ભેદ - 9 Prashant Salunke દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભેદ - 9

ભેદ - ૯

પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે

સુચના : આ વાર્તાના પાત્રો તથા સ્થળ લેખકની કલ્પના છે. એનો જીવિત કે મૃત કોઈ વ્યકિત કે કોઈ વાસ્તવિકતા સાથે સબંધ નથી અને જો આમ થાય તો એ માત્ર એક સંજોગ સમજવો

ભેદ - ૯

સવારે જ ઈ.વિક્રમ હવલદાર ધોન્ડુંરામ સાથે વિદ્યાના ઘરે પહોંચી ગયા. સુંદરતાની મુરત સમાન વિદ્યાના દર્શન થશે એવા વિચારે ઈ.વિક્રમે દરવાજાની ઘંટડી વગાડી. થોડીવારમાં વિદ્યાએ દરવાજો ખોલ્યો, સામે ઉભેલ વિદ્યાને અવાચકપણે જોઈ રહેતા ઈ,વિક્રમના મગજમાં ઝડપથી વિચાર આવીને ઊડી ગયો કે “ઉમરની સાથે સાથે વિદ્યાનું શરીર કેવું વધી ગયું છે!” પરંતુ પોતાને સંભાળી લેતા ઈ.વિક્રમ પહેલીજ વાર બહેનનું સંબોધન કરતાં બોલ્યા કે “બહેન તમને પોલીસસ્ટેશનમાં લઇ જવા આવ્યો છો... ત્યાં બેસી હું આખો કેસ સમજી લઈશ.”

વિદ્યાએ કહ્યું,”અરે ઘરમાં તો આવો, આખો દિવસ દોડધામ કરતાં તમે થાકતાં નથી? અને આટલી દોડધામ કરો છો તોય શરીર કેટલું ફૂલી ગયું છે!”

ઈ.વિક્રમ અને ધોન્ડુંરામ અંદર ગયા. વિદ્યા નાસ્તાની છલોછલ ભરેલી ડીશો લાવી. વિક્રમે જોયું કે નાસ્તો જરૂર કરતાં વધારે છે પણ સાથે ધોન્ડુંરામ છે એટલે નાસ્તાની ડીશો પૂરી કરવામાં કોઈ સવાલ રહેશે જ નહિ. નાસ્તો પતાવી તેઓ પોલીસસ્ટેશન ગયા. ઇ. સુહાસે દુરથી જ ઇ. વિક્રમને આવતાં જોયાં તરત તેણે ખુરશીમાંથી માનભેર ઊભા થઇ આવકારભર્યું સ્મિત વેર્યું “ધન્ય ભાગ હમારે જો આપ પધારે.”

ઈ.વિક્રમે કહ્યું, “શર્મ કરો હમ પધારે ક્યોંકી તુમ હારે... આ મેડમને સાથે જોઈને તમે સમજી જ ગયા હશો કે હું કેમ આવ્યો છું!” ઈ.વિક્રમને કેસની વિગતો સમજાવતાં ઈ.સુહાસે કહ્યું કે “સાહેબ એમણે દેખાડેલ સ્થાન પર કોઈ જ લાશ મળી નથી છતાં તેઓ જિદ્દ છોડતાં નથી. કે મેં પોતે સાંભળ્યું છે કે સલોની બોલી હતી કે મેં તમારી કબર ઉપર.....”

ઈ.વિક્રમે કહ્યું “અરે સાંભળ્યું હશે એટલે જ તો એ આમ બોલે છે. વળી વિદ્યાબેનનો સ્વભાવ પણ પોતાની વાતને વળગી રહેવાનો છે. ઠીક છે આપણે હમણાં જ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી લઈએ.”

ઈ.સુહાસ બોલ્યા “ભલે, હું ડોગસ્કવોડને બોલાવી લઉં છું.”

કંઇક વિચારી ઈ.વિક્રમ બોલ્યા “ના.. ડોગસ્કવોડ નહિ પણ એને બદલે બોરિંગ ખોદવામાં વપરાય અને રસ્તા પર હોલ પાડી શકે તેવા મશીનની વ્યવસ્થા કરો. વળી મને એક મોટી પાઈપ પણ જોઈશે અને બે ત્રણ સાફ કાચની બોટલ.”

કંઈ સમજાયું નહિ છતાં ઈ.સુહાસે કહ્યું ”વ્યવસ્થા થઇ જશે સર.” તો ઠીક છે અમે ઘટના સ્થળ પર પહોંચીએ છીએ તમે પણ જરૂરી વ્યવસ્થા કરી ત્યાં પહોંચો.”

ઈ.સુહાસ બોલ્યા “સર હું સલોનીને પણ ત્યાં બોલાવું લઉં?”

ઈ.વિક્રમ “ના... જરૂર લાગશે તો બોલાવી લઈશું. હાલ તમને જે કીધું છે માત્ર એટલું જ કરો.”

ઘટનાસ્થળે ઈ.વિક્રમે વિદ્યા સાથે મુલાકાત લીધી. જ્યાં સલોનીએ ફોટોગ્રાફ્સ સળગાવેલા એ જગ્યા વિદ્યાએ ઈ.વિક્રમને બતાવી. ઈ.વિક્રમે બરાબર એ જ જગ્યાએ ડ્રીલ મશીન દ્વારા ઊંડે સુધી એક હોલ પાડવાનું કહ્યું. મશીન એના કામે લાગી ગયું. ઇન્સ્પેક્ટર વિક્રમે પાઈપના એક છેડે હવાચુસ્ત રીતે બોટલ લગાવી અને બીજો ખુલ્લો છેડો પોતાના હાથમાં રાખી તેઓ ઊભા રહ્યા. જેવું મશીને એનું કામ પૃરું કર્યું. તરત ઈ.વિક્રમેએ ડ્રીલ મશીને પડેલા હોલમાં પાઈપ નાખી. સાથે ઉભેલ હવલદારને હવે એમણે ઊંડે સુધી પાઈપ નાખવાનું કહ્યું. પાઈપ ઊંડે સુધી પહોંચી છે એમ જણાતાં ઈ.વિક્રમ પાઈપના બીજા છેડા પાસે ગયા. ત્યાં પાઈપ જોડે લગાવેલ બોટલવાળો છેડો હાથમાં પકડી ઉભેલા હવલદારના હાથમાંના પાઈપના છેડામાંથી બોટલ કાઢી લઈ બોટલને ચુસ્તપણે બંધ કરી દીધી અને સાથે લાવેલ બીજી બોટલ ત્યાં લગાવી દીધી. થોડીકવાર ઊભા રહી એમણે એ બીજી બોટલ પણ કાઢી લીધી. તેને પણ ચુસ્તપણે બંધ કરી બન્ને બોટલ ઈ.સુહાસને આપતા કહ્યું, “ઇન્સ્પેક્ટર આ બન્ને બોટલને લેબોરેટરીમાં તપાસ માટે મોકલો. આમાં કયા પ્રકારના વાયુની હાજરી રહેલી છે તે મારે જાણવું છે.”

આમ બોલી ઈ.વિક્રમ જીપમાં જઈને બેઠા.

પાસે આવી ઈ.સુહાસ બોલ્યા “આ સાથે આવેલા પોલીસજવાનોનું હવે કંઈ કામ છે?”

ઈ.વિક્રમ “એમને કહો કે અહીનું આજે પુરું થયું છે. એમને જવા દો. અને તમે લેબોરેટરીમાં જઈ જરા ઝડપથી રીપોર્ટ તૈયાર કરવાની સુચના આપી પોલીસ સ્ટેશનને મળો. આગળની તપાસ આપણે રીપોર્ટ આવ્યા પછી જ કરીશું.” ઈ.વિક્રમે ધોન્ડુંરામને ઈશારો કર્યો. ધોન્ડુંરામે જીપ હંકારી મૂકી.

હવે આ બાજુ હવા ભરેલી પેલી બે બોટલોનો રીપોર્ટ લેબોરેટરીમાંથી મેળવી લઇ ઈ.સુહાસ પોલીસ સ્ટેશનમાં આવ્યો. ઇન્સ્પેકટર સુહાસની રાહ જોઈ જોઈ કંટાળેલા ઈ.વિક્રમે ઈ.સુહાસને જોતાં જ પૂછ્યું, ‘બોટલમાં કયો વાયુ હતો?”

ઈ.સુહાસ બોલ્યા “કોઈ નીતિન કરીને વાયુ છે..”

ઈ.વિક્રમે વિજયી સ્મિત સાથે કહ્યું “યસ...મારી શંકા સાચી પડી. અલબત એ વાયુને નીનહાઈડ્રીન (ninhydrin) એમ કહેવાય છે. ઇન્સ્પેક્ટર સુહાસ, આનો મતલબ એ થયો કે ત્યાં લાશ દટાયેલી હોવાની વિદ્યાએ કહેલી વાત સાચી છે.”

ઇન્સ્પેક્ટર સુહાસ બોલ્યા “ડોગ સ્કવોડને ત્યાં કંઈ જણાયું નહોતું. એવું કેમ થયું હશે.”

ઈ.વિક્રમ મુસ્કુરાતા બોલ્યા “કોન્ક્રીટ કે સ્લેબ નીચે દબાયેલી લાશોને ટ્રેસ કરવામાં ડોગસ્કવોડ કાયમ નિષ્ફળ જ જાય છે. ઇન્સ્પેકટર સુહાસ, એકચ્યુઅલી વાત એવી છે કે વાતાવરણમાં નાઈટ્રોજનનું પ્રમાણ કુલ ૭૨% છે તેથી કોઇપણ પ્રાણીના શરીરમાં એનું પ્રમાણ વધારે હોવું સ્વાભાવિક છે! તેથી જ જયારે કોઈ પ્રાણી મરે છે ત્યારે એની લાશ સડી જવાથી એમાંથી નાઈટ્રોજન વાયુ છૂટે છે. હવે જયારે પ્રાણી કે મનુષ્યની લાશ જમીનમાં દટાઈ જાય ત્યારે તેનું જમીનમાં રહેલા તત્વો સાથે સંયોજન થઇ એક નવા જ પ્રકારનો વાયુ બને છે જેનું નામ છે નીનહાઈડ્રીન (ninhydrin) હા પણ આ વાયુને બનવામાં ખાસો સમય લાગે છે. એટલે તમે મારા જેવી પદ્ધતિ પંદરમે દિવસે જ વાપરી હોત તો તમે પણ એમાં નિષ્ફળ ગયા હોત. જયારે આ પદ્ધતિ માટે આજે આઠ મહિના પછીનો સમયગાળો એકદમ ઉપયુક્ત હતો. બોટલમાંથી નીનહાઈડ્રીન (ninhydrin) વાયુ નીકળ્યો મતલબ અંદર કોઈકની લાશ તો છે જ! માટે ફટાફટ ઘટનાસ્થળે ખોદકામ કરાવી લાશો બહાર કઢાવો.”

કેમ્બ્રિજ કેનાલનો આખો વિસ્તાર પોલીસે સીલબંધ કર્યો. લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે શું ચાલે છે તે જોવા માટે ભેગા થયા. પોલીસના જવાનોએ બતાવેલી જગ્યાએ ખાડો ખોદવાનું કામ શરૂ કર્યું. લગભગ અડધા જેટલો ઊંડો ખાડો ખોદાયા બાદ અંદરથી અસહય દુર્ગધ આવવા લાગી. થોડે દુર તમાશો જોવા એકઠા થયેલ લોકોએ મોં આડે રૂમાલ ધરી દીધા. કેટલાકને તો ઉલટી જેવું થવા લાગ્યું.

હજુ ઊંડે સુધી ખોદકામ કરતા પોલીસને વિકૃત હાલતમાં પડેલી બે લાશો મળી આવી! અસહય રીતે આવતી દુર્ગધનું પ્રમાણ હવે ખુબ વધી ગયું હતું. પોલીસ જવાનોને ત્યાં ઊભા રહેવાનું પણ ત્યાં મુશ્કેલ થઇ પડ્યું. ઈ.વિક્રમે બન્નેની લાશોને બહાર કાઢવાનો હુકમ આપ્યો. જેમ તેમ કરીને આવતી અસહય દુર્ગધ વેઠીને પણ પોલીસ જવાનો એ બન્ને લાશોને ખાડાની બહાર લાવી જમીન પર મૂકી. સાથે લાવેલ કપડાથી ઢાંકી દીધી. હવે તેઓ વિદ્યા પાસે આવી બોલ્યા “લાશ પરથી મૃતકની ઓળખ આરામથી થઈ જશે અને એકવાર લાશ હેલી અને જયેશની છે એમ સાબિત થઈ જાય કે પછી આપણને સલોનીને જેલના સળિયા પાછળ ધકેલતાં વાર નહિ લાગે!” બન્નેની લાશોને પોસ્ટમોર્ટમનો હુકમ આપીને ઈ.વિક્રમ પંડિત સ્થળ છોડી ગયા.

(આગળની વાર્તા જાણવા અને માણવા વાંચો ભેદ-૧૦)