NARI-SHAKTI - 14 books and stories free download online pdf in Gujarati

નારી શક્તિ - પ્રકરણ-14 સૂર્યા સાવિત્રી ભાગ-2 (સૂર્યા ની વિદાય)

નારી શક્તિ - પ્રકરણ-14,
સૂર્યા સાવિત્રી ભાગ-2, ( સૂર્યાની શ્વસુરગૃહે વિદાય )
[ હેલ્લો વાચક મિત્રો ! નમસ્કાર ,નારી શક્તિ પ્રકરણ 14 માં આપ સર્વે નું હાર્દિક અભિવાદન કરું છું .પ્રકરણ 13માં આપણે સૂર્યા સાવિત્રી ની કથા જાણી. પ્રાચીનકાળમાં સૌપ્રથમ "વિવાહ સૂક્ત" તરીકે સૂર્યા સાવિત્રી નું સૂક્ત ખૂબ જ પ્રસિદ્ધ છે. આ પ્રકરણમાં હવે સૂર્યા- સાવિત્રી પતિગૃહે વિદાય લઈ રહી છે તેની વાત કરીશું, અહીં આદર્શ દાંપત્યજીવનની વિભાવના જોવા મળે છે. મને આશા છે કે આપ સર્વેને આ કથા પસંદ આવી હશે આપનો પ્રતિભાવ જરૂરથી આપશો. આપનો ખૂબ-ખૂબ આભાર ! માતૃભારતી નો પણ ખુબ ખુબ આભાર ! ]
હવે આગળ,
હવે પછીના મંત્રમાં પતિગૃહે પ્રસ્થાન કરતી સાવિત્રી બધા દેવોની વંદના કરે છે.
સૂર્યા કહે છે કે ,હું સૂર્યા સાવિત્રી, સૂર્ય દેવતા, દેવગણ, મિત્ર, વરુણ જે પ્રાણીઓના શુભચિંતક અને પ્રેરક છે તે બધા જ દેવતાઓ ને પ્રણામ કરું છું.( મંત્ર 17)
અહીં સૂર્યા સાવિત્રી પવિત્ર અંતઃકરણથી યુક્ત થઈને બધાને મંગલ કામના કરતી સ્વયં પોતાની વાણીમાં કહે છે કે,
આગળના મંત્રમાં પતિગૃહે પ્રસ્થાન કરતી નવવધૂ સૂર્યા સાવિત્રી બધા જ દેવતાઓ ની વંદના કરે છે. અને કહે છે કે,
હું સૂર્યા દેવગણ મિત્ર વરુણ વગેરે જે પ્રાણીઓના શુભચિંતક અને પ્રેરક છે તેમને પ્રણામ કરું છું (મંત્ર 17)
અહીં સૂર્યા પવિત્ર અંત:કરણથી યુક્ત થઈને બધાની મંગલ કામના કરે છે અને સ્વયં પોતાની ભીતર રહેલા આત્મતત્વ ને પણ પ્રણામ કરે છે. અહીં મને શકુંતલા વિદાયનો પ્રસંગ યાદ આવે છે કારણકે, શકુન્તલાની શ્વસુરગૃહે વિદાય વેળાએ પણ શકુન્તલાએ હરણાં , વૃક્ષો અને વેલીઓ ને પોતાના સ્વજનો ગણીને ખૂબ જ આંસુ સાર્યા હતા અને બધા પાસેથી એક એક ને મળીને વિદાય લીધી હતી એવું જ અહીંયા ચિત્ર જોવા મળે છે, સૂર્યા સાવિત્રી બધા દેવતાઓને સૂર્ય-ચંદ્રની બધા ની વિદાય લે છે, બધાને પ્રણામ કરે છે અને વિદાયનું વર્ણન અહીં જે રજૂ થયું છે તે શકુંતલા ની વિદાય ની યાદ અપાવે છે. કાલિદાસે પ્રકૃતિના બધા જ તત્વોને શકુન્તલાના પરિવારજનો વર્ણાવ્યા છે, અહીં સૂર્યા પણ સૂર્ય ચંદ્ર તારા નક્ષત્રો આ બધાની વિદાય લે છે અને એના સ્વજનોની રીતે એને દર્શાવવામાં આવ્યા છે. સૂર્ય ચંદ્ર તારા આ બધા પણ પ્રકૃતિના તત્વો જ છે ને ! કદાચ કાલિદાસે પ્રકૃતિના તત્વો ને સ્વજન ગણાવવાની જે પરિભાવના શાકુંતલ માં દર્શાવેલ છે ,તે મને લાગે છે કે તેના મૂળ ઋગ્વેદમાં છે.
સૂર્યા પોતાની ભાવિ સંતતિ ની કલ્પના કરતા બે તેજ પુત્રો તેજ પૂંજો ના રૂપમાં કહે છે કે,
આ બંને શિશુના રૂપમાં સૂર્ય અને ચંદ્ર પોતાના તેજ ની સાથે પૂર્વ થી પશ્ચિમ ની તરફ વિચરણ કરે છે.તેઓ ક્રીડા કરતા યજ્ઞમાં આવે છે આ બંનેમાં એક સૂર્ય સમસ્ત ભુવનોનો દેવતા અને સમસ્ત જગતને પ્રકાશિત કરે છે, બીજો ચન્દ્ર ઋતુઓનું નિર્માણ કરતાં પુનર્જન્મ લે છે પુનઃ પુનઃ જન્મ ધારણ કરે છે.( મંત્ર 18 ) અહીં સૂર્ય ચંદ્રના રૂપમાં સૂર્યા પોતાના બે પુત્રો ની કલ્પના કરે છે જે સૂર્ય અને ચંદ્ર જેવા જ હોય.
પ્રગટ થતો સૂર્ય પ્રતિદિન નવા નવા રૂપ ધારણ કરે છે .દિવસ નો સૂચક સૂર્ય ઉષા ની આગળ ચાલે છે અને પ્રાતઃકાળ આવતા જ આ સૂર્ય દેવોનો યજ્ઞ-હવન નો ભાગ આપે છે એટલે કે દેવોને આનંદ આપે છે, ચંદ્રમા મૃત્યુલોક ને દીર્ઘાયુ પ્રદાન કરે છે. ( મંત્ર 19 )
ત્યારબાદ સૂર્યા એ રથ નું વર્ણન કરે છે જે રથ પર પોતે સવાર થઈને શ્વસુરગૃહે જાય છે.
સૂર્યા કહે છે કે, હે રથ દેવતા! તમારૂં આ રૂપ ખૂબ જ સુંદર શાલ્મલિ વૃક્ષની લાકડી માંથી બનાવવામાં આવેલ છે એવું તમારું રૂપ વિશ્વરૂપ અથવા અનેક પ્રકારનું રૂપ ચિત્રકારી થી યુક્ત સુવર્ણમાં ચમકતુ સુવર્ણની નકશીકામ વાળું સુવર્ણની નકશીકામ થી સુશોભિત, ઉત્તમ શોભા અને ચક્રો થી યુક્ત આ રથ પર ચઢીને તમે અમૃત નો લોક એટલે કે પતિગૃહ જાઓ! જેથી મારો આ વિવાહ મંગલમય બને અને વિવાહ સામગ્રી પણ મારા માટે અને પતિ માટે કલ્યાણકારી હો ! (મંત્ર 20) અહીં પતિના ગૃહને અમૃત લોકની ઉપમા આપી છે એટલે કે શ્રેષ્ઠ રીતે દર્શાવાયું છે.
અહીં સૂર્યા રથને ઉદ્દેશીને પોતાના મંગલમય વિવાહને સફળતાની શુભેચ્છા દર્શાવે છે.
ખરેખર, "વિવાહ" એટલે વિશેષરૂપથી વહન કરવું ,આ શબ્દની સાર્થકતા 'વધૂ'ને માંગલિક વાદ્ય ધ્વનિ વગેરે સાથે રથ પર બેસાડીને વિશેષ શાનો શૌકત ની સાથે વહન કરીને પતિગૃહે લઈ જવામાં છે.
વૈદિક માન્યતા અનુસાર વિવાહ પહેલા કન્યા ગાંધર્વ ના સંરક્ષણ માં રહે છે તેથી વિશ્વાવસુ -ગાંધર્વ ને સંબોધન કરતા કહે છે કે,
હે વિશ્વાવસુ! આ સ્થાન (કન્યાની નજીકનું) મારું છે,ત્યાંથી તમે હવે ઊઠો! કારણ કે આ કન્યા હવે પતિવતીથઈ ગઈ છે. હું નમસ્કાર અને સ્તુતિ સાથે વિશ્વાવસુની સ્તુતિ કરું છું તમે પિતૃ ગૃહમાં રહેવાવાળી બીજી અવિવાહિત કન્યાની ઇચ્છા કરો , અર્થાત્ અવિવાહિત કન્યા નું રક્ષણ કરો તે તમારા ભાગમાં છે અને તમે એની પાસે જાઓ( મંત્ર 21)
ત્યારબાદ મંત્ર બાવીસમાં પણ સૂર્યા વિશ્વાવસુ દેવતા ને ઉદ્દેશીને કહે છે કે વિશ્વાવસુ અહીંથી ઊઠો, હું તમને નમસ્કાર સાથે તમારી વંદના કરું છું ,તમે કોઈ અન્ય વિશાળ નિતંબ વાળી કન્યાની ઇચ્છા કરો એટલે કે વિશાળ નિતંબ વાળી અન્ય કન્યાની શોધ કરો અને એને પત્ની બનાવીને તેના પતિને સોંપો, કહેવાનો મતલબ કે હવે તમે બીજી અવિવાહિત કન્યાને રક્ષિત કરો.
( મંત્ર 22 )
આગળના મંત્રમાં પોતાના જ સુખી દાંપત્યજીવનની પ્રાર્થના અને શુભેચ્છા કરતા સૂર્યા કહે છે કે હે દેવો ! આ માર્ગ કંટક વિહીન અને સરળ બને જેમાં આપણી મિત્ર કન્યા જે ઘર પહોંચી રહી છે અર્યમા અને ભગદેવતા તેમને ખૂબ સરસ રીતે લઈ જાય. આ પતિ-પત્નીનું જોડું સુંદર દાંપત્ય જીવનનું પ્રતીક બને. પરસ્પર પ્રેમ પૂર્વક તે રહેતા એક આદર્શ દંપતી બને.( મંત્ર 23)
અહીં સૂર્યા દ્વારા પોતાના જ આદર્શ દાંપત્યજીવનનો ઉત્તમ વિચાર રજૂ થયો છે સૂર્યા એ પોતાના દાંપત્ય જીવનને આદર્શ દાંપત્યજીવન ગણાવીને સમાજને એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને ઋગ્વેદ કાળથી આદર્શ દામ્પત્યજીવન ની વિભાવના ચાલી આવે છે. જેનું સર્જન વિદૂષી કવયિત્રી એ કર્યું છે આ ખૂબ જ ગૌરવની વાત છે, ભારતીય સંસ્કૃતિ માટે આ ગૌરવ છે અભિમાન છે ગર્વ છે.ભગવાન શ્રી રામે પણ સમાજને આદર્શ દાંપત્યજીવનનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
વધારે આશ્ચર્યની વાત તો એ છે કે બધા જ મંત્રો સૂર્યાના ઉદગારો છે આગળ 24માં મંત્રમાં સૂર્યા કહે છે કે હે વધૂ! હું તને વરુણના પાશથી મુક્ત કરું છું , જેણે તને સવિતા થી બાંધી હતી એટલે કે સૂર્યથી પ્રેરાઈ ને વરુણ પોતાના પાશમાં બાંધે છે તેવી વધૂ હું આજથી મુક્ત કરું છું જે ઋતનો આશ્રય એટલે કે સત્યનો આશ્રય અને સત્કર્મ નો લોક છે એવા પતિ ગૃહમાં અહિંસાને યોગ્ય તને હું પતિની સાથે સ્થાપિત કરું છું.(મંત્ર-24)
(અહીં ઋગ્વેદમાં "અહિંસા" શબ્દ આવેલ છે એટલે કે અહિંસાની વિભાવના કેટલી પ્રાચીન છે એનો ખ્યાલ આવે છે.)
મંત્ર 25 માં આવે છે કે, હું તને પિતૃ કુળથી મુક્ત કરું છું પતિકુળ થી નહીં એ પતિ કુળમાં તું ખૂબ જ સારી રીતે સ્થાપિત થાય તે રીતે હું તને બાંધુ છું, હે ધરતી ને પોષણ કરવા વાળા ઇન્દ્ર !જેનાથી આ વધૂ ઉત્તમ પુત્ર અને ઉત્તમ ભાગ્યથી યુક્ત બને. (મંત્ર 25.)
આગળના મંત્રમાં વધૂમાટે ખૂબ જ ઉચ્ચ કોટિની ભાવના રજૂ થયેલ છે સૂર્યા કહે છે કે હે વધૂ તારો હાથ પકડી ને પુષા દેવતા એટલે કે ભાગ્ય દેવતા તને અહીંથી લઈ જાય અશ્વિદેવ એટલે શુભ સંપત્તિ તને રથ પર આરોહણ કરાવીને પતિગૃહે પહોંચાડે, તું પોતાના ઘરે જઈને ગૃહસ્વામીની બને ગૃહાન્ ગચ્છ, ગૃહ પત્ની, ગૃહ લક્ષ્મી બન. પોતાના મધુર ભાષણ અને વ્યવહારથી બધાના હૃદયને જીતી લે, તું વિવેકપૂર્ણ ઉત્તમ વચન બોલે. ( મંત્ર 26)
આ મંત્રમાં સાસરે જતી વધૂનો આદર્શ રજૂ થયો છે શ્વસુરગૃહે તેણે કેવો વ્યવહાર કરવાનું છે તેની શીખ પણ છે, શિખામણ પણ છે , "સામ્રાજ્ઞી સ્વસુરે" ભવ નવ વધુ સાસરિયામાં સામ્રાજ્ઞી બંને તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવે છે નો વધુ સામ્રાજ્ઞી ત્યારે જ બની શકે જે બધાના હૃદય જીતે અને મધુર ભાષિણી હોય. મંત્ર 26માં નવવધૂને જે શિખામણ રજૂ થઈ છે તે શિખામણ પિતા પુત્રીને કન્યાવિદાય વખતે આપે છે અને આજ વાત શાકુઙ્તલમાં પણ કાલિદાસે વર્ણવી છે સાસરે જતી શકુન્તલાને કણ્વ ઋષિ કહે છે કે, બેટા! સાસરિયામાં બધાની પ્રિય બનજે. તારી સપત્નીઓ સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરજે.ખરેખર કાલિદાસે ઋગ્વેદ ને શાકુન્તલ ની આધાર સામગ્રી બનાવી છે તેમ કહી શકાય.
હવે પછીના મંત્રમાં નવ વધૂ માટે આશીર્વાદ નું વર્ણન છે નવવધૂ સાસરે પહોંચ્યા પછી તેના આશીર્વાદ રજૂ થયા છે.
હે વધૂ આ પત્તિ ગૃહમાં પુત્રોની સાથે તારી પ્રિય વૃત્તિ અને વૃદ્ધિ થાય આ ઘરમાં ગૃહસ્થ ધર્મનું પાલન કરતાં તમે સુખી દાંપત્ય જીવન વ્યતીત કરો અને સાવધાન રહો.
આ પતિની સાથે શરીરથી સંયુક્ત બનીને તું એક બની જા બે શરીર અને એક આત્મા એમ બની જાઓ વૃદ્ધાવસ્થા સુધી તમે સારી રીતે સંમતિથી યુક્ત રહો (મંત્ર 27)
આગળના મંત્રમાં વિપરીત બુદ્ધિ વાળી વધૂ નાં સંબંધમાં ઋષિ કહે છે કે,
જ્યારે વધૂ લાલ પીળી થાય છે એટલે કે ક્રોધિત થાય છે ગુસ્સો કરે છે ત્યારે એનામાં વિનાશ અને પ્રતિશોધની વૃદ્ધિ થાય છે ત્યારે તેના પિતૃ કુળના લોકોમાં પણ વૃદ્ધિ થાય છે અને પતિ બંધનમાં પડી જાય છે (મંત્ર 28)
આગળના મંત્રમાં કહેવામાં આવ્યું છે કે,
શરીર મલિન વસ્ત્રોનો ત્યાગ કરો બ્રાહ્મણોને ધન આપો , પતિ અને પત્ની સમાન વિચારવાળા બનો. બંનેની વિચારધારા એક સમાન બની રહે (મંત્ર 29)
અહીં તાત્પર્ય છે ત્યાગ પૂર્ણ ભોગ જ ગૃહસ્થનો આદર્શ છે . ઉપરાંત વધૂ ને દાન દેવા પ્રત્યે અભિરૂચિ વધારવાની છે. "તેન ત્યક્તેન ભૂંજી થા"ત્યાગીને ભોગવી જાણો એ આદર્શ રજૂ થયો છે. આ આદર્શ ઈશાવાસ્ય ઉપનિષદનો પ્રથમ મંત્ર પણ આજ વાત રજૂ કરે છે ,
ઇશાવાસ્યમ્ ઈદમ સર્વમ , યત્ કિંચત જગત્યામ જગત, તેન્ ત્યક્તેન ભૂંજી થા,માં ગૃધઃકસ્ય સ્વિદ્ધનમ્ .
અર્થાત આ જગત ઈશ્વરનું સ્વરૂપ છે, ત્યાગીને ભોગવી જાણો ,બીજાના ધનની લાલચ રાખશો નહીં ગિધવૃત્તિ રાખશો નહીં.
વધારે આવતા અંકે,,,,,,
[ © & By Dr.Bhatt Damyanti Harilal ]



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED