Sukhmay MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Sukhmay

SUKHMAY

An Adaptation by : Ashok N. Shah

Based on

From Here To Happiness

Written by

: Joel Marie Teutsch

Champion K. Teutsch, Ph.D.



સુખમય

– From Here To Happiness –


મૂળ લેખકો

જોએલ મેરી ટચ - ર્ત્નીઙ્મ સ્ટ્ઠિૈી ્‌ીેંજષ્ઠર

ડા. ચેમ્પીયન કે. ટચ - ઝ્રરટ્ઠદ્બર્ૈહ દ્ભ. ્‌ીેંજષ્ઠર, ઁર.ડ્ઢ.

ભાવાનુવાદક

અશોક ન. શાહ

મૂળ પુસ્તકની પ્રસ્તાવના-સંક્ષિપ્તમાં

પોતાની આસપાસના ભૌતિક વાતાવરણને લગતા મોટા ભાગના નિયમો

માનવે શોધી કાઢ્યા છે. તેણે અત્યંત સંકુલ યંત્રો, મહાકાય ઈમારતો ઉપરાંત ઈલેક્ટ્રીકલ

અને ઈલેક્ટ્રોનિક સાધનો, ઉપકરણો (ખ્તટ્ઠઙ્ઘખ્તીંજ) બનાવવાનું શીખી લીધું છે એટલું જ નહીં, તેમની કાર્યક્ષમતા, આયુષ્ય વગેરે અંગે પણ તે ઘણી ચોક્કસાઈપૂર્વક કહી શકે છે, કેમ જાણે તે પોતે રહે છે તે વિશ્વનો અધિષ્ઠાતા જ બની ગયો ના હોય!

વિજ્ઞાનની શોધખોળોને પરિણામે આપણું જીવન, મોટા ભાગે, આપણા અંકુશ હેઠળ આવી ગયું છે. અને કુદરતી બળો સામેની માનવીય લાચારી ઘણે અંશે ઘટાડી શકાઈ

છે. વાસ્તુશાસ્ત્ર (ટ્ઠષ્ઠિરૈીંષ્ઠેંિી) ના વિકાસ, સલામતી અંગેના નિયમો, સરકારી તપાસણી (ૈહજીષ્ઠર્ૈંહ) વગેરે વગેરેને કારણે આપણી ઈમારતો પડી જવાના કે આગ લાગવાના બનાવો દિવસે દિવસે ઘટતા જાય છે. બીજી બાજુ રેઈલગાડીઓ, સ્ટીમરો તેમજ હવાઈજહાજોને વગેરે સમયસર; અને અકસ્માતની પ્રમાણમાં એકદમ ઓછી આશંકા સાથે દેશ-વિદેશ વચ્ચે આવનજાવન કરે છે. આવા જ ફાયદા માનવોને આરોગ્યશાસ્ત્ર, કૃષિ, ખાધા-ખોરાકી વગેરે લગભગ બધા ક્ષેત્રોમાં થયા છે, એ હકીકત છે!

પ્રમાણમાં વણખેડાયેલ રહ્યા હોય તો તે છે માનવીય સંબંધો - વ્યક્તિગત, સામુદાયિક અને વૈશ્વિક! જો કે શિક્ષણ, મનોચિકિત્સાશાસ્ત્ર, વિજ્ઞાપનો, સામુહિક-

પ્રચાર-માધ્યમો વગેરેને કારણે, અમુક સુધારો થયો હોવા છતાં, માનવીય વર્તણૂંક બાબતમાં આગાહી કરવાનું મહદ્‌ અંશે અને હતાશાજનક રીતે અશક્ય જ રહ્યું છે.

આ અંગેના નિયમોના સંશોધનની ઘણી વ્યાપક અસર થઈ શકે. તેમની મદદ

વડે ઘણા અશક્ય મનાતા કોયડાઓ પણ ઉકેલી શકાય, જો તેમાં માનવજાત અને ભૌતિક પદાર્થ વચ્ચેનો સબંધ સ્થાપી શકાય, કારણ કે તેથી વ્યક્તિ, સમૂહ અને સમષ્ટિના સુખ, શાંતિ, સાફલ્ય અને સ્વાતંત્ર્ય સહજ બનાવી શકાય!

વધુ સ્પષ્ટતાપૂર્વક કહીએ તો, આ સઘળું આપણી ઔદ્યોગિક સંસ્થાઓ અને સરકારોને ખૂબ જ ઉપયોગી પૂરવાર થાય અને તે દ્વારા પુષ્કળ સમય, સંપત્તિ, માનવશક્તિ વગેરે વેડફાતા બચાવી શકાય, અને માનવજાતના ભવિષ્યને વધુ સફળ, સમૃદ્ધ, સલામત બનાવી શકાય!

અમારે મતે આ નિયમો દુનિયાના નિમ્નતમ સ્તરના અસ્તિત્વ જેવા -

દૃશ્યમાન, શ્રવણક્ષમ તેમ જ સ્પર્શી કે માપી શકાય તેવા - ભૌતિક વિશ્વમાંથી મળે તેમ

લાગતું નથી, કારણ એ જ કે ... નહીં તો તે ક્યારનાયે મળી ચૂક્યા હોત! લાગે છે એવું કે કમ સે કમ એમાંના અમુક અન્ય - એટલે કે અદૃશ્ય અને અતિવિશાળ એવા મનના સ્તરે કામ કરતા હોય!

આ માટેના સંપૂર્ણ કે આદર્શ સંશોધનાત્મક લેખ હોવાનો દાવો આ નાનું શું પુસ્તક કરી શકે તેમ નથી. કેટલાક પૂરવાર થઈ ચૂકેલા તથ્યોની મદદ વડે વૈવિધ્યપૂર્ણ અને અગાધ વૈશ્વિક પ્રયોગશાળામાં આગળ વધવા અમે ઉત્સુક છીએ અને તે માટે - અને ખાસ તો માનવજીવનમાં સુખનો સાક્ષાત્કાર કરાવવા માટે - કેટલીક વર્તણૂંકો વગેરેની, તેમને સુધારવા માટેના પગલાઓની ચર્ચા કરવાનો અમારો આ નમ્ર પ્રયાસ છે.

અમે એ બાબતમાં એકદમ સ્પષ્ટ છીએ કે કોઈ એક વ્યક્તિ કોઈ પણ

‘‘વિચાર’’ની માલિકીનો દાવો કરી શકે નહીં કારણ કે આપણાં પૂર્વજોનો એ અંગેનો ફાળો પાયાની ઈંટ જેવો અમૂલ્ય હોય છે. આ પુસ્તકમાં સંગ્રહિત જ્ઞાન તરફ મારી પ્રિય

પત્ની તેમજ શિક્ષક જોએલ મેરી ટચ(ર્ત્નીઙ્મ સ્ટ્ઠિૈી ્‌ીેંજષ્ઠર)એ મારું ધ્યાન દોરેલું તેથી આ પુસ્તકની ખરી લેખક હું તેને માનુ છું.

ડૉ. સી. કે. ટચ

“હ્લર્િદ્બ ૐીિી ર્‌ ૐટ્ઠૈહીજજ” હ્વઅ સ્જિ. ત્ન. સ્. ્‌ીેંજષ્ઠર ટ્ઠહઙ્ઘ ડ્ઢિ. ઝ્ર.દ્ભ.

્‌ીેંજષ્ઠર-ઁેહ્વઙ્મૈજરીઙ્ઘ ૈહ ૈંહઙ્ઘૈટ્ઠ, ૈહ ૧૯૭૧, હ્વઅ જીર્રટ્ઠૈહ્વ શ્ જીેહઙ્ઘીિ ઁેહ્વઙ્મૈજરીજિ-ર્મ્દ્બહ્વટ્ઠઅ.

અનુવાદકનું નિવેદન

આશરે પાંત્રીસ વર્ષ પહેલાની વાત છે. રોજની જેમ સામાન્ય રીતે ઉગેલો એ દિવસ અચાનક મારા માટે સીમાચિન્હ સમો બની રહ્યો!

વાત એમ બની કે મારા એક સહકાર્યકરે મને એવી માહિતી આપી કે એક અગ્રગણ્ય અંગ્રેજી અઠવાડિકમાં ‘હ્લર્િદ્બ ૐીિી ર્‌ ૐટ્ઠૈહીજજ’ નામના પુસ્તકની જાહેરખબર છે અને પ્રકાશકનો દાવો છે કે આ પુસ્તક તમારું જીવન હંમેશ માટે બદલી નાંખશે અને પ્રકાશક આ અંગે એટલા નિઃસંદેહ છે કે પુસ્તક નાપસંદ પડતા દસ દિવસની અંદર પાછું કરનારને તે પૂરી કિંમત પરત કરવાની ખાતરી આપે છે!

પુસ્તક આવ્યું. તે પાછું કરવું હોય તો ફરી કિંમત પાછી મેળવી લેવાના ઈરાદે એકવાર ઉતાવળે જોઈ ગયો. લગભગ એંશી પાનાના આ પુસ્તકનું ખરું મૂલ્ય

ત્યારે સમજાયું નહીં, પરંતુ એમ જરૂર થયું કે સમય મળ્યે તે નિરાંતે ફરી વાચી જવા જેવું છે અને ફક્ત કિંમત પાછી મેળવવા પરત કરી દેવા જેવું ‘નકામું’ તો તે નથી જ!

અન્ય રોકાણોને કારણે, બીજી વારના નિરાંતના વાંચન માટે એને તરત હાથમાં લઈ શકાયું નહીં. આમ છતાં, ફક્ત એક જ વારના વાંચન દરમ્યાન તેણે મારા ઉપર જે જાદુઈ અસર કરી હતી તે દેખાતા બહુ વાર ના લાગી! જાણે કોઈ સંબંધી, કોઈ

મિત્ર વાત કરતા હોય પોતાના અનુભવની! પહેલા પ્રસંગ કહે અને પછી જણાવે તેની પાછળના કારણ વિશે! તાળો મળે ‘હ્લર્િદ્બ ૐીિી ર્‌ ૐટ્ઠૈહીજજ’ માંથી! કોઈ

અનિચ્છનીય બનાવ બને અને તેનો ઉપાય શોધવા જાઉં, તો જવાબ મળે ‘હ્લર્િદ્બ ૐીિી ર્‌ ૐટ્ઠૈહીજજ’ માંથી! થોડા વખતમાં તો જાણે મને તેનું ‘ઘેલું’ જ લાગ્યું. કેમ

જાણે સર્વ સુખોના કારણ અને સર્વ દુઃખોના મારણની ચાવી એમાં જ રહેલી ના હોય!

બીજી વારના વાંચન પછી મને એ પુસ્તક તેના વજનના ભારોભાર સોના કરતાં પણ અદકું મૂલ્યવાન લાગ્યું. મને થયું, જો આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ થઈ

શકે તો અંગ્રેજી ના વાંચી શકતા આપણા ભાઈ-બહેનો તે વાંચી શકે અને તેમાંના સૂચનોના થોડા અંશ પણ જીવનમાં ઉતારી શકે તો શક્યતઃ સંસારમાં સદેહે સ્વર્ગ ઉતરી આવે!

(દૃ)

પ્રથમ અનુવાદ લગભગ શબ્દશઃ કર્યો કારણ કે, એક શોધ-નિબંધની માફક થોડી દુર્બોધ ભાષામાં હોવા છતાં, મારે મન એનો શબ્દેશબ્દ અમૂલ્ય હતો.

કમનસીબે, આશરે ૧૫૦ પાનામાં લખાયેલ એ અનુવાદનું પ્રકાશન થઈ

શક્યું નહીં. વરસોના વહાણાં વહી જવા છતાં એ પુસ્તકનો જાદુ મારા જીવનમાંથી હજુ આજેય ઓસર્યો નથી. ખાસ તો એ કારણે કે અનુવાદ કરતી વખતના એના ફરી ફરી થયેલ વાંચન-લેખનની અસરે જાણે મારા જીવનને ઉપર-તળે જ કરી દીધું. મને એમ લાગે છે કે આટલો સુખી હું અગાઉ ક્યારેય નો’તો, અને હજુયે વધુ ને વધુ સુખી થઈ રહ્યો છું, ફક્ત આ પુસ્તકને કારણે!

પરિણામ-સ્વરૂપ સંક્ષિપ્ત ભાવાનુવાદ આપના હાથમાં છે, જે ભલે આંશિક રીતે ફક્ત થોડાક જ લોકોના જીવનમાં સુખની ઝાંખી પણ કરાવી શકશે, તો મને ખૂબ આનંદ થશે!

ફોન : (૦૨૨) ૨૬૨૪૨૬૪૩

અશોક ન. શાહ

ભાગ - ૧

મન

કાયદાના અજ્ઞાનને કારણે થતો ગુનો અદાલતમાં માફીને પાત્ર ઠરતો નથી.

આ વાત કુદરતના કાનુનોને પણ એટલી જ લાગુ પડે છે. તો બીજી બાજુ નિયમોને અને કાર્યોને બરાબર સમજી લઈને આપણે રોજબરોજના જીવનમાં ઉપયોગી કેટલાયે સાધનો, ઉપકરણો બનાવી શક્યા છીએ, એ આપણે સહુ જાણીએ છીએ.

બરાબર આ વાત શબ્દશઃ આપણાં મનને લાગુ પડે છે અને મનોવિજ્ઞાનના નિયમોને અનુરૂપ જીવન જીવી શકાય તો સુખ, સાફલ્ય તથા સમૃદ્ધિ સહજ બની જાય

એ કોઈ પણ પ્રકારના થાક વગરની વાત છે!

મન અને મગજ વચ્ચેનો તફાવત આપણે સહુ જાણીએ છીએ. મગજ હકીકતમાં આપણાં શરીરનું એક અંગ છે, જ્યારે મનનું એવું નથી! અગાઉ એક વખત એવું

મનાતું હતું કે મનની ‘બેઠક’ મગજમાં છે અને મગજ વગર મન કાંઈ પણ કરી શકવાને અસમર્થ છે. પરંતુ, હવે એ પૂરવાર થઈ ચૂક્યું છે કે મન પોતે એક અદૃશ્ય-નિયમન કેન્દ્ર

છે અને મગજ તેનું ભૌતિક પ્રતિનિધિ માત્ર છે!

લોસ એન્જલસની માઉન્ટ સિનાઈ હોસ્પિટલના સાઈક્રીઆટ્રીક અને સાઈકોસોમેટિક ઈન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ડા. ફ્રાન્ઝ એલેકઝાન્ડરે કહ્યું છે તેમ આપણું મન શરીર ઉપર વર્ચસ્વ ધરાવે છે અને આપણા શરીરમાંના ફેરફારો ઘણી વાર આપણી

લાગણીઓ સાથે સંકળાયેલા હોય છે, જેમ કે બીકથી હૃદયના ધબકારા વધી જાય છે તેમ

જ ગુસ્સાથી હૃદયની ગતિ ઝડપી થઈ જાય છે અને લોહીનું દબાણ વધી જાય છે.

આપણાં વિચારો, માન્યતાઓ અને કાર્યોને લાગણીઓ ચોક્કસ સ્વરૂપ આપે છે. લાગણીઓની આ જ પ્રધાન અસર છે. લાગણીઓથી જે શારીરિક ફેરફારો થાય છે તે તો તેમની ગૌણ અસર માત્ર છે. આમ છતાં, બાહ્ય અને આંતરિક રીતે નોંધપાત્ર આ શારીરિક ફેરફારો, વળી પાછા આપણાં લાગણીતંત્ર ઉપર પ્રત્યાઘાત પાડે છે. જેથી પેલા શારીરિક ફેરફારો વધુ તીવ્ર બને છે!

જાણીબૂઝીને અપનાવાયેલી અથવા તો સમજાવટ, સૂચન કે પછી અનુભવની અસર તળે અર્ધજાગૃતપણે અપનાવાયેલી માન્યતાઓ વડે પણ અસાધારણ શારીરિક પરિણામ આવી શકે છે. જેમ કે, મનોચિકિત્સા વડે મસા ુટ્ઠિંજ નાબૂદ થઈ શકે છે તેમજ દાઝવાને કારણે થયેલાં ફોલ્લાં મટાડી શકાય છે. મેદ, બુદ્ધિભ્રમ વગેરેનો ઉપચાર થઈ શકે છે અને દારૂ કે એવાં અન્ય વ્યસનો પણ છોડાવી શકાય છે!

આમ, આપણું મન એક ખૂબ જ શક્તિશાળી સાધન છે અને આપણી

માન્યતાને અનુરૂપ પરિણામ લાવી આપવા પૂરેપરું સક્ષમ છે!

વ્યક્તિગત ચેતના

શરીર ઉપર સત્તા ચલાવવા મન મગજનો પોતાના પ્રતિનિધી તરીકે ઉપયોગ કરે છે. મનની એ શક્તિને આપણે મગજ મારફત મેળવીએ છીએ. જે ઘડીએ જે જે જાણકારીની મગજને જરૂર હોય, તે મન દ્વારા પૂરી પાડવામાં આવે છે.

ઠંડા પ્રદેશોમાંના સમુદ્રમાં તરતી હિમશીલાની ટોચની જેમ આપણાં વ્યક્તિત્વના સભાન સ્તરમાં આપણી કુલ જાણકારીમાંનું ફક્ત થોડુંક જ જ્ઞાન રહેલું હોય છે. જ્યારે આપણે અગાઉ ક્યારેય જાણ્યું, માણ્યું, અનુભવ્યું કે વિચાર્યું હોય તેવું બાકીનું જ્ઞાન તેના અર્ધચેતન સ્તરમાં પડ્યું હોય છે!

જેને આપણે મન કહીએ છીએ તેને એક અચેત સ્તર પણ હોય છે. જેમાં આપણાં વ્યક્તિગત અનુભવની બહારનું સંપૂર્ણ જ્ઞાન પડ્યું હોય છે. સોંપાયેલું કામ

જ્યારે તે બરાબર થઈ જાય એટલે આપણા વિકાસ માટે જરૂરી એવી નવી પ્રવૃત્તિઓ તરફ મન આપણા મગજને દોરે છે. જેમ કે, ચાલવાનું બરાબર શીખી રહ્યા બાદ દોડી શકવાની શક્યતાનું ભાન બાળકને થાય છે!

આપણાં અર્ધચેતન વ્યક્તિત્વને કારણે આપણો ભૂતકાળ હંમેશા આપણી સાથે રહે છે. આપણું વર્તમાન તેમાં સતત સુધારાવધારા કર્યા કરે છે અને તે દ્વારા આપણાં ભાવિનું ઘડતર કરે છે!

મનના અર્ધચેતન અને અચેત અંશો આપણાં વિચાર અને વર્તન ઉપર સતત અસર કર્યા કરતાં હોય છે. આપણા સચેત અંશ સાથેની આંતરક્રિયાથી આપણી ચેતના-એટલે કે આપણી માન્યતાઓ, વલણો, લાગણીઓ, વિચારો, કાર્યો, ખ્યાલો અને અનુભવોનો સરવાળો-સમુચ્ચય ઘડાય છે; અને વારે વારે થતાં પુનરાવર્તન દ્વારા સતત રીતે અર્ધચેતનમાં અને તેમાંથી અનહદ્‌ અચેતમાં તે ઉતરતી રહે છે!

મનનું, બીજું અગત્યનું કાર્ય વિચારના મોજાં મોકલવા, મેળવવાનું પણ છે!

એ પૂરવાર થઈ ચૂકેલી હકીકત છે કે વિચાર સ્વયં એક શક્તિ છે. રેડિયો કાર્યક્રમોનું

પ્રસારણ કરતાં મહાકાય કેન્દ્રના અને મનના કાર્ય વચ્ચે ફક્ત પરિમાણોનો જ તફાવત હોય છે, છતાં હકીકતમાં મન વધુ શક્તિશાળી છે એમ કહેવું જ પડે કારણ કે પ્રથમ

કોઈના મનમાં જન્મ લીધા પછી જ રેડિયો સ્ટેશનનું નિર્માણ શક્ય બન્યું હોય છે ને!

વિચારો ભેગાં મળીને વ્યક્તિગત માન્યતારૂપી ભાત ગૂંથે છે, જે આપણી અર્ધચેતના ઉપર છવાઈ જાય છે અને પછી તે આપણાં કાર્યો, વલણો, અનુભવો અને વાતાવરણ સમેત સંપૂર્ણ જીવન ઉપર સ્પષ્ટપણે અનુભવી શકાય એવી રીતે હકૂમત

ચલાવે છે! આ ભાત જો વિધેયાત્મક ર્ઁજૈૈંદૃી હોય તો સફળતા, આરોગ્ય, સુખ

વગેરે સહજ બની જાય છે, પણ જો એ ભાત નિષેધાત્મક હીખ્તટ્ઠૈંદૃી કે વિકૃત હોય તો પરિણામ અનિષ્ટ આવે છે. જો કે સાધારણ રીતે આપણે સહુ સારી અને નરસી બંને

પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થતાં હોઈએ છીએ અને એટલે જ આપણી સભાનતા આ બંને તત્ત્વોને આપણાં એકદમ આગવા સ્વભાવ તરીકે વણી લે છે!

કોઈ બીજા વિશે ખરાબ વિચારવાથી કે બોલવાથી તેની બૂરી અસર આપણને જ થાય છે કારણ કે આપણી અર્ધચેતનાને શબ્દોના સંયોજન સાથે, કે પછી તે કોના માટે વપરાયા છે તે સાથે ખાસ નિસ્બત હોતી નથી! એકદમ જ તટસ્થતાપૂર્વક તે એ બધા શબ્દોને નોંધી લે છે અને પછી આપણાં જીવનમાં એમને પ્રતિબિંબિત કરે છે!

આમ છતાં, ફક્ત વિચારવાથી જીવનને બદલી શકાતું નથી. લાંબા સમય

સુધી એકધારા પ્રયત્ન કરવાથી સાધી શકાય તેવી ઊંચા પ્રકારની માનસિક સ્થિતિ એ

માટે અત્યંત જરૂરી બને છે! એક પણ રૂપિયો કમાયા કે મેળવ્યા વગર આપણી જાતને કરોડપતિ માનીએ તો પણ એથી કોઈ અર્થ સરતો નથી. તો બીજી બાજુ, અઢળક સંપત્તિ વારસામાં કે અન્યથા મળે તો પણ દરિદ્ર મનનો માનવી, મોટા ભાગે એને સાચવી શકતો નથી કારણ કે એ માટે તેની સભાનતા કેળવાઈ નથી હોતી!

સંભાળપૂર્વકના અને સમકેન્દ્રી સૂચનોની સાથે વ્યક્તિને નવા વાતાવરણમાં

મૂકીને તેની સભાનતા બદલાવી શકાય છે! કુમળી વયની વ્યક્તિને આ વાત સવિશેષપણે

લાગુ પડે છે. રોજબરોજના માહિતી મેળવવાના સાધનો જેવા કે વર્તમાનપત્રો, ટેલિવિઝન કે પછી જુદી જુદી માન્યતા ધરાવતા લોકો સાથેના સમાગમ દ્વારા મળતાં આછા આછા સૂચનો પણ ઘણી વાર ખૂબ જ મદદકર્તા થઈ પડે છે! તો બીજી બાજુ, જો નિર્દોષ માનસ પણ ખરાબ સોબત, કુસંસ્કાર કે નકારાત્મક અનુભવોના કુંડાળામાં ફસાઈ જાય તો તે પણ દૂષિત થઈ જાય છે!

આ ઉપરથી એ પૂરવાર થાય છે કે યોગ્ય સૂચનોની મદદ વડે ઈચ્છીત પરિણામ

લાવી શકાય છે, તો બીજી બાજુ ઘરમાં, શાળામાં કે પછી ઉદ્યોગ-ધંધામાં ટીકાત્મક, નકારાત્મક શબ્દો મોટે ભાગે ગુનાહિત સભાનતા પેદા કરે છે. જેથી ભૂલોના પ્રમાણમાં ઘટાડો થવાને બદલે ઉત્તરોત્તર વધારો થતો રહે છે!

સામૂહિક ચેતના

અત્યાર સુધી આપણે મુખ્યત્વે વ્યક્તિગત ચેતનાની વાત કરી. આ જ વિચારોને સામૂહિક ધોરણે લાગુ પાડીને આપણાં માનસને લગતાં અગત્યના નિયમો વિશે ઘણું જાણી શકાય.

કોઈ એક કુટુંબના સભ્યોના દેખાવ, સ્વભાવ વગેરે અલગ-અલગ લાગતાં હોય તો પણ એ દરેકની ચેતનાના મૂળભૂત લક્ષણો સરખાં જ રહેવાનાં! એ લક્ષણોની ભાત જો સંવાદ અને પ્રેમની હોય તો, તેમને અને તેમના સંસંર્ગમાં આવતાં બધાંને ફાયદો થાય છે. પરંતુ જો એ ભાત કુસંપ કે અવિશ્વાસની હોય તો કંકાસ તથા ઉદ્વેગ; અથવા તો દારિદ્રની હોય તો આર્થિક મુસીબતો અનિવાર્ય બની જાય છે!

હવે, સંજોગવશાત્‌ જો એ કુટુંબનો એકાદ સભ્ય વ્યક્તિગત રીતે નવા સંબંધ

બાંધે, મુસાફરી કરે કે બીજે રહેવા જાય તો સમય જતાં તેની ચેતનામાં અનિવાર્યપણે ફેરફાર થાય અને શક્યતઃ તે કુટુંબના બીજા સભ્યોથી માનસિક રીતે અલગ થઈ જાય

એ શક્ય છે!

બીજી બાજુ પોતાના કરતાં જુદા પ્રકારની ચેતનાવાળા કુટુંબમાં પરણતી વ્યક્તિ, તેમને યોગ્ય થવા સભાન પ્રયત્ન કરે નહીં તો, કાયમી સુમેળ મુશ્કેલ બની રહે છે!

એકબીજાને સમાવી લેવાની ચેતના બંને પક્ષે હશે તો વખત જતાં તે વ્યક્તિની અમુક

ચેતનાને નવું કુટુંબ અપનાવી લે છે અને એ કુટુંબની અમુક ચેતનાને તે વ્યક્તિ આત્મસાત્‌

કરી લે છે!

વર્ષો પછી વતન પાછા ફરતાં માણસને ઘણી વાર એવું લાગતું હોય કે પોતાના એક વખતના જીગરજાન મિત્રો અને પોતાની વચ્ચે કોઈ સમાનતા બાકી રહી નથી, તો તેનું મુખ્ય કારણ એ હોય છે કે તેમની સભાનતાઓ વચ્ચે ખૂબ જ મોટું અંતર પડી ગયું હોય છે!

ઔદ્યોગિક સંસ્થાઓમાં પ્રમુખ વ્યક્તિની સભાનતા ખૂબ અગત્યની હોય

છે અને જાણે અજાણ્યે પણ તે પોતાની સભાનતાને સુસંગત વ્યક્તિઓની જ વરણી કરે છે!

મારામારી અને ગુનાખોરીને લગતાં સમાચારો અને ચિત્રપટો, એ પ્રકારના બનાવોને લગતી લોકોની સભાનતાને વધુ દૃઢ કરે છે. અને પરિણામે ગુનાઓનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું જાય છે! આવા ગુનાઓ માટેની લોકોની પ્રગાઢ સભાનતાને કારણે ઘણી વાર, નહીંવત્‌ તોફાની વલણ ધરાવતી વ્યક્તિ પણ કોઈ ગુહ્ય બળ વડે દોરાતી હોય તેમ ગુનો કરવા પ્રેરાય છે!

શરૂ થયેલા વર્તુળને પૂરું કરીને જ પ્રાયઃ, અર્ધચેતન મન જંપે છે અને ધારણાને પૂરી કરવા તે ગમે તે હદે જઈ શકે છે! આમ છતાં, વ્યક્તિએ ધાર્યું હોય તેમ જ બનાવ બને તેવું નથી હોતું. તે બીજી કોઈ રીતે બને તે પણ શક્ય છે! પોતે જેનાથી અજાણતાં પણ સભાન બન્યું હોય તે વાત-વસ્તુને મન કોઈ કોઈ વાર આશ્ચર્યજનક રીતે ખરી કરી બતાવે છે!

તાબેદારી કરવાની અર્ધચેતના ધરાવતો પુરુષ હકૂમત ચલાવવાની વૃત્તિવાળી

સ્ત્રીને, અને શરમાળ પ્રકૃત્તિની સ્ત્રી વાચાળ પુરુષને પસંદ કરે છે, તો ઘણી વાર ઈર્ષાળુ

સ્ત્રી કે પુરુષને એવું પાત્ર મળી જાય છે કે જે ઈર્ષા કરવા માટે તેને વધુ ને વધુ કારણો આપે!

ચેતનાની પ્રબળ અસરથી સાવ જ મુક્ત હોવું લગભગ અશક્ય છે! બીજાઓની સુષુપ્ત ધારણાઓને અનિવાર્ય રીતે વશ વર્તવાના પરિણામ, ઘણી વાર આખા પરિવાર કે તેથી મોટા સમૂહોના જીવનમાં દૂરગામી અસરો લાવે છે!

વિશ્વવ્યાપી ચેતના

વિચારના મોજાંઓને અંતર કે સમયના બંધન નડતાં નથી. દુનિયાના જુદા જુદા ભાગોમાં થયેલાં ટેલીપથીના પ્રયોગોએ એ પૂરવાર કર્યું છે કે જાડામાં જાડી દિવાલ

પણ વિચારની ગતિને રૂંધી શકતી નથી!

‘્‌રૈજ ુીીા દ્બટ્ઠખ્તટ્ઠડૈહી’ માં શ્રી જેક હેરિસન પોલાકે જે લખ્યું હતું તેનાથી આપણી વાતને સમર્થન મળે છે. તેમના કહેવા મુજબ, હોલેન્ડની યુટ્રેક્ટ યુનિવર્સિટીના ડા. રેન હેફ વગેરે છેક ૧૯૫૦ની સાલથી ગુમ થયેલાં બાળકો, વસ્તુઓ, ગુનેગારો વગેરેને ટેલીપથીની મદદથી શોધી કાઢે છે. તેમના કેટલાંક સાથીઓ ભૂતકાળમાં બનેલા બનાવો કે ભવિષ્યમાં બનનાર બનાવોને પણ જોઈ શકે છે. તેમજ જેને પોતે કદી મળ્યાં ના હોય એવી વ્યક્તિએ વાપરેલી એકાદ વસ્તુને ફક્ત સ્પર્શ કરીને તે વ્યક્તિ વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકે છે!

સાંભળવાના કે જોવાના કોઈ પણ સાધનની મદદ વગર ફક્ત અંતઃસ્ફુરણાથી, દુનિયાને બીજે છેડે રહેતા સ્વજનના મૃત્યુના એંધાણ મળી જતાં હોવાના જે અનેક બનાવ વિશે આપણે ઘણી વાર સાંભળીએ છીએ તે પણ હકીકતમાં આ જ વાતની પુષ્ટિ કરે છે.

માણસની ચેતનાની કૂતરા વિગેરે ઉપરની અસર જાણીતી છે. પોતાના માલિકને શોધી કાઢવા આ પ્રાણીઓએ ઘણી લાંબી મુસાફરી ખેડી હોય તેવાં કિસ્સા આપણે વર્તમાનપત્રોમાં અવારનવાર ક્યાં નથી વાંચતાં!

આ બધા ઉપરથી હવે એ સ્પષ્ટ થઈ જવું જોઈએ કે ફુગાવા, રોગચાળા, બેરોજગારી અને અકસ્માતને લગતી આગાહીઓ કેમ સાચી પડતી હોય છે! વધતી ગરીબી વિશેની લોકોની માન્યતા પણ, આ કારણે સરકારના પ્રયાસોને નિષ્ફળ બનાવી શકે છે અને આર્થિક મુસીબતોની આશંકા માત્ર બજારોમાં ભાવ-ઘટાડા અને મંદીનું વાતાવરણ સર્જી શકે છે!

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પણ ચેતના બહુ અગત્યનો ભાગ ભજવતી હોય છે કારણ કે, વ્યક્તિગત, સામુહિક અને સાર્વત્રિક એમ દરેક ક્ષેત્રે ચેતના સતત કાર્યરત હોય છે!

દુનિયા આખીની સભાનતા ઉપર યુદ્ધો, રોગચાળા, દારિદ્રય, ભૂખમરા વગેરેની જે છાયા આજે દેખાય છે તે, હકીકતમાં આપણાંમાંના મોટા ભાગના લોકોની

પ્રકૃત્તિમાં જડ ઘાલી ગયેલ સર્વતોમુખી નકારાત્મકતાને આભારી છે!

ચેતના અને યાંત્રિક ક્રિયા

ચેતના, હકીકતમાં લોકોને અને પ્રાણીઓને જ નહીં, પરંતુ જડ પદાર્થોને પણ અસર કરે છે. સમાન વિદ્યુત-ભૌતિક પ્રકૃતિ હોવાને કારણે એક અર્થમાં ચેતના અને પદાર્થ અંતે એક-સમાન છે. ગઠિત ચેતના હોવાને કારણે પદાર્થમાં પણ, કે ખરું જોતાં તો પદાર્થ પોતે જ, જ્ઞાન છે!

ડ્યુક યુનિવર્સિટીની પરામનોવિજ્ઞાન વિષયક પ્રયોગશાળામાં ડા. રહાઈને એ પૂરવાર કરી આપ્યું હતું કે આપણું મન પદાર્થ ઉપર ભૌતિક કહી શકાય એવી અસર કરી શકે છે! અમુક નિશ્ચિત પરિણામો ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને નંખાયેલા પાસાં કે સિક્કા ઘણી વખત ધાર્યું પરિણામ લઈ આવતાં હોય છે!

સભાનતા નિર્જીવ વસ્તુઓને પણ અસર કરે છે એ બાબતનો એક પૂરાવો એ પણ છે કે કારખાનામાંથી બહાર આવે ત્યારે એકદમ સરખી મોટર-ગાડીઓમાં થોડા જ વપરાશ બાદ તેમના અલગ અલગ માલિકોની ચેતના દેખાવા લાગે છે!

એક જ સરખો પોષાક પણ શોખથી પહેરનારના શરીર ઉપર શોભી ઉઠે છે, જ્યારે ક-મને પહેરનારના શરીર ઉપર ડૂચા જેવો લાગે છે. બીજી બાજુ, પોતાની વસ્તુઓના વખાણ કરનાર વ્યક્તિની વસ્તુઓ લાંબા સમય સુધી સુંદર અને નવા જેવી રહે છે.

પોતાના ભાવિ કાર્યક્રમની અદ્‌ભુત સિદ્ધિઓ વિશે પોતાની તેમ જ દુનિયાભરના લોકોની અપેક્ષા જગાડનાર કંપની કે રાષ્ટ્રની તરફેણમાં, ઘણી વાર એક ૭

એવી શક્તિ કામ કરતી થાય છે જે બધી જ ઈજનેરી જાણકારી અને અઢળક સંપત્તિ કરતાં પણ વધુ મહત્ત્વની પૂરવાર થઈ શકે છે!

વહીવટ, સંશોધન, આયોજન, ડિઝાઈન, બનાવટ વગેરે વગેરે દરેક કાર્ય સાથે જોડાયેલ એક એક વલણની અસર અંતિમ પરિણામ ઉપર પડે છે અને સંપૂર્ણ એકમતિ અને માનસિક સુમેળ વગરની સારામાં સારી શોધખોળો પણ ઘણી વાર આ કારણે જ નિષ્ફળ જાય છે!

જીવનની ભાત સુધારવા ચાહતી વ્યક્તિની ચેતના ચોક્કસપણે બદલી શકાય

છે. આ માટે કાર્યક્ષમતાના નિષ્ણાત કરતાં પણ મનોવિજ્ઞાનના નિષ્ણાત વધુ અગત્યના પૂરવાર થાય છે!

• • •

આમ, આ પહેલા ભાગમાં આપણે સુખી જીવનની ચાવી કહી શકાય તેવા

મનોવિજ્ઞાનને લગતાં કેટલાંક મહત્ત્વના નિયમો જોયા. એ નિયમોને લક્ષમાં રાખીને તથા સુખ, સમૃદ્ધિ તેમજ સંતોષની આજુબાજુ આપણા મનોવલણોને વણી લઈને જીવનઘડતર કેવી રીતે કરી શકાય તે અંગેના કેટલાક વ્યવહારુ સૂચનો આપણે બીજા ભાગમાં જોઈશું.

ભાગ - ૨

૧. આપણી જાતને સફળ સમજીએ

આપણે જ્યારે એવું વિચારીએ કે ‘હું સારો નથી’ અથવા તો ‘હું નિષ્ફળ

ગયો છું’ ત્યારે, હકીકતમાં આપણને વધુ નિષ્ફળ બનાવવા આપણી અર્ધચેતનાને, જાણે કે હુકમ જ કરીએ છીએ, અને પરિણામે લાંબે ગાળે બીજાઓ પણ આપણાં વિશે હલકો અભિપ્રાય ધરાવતા થઈ જાય છે! આનો તાત્કાલિક ઉપાય એક જ છે. આપણે આપણી જાતને હંમેશા સફળ માનીએ!

‘પણ હકીકતમાં સફળતા શામાં છે’ એવો સવાલ કદાચ કોઈ કરે. ખરું જોતાં, સફળતા એક સાપેક્ષ વસ્તુ છે અને દરેક વ્યક્તિના દૃષ્ટિબિંદુ જેમ અલગ અલગ હોય છે તેમ સફળતાના માપદંડ પણ બધાના અલગ અલગ જ રહેવાના! પરિણામે, આપણી જાતને સફળ માનતાં આપણને કોઈ કરતાં કોઈ અટકાવી શકે નહીં!

આપણે જે કાંઈ હોઈએ અથવા તો આપણી જાત વિશે આપણે જે કાંઈ માનતાં હોઈએ, તેમાં જ આપણું મન ઉમેરો કરી શકે છે. માટે આપણે જે બાબતમાં કુશળ

હોઈએ તે ઉપર જ આપણું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, તેમજ આપણી આવડત પૂરવાર કરતી સિદ્ધિઓ ધ્યાનમાં રાખીને આપણે જે કાંઈ બનવું હોય તે માટે સતત જાગૃતિપૂર્વક

પ્રયત્ન કરવા જોઈએ!

આપણાં અનુભવો, જવાબદારીઓ અને પ્રયત્નોમાંના દરેક આપણને આપણાં ધ્યેય તરફ લઈ જતી સીડીના પગથિયા, એટલે કે સફળતાના જ અગત્યના અંશ છે અને આપણાં સંજોગો, શક્તિ વગેરેને ધ્યાનમાં રાખીએ તો આપણે હકીકતમાં હંમેશા સફળ જ રહ્યા છીએ!

અને હવે પછી આપણે જે કરવા જેવું છે તે એ કે આ પળથી જ સફળ વ્યક્તિની જેમ વર્તવા માંડીએ. આપણા ક્ષેત્રમાં સફળ નીવડેલી વ્યક્તિઓ વિશે વધુ ને વધુ વાંચીએ! સફળતાની સભાનતામાં જીવવા માંડીએ! સફળ માણસો સાથે ૯

આત્મવિશ્વાસપૂર્વક હળીએ-મળીએ! આપણે સફળતા વિશે વિચારતા બોલતા અને સાફલ્યને અનુભવતા થઈ જઈએ ત્યાં સુધી તેનું, જાણે કે ધ્યાન જ ધરીએ! નિષ્ફળતા કે પછી, નકારાત્મક વિચારોને દેશવટો આપી દઈ, સફળ થવાના નિશ્ચય સાથે જ જો બધા કાર્ય કરતાં થઈ જઈશું તો હવે પછી આપણે જે કાંઈ કરીશું તે બધામાં સફળતા આપણું મન આપણને જરૂર અપાવશે!

૨. દૃઢ નિશ્ચયી બનીએ

સાચા નિર્ણય લેવાની શક્તિ એ સફળતાની પૂર્વશરત છે એ ખરું, પરંતુ

લીધેલા નિર્ણય મુજબ કાર્ય કરીએ નહીં તો પછી એ નિર્ણયની કોઈ કિંમત રહેતી નથી!

કોઈ એક સમયે આપણે એક જ દિશામાં કાર્યસિદ્ધિ કરી શકીએ! આ માટે આપણા મન અને અંતઃકરણ સાથે મળીને કામ કરે તે અત્યંત જરૂરી છે!

આપણે સારી રીતે જાણીએ છીએ તેમ આપણને કાર્યરત કરવા જરૂર હોય છે ઈચ્છાની, સારા કારણની, પ્રબળ હેતુથી કે પછી જોરદાર દબાણની!

જો કે મોટે ભાગે બાળકની જેમ પુખ્ત વ્યક્તિના મનને પણ ખંતપૂર્વક કામ

કરવા સારા કારણની વધુ જરૂર પડે છે, એટલે એ ખૂબ જ જરૂરી છે કે નિર્ણય લીધા પછી

મનને એ દિશામાં આગળ ને આગળ વધવા માટે જરૂરી કારણ સતત આપતાં રહીએ!

નિર્ણય ઉપર આવવાની અથવા તો તેને વળગી રહેવાની અશક્તિ બાળપણમાંના આપણાં અનુભવો, વડીલોની નકારાત્મક વર્તણૂંક વગેરેને કારણે આવી ગઈ હોય એ શક્ય છે. જો એ આપણે સ્વીકારી શકીએ કે નિર્ણય લેવાની આપણી અશક્તિ પાછળ કાર્યની કઠિનતા કરતાં વધુ જવાબદાર આવું કોઈ કારણ હોઈ શકે તો કાર્યને પ્રથમ તો આપણે તટસ્થતાપૂર્વક તપાસવું રહ્યું. આ માટે આપણે લેવાના ત્રણ પગલાં આ મુજબ છે :

૧.આપણી અત્યારની સમજશક્તિને આધારે આપણે કરવાનું છે તે કાર્યના ફાયદા-

ગેરફાયદા તપાસી જવા.

૨.આમ કરી રહ્યા પછી સ્પષ્ટ, ચોક્કસ અને અંતિમ નિર્ણય ઉપર આવવું અને તેને અનુરૂપ વર્તન કરવું. વર્તનને લગતાં આ અગત્યનાં પગલાં વગર, કરેલાં નિર્ણયનું કોઈ જ મૂલ્ય નથી એ યાદ રહે.

૩.લીધેલા નિર્ણયને દૃઢતાપૂર્વક વળગી રહીએ. ઘણી વાર નિર્ણય થયા પછી આપણું અર્ધચેતન મન થયેલા નિર્ણયથી વિરુદ્ધ દાખલા-દલીલો કરીને આપણી

મક્કમતા ચકાસવા મથે તે શક્ય છે.

એ નક્કી છે કે આપણે જો દૃઢતા કેળવી શકીએ તો જ સફળ થઈ શકીએ!

નાની નાની બાબતોથી શરૂ કરી ધીમે ધીમે અગત્યની બાબતોમાં પણ આપણે સભાનતાપૂર્વક નિર્ણય લઈ તેમને વળગી રહીશું તો જ વધુ અગત્યના નિર્ણય લઈ

તેમને દૃઢતાપૂર્વક અમલમાં મૂકવાની શિસ્ત આપણા મનને શીખવી શકીશું! આપણી આત્મશ્રદ્ધાને ઉત્તરોત્તર વધારતા જવાનો આ એક માત્ર માર્ગ છે!

૩. આપણી જાતને ચાહીએ

પોતાની જાતને હલકી કે નબળી માનવાની આદત કોઈને બાળપણમાં મા-

બાપ, શિક્ષક કે પછી અન્ય કોઈ પણ વ્યક્તિ તરફથી મળી હોય તે શક્ય છે.

એક અર્થમાં જોઈએ તો આપણો આ સંસાર એક નાટક છે, ઈશ્વરપ્રણિત નાટક! આપણી રંગભૂમિ ઉપરના નાટકોમાં જેમ નાનામાં નાનું પાત્ર પણ બિનજરૂરી કે નકામું હોતું નથી, એ દરેકની પાછળ કોઈ ખાસ ઉદ્દેશ જરૂર હોય છે, તેમજ સંસારની દરેક વ્યક્તિને પોતાની ભૂમિકાને અનુરૂપ સમજણ, શક્તિ અવશ્ય મળ્યાં હોય છે અને જાગૃત પ્રયત્ન કરીએ તો આપણને પણ આપણો ઉદ્દેશ વહેલો કે મોડો મળીને જ રહે છે!

‘નાટક’ના આ રૂપકને આગળ વધારી વાત કરીએ તો નાટકમાં દરેક પાત્રએ અલગ અલગ અદાકારી કરવાની હોય છે. ભિખારીની અદામાં રાજા કે રાજાની છટામાં ભિખારી વર્તન કરે તો જેમ નાટક નિષ્ફળ જાય છે, તેમ જ આપણી સમજશક્તિને ખ્યાલમાં રાખ્યા વગર બીજાની વાનર-નકલ કરવા જઈએ તો જ આપણે નિષ્ફળ જઈએ એવી શક્યતા ઊભી થાય છે! આપણી દરેકની એક ખાસ ઉપયોગિતા, અનન્યતા અને ૧૧

સંપૂર્ણતા છે, જે આપણાં આગવાં છે! આભલે ભરેલી સાડીમાં જેમ ફક્ત એક જ આભલો ખૂટતો હોય તોય તેની ભાત અધૂરી લાગે છે તેમ આપણા વિના સૃષ્ટિની ભાત નિશ્ચિત રીતે અધૂરી છે અને પરિણામે આપણી પોતાની કિંમત જરા પણ ઓછી આંકવાની જરૂર નથી!

એ શક્ય છે કે કોઈ નબળી ક્ષણોમાં, કોઈ વાર આપણને એવું લાગે કે આપણું શારીરિક બંધારણ, દેખાવ, ભણતર, કોમ, ભૂતકાળ કે ધંધો કે અન્ય કાંઈ પણ આપણાં હિતની વચ્ચે આવે છે, તો પણ નિશ્ચિત રીતે એ વાતમાં કોઈ કહેતા કોઈ માલ નથી એ સમજી લો!

હકીકતમાં, અબજો કોષોની સેનાના અને અબાધિત ભવિતવ્યતાના આપણે સરસેનાપતિ છીએ. આમ, સિવાય કે આપણે પોતે જ ‘પાણીમાં બેસી જઈએ’, સુખી થતાં અને સફળ જીવન જીવતાં આપણને અન્ય કોઈ જ રોકી શકે તેમ નથી!

આપણે અત્યારે જે કાંઈ હોઈએ કે ભૂતકાળમાં આપણાં હાથે જે કાંઈ થયું હોય

તે ભલે બદલી ના શકાય પરંતુ તે અંગેની માનસિકતા, મનોવલણને જરૂર બદલાવી શકાય છે. ભૂતકાળમાં આપણે જે કાંઈ કર્યું હોય તે કદાચ એ સંજોગોમાં અનિવાર્ય જ હતું! ભૂતકાળમાં, આમ છતાં જો ભૂલો થઈ ગઈ હોય એમ આજે લાગતું હોય તો પણ તેને યાદ કર્યા કરીશું તો, શક્યતઃ એવી ભૂલો ફરીફરીને થશે અને વધુ ને વધુ અફસોસ કરતા રહેવું પડશે! તેના બદલે, આજનો દિવસ એક નવો જ દિવસ છે એમ માનીએ અને તેને સંપૂર્ણપણે તેમ જ આનંદપૂર્વક માણીએ! જેવી પણ હોય આપણી જાતને વધાવી લઈએ, તેને માન આપીએ, ચાહીએ! આ જો આપણે કરી શકીએ તો બીજાઓ પણ આપણને માન આપતાં થઈ જશે અને પરિણામે આપણો પોતાનો પણ આત્મવિશ્વાસ વધતો જશે!

૪. બીજાઓને પણ ચાહીએ

બીજાઓને ચાહવાની વાત તો બાજુએ રહી, ઘણાઓ માટે, બીજાઓને સાંખી

લેવાનું પણ ઘણી વાર અશક્ય હોય છે. આની પાછળ કોઈ કોઈ વાર ભૂતકાળમાં આપણી સાથે થયેલાં ગેરવર્તાવ વગેરે કારણભૂત હોય છે!

બાળપણ, પરાવલંબન અથવા અન્ય કોઈ કારણે પોતાનું ધાર્યું કરાવી શકવાને અસમર્થ બનેલ વ્યક્તિની નારાજગી, ઘણી વાર બોઈલરમાં ભેગી થતી વરાળની માફક એકઠી થયા કરે છે જે રોષ કે ધિક્કારનું રૂપ પણ લઈ શકે છે!

સભાનતા, સમજણપૂર્વક નિવારણ કરવામાં ના આવે તો એ નારાજગી બિમારી, હિંસાત્મક વલણ કે પછી પ્રેમ અને દયાના દંભમાં પરિણમે એ શક્ય છે!

આવો રોષ, નારાજગી આપણા અર્ધચેતનમાં વ્યાપી જાય અને બહુ નુકસાનકારક પુરવાર થાય તે પહેલાં જ તેને સભાન સમજાવટ અને સતત પ્રયત્ન દ્વારા અટકાવી હકારાત્મક રૂપ અપાય તે અત્યંત જરૂરી છે.

આપણે એ પણ યાદ રાખવું પડશે કે ઈચ્છિત વસ્તુ મેળવવાથી, અપેક્ષિત સ્થાને પહોંચવાથી કે પસંદગી મુજબનું કાર્ય કરવા માત્રથી ખરેખર સુખી થઈ જવાતું નથી. સાચું સુખ તો છે આપણી પાસે અત્યારે હોય તે વસ્તુ, આપણે જ્યાં હોઈએ તે સ્થાન અને આપણે કરતા હોઈએ તે કાર્ય ગમાડવાનું શીખવામાં!

સભાન રીતે સંતુષ્ટ રહેવાની શરૂઆત કરીશું એટલે આપણું મન આપણને એ માટે વધુ ને વધુ કારણો પૂરાં પાડશે. આપણે ખુશનસીબ છીએ એમ માનતાં થઈશું તો આપણી એ માન્યતાને દૃઢ કરવા વધારે ને વધારે કારણો આપણને મળ્યા જ કરશે!

કોઈ કોઈ વાર એવું જોવામાં આવે છે કે અમુક લોકોને અતડાં રહેવાનું વધુ ગમે છે અને ‘લોકો મારી અવગણના કરે છે’ કહી તેઓ પોતાની જાતને સમજાવી લેતાં હોય છે. આવા લોકોએ એ સમજી લેવાની જરૂર છે કે દરેકનું પોતાનું એક, એકદમ

આગવું સ્થાન હોય છે, જે બીજું કોઈ લઈ શકે નહીં. માટે તેમણે પોતાની જૂની ભાત તોડવા નવી ભાત પાડવાની અને તે માટે બહાર નીકળતાં થવાની, લોકોમાં ભળતાં રહેવાની જરૂર છે. જરૂર છે તેમણે ફક્ત પોતાની જાતને સમજાવવાની અને લોકો તરફથી આવકાર, સુખ તથા વિકાસ માટેની વધુ તકો મેળવવાની અપેક્ષા કરતા રહેવાની, શરૂઆતમાં સંકોચ, કંટાળો થાય તો પણ!

એક વાર લોકોમાં હળતાંભળતાં થઈ જઈશું એટલે એ જોઈ શકાશે કે આપણી

મૈત્રીનો પ્રતિભાવ બીજાઓ તરફથી મિત્રતામાં જ મળે છે! આપણાં વય, દેખાવ, ૧૩

અભ્યાસ વગેરે તે માટે જરા પણ અગત્યના નથી. અગત્યના છે, આપણાં પોતાના વિશેના અને અન્યો પ્રત્યેના પ્રેમ તથા માન!

બીજાઓ સાથેના વ્યવહારમાં આપણા પ્રેમ તથા માન આ રીતે વ્યક્ત થઈ શકે.

(અ) હંમેશા નિયમિત અને વિશ્વાસપાત્ર રહીએ.

(બ) સમજુ અને વિવેકી બનીએ.

(ક) સત્યનું પાલન કરીએ.

જો આ કરી શકીશું તો અન્યો તરફથી પણ આવો જ જવાબ મળશે! જે આપીશું તે જ પાછું મળશે!

૫. આશાવાદી બનીએ

આપણે હવે એ જાણીએ છીએ કે આપણું મન જે પરિણામ લાવી આપે છે તે આપણી માન્યતાને અનુરૂપ હોય છે, માટે આપણું ધ્યેય હાંસલ કરવા આપણા મનને તે સ્વીકારી શકે તેવું કારણ આપીએ એ અત્યંત જરૂરી છે!

ધારો કે આપણે એકધારું સો માઈલ ચાલવાનું છે. પહેલે તબક્કે તો આપણું મન એ કાર્ય માથે લેવાને તૈયાર થશે નહીં. આમ છતાં જો આપણે મનને એમ કહી શકીએ કે અગાઉ આપણે એકથી વધુ વખત દસ માઈલ ચાલી ચૂક્યાં છીએ અને આજે પણ એમ કરી શકીએ તો તે એ વાત સ્વીકારી લેશે. માટે આપણે શરૂઆત ત્યાંથી કરવી જોઈએ!

વળી, આપણે તે કાર્ય કરવા માટે મનને જે કારણ આપીએ તે આપણું અંગત અને સાચું હોય એ પણ અત્યંત જરૂરી છે! આપણે ચાલવાનો મહાવરો જેમ જેમ વધારતાં જઈશું તેમ તેમ આત્મવિશ્વાસ ઘડાતો જશે અને પછી એક દિવસ આપણે સો માઈલ

પણ ચાલી જ શકીશું!

તથાકથિત હકીકતોના બંધનથી મુક્ત તર્કશક્તિ ધરાવનાર મનુષ્યો ખરેખર

મહાન હોય છે, કારણ કે બીજાઓ ચમત્કારિક કહે છે તેવા કાર્યો પણ તેઓ સહજતાથી કરી શકે છે. લગભગ એટલાં જ મહાન એ પણ છે જે પોતાની મર્યાદાઓ ઉપર વિજય

મેળવવા હકીકતો વિશેના પોતાના જ્ઞાનનો સમજણપૂર્વક અને સાતત્યપૂર્વક ઉપયોગ કરતાં રહે છે!

આપણા અર્ધચેતનમાં વર્ષો સુધી એકત્ર થયેલ બધા જ ‘અશક્યો’ને તત્કાળ

કાઢી શકાતાં નથી. આપણી એ ભાતને સુધારવાના પ્રયત્નો આજથી જ શરૂ કરી દઈએ અને ‘અમુક કામ હું અત્યારે કરી શકું તેમ નથી’ એમ કહેવાને બદલે કહીએ કે ‘હું એ કામ આજે પણ કરી શકું તેમ છું, પરંતુ તે માટે આવતીકાલ વધુ યોગ્ય રહેશે.’!

‘હું સફળ પુરવાર થયો છું’ એવું કથન એકદમ સ્વીકારી લેવા આપણું મન તૈયાર થાય તેમ લાગતું ના હોય તો આપણાં અગાઉના અનુકૂળ અનુભવોનો હવાલો આપીને આપણે એમ કહીએ કે ‘હું નિષ્ફળ નીવડું નહીં’ અથવા તો ‘હું ખોટનો ધંધો કરું જ નહીં’, તો ઉપરના કથનને ફગાવી પણ નહીં દઈ શકાય, અને નકારાત્મક

મનોવલણને રચનાત્મક બનાવવાની શરૂઆત ત્યારે જ થઈ જશે!

‘ના, એ અશક્ય છે’ કહેવાવાળા દરેક જણ દીઠ બીજો એક જણ એવો પણ હોય છે, જે શક્યતા જુએ છે અને કરી બતાવે છે!

જેનો ઉકેલ જ ના હોય એવો કોઈ કોયડો નથી હોતો, કે નથી હોતી એવી કોઈ

જ જરૂરિયાત કે જે સંતોષી શકાય નહીં! આ સિદ્ધાંત અનુસાર વિચારતા રહીને અને વર્તન કરીને, જેમને અજ્ઞાનમાં અત્યાર સુધી અસાધ્ય માની લીધા હતાં તેવા ધ્યેયો પણ હાંસલ કરી શકવાની આદત આપણે પાડી શકીશું!

૬. દરેક વસ્તુને સારી સમજીએ

આપણું મન હકીકતમાં એકદમ તટસ્થ હોય છે અને આપણા હકારાત્મક કે નકારાત્મક વલણો કે ચૂકાદાઓને નોંધી લઈ તેવા જ વધુ કારણો પૂરાં પાડે છે.

આપણે અત્યારે કરીએ છીએ તે કાર્યમાં સમય, શક્તિ કે આવડતનો દુર્વ્યય

થાય છે તેમ માનવાને બદલે આપણે એમ માનવું જોઈએ કે ‘જ્ઞાન, અનુભવ મેળવી હું પારંગત થઈ રહ્યો છું.’ આપણાં મનમાં આ વાત બરાબર ઉતરી જાય ત્યાં સુધી તેને વાગોળતા રહીશું તો વધુ સારું કામ મેળવવાની શક્યતા આપોઆપ ઊભી થશે!

સુખી થવાનો એક જ રસ્તો છે, અને તે એ કે દરેક વસ્તુને સારી-નરસી તરીકે જોયા કરવાની આદતમાંથી મુક્ત થઈ જવાનો!

જેને આપણે ખરાબ માનતા હોઈએ તેની પાછળ પણ ઘણી વાર ઉપકારક હેતુ હોય છે! કાંઈ નહીં તોય, સુખદાયક અને ઈચ્છનીય શું છે તેની એના ઉપરથી સમજણ પડી શકે છે અને માનવજાતની પ્રગતિ માટેના પ્રયત્ન શક્ય બને છે! આમ જે ખરાબ મનાતું હોય તે અંતે તો સારું જ હોય છે. આથી, કોઈ પણ ચીજને નકામી કે ખરાબ ગણી કાઢવી નહીં અને બીજાઓ એમ કરતા હોય તો તેમને સાથ આપવો નહીં!

આપણી સભાનતાને સુધારવા માટે આપણી, આપણા પતિ કે પત્નીની અને આપણાં જીવનની સારપને હંમેશા નજર સમક્ષ રાખીએ!

આપણી યાદદાસ્ત નબળી છે એવી બૂમો પાડવાને બદલે જે બધી ચીજો આપણને સહેલાઈથી યાદ રહેતી હોય તેના ઉપર ધ્યાન આપીએ, વધુ ને વધુ વિગતો યાદ રાખવા સતત પ્રયત્નશીલ રહીએ અને આપણી જાતને કહેતા રહીએ કે ‘મારી યાદદાસ્ત સારી છે, સુધરી રહી છે!’ ધીરજ રાખી મથીશું તો સફળતા અંગે શંકાને કોઈ

જ સ્થાન નથી!

૭. શરૂ કરીએ તે પૂરું કરીને જંપીએ

મહાન સ્વપ્નાં ઘણાં સેવે છે, પરંતુ તેમને પાર પાડે છે ફક્ત વીરલાઓ જ!

સ્વપ્નાં પાર પાડી શકવાની નિષ્ફળતા માટેના મુખ્ય કારણોમાંનું એક છે, સારા કાર્ય આરંભીને પછી છોડી દેવાની બાળપણમાં પડેલી આદત; અને નહીં કે બુદ્ધિ, શક્તિ કે

મહેનતની ઉણપ!

અર્ધજાગૃત ભાતોનો આપણા મન વડે કોરાયેલો એ રસ્તો નદીના પટ જેવો સરળ હોય છે. એ ચીલે ચીલે આગળ વધવાનું જેટલું સરળ હોય છે એટલું જ મુશ્કેલ

હોય છે એ રસ્તે જતા પ્રવાહની દિશા બદલવાનું! અને તેથી જ એ માટે બહુ જોરદાર અને સતત પ્રયાસોની જરૂર પડે છે!

માટે જ આરંભીએ તે કાર્ય પૂરું કરવા આપણી જાત પર જોર જેવું કરવાની શરૂઆત કરવી પડશે! શરૂઆત પત્ર લખવા કે શરૂ કરેલા પુસ્તકને પૂરું કરવા જેવા નાના કાર્યોથી કરીએ! આજ સુધીમાં અધૂરાં મૂકેલાં કાર્યોમાંથી જે જે પૂરાં કરવા જેવા હોય તે બધાં સભાનતાપૂર્વક પૂરાં કરીએ, બને તેટલાં જલ્દી!

આપણા મનને જો એક વાર સમજાવી શકીએ કે આપણે મક્કમ છીએ અને નિર્ણય લેવાયા પછી વાંધાવચકાં ચલાવી લેતાં નથી, તો તે કહ્યાગરું બની જાય છે અને આપણી દરેક યોજના, તે ગમે તેટલી મહત્ત્વાકાંક્ષી હોય તો પણ, પૂરી કરીને જ જંપે છે!

૮. દિલ મોટું રાખીએ

આપણામાંના મોટા ભાગના લોકો કાં તો પૈસાની ખેંચના કે સમયની મારામારી જેવા નકારાત્મક ગાણાં ગાતાં હોય છે અને એમ કરીને પોતાની આજુબાજુ એક એવી વાડ ઊભી કરી દે છે જેમાંથી બહાર નીકળવાનું ઉત્તરોત્તર મુશ્કેલ થતું જાય છે!

‘પૈસાની ખેંચ છે’ જેવી બૂમરાણ કરી આપણી માનસિકતાને સંકોચી નાંખવાને બદલે આપણી પાસે અત્યારે છે તે મૂડીનો ખ્યાલ કરીએ અને મનોવલણ બદલાય ત્યાં સુધી તેને જોતાં રહીએ, સ્પર્શ કરીએ! જરૂર લાગે તો આપણા ઘરમાં પૈસાને અહીં-

તહીં વેરી રાખીએ અને આપણી જાતને કહેતાં રહીએ કે જ્યારે હું કાંઈક પણ શોધતો હોઉં છું ત્યારે પૈસા જ પૈસા નજરે પડે છે! આ રીતે આપણે આપણાં મનને, આપણા

લાભાર્થે કાર્ય કરતું કરી શકીશું તો ગુણાકાર કરવાની તેની શક્તિ આપણે ત્યાંના નાણાપ્રવાહને જરૂર વધારી દેશે!

નાણાંકીય જવાબદારીઓના તથાકથિત ‘બોજ’માંથી મુક્ત થવા ‘ચૂકવવું’

શબ્દને સ્થાને ‘આપવું’ શબ્દ વાપરી આપણી જાતને એમ મનાવીએ કે, એક પ્રકારે આપણે દાનવીર છીએ અને કંઈ કેટલાયે લોકોને રોજગારી, આરોગ્ય, શિક્ષણ તેમજ આનંદનું પ્રદાન કરીએ છીએ!

આપણે જેમ આપીએ તેમ આપણને મળવું પણ જોઈએ ને? તો આપણી જાતને એનું માનતી કરી દઈએ કે ‘હું એક રૂપિયો ખર્ચ કરું છું તેની સામે મને બે મળી રહે છે!’

ચલણી નાણાંની શોધ થઈ ત્યારથી માણસોને ચીજ-વસ્તુઓના ભાવ હંમેશા ઊંચા લાગ્યા છે અને પરિણામે તે વધુ ને વધુ ઊંચા ચઢતા ગયા છે! વસ્તુઓને મોંઘી

માનવાને બદલે એમ વિચારીએ કે દરેક વખતે થોડા ખર્ચ સામે આપણને ઘણું બધું મળી રહે છે!

રમતગમત, પર્યટન કે કસરત જેવા કાર્ય માટે આપણે સમય કાઢી શક્યા ના હોઈએ તો એ સમજી લઈએ કે તે માટે જવાબદાર આપણે જ છીએ! એ માટે સમય

કાઢીશું જ એવો નિશ્ચય આપણે હમણાં જ કરીએ! આ રીતે આપણે દિવસની દસ મિનિટ પણ ફાળવી શકીશું તો તે સાચી દિશામાંની શરૂઆત ગણાશે. મક્કમતાપૂર્વક

પ્રયત્ન કરતાં રહીશું તો જે કરવા આપણે હંમેશ તડપતા હતા તે માટે વધુ ને વધુ સમય

મેળવી આપવા પોતાની બધી જ શક્તિ આપણું મન કામે લગાડી દેશે!

આપણે એ બરાબર સમજી લેવાની જરૂર છે કે આનંદ-પ્રમોદ કરવાનો પણ આપણને હક્ક છે! તથાકથિત ઢસરડામાંથી અમૂક સમય માટે છૂટકારો મળે તે આપણાં

મન અને શરીર માટે અત્યંત જરૂરી છે. જો આનંદ-પ્રમોદ માટે સમય કાઢવાનું શીખીશું તો ઢસરડા કરવાની માનસિકતામાંથી અને બિનસલામતીની ખોટી બીકમાંથી આપણી જાતને ધીમે ધીમે મુક્ત કરી શકીશું. વખત જતાં, જીવન જેમ જેમ વધુ સમતોલ થતું જશે તેમ તેમ, આપણે વધુ ને વધુ સુખી થઈ શકીશું! એક વિશાળ અને સતત આપ-

લેના કેન્દ્રસ્થાને આપણી જાતને જોઈ શકીશું તો પૈસાએ જમાવેલી આપણા ઉપરની પકડમાંથી ક્રમશઃ મુક્ત પણ થઈ શકીશું!

પૈસાનો બીનજરૂરી સંગ્રહ ના કરીએ! આપણું કામ કરી આપનારને પૂરતો બદલો આપીએ! બિલ સામેના પૈસા પણ આનંદપૂર્વક આપીએ!

ફક્ત પૈસા ઉપર આધાર ના રાખીએ અને ઈચ્છીત વસ્તુને અન્ય માર્ગે હાંસલ

કરવા આપણી અર્ધચેતનાને મુક્ત રાખીએ! આમ છતાં, વખત આવ્યે આપણું અર્ધચેતન એ સ્વીકારતું થઈ જાય કે ‘આપણે પૈસા કમાઈ તેમ જ બચાવી શકીએ છીએ’ ત્યાં સુધી થોડો સમય ખાસ પ્રયત્ન કરીને બચત પણ કરતા રહીએ!

દર્દ કે બિમારીને વખતે એકત્રિત શક્તિની વધુ જરૂર પડે છે, જ્યારે બેચેની વિશે વાતો કરવાથી તો બેચેની જ વધતી જાય છે! ખૂબ જ નબળાઈ અનુભવાતી હોય

ત્યારે પણ આપણાં શરીરમાં શક્તિ તો હોય જ છે. એ શક્તિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ અને સ્નાયુઓમાં, નસોમાં તેમજ આપણા સંપૂર્ણ અસ્તિત્વમાં તેને ઉછળતી અનુભવીએ!

શક્તિ, પૈસા, સમય વગેરે બીજું જે કાંઈ આપણી પાસે હોય તેનો જેટલી છૂટથી અને જેટલો સારો ઉપયોગ કરી શકીશું તેટલા વધુ પ્રમાણમાં આપણું મન આપણને તે પૂરા પાડશે!

દર્દ થતું હોય તે અંગને બદલે શરીરમાં જ્યાં સારી તંદુરસ્તી હોય તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ! આપણી મુસીબતોનું રટણ કર્યા કરવાને બદલે તેમને આપણી શક્તિનું

માપ કાઢતાં અને તેને વધારવા કારણ આપતા એક પડકાર રૂપે સમજીએ અને અણગમતી

ચીજોનો ખ્યાલ છોડી આપણને ગમતી વસ્તુઓમાંથી આનંદ મેળવતા થઈએ!

આપણા અર્ધચેતન માનસને નથી આવતી કાલ હોતી કે નથી હોતી ગઈ કાલ!

તે ફક્ત ‘અહીં’ અને ‘હમણાં’ ને જ ઓળખે છે. આ ક્ષણે જરૂરી પૈસા અને શક્તિ આપણી પાસે છે એવો સંતોષ રાખી શકીશું તો આવનારી ક્ષણો માટે વધુ સંતોષ જરૂર નિપજાવી શકીશું. આપણું જીવન, એક પછી એક આવતી ક્ષણોનું બનેલું હોય છે. માટે આવનારી દરેક ક્ષણ સુખમય ને સંતોષકારક બને તેનું ધ્યાન આપણે જ રાખીએ!

૯. દરેક વખતે નમતું ના જોખીએ

બાળપણમાં હલકાં-ઓછાં ખોરાક, કપડાં કે ભણતર વગેરેથી ચલાવી લેવું પડ્યું હોય તેવી વ્યક્તિનું મન તેને હીન દિશામાં જ રાખવાનું પસંદ કરે એ શક્ય છે!

આપણે જો આ લોકોમાંના એક હોઈએ તો આપણું પહેલું કામ હવે એ જોવાનું છે કે બધી બાબતોમાં નમતું જોખવાનું આપણે બંધ કરીએ અને સારામાં સારી ચીજ આપણને

મળે તેવો આગ્રહ રાખીએ! શરૂમાં નાની નાની બાબતોમાં સારામાં સારી ચીજો પસંદ

કરીને જીવનમાં શક્ય તેટલી શ્રેષ્ઠ વસ્તુઓ મેળવવા આપણી જાતને કેળવીએ!

દા.ત. આપણને જો એમ લાગતું હોય કે દરરોજ રાત્રે હોટલમાં જમવાનું કે

મનભાવતી વાનગી ખાવાનું પોષાય નહીં, તો શરૂઆતમાં અઠવાડિયે એક વાર એમ

કરવાથી શરૂ કરીને ‘કડકી’ની આપણી માન્યતાને તોડવી, પ્રથમ વર્ગમાં મુસાફરી કરવી અને શહેરની સારામાં સારી રેસ્ટોરન્ટમાં જઈ મનગમતો આઈસક્રીમ ખાવો!

સાધારણ રીતે આપણે કરતા હતાં તેથી થોડો વધુ ખર્ચ આથી થશે. પરંતુ લાંબા ગાળાની અસર બહુ જ લાભદાયક થશે અને વધુ ખર્ચ થઈ જવાને લીધે અગાઉ જે ગુનાહિત

લાગણી પેદા થતી હતી તે હવે નહીં થાય! આમ, વધુ સુખી થવા માટે વધુ તકો

મેળવવાનું આથી શક્ય બનશે. આ રીતે આપણું રહેવાનું, મુસાફરીનું અને આનંદ-

પ્રમોદનું ધોરણ સુધારીને આપણી સભાનતાને ઘણી ઊંચી લઈ જઈ શકાશે!

આપણી આજુબાજુના ભૌતિક વાતાવરણ ઉપર આ રીતે જાણે કે હકૂમત સ્થાપી શકાશે! આપણને એ જેમ જેમ સમજાતું જશે કે બુદ્ધિ, સંપત્તિ, સમય અને તક

માટે આપણને બીજા કોઈની મહેરબાનીની જરૂર નથી, તેમ તેમ આપણો આત્મવિશ્વાસ વધતો જશે. આમાંથી પરિણમતી આત્મનિર્ભરતા આપણને બીજાઓની અથવા તો સંજોગોની દયા જેવી અનિશ્ચિતતામાંથી જરૂર મુક્તિ અપાવશે!

૧૦. ધીરજ રાખીએ

ધૈર્ય શું ચીજ છે તેની પણ ઘણાને ખબર હોતી નથી અને પરિણામે ખોટી ઉતાવળ કરીને, તેઓ પોતાની જાતને નુકસાન કરી બેસે છે. બીજાઓ કે સંજોગો તેમને ધ્યેય હાંસલ કરતા રોકે છે એવી માન્યતા કે પછી અમુક અપેક્ષિત બનાવ બહુ જ મોડો બનશે અને તેનો ફાયદો પોતાને મળશે નહી, એનો એક ભય તેમના ઉપર સવાર થઈ

ગયો હોય છે. આમ કરીને તો તેઓ પોતાના માર્ગમાં વધુ મુસીબતો અને રૂકાવટો જ નોંતરતા હોય છે!

મનનો એ અફર નિયમ છે કે બીજાઓ પ્રત્યેના દરેક વર્તન કે અધૈર્યને તે આપણાં ઉપર પાછા લાવે છે! આપણે અગાઉ જોઈ ગયા તેમ, જેના પ્રતિ આપણે અધૈર્ય દાખવ્યું હોય તેના તરફથી જ તે પાછું આવે એ નિશ્ચિત નથી!

બીજાઓ પ્રત્યેની આપણી અધીરાઈ તેમ જ આપણા પ્રતિ અધીરાઈપૂર્વક વર્તતા લોકો તરફનો ગુસ્સો, તેમને અને તેમના વર્તનની પાછળના કારણને સમજી

શકવાની આપણી નિષ્ફળતાને કારણે જ હોય છે!

એ ખૂબ જ અગત્યનું છે કે આપણી જાત પ્રત્યે ધૈયપૂર્વકનું વર્તન રાખીએ! એ યાદ રહે કે આપણી આજની સભાનતા થોડા સમય પહેલાં ઘડાઈ હતી. જ્યારે આપણે આજે કેળવવા માગીએ છીએ તે નવી આદત કે માન્યતા તો હજુ નાના બાળક સમાન છે. બરાબર ચાલતા કે બોલતા થવા માટે જેમ બાળકને સમયની જરૂર પડે છે તેમ

તમારા જીવનનો આ નવો રાહ પણ ધૈર્ય, મહાવરો અને પ્રોત્સાહન માગી લે છે!

અધીરાઈભર્યું વર્તન કરવામાં આવશે કે ઠપકો આપવામાં આવશે તો તેનો વિકાસ નક્કી રૂંધાઈ જશે!

આજે આપણે નવા બીજ વાવ્યાં છે, પરંતુ તેના ફળો તૈયાર થવાને સમય

લાગશે! ત્યાં સુધી તો આપણી અગાઉની માન્યતાઓ અને કાર્યોના ફળ જ ખાવા પડશે. અકસ્માતની, ચોરી-લૂંટફાટની કે ટંટા-ફસાદની આપણી જૂની બીક, નવી જાણકારીના ઉંબર નીચે દટાઈ ગઈ હોવા છતાં, હજુયે કદી કદી આપણને અગાઉ જેવા અનુભવો કરાવે તે શક્ય છે. આવું બને ત્યારે હતાશ થવાને બદલે રાજી થઈએ, કારણ કે જો એવા પ્રસંગે વ્યગ્ર થઈ જવાની ભૂલ કરીશું તો એથી તો આપણી જૂની અર્ધજાગૃત

માન્યતા વધુ દૃઢ બનશે અને તેનો કાયમી નિકાલ થઈ શકશે નહિ. આથી વિશ્વાસ રાખીએ કે સારા દિવસો હવે આવી રહ્યા છે.

વાવણી કરી રહેલ ખેડૂતની જેમ ધીરજ રાખીએ! પોતે વાવેલ બીજમાંથી અંકુર ફૂટે છે કે નહીં, એ જોવા તે જમીનને ખોદી નાંખતો નથી, પણ તેને વધુ ફળદ્રુપ બનાવે છે, પાણી પિવડાવ્યા કરે છે અને બાકીનું બધું કુદરત ઉપર છોડી દે છે!

નવી ચેતના કેળવતી વખતે એ ખ્યાલમાં રાખવાનું છે કે આપણી સહુથી જૂની જાણકારીએ, આપણાં માનસ-રૂપી રેકર્ડમાં ઊંડામાં ઊંડો ચીલો પાડ્યો હોય છે.

વૃદ્ધાવસ્થામાં જેમ બાલ્યકાળના બનાવો વધુ યાદ આવે છે તેમ આપણી સભાનતા સુધારવાના પ્રયાસોના અંતભાગમાં આપણે આપણી જૂની જાણકારીથી જાગૃત રીતે સભાન થઈશું. પ્રમાણમાં નવી માન્યતાઓ અને અનુભવો તો ચેતનાથી અર્ધચેતનાને અલગ પાડતાં પડ કરતાં જરાક ઉપર કે જરાક નીચે સુધી જ ગયેલા હોય છે. બહારનાઓ સાથેના સંબંધો પહેલા સુધરશે. જ્યારે ઘરના પતિ-પત્નીની ઝઘડાઓ શક્યતઃ હજુ પણ થોડા સમય માટે ચાલુ રહેશે કારણ કે આપણે અગાઉ જોઈ ગયા તેમ તે ઘણું ખરું આપણાં બંનેના બાલ્યકાળ દરમ્યાનના મા-બાપ સાથેના સંબંધોમાંથી જન્મ્યા હોય એ શક્ય છે અને પરિણામે હકીકતમાં બંને પોતપોતાના ખૂબ જ રૂઢ થઈ ગયેલા જૂના સંતાપના પડઘા જ પાડી રહ્યા હોઈએ છીએ!

હજુયે, કદાચ આપણને આપણી નોકરી, આવક કે લગ્ન-જીવન વિશે અંસતોષ થઈ આવે! આપણી જાતને સમજાવીએ. આપણામાં ઉદ્‌ભવી રહેલા મહાન પરિવર્તનનો ખ્યાલ કરીએ! બાળક કાંઈ રાતોરાત મોટું થઈ જતું નથી! બીજને વૃક્ષમાં ફેરવાતાં વરસો લાગે છે! એ ખાસ યાદ રહે કે મધ્યરાત્રિ, હકીકતમાં રાત્રિનો સહુથી અંધકારમય સમય છે અને છતાં એક જ ક્ષણ પછી નવા દિવસના મંડાણ થઈ

ચૂક્યા હશે. થોડા જ સમયમાં આપણાં જીવનમાં પણ નવો ‘દિવસ’ ઊગવાનો છે એ નિશ્ચિત છે!

આપણી જાતને રેશમના કીડા સાથે સરખાવીએ. જન્મતાં જ પતંગિયું બની ઉડી જવું તેને પણ ગમે પરંતુ જરૂરી પોષણ, તાકાત અને વિકાસ હાંસલ કરી યોગ્ય

વયનો થાય નહીં ત્યાં સુધી તે પોતાની જાતને કોષેટામાંથી મુક્ત કરી શકતો નથી.

સમય કરતાં એક ક્ષણ પણ વહેલો મુક્ત થાય તો તે તત્કાળ મરણને જ શરણ થાય!

આપણે અત્યારે જે કાંઈ છીએ તે થવા માટે આપણાં બધા જ અનુભવો, આજુબાજુના બધા જ લોકો અને જિંદગીની એ સર્વ લીલીસૂકી-આપણી ભૂલો સુદ્ધાં -

આપણને કામ આવ્યા. આપણે ગમે તે હોઈએ, ગમે ત્યાં હોઈએ કે આ ક્ષણે ગમે તે કરી રહ્યા હોઈએ તો પણ આપણાં જીવનમાં એ પતંગિયા જેવો દરજ્જો હાંસલ કરવા જરૂરી તત્ત્વો આપણે હંમેશા એકઠા કર્યા છે અને હજી પણ કરી રહ્યાં છીએ!

આપણાં કુુટુંબ, કાર્યક્ષમતા તેમ જ જાતમાં શ્રદ્ધા રાખીએ! જિંદગીના સારપ, સૌંદર્ય અને ઉજ્જવળ અર્થને ધ્યાનમાં રાખીએ! સહુથી વધુ આપણા આત્મામાં અથવા તો આપણામાં રહેલી દૈવીશક્તિ કે જે અર્ધચેતના કરતાં પણ વધુ શક્તિશાળી છે, તેમાં વિશ્વાસ રાખીએ! વ્યથા અને નિષ્ફળતારૂપી પડકાર ફેંકી ફેંકીને તે આપણા ઉત્કર્ષ માટે જરૂરી લોકો, સ્થળો અને પ્રસંગો તરફ દોર્યા કરે છે.

આ પુસ્તકના વાંચન સહિત આપણે જે કાંઈ કરી રહ્યા છીએ અથવા તો આપણી બાબતમાં બની રહ્યું છે તે દ્વારા આપણા વિચારો, લાગણીઓ, શબ્દો અને કાર્યોના વધુ ને વધુ ફાયદાકારક ઉપયોગ તરફ આપણે દોરાઈ રહ્યા છીએ! આપણી અર્ધચેતના, જે અત્યાર સુધી દુશ્મનનું કાર્ય કરી રહી હતી તે હવે મિત્ર બની રહેશે અને ભયને અભયમાં, નિષ્ફળતાને સફળતામાં, ઘૃણાને પ્રેમમાં, અસંતોષને પરિતોષમાં તેમ જ દુઃખને સુખમાં ફેરવી નાંખશે!

આ બધું જાણ્યા પછી ધીરજ કેળવવાનું આપણાં માટે સરળ બનશે. આપણે જેમ

રોજેરોજ આપણી સમજ મુજબનું સારામાં સારું વર્તન કરીશું, તેમ તેમ ઉત્તરોત્તર વધુ ને વધુ સમજુ અને આત્મવિશ્વાસુ બનીશું. જેમ જેમ વધુ ને વધુ આત્મવિશ્વાસુ બનીશું તેમ

તેમ આપણું વર્તન સુધરતું જશે અને લોકોનો આપણામાંનો વિશ્વાસ વધતો જશે!

ઘડિયાળના લોલક કે સમુદ્રના મોજાંની માફક જીવન પણ બે અંતિમોની વચ્ચે ઝોલાં ખાય છે. અત્યાર સુધી જો આપણે ભાગે દુઃખ, હાર અને નિરાશા જ આવ્યા હોય

તો હવે આનંદીએ! ફેરફાર જ શાશ્વત છે! આપણે આજે જે છીએ તે બનતાં આપણને દાયકાઓ લાગ્યા. પ્રભુકૃપાએ આપણી જાતને નવતર અને મહત્તમ વ્યક્તિમાં બદલતાં એથી ઘણો ઓછો સમય લાગશે કારણ કે :

(૧) આપણે માટે તેમ જ બીજાઓ માટે સમૃદ્ધિ, સારપ અને સિદ્ધિ તેમજ આબાદી સ્વાભાવિક છે.

(૨) આપણી સભાનતાને આપણે ધારીએ એટલી ઊંચે લઈ જવા શું કરવું જરૂરી છે તે હવે આપણે જાણીએ છીએ. વળી જે સ્વાભાવિક છે તે તરફ જઈ રહ્યા હોવાથી આપણો માર્ગ પણ સરળ છે.

બીજાઓની ઈર્ષ્યા ના કરીએ, નહીં તો એ માટેના વધુ કારણો આપણે જ ઊભા કરીશું. મિત્રો પાસે વધુ પૈસા હશે તો આપણી પાસે તેમના કરતાં વધુ ડહાપણ, માનસિક શાંતિ કે આવડત હશે. બીજું કોઈ વધુ બુદ્ધિશાળી લાગતું હશે તો આપણી પાસે વધુ સારું વ્યક્તિત્વ હશે. જીવન ન્યાયી છે. જેની આપણામાં ઓછપ હશે, તે બીજાઓમાં ભરપૂર હશે. આપણે જેના વડે સમૃદ્ધ હોઈએ તેમાં બીજાઓ કંગાળ પણ હોય!

બીજાઓની દયા ન ખાઈએ, કારણ કે એમ કરીશું તો વહેલો-મોડો એવો સમય આવશે કે બીજાઓએ આપણી દયા ખાવી પડે! એ ખ્યાલ રાખીએ કે આપણને જેના પ્રત્યે લાગણી છે તે વ્યક્તિ પણ આપણી જેમ પોતાના ઉત્કર્ષ માટે જરૂરી

પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. આપણે જેને મળીએ તેમાંની દરેક વ્યક્તિ કાં તો ભૂતકાળમાં આપણા જેવી પરિસ્થિતિમાં હતી, કાં અત્યારે છે કાં તો હવે પછી આવશે!

દલીલ કર્યા કરતી આપણી બુદ્ધિની દૃષ્ટિએ આપણે એકબીજાથી જુદા હોઈએ તો ય, હકીકતમાં તો આ વિશાળ સૃષ્ટિના આપણે બધા ય અનિવાર્ય અંગ-અને તેથી એક સમાન-છીએ! જુદાઈ એક જ સ્થળે પ્રવર્તે છે, આપણા અણઘડ મનમાં!

આપણા જીવનની બેઢંગી રફતાર જોઈને નવાઈ લાગતી હોય તો, નીચે જણાવેલ વિચારોથી સારું લાગશે.

આપણે સહુ જાણીએ છીએ તેમ અવકાશમાં સતત પરિભ્રમણ કરી રહેલા ગ્રહો, સૂર્યો અને સૂર્યમાળાઓની ગતિ પાછળ કોઈ નિશ્ચિત નિયમ, પદ્ધતિ હોય છે.

બરાબર એ જ રીતે આપણા શરીરમાંના લોહીના નાનામાં નાના અણુનો બારીકમાં બારીક કણ પણ નિશ્ચિત રીતે સારાયે શરીરમાં ગતિ કરી રહ્યો છે. આમ જો, સૃષ્ટિમાંના

મોટામાં મોટા અને નાનામાં નાના પદાર્થો સતત, નિયમિત અને વ્યવસ્થિત રીતે ગતિ કરતા હોય તો એ અનુમાન અનિવાર્ય બની જાય છે કે એ સૃષ્ટિના અગત્યના અંગ સમાન માનવી પણ એ જ પ્રમાણે ગતિ કરતો હોવો જોઈએ! આપણે અગાઉ જોયું તેમ

આપણું અબુધ મન જેને અકસ્માત કરી ઓળખે છે એવા બનાવો પણ ખરેખર તો સભાનતાના નિયમોને આધીન જ કામ કરતા હોય છે!

તેથી જ પ્રિય મિત્રો, વિશ્વાસ રાખો કે આપણે અત્યારે જે છીએ તે ખરેખર યોગ્ય સમયે યોગ્ય સ્થાને જ છીએ અને જે કાંઈ કરી રહ્યા છીએ તે પણ હકીકતમાં યોગ્ય

જ છે!

ઉપર જણાવ્યા તે સૂચનોને અનુસરીને આપણી સભાનતાને-ચેતનાને વધુ ને વધુ ઊંચી લઈ જઈ શકાશે. આ નવી માનસિક સ્થિતિ આપણને અગાઉની ખોટી

માન્યતાઓ અને બીકોથી મુક્તિ અપાવશે. કોઈ પણ કે કશું પણ આપણું બગાડી શકે તેમ નથી! આપણી માન્યતા મુજબ લોકોએ સારા બનવું પડશે. હાલના પદ, સંપત્તિ કે તક કદાચ ગુમાવી બેસાય તો પણ આપણાં અર્ધજાગૃત સંતોષ અને અભય અસંખ્ય

માર્ગોમાંના કોઈ પણ માર્ગે આપણાં માટે વધુ સારાં પદ, વધુ સંપત્તિ કે વધુ સારી તકો

લાવી આવશે.

આજની પરિસ્થિતિ અને આપણે સેવેલા સ્વપ્નો વચ્ચેનો તફાવત ગમે તેટલો

મોટો હોય, આપણી રૂપાંતરિત ચેતના ત્યાં પહોંચાડીને જ જંપશે. સતત જાગૃત પ્રયત્નો પછી સફળતા નિશ્ચિત છે!

ભાવાનુવાદક

નામ : અશોક નગીનદાસ શાહ

સરનામું : મ્-૪, આનંદ એપાર્ટમેન્ટ,

૨૪, જે. પી. રોડ, અંધેરી (પશ્ચિમ),

મુંબઈ-૪૦૦૦૫૮

ફોન : ૦૨૨-૨૬૨૪૨૬૪૩

ઈ-મેઈલ : ટ્ઠજર્રાજરટ્ઠર૦૦૫જ્રઅટ્ઠર્રર્.ર્ષ્ઠદ્બ

અભ્યાસ : બી.કોમ., મુંબઈ યુનિવર્સિટી

જન્મ તારીખ : ર એપ્રિલ, ૧૯૩૮

પરિવાર : ઈન્દિરાબેન (પત્ની)

બે દિકરા, બે પુત્રવધુઓ, બે પૌત્રીઓ, એક પૌત્ર

વ્યવસાય : ખાનગી કંપનીમાં નોકરી

૧૯૯૨માં મેનેજર તરીકે નિવૃત્ત થયા

શોખ/પ્રવૃત્તિ : વાંચન-અંગ્રેજી અને ગુજરાતી સાહિત્ય

‘પ્રબુદ્ધ જીવન’માં કટાર લેખક

‘ઘણા જન્મો, ઘણા આત્માઓ’ ના ભાવાનુવાદક

વિચારવલોણું પરિવાર

વીસમી સદીમાં વિજ્ઞાન અને ટકનોલોજીનો ખૂબ વિકાસ થયો. તેમાંયે છેલ્લાં પચ્ચીસેક વર્ષમાં ટકનોલોજી આપણા જીવનનાં દરેક ક્ષેત્રોમાં પ્રસરી ગઈ છે, એણે જીવનની ગતિને આપણી જાણ બહાર વધારી દીધી છે. આપણી પાસે હજારેક વર્ષની જીવંત સાંસ્કૃતિક પરંપરા છે, જેની અસર આપણા વિચારોમાં, વર્તનમાં અનાયાસ ડોકાયા કરે છે. ઉપરાંત વિકસિત દેશોની અસરથી પણ આપણે મુક્ત નથી.

આપણી આજની મથામણ છે આ પરંપરા, વિજ્ઞાન અને ટકનોલોજી અને વિદેશી અસર, આ બધા વચ્ચે મેળ બેસાડી સ્વસ્થ રીતે જીવવું. ‘વિચારવલોણું પરિવાર’

એવા લોકોનો પરિવાર છે, જેના પ્રયાસો છે કે -

• વૈજ્ઞાનિક અભિગમ સાથે જીવનની જરૂરિયાતો અને પ્રશ્નોને ઓળખીએ, સમજીએ અને ‘આજ’ના સત્યની શોધનો પ્રયાસ કરીએ.

• નવા વિચારોને, નવા અર્થઘટનોને સાંભળવાની, સમજવાની, સ્વીકારવાની ક્ષમતા કેળવીએ.

• કોઈ વ્યક્તિ-વિચારધારાના ચોકઠામાં બંધાઈ ન જવાની સજાગતા રાખીએ.

• વિરોધી વિચારને ઉગ્રતા વગર સાંભળવાની, સમજવાની ધીરજ રાખીએ.

• આપણને ગમતા વિચારોના પ્રચારક ન બનતાં પ્રસારક બનીએ.

• સર્વગ્રાહી, માનવકેન્દ્રી વિચારોને આચરણમાં મૂકી એની કસોટી કરતા રહીએ.

• પોતાની વાત રજૂ કરતી વખતે વિચારશુદ્ધિની, ભાષાના યોગ્ય ઉપયોગની, અનાગ્રહની અને બિનજરૂરી વિસ્તારના જોખમની કાળજી રાખીએ.

• વિશ્વસમસ્તમાં ઊઠતા વિચારવમળોથી અવગત રહીને એને સમજવા

પ્રયત્નશીલ રહીએ.

• અવિરત ચાલતી આ વિચારવલોણાની પ્રક્રિયામાં વધુ ને વધુ લોકોને સહજ સામેલ કરીએ.

• સૌંદર્યદૃષ્ટિ કેળવીએ.

• વ્યક્તિગત આગ્રહો છોડીને સમૂહમાં સ્વસ્થપણે જીવવા પ્રયત્ન કરીએ.

આપ સર્વેને આ પરિવારમાં જોડાવાનું આમંત્રણ છે.