Happy Birthday Mihir books and stories free download online pdf in Gujarati

હેપી બર્થડે, મિહિર.

હેપી બર્થડે, મિહિર.

----

મિહિર ભુતા: આ માણસને સમજવો એ અઘરું કામ છે, પણ જે તેને સમજી શકે એને માટે તે અત્યંત સરળ માણસ છે

----

આશુ પટેલ

----

મિહિર ભુતાને લોકો નાટ્યલેખક. ટીવી સિરિયલ રાઈટર અને ફિલ્મ સેન્સર બોર્ડના મેમ્બર તરીકે ઓળખે છે, પણ મિહિર વિશે આજે જરા જુદી જ અને અજાણી વાતો કરવી છે. થોડી અમારી દોસ્તીની વાતો કરવી છે. મિહિર મુંબઈમાં મારા સૌથી જૂના મિત્રોમાંનો એક. અમે કદાચ 1989માં જશોદા રંગ મંદિરમાં મળ્યા હતા. મને યાદ છે ત્યાં સુધી ગીતા માણેકે મિહિર અને માધવી સાથે પરિચય કરાવ્યો હતો. એ પછી મિહિર અને હું મળતા રહ્યા. મિહિરે થોડા સમય માટે ‘અભિયાન’ મેગેઝિનમાં સહસંપાદક તરીકે પણ ફરજ બજાવી હતી.

‘અભિયાન’ સાપ્તાહિકે નાટ્યસ્પર્ધાનું આયોજન કર્યું હતું. એ વખતે મિહિર અને.મનોજ જોશીએ એ નાટ્યસ્પર્ધામાં ભાગ લેવાનું નક્કી કર્યું હતું. મિહિર લેખક અને મનોજ જોશી અભિનેતા એ રીતે તે બંને મિત્રોએ નાટક કરવાનું વિચાર્યું હતું (એ નાટ્યસ્પર્ધામાં એવો નિયમ હતો કે અભિયાનના કર્મચારી એ નાટ્ય સ્પર્ધામાં ભાગ ન લઈ શકે એટલે એ નાટ્ય સ્પર્ધામાં ભાગ લેવા માટે મનોજે ‘અભિયાન’ની નોકરી છોડી દીધી હતી).

મિહિર એ વખતે માધવીને પરણી ચૂક્યો હતો અને તેને પૈસાની જરૂર હતી‌. પણ એમ છતાં મિહિરે પોતાની માન્યતા કાજે તેણે સલામત નોકરીઓ છોડી દેવાનું પસંદ કર્યું હતું. 'ગુર્જરી' ટીવી ચેનલ શરૂ થઈ એ વખતે મિહિર એ ચેનલમો પ્રોગ્રામિંગ હેડ હતો. હમણાં એક પ્રોજેકટ માટે મેં તેને કોઈનું નામ સૂચવ્યું તો તેણે કહ્યું કે રહેવા દે, આપણને એની સાથે નહીં ફાવે! એટલે કામ મળતું હોય તો આંખ મિચીને લઈ લેવું એવું એને ફાવતું નથી.

મિહિરની જિંદગીમાં ઘણા જોખમો આવતા રહ્યા છે અથવા તો એમ કહી શકાય કે તેણે પોતાની માન્યતા પ્રમાણે જીવવા માટે જોખમોને આવકારી લીધા છે. મિહિર મૂળ તો વેલ ટુ ડુ એવા વેપારી કુટુંબનો દીકરો. અને મને ખ્યાલ છે ત્યાં સુધી તેની સાત પેઢીમાં તો કોઈ કલાકાર જીવ પાક્યો નથી. પણ મિહિર અલગ રીતે વિચારતો હતો અને તેણે વેપારી બનીને કમાવાને બદલે લેખક બનવાનું જોખમ ઉઠાવ્યું (મિહિરનો દીકરો અક્ષત પણ જુદા રસ્તે ચાલી રહ્યો છે. તે ફિલ્મ પ્રોડ્યુસર (વિદ્યા બાલનના પતિ) સિદ્ધાર્થ રોય કપૂર સાથે રાઈટિંગ અને ફિલ્મમેકિંગની તાલીમ લઈ રહ્યો છે).

‘અભિયાન’ની નાટ્યસ્પર્ધામાં ‘ચાણક્ય’ પ્રથમ નંબરે આવ્યું અને એ નાટકને 11,000 રૂપિયાનું પ્રથમ ઈનામ મળ્યું. એ પછી તો એ નાટકે ઈતિહાસ રચી દીધો. એ નાટકના કદાચ બે હજાર જેટલા શો થઈ ગયા હશે અત્યાર સુધીમાં તો. એ નાટકના પાંચસો શો પૂરા થયા ત્યારે તેની ઉજવણી માટે એક સમારંભનું આયોજન થયું હતું અને એમાં ખાસ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.એ ખાસ આમંત્રિતોમાંના એક શત્રુઘ્ન સિંહા હતા. અને તેમણે મિહિર વિશે શબ્દો ચોર્યા વિના મિહિરના મોંફાટ વખાણ કર્યા હતા. ત્યારે મિહિરના દોસ્ત તરીકે મેં ખૂબ આનંદ અનુભવ્યો હતો.

મિહિર વિશે ઘણા મિત્રોને ખબર નહીં હોય કે તે (મુંબઈમાં ફિલ્મસિટી છે એ પ્રકારના) સ્ટુડિયોનો મ માલિક પણ રહી ચૂક્યો છે. તેણે દોઢ દાયકા અગાઉ ‘સંક્રમણ’ સ્ટુડિયો શરૂ કર્યો હતો અને એ સ સ્ટુડિયો સફળતાપૂર્વક છ વર્ષ સુધી ચાલ્યો હતો. એ પછી કદાચ સરકાર સાથેની લિગલ ફાઈટ પછી તેણે એ સ્ટુડિયો બંધ કર્યો હતો. એ વખતે એ આખા મુંબઈમાં ખાનગી માલિકીનો સૌથી મોટો સ્ટુડિયો હતો. ત્યાં દિવસ-રાત ફિલ્મ્સ અને ટીવી સીરિયલ્સના શૂટિંગ ચાલતાં રહેતાં હતાં. કોઈ સેટ પર બાલાજી ટેલિફિલ્મ્સની સિરિયલનું શૂટિંગ ચાલુ હોય તો કોઈ સેટ પર બીજી કોઈ પ્રોડક્શન કંપનીનું શૂટિંગ ચાલુ હોય.

મિહિર ‘ચંદન કા પલના રેશમ કી ડોરી’ સિરિયલ પ્રોડ્યુસ પણ કરી ચૂક્યો છે. એ સિરિયલ તેણે‌ જ લખી હતી અને એ સિરિયલ ઝીટીવી પર પ્રાઈમ ટાઈમમાં આવતી હતી. ‘ગોલમાલ’ સિરિઝની અજય દેવગન, શરમન જોશી, અર્શદ વારસી, તુષાર કપૂર સ્ટારર પ્રથમ ફિલ્મ બની હતી એ સુપરહિટ ફિલ્મના ઓપનિંગમાં જ તમે ક્રેડિટ વાંચી હશે (જે મિત્રોએ એ ફિલ્મ ન જોઈ હોય એ હવે જોશે તો તમને ક્રેડિટ વાંચવા મળશે) કે 'Based on Mihir Bhuta's Play 'Aflatun' ('મિહિર ભુતાના 'અફલાતૂન' નાટક પરથી આ ફિલ્મ બની છે).

જી હા, અજય દેવગણ સ્ટારર ‘ગોલમાલ’ ફિલ્મ મિહિરના સુપરડુપર હિટ નાટક પરથી બની હતી. મિહિરે લખેલા એ નાટકના પાંચસોથી વધુ શો થયા હતા. મિહિરનું એક નાટક ‘મારો પિયુ ગયો રંગીન’ લંડનના જગવિખ્યાત ‘ગ્લોબ’ થિયેટરમાં ભજવાયું હતું. તેણે લખેલું અને મિહિરે ભજવેલું ‘ચાણક્ય’ નાટક પછી હિન્દીમાં પણ ખૂબ સફળ થયું. મિહિરે ગુજરાતીમાં ઘણા અનોખા કહેવાય એવા નાટકો લખ્યા. જેમાં ‘શપથ’, ‘કલાપી’, ‘જલ જલ મરે પતંગ’, ‘ધર્મોરક્ષતિ’, ‘બહોત નાચ્યો ગોપાલ’. ‘સરદાર’ જેવા નાટકોનો સમાવેશ થાય છે. મિહિરે એક ગુજરાતી ફિલ્મ (‘લાંબો રસ્તો’)નું પણ લેખન અને દિગ્દર્શન કર્યું હતું. ગયા વર્ષે જાણીતા ફિલ્મમેકર ઉમેશ શુક્લાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર ‘નરેન્દ્ર મોદી: અ કોમનમેન’ વેબસિરિઝ બનાવી હતી એ મિહિરે લખી હતી. મિહિરે ‘ભામાશા’, ‘કિરણ’, ‘ટી કોફી ઓર મી’ જેવા ઘણા હિન્દી નાટકો પણ લખ્યાં તો ‘મુક્તિબંધન’, ‘રંગ બદલતી ઓઢની’, ‘દેવો કા દેવ મહાદેવ’, ‘શોર’ પાણીનો ચોર હોય એવો છો ‘મહાભારત’ (નવી) ‘સૂર્યપુત્ર કર્ણ’ જેવી અનેક ટીવી સિરિયલ્સ લખી હતી. અત્યારે તે બાયલિંગવલ ફિલ્મ (ઈંગ્લિશ-ગુજરાતી) ‘સરદાર’ બનાવી રહ્યો છે. જેની હિન્દી અને ઈંગ્લિશ સ્ક્રિપ્ટ તેણે લખી છે.

મિહિરની પત્ની માધવી સાથે ઘણી વખત વાત થાય ત્યારે હું તેને કહું કે મિહિરને સમજવાનું અઘરું છે. તમારી જગ્યાએ બીજી કોઈ સ્ત્રી હોત તો કદાચ તેને ન સમજી શકી હોત. દુઃખ આવી પડે તો મિહિર વિચલિત નથી થઈ જતો અને સુખની ક્ષણો આવે, સફળતાની પળો આવે ત્યારે તે છકી નથી જતો. તેના અભિપ્રાય એટલા ધારદાર હોય છે કે સામેવાળી વ્યક્તિને વાગે. અમારે પણ ઘણા મુદ્દે ઉગ્ર ચર્ચાઓ થાય પરંતુ તે સ્વસ્થ રહીને વાત કરતો હોય. સ્થિતિને સમજવાની, સ્થિતિ પર કાબૂ મેળવવાની તેની શક્તિ અને તેની કુનેહ ગજબનાક છે. એક વખત એક સંસદસભ્ય અને એક મિનિસ્ટર પર મને ભયંકર ગુસ્સો આવી ગયો હતો. કોઈ રાજકારણી એને કામ હોય ત્યારે મારી કેબિનની બહાર વેઈટિંગમાં બેસી રહેતો હોય, મસકા મારતો હોય, તેના માટે અડધી રાતે હું દોડ્યો હોઉં અને તેની મુશ્કેલીમાં પડખે ઊભો રહ્યો હોઉં, પણ કોઈક વ્યક્તિના જીવનનો સવાલ હોય ત્યારે એ વખતે સંબંધિત વ્યક્તિને કોલ કરવાને બદલે તે નફ્ફટ રાજકારણીની જેમ સમજાવવા બેસે કે ‘આમાં તો એવું છે ને કે...’ ત્યારે મારું લોહી ઉકળી ઉઠે. એવું જ એ વખતે પણ બન્યું હતું. મેં તે સંસદસભ્ય અને મિનિસ્ટરની વિરુદ્ધ સોશિયલ મીડિયા પર લખવાનું નક્કી કર્યું હતું. મિહિરે કહ્યું હતું કે સમય સમયનું કામ કરશે ભાઈ. છોડી દે! મિહિર જેટલો સ્વસ્થ રહી શકે છીએ એટલો જ ડાઉન ટુ અર્થ રહી શકે છે. તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બજેટના દિવસે પણ મળી શકે (નરેન્દ્ર મોદી સાથે તેનો દાયકાઓ જૂનો અને હજી અકબંધ સંબંધ છે, તેના લગ્નમાં શિવસેનાપ્રમુખ બાળાસાહેબ ઠાકરે અને આર.એસ.એસ.ના એ સમયના દિગ્ઘજ નેતા બાળાસાહેબ દેવરસ સહિત અનેક પાવરફુલ વ્યક્તિઓએ હાજરી આપી હતી) અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા એ વખતે દેવેન્દ્ર ફડણવીસ તેના ઘરે આવતા હોય એમ છતાં એ વાતનો તેનામાં અહંકાર જોવા મળતો નથી.

મિહીરે જ્યારે લેખનક્ષેત્રે જવાનું નક્કી કર્યું ત્યારે તેના કુટુંબને આઘાત અને ચિંતાની લાગણી થઈ હતી. પણ પછી જોકે તેના પરિવારે તેને ખૂબ જ સપોર્ટ કર્યો. એક તબક્કે મિહિરે એવી સ્થિતિમાંથી પસાર થવું પડ્યું છે કે જ્યારે હસવું કે રડવું એ તે સમજી ન શકે! તેની દીકરી નિરિહા (જેને અમે બધા લાડથી ‘ચિની’ કહીએ છીએ)ના લગ્ન માટે એક છોકરા સાથે વાત ચાલતી હતી. તે છોકરાના કુટુંબ સાથે મીટીંગ ગોઠવાઈ. એ મીટિંગ દરમિયાન તે છોકરાના વડીલોએ પૂછ્યું હતું કે ‘તમે શું કરો છો?’ મિહીરે કહ્યું કે ‘હું લેખક છું.’ તો તરત છોકરાના વડીલે કહ્યું, ‘એ તો સમજ્યા, પણ આમ શું કરો છો?’ એટલે કે કમાણી માટે શું કરો છો? એવી સ્થિતિમાં મિહિર સ્વસ્થતા જાળવીને ચહેરા પર સ્મિત સાથે કહી શકે કે ‘લેખન જ મારી આજીવિકાનું સાધન છે.’

મિહિરે ગયા ફેબ્રુઆરી મહિનામાં તેની દીકરી નિરિહાનાં લગ્ન ધામધૂમથી કર્યાં હતાં (મિહિરને લેખક તરીકે ખૂબ સફળતા મળી, પણ આર્થિક રીતે તે ફકીરી સ્વભાવનો છે. તેની અને માધવીની એક જ ઈચ્છા હતી કે દીકરીનાં લગ્ન ધામધૂમથી કરવાં. બાકી તેને કોઈ મોટા શોખ નથી. ખર્ચાળ લાઈફસ્ટાઈલ રાખવાનો શોખ નથી) એમાં બૉલિવુડ-ટેલિવુડ અને ગુજરાતી-હિન્દી નાટ્યજગતના, પરેશ રાવલ, અબ્બાસ-મસ્તાન, આસિત મોદી સહિત અનેક સફળ અને નામાંકિત વ્યક્તિઓએ હાજરી આપી હતી. મિહિર લેખક તરીકે ખૂબ જ સફળ થયો છે. મિહિરની સફળતા પાછળ તેના જ્ઞાન અને તેની સાતત્ય સાથેની મહેનત, ક્રિએટિવિટી તો કારણભૂત છે જ , પણ તેની સફળતા માટે તેની જીવનસંગિની માધવીને પણ શ્રેય આપ્યા વિના ન ચાલે. માધવીભાભી કોઈપણ સંજોગોમાં મિહિરની બાજુમાં અડીખમ રહ્યાં છે. મિહિરના મોટા ભાગના મિત્રોને કદાચ ખબર નહીં હોય કે માધવી પણ ખૂબ જ સારું લખી શકે છે. મિહિરે જ માધવીને લખવા માટે પ્રેરણા આપી છે.

તે કોઈ પણ સ્થિતિમાં સ્વસ્થતા જાળવી શકે છે તેનો એક કિસ્સો અહીં શૅર કરું છું. હું ‘ગુજરાત સમાચાર’ની મુંબઈ આવૃત્તિમાં સિટી એડિટર તરીકે ફરજ બજાવતો હતો એ વખતે મિહિર મને મળવા ‘ગુજરાત સમાચાર’ની ઓફિસમાં આવ્યો હતો. બધાં પાનાં તૈયાર થઈ ગયાં એ પછી અમે ડિનર પર જવા નીકલ્યા. અમે બાંદરા વિસ્તારમાં પહોંચ્યા એ વખતે મિહિરને અચાનક અનઈઝી ફીલ થવા લાગ્યું. તેને શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થવા લાગ્યો. તેની હાલત જોઈને મારો શ્વાસ અદ્ધર થઈ ગયો. ત્યાંથી નજીકમાં નજીક લીલાવતી હોસ્પિટલ હતી. હું કાર ભગાવીને તેને ત્યાં લઈ ગયો. અને ઈમરજન્સી વોર્ડમાં તેને એડમિટ કર્યો. એ દરમિયાન સંજય ત્રિવેદી, અશોક પ્રજાપતિ, ધવલ કાંધિયા જેવા મિત્રોને કોલ કર્યા. એ મિત્રો ધસી આવ્યા ત્યાં સુધીમાં મિહિરની શારીરિક સ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી. મિહિર જ્યારે સ્વસ્થ થઈ ગયો ત્યારે મેં તેને કહ્યું કે હું તો ગભરાઈ ગયો હતો. તેણે હસતાં-હસતાં કહ્યું કે ‘ચિંતા ન કર. હું ઘણું જીવવાનો છું!’

મિહિરનો આજે જન્મદિવસ છે. અમારી વચ્ચે જન્મદિવસની શુભેચ્છાઓ આપવાનો વ્યવહાર નથી. કોઈ ફોર્માલિટી વિના ત્રણ દાયકાથી વધુ સમયથી અમારી દોસ્તી ટકી રહી છે. અમે ક્યારેક વર્ષે એક વાર પણ મળીએ અને ક્યારેક મહિનામાં પાંચ વાર કે અઠવાડિયામાં પાંચ વાર મળ્યા હોય એવું પણ બન્યું હશે.

મિહિરની વિષયની સૂઝ અને સેન્સ ઓફ હુમર પણ ધારદાર છે. મારી ‘મેડમ એક્સ’ ડોક્યુ-નોવેલ ‘સંદેશ’ની પૂર્તિમાં છપાયા પછી જ્યારે પુસ્તકરૂપે આવી ત્યારે એ વાંચીને તેણે મને કહ્યું કે મને આમાં સોલિડ ફિલ્મ દેખાય છે. એ પછી તેણે એક પ્રોડક્શન કંપની સાથે મારી મિટિંગ કરાવી. એગ્રીમેન્ટ થઈ ગયું. મિહિર જ એ ફિલ્મ લખવાનો હતો. એ પછી ડિરેક્ટર તરીકે તિગ્માંશુ ધુલિયાને ડિરેક્ટર તરીકે સાઈન કરવાનું નક્કી થયું. તિગ્માંશુ સાથે અમે મીટિંગ પણ કરી આવ્યા, પણ પછી એ પ્રોડક્શન કંપનીએ કોઇ કારણથી એ ફિલ્મ પડતી મૂકવાનું નક્કી કર્યું (એ પછી તિગ્માંશુએ કંગના રનૌતને હિરોઈન તરીકે લઈને એ ફિલ્મ જાતે પ્રોડ્યુસ કરવાનું નક્કી કર્યું. એ અરસામાં જ અનુરાગ કશ્યપ અને તિગ્માંશુ એક વાર ડિનર પર મળ્યા અને અનુરાગને એ સબ્જેક્ટમાં રસ પડી ગયો. તે બંનેએ એ ફિલ્મ સાથે મળીને પ્રોડ્યુસ કરવાનું નક્કી કર્યું હતું. અનુરાગ કશ્યપ અને તિગ્માંશુ પ્રોડ્યુસર, અનુરાગ ડિરેક્ટર અને હુમા કુરેશી હિરોઈન તરીકે એ રીતે એ ફિલ્મ એનાઉન્સ થઈ ગઈ. હવે તિગ્માંશુ ધુલિયાએ પોતે એ ફિલ્મ ડિરેક્ટ કરવાનું નક્કી કર્યું છે. આ એકદમ ફાસ્ટફોરવર્ડ કરીને લખ્યું, બાકી ‘મૅડમ એક્સ’ની આસપાસ ઘણું બધું બન્યું છે (એ સબ્જેક્ટ પર ડોક્યુ નોવેલ લખવાનો આઈડિયા વળી એક વાર મધરાતે રામગોપાલ વર્માની ઑફિસ ‘ફૅક્ટરી’માં આવ્યો હતો! ‘સરકાર’ ફિલ્મની રિલીઝના થોડા દિવસો અગાઉ હું હાઈ પ્રોફાઈલ (અને પાછળથી કોન્ટ્રોવર્સીમાં ઘેરાયેલા) પોલીસ ઑફિસર દયા નાયક અને રામગોપાલ વર્મા સાથે બેઠો હતો ત્યારે આવ્યો હતો અને ગુજરાતી બુકમાં મેં રામગોપાલ વર્માનો આભાર પણ માન્યો છે!) એટલે મિહિરે એક વાર મજાકમાં કહ્યું હતું કે ‘આ તારી લૅડી ડોન ‘મૅડમ એક્સ’ની લાઈફમાં જેટલા ટ્વિસ્ટ્સ છે એથી વધુ ટ્વિસ્ટ્સ એ પ્રોજેક્ટમાં આવી ગયા છે. આ ‘મૅડમ એક્સ’નો (સબ્જેક્ટનો) મોક્ષ કદાચ મારા હાથે જ લખાયો છે!”

મિહિર અને મેં સાથે મળીને બે નવલકથાઓ પણ પ્લાન કરી છે. એમાંથી એક સબ્જેક્ટ તો વીસેક વર્ષ જૂનો છે. મેં ‘સ્માર્ટમૅન’ નામની એક નવલકથા માટે વિચારેલો કન્સેપ્ટ મિહિર સાથે શેર કર્યો હતો. એ વખતે તેણે કહ્યું હતું કે આ કન્સેપ્ટ પરથી બહુ સરસ નવલકથા બની શકે. અને અમે બંનેએ સાથે મળીને એ નવલકથા લખવાનું નક્કી કર્યું હતું. અને કયા ચેપ્ટરમાં કેવી રીતે શું આવરી લેવું એ બધું પણ નક્કી કર્યું. ઘણી નોટ્સ બનાવી, પણ પછી તે તેની દિશામાં કામ કરતો રહ્યો અને હું મારી દિશામાં. આજ સુધી એ નવલકથા લખાઈ શકી નહીં. હમણા અમે એક પ્રોજેક્ટ માટે સાથે કામ કરી રહ્યા છે.

અમે ઘણું બધું સાથે કરવાનું વિચાર્યું હતું. મેં મિહિર સાથે એક બુક પ્લાન કરી હતી એ પણ હજી સુધી શક્ય બની નહીં (હવે એ બુક જુદી રીતે હું ને માધવી ભુતા સાથે મળીને કરવાના છીએ. અને મિહિરને એ વાતની જાણ આ લેખ વાંચીને થશે!).

અત્યારે મારે મિહિરને એક વાત કહેવી છે. મિહિરને ઈતિહાસનું ઊંડું જ્ઞાન છે. તેણે પુષ્કળ વાંચ્યું છે અને ઈતિહાસના તથ્યો વિશે તેની સાથે કલાકો સુધી-ઘણી વાર આખી રાત સુધી ચર્ચા કરી શકાય‌ (અમે અનેક વાર થર્ટી ફર્સ્ટની આખી રાત તેના કે મારા ઘરે વિતાવી છે. એમાં મનોજ જોશી અને સંજય ત્રિવેદીના પરિવાર પણ સાથે હોય. અમે ક્યારેક થોડા દિવસો વેકેશનની જેમ માણવા માટે મુંબઈ બહાર પણ ગયા છીએ. એ વખતે પણ ઇતિહાસ, માયથલોજી કે કોઈ પણ સબ્જેક્ટ વિશે કલાકો સુધી ચર્ચાઓ ચાલતી રહે). હું ઈચ્છું છું કે મિહિર ભારતના ઈતિહાસ વિશે સંશોધન કરીને આધાર સાથે, તથ્યો સાથે ભારતનો સંપૂર્ણ અને સાચો ઈતિહાસ લખે

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED