ભૂલાતી સંસ્કૃતિ Rahul Narmade ¬ चमकार ¬ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભૂલાતી સંસ્કૃતિ

હું હમેશાં હોરર અને Sci Fi સ્ટોરી લખતો આવ્યો છું પરંતુ આ વખતે તહેવાર અને સંસ્કૃતિ પર લખવાની પ્રેરણા મારી સાથે બનેલા એક પ્રસંગે આપી. મારા એક ઓળખીતાને ત્યાં લગ્ન હતા, જ્યાં હું આગલે દિવસે દાંડિયારાસ ના કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલ, નામ માત્ર દાંડિયારાસ હતું બાકી ગીતો બોલીવુડ ના વાગી રહ્યા હતા, પૂરો કાર્યક્રમ સમાપ્ત થઈ ગયો પરંતુ એક પણ ગરબા ગીત વાગ્યું નહીં. એક કોલેજમાં નવરાત્રિ પર "ગરબા નાઈટ" નામથી દાંડિયારાસનો કાર્યક્રમ હતો જેમાં ગરબા તો દૂર, "બીડી જલા દે જીગર સે" એવા અર્ધઅશ્લીલ ગીતો વાગી રહ્યા હતા અને સામે માતાજીની મૂર્તિ બેસાડી હતી. આ સામાન્ય ઉદાહરણો હતા અત્યારના સમયમાં સંસ્કૃતિને કેવી રીતે જોવામાં આવે છે તેના. સત્ય તો એ છે કે ગરબાગીત જેવા ગીતો પણ હોય છે તે હવે લોકો ભૂલવા લાગ્યા છે. અને કોઈ ભૂલથી પણ જુના અંદાજમાં શેરી ગરબાનું કોઈ વાત કરે તો તેને રાતોરાત "દેશી અને અભણ" માની લેવામાં આવે છે. મને પોતાને ઇંગ્લિશ ગીતો પસંદ છે પણ જ્યાં જે લાગુ પડતું હોય ત્યાં જ લાગુ પાડવું રહ્યું, અને એક કટુ સત્ય એ પણ છે કે તહેવારના નામે પોતાનું સ્ટેટ્સ દેખાડવું એ મહત્ત્વનું થઈ ગયું છે. 
      ગણપતિ ઉત્સવમાં અતિ ભારે માત્રામાં ખર્ચ કરીને મંડપ બનાવીને દેખાડો કરવામાં પણ કોઈ પાછળ નથી, અમુક જુથ / સંગઠનના લોકો ગણપતિ બાપાના નામે અન્ય સંગઠનો /જુથ ને નીચા દેખાડવાનું કામ કરતા હોય છે, "અમારા મંડપમાં 1,50,000 નો ફાળો આવ્યો, પેલા જુથ કરતા તો વધુ આવ્યા", "પેલા જુથ ના ગણપતિ મંડપમાં તો ખાલી 10,000 જ આવ્યા" આ રીતે સ્પર્ધા કરવાનું શરૂ થઈ ગયું છે. અને અમુક લોકો તો એવું કહેતા ફરતા હોય છે કે અમારે ત્યાંના ગણપતિ ચમત્કારિક છે, લોકો દૂર થી માનતા પૂરી કરવા આવે છે, એનો અર્થ એવો થયો કે, તે પરમાત્મા કે જેનો કોઈ અંત નથી, જેની વિશાળતા પણ અંતહીન છે તે ઈશ્વર આવા લોકોના જુથ પૂરતો મર્યાદિત છે! 

       હમણાં થોડા દિવસો પછી દિવાળી આવશે, કેટલાક બુદ્ધિજીવીઓ એવું નિવેદન માત્ર આપશે કે "હું ફટાકડા નહીં ફોડું, કેમકે પર્યાવરણને નુકસાન થાય" જેવું આ નિવેદન કરશે એટલે કેટલાક કટ્ટર ધર્મપ્રેમીઓ ઉછળી ઉછળીને અને કૂદી કૂદીને કહેવા લાગશે કે "31st December આવે ત્યારે નહીં ફોડવાના ફટાકડા બાકી શ્રી રામની જીતમાં અમે તો ફટાકડા ફોડશુ જ". તેઓ લોકોને એમ લાગવા માંડે છે કે ફટાકડાના વિરોધ થી હિન્દુ ધર્મનો વિરોધ થયો છે, અરે એવું નથી, બુદ્ધિજીવીઓ કે જે ફટાકડા ફોડવા રોકતા નથી પરંતુ કાનના પડદાં હલી જાય તેવા બોમ્બ અને અતિશય કાળો ધુમાડો ઉડે તેવા ફટાકડાના વિરોધમાં હોય છે, વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે આ વિષયને હું સપોર્ટ કરું છું, દિવાળી એટલે અધર્મ પર ધર્મની જીત કહેવાય, દિવાળી પર રંગોળી કરવી, તોરણ સજાવટ કરવી, સંબંધીઓને મળવા જવું, ઘરમાં દીવા કરવા આ બધા કાર્યો મુખ્ય હોય છે પરંતુ આ બધા કામ તો લેડીઝના હોય હું શું કરવા ઘરમાં સજાવટ કરું? હું પુરુષ છું! હું તો બહાર નીકળી કાનને નુકશાન થાય તેવા ધડાકા જ કરીશ!! હમણાં દશેરાનો તહેવાર પણ આવી રહ્યો છે, આ દિવસે કેટલાક લોકો રાવણ પ્રેમી થઈ જશે, એ વાત સાચી છે કે રાવણે સીતા માતાને સ્પર્શ પણ નહોતો કર્યો અને તેને ધર્મનું જ્ઞાન હતું, પરંતુ આ અમુક લોકો દશેરાને બદલે રાવણના ગુજરી ગયાનું માતમ મનાવશે. 

     છેલ્લા બે - ત્રણ વર્ષથી એવું થાય છે કે મકરસંક્રાંતિ પર્વ સોમવાર, શનિવાર અથવા શુક્રવારે આવતી હોય છે જેથી રજાનો મેળ થઈ શકે, ગ્રહો અને નક્ષત્રો સાથે ચેડાં થયા છે કે કેમ મને નથી ખબર પણ હું સ્કૂલમાં હતો ત્યારે ઘણી વખત રવિવારે મકરસંક્રાંતિ હોય તેવું બન્યું છે, ખેર આ દિવસે આકાશમાં પતંગો પણ ઓછી જોવા મળે છે પરંતુ હા, ગુજરાતની બહાર જતા હાઇવે ફૂલ હશે, કેમ કે તહેવાર પર ઘરે રહીને સ્વજનો સાથે ખુશ રહેવું પસંદ જ નથી, અતિશય મોંઘાદાટ મોબાઈલમાં સેલ્ફીઓ લઈ સમાજમાં એકબીજાને દેખાડવું જરૂરી બની ગયું છે. ફરવા જવું કોઈ ખોટી વાત નથી, પહેલાના સમયમાં લોકો પોતાના રૂટીન જીવનમાં ત્રાસી ગયો હોય ત્યારે કૈંક ચેન્જ આવે જીવનમાં એટલા માટે ફરવા જતા, જ્યારે હવે તો કોઈપણ તહેવાર હોય, જન્માષ્ટમી - બહારગામ, નવરાત્રિ - બહારગામ, મકરસંક્રાંતિ - બહારગામ, હોળી - બહારગામ. આ તો થઈ તહેવારની વાત હજી ક્રિસમસ અને ઉનાળુ વેકેશન તો બાકી જ રહ્યું. 

      ભારતનું અર્થતંત્ર ઘણું આગળ વધ્યું છે, માથાદીઠ આવક પણ વધી છે પરંતુ તહેવાર અને ફરવા જવા પર દેખાદેખી કરવી, જીવન જીવવામાં દેખાદેખી એ કોઈ ઊંચા જીવનધોરણની નિશાની નથી. આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિના સારા સંસ્કારો શીખી અને સ્વીકારી પરંતુ આપણી પોતાની સંસ્કૃતિ ભૂલો જઈએ તે યોગ્ય નથી.