠીક છે ...જેવી તમારી ઈચ્છા.

વિદ્યુત : આનવ વેલા ...પોતાના શાસન ના અને જીવન ના અંતિમ પાંચ દિવસ જીવી લે ...છઠા દિવસે .... નઝરગઢ ની ગાદી પર વિદ્યુત બિરાજશે.

ક્રમશ : ...........

નમસ્કાર વાચક મિત્રો ...

આપના પ્રતીભાવ વાંચ્યા બાદ આનંદ થયો.આશા છે નવલકથા માં નવો વળાંક અને પ્રેમ રસ આપ લોકોને પસંદ આવશે ... હવે તમે કથાનક માં કેવા રસ નું પાન કરવા માંગો છો એ અવશ્ય જણાવશો ,તમારા અમુલ્ય પ્રતિભાવ અવશ્ય આપશો

આભાર.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED