Jivansangini - 29 books and stories free download online pdf in Gujarati

જીવનસંગિની - 29

પ્રકરણ-૨૯
(પ્રપોઝલ)

આજે રવિવાર હતો અને મેહુલ અનામિકાને મળવા જવાનો હતો. મેહુલના મનમાં હજુ પણ એ જ મનોમંથન ચાલી રહ્યું હતું કે, હું જે વિચારી રહ્યો છું એ યોગ્ય તો છે ને? શું અનામિકા મારી વાત સમજશે? હું આજે એને જે કહેવાનો છું એ વાત સાંભળીને એ કઈ રીતે વર્તન કરશે? શું એ નારાજ તો નહીં થઈ જાય ને? શું હું જે કંઈ પણ કરી રહ્યો છું એ યોગ્ય જ છે ને? આવા અનેક પ્રશ્નો એના મનમાં રમી રહ્યા હતાં. એવામાં જ મંજુબહેન ત્યાં આવ્યા અને એમણે મેહુલની વિચારતંદ્રા તોડી.

"બેટા! આજે તો રવિવાર છે તો આમ તૈયાર થઈને ક્યાં જાય છે?" મંજુબહેને પૂછ્યું.

"મમ્મી! મારે થોડું કામ છે એટલે બહાર જાવ છું અને વીરને પણ મારી સાથે લેતો જાઉં છું. એને પણ એ બહાને ફરવાનું થઈ જશે. આમ પણ એ રજાના દિવસે ઘરમાં આખો દિવસ બોર જ થતો હોય છે, તો હું આજે એને મારી જોડે લઈ જાવ છું." મેહુલે કહ્યું અને એણે વીરને બૂમ પાડી, "વીર! દીકરા તૈયાર થઈ ગયો?"

"હા, પપ્પા આવું છું." વીરે જવાબ આપ્યો. અને થોડીવારમાં જ વીર ત્યાં હાજર થઈ ગયો. એણે લાલ રંગનું ટી શર્ટ અને બ્લ્યુ જીન્સ પહેર્યું હતું. વીર આજે ખૂબ સોહામણો લાગી રહ્યો હતો.

બંને બાપ દીકરો હવે અનામિકાને મળવા માટે ઘરેથી નીકળી ચૂક્યા હતા.

*****
આ બાજુ અનામિકા પણ મેહુલને મળવા નક્કી કરેલાં કાફે પર આવી પહોંચી હતી. ઘરમાંથી તો એ એમ જ કહીને નીકળી હતી કે, એ એની ફ્રેન્ડને ત્યાં જાય છે. હાલ એણે ઘરમાં બધાંને સત્ય કહેવાનું ટાળ્યું હતું.

એ મેહુલની રાહ જોઈ રહી હતી ત્યાં જ એની નજર સામેથી આવી રહેલાં મેહુલ અને વીર પર પડી. વીરને જોઈને એની નજર સામે આકાશનો ચેહરો તરવરી ઉઠ્યો. એ વિચારી રહી કે, આકાશ પણ હવે આવડો જ થઈ ગયો હશે. એને વીરના ચેહરામાં આકાશની છબિ દેખાઈ. ત્યાં જ મેહુલે એને વિચારોમાંથી જગાડી અને બોલ્યો, "હાઈ અનામિકા! કેમ છે તું?"

"ઓહ! હાય! મેહુલ. હું મજામાં છું. હાય વીર! કેમ છે તું?" અનામિકાએ વીરને પુછ્યું.

"હેલ્લો આંટી." વીર બોલ્યો.

પછી ત્રણેય જણાં ટેબલ પર જઈને બેઠાં અને ચા અને સેન્ડવીચનો ઓર્ડર આપ્યો.

મેહુલે હવે પોતાના મનમાં જે વાત હતી એને ગોળ ગોળ કર્યા વિના ચોખ્ખી જ વાત કરી. એ બોલ્યો, "અનામિકા! હું એક બહુ જ સીધોસાદો માણસ છું. એટલે મારા મનમાં જે છે એ તને સ્પષ્ટ જ કહેવા માગું છું. શું તું મારી સાથે લગ્ન કરીશ?" મેહુલે સીધું જ પૂછી લીધું.

"વ્હોટ? આ શું બોલે છે તું?" અનામિકા માટે મેહુલનું આવું વર્તન અકલ્પનીય હતું.

"તું શાંતિથી વિચારજે. મારે કંઈ જવાબની કોઈ ઉતાવળ નથી. પણ તું મારા પ્રપોઝલ પર એકવાર વિચાર જરૂર કરજે. કારણ કે, મારા દીકરાની જિંદગી માં માની કમી છે અને કદાચ તારી જિંદગીમાં દીકરાની! શું ખબર તારી એક હા થી મારા આ દીકરાને એની મા મળી જાય? તું બહુ જ સમજી વિચારીને જવાબ આપજે." મેહુલે કહ્યું.

અનામિકા બોલી, "એમ વાત નથી. હું જાણું છું કે, તું સારો વ્યક્તિ છે. પણ હું હવે ફરી વખત કોઈ બંધનમાં બંધાવવા ઈચ્છતી જ નથી. હું બીજા લગ્ન જ કરવા ઈચ્છતી નથી. હું હવે મારા પોતાના પગભર થવા ઈચ્છું છું."

"ઠીક છે ત્યારે. જેવી તારી મરજી. પણ જો તને ભવિષ્યમાં ક્યારેય પણ લાગે કે, તું બીજા લગ્ન કરવા ઈચ્છે છે તો મારા આ પ્રપોઝલ પર જરૂર વિચાર કરજે." મેહુલે કહ્યું.

"સોરી! મેહુલ! મારી વાતનું ખોટું ન લગાડીશ. મેં જાણે અજાણે પણ તારું દિલ દુભાવ્યું છે. પણ મને માફ કરી દે. હું લગ્ન જ કરવા માંગતી નથી." અનામિકાએ કહ્યું.

એ પછી બંને બિલકુલ ચૂપ જ હતાં. ચા નાસ્તો કરીને મેહુલ અને વીર ત્યાંથી ગયાં. અને જતાં જતાં મેહુલે ફરી એકવાર અનામિકાને કહ્યું, "તું મારા પ્રપોઝલ વિષે હકારાત્મક વિચારીશ તો મને ગમશે."

*****
અનામિકા ઘરે આવી. એને જોઈને રાજવીર તરત જ ભડક્યો, "સાચું બોલ! કોને મળવા ગઈ હતી? તું તારી મિત્ર ને મળવાં તો નહોતી જ ગઈ. મેં તને કોઈ પુરુષ અને એક નાનકડાં છોકરા જોડે જોઈ હતી. ક્યારથી ચાલે છે આ બધું?"

રાજવીરને આમ રાડારાડી કરતો જોઈને મનોહરભાઈ, માનસીબહેન અને પ્રીતિ દોડી આવ્યાં. ધાની અને ધર્મ તો એના પપ્પાનો ગુસ્સો જોઈને ખૂબ ગભરાઈ ગયાં હતાં એટલે એ બંને તો પ્રીતિની ઓથમાં લપાઈ ગયા.

રાજવીરનો ગુસ્સો જોઈને અનામિકાને હવે વધુ વખત સત્ય છુપાવવું યોગ્ય ન લાગ્યું. એણે અત્યાર સુધી પોતાની મેહુલ જોડે થતી વાતચીત અને આજે મેહુલે એને પ્રપોઝ કર્યું ત્યાં સુધીની બધી જ વાત આખા પરિવારને જણાવી દીધી.

"દીકરા! તારા જીવનમાં આટઆટલું બની ગયું છતાં તે અમને આ વિષે જણાવવું પણ જરૂરી ન સમજ્યું?" મનોહરભાઈ બોલ્યા. એમને દુઃખ થયું હતું કે, આજ સુધી પોતાનાથી કોઈ વાત ન છુપાવતી અનામિકાએ આજે આવડી મોટી વાત છુપાવી.

"સોરી પપ્પા!" અનામિકા આટલું જ બોલી શકી. અને પછી એ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી.

"શાંત થઈ જા. દીકરા. અત્યારે હવે તું આરામ કર. આપણે આ બાબતે પછી શાંતિથી ચર્ચા કરીશું." મનોહરભાઈએ કહ્યું. અને અનામિકા દુઃખી મને પોતાના રૂમમાં જતી રહી. એ પોતાના રૂમમાં જઈને દરવાજો બંધ કરીને રડવા લાગી. ત્યાં જ એના રૂમના દરવાજે ટકોરા પડ્યાં.

*****
અનામિકાનું સત્ય જાણી લીધા પછી હવે શું કરશે મનોહરભાઈનો પરિવાર? મેહુલના પ્રપોઝલ વિષે શું અનામિકા ફરી વિચારશે? શું એ મેહુલને લગ્ન માટે હા પાડશે? આવા અનેક સવાલોના જવાબ મેળવવા વાંચતાં રહો આ વાર્તા જીવનસંગિની.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED