Dhandhani Vaat - 2 books and stories free download online pdf in Gujarati

ધંધાની વાત - ભાગ 2

અઝીમ પ્રેમજી

‘અઝીમ’-ઓ-શાહ : ‘વિપ્રો’

પ્રશ્ન: “વિપ્રોને ટોપ ૧૦ના સ્થાને કઈ રીતે પહોચવું જોઈએ?”

“લક્ષ્યાંકોની કોઈ તંગી નથી. ટોપ ફાઈવ, ટોપ થ્રી, ટોપ વન. – જીવન એક સતત ચાલતી દોડ છે. અહી દોડ જીતી ગયા પછી ઇનામ આપવામાં આવતું નથી પણ દોડ દોડવાનો અનુભવ એ જ સૌથી મોટું અને મહાન ઇનામ છે.” – અઝીમ પ્રેમજી

રોજ સવારે સાડા ચાર વાગ્યે ભારતની અગ્રગણ્ય કંપનીની ફરજો એક વ્યક્તિની રોજ રાહ જોતી હોય છે. આ કંપની તેમના માટે ખોરાક, શ્વાસ અને જીવન છે. અઠવાડિયાના માત્ર ૪૦ કલાક કામ કરવાના નિયમોની આલોચના કરીને પોતે રોજની ૧૪ કલાક કંપની માટે ફાળવે છે. તેમની સાદા ડેકોરેશન ધરાવતી ઓફિસમાં પેઈન્ટીંગ અને શિલ્પો છે. રોજ એ વ્યક્તિ લીફ્ટને બદલે દાદર ચડીને પોતાની ઓફિસમાં જાય છે, પછી ભલેને ૧૦માં માળ પર હોય. ગુસ્સો શું કહેવાય? તે જ તેમને ખબર નથી. પોતાના વિચારોને શાંતિથી ભારપૂર્વક સમજાવવા અને કદાચ ખોટો ઠરે નિર્ણય, તો તેને ફેરવવામાં જરાયે વિલંબ કરતા નથી. તેઓ ‘ઈકોનોમી ક્લાસ’માં જ મુસાફરી કરે છે. એરપોર્ટથી ઘરે કે ઓફિસે જવા માટે ટેક્સી ના મળે તો ઓટોરીક્ષા કરતા પણ ખચકાટ અનુભવતા નથી. મુસાફરી દરમિયાન હોટેલની લોન્ડ્રી સગવડનો ઉપયોગ કરવાને બદલે પોતાના કપડા જાતે જ ધોઈને ઈસ્ત્રી કરી નાંખે છે. આજે પણ કામ કરવાની ઝડપ નવાસવા બિઝનેસમેનને શરમાવે એટલી છે.

આ વ્યક્તિ એટલે ‘અઝીમ પ્રેમજી’ અને તે કંપની એટલે ‘વિપ્રો’ (WIPRO).

જન્મ કુંડળી

૨૪ જુલાઈ, ૧૯૪૫ના રોજ અઝીમનો જન્મ. ચાર બાળકોમાં અઝીમ તેની માતાનો લાડકો હતો. નાણાકીય રીતે ખુબ જ સદ્ધર કુટુંબ. પરંતુ, મોજ-શોખથી દૂર રાખીને જિંદગીની ખરાબ પરિસ્થિતિમાં પણ હિંમતથી જીવવું એ તેમના માતા-પિતાએ શીખવ્યું હતું. નાણાનું મુલ્ય અને સખત મહેનત બાળપણથી જ તેમના મનમાં વિચાર તરીકે રોપવામાં આવ્યા હતા. જે આજે પણ તેમની કંપની અને તેનામાં જોવા મળે છે.

બાળક અઝીમની બધી જ હોશિયારી તોફાનમસ્તીમાં ખર્ચાઈ જતી હતી. તેઓને સ્કુલની કોઈ પરીક્ષાઓમાં રસ નહોતો. રોજનો ઠપકો એ તેમના માટે સામાન્ય વાત બની ચુકી હતી. ખરાબ વર્તન માટે અંગુઠા પકડાવવા અને ક્લાસની બહાર કાઢી મુકવા એ અઝીમ માટે રોજની વાત બની ગઈ હતી. જેથી તેઓ ભગવાન પાસે પ્રાર્થના કરતા. પરંતુ તેમની પ્રાર્થનાઓ કંઇક અલગ પ્રકારની હતી.

‘હે પ્રભુ, આજે મુશળધાર વરસાદ પડે..! જેથી ચારેબાજુ પાણી ભરાઈ જાય અને બધી શાળાઓ બંધ થઇ જાય.’ – આવી તેમની પ્રાર્થનાઓ રહેતી. લેટ્સ હેવ અ લુક ઓન લેજન્ડ..!

ફ્લેશ બેક

કદાચ કોઈને ખબર નહિ હોય...! ‘વિપ્રો’, જે આજે ઇન્ફોર્મેશન ટેકનોલોજીની કંપની તરીકે ઓળખાય છે તેની શરૂઆત ‘વનસ્પતિ તેલ’ બનાવવાથી થઇ હતી, જે તેમના પિતાજી મોહમદ હુસેન પ્રેમજીએ કરી હતી.

મહારાષ્ટ્રના અંતરિયાળ ગામડું, કે જેને કોઈ ત્યારે જાણતું પણ ન હતું. મુંબઈથી ૪૦૦ કિમી દોર બોરી નદીને કાંઠે અમલનેર નામના ગામને પોતાની ફેક્ટરીનું સ્થળ બનાવ્યું.

વનસ્પતિ ઓઈલનું ઉત્પાદન, જેનું નામ ‘ડાલડા’ હતું. જે નામ ખુબ જાણીતું છે. દરેક લોકોની પરિસ્થિતિ અન્ય ખાદ્યતેલ ખરીદી શકે તેવી નથી હોતી. તેની સરખામણીમાં આ વનસ્પતિ ઓઈલ ‘ડાલડા’ ખુબ સસ્તું મળતું હતું.

· ૨૯ ડિસેમ્બર, ૧૯૪૫ ના રોજ એમ.એચ.પ્રેમજીએ ‘વેસ્ટર્ન ઇન્ડિયા વેજીટેબલ પ્રોડક્ટ્સ લીમીટેડ’ નામની કંપનીની સ્થાપના કરી. ત્યારબાદ કંપનીમાં અન્ય વનસ્પતિમાંથી બનતી ચીજવસ્તુઓ બનાવવાનું શરુ કર્યું. તેથી કંપનીના નામમાંથી તેમને ‘વેજીટેબલ’ શબ્દને દુર કર્યો.

સ્ટેનફોર્ડ યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા અઝીમ પ્રેમજીને એક આંચકો લાગ્યો. જે તેમના પિતાનું અવસાન હતું. તેમની કંપની ‘વેસ્ટર્ન ઇન્ડિયા પ્રોડક્ટ્સ’ ના દરેક પહેલા અક્ષરો લઈને નામ બન્યું ‘WIPRO’. બસ, પછી શરુ થઇ ‘વિપ્રો’ની કહાની.

સંઘર્ષ : ભવિષ્ય vs ભવિષ્ય :

માત્ર ૨૧ વર્ષની વયે પિતાના અવસાન બાદ, અઝીમ પાસે ૨ રસ્તાઓ હતા. (૧) ધમધોકાર ચાલતી પિતાની ફેક્ટરીને સંભાળવી. (૨) સ્ટેનફોર્ડ યુનિવર્સીટીમાં પોતાનો ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગનો અભ્યાસ પૂરો કરીને પદવી મેળવવી.

માતા ગુલબાનોએ અઝીમને કહ્યું, “અઝીમ, આ તારા પિતાની આખરી ઈચ્છા હતી. જે તારે નિભાવવી જ રહી...!”

હજુ અઝીમ પુખ્ત વયના નહોતા થયા. કોલેજના સ્ટુડન્ટ હતા. આટલી મોટી જવાબદારી કઈ રીતે સ્વીકારવી? કદાચ તેઓ નિષ્ફળ જાય તો? કંપની ખોટ કરે તો? આખરે નિર્ણય થયો. પોતાના અભ્યાસને બદલે પોતાના પિતાની આખરી ઈચ્છા પર વધુ વિશ્વાસ મુક્યો. અંતે, મને-કમને તેઓએ વિપ્રોની જવાબદારી સ્વીકારી લીધી.

તેની પાછળ પણ કેટલાક કારણો હતા.

જો અઝીમે જવાબદારી સ્વીકારવાની ના પડી હોત તો કોઈ ત્રીજી જ વ્યક્તિએ કંપનીનો વહીવટ સંભાળી લીધો હોત. તેઓ કેવો વહીવટ કરે અને પોતાનું સમજીને કરે કે નહિ? એ મોટો પ્રશ્ન હતો.

જો બીજો નિર્ણય કરે તો જિંદગીભાર પસ્તાવો રહી જાય. આવી પરિસ્થિતિનો સામનો કરવા તેઓ માંગતા નહોતા.

મોટીવેશન

અઝીમની માતા ગુલબાનોના શબ્દો:

“અઝીમ, મને ઉત્પાદન અંગેની કોઈ વાતની ખબર નથી કે વનસ્પતિ અને વેજીટેબલ ઓઈલના વેચાણની. પરંતુ હું તને પાયાના સિદ્ધાંતિક મુલ્યો અને શિસ્ત અંગેની વાત કરી શકું એમ છું જે સૌએ અનુસરવા જોઈએ. પછી તે વ્યાપાર માટે હોય કે અંગત જીવન માટે હોય. મને નથી ખબર કે આ બધા મુલ્યો તારા ધંધાકીય વહીવટમાં કેટલા કામ લાગશે.

જો તું કોઈ વાત કે વસ્તુ માનતો હોય તો બીજાઓના તે અંગેના અભિપ્રાયની ચિંતા કરતો નહિ. ક્યારેય તારી માન્યતામાંથી પીછેહઠ કરતો નહિ. સતત તારી માન્યતાઓને વળગી રહેજે અને તે પ્રમાણે વર્તન કરજે. પછી તે ધંધાનું હોય કે અંગત હોય. બીજાને આપેલું વચન પાળજે. જો તું તારા શબ્દોને તું જ માન ન આપે તો તારા શબ્દોને બીજા માન આપે એવી તું આશા રાખી શકે?”

બસ, આ શબ્દો સીધા જ અઝીમના હૃદય સોંસરવા નીકળી ગયા. ધંધામાં પારદર્શકતા અને પ્રમાણિકતાનો પર્યાયી તેઓ આજ દિન સુધી રહ્યા છે. શરૂઆતમાં અઝીમને તરતા નહોતું આવડતું છતાં પાણીમાં ફેંકી દેવામાં આવ્યા એટલે હાથપગ આમતેમ હલાવીને ખુબ સારા તરવૈયા બનીને બહાર નીકળ્યા.

બિઝ ‘સેલ્ફ’નો શેલ્ફ

અઝીમ પ્રેમજી અંગેની રમૂજભરી અને મહત્વની વાત એ હતી કે તેમના વ્યાખ્યાનોની શરૂઆત આંકડાઓથી થાય છે. જેમ કે, ‘સફળ સાહસિક થવાની આઠ રીતો’, ‘જીવનના દસ મહત્વના પદાર્થપાઠ’, ‘વિદ્યાર્થીઓ માટેની પાંચ મહત્વની સૂચનાઓ’ વગેરે...

· દરેક મુદ્દાઓની નોંધ રાખવી અને તે પણ સ્પષ્ટ અને વ્યવસ્થિત રીતે.

· કોઈની પાસેથી શિખામણ લેવી તેના કરતા પુસ્તકો પાસેથી જ શીખવું જોઈએ.

· જૂની રીતરસમો અને વહેમમાં પાડવા અને પડવા વાળા લોકો માટે બિઝનેસ નથી.

· શિસ્ત અને પારદર્શિતા.

· વૈજ્ઞાનિક દ્રષ્ટિથી દરેક નિર્ણયો અને બિઝનેસનો બિઝ’સોફી’ને અનુસરવાની ટેવ.

· ગ્રાહકના વિચારો અને જરૂરિયાતો મુજબ વસ્તુનું ઉત્પાદન.

આ દરેક વાતો ‘વિપ્રો’નો બેન્ચમાર્ક હતી. જયારે અઝીમ પૂછે કે, ‘વનસ્પતિ ઓઈલનું વેચાણ કેવું રહ્યું?’ ત્યારે તેનો જવાબ આ મુજબનો ના જ હોવો જોઈએ કે ‘સરસ’, ‘એકદમ બરાબર’. તેના બદલે દરેક વાતને આંકડાઓમાં ફેરવી નાખવું જોઈએ. જેમ કે, આ મહિને કેટલા ટીન વેચાયા? અધિકારીઓએ જુદા જુદા વિસ્તારોમાં કેટલું વેચાણ કર્યું? ગયા મહિના કરતા આ મહીને ટકાવારી મુજબ વેચાણનો તફાવત શું રહ્યો? આ દરેક વાતો આંકડાકીય હોવી જોઈએ.

વિપ્રો માટે અઝીમને ઘણા વિશાળ આયોજનો હતા. નવી ટેકનીકો દાખલ કરવા માટે ફરીથી પુસ્તકોનો ઉપયોગ શરુ કર્યો. વિપ્રોને ‘કોંગ્લોમીરેટસ’ બનાવવાના સપનાઓ અઝીમે જોયા હતા. ‘કોંગ્લોમીરેટસ’નો અર્થ થાય છે અનેક કંપનીઓને એક છત્ર નીચે લાવવી. ટૂંકમાં ‘ગ્રુપ ઓફ કંપનીઝ’. એક જ વ્યાપારમાં બધી મુડીને રોકવા કરતા અલગ-અલગ બિઝનેસમાં ફેલાવી દેવાથી બજારની ઉથલપાથલને સારી રીતે સંભાળી શકાય. વિપ્રો એ જે વનસ્પતિ અને તેલનું ઉત્પાદન કરતુ જ હતું. તેણે હવે ધોવાના અને નાહવાના (સંતૂર) સબુઓનું ઉત્પાદન અને વેચાણ શરુ કર્યું. કોસ્મેટીક પ્રોડક્ટ્સનું પણ વેચાણ શરુ કર્યું (ચંદ્રિકા, શિકાકાઈ). ધીરે ધીરે બેબી પ્રોડક્ટ્સ (બેબી સોફ્ટ), ઈલેક્ટ્રીકલ અને ઇલેક્ટ્રોનિક્સ સાધનો, મશીનરી અને મેડીકલ સાધનો બનાવવાના શરુ કર્યા હતા. સાચું કહીએ તો કોઈ પણ સાહસમાં વિપ્રોથી ‘નંબર વન’ બની શકાયું નથી. સોફ્ટવેરમાં પણ હંમેશા ઇન્ફોસિસ અને ટી.સી.એસ પછી બીજા કે ત્રીજા નંબર પર રહ્યું છે. છતાં, તેમણે દરેક સાહસમાં નોંધપાત્ર નફો મેળવ્યો છે.

ઈન્ટરવ્યુ

‘આપનો પરિવાર કેટલો સમૃદ્ધ હતો? બાળપણમાં આપ ધનિક છો તેવું અનુભવતા હતા?’

‘હા, હું જાણતો હતો કે અમે સુખીસંપન્ન છીએ. પણ હું બહુ ધનિક ખાનદાનનો નબીરો છું તેવો કોઈ ખ્યાલ નહોતો.’

‘શું તમે ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરતાં હતાં?’ તેનું કોઈ કારણ?

‘ચોક્કસ! મારાં બાળકો પણ હંમેશા ઈકોનોમી ક્લાસમાં જ મુસાફરી કરે છે. કારણ એ છે કે જીવનલક્ષી મૂલ્ય, મને બાળપણમાં જ શીખવવામાં આવ્યું છે કે ધન કરતાં વધારે મહત્વપૂર્ણ તમારાં મૂલ્ય છે.’

‘ભારતના સૌથી ધનિક માણસ બનીને શું અનુભવો છો, જેનું કુલ મૂલ્ય 1000 કરોડ ડૉલર કરતાં પણ વધારે મનાય છે?’

‘પ્રાણીસંગ્રહાલયના પ્રાણી જેવું...! જ્યારે લોકો મારા રૂપિયા વિશે વાત કરે છે ત્યારે મને ચીડ ચડે છે. ઘણા વર્ષ સુધી મારી પાસે કેટલા રૂપિયા છે તેના પર જ લેખ પ્રકાશિત થયા છે. જાણે મારા જીવનમાં તેના સિવાય બીજું કંઈ હોય જ નહિ. ઓછું થતું જાય છે. એની માટે હું લક્ષ્મી નિવાસ મિત્તલનો આભારી છું જે મારા કરતાં વધારે ધનિક થયા છે. હવે અબજોપતિઓના બધા લેખમાં તેમનો જ ઉલ્લેખ થાય છે અને સદનસીબે મને બાકાત રાખવામાં આવે છે. મેં ગયા અઠવાડિયે જ જાણ્યું કે મુકેશ અંબાણી મારાથી આગળ નીકળી ગયા છે. તેનાથી મને વધુ રાહત મળી છે, કારણ કે મને મારા ધન વિશે કોઈ સવાલનો જવાબ આપવો ગમતો નથી.’

‘એવો કોઈ સમય હતો જ્યારે તમે અચાનક અનુભવ્યું કે હે ભગવાન..! હું હવે ભારતનો સૌથી ધનિક માણસ છું.?’

‘ના, કારણ કે તે ધીમેધીમે થયું. એટલે જ્યાં સુધી પ્રેસ દ્વારા મને જાણકારી ન અપાઈ ત્યાં સુધી મને તેની બહુ જાણકારી નહોતી. તે ઊંચી છલાંગ જરૂર હતી જેને મેં અનુભવી હતી.’

‘શું આપ પોતાને ધનિક અનુભવો છો?’

‘જ્યારે હું યુવાન હતો ત્યારે પણ મારો પરિવાર વધુ રૂપિયા ખર્ચ કરવામાં કે વાહિયાત જરૂરિયાતો પૂરી કરવામાં વિશ્વાસ ધરાવતો નહોતો. અમે રજાઓ ગાળવા પણ મહાબળેશ્વર કે કોઈ એવી જ જગ્યા પર જતાં. અમે વિદેશ જતા નહોતા. રૂપિયાને લઈને મારો દષ્ટિકોણ હજુ પણ તેવો જ છે.’

કમ્પ્યુટરજી : પ્રેમજી

ભારત સરકારે FERA (ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ) નામનો કાયદો જાહેર કર્યો. તેનો મતલબ એવો થાય કે ભારતમાં કાર્યરત બધી જ કંપનીઓના (સ્વદેશી હોય કે વિદેશી) અમુક ટકા શેર ભારતીય કંપનીઓના તાબામાં જ રહેવા જોઈએ. એ સમયે આઈ.બી.એમ એ પોતાનું કામકાજ ભારતમાંથી સંકેલી લીધું અને વિપ્રોને ગાલમાં હસવું આવ્યું.

આઈ.બી.એમ ભારતમાં ખુબ જ જૂની ટેકનોલોજીનું વેચાણ કરી રહ્યું હતું ત્યારે બજારમાંથી તેઓની વિદાય ભારતના માર્કેટ પર વધુ અસર પહોચાડી શકે તેમ નહોતું. તેથી વિપ્રો માટે તેની પીછેહઠ ટર્નિંગ પોઈન્ટ હતો.

બસ, નવો ઈતિહાસ રચવા તરફના મંડાણ થઇ રહ્યા હતા.

અઝીમ પ્રેમજી સામે બે તક હાજર હતી.

૧) વિદેશના દેશોમાંથી કમ્પ્યુટરની નવી આવૃત્તિ આયાત કરવી અને ભારતમાં તેનું વેચાણ કરવું.

૨) આપણા લોકોની જરૂરિયાતો પ્રમાણે ભારતમાં કમ્પ્યુટરની ડિઝાઈન કરીને તેનું ઉત્પાદન કરવું.

આ બંને પસંદગીમાંથી પ્રથમ પસંદગી ખુબ માફક આવે તેવી હતી, પરંતુ સરકારે રચેલા કાયદો તેની વિરુદ્ધ જતા હતા. તેથી વિપ્રોએ નવું જ કમ્પ્યુટર ડિઝાઈન કરવાનું શરુ કરી દીધું.

છેવટે, પર્સનલ કમ્પ્યુટર બજારમાં મુક્યા. વિપ્રોએ બજારનું વિશ્લેષણ અને રીસર્ચ કરીને બેસ્ટ ટેકનોલોજી માટે ‘સેન્ટીનલ’ને પસંદ કરી. બજારમાં પ્રવેશ્યાને થોડા અઠવાડિયામાં જ વિપ્રો દ્વારા ઉત્પાદન કરવામાં આવેલ કમ્પ્યુટર ‘સુપરહિટ’ થઇ રહ્યા હતા. એક સારું ઉદાહરણ એ છે કે, એ સમયે રીસર્ચ & ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટમાં ફક્ત ૩૦ જેટલા લોકોને રાખતી હતી જયારે વિપ્રો ૩૦૦ લોકોને ફક્ત પોતાના રીસર્ચ & ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટમાં રાખતી હતી.

છેવટે, ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં ઝંપલાવ્યું. ‘સર્વિસ આઉટસોર્સિંગ’ માટેનું વિશાળ બજાર તેના માટે ખુલ્લું પડ્યું હતું.

THE GIVING PLEDGE (અનુદાન)

વોરન બફેટ અને બિલ ગેટ્સ દ્વારા ચલાવવામાં આવતી અનુદાનની પ્રવૃત્તિ માટે ભારતમાંથી જોડાનાર સૌ પ્રથમ વ્યક્તિ અઝીમ પ્રેમજી છે. પોતાની સંપત્તિનો ૫૦% હિસ્સો સામાજિક કર્યો, શિક્ષણ, સ્વાસ્થ્ય, વિજ્ઞાન... વગેરે જેવા કર્યો માટે ખર્ચવો એ આ કેમ્પેઈનનું ધ્યેય છે. જેમના અઝીમ પ્રેમજીએ ૨૫% હિસ્સો દાનાર્થે ઉપયોગમાં લઇ ચુક્યા છે.

૨૦૦૧માં ‘અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન’ શરુ કરવામાં આવ્યું હતું. કોઇપણ જાહેરાત વિના, સાવ સરળ રીતે.

શિક્ષણના મુદ્દે ત્રણ તબક્કામાં ખુબ સારું કાર્ય.

‘એપ્લાઈંગ થોટ ઇન સ્કૂલ્સ’ યોજના અને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન હાથ મિલાવીને સાથે કામ કરે છે.

અંગત મૂડીમાંથી ટ્રસ્ટના ખર્ચને પહોચી વળવા માટે કમ્પ્યુટર અને બીજી ટેકનોલોજીકલ સેવા પૂરી પાડવામાં આવે છે.

‘વિપ્રો કેર્સ’ દ્વારા શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સાથે પુર, ધરતીકંપ જેવી કુદરતી આફતોમાં અસરગ્રસ્ત થયેલા લોકોને રાહત પૂરી પાડવામાં આવે છે.

યુવાનોમાં આત્મવિશ્વાસનો વિકાસ થાય અને અંગ્રેજીનું જ્ઞાન સુધરે તે માટે પ્રયત્નો આ ફાઉન્ડેશન કરે છે.

‘દરેકને ગુણવત્તા ભરેલું શિક્ષણ અને ભેદભાવ વગરનો સમાજ’ એ અઝીમ પ્રેમજીનું સ્વપ્ન છે.

‘વિપ્રોના ચેરમેન તરીકે અત્યંત ઉત્સાહપૂર્વક કામ કરતા અઝીમ પ્રેમજી પાસે કયું તે એવું બળ છે જે તેમને ક્રિયાશીલ રાખે છે?

‘પૂરી ન થયેલી જવાબદારીઓ અને નવા પડકારો મને ક્રિયાશીલ રાખે છે. જે કોઈ દેશ, કે જેની પાસે પુષ્કળ જ્ઞાન હોય અને એન્જીનીયરીંગમાં શક્તિઓ હોય, અંગ્રેજીનું જ્ઞાન હોય અને કાયદાકીય પ્રક્રિયા સારી રીતે પાળે તે દેશ ભારત માટે સૌથી મોટો હરીફ બની શકે છે. આ બધા કારણોસર, આરામ લેવા માટે મારી પાસે એક મિનીટનો પણ સમય નથી.’

– અઝીમ પ્રેમજી

“જ્યાં સુધી આપણું ધ્યેય જોઇને હરીફને હસવું ન આવે ત્યાં સુધી એવું સમજવું કે હજુ ધ્યેય ઘણું નાનું છે.”

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED