Book review books and stories free download online pdf in Gujarati

એકલો જાને રે - પુસ્તક સમીક્ષા

એકલો જાને રે....' અમદાવાદમાં ટટ્ટાર ઊભેલી 'કિડની ઇન્સ્ટીટયુટ' ના પાયૉનીયર, સ્વપ્નદ્નંષ્ટા ડૉક્ટર એચ. એલ.ત્રિવેદી સાહેબની આત્મકથા કહી શકાય એવી બૂક... હૈયામાં હામ અને દૃઢ સંકલ્પ હોય તો કંઇ પણ અશક્ય નથી એ વાતને સાબિત કરી બતાવનાર એક ઓલિયા 'ફકીર' ની જીવનકથા .. કેનેડાના અપાર ઐશ્વર્યને ઠોકરે મારીને વતનની સેવા કરવા આવેલા એક સાચા ભારતીય નાગરિક ની કથા...તો ચાલો ડોક્ટર શરદ ઠાકર ની કલમના સથવારે ડોક્ટર ત્રિવેદી ના જીવન સફર ના સાક્ષી બનવા..

એક જાણીતા ડોક્ટર અને અને એથી વધુ જાણીતા કલમકાર દ્વારા આલેખાયેલી એક દેવતુલ્ય ડોક્ટર ની જીવન કથા એટલે 'એકલો જાને રે....' પુસ્તકનું શીર્ષક જ સ્પષ્ટ કરે છે કે જિંદગીએ દરેક વળાંક પર ડૉક્ટર ત્રિવેદી ને કહ્યું હશે, 'એકલો જાને રે....' અને ઝવેરચંદ મેઘાણીની આ હાકલને ડૉ.ત્રિવેદીએ ઝીલી લીધી હશે..

એકદમ રસાળ રીતે લખાયેલું આ પુસ્તક વાંચતા-વાંચતા કેટલી વાર વાચકને લાગે કે બસ હવે સાહેબ થાકી જશે; હવે તો પાછા કેનેડા ભેગા થઈ જ જશે; આટલો વિદ્વાન અને સરળ માણસ ક્યાં સુધી સિસ્ટમ સામે શિંગડા ભરાવી શકશે?? અને એ પણ કોઈપણ નિજી સ્વાર્થ વિના ફક્ત અને ફક્ત લોકો માટે?? અઢળક પૈસા, આરામ અને સ્વમાનને પણ છોડીને લોકો માટે કયા કયા અને કેટલા સમાધાન કરશે?? પણ ડોક્ટર ત્રિવેદી નો સંકલ્પ પોલાદી હતો અને એના નક્કર પુરાવા રૂપે આજે અમદાવાદમાં ઉભી છે 'કિડની ઇન્સ્ટિટ્યૂટ'

અને હા, મોડેમોડે સરકારે ત્રિવેદી સાહેબને 'પદ્મશ્રી' આપીને 'પદ્મશ્રી' ને પણ ગૌરવ અપાવ્યું છે..

સુરેન્દ્રનગર જિલ્લાના ચરાડવા ગામે શિક્ષક પિતાને ત્યાં જન્મેલા ડોક્ટર ત્રિવેદીના સંઘર્ષ,સાહસ અને સપનાની કથા કહેતી આ નવલકથા પોતે જ એક ઇન્સ્પાયરીંગ સ્ટોરી છે.. કોઈ કાલ્પનિક વાર્તાને પણ આંટી માટે એવી આ સત્યકથાની કેપ્સૂલ માં છુપાયેલો સંઘર્ષનો કડવો પાવડર ભલભલા મોટીવેશન સ્પીકરને પાછળ રાખી દે છે અને વાંચકોના ગળે શીરાની જેમ ઉતારી દે છે....

બાળપણમાં ગુજરાતી માધ્યમમાં,સરકારી શાળામાં ભણેલા, નાનપણમાં જ મા ગુમાવી ચૂકેલા, માંગરોળની શાળામાં ગામડિયા નું બિરુદ પામીને રડી પડેલાં હરુને નાનપણથી જ સમજાઈ ગયું હતું કે સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. ઊગતા સૂરજને પુજનારી આ દુનિયામાં સ્થાન બનાવવાનો એકમાત્ર રસ્તો આકરી તપશ્ચર્યા છે.
ત્યારબાદ ચોટલી બાંધીને મચી પડેલો હરગોવિંદ પોતાના માર્ગમાં આવતાં દરેક અંતરાય પાર કરીને, એક પછી એક કોઠા વીંધીને સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમે પાસ થયો અને આ પહેલી સફળતા એના લક્ષ્ય તરફ એક કદમ વધુ આગળ લઈ જતી સીડી બની.
પછી પ્રિ-સાયન્સ અને બસ અર્જુનની એકાગ્રતાએ પક્ષીની આંખ વીંધી જ લીધી..અને કેમ ન વીંધે?વર્ષોની આકરી મહેનત હતી એની પાછળ. બી.જે.મેડિકલ કોલેજમાં પ્રવેશ મળ્યો અને લક્ષ્ય તરફની યાત્રા પણ વણથંભી ચાલુ રહી.
તબીબી વિશ્વની જટિલ ગણાતી દરેક પરીક્ષાઓ - નાના એવા સૌરાષ્ટ્રના ગામમાંથી અમદાવાદ જેવા મોટા શહેરમાં વસવાટ - ગુજરાતીમાંથી સીધું મોટાં મોટાં થોથાં સાથેનો અંગ્રેજી માધ્યમનો અભ્યાસ - વચ્ચે અંગત જિંદગીમાં લગ્ન જેવું મહત્વનું સોપાન - જોડાણ અને આ બધાની સાથે MBBS માં ઝળહળતી સફળતા સાથે ઉતીર્ણ થયાં..અભ્યાસ પૂરો થતાં જ નોકરી મળી ગઈ...કહી શકાય કે આપણી વાર્તાના નાયકની જિંદગી સીધા રસ્તે સડસડાટ જઈ રહી હતી..

પરંતુ ડૉ.ત્રિવેદી આટલેથી અટક્યા નહીં..તેમના મનમાં ઊંડે ઊંડે દર્દીઓની વધુ સારી સેવા કઈ રીતે કરી શકાય એ જ વિચાર ચાલતા રહેતાં અને એ માટે એમને P.G. (પોસ્ટ ગ્રેજ્યુએશન) કરવાની ઈચ્છા હતી..બસ સંકલ્પ કરી લીધો અને પછી સાહેબ માટે મહેનતની તો ક્યાં કંઈ નવાઈ જ હતી?! વિશ્વની સૌથી અઘરી ગણાતી E. C.F.M.G ની પરીક્ષા માટે પૂરા ખંતથી કરેલી તૈયારી ફળી અને ડૉ. ત્રિવેદીએ એ પરીક્ષા સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે પાસ કરી..(અંગ્રેજી જ જેની માતૃભાષા છે એવા ફોરેનર્સને પણ પાછળ પાડીને!)

એ પછી કેનેડામાં ઝળહળતી કારકિર્દી, ઈર્ષ્યા આવે એવું સુખ, ગાડી, બંગલો,પદ, પ્રતિષ્ઠા....સ્વર્ગ ક્યાંય હોય તો કદાચ ડૉ.ત્રિવેદીની જીંદગીમાં જ હતું એમ કહીએ તો અતિશયોક્તિ ન લાગે એટલી હદે સુખી હતા ત્રિવેદી સાહેબ..ખેર આ બધું તો બુકમાં લખ્યું જ છે, પરંતુ આપણે વાત કરીએ છીએ આ બુકની..

૪૨૪ પેજમાં પથરાયેલા આ પુસ્તકમાં ડૉ. શરદ ઠાકરે આલેખન એવી સુંદર રીતે કર્યું છે કે જાણે તેઓ આ સંઘર્ષના સાક્ષી રહ્યાં હોય..
કેનેડાની ધીકતી પ્રેક્ટિસ છોડીને ફરી એકવાર વતન તરફ આવવાના નિર્ણય માટે કરેલું મનોમંથન હોય કે નિર્ણય લીધા પછીની હળવાશ..પોતાનું મહેલ જેવું આલીશાન ઘર વેચાતી વખતની મિશ્ર લાગણી હોય કે ત્રિવેદી સાહેબના ધર્મપત્નીનો મજબૂત સહકાર..
ડૉ.શરદ ઠાકરે આ દરેક અનુભવને કાગળ પર તાદૃશ્ય ઉતાર્યા છે.
ભારત આવ્યા પછી ડગલે ને પગલે આવતાં અંતરાયો અને મુસીબતોનું વર્ણન પણ આબેહૂબ છે.
ભારતમાં એ જમાનામાં ચાલતી બાબુશાહી - તેના લીધે થતી હેરાનગતિ - ફક્ત હાર ન માનવાની સંકલ્પશક્તિથી ડૉ.ત્રિવેદી સાહેબની દરેક મુશ્કેલીમાં માર્ગ કાઢવાની આવડત પુસ્તકમાં સ્પષ્ટ વર્તાય છે.

પોતાના જ વતનમાં પોતાના ગરીબ બાંધવોની સેવા કરીને તબીબી ક્ષેત્રે ક્રાંતિ લાવવા મથતા એ મહામાનવને ભ્રષ્ટાચાર અને કામચોરી જેવી ભારતની રાષ્ટ્રીય આદતોને લીધે થયેલી હેરાનગતિ વાંચીને કથાપ્રવાહ સાથે જોડાયેલો વાંચક ઘડીભર ખિન્ન થઈ જાય છે તો દરેક લેવલ પર ચાલતી ચલક-ચલાણું જેવી રમતમાં આ વિભાગથી પેલા વિભાગ તરફ ફૂટબોલની જેમ ફંગોળાતી ત્રિવેદી સાહેબ ની અરજી જ્યારે 'ગોલ' કરી લે છે ત્યારે વાંચક પણ એ પોતાની જીત હોય એમ ખુશ થઈ જાય છે.

ઓસામા બિન લાદેન જેવા આતંકવાદીની સારવાર માટે આવેલો ફોન અને એ પછીનો નાટ્યાત્મક ઘટનાક્રમ વાંચકોના રૂંવાડા ઊભા કરી દે છે..તો સાહેબનું રિસર્ચ વર્ક અને એના લીધે જેને પેટમાં દુઃખે છે એવી વિદેશી ફાર્મા કંપનીઓ ની મિલી ભગત - મળેલી ધમકીઓ અને ત્રિવેદી સાહેબને હતોત્સાહ કરવાના અને ડરાવવાના નિષ્ફળ પ્રયાસો વાંચકોને મેડિકલ જગતની અજાણી એવી નેગેટિવ બાજુનો પરિચય કરાવે છે.

એ સમયના તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી સાથેની મુલાકાત અને બ્યુરોક્રસી પાવર નો સાહેબને થયેલો અનુભવ - સાહેબના અર્ધાંગિની એવા સુનીતાબહેનનો દરેક નિર્ણયમાં આપેલો પૂર્ણ સહકાર - કેટલાય દર્દીઓની વાતો અને બીજા કેટલાંય ખાટ્ટા મીઠા અનુભવો વાંચકોને એકી બેઠકે પુસ્તક વાંચી જવા મજબૂર કરે છે.

કેનેડાની ધીકતી પ્રેક્ટિસ અઢળક લક્ષ્મી, સાહ્યબી અને માન છોડી ફક્ત વતનના લોકોની સેવા કરવા ભારત આવી, દરેક મુસીબતો - અપમાન - આર્થિક સમસ્યાઓનો સામનો કરી, દરેક વખતે હારવાની અની પર પહોંચીને વિષાદ યોગમાં ડૂબી ગયા પછી પણ ફરી એકવાર એ જ ઉત્સાહથી પોતે જોયેલાં સપનાને પૂરું કરવા મંડી પડી, જરૂર પડે તો રસ્તા પરથી લોકો પાસે દસ રૂપિયા દાન પેટે ઉઘરાવી, મંદિર કરતા પણ વધુ નિષ્ઠાથી 'કિડની ઇન્સ્ટિટ્યૂટ' ના નિર્માણમાં ધ્યાન આપી, કોઈ માન-સન્માનની ખેવના વગર જિંદગીને સેવામાં વ્યતિત કરી દેનાર ડોક્ટર ત્રિવેદીને સો સો સલામ આપવા મજબૂર કરે અને પ્રેરણાની ફક્ત વાતો ના બદલે જીવતી-જાગતી ઘટના- આદર્શ ઉદાહરણ બને તેવું - બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફ્સથી શોભતું અને ત્રિવેદી સાહેબને જ અર્પણ થયેલું પુસ્તક...

આજે જ્યારે ત્રિવેદી સાહેબ આપણી વચ્ચે નથી ત્યારે કંઇક કરવાની ભાવના ધરાવતાં યુવકો માટે પથદર્શક દીવાદાંડી બને તેવું - દરેક ગુજરાતીએ અચૂક વાંચવા અને વસાવવા જેવું છે..

Gujarat is lucky to have you Dr. Trivedi sir, and also you Dr.sharad thakar sir...


લેખક : ડૉ. શરદ ઠાકર

પુસ્તક પેજ સંખ્યા :૪૨૪ (૪૪ પ્રકરણ)

પ્રથમ આવૃત્તિ :૨૦૧૫

પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર

બીજા રસપ્રદ વિકલ્પો