Jivanshikshan vishayak kedavani - 4 books and stories free download online pdf in Gujarati

જીવનશિક્ષણ વિષયક કેળવણી - 4 - સ્વયંની ધાર સતત કાઢતા રહો

સ્વયંની ધાર સતત કાઢતા રહો

ડૉ. અતુલ ઉનાગર

જીવન એક યાત્રા છે. આ યાત્રા દરમિયાન વ્યક્તિત્વએ એકથી એક ચડિયાતી અવસ્થા તરફ ગતિ કરવાની હોય છે. વ્યક્તિ જ્યારે એક પછી એક ઉન્નત અવસ્થાને પ્રાપ્ત કરે છે ત્યારે તે માનવ જીવનની મહાનતાને પામતો જાય છે. મનુષ્ય જન્મ સાર્થક કરવા માટે માનવ સતત પ્રયત્નશીલ હોય છે. નરમાંથી નરોત્તમ બનવાની એક ચોક્કસ મંઝિલ, દિશા અને ગતિ આપણે નક્કી કરવી જોઈએ. આરંભથી અંજામ સુધીના માર્ગનો આપણે નિયત કરેલો નકશો ક્રમશઃ વિકાસ તરફની ગતિ કરી રહ્યો છે કે નહીં તેનું સતત પરીક્ષણ થવું અનિવાર્ય છે.

નિર્ધારિત લક્ષ્ય તરફની જે યાત્રાના આપણે મુસાફર છીએ તેની ખાતરી કરતાં રહેવું ખૂબજ જરૂરી છે. કેમ કે આપણે સૌ રાત દિવસ સતત દોડ-ધામ વાળી જિંદગી જીવી રહ્યાં છીએ. એ ચકાસવું જરૂરી છે કે આપણે એવી યાત્રાના મુસાફર તો નથીને કે જેની મંઝિલ પણ નક્કી ના હોય અને દિશા પણ નક્કી ના હોય? માટે જ જાતનું વારંવાર પરીક્ષણ કરવું જરૂરી છે અને તો જ ખબર પડશે કે જીવન શું ઝંખી રહ્યું છે.

જીવનને સફળ બનાવવા માટે કે નિયત મંઝિલ સુધી પહોંચવા માટે તૈયાર કરેલા નકશાઓને સમયે સમયે તપાસતાં રહેવું પડે છે. અને જરૂર જણાય ત્યારે ત્યારે તેમાં પરિવર્તનો કરતાં રહેવું પડે. અનિવાર્ય પણે સાતત આવિષ્કારો અને પરિવર્તનો કરતાં રહેવું પડે છે. બદલાતા સમયની સાથે સાથે પોતાની જાતને પણ સમયને અનુરૂપ બદલતાં રહેવું જોઈએ. એ હંમેશા યાદ રાખવું કે પરિવર્તન સંસારનો નિયમ છે. પોતાની જાતને નિત્ય નૂતન બનાવતાં રહેવું એ જ આપણી પ્રાથમિકતા હોઈ શકે. સમસામયિક કે આધુનિક બનતાં રહેવું એ આપણી જરૂરિયાત હોવી જોઈએ. માટે સતત પોતાને નવીનતમ જીવનથી સુસજ્જિત કરતાં રહો.

એક ભરવાડ દરરોજ જંગલમાં ઘેટાં બકરાં ચરાવવા જતો. રસ્તામાં તેની મુલાકાત અવારનવાર એક કઠિયારા સાથે થતી. દૂરથી જ બન્નેનો ખબરઅંતર પૂછવાનો સંબંધ બની ગયેલો. આમ ઘણા દિવસો વિતવા લાગ્યા. અચાનકજ ધીરે-ધીરે કઠિયારાના ચહેરા પરનું તેજ ઝાંખું જણાવા લાગ્યું. કઠિયારાનું પોતાનું દુઃખ કોઈ રીતે છુપાવી શકાય તેમ નહોતું. એક દિવસ નજીક જઈને ભરવાડે તેની ઉદાસીનતા વિશે પૂછ્યું. કઠિયારાએ પોતાની પીડાને જાહેર કરતાં કહ્યું કે મહિનાઓ પહેલાં હું ફક્ત ચાર કલાક મહેનત કરતો અને આરામથી લગભગ સિત્તેરક કિલો લાકડાં કાપી શકતો. ધીરે ધીરે તેમાં ઘટાડો થતો ગયો, જેમ જેમ ઘટાડો થતો ગયો તેમ તેમ હું મારા કામના કલાકો વધારતો ગયો. આજે આઠ કલાકની મહેનત પછી પણ હું માંડ માંડ પચાસેક કિલો લાકડાં કાપી શકું છું. ભરવાડે થોડો વખત વિચાર કર્યા પછી તેની કુહાડી જોવા માંગી. ભરવાડે કુહાડીની ધાર પર હાથ ફેરવતાં કહ્યું, બુઠ્ઠી થઈ ગયેલી ધાર દ્વારા ધાર્યું પરિણામ મળતું નથી.

આપણે એકવીસમી સદીમાં જીવીએ છીએ. છેલ્લાં ચારસો વર્ષમાં જેટલું વિશ્વ નથી બદલાયું તેનાથી વધારે છેલ્લાં ચાલીસ વર્ષમાં બદલાઈ ગયું છે. રોજેરોજ નવાને નવા આવિષ્કારો થતા જ રહે છે. ટેક્નોલોજી અને વિજ્ઞાને માનવ જીવનને દિવસેને દિવસે નવું કરવા માટે મજબૂર કર્યું છે. આ યુગમાં જે સતત પોતાની જાતને વિકસાવતાં રહે છે, નવાં નવાં આવિષ્કારોથી શિક્ષિત થતાં રહે છે, પોતાના જીવનને પરિવર્તન કરતાં રહે છે તે જ ખરેખર સાક્ષર છે. નવી વ્યાખ્યા પ્રમાણે આજે એકવીસમી સદીમાં જે ટેક્નોલોજીની સાથે ચાલતો નથી તે નિરક્ષર અને પછાત છે.

દિનચર્યા, આદતો, સંગતિ, પ્રવૃત્તિઓ, વાંચનનું સાહિત્ય, સમયનો ક્ષણે ક્ષણનો ઉપયોગ, સર્જનો, વિચારો, આચરણો, ટીવીના જોવાતા કાર્યક્રમો, સોસિલય મિડિયાના વિષયો, યોગદાનનાં ક્ષેત્રો વગેરેને સાચી રીતે તપાસીને તેમાં સતત સુધારાઓ કરતાં રહીશું તો સફળતા જરૂર મળશે.


ડૉ. અતુલ ઉનાગર
ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED