Our Excellencies - Part 10 - Shankaracharya books and stories free download online pdf in Gujarati

આપણાં મહાનુભાવો - ભાગ 10 - શંકરાચાર્ય

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની

ભારતીય ઉપખંડના સૌથી પ્રાચીન પૂજ્ય વ્યક્તિ એટલે જગદગુરુ શંકરાચાર્ય. તેમનાં મિત્ર ચીતસુખાચાર્યનાં મત મુજબ શંકરાચાર્યનો જન્મ નંદન સંવત્સર 2593માં વૈશાખ સુદ પાંચમ, રવિવાર, પુનર્વસુ નક્ષત્ર અને ઘનુ લગ્નમાં થયો હતો. તેમનાં પિતાનું નામ શિવગુરૂ અને માતાનું નામ આર્યઅંબા હતું. એમનાં દાદાનું નામ વિદ્યાધર હતું. શિવગુરુ અને તેમની પત્નીએ પુત્ર પ્રાપ્તિ માટે ચંદ્રમૌલેશ્વર મહાદેવની અનન્ય ભક્તિ અને તપ કરતાં સ્વયં ભગવાન આશુતોષે દર્શન આપી પોતે તેમને ત્યાં એક સર્વજ્ઞ પણ અલ્પ આયુ બાળક તરીકે અવતાર લેશે એવું વરદાન આપ્યું હતું. આથી જ આ બાળકનું નામ તેમણે શંકર રાખ્યું હતું. જન્મથી જ આ બાળકના શરીર પર દિવ્ય ચિહ્ન જેવાં કે માથા ઉપર ચંદ્ર-ચક્ર, કપાળમાં નેત્ર અને ખભા પર ત્રિશૂલનાં ચિહન હતાં. આમ, બાળ શંકર સ્વયં શિવાવતાર હતા.

શંકરની જન્મ-કુંડલીમાં આઠ, સોળ અને બત્રીસમા વર્ષમાં મૃત્યુયોગ હતો. આઠમા વર્ષનો મૃત્યુયોગ તપ દ્વારા અને સોળમા વર્ષનો મૃત્યુયોગ દૈવિક આશીર્વાદ દ્વારા દૂર થઈ શકે એમ હતો. આઠ વર્ષની ઉંમરે પૂર્ણા નદીમાં સ્નાન કરતી વખતે મગરે તેમનો પગ પકજી લીધો હતો અને તેથી આ મૃત્યુયોગથી છૂટવા સંન્યાસ ગ્રહણ કરી તપ કરવાની આજ્ઞા માતા પાસેથી મેળવી લીધી. આમ આ આઠમા વર્ષના મૃત્યુયોગનું નિવારણ થયું

દ્વારકાપીઠ, ગોવર્ધન મઠ અને જ્યોતિમઠનાં મઠાધીપતિનાં વંશાવલિ પ્રમાણે પણ શંકરાચાર્યનો જન્મ પાંચમી સદીમાં થયો હોવાનું મનાય છે. નેપાળના 18માં રાજા વ્રીશહાદેવ વર્મા (ઈ. સ. પૂર્વે 547 થી 486) હતાં. તેમનુ રાજ હતુ ત્યારે શંકરાચાર્ય નેપાળમાં હતા. આ પણ સાબિત કરે છે કે શંકરાચાર્ય પાંચમી સદીમાં થઈ ગયા. જીનવિજય નામનાં ગ્રંથ પ્રમાણે કુમરીલા ભટ્ટ પાંચમી સદીમાં થઈ ગયેલાં અને આદિ શંકરાચાર્ય તેમને મળ્યા હતા. આ સાબિતી છે કે શંકરાચાર્ય પાંચમી સદીમાં હતાં.

આમ, શંકરાચાર્યનો સમય ઈ. સ. પૂર્વે 509થી ઈ. સ. પૂર્વે 477 મનાય છે. હાલમાં શંકરાચાર્યનો જે સમય 7મી કે 8મી સદી આપવામા આવે છે તે અભિનવ શંકરાચાર્યનો છે. તેમનો જન્મ કેરળનાં કાલડી ગામમાં, દક્ષિણ ભારતનાં નમ્બૂદરી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.(કેટલીક જગ્યાએ દ્રવિડ બ્રાહ્મણનો ઉલ્લેખ છે.) એવું માનવામાં આવે છે કે ભગવાન શિવની કૃપાથી તેમનો જન્મ થયો છે. આજે આ કુળના બ્રાહ્મણ બદ્રીનાથ મંદિરના રાવલ છે.

શંકરાચાર્ય સંસ્કૃતનાં પ્રખર પંડિત હતા. માત્ર ત્રણ વર્ષની ઉંમરે તેમણે પિતા ગુમાવ્યા હતા. આ ઉંમરે તેઓ વૈદિક જ્ઞાનમાં પારંગત થઈ ગયા હતા. ત્યારબાદ ગુરુ આશ્રમમાં રહીને માત્ર આઠ વર્ષની ઉંમરે તેઓએ વેદોનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. પછી તેમણે માત્ર આઠ વર્ષની ઉંમરે જ સંન્યાસ લઈ લીધો અને માતાની આજ્ઞા લઈ ભારત ભ્રમણ માટે નીકળી ગયા. તેમણે ત્રણ વાર આખા ભારતની યાત્રા કરી હોવાનો ઉલ્લેખ છે.

ગુરુની શોધમાં તેઓ ઓમકારેશ્વર પહોંચ્યા. જયાં તેમને ગોવિંદાચાર્ય મળ્યા. ત્રણ વર્ષ તેમની પાસે શિક્ષા મેળવી 12 વર્ષની ઉંમરે તેઓ કાશી પહોંચ્યા. કાશીમાં ચાંડાલરુપધારી ભગવાન શંકર પાસે પૂર્ણ શિક્ષા પ્રાપ્ત કરી માત્ર ચૌદ વર્ષે તેમણે બ્રહ્મસૂત્ર, ગીતા અને ઉપનિષદ ઉપર ભાષ્ય લખ્યા. આદેશાનુસાર શંકરે બદ્રિકાશ્રમ પાસે વ્યાસ ગુફામાં રહી બાર ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ભગવદ્‌ગીતા, વિષ્ણુ સહસ્ત્ર નામ, મનત્સુજાતીય એમ 16 પ્રસિદ્ધ ગ્રંથો પર ભાષ્ય રચના કરી. આ ગ્રંથો પ્રસ્થાનત્રયી તરીકે ઓળખાય છે અને એના પર ભાષ્યરચના કરનાર આચાર્ય ગણાય છે. આમ શંકર આચાર્ય બનતાં શંકરાચાર્ય તરીકે પ્રસિદ્ધિ પામ્યા.

શંકરાચાર્યે વેદાન્ત ધર્મની પુનઃપર્તિષ્ઠા માટે ભારતભ્રમણ શરૂ કરી માર્ગમાં આવતાં ધાર્મિક સ્થળોનો જીર્ણોદ્ધાર અને એમાં શાલિગ્રામોની પુનઃપર્તિષ્ઠા કરી સનાતન વૈદિક ધર્મનો પ્રચાર શરૂ કર્યો હતો. કાશીમાં જ શંકરાચાર્યે સન્દન નામના યુવકને દીક્ષા આપી તેને પોતાનો પ્રથમ શિષ્ય બનાવ્યો હતો. સન્દનનું મૂળ નામ વિષ્ણુ શર્મા હતું. સન્દન પાછળથી પદ્મપાદ નામે જાણીતો થયો હતો.

તીર્થાટન દરમિયાન મહર્ષિ વેદ વ્યાસે બ્રાહ્મણનું રૂપ લઈ શંકરાચાર્ય સાથે શાસ્ત્રાર્થ કર્યો અને એમાં તેઓ સંતુષ્ટ થતાં મૂળ સ્વરૂપે દર્શન આપ્યાં હતાં. શંકરાચાર્યએ લખેલા વ્યાસનાં ગ્રંથ બ્રહ્મસૂત્ર પરનાં ભાષ્યની પરીક્ષા સ્વયં વ્યાસે કરી હતી. આ વખતે શંકરાચાર્ય 16 વર્ષના થયા હતા. મહર્ષિ વેદ વ્યાસે આશીર્વાદ દ્વારા શંકરાચાર્યના સોળમા વર્ષનો મૃત્યુયોગ દૂર કરી તેમના આયુષ્યમાં બીજા 16 વર્ષનો વધારો કર્યો હતો, સાથે સાથે મહર્ષિ વેદ વ્યાસે આ સોળ વર્ષ દરમિયાન શંકરાચાર્યને મહાન પંડિતોને શાસ્ત્રાર્થમાં પરાજિત કરી સનાતન વૈદિક ધર્મના પ્રવાહમાં માનતા કરી સનાતન ધર્મની પુનઃપ્રતિષ્ઠાનું મહાન કાર્ય કરવાનું જણાવ્યું હતું.

આથી કુમારિલ ભટ્ટનાં નિવેદનથી શંકરાચાર્યએ તેમનાં કર્મકાંડને માનનાર શિષ્ય મંડન મિશ્ર સાથે શાસ્ત્રાર્થ કર્યો હતો , જેનાં નિર્ણાયક મિશ્રનાં પત્ની ઉભય ભારતી બન્યાં. આ શાસ્ત્રાર્થમાં મિશ્રની હાર થઇ. જેથી તેમનાં પત્ની ભારતીએ પણ શંકરાચાર્ય સાથે શાસ્ત્રાર્થ કર્યો , તેમણે શંકરાચાર્યને પરાજય કરાવવા કામશાસ્ત્રનાં પ્રશ્નો પૂછ્યાં ત્યારે શંકરાચાર્ય તેમણી પાસે સમય માંગી એક મૃત રાજાનાં શરીરમાં પ્રવેશી કામશાસ્ત્રનું જ્ઞાન મેળવી ઉભય ભારતીને શાસ્રાર્થમાં હરાવ્યાં હતાં.

તીર્થાટન વખતે શ્રૄંગેરીમાં એક દિવસ આચાર્ય શંકરને તેમની માતાના સ્તનપાનના સંકેત દ્વારા તેમની માતાના અંતિમ કાળનો અણસાર મળતાં યોગબળ દ્વારા માતા સમક્ષ ઉપસ્થિત થઈ શ્રીકૃષ્ણાષ્ટકમ્‌ નામનું સ્તોત્ર રચી માતાને તેમની ઈચ્છા અનુસાર સ્વયં શ્રી વિષ્ણુ ભગવાનનો સાક્ષાત્કાર કરાવ્યો હતો અને પરમ પદની પ્રાપ્તિ કરાવી મોક્ષ અપાવ્યો અને લોકોના વિરોધ વચ્ચે પણ તેમના સ્થૂળ શરીરની અંતિમ ક્રિયા પણ કરી. એવું કહેવાય છે કે તેમણે માતાના જમણા અંગૂઠામાંથી અગ્નિ પેટાવી માતાના અગ્નિસંસ્કાર ઘરના આંગણામાં જ કર્યા હતા. તેમના પોતાના જમણા અંગૂઠામાં અગ્નિ પેટાવ્યાનું પણ કથન મળે છે.

શંકરાચાર્યે બત્રીસ વર્ષની ઉંમરે પોતાના શિષ્યોને વિશ્વ કલ્યાણ અને વેદાંત ધર્મને સ્થાયી રાખવા સંન્યાસી સંઘની સ્થાપના કરવા આદેશ આપ્યો હતો તેમજ ચાર દિશાઓમાં ચાર પઠ - પીઠની અને તેના આચાર્ય તરીકે પોતાના ચાર મુખ્ય શિષ્યોની પ્રથમ મઠાધીશ તરીકે નિમણૂક કરી. ચાર સંપ્રદાયઃકોટવાર, ભોગવાર, આનંદવાર અને ભૂરિવારની સ્થાપના કરી. આ મઠોના સંચાલન માટે આચારસંહિતારૂપ નિયમ બનાવ્યા હતા જે "મઠામ્નાય" સેતુ નામના ગ્રંથ તરીકે જાણીતા છે.

શંકરાચાર્યને અદ્વૈતનાં પ્રવર્તક મનાય છે. તેમનાં મતે આત્મા અને પરમાત્મા એક જ છે. આપણામાં રહેલી અજ્ઞાનતા તેમને અલગ પાડે છે. બ્રહ્માનાં ચારે ચાર મુખમાંથી એક એક એમ ચાર વેદની ઉત્પત્તિ થઈ હતી - પૂર્વ મુખથી ઋગ્વેદ, દક્ષિણથી યજુર્વેદ, પશ્ચિમથી સામવેદ અને ઉત્તરથી અથર્વવેદ. આ ચાર વેદો તેમજ તેમાંથી ઉત્પન્ન થતા અન્ય શાસ્ત્રોને સુરક્ષિત રાખવા શંકરાચાર્યએ ચાર મઠની સ્થાપના કરી છે.

'ઉત્તરામન્ય મઠ’, અથવા ઉત્તર મઠ જે ઉત્તરાખંડમાં છે અને જ્યોતિમઠ તરીકે ઓળખાય છે.

'પૂર્વામન્ય મઠ’, અથવા પૂર્વ મઠ જે પુરી, ઓરિસ્સામ છે અને ગોવર્ધન મઠ તરીકે ઓળખાય છે.

'દક્ષિણામન્ય મઠ’, અથવા દક્ષિણ મઠ જે શ્રુંગેરી, કર્ણાટકમાં સ્થિત છે અને શારદાપીઠમ્ તરીકે ઓળખાય છે.

'પશ્ચિમામન્ય મઠ’, અથવા પશ્ચિમ મઠ છે, જે દ્વારકા, ગુજરાતમાં સ્થિત છે અને દ્વારકાપીઠ તરીકે ઓળખાય છે.

ઉત્તરાખંડમાં આવેલ જ્યોતિમઠ તેમનુ અંતિમ મઠ કહેવાય છે. ત્યારબાદ તેમણે સમાધિ લઈ લીધી હતી. એવું કહેવાય છે કે તેઓ કેદારનાથમાં એકાકાર થઈ ગયા હતા. આમ છતાં પણ તેમની સમાધિ અંગે ઘણાં મતો પ્રવર્તે છે.

જોઈએ કેટલીક અન્ય બાબતો:-

12 વર્ષની ઉંમરે તેઓ ધર્મ પ્રચાર કરતા કરતા જ્યારે હરિદ્વાર પહોંચ્યા ત્યારે ગંગા ઘાટ પર પૂજા અર્ચના કરીને તેમણે ઋષિકેશસ્થિત ભરત મંદિરનાં ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુનું શાલિગ્રામ વિગ્રહ સ્થાપિત કર્યું હતું. મંદિરમાં રહેલું શ્રીયંત્ર શંકરાચાર્યનાં ત્યાંની મુલાકાતની સાક્ષી પૂરે છે.

ઋષિકેશમાં રહેલ ખીણ વિસ્તારોને લીધે તે સમયે ગંગા નદી પાર કરવી સહેલી ન્હોતી. આથી શંકરાચાર્યએ અલગ રસ્તો પસંદ કર્યો. ઋષિકેશથી 35કિમી દૂર વ્યાસઘાટથી નદી પાર કરી બ્રહ્માપુર પહોંચ્યા હતા. ત્યાંથી દેવપ્રયાગ પહોંચીને તેમણે સંગમ પર ગંગા સ્તુતિની રચના કરી અને પછી શ્રીનગર તરફ આગળ વધ્યા. પછી અલકનંદા નદીનાં જમણા કાંઠેથી થઈને રુદ્રપ્રયાગ, કર્ણપ્રયાગ થઈને નંદપ્રયાગ પહોંચ્યા.

નંદપ્રયાગથી તેઓ જોશીમઠ પહોંચ્યા. ત્યાં કલ્પવૃક્ષ નીચે ધ્યાનમાં લીન થઈ ગયા. આ કલ્પવૃક્ષ હજુ પણ ત્યાં છે.

જોશીમઠમાં જ્યોતિમઠની સ્થાપના કરી તેઓ બદ્રીનાથ પહોંચ્યા. ત્યાં તેમણે બદ્રીનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો અને ભગવાન વિષ્ણુની ચતુર્ભુજ મૂર્તિને નારદકુંડમાંથી બહાર કાઢી મંદિરનાં ગર્ભગૃહમાં સ્થાપિત કરી.

2013માં કેદારનાથમાં આવેલ પૂરમાં તેમનું સમાધિસ્થળ વહી ગયું હતું.

ભારતનાં પ્રથમ મહિલા એવરેસ્ટ વિજેતા અને પદ્મભૂષણ સન્માનિત બચેંદ્રિ પાલ કહે છે કે, '1200 વર્ષ પહેલાં એમણે ખુલ્લા પગે અને ખાવા પીવાની કેવા પ્રકારની વ્યવસ્થા સાથે પહાડો ચડ્યા હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. શંકરાચાર્ય તો પર્વતારોહકોનાં પ્રેરણાસ્રોત છે.'

ઈન્ટરનેટનાં વિવિધ વેબપેજની મદદથી આ લેખ તૈયાર કર્યો છે. કોઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમાયાચના.🙏

- સ્નેહલ જાની

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED