My Diary - 5 books and stories free download online pdf in Gujarati

મારી ડાયરી - 5 - નારી તું નારાયણી ના હારી

આજે ફરી એકવાર મારે એક એવી નારાયણીની વાત કરવી છે કે, જેની પાસેથી કુદરતે એનું બધું જ છીનવી લીધું છે, છતાં પણ એ હિંમત નથી હારી અને આજે પણ એ એની લડાઈ ખૂબ જ હિંમતથી લડે છે. એવી એ વ્યક્તિ કે, જેને જોઈને મને પહેલો વિચાર એ જ આવ્યો કે, નારી તું નારાયણી.


આજે મારે આપ સૌ ની સમક્ષ મારી એક ખાસ મિત્ર રાધાની મારે આજે વાત કરવી છે. હા, મારી એ મિત્ર રાધા મૂળ જૂનાગઢની રહેવાસી. હજુ તો એણે કોલેજ પૂરી જ કરી હતી અને ત્યાં જ એના માટે લગ્નનું માંગુ આવ્યું. બંને પરિવારો વચ્ચે મુલાકાતો થઈ અને બધાને બધું જ પસંદ આવ્યું અને એના લગ્ન રિલાયન્સમાં નોકરી કરતાં અજય સાથે થયા. લગ્ન પછી એ સાસરે જામનગર રહેવા આવી. અને અહીં જ મારી એની સાથે મુલાકાત થઈ. અમે બંને સાથે નોકરી કરતાં હતા. એ મને એના જીવનની વાતો શેર કરતી.


લગ્નના એક વર્ષ પછી એને ત્યાં એક પુત્રનો જન્મ થયો. પુત્રના જન્મથી એના ઘરમાં બધાં જ ખુશ હતાં પણ એની આ ખુશી કદાચ ઈશ્વરને મંજૂર નહોતી. એનો દીકરો હજુ તો માત્ર બે જ વર્ષનો થયો હતો અને એના પિતાને હાર્ટ એટેક આવ્યો અને એ મૃત્યુ પામ્યા. ત્યારે રાધા ખૂબ જ તૂટી ગઈ હતી. પણ એના કરમની કઠણાઈ તો જુઓ કે, હજુ તો એના પતિના મૃત્યુને એક વર્ષ પણ પૂર્ણ નહોતું થયું અને એના સાસુ સસરાએ મારી એ સખી રાધાના માતા પિતાને એના ઘરે જઈને કહ્યું કે, તમે રાધાના બીજા લગ્ન કરાવી આપો અને દીકરો અમને આપી દો. અને આ વાતથી રાધા તો બિલકુલ અજાણ જ હતી. રાધાને આ વાતની ખબર પડતાં જ એણે બીજા લગ્ન માટે ઘસીને ના પાડી દીધી. એણે ચોખ્ખી ભાષામાં બધાંને કહી જ દીધું કે, જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી અજય જ મારા જીવનમાં રહેશે. બીજા કોઈને પણ હું કાવ્યના પિતાનું સ્થાન નહીં જ આપું. ખૂબ જ હિંમત દાખવી હતી એણે ત્યારે.


આ ઘટના પછી રાધાના માતા પિતા એને પોતાના ઘરે લઈ આવ્યા. આટલું ઓછું ન હોય તેમ એની ભાભીએ પણ એને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે, આખી જિંદગી તો આ ઘરમાં તમને હું નહીં રાખી શકું. થોડા દિવસ રહેવું હોય તો ભલે બાકી આખી જિંદગી તો મને નહીં પોસાય.


આ ઘટના પછી રાધાએ નક્કી કર્યું કે, એ હવે કોઈ ઉપર નિર્ભર નહીં બને. અને એણે નોકરી શોધવાનું શરૂ કર્યું. એમાં એ સફળ પણ થઈ અને મારી એની સાથે મુલાકાત થઈ.


આજે એ પોતે ભાડાના ઘરમાં પોતાના દીકરા સાથે એકલી જ રહે છે અને પોતાના દીકરાની પણ બધી જ જવાબદારીઓ નિભાવે છે.


અજયના માતા પિતાએ એની જોડે આટલું ખરાબ વર્તન કર્યું હોવા છતાં પણ એણે એમને માફ કરી દીધા. અને એ એમની સાથે સારી રીતે વર્તે છે. પોતાના દીકરાના મનમાં પણ એણે કોઈ દિવસ એના દાદા દાદી વિરુદ્ધ ઝેર પણ નથી ભર્યું. આવું તો કોઈ નારાયણી જ કરી શકે ને? માફ કરવાનો ગુણ તો ઈશ્વરે નારીને જ આપ્યો છે ને?


આજે એનો દીકરો પણ મોટો થઈ ગયો છે. અને એ પણ એની માની પરિસ્થિતિ સારી રીતે સમજે છે.
ખરેખર જ્યારે પણ હું રાધાને જોઉં છું ત્યારે મને તો એની અંદર કદીયે હાર ન માનનારી નારાયણીના જ દર્શન થાય છે. આવી આ નારાયણીને મારાં ખરા દિલથી નમસ્કાર.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED