કારગિલ યુદ્ધ - ભાગ 1 Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કારગિલ યુદ્ધ - ભાગ 1

લેખ:- કારગિલ યુદ્ધ
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની

નોંધ:- આ આખો લેખ ઈન્ટરનેટના માધ્યમથી તૈયાર કરવામાં આવ્યો છે. માટે માહિતી બદલ કોઈ ચૂક થઈ હોય તો ક્ષમા પ્રાર્થુ છું.

કારગિલ યુદ્ધ, જેને કારગિલ સંઘર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1999ના મે અને જુલાઈ મહિનામાં કાશ્મીરના કારગિલ જિલ્લામાં અને નિયંત્રણ રેખા (એલઓસી) ની બાજુમાં થયું હતું. ભારતમાં આ સંઘર્ષને ઓપરેશન વિજય (હિન્દી: विजय, શાબ્દિક "વિજય") તરીકે પણ ઓળખવામાં આવે છે, જે કારગિલ ક્ષેત્રને ઘુસણખોરોથી મુક્ત કરવાના ભારતીય ઓપરેશનનું નામ હતું. આ યુદ્ધ દરમ્યાન ભારતીય ભૂમિસેના સાથે સંયુક્ત રીતે કામ કરતી ભારતીય વાયુસેનાનો હેતુ પાકિસ્તાન ભૂમિસેનાના નિયમિત તથા અનિયમિત સૈન્યને ભારતીય વિસ્તારમાંથી નિયંત્રણ રેખાની બહાર કરવાનો હતો. આ ખાસ ઓપરેશનનું કોડનેમ ઓપરેશન સફેદ સાગર રાખવામાં આવ્યું હતું.

પાકિસ્તાનના સૈનિકોએ કાશ્મીરી આતંકવાદીઓ જેવો વેશ ધારણ કરીને એલઓસી, જે ડે ફેક્ટો, de facto બોર્ડર તરીકે ઓળખાય છે, તે ઓળંગી ભારતીય વિસ્તારોમાં ઘૂસણખોરી કરી, જે આખરે યુદ્ધમાં પરિણમી. યુદ્ધની શરૂઆતમાં પાકિસ્તાને, પાકિસ્તાનથી તદ્દન સ્વતંત્ર એવા કાશ્મીરી વિદ્રોહીઓને આ લડત માટે દોષી ઠેરવ્યા, પરંતુ યુદ્ધમાં મૃત્યુ પામેલા પાકિસ્તાની સૈનિકોના દસ્તાવેજો પરથી પાકિસ્તાની અર્ધલશ્કરી દળોની સંડોવણી સામે આવી, પછીથી પાકિસ્તાની વડાપ્રધાન અને મુખ્ય સૈન્ય અધિકારીના નિવેદનમાં પણ આ વાતની પુષ્ટિ થઈ. પાકિસ્તાની અર્ધલશ્કરી દળોના આગેવાન જનરલ અશરફ રશીદ હતા. એલઓસીની ભારતીય બાજુ પરની ટેકરીઓ પર પાકિસ્તાની સૈન્ય અને આતંકવાદીઓએ ઘૂસણખોરી કરી હતી, ભારતીય ભૂમિદળે વાયુસેનાના સહયોગ વડે મોટા ભાગની ટેકરીઓ પર ફરીથી કબ્જો કર્યો. આંતરરાષ્ટીય સ્તરે રાજદ્વારી વિરોધનો સામનો કરી રહેલા પાકિસ્તાને બાકીના ભારતીય વિસ્તારમાંથી પીછેહઠ કરી.

આ યુદ્ધ પર્વતીય ભૂપ્રદેશમાં ઉચ્ચ ઊંચાઈ પર લડાયેલ યુદ્ધનું સૌથી તાજેતરનું ઉદાહરણ છે, જેણે યુદ્ધના બંને દળો માટે નોંધપાત્ર કાયદાકીય સમસ્યાઓ ઉભી કરી હતી. પરમાણુ રાજ્યો વચ્ચે સીધો, પરંપરાગત યુદ્ધનો પણ આ એકમાત્ર દાખલો છે. ભારતે ઈ. સ.1974માં તેનું પ્રથમ સફળ પરમાણુ પરીક્ષણ હાથ ધર્યું હતું. પાકિસ્તાને તે જ સમયથી ગુપ્ત રીતે તેની પરમાણુ ક્ષમતા વિકસાવવા માંડી હતી. ભારતના દ્વિતીય પરમાણુ પરીક્ષણના માત્ર બે અઠવાડિયા પછી પાકિસ્તાને ઈ. સ.1998માં તેનું પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું હતું.

ઈ. સ. 1947માં ભારતના ભાગલા પહેલા કારગિલ વિસ્તાર લદ્દાખનો એક તાલુકો હતો. ખૂબ જ ઓછી વસ્તી ધરાવતા આ વિસ્તારમાં વિવિધ ભાષાઓ, વંશો અને ધાર્મિક જૂથો ધરાવતા લોકો એકમેકથી અલગ ખીણોમાં વસતા હતા. વિશ્વના ઉત્તુંગ શિખરોમાં જેમની ગણના થાય એવા શિખરોએ ખીણોને એકમેકથી અળગી રાખી હતી. ઈ.સ. 1947 - 1948નાં ભારત પાકિસ્તાન યુદ્ધની સમાપ્તિ વખતે નિર્ણાયક રેખા આંકવામાં આવી, જેથી લદ્દાખનું વિભાજન થયું. સ્કર્દુ તાલુકો પાકિસ્તાનના ફાળે ગયો, જે અત્યારે ગિલગિટ બાલ્ટીસ્તાનનો ભાગ છે. ઈ. સ. 1971નાં યુદ્ધમાં પાકિસ્તાનની હાર પછી બંને દેશોએ શિમલા કરાર પર હસ્તાક્ષર કર્યા, જેમાં બંને દેશોએ એલઓસી સીમાનું પાલન કરી સશસ્ત્ર સંઘર્ષ ટાળવા માટે વચન આપ્યું.

કારગિલ શહેર શ્રીનગરથી 205 કિમી પર આવેલું છે. કારગીલની ઉત્તરે એલઓસીની સામેની તરફ ગિલગિટ બાલ્ટીસ્તાનનો વિસ્તાર આવેલો છે. હિમાલયના અન્ય વિસ્તારોની જેમ જ કારગિલનું વાતાવરણ વિષમ છે. ઉનાળામાં પણ ઠંડી અને રાતમાં તો થીજી જવાય એવી ઠંડી હોય છે, જયારે શિયાળો લાંબો અને અત્યંત વિષમ હોય, શિયાળામાં તાપમાન ઘણીવાર − 48° સેલ્સિયસ જેટલું નીચું હોય છે.

શ્રીનગરને લેહથી જોડતો એકમાત્ર ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ (એનએચ 1) કારગિલથી પસાર થાય છે. જે વિસ્તારોમાં ઘૂસણખોરી અને લડાઈ થઈ એ 160 કિલોમીટર લાંબો વિસ્તાર પર્વતોની એક હારમાળા જેવો હતો, જ્યાંથી આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (એનએચ 1) ને જોઈ શકાતો હતો. આ પર્વતોની હારમાળા ઉપર ગોઠવાયેલી લશ્કરી ચોકીઓની સરેરાશ ઊંચાઈ 5,000 મીટર હતી. ઘણી ચોકીઓ તો 5,485 મીટર જેટલી ઊંચાઈ પર હતી. યુદ્ધરેખા નજીકના અને વસ્તી ધરાવતા વિસ્તારોમાં જિલ્લા પાટનગર કારગિલ સિવાય મુશ્કો ખીણ, દ્રાસ, દક્ષિણ-પશ્ચિમ કારગિલ, બટાલિક અને ઉત્તર-પૂર્વ કારગીલનો સમાવેશ થતો હતો.

ઘુસણખોરી માટે કારગિલ વિસ્તાર પસંદ કરાયો તેને પાછળ કારણ એ હતું કે, ભારતને ભાળ ન પડે એ રીતે આ વિસ્તારની ઘણી ખાલી પડેલી ચોકીઓ પર કબ્જો કરી શકાય એમ હતો. વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સુવિધાઓ સાથે, શિખરોની ટોચ પર રક્ષણાત્મક ચોકીઓ ચણીને ગોઠવાયેલ પાકિસ્તાની સૈન્ય રક્ષણાત્મક ભૂમિકામાં હતું. એક કિલ્લા જેવી સંગીન રક્ષણાત્મક સ્થિતિ તેમના પક્ષે હતી. જયારે આ ચોકીઓ ફરીથી કબ્જે કરવા માંગતા ભારતીય સૈન્યએ પર્વતીય યુદ્ધ કરવાનું હતું અને મોટી સંખ્યામાં સૈનિકોની જરૂર પડવાની હતી. ઉત્તુંગ શિખરો અને વિષમ ઠંડી તેમની મુશ્કેલીઓમાં વધારો કરવાની હતી.

પાકિસ્તાની નિયંત્રણ હેઠળના સ્કર્દુથી કારગિલ માત્ર 173 કિમી દૂર છે, જે પાકિસ્તાની લડવૈયાઓને લોજિસ્ટિક અને આર્ટિલરી પૂરા પાડવામાં સક્ષમ હતું. કારગિલને સ્કર્દુ સાથે જોડતો રસ્તો પહેલેથી જ હતો, જે ઈ. સ. 1949માં બંધ કરવામાં આવ્યો હતો.

યુદ્ધની પ્રગતિ(ઈ. સ. 1999)

3 મે સ્થાનિક ભરવાડ દ્વારા કારગિલમાં પાકિસ્તાની ઘુસણખોરીની જાણ.

5 મે ભારતીય સૈન્યની પેટ્રોલીંગ ટીમ રવાના કરાઈ; પાંચ ભારતીય સૈનિકને બંદી બનાવવામાં આવ્યા, ત્રાસ આપીને મોતને ઘાટ ઉતારી દેવાયા.

9 મે પાકિસ્તાની સૈન્ય દ્વારા કરાયેલ ભારે તોપમારામાં કારગિલ ખાતેનો દારૂગોળાનો ભંડાર નુકસાન પામ્યો.

10 મે સૌપ્રથમ દ્રાસ, કાકસર અને મુશકોહ સેક્ટરમાં ઘુસણખોરી ધ્યાનમાં આવી.મધ્ય મેભારતીય સેનાએ વધુ સૈનિકો કાશ્મીર ખીણથી કારગિલ રવાના કર્યા.

26 મે ઘૂસણખોરો પર ભારતીય વાયુસેનાએ હવાઈ હુમલા કર્યા.

27 મે ભારતીય વાયુસેનાના બે મિગ-21 અને એક મિગ-27 વિમાનોને પાકિસ્તાની સૈન્યની એર ડિફેન્સ કોર્પે એન્ઝા એમકે-2(ખભે રાખીને દાગી શકાતી મિસાઈલ) વડે તોડી પાડ્યા. ફ્લાઇટ લેફટનન્ટ કંબામ્પતી નચિકેતાને યુદ્ધકેદી તરીકે બંદી બનાવ્યા.

28 મે ભારતીય વાયુસેનાનું મી-17 હેલીકૉપટર પાડવામાં આવ્યું; ચાર યાત્રિકો મૃત્યુ પામ્યા.

1 જૂન પાકિસ્તાને હુમલાઓ વધાર્યા; એનએચ-1 પાર તોપગોળા દાગ્યા.

5 જૂન ભારતીય સેનાએ પાકિસ્તાનની સંડોવણી સૂચવતા ત્રણ પાકિસ્તાની સૈનિકો પાસેથી હસ્તગત કરેલા દસ્તાવેજો પ્રકાશિત કર્યા.

6 જૂન ભારતીય સેનાએ કારગિલમાં મોટા આક્રમણની શરૂઆત કરી.

9 જૂન ભારતીય સેનાએ બટાલિક ક્ષેત્રે બે મુખ્ય શિખરો ફરીથી કબજે કર્યા.

11 જૂન ભારતે પાકિસ્તાનની સેનાની સંડોવણી સૂચવતી વાતચીત જાહેર કરી, જે પાકિસ્તાની આર્મી ચીફ જનરલ પરવેઝ મુશર્રફ (ત્યારે ચીનની મુલાકાતે હતા) અને ચીફ ઓફ જનરલ સ્ટાફ લેફટન્ટ જનરલ અઝીઝ ખાન (રાવલપિંડી ખાતે) વચ્ચે થઈ હતી અને ભારતે આંતરી હતી.

13 જૂન ભારતીય સેનાએ દ્રાસ ખાતેનું તોલોલીંગ કબ્જે કર્યું.

15 જૂન યુ.એસ.ના રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને ટેલિફોનિક વાતચીતમાં પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને કારગિલ છોડવા ફરજ પાડી.

29 જૂન પાકિસ્તાની સેનાની ખાદ્યસામગ્રી અને શસ્ત્રોની સપ્લાય લાઈન તેમના જ વડાપ્રધાને કાપી નંખાવી, જેથી તેઓએ પીછેહઠ કરી અને ભારતીય સેના ટાઇગર હિલ તરફ આગળ વધી.

2 જુલાઈ ભારતીય સેનાએ કારગિલમાં ત્રિપક્ષી હુમલો કર્યો.

4 જુલાઈ ભારતીય સેનાએ 11 કલાકની લડત બાદ ટાઇગર હિલ પર કબજો કર્યો.

5 જુલાઈ ભારતીય સેનાએ દ્રાસ સર કર્યું. પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફે ક્લિન્ટન સાથેની મુલાકાત બાદ કારગિલથી પાકિસ્તાની સેનાની વાપસીની ઘોષણા કરી.

7 જુલાઈ બટાલિકમાં ભારતે જુબાર હાઇટ્સ પર કબજો કર્યો.

11 જુલાઈ પાકિસ્તાની સેનાએ વાપસી શરુ કરી, બટાલિકમાં ભારતે મુખ્ય શિખરો કબજે કર્યા.

14 જુલાઈ ભારતના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ ઓપરેશન વિજયને સફળ જાહેર કર્યું. સરકારે પાકિસ્તાન સાથે વાતચીત માટે શરતો નક્કી કરી.

26 જુલાઈ કારગિલ સંઘર્ષનો સત્તાવાર અંત આવ્યો. ભારતીય સેનાએ પાકિસ્તાની ઘુસણખોરોને સંપૂર્ણ રીતે હાંકી કાઢ્યાની ઘોષણા કરી.

કારગિલ યુદ્ધના ત્રણ મુખ્ય તબક્કાઓ હતા. પ્રથમ તબબકામાં પાકિસ્તાને કાશ્મીરના ભારતીય નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં ઘૂસણખોરી કરી અને વ્યૂહાત્મક રીતે મહત્વના સ્થળો પર કબજો કરી લીધો, જેથી એનએચ-1 પાકિસ્તાની આર્ટિલરી ફાયરની મર્યાદામાં આવી ગયો. આગલા તબક્કામાં ભારતે ઘૂસણખોરોને શોધ્યા અને તેનો જવાબ આપવા માટે સૈન્ય દળો એકત્રિત કર્યા. અંતિમ તબક્કામાં ભારત અને પાકિસ્તાનના સૈન્યો વચ્ચે થયેલી મોટી લડાઈઓનો સમાવેશ થાય છે, જેમાં ભારતે પાકિસ્તાન સૈન્ય દ્વારા કબ્જે કરાયેલો મોટા ભાગનો પ્રદેશ પાછો મેળવ્યો અને છેવટે આંતરરાષ્ટ્રીય દબાવને લીધે પાકિસ્તાને તેનું સૈન્ય એલઓસીની પાછળની તરફ બોલાવી લીધું.

ઘૂસણખોરી અને લશ્કરી જમાવટ.

ફેબ્રુઆરી 1999માં પાકિસ્તાન ભૂમિદળે એલઓસીની ભારતીય બાજુએ આવેલી કેટલીક ચોકીઓ કબજે કરવા સૈન્ય મોકલ્યું. ચુનંદા સ્પેશ્યલ સર્વિસીસ ગ્રુપના જવાનો તેમજ નોર્થન લાઈટ ઈન્ફન્ટ્રીની(અર્ધલશ્કરી દળ, જે તે સમયે નિયમિત પાકિસ્તાની સૈન્યનો ભાગ ન હતું) ચારથી-સાત બટાલિયને છુપી રીતે ભારતીય નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં ઘુસી 132 અનુકૂળ સ્થાને બેઝ સ્થાપિત કર્યા. કેટલાક અહેવાલો અનુસાર આ પાકિસ્તાની દળોને કાશ્મીરી ગેરીલાઓ અને અફઘાન ભાડૂતીઓનું સમર્થન હતું. જનરલ વેદ મલિકના જણાવ્યા મુજબ, મોટા ભાગની ઘૂસણખોરી એપ્રિલમાં થઈ હતી.

મુશ્કોહ ખીણ નજીકની ઊંચાઈઓ પર, દ્રાસમાં માર્પો લા પાસે, કાકસરમાં કારગિલ પાસે, બટાલિક ક્ષેત્રમાં સિંધુ નદીની પૂર્વમાં, ચોરબાતલા સેક્ટરની ઉંચાઈઓમાં કે જ્યાંથી એલઓસી ઉત્તર તરફ વળાંક લે છે અને સિઆચેન વિસ્તારની દક્ષિણના તુર્રતોક સેક્ટરમાં પાકિસ્તાને ઘૂસણખોરી કરી હતી.

ભારતે ઘુસણખોરોને શોધી કાઢ્યા અને એકત્રિત થયા

શરૂઆતમાં ઘણા કારણોસર ઘુસણખોરોની ભાળ ન મળી. અમુક વિસ્તારોમાં ચોકિયાત-ટુકડી મોકલાઈ ન હતી તો અમુક વિસ્તારોમાં પાકિસ્તાને ભીષણ તોપમારો ચલાવીને ઘુસણખોરોને રક્ષણ આપ્યું. પરંતુ મે ના બીજા અઠવાડિયામાં સ્થાનિક ભરવાડના સૂચન અનુસાર શોધખોળ પર ગયેલી કેપ્ટન સૌરભ કાલિયાની ટુકડીએ બટાલિક ક્ષેત્રના ઘુસણખોરોનો પર્દાફાશ કર્યો. શરૂઆતમાં ઘુસણખોરો તથા તેમની સંખ્યાની વધુ જાણકારીના અભાવે ભારતીય દળોએ માન્યું કે આ ઘૂસણખોરો જિહાદી છે, અને દાવો કર્યો કે તેઓ થોડાક જ દિવસોમાં તેમને હાંકી કાઢશે. પરંતુ ત્યારબાદ એલઓસીની પાસે અન્ય સ્થળોએ ઘૂસણખોરોની ઉપસ્થિતિ, ઘૂસણખોરોએ અપનાવેલી અલગ રણનીતી વગેરેથી ભારતીય સેનાને ખ્યાલ આવ્યો કે લડાઈની યોજના ઘણા મોટાપાયાની છે. ઘૂસણખોરો દ્વારા આંચકી લેવાયેલ કુલ વિસ્તારને સામાન્ય રીતે 130 થી 200 ચોરસ કિમી (50 થી 80 ચોરસ માઇલ) વચ્ચેનો માનવામાં આવે છે.

ભારત સરકારે તેનો જવાબ ઓપરેશન વિજય થકી આપ્યો, જેમાં 200,000 ભારતીય સૈનિકો એકત્રિત કરાયા; પરંતુ ભૃપુષ્ઠની પ્રકૃતિને કારણે ડિવિઝન અને કોર્પ સ્તરના મોટા ઓપરેશનો અમલમાં ન મૂકી શકાયા, મોટાભાગની લડત બ્રિગેડ કે બટાલિયન સ્તરે લડાઈ. અસલમાં તો ભારતીય ભૂમિદળની બે ડિવિઝન (20,000 સૈનિકો), વધુમાં કેટલાક હજાર અર્ધલશ્કરી દળો અને ભારતીય વાયુસેનાને યુદ્ધમોરચે તૈનાત કરાયા હતા. કારગિલ-દ્રાસ સેક્ટરના તમામ સૈન્ય ઓપરેશનમાં જોડાયેલા ભારતીય સૈનિકોની કુલ સંખ્યા 30,000 ની નજીક હતી. લોજીસ્ટીકલ બેકઅપ આપનારા લોકોને ગણીને ઘુસણખોરોની સંખ્યા યુદ્ધની ચરમસીમા વખતે 5,000 અંદાજવામાં આવે છે. આ આંકડામાં પાકિસ્તાન સંચાલિત કાશ્મીરથી વધારાનો આર્ટિલરી ટેકો પૂરો પાડતા સૈનિકોનો પણ સમાવેશ છે.

26 મે ના રોજ ભારતીય વાયુસેનાએ ભારતીય ભૂમિસેનાના એકત્રીકરણને સહયોગ આપવા ઓપરેશન સફેદ સાગર શરુ કર્યું. યુદ્ધ અનિચ્છનીય ગંભીર સ્વરૂપ ન પકડે માટે, 25 મે ના રોજ ભારત સરકારે વાયુસેનાને માત્ર માર્યાદિત પાવર વાપરવાની મંજૂરી આપી, સાથે ફરમાન કર્યું કે કોઈપણ સંજોગોમાં લડાકુ વિમાનો એલઓસી પાર ન કરે. દુનિયામાં સૌપ્રથમ વખત આટલી ઊંચાઈએ વાયુયુદ્ધ ખેલાયું હતું, જેમાં લક્ષ્યાંકોની ઊંચાઈ 6-18,000 એએમએસએલની વચ્ચે હતી. આ ઉત્તુંગ ઊંચાઈએ ત્રાસદાયક પવન રોકેટ, ડમ્બ બૉમ્બ(વિમાનમાંથી મુક્ત પતન કરાવાતા બૉમ્બ) તથા લેસર ગાઇડેડ બૉમ્બના પ્રક્ષેપિત માર્ગને ખલેલ પહોંચાડતો હતો. સામેની તરફથી પાકિસ્તાનની વાયુસેનાએ કોઈ જવાબી કાર્યવાહી ન કરી, પરિણામે ભારતીય વાયુસેનાએ મુક્ત રીતે ઓપરેશન પાર પાડ્યા. ભારતીય વાયુસેનાનુ સંપૂર્ણ આકાશ પર પ્રભુત્વ હતું, જેને લીધે પાઈલટોને ફાયરિંગ ટેક્નિક, નિશાન સાધવાના સૂચકાંકો વગેરેનુ માપાંકન કરવા પૂરતો સમય મળ્યો, જેનાથી ઊંચાઈ પરના હવાઇયુદ્ધની અસરકારકતા વધી. ખરાબ હવામાન અને રેન્જની મર્યાદાએ વારંવાર બૉમ્બની વહનક્ષમતા અને વાપરી શકાતી હવાઇપટ્ટીઓની સંખ્યા ઘટાડી, મિરાજ-2000 વિમાનોમાં આ તકલીફ નહોતી, જોકે તેના મિશનો 30 મે પછી આરંભાયા.

દરિયાઈ કાર્યવાહી

ભારતીય નૌસેના ઓપરેશન તલવાર અંતર્ગત દરિયાઈ સપ્લાય માર્ગો કાપી નાખવા માટે પાકિસ્તાની બંદરોની (મુખ્યત્વે કરાંચી બંદરની) નાકાબંધી કરવા પણ તૈયાર હતી. ભારતીય નૌકાદળનો પશ્ચિમ અને પૂર્વી બેડો ઉત્તર અરબી સમુદ્રમાં જોડાયો અને આક્રમક પેટ્રોલિંગ શરૂ કર્યું, અને પાકિસ્તાનનો સમુદ્રી વેપારને કાપી નાખવાની ચીમકી આપી, આનાથી દરિયાઈ માર્ગો પર આધારિત પાકિસ્તાનની તેલ અને વેપારની આવનજાવન નાજુક સ્થિતિમાં મૂકાઈ. બાદમાં, પાકિસ્તાનના તત્કાલીન વડા પ્રધાન, નવાઝ શરીફે કહ્યું હતું કે, જો ફૂલ-સ્કેલ યુદ્ધ ફાટી નીકળ્યું હોય તો પાકિસ્તાન પાસે પોતાને ટકાવી રાખવા માટે ફક્ત છ દિવસનું બળતણ બાકી રહ્યું હતું.

ભારત પાકિસ્તાની હોદ્દા પર હુમલો કરે છે

કાશ્મીરનો પ્રદેશ સાગરસપાટીથી ઘણી ઊંચાઈ પર આવેલો છે અને પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવે છે, અહીંના શ્રેષ્ઠ એવા શ્રીનગર-લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગને (એનએચ-1) પણ ફક્ત બે જ લેન છે. ઉબડખાબડ પ્રદેશ અને સાંકડા રસ્તાને કારણે વાહનવ્યવહાર ધીમો પડી ગયો, ઊંચાઈ પર પાતળી હવાને કારણે વિમાનોની બોજવહન ક્ષમતા પણ ઘટી જતી હતી, માટે એનએચ-1 (જે ભાગ પાકિસ્તાની આક્રમણ હેઠળ હતો) ને સાચવાવું ભારત માટે અત્યંત મહત્વનું હતું, 130થી વધુ નિરીક્ષણ ચોકીઓ પાર છુપી રીતે કબ્જો મેળવીને ગોઠવાયેલા પાકિસ્તાની સૈનિકો એનએચ-1 ને બહુ ચોકસાઈ પૂર્વક અવલોકી શકતા હતા અને તોપગોળા વરસાવી શકતા હતા, જેનાથી ભારતને ભારે જાનહાની થતી હતી. ભારતીય સૈન્ય માટે આ એક ગંભીર સમસ્યા હતી કારણ કે હાઇવે મુખ્ય લોજિસ્ટિક અને સપ્લાય માર્ગ હતો. જોકે લેહ જવા માટે હિમાચલ પ્રદેશથી લેહ-મનાલી ધોરીમાર્ગ ઉપલબ્ધ હતો, છતાં પાકિસ્તાનના એનએચ-1 પરના તોપમારાને લીધે લેહ છૂટું પડી જાય એવો ભય હતો.

ઘૂસણખોરો, નાના હથિયારો અને ગ્રેનેડ લોન્ચરો ઉપરાંત, મોર્ટાર, તોપખાના અને એન્ટી એરક્રાફ્ટ ગન (વિમાન વિરોધી તોપો) વડે સજ્જ હતા. એક આઈસીબીએલના રિપોર્ટ પ્રમાણે, પાકિસ્તાને ચોકીઓને માઈન્સ બિછાવીને સુરક્ષિત બનાવી હતી, ભારતે પાછળથી એમ પણ જણાવ્યું કે 8,000 એન્ટી-પર્સનલ માઇન્સ હસ્તગત કરાઈ હતી. પાકિસ્તાન જાસૂસી માટે અમેરિકાએ સપ્લાય કરેલા AN/TPQ-36 ફાયરફાઈન્ડર રડાર અને માનવરહિત વિમાનો વાપરતું હતું. ભારતે પ્રારંભિક હુમલો એનએચ-1 હાઇવે પાસે આવેલી ટેકરીઓ કબજે કરવા માટે કર્યો, તથા કારગિલ નજીક ધોરીમાર્ગની અડીને આવેલા પ્રદેશોને અગ્રીમતા આપી. મોટાભાગની ચોકીઓ ધોરીમાર્ગને નિકટવર્તી હતી, માટે ત્યાં ફરીથી કબજો મેળવવાથી ધોરીમાર્ગની સુરક્ષા વધતી હતી અને સાથોસાથ ગુમાવેલો પ્રદેશ પણ હસ્તગત થતો હતો, આ ધોરીમાર્ગનું રક્ષણ કરવું તથા આગળ અને આગળની ચોકીઓ કબજે કરવી એ જ આ સમગ્ર યુદ્ધનો હેતુ રહ્યો.

વાંચવા બદલ આભાર.

- સ્નેહલ જાની