NARI-SHAKTI - 24 books and stories free download online pdf in Gujarati

નારી શક્તિ - પ્રકરણ -24, (ઋષિ વાગામ્ભૃણી દેવી -વાણીની દેવી નું સૂક્ત, ભાગ-૨)

નારી શક્તિ- પ્રકરણ 24,(ઋષિ વાગામ્ભૃણી- વાણીની દેવી નું સૂક્ત) ( ભાગ-2)

હેલો ફ્રેન્ડ્સ ! નમસ્કાર ! વાંચક મિત્રો! પ્રકરણ 23 માં આપણે ઋષિ વાગામ્ભૃણી દેવી નું સૂક્ત ભાગ-૧ વિશે જાણ્યું . જેમાં વાગામ્ભૃણી દેવી પોતે વાણી સ્વરૂપ હોય તે રીતે રૂપક અલંકારમાં વાણીની મહત્તા રજૂ કરે છે, હવે આ પ્રકરણમાં હું આગળ વાણી નું સ્વરૂપ નું વર્ણન ઋષિ "વાગામ્ભૃણી"દેવીના જ શબ્દોમાં લઈને આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું. વાગામ્ભૃણી ઋષિ વાણીની દેવી છે. જેમાં વાક્ એટલે કે વાણીની દેવી એટલે કે વાગામ્ભૃણી દેવીનુ સૂક્ત
છે. સ્વયં વાક્ દેવી પોતે સુંદર, કલાત્મક અને અદભુત વર્ણન કરે છે.તે ખૂબ જ મધુર અને કાવ્યમય વાણીમાં લખાયેલું છે.આ સૂક્ત માં આપણે આગળ જોઇએ.આપને જરૂરથી પસંદ આવશે. આપનો ખૂબ-ખૂબ આભાર, માતૃભારતી ટીમનો પણ ખૂબ ખૂબ આભાર)
પ્રથમ અંક થી આગળ,,,,
વાગામ્ભૃણી દેવી પોતે ઘોષણા કરે છે કે,
હે શ્રુત! હે વિદ્વાનો !( જે લોકો શ્રુતિ એટલે કે વેદ વગેરે જ્ઞાન માં પારંગત છે તેને શ્રુત કહેવાય છે) (જે શ્રુતિ જ્ઞાન સંપન્ન વિદ્વાનો છે તે) સાંભળો, હું જે કંઈ કહેવા જઈ રહી છું તે ખૂબ જ શ્રદ્ધેય છે. (મંત્ર -4) શ્રદ્ધા કરવા યોગ્ય છે.
હું જ આ મહાન જ્ઞાન એટલે કે મહનીય જ્ઞાનનો ઉપદેશ કરું છું. (અહમેવ સ્વયં વદામિ.) એટલે કે હું પોતે કહું છું-
જેનું ચિંતન, મનન, સેવન દેવતા અને મનુષ્યો બંને કરે છે.
હું જેની કામના/ઈચ્છા કરું છું. જે મારી કૃપા નું પાત્ર બને છે.તેને હું શ્રેષ્ઠ અને બળવાન ઉમ્ર વાળા બનાવું છું. હું તેને ઉન્નતિના શિખર પર લઈ જાઉં છું. હું તેને સૃષ્ટિ કર્તાં બ્રહ્મા સાક્ષાત કૃત ધર્માઋષિ, સુમેધા એટલે કે શુભ કલ્યાણકારી બુદ્ધિથી સંપન્ન કરું છું. અર્થાત્ જેના પર વાણીની દેવી પ્રસન્ન છે તેની પ્રગતિ તેના જીવનનો ઉત્કર્ષ કોઈ રોકી શકે તેમ નથી સ્વયં વાણીની દેવી તેની પ્રગતિ જાતે કરે છે.
જ્યારે રુદ્ર બ્રહ્મદ્રોહી શત્રુનો વધ કરવા માટે પ્રવૃત્ત થાય છે ત્યારે હું જ રુદ્રના માટે ધનુષ્ય નો વિસ્તાર કરું છું હું જ લોકોના કલ્યાણ માટે સંગ્રામ કરું છું. (મંત્ર 5) અર્થાત્
વાણીની દેવી કહે છે કે હું જાતે જ લોકોના કલ્યાણ માટે ,ઉદ્ધાર માટે યુદ્ધ કરું છું અને વાણીના શત્રુનો વધ કરું છું.
સ્વર્ગ લોક અને પૃથ્વી લોક બધી જગ્યાએ હું જ વ્યાપ્ત છું. (મંત્ર -6) સંપૂર્ણ ચરાચર જગતમાં હું વ્યાપીને રહું છું. મારે લીધે જ મનુષ્ય વાણીની કલા પ્રાપ્ત કરે છે. પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે , પ્રાપ્ત કરેલું જ્ઞાન અન્યને શબ્દો દ્વારા આપી શકે છે.

પ્રાણી જગતના પિતા સ્વરૂપ આ સ્વર્ગલોકને મેં જ જન્મ આપ્યો છે એટલે કે મારા દ્વારા જ તેનું સર્જન થયું છે જે સંસારનું મસ્તક છે. મારી યોની એટલે કે મારું ઉત્પત્તિ સ્થાન સમુદ્રના જળમાં જ છે. તે તે સ્થાનમાં રહીને જ હું સંપૂર્ણ સંસારમાં વ્યાપેલી છું. હું આ મહાન અંતરીક્ષને પોતાના ઉન્નત દેહથી સ્પર્શ કરું છું ( મંત્ર -7 )
અર્થાત ત્રણેય લોકમાં સ્વર્ગ, પૃથ્વી અને અંતરિક્ષ ત્રણેય લોકની હું સ્વામીની છું . મારા આધારે આ ત્રણેય લોક રહેલા છે. હું ત્રણે લોકમાં વ્યાપીને રહેલી છું.
અહીં વાણીની મહત્તા ખૂબ જ અર્થસભર શૈલીમાં સ્વયં વાણીની દેવી પોતે ગાય છે. જો વાણીની દેવી ન હોત તો આ જગતમાં જે કંઈ અદ્ભુત ગહન જ્ઞાન છે તે ક્યાં રહેત? શ્રુતિ અને તમામ શાસ્ત્રો વાણીની દેવીના આશ્રય એ તો રહેલા છે તેના પર જ અવલંબે છે. વેદો ,ષટ્ -વેદાંગ, ઉપનિષદો, પુરાણો આપણો તમામ જ્ઞાનનો વારસો,તમામ શાસ્ત્રો શ્રુતિ પરંપરામાં જ અને વાક્ દેવી દ્વારા જ સચવાયેલા છે.
તમામ શાસ્ત્રોનું શરણ અને વરણ માત્ર અને માત્ર વાગ્દેવી ના આશ્રયે રહેલું છે. તેથી જ વાણીની દેવી એ સ્વયં પોતાને બધા જ દેવતાઓની પ્રતિકૃતિ તરીકે પોતાની જાતને રૂપક અલંકારમાં પ્રયોજી છે.
આથી આગળ વાણીની દેવી કહે છે કે હું જ સમગ્ર ભુવનોનું સર્જન કરું છું હું જ વાયુ સમાન નિર્બંધ ગતિ કરીને વહેતી રહું છું. જેવી રીતે વાયુ સ્વયં, કોઈની પ્રેરણા વગર સતત પ્રવાહિત રહે છે તે જ પ્રકારે હું પણ અન્ય કોઈ અધિષ્ઠાતા વગર સ્વયં કાર્યરૂપ સૃષ્ટિને ઉત્પન્ન કરતા કારણરૂપ માં પ્રવૃત્ત રહું છું. હું જ સ્વર્ગ અને પૃથ્વી લોક થી પર થઈને સૃષ્ટિના સમસ્ત વિકારો થી પણ પર એટલે કે બધાની ઉપર ઉઠીને, બ્રહ્મ ચૈતન્ય સ્વરૂપ હું જ પોતાની મહિમા , પોતાની મેળે ગાઉં છું. અને બધાનું અતિક્રમણ કરું છું.
આ પ્રમાણે વાક્ દેવી આત્મ સાક્ષાત્કારની આ ઉચ્ચતમ ભાવભૂમિથી પોતે જ પોતાને -પોતાની અનુભૂતિને અભિવ્યક્ત કરે છે. જેને અદ્વૈત વેદાંતમાં 'अहं ब्रह्मास्मि ' આ મહા વાક્ય દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે, વ્યક્ત કરવામાં આવે છે. જેને ઉપનીષદો એ અનેક પ્રકારે વ્યાખ્યાયિત કર્યું છે જેમાં આત્મા પરમાત્માની સાથે તાદાત્મ્ય ભાવ અનુભવ કરતાં બ્રહ્મરૂપ બની જાય છે તે છે અહમ બ્રહ્માસ્મિ. અને તે જ પોતે છે વાણીની દેવી -વાગામ્ભૃણીદેવી. (મંત્ર-8)
વાગામ્ભૃણી દેવી ને મારાં શત-શત નમસ્કાર!!!
જય હો વાગામ્ભૃણીદેવી ! જય હો વાણીની અધિષ્ઠાત્રી દેવી ! વાક્ દેવી ! જય હો દેવી સરસ્વતી !!!
[ © & Written by Dr. Damyanti Harilal Bhatt ]



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED