Rasdhar ni vartao - Ek tetar ne karane books and stories free download online pdf in Gujarati

એક તેતરને કારણે

રસધારની વાર્તાઓ -૨

ઝવેરચંદ મેઘાણી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


એક તેતરને કારણે

પરશુરામે આ પૃથ્વીને એકવીસ વાર નક્ષત્રી કરીને બ્રાહ્મણોને વહેંચી દીધી હતી. પણ એ વિનામહેનતે મળી ગયેલી ધરતીનું રક્ષણ બ્રાહ્મણો ન કરી શક્યા. અસુરો ધરણીમાતાની કાયાને ખૂંદવા લાગ્યા. પછી દેવતાઓએ ભેળા થઇને આબુ પર્વત ઉપર એક અગ્નિકુંડ પ્રગટાવ્યો. એ અગ્નિકુંડની ઝાળમાં ચાર મોટા દેવતાઓએ જવના દાણા છાંટ્યા, તે જ ઘડીએ એક પછી એક ચાર વીરો પ્રગટ થયા.

સોળેય કળાએ શોભતો તેજસ્વી નર નીકળ્યો, તે સોળંકી કહેવાયો. ચારેય ભુજામાં હથિયાર ધારણ કરીને હાજર થયો, તે ચહુબાણ (ચૌહાણ) કહેવાયો. કુંડમાંથી નીકળતાં પગમાં પોતાનું ચીર ભરાવાથી જે પડી ગયો તેનું નામ પઢિયાર પડ્યું. એ ત્રણેય તો હાથ જોડીને આજ્ઞા માગતા માગતા નીકળ્યા, એટલે દેવતાઓ નિરાશ થયા.

આખરે અગ્નિના ભડકામાંથી ‘માર! માર!’ની ત્રાડ દેતો જે બહાર આવ્યો, આવીને ‘પર’ કહેતાં રાક્ષસને જેણે સંહાર્યો, તે પરમાર નામે ઓળખાયો. આબુ, ઉજેણી અને ચિતોડ ઉપર એના વંશની આણ વર્તી ગઇ. ચિતોડગઢનાં તોરણ બાંધનાર આ પરમાર વંશનો જ એક પુરુષ હતો.

એ વંશનો એક વેલો સિંધના રણવગડામાં પણ ઊતરી આવ્યો. એ વેલો ચલાવનાર મૂળ પુરુષ સોઢાજી. સોઢા પરમારોના હાથનો ઉમરકોટ તાલુકો એક વખત એની પડતી દશામાં છૂટી ગયો ને નગરપારકરનો નાનો તાલુકો રહ્યો. ત્યાંનું બેસણું પણ ગયું, ને થરપારકર રહ્યું.

થરપારકરનું રાજ એટલે તો રેતીના રણનું રાજઃ રાજધણીને રિદ્ધિસિદ્ધિમાં ઢોર સિવાય બીજું કાંઇ ન હોય. માલધારી રાજા પોતાનો માલ ચારીને ગુજારો કરતા; નેસડામાં રહીને રાજમહેલની મજા લેતા; રોટલો અને દૂધ આરોગીને અમૃતના ઓડકાર ખાતા; રૈયતની સાથોસાથ રહીને તેની જીવ સાટે રક્ષા કરતા. તેથી જ -

અંગ પોરસ, રસણે અમૃત, ભુજ પરચો રજભાર,

સોઢા વણ સૂઝે નહિ, હોય નવડ દાતાર,

(સોઢાઓનાં અંગમાં દાન દેવાની જેવી હીંશ આવે, જીભમાં જેવું અમી વરસે અને ભુજામાં જેવું પાણી હોય તેવું બીજામાં નથી હોતું.)

બાપુ રતનુજી તો કૈલાસમાં પધારી ગયેલ, પણ મા જોમબાઇ હજુ બેઠાં હતાં. મા જોમબાઇને ચાર દીકરા હતાઃ આખોજી, આસોજી, લખધીરજી ને મૂંજોજી. મા અને દીકરા ગોડી પારસનાથજીનાં ૧ મોટાં ભક્ત હતાં.

સંવત ૧૪૭૪ની અંદર પારકરમાં કાળો દુકાળ પડ્યો, તાવડામાં જેમ ધાણી ફૂટે, તેમ માલધારીઓનાં ઢોર ટપોટપ મરવા માંડ્યાં. બે હજાર સોઢાઓ પોતાનાં ઢોર લઇને દુકાળ વર્તવા સોરઠામાં ચાલી નીકળવા જ્યારે તૈયાર થયા, ત્યારે ચારેય ભાઇઓને ચિંતા થઇ કે પારકા મુલકમાં આપણી વસ્તીની રક્ષા કોણ કરશે?

માટે આખોજી બોલ્યા કે “ભાઇ લખધીર, તું ને મૂંજોજી સાથે જાઓ, હું ને આસો આંહી રહેશું.” લખધીરજી ને મૂંજોજી પોતપોતાની હાંસલી ઘોડી ઉપર પલાણીને તૈયાર ઊભા, ત્યારે મા જોમબાઇ બોલ્યાંઃ “બાપ, આપણી વસ્તીને પરદેશમાં મા ક્યાંથી મળશે! માટે હુંય સાથે ચાલીશ.”

માતાજી રથમાં બેઠાં, અને બે હજાર સોઢાઓ એના રથને વીંટીં લઇને પોતપોતાના ઢોર હાંકતા હાંકતા, રસ્તે ચારતા ચારતા, દરમજલે મુકામ કરતા ચાલી નીકળ્યા.

પણ લખધીરજીને તો નીમ હતું કે રોજ પોતાના ઇષ્ટદેવ ગોડી પારસનાથનાં દર્શન કર્યા પછી જ અન્નપાણી ખપે. આ દેવતાની પ્રતિમાં પારકરના પીલું ગામમાં હતી. રોજ રોજ પ્રભાતે જ્યાં મોલણ પડ્યું હોય ત્યાંથી લખધીરજી પોતાની હાંસલી ઘોડી પાછી ફેંટીને પીલું જઇ પહોંચે, દેવનાં દર્શન કરે, ત્યાર પછી અનાજ આરોગે. એ રીતે તો જેમ જેમ પલ્લો લાંબો થતો ગયો, તેમ તેમ પીલુ પહોંચવામાં મોડું થવા માંડ્યું. એક પહોરનાં, બે પહોર, ચાર પહોર, ને પછી તો બબ્બે દિવસના કડાકા થવા લાગ્યા.

પછી એક રાતે લખધીરજીના સ્વપ્નમાં ઇષ્ટદેવ આવ્યા ને બોલ્યાઃ ‘બેટા, કાલ પ્રાગડના દોરા ફૂટતાં જ તને ગાયનું એક ધણ મળશે. એમાંથી એક કુંવારી કાળી ગાય મોખરે ચાલતી હશે. એ ગાય પોતાનો મોયલો પગ ઊંચો કરીને તારી સામે જોઇ જમીન ખોતરશે. ખોતરેલી જમીનમાં ખોદજે. તો તને એક પ્રતિમા જડશે. એ પ્રતિમાનાં દર્શન કરી રોજ જમજે, રથમાં પધરાવીને સાથે લઇ જજે, ને જ્યાં રથ ઊભો રહી જાય, ચસકે નહિ, ત્યાં તારો મુકામ કરી રહેજે. તારી ફતેહ થશે’

બીજે દિવસે પ્રભાતે સ્વપ્નની વાત સાચી પડી. પાંચાળ ભૂમિમાં માંડવ ડુંગરની ધાર ઉપર જ ગાય મળી, ને મૂર્તિ જડી. એ માંડવ રાજની પ્રતિમાને માતા જોમબાઇ ખોળામાં લઇને બેઠાં અને સોનાના થાળ સરખી પાંચાળ ભૂમિમાં મૉતીના દાણા જેવા ડુંગરા જોતા જોતા અગ્નિપુત્ર પરમારો આગળ ચાલ્યા. હવે, કેવો છે એ પાંચાળ દેશ?

કંકુવરણી ભોમકા, સરવો સાલેમાળ;

નર પટાધર નીપજે, ભોંય દેવકો પાંચાળ. (૧)

(એ પાંચાળની જમીન રાતી છે, સુંદર સાલેમાળ ડુંગર છે, અને એ દેવભૂમિમાં શૂરગીર પુરુષો નીપજે છે.)

ગૂઢે વસ્તરે ગોરિયાં, પગપિંડીનો તાલ;

પનઘટ ઉપર પરવરે, પડ જોવો પાંચાળ. (૨)

(પાંચાળની સ્ત્રીઓમાં વિશેષે કરીને કાઠિયાણીઓ અને ચારણિયાણીઓ હોવાથી એમને પહેરવેશ કાળા રંગનો છે, અને દેહનો વર્ણ ગોરો છે. એ રમણીઓ લચકાતે પગે નદીને તીરે પાણી ભરે છે.)

ઓદરથી ઉરે સરસ, નાક નેણનો તાલ;

ચાર હાથનો ચોટલો, પડ જોવો પાંચાળ, (૩)

(જેવાં રૂપાળાં એ ગોરીઓનાં ઉદર, તેથી વધુ રૂપાળી એની છાતી છે. તેથીયે વધુ રળિયામણાં એના નાક અને નેણ છે. માથે લાંબા ચોટલા છે.)

નરનારી બન્ને ભલાં, કદી ન આંગણ કાળ,

આવેલને આદર કરે, પડ જોવો પાંચાળ. (૪)

આછાં પાણી વીરડે, ધરતી લાંપડિયાળ,

સર ભર્યાં સારસ લવે, પડ જોવો પાંચાળ, (૫)

(જેની ધરતી લાંપડ (કાંટાવાળા) ઊંચા ઘાસથી ઢંકાયેલી છે, જેની નદીઓના પટમાં વીરડા ગાળીને લોકો તેલ જેવાં નિર્મળ પાણી પીએ છે, જેનાં ભરપુર સરોવરડાંમાં સારસ પક્ષીઓ કિલ્લોલ કરતાં હોય છે, એવી એ દેવભૂમિ પાંચાળ છે.)

નદી ખળકે નિઝરણાં, મલપતાં પીએ માલ;

ગાળે કસુંબા ગોવાળિયા, પડ જોવો પાંચાળ. (૬)

(જ્યાં નદીઓ અને ઝરણાંઓ ખળખળ વહી રહેલ છે, જ્યાં માલધારીના માલ (ગાયભેંસો) ભરપૂર પાણીમાં મલપતાં મલપતાંં નીર પીએ છે, જ્યાં ગોવાળ લોકો અફીણના કસુંબા ગાળીને ગટગટાવે છે, એવો એ પાંચાળ દેશ છે.)

ઠાંગો માંડવ ઠીક છે, કદી ન આંગણ કાળ;

ચારપગાં ચરતાં ફરે, પડ જોવો પાંચાળ, (૭)

(જ્યાં ઠાંંગો અને માંડવ જેવા વંકા ડુંગરા છે, દુષ્કાળ કદી પડતો નથી, ચોપગાં જાનવરો ફરે છે એવો એ પાંચાળ દેશ છે.)

તાતા તોરિંગ મૃગકૂદણા, લીલા પીળા લાલ,

એવા વછેરા ઊછરે, પડ જોવો પાંચાળ. (૮)

(જ્યાં હરણ જેવી ફાળ ભરનારા પાણીદાર, રંગરંગના ઘોડા નીપજે છે.)

કૂકડકંધા મૃગકૂદણા, શત્રુને હૈયે સાલ;

નવરંગ તોરિંગ નીપજે, પડ જોવો પાંચાળ. (૯)

(જ્યાં કૂકડાના જેવી ઊભી ગરદનવાળા, અને દુશ્મનોના હ્ય્દયમાં શલ્ય સમ ખટકનારા નવરંગી ઘોડા નીપજે છે, એવો એ પાંચાળ દેશ છે.)

કળ કોળી ફળ લીંબોડી, વનસ્પતિ હરમાળ;

(પણ) નર પટાધર નીપજે, ભોંય દેવકો પાંચાળ. (૧૦)

(કુળમાં જુઓ તો ઘણુખરું કોળીના જ કુળ વસે છે. (કોળીની સંખ્યા બહુ મોટી છે.) ફળમાં લીંબોડી બહુ થાય છે, અને વનસ્પતિમાં હરમાળ વધુ નીપજે છે. એમ છતાં ત્યાં મનુષ્યોમાં તો વીર પુરુષો પાકે છે, એવી એ દેવભૂમિ પાંચાળ છે.)

ચાલતાં ચાલતાં એક દિવસ એ રૂપાળા પ્રદેશની અંદર, એક નાની નદીની બરાબર વચમાં દેવનો રથ ઊભો રહ્યો. ઘણા બળદ જોડીને ખેંચ્યો, પણ પૈડાં ચસક્યાં નહિ. નાડાં બાંધી બાંધીને રથ તાણ્યો, પણ નાડાં તૂટી ગયાં.

લખધીરજીએ પોતાની પાઘડીનો છેડો ગળે વીંટી, પ્રતિમાની સામે હાથ જોડી કહ્યુંઃ “હે ઠાકર! તે દિવસ સ્વપ્નમાં તમે મને કહેલું યાદ છે કે જ્યાં રથ થંભે ત્યાં મારે ગામ બાંધીને રહેવું. પણ આ નદીને અધગાળે કાંઇ ગામ બંધાશે? સામે કાંઠે પધારો તો ત્યાં જ આપની સ્થાપના કરું.”

એટલું બોલીને પોતે જરા પૈડાને હાથ દીધો, ત્યાં તો આરસપા’ણની ભૉં હોય તેમ રથ રડવા લાગ્યો. સામે કાંઠે જઇ ઉચાળાં છોડ્યા, નાનાં ઝૂપડાં ઊભાં કરી દીધાં અને ચોપાસના નિર્જન મુલક ઉપર પરમારોની સિંધી ગાયો, ભેંસો, બકરાં, ઘેટાં ને ઊંટા, બધાં પોતાને ગળે બાંધેલી ટોકરીનો રણકાર ગજવતાં ગજવતાં લહેરથી ચરવા લાગ્યાં. જે નેરામાં રથ થંભી ગયો હતો તે અત્યારે પણ ‘નાડાતોડિયું’ એ નમથી ઓળખાય છે.

પારકી ભૂમીમાં ધણીની રજા વિના કેમ કહેવાય? પરમારનો દીકરો અને વળી પ્રભુનો સેવક - લખધીરજી તપાસ કરવા માંડ્યા. ખબર પડી વઢવાણના રાજા વીસળદેવ વાઘેલાનો એ મુલક છે. નાના ભાઇ મૂંજાજીના હાથમાં આખી વસ્તીને ભળાવી લખધીરજી વઢવાણ આવ્યા. દરબારગઢની ડેલીએ બેઠા બેઠા વીસળદેવ ચોપાટ રમે છે, ત્યાં જઇને પરમારે ઘોડીએથી ઊતરી, ઘોડીના પગમાં લોઢાની તાળાબંધ નેવળ નાખી, બગલમાં લગામ પરોવીને વાઘેલા રાજાને રામરામ કર્યા.

કદાવર શરીર, પાણીદાર છતાં ભક્તિભાવભીની બે મોટી આંખો, અને હજુ તો ગઇ કાલે જ આબુના અગ્નિકુંડમાંથી ‘માર! માર!’ કરતો પ્રગટ થયો હોય એવો દેવતાઇ તેજસ્વી ચહેરોઃ જોતાં તો એક જુગની જૂની ઓળખાણ હોય તેમ તે પરમારપુત્ર વીસળદેવજીના હૈયામાં વસી ગયો. મહેમાન ક્યાં રહે છે, કેમ આવેલ છે, નામ શું છે, એવું પૂછ્યા વિના પાધરો રાજાએ સવાલ કર્યો કે “ચોપાટે રમશો?”

“જેવી મરજી.”

“ઘોડી બાંધો દ્યો.”

“ના, રાજ! ઘોડી મારી હેવાઇ છે. બીજે નહિ બંધાય. એક તરણુંયે મોંમાં નહિ લ્યે. હું બેસીશ ત્યાં સુધી ઊભી જ રહેશે.”

હાંસલી પણ જાણે વાતચીત સમજી હોય તેમ તેણે એક કાનસૂરી માંડીને હણહણાટી દીધી. વીસળદેવજીના હૈયામાં વધુ પ્રેમ પુરાયો; અને ચોપાટ ખેલવામાં લખધીરજીનો સાધેલ હાથ જોઇને તો વીસળદેવ પૂરો મોહ પામી ગયા.

સાંજ પડી એટલે વીસળદેવે ઓળખાણ પૂછી. લખધીરજીએ બધી વાત કહી સંભળાવી કે “દુકાળ વર્તવા વસ્તીને લઇને પારકરથી આવ્યો છું, રાજા આપો તો માલ ચારીએ.”

વીસળદેવ બોલ્યાઃ “એ ભૉં તો ઉજ્જડ પડી છેઃ તમે પચાવી પડ્યા હોત તોપણ બની શક્ત; પમે તમે નીતિ ન તજી તેથી હું એ આખી ધરતી તમને સોંપું છું. સુખેથી ગાામ બાંધો. પણ ઊભા રહો, એક શરત છે. રોજેરોજ આંહીં ચોપાટ રમવા આવવું પડશે.”

લખધીરજીએ શરત કબૂલ કરી. હાંસલીના મોયલા પગમાંથી નેવળ છોડી, રાંગ વાળી, પોતાના પડાવ તરફ ચડી ગયા. ડાયરો જોઇ રહ્યોઃ ‘વાહ રજપૂત! કાંઇ વંકો રજપૂત છે! રાજપૂતી આંટો લઇ ગઇ છે!’

ડાયરાની આંખમાં એ વેણ બોલતી વખતે લાલ લોહી ભર્યું હતું. પેટમાં પાપ ઊગ્યું હતું.

એક દિવસ સાંજે લખધીરજી વઢવાણથી ચોપાટે રમીને પડાવ ઉપર પાછા ફર્યા ત્યારે મૂંજાજીએ એને વાત કહીઃ “ભાઇ, આજ તો હું પૂજા કરતો હતો ત્યારે માંડવરાજ બે વાર મારી સામે જઇને હસ્યા!”

ચતુર લખધીરજીએ વાત રોળીરોળી નાખી, પણ અંતરમાં એને ફાળ પડી ગઇ કે નક્કી મૂંજાજીને માથે ભાર છેઃ તે વગર પ્રતિમા હસે નહિ.

“માડી, સાંભળ્યું કે?”

“શું છે, છોડી?”

“આ ઓલ્યો રજપૂત રોજ રોજ મારા બાપુ પાસે ચોપાટે રમવા આવે છે, એની ખબર છે ને?”

“હા, એ રોયો આવે છે ત્યારથી દરબારે ઓરડે આવવાનુંય ઓછું કરી નાખ્યું છે. કોણ જાણે શું કામણ કરી મેલ્યું છે એ બોથડ સોઢાએ.”

“મા, તમે બહુ ભોળાં છો. સાચી વાત કહું? એ રજપૂત આવ્યો છે સિંધમાંથી. એને એક જુવાન બે’ન છે. મારા બાપુને વિવા કરવા છે એટલે આ આ રજપૂતને જમીન કાઢી આપી છે, ને રોજ આંહી ચોપાટ રમવા બોલાવે છે. પોતે પણ ત્યાં જાય-આવે છે.”

ઠાકોર વીસળદેવનાં ઠકરાણી અને એની વડારણ વચ્ચે એક દિવસ આવી વાત થઇ. લખધીરજીની લાગવગ વીસળદેવજી ઉપર એટલી બધી જામી ગયેલી કે એના વિના ખાવું ન ભાવે. આ રાજપ્રીતિ વઢવાણના દરબારી નોકરોથી નહોતી ખમાતી. લખધીરજીનો પગ કાઢવા માટે વાઘેલાઓએ રાણીવાસમાં આવી ખટપટ ઊભી કરી હતી.

રાણીને હાડોહાડ વ્યાપી ગઇ કે નક્કી રાંડ શોક્ય આવશે. એનાં રૂંવાડા સડસડ બળવા લાગ્યાં. એનું પિયર સાયલે હતું. પિયરિયાં ચભાડ જાતનાં રજપૂત. હતાં.

પોતાના ભાઇ-ભત્રીજાને બોલાવીને કાળી નાગણ જેવી રાણી ફુંફાડી ઊઠી કે “મારું ચલણ છે ત્યાં લગી તમે ઊભે ગળે વઢવાણમાંથી ખાવા પામો છો. રાજા નવી લાવશે એટલે તમારો પગદંડો પણ આંહીંથી નીકળી જશે. માટે મારા ભાઇઓ હો તો જાઓ, એ કાળમુખા રજપૂતોના લબાચા વીંખી નાખો, અને મારી મારીને પાછા પારકરનો રસ્તો પકડાવો.”

જંગલ તેતર ઊડિયો, આવ્યો રાજદુવાર,

ચભાડ સહુ ઘોડે ચડ્યા, બાંધી ઊભા બાર.

“તેતર ઘવાણો, બરાબર ઘવાણો!” તીરંદાજોએ ચાસકા કર્યા. ‘કિયો! કિયો! કિયો!’ એવી કિકિયારી કરતું એક નાનું તેતર પક્ષી પાંખો ફફડાવી રહ્યું. પાંખ તૂટી પડવાથી ઊડી શકતું નથી. પગ સાબૂત છે તેથી દોટાદોટ કરવા લાગ્યું. વનનાં બીજાં પક્ષીઓએ કળેળાટ મચાવી મૂક્યો.

“હાં, હવે ધ્યાન રાખજો, ભાઇઓ! જોજો, તેતર બીજે જાય નહિ. હાંકો આ પરમારોના ઉચાળામાં. કજિયો જગવવાનું બરાબર બહાનું જડશે.”

એમ બોલતાં એ સાયલા ગામના ચભાડ તીરંદાજોએ ઘાયલ થયેલા તેતરને ઘેરી લઇ સોઢા પરમારોના પડાવ તરફ હાંક્યો.

ચીસો પાડતો તેતર પડાવમાં દોડ્યો ગયો, અને બરાબર જ્યાં માતા જોમબાઇ પોતાના ઇષ્ટદેવ માંડવરાજની પ્રભાતપૂજા કરે છે. ત્યાં જ પહોંચી દેવમૂર્તિનિા બાજઠની નીચે લપાઇ ગયો. મા જોમબાઇએ કિકયાટા સાંભળ્યા ને આંહી શરણાગત તેતરના શરીરમાંથી રુધિર ટપકતું દીઠું. પ્રભૂજાપની માળા પડતી મુકીને એમણે બાજઠ હેઠળથી હળવે હાથે તેતરને ઝાલી લીધો. એ લોહીતરબોળ પંખીને હૈયાસરસું ચાંપીને પંપાળવા માંડ્યું.

માની ગોદમાં છોકરું લપાય તેમ તેતર એ શરણ દેનારીના હૈયામાં લપાઇ ગયો. મા તેતરને પંપાળતાં પંપાળતાં કહેવા લાગ્યાં કેઃ “બી મા, મારા બાપ! હવે આંહીં મારે હૈયે ચડ્યા પછી તને બીક કોની છે? થરથર મા હવે, આ તો રજપૂતાણીનો ખોળો છે, મારા બચ્ચા!”

ત્યાં તો બહાર ઝાંપે ધકબક બોલી રહી. ચભાડોનાં ઘોડાં હમચી ખૂંદતાં હતાં અને ચભાડો ચાસકેચાસકા કરતા હતાઃ “આંહીં ગયો. એલા, અમારો ચોર કાઢી આપો. કોના છે આ ઉચાળા?”

સોઢાઓ બધા પોતપોતાના ડેરામાંથી બહાર નીકળ્યાં. પૂછવા લાગ્યાઃ “કોણ છો તમે સહુ, માડુ? આટલા બધા રીડિયા શીદ કરો છો? આંહીં બચરવાળોના ઉચાળા છે એટલું તો ધ્યાન રાખો, ભાઇઓ!”

“અમારો ચોર કાઢી આપો જલદી. ચોરી ઉપર શિરજોરી કરો મા.” ચભાડોએ તોછડાઇ માંડી.

“કોણ તમારો ચોર?”

“અમારો શિકારઃ જખમી તેતર.”

સોઢાઓમાં હસાહસ ચાલીઃ “વાહ! રંગ છે તમને! એક તેતર સારુ આટલી બહાદુરી!”

ત્યાં તો ઝાંપે જોમબાઇ દેખાણાં. ગોદમાં તેતર છે. પડછંદ રજપૂતાણીએ પ્રતાપભેર પૂછ્યુંઃ “શું છે, બાપ?”

“ઇ જ! ઇ જ અમારો ચોર! ઇ જ તેતર! લાવો પાછો.”

“તેતર પાછો અપાય કાંઇ? એ તો મારો શરણાગત ઠર્યો, ભાઇ! વળી એ તો મારા ઠાકરના બાજઠ હેઠળ બેઠેલ હતો. એ ભગવાનનો શરણાગત મારાથી પાછો કેમ અપાય?”

શરણ ગયો સોંપે નહિ, રજપૂતાંરી રીત;

મરે તોય મેલે નહિ, ખત્રી હોય ખચીત.

“અને પાછા તમે તો બધા રજપૂત લાગો છો, બચ્ચાઓ!”

“હા, એમ ચભાડો છીએ.”

“ત્યારે હું તમને શું શીખવું? શરણે આવેલાને રજપૂત ન સોંપી દે, એટલુંય શું તમારી જનેતાએ તમને ધાવણમાં નથી પાયું, બાપ?”

ચભાડો કોપ્યાઃ “કહીને મા જોમબાઇએ તેતરને છાતીએ દાબ્યો, તેતરના માથા પર હાથ પંપાળ્યો.

“તો અમે તમારા લબચા ફેંકી નાખશું. આંહીં પરદેશની માટી ઉપર તમે ભૂંડાં લાગશઓ.”

જોમબાઇએ કહ્યુંઃ “શીદ ઠાલા ઝેર વાવો છો? અમને પરદેશીઓને શા સારુ સંતાપો છો? કહો તો મારાં ઘેટાં આપું, ગાય-ભેંસ દઉં, પણ શરણાગત કેમ સોંપ્યો જાય મારાથી?”

ચભાડો તો કજિયો જોઇતો હતો. બહાનું જડી ગયું. સમશેરો ખેંચાઇ. એ મામલો દેખીને માતાએ જુવાન બેટા મૂંજાજીને પડકાર્યોઃ

મૂંજાને માતા કહે, સુણ સોઢાના શામ;

દળમાં બળ દાખો હવે, કરો ભલેરાં કામ.

મૂંજા તેતર માહરો, માગે દૂજણ સાર;

ગર્વ ભર્યા ગુરજરધણી, આપે નહિ અણવાર.

“બેટા, એક ચકલ્યું છે, તોપણ એ આપણું શરણાગત ઠર્યું. આજ આપણે મર્યા-માર્યા વગર છૂટકો નથીઃ ભલે આજ ચભાડો પારકરા પરમારની રાજપૂતી જોતા જાય.”

“વાહ, મારી જનની!” કહીને મૂંજોજી તેગ લઇને ઊઠ્યોઃ “હું તો પરમારને પેટ ધાવ્યો છું ના!”

ધ્રુવ ચળે મેરુ ડગે, ગમ મરડે ગિરનાર;

(તોય) મરડે ક્યમ મૂળીધણી, પગ પાછા પરમાર?

(ધ્રુવનો તારો ચળે, મેરુ પહાડ ડગમગે, ગિરનાર પોતાનું પડખું ફેરવે, તોપણ પરમાર પાછો પગ કેમ માંડે.)

પછી તો તે દિવસે -

સંવત ચૌદ ચુમોતરે, ૧ સોઢાનો સંગ્રામ;

રણઘેલે રતનાવતે, નવખંડ રાખ્યું નામ.

(સંવત ૧૪૭૪માં સોઢાએ સંગ્રામ જમાવ્યો. રણઘેલા રતનજીના પુત્રે નવેય ખંડમાં નામ રાખ્યું.)

વાર શનિચર શુદ પખે, ડાઢા પૂરજ ત્રીજ;

રણ બાંધે રતનાવતો, ધારણ મૂંજો ધીજ.

(ફાગણ મહિનાના શુક્‌લ પક્ષની ત્રીજ ને શનિવારના રોજ રતનજીના પુત્રે રણતોરણ બાંધ્યું.)

મા જુએ છે ને બેટો ઝૂજે છેઃ એવું કારમું ધીંગાણું મંડાઇ ગયું. ચભાડોમાં તીરભાલાં વરસ્યાં, પરમારોની ખાગોએ ખપ્પર ભર્યાં, અને દિવસ આથમતે તો -

પડ્યા ચભાડહ પાંચસેં, સોઢા વીસું સાત,

એક તેતરને કારણે, અળ રાખી અખિયાત.

(પાંચસો ચભાડો કપાઇ ગયા, સાત વીસું (૧૪૦) સોઢા કામ આવ્યા. એમ એક તેતરને કારણે સોઢા પરમારોએ પૃથ્વી પર પોતાની ઇજ્જત આબાદ રાખી.)

લખધીરજી તો તે વખતે વીસળદેવની ડેલીમાં ચોપાટ રમવામાં તલ્લીન હતા. એમને આ દગાની ખબર નહોતી. રાણીએ લખધીરજીને પણ તે જ દિવસે ત્યાં ને ત્યાં ટૂંકાં કરવાનું કાવતરું રચેલું. સાંજ પડી એટલે વીસળદેવને રાણીએ બોલાવી લીધા; કહ્યું કે “હવે આંહી બેસો.”!!!!!!!!!!!!!!!

“પણ મહેમાન એકલા બેઠા છે.”

“મહેમાનને એકલા નહિ રાખું; હમણાં એના ભાઇયુંની હારે જ સરગાપુરીનો સાથ પકડાવી દઇશ.”

“રાણી, આ શું બોલો છો?”

“ઠીક બોલું છું. એ વાઘરાની દીકરી હારે તમારે પરણવું છે, કાં?”

“તમે આ શી વાત કરો છો?”

“હું બધુંય જાણું છું, પણ આજ તો મારા ભાઇઓએ એ તમામને જમપુરીમાં પહોંચતા કર્યા હશે!”

વીસળદેવ બધો ભેદ સમજ્યોઃ દોડતો દોડતો ડેલીએ આવ્યો. લખધીરજીને કહે કે “ભાઇ, જલદી ભાગ. તારે માથે આફત છે, ફરી આંહીં આવીશ મા!”

ઝબ દઇને લખધીરજી ઘોડી ઉપર પલાણ્યો; પણ ગઢ વળોટવા જાય ત્યાં તો રાણીના કાવતરાબાજો આડા ફર્યા.

“મને કોઇ રીતે જાવા દ્યો?”

“ખુશીથી, પણ દરવાજે. આંહીં બજારમાં હું ગરસિયો ઊઠીને ભોંયે ચાલીશ તો મારી આબરૂ જાશે.”

દરવાજે પહોંચીને જ્યાં હાંસલીના ડેબામાં પગની એડી મારી, ત્યાં હાંસલી ઊડીને એક નાડાવા જઇ ઊભી, લખધીરજી બોલ્યો કે “લ્યો બા, રામરામ! રજપૂતનાં ઘોડાં ને ડોકાં બેય એકસાથે જ લેવાય એટલી વાત હવેથી ભૂલશો નહિ.”

હાંસલીને જાણે પાંખો આવી; ઘણુંય દોડવા જાય, પણ શું કરે? પગમાંથી લોઢાની નેવળ કાઢતાં લખધીરજી ભૂલી ગયો હતો, પાછળ વઢવાણની વાર હતી એટલે ઊતરીને નેવળ છોડાય તેમ નહોતું.

પછી તો હાંસલીને છલંગો મારવાનું જ રહ્યું. હાંસલી ધરતી ઉપર ચાલે તે કરતાં ત્રણગણું તો હવામાં ઊડવા લાગી. એમ કરતાં રસ્તામાં અઢાર-વીસ હાથનો એક વૉંકળો આવ્યો. પાણી ભરપૂર હતું. જે ઘડીએ હાંસલી ટપીને બીજે કાંઠે પહોંચી તે ઘડી નેવળ તૂટી ગઇ. ૧

રસ્તામાં લખધીરજીને ફાળ પડી ગઇ હતી. મુકામ ઉપર આવીને જુએ, તો મા મૂંજાજીના શબનું માથું ખોળામાં લઇને બેઠાં હતાં. એક તેતરને કારણે મૂંજો મરે, એ વાત સાંભળીને લખધીરજીને છાતી સવા વેંત ઊંચી ચડી.

માને કહે કે “મા, આજ રોવાનું ન હોય. આજ તો ધોળમંગળ ગાવાનો દિવસ છે, આજ તમારી કૂખ દીપાવીને મૂંજો સ્વર્ગે ગયો. જુઓ મા, જોયું મૂંજાનું મોં? હમણાં ઊઠીને તમને ઠપકો દેશે! આવું મૉત તો તમારા ચારેય દીકરાને માટે માગજો, માડી!”

“બાપ લખધીર, તારો બાર સ્વર્ગે સિધાવ્યા તે દી આ મૂંજો પેટમાં હતો, એટલે મારાથી એની સંગાથે જવાણું નહિ. આજ તારા બાપની ને મારી વચ્ચે વીસ-વીસ વરસનું છેટું પડી ગયું. હવે તો મૂંજાને સથવારે જ મને રાજી થઇને જાવા દે.”

ચેહ ખડકાવીને માતાજી દીકરાનું શબ લઇને સતી થયાં. આજ પણ એ જગ્યાએ જોમબાઇ માતાનો પાળિયો છે. આજ પણ જે બાઇને છાતીએ ધાવણ ન આવતું હોય તે આ પાળિયાને પોતાનું કાપડું અડાડી આવે તો ધાવણની શેડો છૂટે એવી લોકવાયકા છે.

મા અને ભાઇને સ્વર્ગે વળાવીને લખધીરજી શોકમાં નહોતો પડી ગયો. એણે એ ઠેકાણે ગામ બાંધ્યું. એક રબારણ રોજ દૂધ આપી જતી તેને લખધીરજીે બહેન કહેલી. એનું નામ મૂળી હતું. મૂળીની મમતાથી પરમારે ગામનું નામ મૂળી રાખ્યું. ૧ એ રીતે આજનું મૂળી સોઢા પરમારોની રાજધાની બન્યું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED