NARI-SHAKTI - 12 books and stories free download online pdf in Gujarati

નારી શક્તિ - પ્રકરણ-12 (વિશ્વવારા- આત્રેયી)

નારી શક્તિ પ્રકરણ-12
( વિશ્વવારા- આત્રેયી )
[ હેલ્લો વાચકમિત્રો, નમસ્કાર ,નારી શક્તિ પ્રકરણ 12 માં આપનું હાર્દિક સ્વાગત છે, ઋગ્વેદ કાલીન 'વિશ્વાવારા આત્રેયી' વિશે હું કથા રજૂ કરવા જઇ રહી છું, આ કથામાં પોતાના મહાન વિચારોથી ભારતીય સંસ્કૃતિને વિશ્વ વંદનીય બનાવે એવી વિશ્વવારા એ પોતાનું નામ સાર્થક કર્યું છે. સ્ત્રી ઋષિઓમાં એક જ એવી ઋષિ છે જેણે વંશ-મંડળમાં પોતાનું સ્વતંત્ર સ્થાન પ્રાપ્ત કર્યું છે. સ્ત્રી ઋષિઓ અને કવિયત્રીઓમાં તેણીએ પોતાનુ સ્થાન અમર બનાવ્યું છે. આ અગાઉ આપે ઘણો પ્રતિસાદ આપ્યો છે,એવા રિસ્પોન્સ ની અપેક્ષા સાથે હું અહીં પ્રસ્તુત થઈ છું. આપનો ખૂબ ખૂબ આભાર અને માતૃભારતી નો પણ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ!!! ]
પ્રસ્તાવના:-
વિશ્વ વારાની આ કથા દ્વારા વિશ્વના લોકો ને ધર્મનો સંદેશ આપવામાં આવ્યો છે. આ દેહ મરણશીલ છે અમૃત અને અનશ્વર ની શોધ માટે ચિરંતન કાલથી માનવીય સાધના નો વિષય અને જીવનનું લક્ષ્ય રહ્યું છે. જે અમૃત તત્વની મનુષ્ય ની ખોજ છે તે અમૃત તત્વ જ પ્રકાશ છે. આ પ્રકાશ એટલે કે અગ્નિ અને તે જ અનશ્વર છે ,અમૃત છે, તેથી તેની ઉપાસના, સાધના કરવી જોઈએ એવું વિશ્વ વારા પોતાના સૂક્ત દ્વારા જણાવે છે.. ઋગ્વેદના પાંચમા મંડળમાં સંકલિત અઠ્ઠાવીસમાં સૂક્તની ઋષિ વિશ્રવારા આત્રેયી છે. વિશ્વ વારા એનું નામ છે અને આત્રેયી ગોત્ર નામ છે જે તેને અત્રિ ઋષિ સાથે જોડે છે.
માં ભાસ્યકાર સાયણાચાર્ય એ કહ્યું છે કે આ નામ વંશગત પણ હોઇ શકે અને વિદ્યા ગત પણ હોઈ શકે. કહેવાય છે કે અત્રિ ઋષિ ની પત્ની અનસૂયાએ પોતાના તપોબળથી મંદાકિની નદી પ્રવાહિત કરી હતી. તે જ રીતે આત્રેયી વિશ્વવારા એ પણ પાવન વાગ્ધારા પ્રવાહિત કરી છે. પોતાની વાણી રૂપે મંદાકિની પ્રવાહિત કરી ને આત્રેયી એ સુંદર વર્ણન સભર અગ્નિ સૂક્ત આપ્યું છે. અને વાણીની અલકનંદા ની ધારા અહીં પ્રવાહિત કરે છે.
આત્રેયી ની કથા ૨૮મા સૂક્તમાં આ પ્રમાણે છે.
આ સૂક્તના દેવતા અગ્નિ છે જેની વંદના ક્રમશઃ ત્રિષ્ટુપ, જગતી અને અનુષ્ટુપ છંદોમાં નિબદ્ધ મંત્રો દ્વારા કરવામાં આવી છે અને મંત્ર નો ભાવ આ પ્રમાણે છે. આ સૂક્તમાં આમ તો યજ્ઞના અગ્નિ નું વર્ણન કરીને તેની સ્તુતિ અને પ્રાર્થના કરવામાં આવી છે પણ આ જ અગ્નિ અમરણ શીલ અને અનશ્વર છે.
સમિધાઓ થી ભલીભાંતિ પ્રજવલિત- પ્રદીપ્ત અગ્નિ પ્રકાશ બનીને આકાશને પોતાના તેજથી પ્રકાશિત કરે છે તે જ અગ્નિ પ્રાતઃકાળે ઉષા બનીને વિશેષરૂપથી શોભી રહે છે. (મંત્ર -1 )
આ સમયે સ્તોત્રો દ્વારા દેવતાઓની વંદના કરતી વિશ્વવારા ઘીયુક્ત દુર્વા અને હવિ લઈને પૂર્વ દિશામાં અગ્નિને સમર્પિત કરે છે. સૃષ્ટિના આદિ ઈશ્વર એવા સૂર્ય અને અગ્નિને વિશ્વવારા ઘી અને હવી સાથે પૂર્વ દિશા તરફ જાય છે અને આ તેજ પુંજ જગતના આત્મા એવા આદિત્યનારાયણની વંદના કરે છે.
આ મંત્ર માં ખૂબ જ ગહન અર્થ સમાયેલો છે ઊંડું તત્વચિંતન દર્શન અહીં થાય છે જેમકે પ્રજ્વલિત અગ્નિ જ્યોત નિરંતર ઉપરની બાજુ ઊઠે છે અને શૂન્ય માં વિલીન થતી રહે છે, તેજ રીતે અહમનો પરિત્યાગ અને અસ્મિતાનો વિલય ની સાથે આ પરમ તત્વ માં વિલીન થઈ જવું તેનું સુંદર ઉદાહરણ આનાથી વધારે શું હોઈ શકે ? અગ્નિની ઉર્ધ્વગામી શિખા જાણે કે કહે છે કે જ્યાંથી આ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે ત્યાં જ વિલીન પણ થઈ જાય છે અને જ્યાંથી જીવન શરૂ થાય છે ત્યાં જ વિસર્જન પણ છે, અંત પણ છે એટલે કે આદિ પણ તે છે અને અંત પણ તે છે. જેમ કે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે હે પાર્થ! આદિ પણ હું છું અંત પણ હું છું અને મધ્ય પણ હું છું જ્યારે વિશ્વરૂપ દર્શન અગિયારમા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને બતાવે છે ત્યારે આ જ વાત રજુ થઇ છે. આમ અહીં વિશ્વ વારાના મંત્રોમાં ગહન તત્વચિંતન સમાયેલું છે એક અદ્ભુત તત્વચિંતક ની દ્રષ્ટિએ વિશ્વવારા વિચારે છે. વિશ્વવારા પણ વિદુષી ગાર્ગી જેવીજ જ્ઞાનની અધિષ્ઠાત્રી છે.
સૂક્તના બીજા મંત્રમાં અગ્નિની સ્તુતિ કરતા ઋષિકા કહે છે કે ,
હે પ્રજ્વલિત અગ્નિ! તમે અમૃત નો પ્રકાશ છો, હવ્ય દાતા યજમાનનું તમે કલ્યાણ કરો છો, જેના પર તમારી કૃપા વરસે છે તે બધા જ પ્રકારના ધન-ધાન્યથી સંપન્ન થાય છે. તેથી યજમાન આતિથ્ય યોગ્ય હવીને તમારી સામે પ્રસ્તુત કરે છે.( મંત્ર- 2 )
ખરેખર તો આ અગ્નિ એ પરમ તત્વનો પ્રકાશ છે જેને અમૃતસ્ય ઈશાન કહેવામાં આવે છે અમૃત નો સ્વામી તે પરમ પુરુષ જેની આભાથી આલોકિત છે ,ત્રણે ભુવન , સૂર્ય, ચંદ્ર અને નક્ષત્ર એમ ઉપનિષદના ઋષિઓ પણ કહે છે.
ત્રીજા મંત્રમાં પ્રાર્થના છે કે 'મહતે સૌભગાય' એટલે કે મહાન સૌભાગ્ય માટે ઋષિ વિશ્વવારા પ્રાર્થના કરે છે.
હે અગ્નિ !તમે મહાન સૌભાગ્ય દાતા છો, માટે અમારા શત્રુઓનું દમન કરો , તમારું તે જ ઉત્તમ છે તે તેજથી અમારા દાંપત્ય જીવનને સુદૃઢ કરો અને શત્રુઓના તેજ નો નાશ કરો.( મંત્ર 3)
'મહતે સૌભગાય' સુભગ નો ભાવ સૌભાગ્ય છે તેના દ્વારા જ સૌભાગ્ય શબ્દ બન્યો છે સૌ- ભાગ એટલે સ્ત્રી-પુરુષનું દાંપત્યજીવન આંતરિક પ્રેમ જેની કામના જેને પામવાની કામના હર યુગમાં કરવામાં આવી છે. આ સૌભાગ્યને પ્રાપ્ત કરવાની કામના અગ્નિદેવતા પાસે રજૂ કરવામાં આવી છે કારણ કે અગ્નિ દેવતા જે ઉત્તમ તેજથી વિરાજમાન છે, તેજ કામ, ક્રોધ, ઈર્ષા , દ્વેષ વગેરે આંતરિક શત્રુઓની લડવાની શક્તિ આપે છે અને તે આત્મિક તેજ અથવા સૌંદર્ય છે જેના દ્વારા પ્રિય અને સૌભાગ્યની પ્રાપ્ત કરી શકાય છે. આ મંત્રમાં એક બીજી પણ પ્રાર્થના કરવામાં આવી છે,
હે અગ્નિદેવતા! અમારા દાંપત્ય જીવનને એટલે કે પતિ પત્ની સંબંધ ને સુદ્રઢ કરો.મહાકવિ કાલીદાસે પણ સૌભાગ્યની વાત કુમાર સંભવ માં દર્શાવી છે , કાલિદાસ પણ સૌ-ભગ એટલે કે સૌભાગ્ય એવો અર્થ સમજાવે છે 'કુમાર સંભવ માં પાર્વતી ની કઠોર તપસ્યા આ પ્રકારના સૌભાગ્યને પ્રાપ્ત કરવા માટે જ વર્ણવવામાં આવી છે.
ચોથા મંત્ર માં વિશ્વ વારા કહે છે કે હે તેજોમય - દેદીપ્યમાન અગ્નિ ! અમે તમારા શ્રી ,લોક મંગલકારી સૌંદર્યો, સમૃદ્ધિ અને વૈભવ માટે વંદના કરીએ છીએ કારણકે તમે વૃષભ છો અહીં વિશ્વ વારા અગ્નિ દેવતા ને વૃષભની ઉપમા આપે છે તમે જ કામનાઓની વર્ષા કરવાવાળા શિવના વાહક છો.(મંત્ર-4)
પાંચમા મંત્ર માં ઋષિકા કહે છે કે,
હે સમિધ ! સમિધાઓથી ખૂબ જ પ્રજવલિત યજ્ઞકર્તાઓ માટે આ સુંદર યજ્ઞને સંપાદિત કરવા વાળા અગ્નિ દેવતાઓ માટે અમારા યજ્ઞન ને સંપન્ન કરો આ સામર્થ્ય કેવળ આપનામાં જ છે કારણ કે તમે હવિવાહ છો. અગ્નિ નું એક નામ હવિવાહ છે હવિવાહ એટલે હવિ વાહક હવિને સ્વર્ગમાં દેવતાઓ પાસે લઈ જનાર અગ્નિ.
બધા જ દેવતાઓ સુધી હવિ પહોંચાડવાનું માધ્યમ અને યજ્ઞકર્મના અધિષ્ઠાતા દેવતા અગ્નિ છે.(મંત્ર 5)
આ પૃથ્વી ઉપર જળ ત્યારે શક્ય બને છે જ્યારે વરસાદ હોય વરસાદ નું નિર્માણ અગ્નિ દ્વારા શોષિત જળ બાષ્પ થી સંભવિત છે આ સૃષ્ટિ વિજ્ઞાનને વિશ્વવારા જાણે છે ,તેથી સ્વસ્તિ એટલે કે કલ્યાણ માટે આ સૃષ્ટિના સુંદર અસ્તિત્વ માટે અગ્નિદેવને હવિની આહુતિ આપવા માટે આગ્રહ કરે છે. વિશ્વ વારાનો પ્રકૃતિપ્રેમ પણ છે તે અહીં અભિવ્યક્ત થાય છે.
અંતિમ મંત્ર સમગ્ર વિશ્વ માટે વૈદિક ધર્મનો મહાન સંદેશ છે.
હે વિશ્વમાનવ ! યજ્ઞમાં અગ્નિ પ્રજવલિત થવાથી અગ્નિ માટે આહુતિ આપો, અગ્નિ ની પરિચર્યા કરો , ઉપાસના કરો ,આ હવ્યવાહનુ આરાધ્યના રૂપમાં ધ્યાન ધરો.
વિશ્વ વારાના આ અગ્નિ સૂક્ત દ્વારા ભારતીય ચિંતનની એક અનોખી ચિંતન ધારા પ્રસ્તુત થયેલી છે .આ માત્ર આધ્યાત્મિક સૂક્ત નથી તત્વચિંતન નું દર્શન તો અહીં છે જ પરંતુ સાથે સાથે પ્રકૃતિ, પ્રકૃતિની રક્ષા કરવાનો બોધ છે જળ ત્યારે જ આવશે જ્યારે પ્રકૃતિ સુંદર હશે એવી પણ અહીંયા વિશ્વવારા ની ભાવના છે. ‌એટલે પ્રકૃતિ જેટલી સુંદર હશે તો જ વરસાદ આવશે વર્ષા નું અવતરણ ધરતી પર થશે. આ સૂક્ત દ્વારા વિશ્વ માનવ ને એક મહાન સંદેશ મળે છે.
1.પ્રકૃતિ ની સમૃદ્ધિ ઉપભોગ માટે નહીં , વંદના માટે છે, વંદના કરવાની વસ્તુ છે માનવ પ્રકૃતિ નું અભિન્ન અંગ છે તેનો પ્રભુ નહીં ,પ્રકૃતિનો ઇશ્વર નથી. પ્રકૃતિની રક્ષા જ માનવજાતનું કલ્યાણ છે અને આ અનુભવ આપણે કોરોના માં કરી ચૂક્યા છીએ.
2 જે દિવ્ય શક્તિઓ એ આ સૃષ્ટિમાં જીવન સંભવ બનાવ્યું છે તેના પ્રત્યે માનવજાત ઋણી છે અને આ ઋણથીથ મુક્ત થવાનું ત્યારે જ સંભવ છે કે આપણે દેવી યજ્ઞોને સંપાદિત કરીએ. સ્ત્રી-પુરુષ બંને ની દિનચર્યા થી આ પવિત્ર ભાવ અને કાર્ય આરંભ થવું જોઈએ. અહીં પણ યજ્ઞ દ્વારા પ્રકૃતિ અને માનવ જાતનું કલ્યાણ અને પ્રકૃતિના ઋણમાંથી માનવ જાતને મુક્ત થવા માટે નો ઉપાય બતાવ્યો છે.
3. અહીં સમાજ વ્યવસ્થાનો આધાર વિવાહ જેવા મધુર બંધન અને ગૃહસ્થ જેવા પવિત્ર આશ્રમ નો આધાર ધર્મ અને સંયમ પૂર્ણ દૃઢ સંબંધ છે. દાંપત્ય જીવન ત્યારે જ સુખી અને સમૃદ્ધ બની શકે જ્યારે તે ધર્મમય અને ધર્મ સંમત અને સંયમ પૂર્ણ હોય .આ સૃષ્ટિની ચિરંતન પ્રક્રિયાનું લક્ષ્ય છે. શરીર સુખ અને માત્ર ભોગવિલાસ નથી .
4 યજ્ઞ ધર્મ એ સમાજ વ્યવસ્થાનો અને સૃષ્ટિનો સનાતન ધર્મ છે ઋતુઓનું પાલન અને ઋતુચક્ર નું નિયંત્રણ પણ છે.
[ © & By Dr. Bhatt Damyanti H. ]



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED