જીવનની સાચી સંપત્તિ
“એક માછીમારે સમુદ્રને જીત્યો, એક કરોડપતિએ સમુદ્રને પણ ખોયો. વાંચો એ વાર્તા જે તમને પૂછવા મજબૂર કરશે — તમે જીવી રહ્યા છો કે દોડી રહ્યા છો?”
ગુજરાતના પોરબંદરથી નજીકના એક વેરાવળ નામના નાનકડા ગામમાં, સમુદ્ર કિનારે એક વૃદ્ધ વડના છાયામાં બેઠો હતો વાઘેર માછીમાર. તેની આંખોમાં સમુદ્ર જેવી શાંતિ હતી. સંતોષ ની તૃપ્તિ હતી. સવારના તાજી માછલી પકડીને તેણે બજારમાં વેચી લીધી હતી. હવે તે આરામથી બીડી પીતો, લહેરોને જોતો હતો. જીવનનો આનદ માણતો હતો.
ત્યાં એક અમીર વ્યવસાયી, મુંબઈથી આવેલો પુંજાભાઈ, ત્યાંથી પસાર થતો હતો. તેના હાથમાં મોંઘો કેમેરા હતો. તેણે વાઘેરને જોઈને પૂછ્યું, “ભાઈ, આમ બેઠા બેઠા શું કરો છો? સમય બરબાદ કરો છો? હું તમને દુરથી ક્યારનો જોતો હતો કે આમ આરામ કરતા.”
વાઘેરએ સ્મિત સાથે કહ્યું, “બાપુ, આજે ખપ પૂરતી માછલી પકડી લીધી છે. હવે આરામ કરું છું.”
આરામ નું નામ સાંભળી પુંજાભાઈ નું મગજ ભમી ગયું. પોતે સતત કામ કરનારા એટલે બીજાને આમ સમય વ્યય કરતો જુએ તો ગુસ્સો આવેજ ને? તે બોલ્ય, “આમ નહીં! તમે ફુરસદ ના સમય માં વધુ માછલી પકડો, વેચો, વધુ પૈસા કમાઓ. પછી મોટી હોડી ખરીદો.”
વાઘેરએ શાંતિથી પૂછ્યું, “પછી?”
“પછી?” પુંજાભાઈની આંખો ચમકી. “મોટર લગાવો, ઊંડા સમુદ્રમાં જાઓ, વધુ માછલી પકડો. બીજી મોટી હોડી ખરીદો, માણસો રાખો. પછી માંછલી કાપવા કટર ખરીદો...”
વાઘેર હજુ પણ શાંત હતો. તેના ચહેરા પર કોઈ ઉત્સુકતા નહોતી.
પુંજાભાઈ આગળ બોલતા ગયા, “એક દિવસ તમે બે-ત્રણ મોટી બોટ (ટ્રોલર) ના માલિક બની જશો. કોલ્ડ સ્ટોરેજ બનાવશો, મસાલા ફેક્ટરી ખોલશો, હેલિકોપ્ટરમાં ઊડશો, માછલીના ટોળાને જોશો અને રેડિયો દ્વારા હુકમ કરશો. પેરિસમાં લોબસ્ટરની નિકાસ કરશો, રેસ્ટોરન્ટ ખોલશો...”
તેનો અવાજ ઉત્સાહ અને ઉત્તેજનાથી કાંપતો હતો. પછી અચાનક તે અટકી ગયો. તેની આંખોમાં તે પરિણામ નું સપનું સામે આવી ગયું. સમુદ્ર તરફ જોઈને તેણે કહ્યું, “અને પછી... તમે આ જ કિનારે બેસીને, સૂર્યની સવારની ગરમીમાં આરામ કરતા, સમુદ્રને જોતા...”
વાઘેરએ તેના ખભા પર હાથ મૂક્યો અને મીઠા સ્વરે કહ્યું, “પણ બાપુ, હું તો એ જ કરું છું.”
ત્યારે વાઘેરના હૃદયમાં આ શ્લોક ગુંજી રહ્યો હતો:
“संतोषः परमो लाभः सत्संगः परमा गतिः।
विचारः परमं ज्ञानं शमो हि परमं सुखम्॥” भर्तृहरि:
સંતોષ જ સૌથી મોટો લાભ છે, સત્સંગ જ સૌથી ઉત્તમ ગતિ છે. વિચાર જ પરમ જ્ઞાન છે અને શાંતિ જ પરમ સુખ છે.
લહેરો સાથે વાતો કરતો,
સમુદ્રની છાતીએ માથું મૂકતો,
સુખનાં મહેલ ન બાંધ્યા તેણે,
પણ આજને જ રાજા બની ગયો.
પુંજાભાઈ સ્તબ્ધ થઈ ગયો. તેની આંખોમાં હવે જીવનનું સત્ય સમજાયાની તૃપ્તિ હતી. તેને ખ્યાલ આવ્યો કે તે પોતે આટલા વર્ષોથી જેની પાછળ દોડતો હતો, તે શાંતિ તો આ સાદા માછીમાર પાસે પહેલેથી જ હતી. આજે માછીમાર પોતાની જાત સાથે વાત કરવાનો સમય હતો જે મારી પાસે મે ક્યારેય કાઢ્યો નહિ.
“न चोरहारी न च राजहारी न भ्रातृभाज्यं न च भारकारि।
व्यये कृते वर्धते एव नित्यं विद्या धनं सर्वधनप्रधानम्॥” ચાણક્ય
જે ધન કોઈ ચોરી ન કરી શકે, રાજા ન લઈ શકે, ભાઈઓ વહેંચી ન શકે — એ વિદ્યા અને સંતોષનું ધન છે.
ત્યાર બાદ વાઘેર માછીમાર ઉભો થઇ વિનય કરવા ગયો ને આગળ ના પત્થર માં ઠોકર ખાઈ ઉંધે માટે પડ્યો. ખુબ વાગ્યું. પુંજાભાઈ તેને લઇ દવાખાને ગયા. વાઘેર પાસે એટલા બધા પૈસા ન હતા. કારણ તે તો સંતોષ માં જ રાચતો હતો.
પુંજાભાઈ એ પૈસા ચૂકવ્યા.
જીવન માં સતત કામ પણ નકામું છે જે આપણા પરિવારના લોકોથી દુર લઇ જાય . પોતાના લોકો પાસે બેસવાનો સમય ન હોય. અને વધારે પડતો સંતોષ પણ નકામો છે. જે માણસને અકર્મણ્યતા તરફ લઇ જાય. પ્રવૃત્તિ વાદ અને નિવૃત્તિ વાદ નો સમન્વય થવો જોઈએ તો જ જીવનનો વિકાસ છે.
कर्माधिक्यं कुलत्यागं जनयेत् दुःखमेव हि। संतोषाधिक्यं चैव आलस्यं मूढतां तथा॥
प्रवृत्ति-निवृत्तीनां समन्वयः सुखावहः। एष एव हि जीवनस्य मार्गः श्रेष्ठतमः स्मृतः॥
વધારે પડતું કામ કુટુંબને ત્યજવાનું કારણ બને છે અને દુઃખ આપે છે. વધારે પડતો સંતોષ આળસ અને મૂઢતા લાવે છે.
પ્રવૃત્તિ અને નિવૃત્તિનો સમન્વય જ સાચું સુખ આપે છે. આ જ જીવનનો શ્રેષ્ઠ માર્ગ છે.
“योगस्थः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय।
सिद्ध्यसिद्ध्योः समो भूत्वा समत्वं योग उच्यते॥” श्रीमद भगवद गीता
હે અર્જુન, આસક્તિ છોડીને યોગમાં સ્થિર રહી કર્મ કર. સફળતા અને નિષ્ફળતા બંનેમાં સમભાવ રાખ. આ સમત્વ જ યોગ કહેવાય છે। - માત્ર પ્રવૃત્તિમાં ડૂબી જવું યોગ્ય નથી, અને માત્ર નિવૃત્તિમાં રહેવું પણ યોગ્ય નથી. અસક્તિ સાથે કરાયેલું કર્તવ્યકર્મ — એ જ જીવનનો સાચો માર્ગ છે।
“न कर्मणामनारम्भान्नैष्कर्म्यं पुरुषोऽश्नुते।
न च संन्यसनादेव सिद्धिं समधिगच्छति॥” श्रीमद भगवद गीता
કર્મનો ત્યાગ કરી દેવાથી મનુષ્ય નિષ્કર્મતા પ્રાપ્ત કરી શકતો નથી, અને માત્ર સંન્યાસ ધારણ કરવાથી સિદ્ધિ મળતી નથી। — જીવનમાં કર્તવ્ય પણ જોઈએ અને આંતરિક શાંતિ પણ જોઈએ; પ્રવૃત્તિ અને નિવૃત્તિનો સમન્વય જ ગીતા નો મધ્યમ માર્ગ છે।