Thasharnu Rahasya Part 11 books and stories free download online pdf in Gujarati

થશરનું રહસ્ય ભાગ ૧૧

ભાગ ૧૧

બંસીલાલે કહ્યું, “બર્બરીક એ મહાભારતનું એવું પાત્ર છે, જેના પર વધારે પ્રકાશ પડ્યો નથી અને શ્રીકૃષ્ણ પછી સૌથી શક્તિશાળી યોદ્ધા હતો અને તેણે પણ મહાભારતના યુદ્ધમાં ભાગ લીધો નહોતો. મહાભારતની કથા પ્રમાણે બર્બરીક ઘટોત્કચ અને નાગવંશી મુરની પુત્રી આહિલાવતીનો પુત્ર હતો. તે શક્તિશાળી અને પરાક્રમી હતો. તેની પાસે ત્રણ અલભ્ય તીર હતા. જયારે તેને ખબર પડી કે કૌરવો અને પાંડવો યુદ્ધ કરી રહ્યા છે, ત્યારે તે યુદ્ધમાં ભાગ તૈયાર થયો. તે વખતે તેની માતાએ વિચાર્યું કે પાંડવોનો પક્ષ કમજોર હશે તેથી તેણે પોતાના પુત્રને એમ કહ્યું કે હારેલાનો પક્ષ લેજે.” 

બધા શાંતિથી તેમની વાત સાંભળી રહ્યા હતા. “તે ફક્ત એક ધનુષ્ય અને તુણીરમાં ત્રણ તીર લઈને નીકળ્યો. પણ તે ધનુષ્ય પણ ખાસ હતું અને તીરો પણ. કોઈ પુરાણ કહે છે છે કે તે તીરો શિવે આપ્યા તો કોઈ પુરાણ કહે છે કે તીરો મા દુર્ગાએ તેને આપ્યા હતા અને ધનુષ્ય અગ્નિદેવે આપ્યું હતું અને ક્યાંક એવું પણ વાંચવામાં આવ્યું છે કે તેના ગુરુ વાલ્મીકિએ તેને તે તીરો આપ્યા હતા. તે તીરો ચમત્કારી હતા. પહેલું તીર જેને મારવા હોય તેને ચિહ્નિત કરવા માટે અને બીજું તીર જેને બચાવવાના હોય તેના માટે અને ત્રીજું તીર ચિહ્નિત કરેલાને મારવા માટે હતું.”

                “બર્બરીક ત્યાં પહોચ્યા પછી યુદ્ધ પહેલા સભા ભરાઈ હતી ત્યારે શ્રીકૃષ્ણે સભામાં બધાને પૂછ્યું કે તમે યુદ્ધ કેટલા દિવસમાં પૂર્ણ કરી શકો છો? ત્યારે ભીષ્મએ કહ્યું હતું કે હું યુદ્ધ વીસ દિવસમાં પૂર્ણ કરી શકું છું, દ્રોણાચાર્યે પચીસ દિવસ કહ્યા, કર્ણએ ચોવીસ દિવસ અને અર્જુને અઠ્ઠાવીસ દિવસ કહ્યા જયારે બર્બરીકે કહ્યું આ યુદ્ધ હું થોડી જ ક્ષણોમાં પૂર્ણ કરી શકું છું. શ્રીકૃષ્ણ તેના ચમત્કારોથી પરિચિત હતા, તે ઉપરાંત તેમને બર્બરીકે તેની માતાને આપેલા વચન વિષે ખબર હતી. તેથી શ્રીકૃષ્ણે યુદ્ધ પહેલા અપાતા છત્રીસલક્ષણા યોદ્ધાના બળી માટે તેને રાજી કરી લીધો અને તેનો બળી આપી દીધો. બર્બરીકે શ્રીકૃષ્ણને કહ્યું હતું કે તે યુદ્ધ જોવા માગે છે, તેથી તેના મસ્તકને શ્રીકૃષ્ણે જીવંત રાખ્યું. યુદ્ધ પૂર્ણ થયા બાદ તેના મસ્તકની શ્રીકૃષ્ણે બીજી જગ્યાએ સ્થાપના કરી અને ત્યાં મંદિર બનાવ્યું અને જે આજે ખાઁટુશ્યામજીના નામથી ઓળખાય છે.”

             શ્રીધરે પૂછ્યું, “બર્બરીકના તીર અને ધનુષ્યનું તે પછી શું થયું?”

બંસીલાલે કહ્યું, “તે વિષે ક્યાંય કોઈ નોંધ નથી.”

શ્રીધરે કહ્યું, “તો પછી એલિયનો આ અસ્ત્ર માટે આવ્યા હોય તેવું શક્ય છે. તે ઉપરાંત તીરોના ફોટો પર સર્કલ કરેલું છે એટલે તે ખરેખર અસ્તિત્વમાં હતા તે પણ વાત સાચી છે.”

બંસીલાલે કહ્યું, “સૌથી વધારે શક્યતા આ જ શસ્ત્રની છે, પણ બીજા અસ્ત્રોને નજરઅંદાજ ન કરી શકાય.”

અત્યાર સુધી શાંતિથી વાત સાંભળી રહેલા નીલકંઠે કહ્યું, “સૌથી વધારે શક્યતા બ્રહ્માસ્ત્ર અને આ ત્રણ તીરોની છે પણ હવે તે એલિયનો પકડાય નહિ ત્યાં સુધી આ ફક્ત અટકળો જ છે.”

સ્થળ : મુંબઈ

  પ્રિડા જઈને અડધો કલાક વીત્યો પછી વિતારના શરીરમાં હલચલ થઇ અને તે ઉભો થયો અને તેનું શરીર બે ભાગમાં વિભક્ત થઇ ગયું અને તેમાંથી સર્જીક બહાર આવ્યો.

બહાર આવ્યા પછી બબડ્યો, “સારું થયું! પ્રોટેક્શન સૂટ પહેરેલો હતો નહીંતર આજે તો મરી જ ગયો હોત.”

તેણે હાથ તરફ નજર કરી તેમાં એક નાનું રીસીવર હતું જે પ્રિડાને આપેલા રીસીવરમાં મુકેલા ટ્રાન્સમીટરનું લોકેશન બતાવતું હતું. તે પ્રવાસ કરી રહી હતી.

તેણે એલેક્સને ફોન કર્યો અને કહ્યું, “આપણો પ્લાન સફળ થયો પણ હજી મારે વિતારની પૂછપરછ કરવી પડશે, તેને ક્યાં રાખ્યો છે?”

એલેક્સે જે જવાબ આપ્યો તે સાંભળીને સર્જીક ગુસ્સે થઇ ગયો, તેણે કહ્યું, “તે કઈ રીતે ભાગી શકે ! તારે કામ પર થોડા સ્માર્ટ લોકોને રાખવા જોઈએ. એની વે હવે પ્રિડા જ્યાં પણ જશે તેનું લોકેશન આપણને મળી જશે.”

  આ તરફ રાઘવ બંધાયેલા વિતાર સામે હતો. તેને એક ઇન્જેક્શન આપ્યું એટલે થોડી વાર પછી તે હોશમાં આવ્યો. વિતાર આશ્ચર્યથી તેની સામે જોઈ રહ્યો, તેને ખબર પડતી ન હતી કે તેનું અપહરણ કેટલા લોકો કરી રહ્યા છે. પહેલાં તે સોરારીસવાસી સામે બંધાયેલો હતો અને હવે રાઘવ સામે અને તેને થોડો નશો હોય તેવું લાગી રહ્યું હતું.

રાઘવે તેની તરફ જોઈને શાંતિથી પૂછ્યું, “હવે તું મને પૂર્ણ વાત કર કે તમે લોકો અહીં શું કરી રહ્યા છો અને અત્યારે મને જોઈને તને ખબર પડી ગઈ હશે કે હું કંઈ પણ કરી શકું છું !”

વિતારે કહ્યું, “રાણીજીએ બધી વાત તો તમને કરી હતી.”

રાઘવે કહ્યું, “આ બધું મારી સામે નહિ ચાલે કારણ તમારી સ્ટોરીમાં ઘણાબધા લૂપ હોલ્સ છે, એક તો તારી પાસે મળેલો રિપોર્ટ અધૂરો હતો, તારી પાસે રહેલા ફોટોના સર્કલો અને સૌથી મહત્વનું તમારું ભાગવું જો તમારી સ્ટોરી સાચી હોત તો તમારે ભાગવાની જરૂર નહોતી. મને કહે રાણીના ઈરાદા શું છે?”

વિતારે કહ્યું, “રાણી પ્રિડા સાચું જ કહી રહી હતી અને તમે કઈ રીતે કહી શકો છો કે મારી પાસેનો રિપોર્ટ અધૂરો છે?”

રાઘવના ચેહરા પર સ્મિત હતું તેણે કહ્યું, “હું તે ભાષા જાણું છું”

રાઘવે એટલું કહેતાં જ ત્યાં ધુમાડો છવાઈ ગયો અને ત્યાં એક પ્રિડાનીડવાસી ઉભો હતો અને જેવા તેના હોઠ હાલ્યા તેમાંથી રાઘવનો અવાજ આવ્યો, “હું તે ભાષા જાણું છું કારણ હું પણ તમારામાંથી એક છું.”

વિતાર થોડો બહેકી રહ્યો હતો તેણે કહ્યું, “આ કેવી રીતે શક્ય છે? કારણ હું તો તમને ઓળખતો પણ નથી.”

રાઘવે કહ્યું, “કેવી રીતે ઓળખે ! હું છેલ્લા પાંચ હજાર વર્ષથી અહીં જ છું અને તે રિપોર્ટ પણ કદાચ મેં જ મારી ટીમ સાથે મળીને બનાવ્યો હતો. હું આટલા વરસ પહાડીઓ પર બરફમાં દબાયેલો હતો અને મગજ પર બહુ ભાર પડવાથી કદાચ મને કંઈ યાદ નથી આવી રહ્યું. જયારે હોશ આવ્યો ત્યારે જે વ્યક્તિ પહેલો મને મળ્યો તેનું રૂપ લઈને નીચે આવ્યો.”

વિતારના ચેહરા પર હજી અવિશ્વાસના ભાવ હતા તેણે પૂછ્યું, “તો પછી જે ઓરીજીનલ રાઘવ ક્યાં છે?”

સામે દેખાતા તેના જેવા જીવના હોઠ હલ્યા અને તેણે કહ્યું, “મને શું ખબર મેં તો તેને પહાડી પરથી ધકેલી દીધો હતો અને થોડી તબિયત ખરાબ હોવાનું નાટક કર્યું એટલે તેની સાથે આવેલા દોસ્તોએ મને તેના ઘરે પહોંચાડ્યો.”

  વિતારે કહ્યું, “એનો મતલબ તમે મારા એકમાત્ર જીવિત પૂર્વજ છો.”

રાઘવે પૂછ્યું, “હવે મને કહે પ્રિડાનીડ પર શું થયું?”

વિતારે કહ્યું, “જેટલો ઇતિહાસ ખબર છે તે કહું છું. આપણા સાથીદારો પૃથ્વી પરથી થોડા લોહીના નમૂના લાવવામાં સફળ થયા હતા, જેનાથી આપણી પ્રજાતિને રૂપ બદલવાની શક્તિ મળી છે પણ તેઓ ઘાતક હથિયારનો કોઈ નમૂનો લાવવામાં અસફળ રહ્યા. તેઓ જયારે ત્યારે ત્યાં પહોંચ્યા ત્યારે તેમની પાસે પૃથ્વી પરના સામાન્ય હથિયારો જ હતા. પુસ્તકમાં લખ્યું છે કે તેમણે ઘણાબધા ઘાતક શસ્ત્રો સાથે લીધા હતા પણ કોઈ શક્તિએ તેમને ઘાતક હથિયાર લાવતા રોકી દીધા. છતાં તેઓ એક શક્તિશાળી હથિયાર સાથે આપણું એક ટ્રાન્સમીટર લગાડવામાં સફળ થયા અને તેને એવી રીતે ફિટ કર્યું કે હથિયારનો ભાગ છે એમ જ લાગે. તેઓ પાછા આવ્યા પછી આપણા ગ્રહે હજી વધુ પ્રગતિ કરી, પણ સોરારીસ ગ્રહ સાથેના યુદ્ધોએ બધું ખતમ કરી નાખ્યું. આપણે બનાવેલા ઉન્નત હથિયારો ખતમ થઇ ગયા. તે જ કારણથી રાણી પ્રિડાએ ગ્રહ છોડવાનું નક્કી કર્યું અને અમે પૃથ્વી પરથી આવ્યા પછી બનાવેલો રિપોર્ટ શોધ્યો અને અહીં આવી ગયા. જોકે પૂર્ણ રિપોર્ટ તો મેં પણ નથી વાંચ્યો.”

            રાઘવે પૂછ્યું, “જેટલો રિપોર્ટ વાંચ્યો તેમાં તે હથિયાર વિષે કઈ લખ્યું હતું?”

વિતાર યાદ કરવાની કોશિશ કરવા લાગ્યો અને કંઈ યાદ આવ્યું હોય તેમ કહ્યું, “હા, તેમાં હ્યું હતું કે તે હથિયારમાં બ્રહ્માંડને ડોલાવવાની શક્તિ છે અને તે ઉત્તર તરફની પહાડીઓમાં ક્યાંક છે.”

રાઘવે પૂછ્યું, “પણ તમે હથિયાર કેમ શોધી રહ્યા છો?”

વિતારે કહ્યું, “બદલો લેવા!”

તે જાણે નશામાં હોય તેમ તે બોલી રહ્યો હતો, તેણે કહ્યું, “પૃથ્વીવાસીઓ સાથે પણ. રાણી પ્રિડા ચાહે છે કે આ ગેલેક્સીમાં ફક્ત પ્રિડાનીડવાસીઓ જ રહે તેથી તે હથિયાર શોધીને બધા પૃથ્વીવાસીઓને ખતમ કરી દેશે પછી ફક્ત આપણું રાજ હશે. આપણે નવી શરૂઆત કરીશું.”

રાઘવે પૂછ્યું, “આ કેવી રીતે શક્ય છે? કેટલા પ્રિડાનીડ વાસી અત્યારે પૃથ્વી પર છે?”

વિતારે કહ્યું, “લગભગ પાંચ હજાર.”

પણ પછી જાણે થોડો હોશમાં આવ્યો હોય તેમ પૂછ્યું, “જો તમે પ્રિડાનીડવાસી છો તો મને બાંધી કેમ રાખ્યો છે?”

તેણે એટલું કહેતાં જ તેના પાછળથી એક હાથ પ્રગટ થયો અને તેણે ગળામાં ઇન્જેક્શન આપ્યું. જવાબ આપી રહેલો વિતાર બેહોશ થઇ ગયો.



ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED