Sambhavami Yuge Yuge - 37 books and stories free download online pdf in Gujarati

સંભવામિ યુગે યુગે ભાગ ૩૭

ભાગ ૩૭

જટાશંકર જયારે અગ્નિ વર્તુળની પેલે પાર પહોંચ્યો ત્યાં અફાટ રણ હતું અને ત્યાં ધૂળ ઉડી રહી હતી. થોડીવાર સુધી તે આંખો ખોલી ન શક્યો પછી તેના કાનમાં અવાજ પડ્યો, “આવી ગયો શેતાન મારી પાછળ. હવે હું છું અને તું છે! હજી આંખો પણ નથી ખોલી શક્યો, તું લડીશ કેવી રીતે?”

  જટાશંકરે હાથની છાજલી કરીને જોયું તો દૂર એક પડછાયો દેખાણો અને તે સામાન્ય કરતા પણ મોટો હતો. તે પડછાયો દૂર જવા લાગ્યો એટલે તે તેની પાછળ ગયો. તે વંટોળમાંથી બહાર નીકળ્યો અને આંખો ખોલવા સક્ષમ બન્યો એટલે તેણે જોયું કે સામે સોમ ઉભો હતો પણ તે જુદા રૂપ માં હતો.

સોમની ઊંચાઈ છ ફૂટ હતી પણ અત્યારે તે સાડા ચા ફૂટ ઊંચાઈનો અને તેની બાહુઓ કસાયેલી દેખાતી હતી તેના કપડાં પણ બદલાયેલા હતા. તેણે રેશમી ધોતિયું અને છાતી અને પેટ ઢંકાય તે રીતે સુવર્ણ બખ્તર પહેરેલું હતું અને નીચે એક રત્નજડિત જનોઈનો છેડો લટકી રહ્યો હતો. માથે સુવર્ણમુગટ અને ચેહરા પર ભરાવદાર દાઢી અને મૂછો હતી.

 તે થોડીવાર માટે સોમના આ રૂપને નિહારી રહ્યો. સોમના હાથમાં તલવારને બદલે જુદું હથિયાર હતું. જે હાથા પર સાંકડું હતું પણ આગળ જતા તેનું ફળ પહોળું હતું.

 જટાશંકરે પૂછ્યું, “આ કેવી રીતે બની ગયું?”

 સોમે અટ્ટહાસ્ય કર્યું અને કહ્યું, “કેમ ફક્ત તું જ કાળી શક્તિઓનો જાણકાર છે? તું જેના પદ માટે આજ સુધી તું મહેનત કરતો રહ્યો, તે હું પોતે મેં પોતે આ પદ ને મારુ નામ આપ્યું હતું. અયં રાવણ ચારેય વેદનો જાણકાર, દશ વિદ્યાઓનો જાણકાર અને અને સપ્તદ્વીપોનો સ્વામી અને રક્ષ સંસ્કૃતિનો સ્થાપક. હું છું વૈશ્રવણ , પૌલત્સ્ય , રક્ષરાજ રાવણ. તું મારી સાથે યુદ્ધ કરવા માંગે છે? તો લડ આનાથી મોટું રણમેદાન તને જગતમાં ક્યાંય નહિ મળે?”

 જટાશંકર તેના જવાબોથી વિસ્મિત હતો તેણે પૂછ્યું, “આપણે ક્યાં છીએ?”

“તને હું લાવ્યો છું શાલ્મલિ દ્વીપ અથવા કહે કે અસ્ત્રાલય નામના દ્વીપના અફાટ રણમાં. મારા રાજ્યનું મહત્વનું અંગ.”

 જટાશંકરે કહ્યું, “શાલ્મલિ દ્વીપ?”

 સોમ જોરજોરથી હસવા લાગ્યો તેણે કહ્યું, “તું ફક્ત શેતાન છે જ્ઞાની હોત તો તને ખબર હોત કે શાલ્મલિ દ્વીપ એટલે કે આજનું ઓસ્ટ્રેલિયા જે મારા કબ્જામાં હતું અને ત્યાં મારા અસ્ત્ર શસ્ત્ર બનતા હતા તેથી તેનું નામ અસ્ત્રાલય પણ હતું. તું ફકત લોકોને મારી જાણે છે. તું શેતાનનું સ્વરૂપ છે. તું ફક્ત હિંસા કરી જાણે તને શું ખબર કે રક્ષા કરવી એટલે શું?”

 જટાશંકર કહે, “ઇતિહાસ તો મને નથી જાણતો પણ તને ખલનાયક તરીકે ઓળખે છે.”

 રાવણે કહ્યું, “ખરેખર હોવું અને ખોટી ઓળખ ઉભી થવી, તેમાં જમીન આસમાનનું અંતર છે. ઇતિહાસ ભલે મને ગમે તે નામથી ઓળખતો હોય પણ હું કેવો હતો તે હું જાણું છું અને તું કેવો છે એની તને ઓળખાણ કરાવું.”

 એમ કહીને સોમ એક મંત્ર બોલ્યો અને કહ્યું, “જેનો જેનો બળી જટાશંકરે આપ્યો હોય તે આત્માઓ હાજર થાઓ અને તે સાથે જ રણ વિચિત્ર અવાજોથી ગુંજી ઉઠ્યું. એક સામટા હજાર બે હજાર લોકો દોડતા હોય તેમ ચારેકોર ધૂળ ઉડવા લાગી. જટાશંકરે પોતાની આંખો બંધ કરી દીધી. જયારે તોફાન શમ્યું ત્યારે તેની આજુબાજુ શોરબકોર વધવા લાગ્યો. ત્યાં તેણે જે જે લોકોના બળી આપ્યા હતા તે દરેક વ્યક્તિ તેને કોસી રહી હતી અને શ્રાપ આપી રહી હતી.

જટાશંકરે પોતાના કાન હાથ વડે ઢાંકી દીધા. કાન બંધ કર્યા છતાં તેને સંભળાઈ રહેલી અવાજો ઓછા નહોતા થયા. થોડીવાર પછી સોમે હાથ હવામાં ફેરવ્યો અને બધા આત્મા ત્યાંથી ગાયબ થઇ ગયા. પોતાની આંખનો ખૂણો આંગળી વડે લૂછીને તેણે કહ્યું, “મેં ક્યારેય શક્તિ મેળવવા તારી જેમ હિંસાનો સહારો નહોતો લીધો. હા! યુદ્ધમાં જરૂર હિંસા કરી પણ તારી જેમ નિર્બળોની હત્યા નહોતી કરી અને આજે હું તને લાવ્યો છું તને તારી ભૂલોનો દંડ આપવા. અત્યારે ક્યાં તો પશ્ચાતાપ કર અથવા યુદ્ધ કર જેથી કાલે તું એમ ન કહી શકે કે તેં મારી હત્યા કરી. તું યુદ્ધ કરશે તો હું નક્કી તારો વધ કરીશ.”

દૂરથી આ દૃશ્ય પાયલ અને રામેશ્વર જોઈ રહ્યા હતા. સોમને આવી વેશભૂષામાં જોઈને અને તેની આ વાતો સાંભળીને તેઓ નક્કી કરી શકતા નહોતા કે સોમને વધાવવો કે તેની સાથે નફરત કરવી પણ જે રીતે સોમે ત્રણ વ્યક્તિઓના બળી આપ્યા હતા, તેથી રામેશ્વર અને પાયલ બંને તેનાથી ક્રોધિત હતા.

જટાશંકર જોરજોરથી હસવા લાગ્યો, “મને પશ્ચાતાપ કરવાનું કહેવા માટે તું કંઈ રામ નથી? તું રાવણ છે, આજ સુધીનો સૌથી મોટો ખલનાયક.

 સોમે હસીને કહ્યું, “હું મૃત્યુશૈયા પર હતો ત્યારે રામ મને નમ્યો હતો અને લક્ષ્મણે મારી પાસેથી જ્ઞાન લીધું હતું. હું ભલે ખલનાયક ગણાતો પણ જ્ઞાની હતો, તારી જેમ મૂઢમતિ નહિ, તેથી જો પશ્ચાતાપ ન કરવો હોય તો યુદ્ધ કર.”

 અત્યારસુધી સોમનું આ રૂપ જોઈ અભિભૂત થયેલો જટાશંકરે પોતાની ઇન્દ્રિયોને સતર્ક કરી અને એક એવો વાર કર્યો કે સોમ ચાર ડગલાં પાછળ ખસી ગયો. જટાશંકરે કહ્યું, “બસ! આટલી જ શક્તિ છે રાવણ કે મારા નાના વારથી પાછળ ખસી ગયો. તું મારી માફી માગ અને મને ગુરુ બનાવ આપણે બંને મળીને આ જગત પર રાજ કરીશું.”

 સોમે જવાબ આપવાને બદલે પ્રતિવાર કર્યો એટલે જટાશંકર દૂર જઈને પછડાયો. બંને એક બીજા પર વાર અને પ્રતિવાર કરતા રહ્યા. સોમ ને અંદાજો આવી ગયો હતો કે જટાશંકર ક્રૂર શક્તિઓનો સ્વામી છે, તેને હરાવવો એટલો આસાન નથી. તેથી તે એક મંત્ર બોલ્યો અને ચારે દિશામાં હાથ ફેરવ્યા એટલે તેમની ચારે બાજુ બરફની દીવાલો આવી ગઈ . જટાશંકર ઠંડીને લીધે ધ્રુજવા લાગ્યો એટલે સોમ અટ્ટહાસ્ય કરવા લાગ્યો તેના હસવામાં ભયંકર ક્રૂરતા હતી કે પાયલ અને રામેશ્વર પણ ધ્રુજી ઉઠ્યા.

 જટાશંકરે પોતાની આંતરિક શક્તિઓ ભેગી કરી અને પોતાની ધ્રુજારી બંધ કરી અને સામે વાર કરવા લાગ્યો પણ હવે તેનું જોર ઓછું થવા લાગ્યું હતું અને તે કમજોર પડવા લાગ્યો હતો. બીજી તરફ સોમ જાણે અત્યારે જ યુદ્ધ કરવા ઉતર્યો હોય તેવું લાગતું હતું. કલાક જેટલું લડ્યા બાદ જટાશંકર જાણે શક્તિવિહીન થઇ ગયો હોય તેમ નીચે પડ્યો.

 સોમે વાર કરવાનું બંધ કર્યું અને કહ્યું, “ હજી જો માફી માંગે અને પોતાના કર્મોનો પશ્ચાતાપ કરે તો હું માફી આપવા તૈયાર છું.”

 જટાશંકર બરાડ્યો, “હું સ્વબળે કૃતક બન્યો છું, તારી જેમ નક્ષત્રોનો સહારો લઈને નહિ. મેં જે કઈ પણ કર્યું, તેનો મને કોઈ અફસોસ નથી પણ તને જરૂર અફસોસ થશે” એમ કહીને પાછળ ફર્યો અને તેણે એક  વાર પાયલ પર કર્યો.

પણ તે જ વખતે રામેશ્વર પાયલની આગળ આવીને ઉભો રહ્યો અને તે વાર પોતાની ઉપર ઝીલી લીધો, તેને લીધે તે દૂર જઈને પડ્યો. સોમના ક્રોધની સીમા ન રહી, તેણે પોતાનો હાથ જટાશંકર તરફ કર્યો અને તેમાંથી જ્વાળાઓ નીકળવા લાગી અને જટાશંકર ચિત્કારવા લાગ્યો.

 થોડી વાર અગ્નિપિડા સહન કરી પણ ધીમે ધીમે તેનો અવાજ શાંત થવા લાગ્યો અને તે નિષ્પ્રાણ થઇ ગયો. તેના નિષ્પ્રાણ થયા છતાં સોમે પોતાના હાથની અગ્નિજ્વાળા પ્રદીપ્ત રાખી. પાયલના ખોળામાં રામેશ્વર હતો તે સોમ તરફ જોઈને જોરથી બોલી, “બસ કર સોમ! તે મરી ગયો છે, અહીં જો રામેશ્વરજી માટે કંઈક કર.”

 સોમ ભાનમાં આવ્યો અને દોડીને રામેશ્વર પાસે આવ્યો.

રામેશ્વરને કહ્યું, “આપણે હમણાં જ પાછા જઇયે, તમને બચાવી લઈશું.”

 રામેશ્વરે કહ્યું, “આ મારુ છેલ્લું કામ હતું અને મને સંતોષ છે કે મેં મારુ કર્મ બરાબર કર્યું છે પણ તેં બળી આપીને ખોટું કર્યું છે. 

સોમે તેમનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું, “આજ હાથ છે જેણે મને કેટલીયે વાર બચાવ્યો છે તે હાથને પોતાના હાથમાં લઈને સોગંદ ખાઈને કહું છે કે મેં કોઈ પણ ખોટું કામ નથી કર્યું, સિવાય કે જટાશંકરની હત્યા.”

 રામેશ્વરે કહ્યું, “તું સાચું કહે છે ને સોમ?” 

સોમે કહ્યું, “તમારો હાથ હાથમાં લઈને હું કદી ખોટું ન બોલી શકું.”

 રામેશ્વરે કહ્યું, “તો પછી તેં જટાશંકરની હત્યા નથી કરી, તેનો વધ કર્યો છે તેથી તેની હત્યાનો ભાર પોતાના મન પર ન લે. રામેશ્વરનો હાથ સોમના હાથમાંથી પડી ગયો, અને સોમ નાના બાળકની જેમ રડવા લાગ્યો. તેના માથા પર પાયલનો હાથ પડ્યો જે કહી રહી હતી, “તું મરતાં માણસ પાસે પણ જૂઠું બોલ્યો છે.”

 સોમે પાયલ તરફ જોયું સોમની આંખોમાં અશ્રુ હતા. પાયલ ના હાથમાં પિસ્તોલ હતી તેણે કહ્યું, “જટાશંકર ને મારવા માટે તું પણ જટાશંકરની જેમ ક્રૂર કેમ બની ગયો? કેટલો પ્રેમ કરતી હતી તને અને તું આવી ક્રુરતાથી બળી કેવી રીતે આપી શકે?

 સોમે કહ્યું, “મેં કોઈ બળી આપ્યા નથી, જે દૃશ્ય જોયું તે મારી માયાજાળનો હિસ્સો હતો. જટાશંકરે મને ફસાવવા માયાજાળ બનાવ્યું અને મેં તેનાથી મોટું માયાજાળ બનાવ્યું.” એમ કહીને સોમે પોતાનો હાથ ગોળ ફેરવ્યો એટલે તેઓ ફરી ગુફામાં હતા.

તેણે કહ્યું, “તે અથવા તો તું જે દૃશ્ય જોઈ રહ્યા હતાં, તે મારી માયાજાળનો હિસ્સો હતા. આપણે ક્યારેય ઓસ્ટ્રેલિયા કે એન્ટાર્ટિકા નહોતા ગયા, અમે બંનેએ અહીં ગુફામાંજ યુદ્ધ કર્યું, પણ તેના મગજ પર કાબુ મેળવવા મેં તેવો આભાસ મારી માયાજાળમાં રચ્યો હતો.”

 સોમે આગળ કહ્યું, “જો મેં અહીં બળી આપ્યા હોય તો અહીં વેદી કે જેમના બળી આપ્યા હોય તેમના શરીર હોવા જોઈએ.”

 પાયલે જોયું, “ત્યાં કોઈ વેદી કે કોઈ શરીર નહોતા.”

 તેણે સોમ તરફ જોઈને પૂછ્યું, “શું ખરેખર તેં માયાજાળ રચી હતી?

સોમે કહ્યું, “હા! તને શું લાગે છે હું અહીં બળી આપીને રાવણ બની ગયો છું.” તેણે સોમ તરફ જોયું તે જીન્સ અને ટીશર્ટમાં હતો. તે સોમ ને વળગી પડી અને રડવા લાગી. સોમે કહ્યું, “આપણે રામેશ્વરજીના શરીરને બહાર લઇ જઇયે.” એમ કહીને સોમે રામેશ્વરના શરીરને પોતાના બે હાથમાં ઉપાડ્યું અને તે બંને ગુફામાંથી બહાર આવ્યા અને બહાર ગાડીમાં તેમનું શરીર મૂક્યું. પછી સોમે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો અને કહ્યું.” ઓહ, લાગે છે! મારુ પર્સ ગુફા માં પડી ગયું છે. નાહક પોલીસની માથાકૂટ થશે.હું લઇ આવું છું. તું ગાડીમાં બેસ.”

 પાયલે કહ્યું, “જલ્દી આવજે.”

સોમ ગુફામાં જ્યાં જટાશંકરનું શરીર પડ્યું હતું ત્યાં આવ્યો અને તેની આંખો ચમકવા લાગી અને તેણે પોતાની પ્રથમ આંગળી તેના મૃત શરીર તરફ કરી તો તેમાંથી અગ્નિ નીકળ્યો અને તેનું શરીર વગર ચિતાએ સળગી ગયું . પછી તેણે એક ભીંત તરફ આંગળી કરી અને ત્યાં રહેલી સુમાલીની મૂર્તિ તૂટી ગઈ અને તે આંખોમાં ખુશી સાથે તે બહાર આવ્યો. તેને આનંદ હતો કે તેણે એક નરાધમનો વધ કર્યો અને અને કાળીશક્તિનું એક સ્થાન નષ્ટ કર્યું હતું.

બહાર આવીને ગાડીમાં બેઠો અને પાયલે ગાડી શહેર તરફ લઇ લીધી.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED