વ્યવહારમાં બદલાવ
શું આપણે ભારતીય લોકોમાં વર્તન અને વ્યવહારનો બદલાવ આવ્યો છે કે આવતો જાય છે? આ સવાલ જાણીએ એ પહેલા આ બિહેવિયર ચેન્જ કે આપણી વર્ણુકનો બદલાવ શું છે એ જાણીએ.
આપણામાં આવતો વર્તણૂક બદલાવ એટલે વ્યક્તિમાં આવતો વ્યવહારિક અને સામાજિક બદલાવ. આપણા વ્યવહારો હોય, સામાજિક રીતિનીતિ હોય કે આપણી બોલવાની રીત હોય, બીજા સાથે વર્તણૂક કરવાની રીત હોય કે પછી આપણી રહેવાની રીત હોય આ બધામાં આવતું પરિવર્તનને આપણે આપણું બિહેવિયર ચેન્જ કે વર્તણૂકનો બદલાવ કહીશું. આમાં સકારાત્મક આચરણ અને નકારાત્મ આચરણ બંનેમાં આવતું પરિવર્તન આવી ગયું છે. ક્યારેક આપણે સમયની સાથે જુના વિચારો અને રિવાજોને બદલી એમાં નવો બદલાવ લાવીએ છીએ એ પણ આવી ગયું છે. આપણામાં આવતું પરિવર્તન ક્યારેક સાહજિક હોય છે તો ક્યારેક કોઈ દ્વારા લવાતું હોય છે કે પછી આપણે એક પ્રવાહની જેમ ચાલીને એને ગ્રહણ કરતા હોઈએ છીએ.
તો શું આપણે ભારતીય લોકો આ પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યા છીએ? શું આપણામાં નવા જમાના સાથે સારા પરિવર્તનો આવ્યા છે? મારું માનવું છે કે આપણામાં કઈક હદ સુધી પરિવર્તન આવ્યું છે અને થોડું ઘણું એમાં સુધારવાની જરૂર છે.! આપણે આપણામાં બાહ્ય પરિવર્તન તો લાવી દીધું છે પરંતુ આંતરિક પરિવર્તન જોઈએ એવું આવ્યું નથી. આપણે બહારથી તો આધુનિક વિચારોવાળા દેખાવવાનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ અંદરથી આપણા વિચારો હજી બાબા આદમના વખતના છે. તો આપણામાં એવા કયા બદલાવ આવ્યા છે જેને ખરેખર બદલાવ કહી શકાય?
એક રીતે જોઈએ તો આપણી પાસે પૈસા આવ્યા છે આપણી આવક વધી છે ત્યારથી આપણી જીવન શૈલી સારી થઈ ગઈ છે. જ્યાં જીવન શૈલી સારી થાય છે ત્યાં વિચારોનું પરિવર્તન અને વર્ણુકનું પરિવર્તન આવવું સ્વાભાવિક છે અને જ્યાં વિચારોનું પરિવર્તન આવે છે ત્યાં જુના રીતિરિવાજોમાં પણ બદલાવ આવે છે. નવા જમાના સાથે જૂના રીતિ રિવાજો સુસંગત ના હોઈ એને બદલવા પડે છે. દાખલા તરીકે જૂના જમાનામાં સંધ્યા થઈ જાય પછી ઘર વાળવાની મનાઈ હતી. આ એટલા માટે હતું કે જૂના જમાનામાં લાઈટની સગવડતા હતી નહીં જેથી નીચે હોય કિંમતી વસ્તુ પડી હોય એ સાવરણી વાળવા સાથે જતી રહેવાનો ચાન્સ રહેતો હતો, આવું ના થાય એટલા માટે આ નિયમ હતો પરંતુ અત્યારના જમાનામાં બધે લાઈટની સગવડતા આવી ગઈ છે અને રાત્રે બધું જ દેખાઈ છે માટે આ રિવાજ કે નિયમ અત્યારે કોઈ કામનો નથી.
આપણી અંદરનો બદલાવ જે આવી રહ્યો છે એ મોટાભાગનો એની મેળાએ સમયની સાથે આવી રહ્યો છે. આપણી અંદરનો મોટાભાગનો બદલાવ આપણા ઉપર થોપવામાં આવતો નથી પરંતુ એની જાતે સમય સાથે આવી રહ્યો છે. પહેલાના ઘણા રિવાજો છે જે અત્યારે લુપ્ત થઈ ગયા છે. પહેલાના જૂના વિચારો પણ આપણા મનમાંથી ગાયબ થઈ ગયા છે. પરિવર્તન સંસારનો નિયમ છે. સમયની સાથે વ્યક્તિએ અને સમાજે પરિવર્તિત થવું જ પડે છે.
બીજી વાત કરું તો સમય સાથે આપણી સફાઈની આદત કે જેને આપણી જાતને કે આપણી આજુબાજુના એન્વાયમેંટને સાફ કરવાની આપણી આદત છે એમાં ધળમૂળમાં પરિવર્તન આવ્યું છે. પહેલા આપણે ખુદ કેટલા ગંદા રહેતા હતા. પહેલા આપણે અઠવાડિયામાં એક કે બે વાર નહાતા હતા જ્યારે અત્યારે દરરોજ નાહિયે છીએ! પહેલા આપણે કચરો ગમે ત્યાં ફેંકતા હતા જ્યારે અત્યારે આપણે આવું નથી કરતા! હાલાકી આમાં હજુ ઘણો બદલાવ કરવાની જરૂર છે. આપણી અમુક આદતો હજી એવી છે કે જેમાં કોઈ પરિવર્તન આવ્યું નથી, એમાં પરિવર્તન આવવાની જગ્યાએ એ આદત કે વર્ણૂક સમયની સાથે વધારે બગડી છે. આપણી ટ્રાફિક સેન્સ કે આપણા ટ્રાફિક નિયમો પાળવાની આદત સાવ ખાડે ગઈ છે. અત્યારે આપણા દેશના રસ્તા મોતના રસ્તા બની ગયા છે. આપણા દેશના રસ્તા યુધ્ધના મેદાન બની ગયા છે. આપણે આપણા વાહનનો ઉપયોગ એક શસ્ત્ર તરીકે કરતા થઈ ગયા છીએ.
આપણામાં આવતું બદલાવ આપણા શિક્ષણથી પણ આવે છે. આપણે જેમ જેમ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ એમ આપણા વિચારોમાં પરિવર્તન આવે છે અને એ આપણી આજુબાજુ દેખાઈ આવે છે. તમારામાં શિક્ષણ આવે છે ત્યારે વસ્તુ કે વ્યક્તિને સમજવાની દૃષ્ટિ બદલાઈ છે, એને મૂલવવાની દૃષ્ટિ બદલાઈ છે. જેમ જેમ આપણામાં જ્ઞાન આવે છે તેમ તેમ જે વાત ક્યારેક સાચી લાગતી હોય એ ખોટી લાગવા લાગે છે અને જે વાત ખોટી લાગતી હોય એ વાત સાચી લાગવા લાગે છે. સાથે અમુક વાત કે વસ્તુ આપણે છોડવા પણ લાગીએ છીએ. પહેલાના જમાનામાં આપણા દેશમાં વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓ હતી, આને લીધે આપણા દેશમાં ત્યારે જ્ઞાનનું સ્તર ઊંચું હતું અને ત્યારે આપણો સમાજ આગળ હતો, પરંતુ વિદેશી આક્રમણકારીઓએ પહેલા આપણી યુનિવર્સિટી ખેદાનમેદાન કરી અને પછી આપણી શિક્ષણ વ્યવસ્થા ભાંગી નાખી. આથી આપણા વિચારોમાં પરિવર્તન આવતું ગયું અને આપણા સમાજમાં કુરિવાજો આવતા ગયા. એ સમયમાં આપણી વર્તણૂકમાં અને વિચારોમાં સંપૂર્ણ પરિવર્તન આવી ગયું હતું. પહેલા આપણો સમાજ ઘણો ઉદાર હતો, ઘણો વિચારશીલ હતો પરંતુ સમય સાથે બધું બદલાઈ ગયું.
જ્યારે સમાજમાં નેગેટિવ વિચારસરણી પ્રવેશે છે ત્યારે સમાજમાં નબળા વિચારોથી કુરિવાજો આવી જાય છે આને નેગેટિવ બિહેવિયર ચેન્જ કહેવામાં આવે છે. આ નેગેટીવ બિહેવિયર ચેન્જ ઘણો ખતરનાક હોઈ છે. એ પ્રકારનો ચેન્જ સમાજને આગળ નહીં પરંતુ પાછળ લઈ જાય છે. અત્યારે આપણે પોઝિટિવ બિહેવિયર ચેન્જમાંથી પસાર થઈ રહ્યા છીએ, એટલે જ અત્યારે આપણામાં પોઝિટિવ બિહેવિયર ચેન્જ આવી રહ્યો છે. આ પ્રકારનો બદલાવ આપણા સમાજ માટે અને દેશ માટે ઘણો ફાયદા કારક છે. આપણે આઝાદી પછી પણ અંગ્રેજોની માનસિક ગુલામીમાં જીવતા હતા જેમાંથી ધીરે ધીરે આપણે બહાર આવી રહ્યા છીએ. દેશ અને સમાજ પ્રત્યેની વિચારવાની આપણી સમજ બદલાઈ ગઈ છે. આપણામાં અત્યારે દેશ ભાવના અને આપણા સમાજ પ્રત્યેની વફાદારીની ભાવના વધવા લાગી છે.
અત્યારે આપણી અંદર બીજાના વિચારોનો પ્રભાવ પણ ઓછો પડવા લાગ્યો છે. પહેલા આપણે બીજાના વિચારોથી તરત પ્રભાવિત થઈ જતા હતા પરંતુ અત્યારે કોઈ આપણને કહે છે ત્યારે આપણે તરત માની જતા નથી, એના વિશે પહેલા વિચારીશું પછી સાચું કે સારું લાગશે તો એને ફોલો કરીશું, અંધળુકિયું નહીં કરીએ.
મેં દોસ્તો આગળ કહ્યું એ પ્રમાણે પરિવર્તન સંસારનો નિયમ છે. કોઈ પણ સમાજ કે દેશને સતત પરિવર્તનશીલ રહેવું પડે છે અને રહેવું જોઈએ. જે દેશ કે સમાજ સમય સાથે પરિવર્તન કરતો નથી તે અંદરથી ખોખલો થઈ જાય છે. આવી જ રીતે માણસે પણ સમય સાથે પોતાને અંદરથી પરિવર્તિત કરવો જોઈએ. જો એ એની જાતને પરિવર્તિત નહીં કરે તો એ અંદરથી નબળો થઈ જશે અને અંદરથી ખોખલો થઈ જશે. એટલે જ બિહેવિયા ચેન્જ એ સમયની માંગ છે, જે આવવું જ જોઈએ.
છેલ્લે
જીવન સતત બદલાતું રહે છે, અને તેની સાથે આપણું વર્તન પણ બદલાતું રહે છે. બાળપણથી લઈને યુવાની અને પછી પ્રૌઢાવસ્થા સુધી, સમય અને અનુભવ આપણને નવી રીતે વિચારતા અને વર્તતા શીખવે છે. વર્તનમાં આવતો ફેરફાર કોઈ કમજોરી નથી, પરંતુ એ આપણાં વિકાસ અને સમજણની નિશાની છે.
અસ્તુ.