Sambandh name Ajvalu - 19 books and stories free download online pdf in Gujarati

સંબંધ નામે અજવાળું - 19

સંબંધ નામે અજવાળું

(19)

મારો શામળિયો !

નરસૈયાની નહીં, નાનપથી નંદવાયેલાની હુંડી

રામ મોરી

નાગરી નાતમાં એક સમયે ચોરેચૌટે જેના નામ પણ હસાહસ અને તાળિયોની આપલે થતી એવું એક નામ નરસિંહ મહેતા. જુનાગઢની બજારમાં કોઈ મોટા મનના શેઠ કે જે હુંડી લખી આપે એની શોધખોળ કરતા જાત્રાળુઓ. મશ્કરીમાં નરસૈયા શેઠના નામની પેઢી છે એમ કહી નરસિંહ મહેતાના દ્નારા ભોળા જાત્રાળુઓને મોકલી અપાયા. રાધે ક્રિષ્ન રાધે ક્રિષ્ન જપતા જપતા નરસૈયાએ શામળશા શેઠના નામની હુંડી લખી આપી. હુંડી એટલે આમ તો અરજ ભલામણ. કાગળની ચબરખી પર લખાયેલી નોંધ કે હું તમને ભલામણ કરું છું આ વ્યક્તિ તમારે ત્યાં આવે એટલે એમને આટલી રોકડ રકમ આપી દેજો. નાગરી નાત જાણતી હતી કે જાત્રાળુઓની હુંડી સ્વીકારનાર સામે છેડે કોઈ નથી પણ મહેતાજીને ભરોસો હતો કે મારો નાથ દુવારક્યાવાળો બેઠો છે એ લાજ રાખશે. આ શ્રદ્ધા અને વિશ્વાસને સૌથી પહેલાં તો નમન. આખરે ભગવાન પોતે શામળશા શેઠ બનીને આવ્યા અને નરસૈયાની હુંડી વાંચીને જાત્રાળુઓને નાણા ધીર્યા. આ આખી કથા સૌન ખબર છે. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી !

આજે અહીં નરસૈયાની નહીં પણ નાનપથી દબાયેલા એક માણસની વાત કરવી છે. અહીં આ નાનપ એને કદાચ સામાજિક ભેદભાવથી મળી છે, અભાવોની આંટીઘુંટીમા ભીંસાયેલી પરિસ્થિતિએ નાનપ આપી છે. નરસૈયાની હુંડીમાં જે શ્રદ્ધા હતી એ શ્રદ્ધા આ હુંડીમાં પણ છે. નરસૈયાની હુંડી સ્વીકારાઈ પછી નરસૈયાનો જે હરખ હતો એ હરખ પણ અહીં કવિતામાં વણાયો છે. કવિ શ્રી નીરવ પટેલની આ રચના છે.

મારા શામળિયે મારી હુંડી પૂરી-

નીકર મારી ગગલીનું આણું શેં નેંકળત?

ચાવંડાની બાધા ફળી

ને જવાન જોધ ગરાહણી ફાટી પડી …

એની ઠાઠડીને ઓઢાડ્યું રાતું ગવન !

રાતીચોળ ચેહ બળે

ને આકડાના છોડે રાતું ગવન લહેરાય !

ગગલીની મા તો જે મલકાય જે મલકાય, મારી હાહુ…

બસ, ડાઘુઓની પૂંઠ ફરે કે ધોડું હડડ મસાણે,

મારો ભંગિયાનો ય બેલી ભગવાન !

– નીરવ પટેલ

કવિ શ્રી નીરવ પટેલની રચનાઓ હંમેશા પ્રવાહની કવિતાઓ કરતાં નોખી ભાત પાડે છે. એમની દરેક કવિતામાં એક પૂર્ણ ચિત્ર જોવા મળે. નીરવ પટેલની કવિતામાં ધોળાયેલું ગદ્ય સારામાં સારા ગદ્યકારની ઈર્ષાનું કારણ બની શકે એટલું સમૃદ્ધ હોય છે. આવી અનેક સુંદર રચનાઓથી તરબતર એમનો કાવ્યસંગ્રહ ‘બહિષ્કૃત ફૂલો’ ભાષાપ્રેમીઓએ ખાસ વાંચવો જોઈએ.

હવે પ્રસ્તુત કવિતાની વાત કરીએ. ગામને છેવાડે સ્મશાન પાસે દલિતનું ખોરડું છે. આપણે માની લઈએ કે એ ખોરડામાં રહેનાર વૃદ્ધ બાપનું નામ નરશી છે. સમયની થપાટો ખાઈ ખાઈને આળી થયેલી વૃદ્ધ ચામડીને મેલ ભરાયેલ નખથી ખંજવાળી રહ્યો છે. ઝુંપડાની બહાર બેઠો બેઠો બીડી પી રહ્યો છે. ફીક્કી પડી ગયેલી તળિયે જઈને બેઠેલી આંખ્યું વારેવારે ભરાઈ આવે છે. નરશી મુંઝાયેલો છે કેમકે જુવાનજોધ દીકરી ગગલીનું આણું કરવાનો સમય થયો છે. આણા માટેની વસ્તુઓ તો નરશી અને એની કમર હંમેશા ઝૂકી ઝૂકીને ચાલતી વહુ મંગુડોશી મહામહેનતે એકઠી કરી શક્યા છે પણ દીકરીના ડિલે ઓઢાડીને ઠાઠથી સાસરિયે મોકલી શકાય એવી લાલ શુકનવંતી સાડી નથી. સારી સાડીના અભાવે પતિપત્ની મનમાં કોચવાયા કરે છે. મંગુડોશીએ નાનો પટારોને હડફો ત્રીજી વાર ખોળી નાખ્યો પણ એટલા રુપિયા નથી નીકળ્યા કે દીકરી માટે લાલ ગવન ખરીદી શકાય. ડોશી પણ લમણે હાથ દઈ ઝૂંપડાના ઉંબરે બેઠી છે. જેનું આણું એક સારા સાડલાના વાંકે અટક્યું છે ઈ ગગલી અંધારા ખૂણામાં બેસીને નખ ચાવી રહી છે અને એની આઁખ્યું આવનારા સમયના અંધારાને ઉલેચી રહી છે. ડોશી નિહાકા નાખતી જાય છે અને કૂળદેવી ચાવંડ ( ચામુંડા)માને બાધા માને છે કે માડી હાલીને ચોટીલા આવીશ, મારી સોડીનું આણું ઉકેલી દે મા...એક સાડલા વાંકે મારી સોડીનું જીવતર ઉંબરેથી પાછું ઠેલાઈ જાશે. નરશીડોહો અંકાશમાં કાળા ડિબાંગ વાદળને જોઈને કાળિયા ઠાકરને યાદ કરે છે. પરભાગોરે કોઈ દિવસ મંદિરના પગથિયા ચડવા તો દીધા નથી એટલે શેરીમાં ઉભા ઉભા એ માથેથી પન્યુ ઉતારીને ઠાકરજીને પગે લાગતો. આજ ઈ ફરી પન્યુ ઉતારી ધોળા વાળને ખંખેરતો અંકાશ સામે આજીજી કરે છે કે મારા નાથ મારી લાજ રાખો. નરશીડોસા આટલું બોલ્યા કે એને પરભા ગોરની કથા યાદ આવી ગઈ. કથાના મંડપની બહાર કઢાયેલા બુટચંપલને ડાઘીયા મોતિયા કૂતરાની પાંહે બેસીને એણે નરસિંહ મહેતાની વાત સાંભળેલી. ઈમાં નરસૈયાની હુંડી ભગવાને સ્વીકારેલી. નરશીડોહાને થયું કે મારા નાથ, મહેતા જેટલી બુદ્ધી તો નથી પોગતી પણ મારી અરજ પોગાડું છું સાંભળી લેજો. સાંજ પડવા આવી. આખા આકાશમાં લાલીમા પથરાઈ ગઈ. ડોશી વાંકી વાંકી ઘરમાં ગઈ અને એણે ચૂલો સળગાવ્યો. ચૂલાના અજવાસમાં એણે ગગલીનું રોઈ રોઈને રાતુંચોળ થઈ ગયેલું મોઢું જોયું. ઈ કશું બોલી શકી નહીં ટગર ટગર ચૂલે બળતી આગ જોઈ રહી. એકાએક એને રામ બોલો ભાઈ રામ....રામ રામ...રામ બોલો ભાઈ રામ...અવાજ સંભળાયા. ગગલી સામે જોઈને ડોશી બોલી કે માળું બેટું ગામમાંથી કોણ ગયું ? કોઈને ખાટલા પથારી તો હતી નહીં. એ વાંકી વાંકી બહાર આવી. ત્યાં ખબર મળ્યા કે ગામમાં ગઈ પૂનમેં મોટી ડેલીમાં પરણીને આવેલી ગરાસણી મૃત્યુ પામી છે. ડોશી નરશીડોસાની સામે જોઈ રહી. માણસોનું ધણ નનામી લઈને સ્મશાને આવી રહ્યું હતું. ડોશી મનમાં બોલી કે સૌભાગ્યવતીનું મરણ ?? એણે ફરી ડોસા સામે જોયું. ડોસાએ જોયું કે ડોશીની આંખમાં હરખ ઉગ્યો અને પછી એ હરખના આંસુડાની કરચલીવાળા ગાલે લાંબી ધાર ‘’ એય મારી ગગલી, માર પેટ તારું આણું હવે થાહે જો...હે ચાવંડા મારી બાધા ફળી.’’ ડોસાને હજું સમજાયું નહી પણ ડોશીની તગતગતી આંખમાં નનામી પર સૂતેલી ગરાસણીના અંગે ઓઢાડેલું રાતુચોળ ગવન દેખાયું. ડોસો ઉપર રાતાચોળ અંકાશમાં જોઈને રોઈ પડ્યો કે મારા નાથ તારી લીલા ! માબાપને હરખાતા સાંભળીને ગગલી ફટાફટ ઝૂંપડાની બહાર આવી. નરશીડોસાએ દીકરીનું રાતુચોળ મોઢું જોયું ને જોયું કે દીકરી પણ માની જેમ ચિતા પરથી કાઢવામાં આવેલા રાતાચોળ સાડલાને જોઈ રહી છે. માદીકરી બેય એકબીજાને અડઘા પડધા ઝાલીને રોઈ પડ્યા. ડાઘુઓએ રાતા ગવનને કાઢીને બાજુમાં ઉગેલા આંકડાના છોડ બાજુ ઘા કર્યો. આથમતા આકાશ બાજુનો પવન લહેરાયો. આંકડાના છોડે પથરાયેલું રાતુચોળ ગવન લહેરાઈ રહ્યું હતું. ચિતાની રાતીચોળ જ્વાળા આકાશને આંબવા અધીરી થઈ. મંગુડોશી નેઝવું કરી કરીને રાતાચોળ ગવનને જોઈ રહીને ચિતાના ઓવારણ લઈને બોલી કે મારી હાહુ, આ ડાઘુઓ મસાણ મેલે ને સીધી પરબારી દોડ મેલુ ઓલા આંકડા પાસે ને મારી સોડી હાટું ગવન ખેંચી લાવું. આથમતા આકાશ તરફ જોઈને નરશીએ ભીની આંખો ફરી લૂંછીને બોલ્યો કે આજ સમજાયું, અમારા ભંગિયાનોય બેલી છે ભગવાન !

આ કવિતા વાંચીને સુન્ન થઈ જવાય છે. એવું લાગે જાણે આપણી સુધબુધ બહેર મારી ગઈ છે. કોઈ ગાલ પર કસકસાવીને તમાચો માર્યો હોવાની લાગણી થઈ આવે છે. હસવું કે રડવું એ સમજાઈ નહીં ને છતાં રચના પર વ્હાલ થઈ આવે આ તો કેવી કથા ! કવિ નીરવ પટેલે આમ તો એક સામાજિક ચિત્ર ઉભું કર્યું છે પણ એ ચિત્રને જોયા પછી આપણે આમાં કેટલા અંશે જવાબદાર અને આપણે હવે શું કરી શકીએ..ભાવકની અંદર ઉમટતા આ વિચારો એ આ કવિતાની સફળતા છે. પીડામાંથી અહીં પરમ આનંદ શોધાયો છે. માણસ કેવી રીતે કેવા કેવા સંજોગોમાંથી જવાબ શોધતો હોય છે એ વાતની વિચિત્રતા અહીં રજૂ થઈ છે. કવિતા એ સમાજનો અરીસો છે એ વાત સાંભળી તો હતી પણ આ કવિતા વાંચી ત્યારે શબ્દશ: સમજાઈ છે. કવિ શ્રી નીરવ પટેલને વંદન.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED