Preet ek padchayani - 40 books and stories free download online pdf in Gujarati

પ્રિત એક પડછાયાની - ૪૦

સિંચનકુમાર અને શિવરામચાચા એક ગાડામાં બેસીને સામાન્ય વટેમાર્ગુની જેમ સુવર્ણસંધ્યાનગરી પહોંચ્યાં... સિંચનકુમાર જાણે છે આ રાજ્ય પ્રિતમનગરી કરતાં ત્રણગણું મોટું છે...તેમણે તો અહીં એક જ વાર એમનાં સૌમ્યાકુમારી સાથે વેવિશાળ પછી આવવાનું થયું છે...અને બીજું લગ્ન બાદ એતો... આવ્યાં ન આવ્યાં બરાબર...તેમને એ સમય યાદ આવી ગયો... પરિવાર અને એક છળ સાથે થયેલાં યુદ્ધમાં કોઈ જ તૈયારી વિના છુપા સૈનિકોનો સામનો કરી રહ્યાં હતાં..

સિંચનકુમાર બહું દુઃખી થયાં...તે મનમાં બોલ્યાં," કાશ પ્રિયંવદામાતાએ કોઈ સમ ના આપ્યાં હોત તો...પણ આજે તો હું એ લોકોને મળીશ જ ભલે એ ગુલામીની સ્થિતિમાં પણ મળશે તો ખરાં ને... એકવાર એ લોકોને મળ્યાં બાદ જ આ રાજ્ય ફરી પાછું મેળવવા માટે કંઈ પણ પ્રયત્ન કરી શકાય..

રાજ્યનાં મુખ્ય દ્વાર પાસે પહોંચતાં જ એક ચોકીદારને જોયો.. સિંચનકુમારને તેને પહેલીવાર અહીં આવ્યાં હતાં ત્યારે હતો એ જ લાગ્યો. તેને થયું કદાચ ભલે બધું બદલાયું છે રાજા બદલાયો છે પણ એ મુળ તો આ રાજ્યનો જ છે એટલે જે હશે એ હકીકત જણાવશે તો ખરાં જ...

સિંચનકુમાર :" ભાઈ આપની સાથે થોડીવાર વાતચીત કરી શકું ??"

ચોકીદાર : " આપ કોણ ?? અજાણ્યા કોઈ વ્યક્તિઓ સાથે એવી કોઈ વાતચીત ન કરવાનો રાજાનો હુકમ છે.."

" અમારે કોઈ એવી વાતચીત નથી કરવી. અમે દૂર દૂર દેશથી અહીં સાલ અને ચુંદડીઓ જે ખાસ રીતે બનાવવામાં આવી હોય છે તેનું વેચાણ કરીએ છીએ...અને એ અમારી પાસેથી રાજપરિવાર અને તેનાં નજીકનાં લોકો જ વધારે લેતાં હોય છે...આજે અમે આ બાજુએથી નીકળ્યાં ને કોઈએ કહ્યું કે અહીંનાં રાજા બહું સારાં અને ઉદાર છે તેમનાં બહું વખાણ સાંભળ્યાં છે એટલે અમારાં જેવાં ગરીબ લોકો પાસેથી વસ્તુઓને ખરીદીને અમને થોડી મદદ કરશે એવી આશાથી આવ્યાં છીએ..."

ચોકીદાર થોડો ઉદાસ થયો...ને બોલ્યો," હું તમારી વાત સાથે સહમત છું...પણ રાજા..."

" શું રાજા ?? કેમ આટલાં ઉમદા રાજા જેનાં વખાણ ચોમેર થાય છે એ આટલી વાત નહીં માને ??"

ચોકીદાર હતાશા સાથે બોલ્યો, " ભાઈસાહેબ, એવાં રાજા હતાં...હવે નથી...હવે તો..."

" શું હવે તો ?? કેમ હવે એમનાં દીકરાના હાથમાં છે શાસન?? સામાન્ય રીતે પિતા કરતા દીકરાઓનાં હાથમાં રાજ્ય આવે તો એ પિતાની ઉદારતાને કદાચ ન સ્વીકારે "

ચોકીદાર : " ભાઈ એમનાં દીકરાનાં હાથમાં હોત તો પણ સારું થાત પણ આ છલથી પડાવેલુ...કપટથી ભરેલું રાજ્ય બની ગયું છે..."

" એટલે ??"

ચોકીદાર : " ભાઈ હું તો તમને જાણતો પણ નથી કોઈ અજાણ્યાને હું આ બધું ન કહી શકું.."

સિંચનકુમાર :" ઠીક છે ભાઈ જેવી તમારી મરજી. તમારાં રાજાને એકવાર વાત મારો આ એક સંદેશ તો પહોંચાડી આપો તો અમારાં જેવાં ગરીબ પર બહું મહેરબાની થશે.."

સિંચનકુમાર મનમાં વિચારે છે કોઈ પણ રીતે જો એકવાર રાજદરબારમાં પ્રવેશી શકાય તો કદાચ ઘણું બધું જાણી શકાશે..‌.પણ આ શક્યતા માટે જ બહું મોટો પ્રશ્ન છે...

ચોકીદાર કંઈ બોલ્યાં વિના તેની સામેની બાજુએ ઉભેલાં બીજાં ચોકીદાર પાસે ગયો ને બોલ્યો," ભાઈ બિરજુ...એક વાત કહું.." કહીને બધી વાત કરે છે અને કહે છે હવે શું કરવું ?? અંદર જવું એ આપણો જીવ જોખમમાં મુકવાનું કામ છે...અને કોઈ આપણાં જેવાંને આમ ના પાડવી એ આપણાં ધરમને શોભા ન આપે..."

બિરજુ : " ભાઈ આજે તો રાજાનાં માતા પરત ફરી રહ્યાં છે દેશાવરથી...એટલે રાજા બહું ખુશ છે એવું પ્રજામાં વાતો સંભળાય છે...આથી એમની માતા માટે કે એમ કરીને કોઈ પણ રીતે અંદર મોકલી શકાય...વળી આમ પણ હવે જીવન જીવતેજીવ મરવા સમાન જ બની ગયું છે..."

પહેલો ચોકીદાર : "હા મને ઉત્તમ વિચાર આવ્યો છે... "

ચોકીદાર : હું તમને કહું એ સાંભળો" એમ કહીને તેણે કંઈ કહ્યું અને તે અંદર રાજદરબારમાં પહોંચ્યો...

રાજદરબાર ભરાયેલો છે... ત્યાં ચોકીદારે પરવાનગી માગીને તેણે એ પરદેશી વ્યાપારીની વાત કરી...

રાજા કૌશલ આ વાતમાં એક ધડાકે ના કહી દે પણ આજે એ ખૂબ રંગીન મિજાજમાં લાગી રહ્યો છે એટલે બોલ્યો, "રાણીની ઈચ્છા હોય તો એમને માનભેર આવકારો.."

નંદિનીકુમારીને કંઈ સમજાયું નહીં...તેને પરદેશીનાં રૂપમાં આવેલાં એ સૌમ્યકુમાર યાદ આવી ગયાં ને એમનાં આંખો ભીંજાઈ ગઈ...પણ અહીં તો આંસુ પણ જાણે ગુનો બની ગયાં છે...એમ વિચારીને તેણે એ ખુણા કોઈને ધ્યાન ન પડે લુછી નાંખ્યા અને અનાયાસે જ એનાંથી હા પડાઈ ગઈ બાકી હવે પહેલાંની જેમ કોઈ મોહશોખ રહ્યો નથી...જીવન ફક્ત પુરૂં કરવાનું છે.... આટલાં પોતાનાં લોકોનો જીવ લેનાર માટે જીવનભર ક્યારેક લાગણી અનુભવાય પણ ખરી ??

નંદિનીકુમારીએ હા પાડતાં રાજા કૌશલે હા પાડી અને ચોકીદારને એ પરદેશીઓને અંદર મોકલવા હુકમ આપવામાં આવ્યો...

ચોકીદારે હા પાડતાં જ સિંચનકુમાર મનોમન ખુશ થઈ ગયાં...ને શિવરામચાચાની સાથે રાજદરબારમાં પહોંચી ગયાં...

******************

સૌમ્યાકુમારી જેક્વેલિન સાથે રહીને ખુશ છે.. જેક્વેલિને કહ્યું આજથી તું મારી દીકરી જ છે રાશિ...

રાશિ : " તમે મને પણ આવી ચિકિત્સા શીખવશો ?? અમારે પણ હવે કંઈક તો કામ કરવું પડશે ને... આવાં સામાન્ય જીવનનાં તો કોઈ કામોનું મને જ્ઞાન નથી..."

જેક્વેલિન બહું જ પ્રેમાળ અને માયાળું છે...એ કહે દીકરી હું તને ચોક્કસ શીખવીશ...

રાશિને તેનો પરિવાર બધું જ યાદ આવે છે... ક્યાં આ સામાન્ય હાડમારી ભર્યું જીવન અને ક્યાં એ રાજમહેલ ?? ફરી તેઓ મળશે કે નહીં ?? કેવી સ્થિતિમાં હશે ??

*******************

સિંચનકુમાર રાજદરબારમાં તો પહોંચ્યાં પણ રાણીની જગ્યાએ બેઠેલા નંદિનીકુમારીને જોઈને એમનાં પગ સ્તબ્ધ થઈ ગયાં... આખું માથું ભમવા લાગ્યું...આ શું છે?? અને સૌમ્યકુમાર ક્યાં હશે ?? ધન્વંતરિરાજા ને પ્રિયંવદા મા ક્યાં ગયાં ??

તેમને તો વેશપલટો કરેલો ને એક સામાન્ય વણઝારાની જેમ વસ્ત્રોમાં હોવાથી નંદિનીકુમારી કે બીજાં કોઈએ તેમને ઓળખ્યાં નહીં...

રાજા કૌશલ તેમનાં સ્વભાવ મુજબ બોલ્યાં, " બોલો શું લાવ્યાં છો...આમ તો અમે રાજદરબારમાં આવાં સામાન્ય લોકોને પ્રવેશવા પણ નથી દેતાં આ તો રાણીની ઈચ્છા હતી એટલે..."

સિંચનકુમાર : "આપ રાણીનું આટલું માન રાખો છો એ બહું જ યોગ્ય છે...આપનો ખૂબ ખૂબ આભાર.."

આ સાંભળતાં જ નંદિનીકુમારીએ ઉપર જોયું...આ તો અવાજ ભાઈ જેવો છે...પણ ભાઈને સૌમ્યાકુમારી જતાં રહ્યાં હતાં એ કેવી રીતે અહીં આવી શકે...પણ એને આ વ્યક્તિ સાથે વાત કરવામાં દિલચસ્પી થઈ... ઉંડે ઉંડે એક આશા જાગી કે કદાચ આ સિંચનકુમાર જ છે...

સાથે જ એક દુઃખ અને નિસાસા સાથે રાજા કૌશલ તરફ જોઈને વિચાર્યું, " સ્ત્રીનું સન્માનને રાણીનું માન એને દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી..."

આ નજરને સિંચનકુમારે બરાબર જોઈ...ને નંદિનીકુમારી સાથે કંઈ એકાંત શોધવાં માટે વિચારવા લાગ્યો..

રાજા કૌશલ : "આપની એ વસ્તુઓ અમને બતાવશો કે હજું એનું કોઈ શુભમુહુર્ત છે ??"

સિંચનકુમારને રાજાની આવી તોછડાઈથી જરાયે ન ગમ્યું પણ અત્યારે મૌન રહેવા સિવાય કોઈ વિકલ્પ નથી...

ચાચાએ બધી જ વસ્તુઓ એક પછી એક બતાવવાની શરૂં કરી... એકેક વસ્તુ જોઈને નંદિનીકુમારીને લાગ્યું જ કે આ એ જ ચુંદડીઓ અને શાલ છે જે પ્રિતમનગરમાં આવતી હતી...પણ આજે એમનાં પણ એકદમ અલગ પહેરવેશને કારણે નંદિનીકુમારી એમને ઓળખી ન શક્યાં...

નંદિનીકુમારી તો આ બધામાં ખોવાઈ જ ગયાં છે વસ્તુઓ તરફ એમનું ધ્યાન જ નથી... કૌશલ કુમારને બધી એક પછી એક બેનમૂન સાલો અને ચુંદડી જોવાની મજા આવી...

એ ગર્વભેર બોલ્યાં, " આવી બેનમૂન વસ્તુઓને મેં કદી જોઈ નથી...કેટલી છે તમારી પાસે ?? મને બધી જોઈએ છે..."

સિંચનકુમારે રાજદરબારીઓને જવાનો હુકમ આપ્યો... બધાં ત્યાંથી ગયાં બાદ સિંચનકુમાર બોલ્યાં, " રાજન્ આ બહું કિંમતી છે એનું મૂલ્ય બહું વધારે છે...તમે એટલી કિંમત આપી શકશો ?? આ વસ્તુઓ અમારી પાસેથી મોટાં મોટાં રાજાઓ જ લઈ શકે છે એ પણ જૂજ માત્રામાં..."

રાજા કૌશલને જાણે પડકાર મળ્યો હોય એમ એ ઘમંડથી બોલ્યાં, " તમારો મતલબ શું છે... મોટાં રાજાઓ મતલબ ?? હું ત્રણ ત્રણ રાજ્યોનો સ્વામી છું... એમાંય આ તો સૌથી મોટું અને વિશાળ રાજ્ય છે...."

સિંચનકુમારને જાણે દુખતી નસ પકડાઈ ગઈ હોય એમ ઉત્સુકતાથી બોલ્યાં " ઓહો... અહોભાગ્ય રાજન્ તમે ત્રણ રાજ્યોનાં સ્વામી છો ?? આટલી નાની વયમાં આટલું તમારું સામ્રાજ્ય ?? ખરેખર ગદગદ થઈ ગયું મન...તો તો આપ આટલી નહીં હજું આનાથી ય વધારે કિંમતી ચીજવસ્તુઓ લઈ શકો..."

આટલી ખુશામત પછી રાજા કૌશલ ખુશ થઈ ગયો..તેણે કહ્યું, "તમે ફક્ત મૂલ્ય આંકો..."

નંદિનીકુમારી કૌશલકુમારની સામે જોઈ રહી કે જે માણસ મરતાં માણસને પાણી પણ ધરે એમ નથી એ પોતાની ખુશામતથી કેટલો ખુશ થાય છે...

રાજા કૌશલને પ્રિયંવદા એ આપેલાં ખોટાં સમાચાર મુજબ તો એણે ખબરને સાચાં જ માની લીધાં છે કે સિંચનકુમાર અને સૌમ્યાકુમારી એ યુદ્ધમાં મૃત્યુ પામ્યાં છે...આથી એ હવે મનથી નિશ્ચિત થઈ ગયો છે કે હવે તેનો કોઈ શત્રુ નથી...અને ત્રણ ત્રણ રાજ્યોનાં સ્વામી કોઈ મારી સામે આવવાં હિંમત પણ નહીં કરે....

તેણે એવું કંઈ વિચાર્યું જ નહીં કે કદાચ એટલી એની બુદ્ધિમતા પણ નહોતી...એણે કહ્યું," આજે તમે અહીં ભોજન ગ્રહણ કરીને જજો..." અને એ પોતાની માતા આવી પહોંચ્યાનાં સમાચાર મળતાં જ હું મા પાસે જાઉં છું એમ કહીને તે નંદિનીકુમારીને સાથે લઈ જવાનું પણ વિસરી ગયો.

આ રાજા કૌશલનાં જવાની જ રાહ જોતી નંદિનીકુમારીએ તેની સેવિકાઓને બહાર જવા કહ્યું, એકાંત મળતાં જ બોલી, "તમે ભાઈ જ છો ને ??"

" ભાઈ શબ્દ સાંભળતા જ સિંચનકુમારની આંખો ભીંજાઈ ગઈ અને બોલ્યાં, હા પણ આ બધું શું છે ?? મને કંઈ જ સમજાતું નથી...સૌમ્યકુમારને બદલે તમે રાજા કૌશલનાં રાણી ?? સૌમ્યકુમાર ક્યાં છે ??"

નંદિનીકુમારીનો આંસુનો બંધ તુટી ગયો. તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં ને બોલ્યાં, "ભાઈ આપણું જ બધું હણાઈ ગયું...હવે કોઈ જ આપણું આ દુનિયામાં નથી... હું તો સાવ એકલી અટુલી બની ગઈ છું...એકલતાનો ઉપયોગ કર્યો છે આ રાજા કૌશલે..." એમ કહીને તેણે બધી જ હકીકત ટુંકમાં જણાવી...

સિંચનકુમારનાં તો શ્વાસ જાણે થંભી ગયાં. એ તો એકદમ મુર્છિત થઈને ઢળી પડ્યાં... નંદિનીકુમારીએ તેમની સેવિકાઓને બોલાવીને રાજાને સંદેશો આપવાં કહ્યું....

કૌશલરાજા તો પોતાની માતાની સ્વાગતમાં રથ પર સવાર થઈ ગયાં છે...તેણે તો ઉદ્ધતાઈથી કહ્યું, "આવાં ફાલતું લોકો માટે સમય નથી...એ ભાનમાં આવે એટલે રવાનાં કરી દો... નહીં તો ઉંચકીને નગરની બહાર મુકી આવો..."

નંદિનીકુમારીએ તાત્કાલિક વૈદને બોલાવ્યાં, થોડીવાર પછી કુમાર ભાનમાં આવ્યાં...સામે બે સેવકો એમને પવન નાખી રહ્યાં છે અને ચાચા બાજુમાં જ બેઠાં છે...

તરત જ એક સેવક નંદિનીકુમારીને બોલાવી આવ્યો...ને એ બંનેને બહાર જવાનો આદેશ અપાયો...

નંદિનીકુમારી :" ભાઈ આ રાજ્યનું અન્ન પાણી પણ હવે લેવું યોગ્ય નથી....આ જ યોગ્ય સમય છે અહીંથી નીકળવાનો."

" પણ તમે મારી સાથે આવશો ??"

નંદિનીકુમારી : "આમ પણ અહીં કોણ છે હવે મારૂં ?? અહીં રહીશ તો આ જીવન આ વાસનનાનાં ભુખ્યા વરુ જેવાં રાજાનો શિકાર બનતી રહીશ...માટે ભાઈ ચાલો...."

સિંચનકુમાર એકીટશે નંદિનીકુમારી સામે જોઈ જ રહ્યાં છે.....ને બોલ્યાં," શું તમારો નિર્ણય યોગ્ય છે ?? તમે એક સામાન્ય હાડમારી ભર્યું જીવન જીવવા તૈયાર છો ??"

શું હશે નંદિનીરાણીનો જવાબ ?? આટલો રાજઠાઠ છોડીને તે સિંચનકુમાર સાથે જવાં તૈયાર થશે જ્યારે એ સિંચનકુમારની અત્યારની સ્થિતિ જાણશે ?? સિંચનકુમાર નંદિનીકુમારીને પોતાની સાથે લઈ જશે ?? શું સ્થિતિ થશે જ્યારે સૌમ્યાકુમારી આ બધું સત્ય જાણશે ત્યારે ??

જાણવાં માટે વાંચતા રહો પ્રિત એક પડછાયાની - ૪૧

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.....


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED