Hostel Boyz - 14 books and stories free download online pdf in Gujarati

Hostel Boyz - 14

પ્રસંગ 19 : 26th જાન્યુઆરીનો ભૂકંપ

26th જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપને લીધે લાખો લોકોના જાન-માલને નુકશાન થયું હતું અને મોટી ખુવારી થઈ હતી. આ વાત યાદ કરવાનું કારણ એ હતું કે આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ કચ્છના ભૂજની નજીક હતું. ભુજમાં અમારા માતાજીનું મંદિર આવેલું છે અને 26th જાન્યુઆરીના રોજ મારો ભાઈ ત્યાં હતો.

અમારો પરિવારમાંથી વરસોવરસ કોઇ ને કોઇ ભુજ અમારા માતાજીના મંદિરે દર્શન કરવા જતા હોય છે. 25th જાન્યુઆરીના રોજ પરિવારમાંથી કામકાજને લીધે કોઈ નીકળી શકતું ન હતું ત્યારે મારા ભાઈએ એકલા જવાનો નિર્ણય કર્યો. 25th તારીખે તે રાત્રે 12:30 વાગ્યાની ટ્રાવેલ્સમાં રાજકોટ થી ભુજ જવા રવાના થયો.

26th જાન્યુઆરી એટલે આપણો ગણતંત્ર દિવસ. તે દિવસે હોસ્ટેલના બધા લોકોએ વહેલા ઉઠીને સાથે મળીને ધ્વજ વંદન કર્યું. અમો બધા વહેલા ઉઠ્યા હોવાથી બધા નાહવાનું બાકી હતું તેથી બધા લોકો સ્નાન કરવા માટે બાથરૂમમાં જઈ રહ્યા હતા. હું જ્યારે બાથરૂમમાં સ્નાન કરતો હતો ત્યારે અચાનક બાજુમાં કોઈ JCB મશીન વડે રોડ ખોદતું હોય તેવો અવાજ આવ્યો અને આખું બાથરૂમ ફરવા માંડ્યું. અવાજ અચાનક ખૂબ જ વધવા માંડ્યો. હું કાન બંધ કરીને થોડીવાર નીચે બેસી રહ્યો. લગભગ 2 મીનીટ પછી બધું હલનચલન બંધ થયું ત્યારે હું બાથરૂમની બહાર આવ્યો તો હોસ્ટેલમાં અફડાતફડી મચી રહી હતી. હોસ્ટેલના સિક્યુરિટી ગાર્ડે પહેલા તો બધા લોકો સલામત છે કે નહીં તે ચેક કર્યું. ત્યારે હોસ્ટેલમાં અમારા ગ્રુપમાંથી હું, ચીકો અને ભાવલો હતા. પછી તો અમે લોકો રાજકોટમાં કઈ કઈ જગ્યાએ નુકસાન થયું છે તે સર્વેક્ષણ કરવા નીકળ્યા. અમે લોકો ઘણી જગ્યાએ ફર્યા, જૂના પડેલા મકાનો જોયા, લોકોને એકબીજાને આશ્વાસન આપતા જોયા. અમે હોસ્ટેલમાં પાછા ફર્યા ત્યારે અમને ખબર પડી કે હોસ્ટેલમાંથી સુરક્ષાના કારણોસર બધાંને પોતપોતાના ઘરે જવાની રજા મળી ગઈ છે.

મારા પપ્પાના મોટાભાઈ એટલે કે મારા ભાઈજીનો પરિવાર રાજકોટમાં જ રહે છે તેથી હું તેમના ઘરે જતો રહ્યો. ભાઈજીના ઘરે અમે બધા લોકો ભૂકંપની વાતો કરતા હતા અને ટીવી ઉપર સમાચાર જોતા હતા ત્યારે રાત્રે 8:00 સમાચારમાં ભૂકંપની વિગતવાર માહિતીઓ આવવા માંડી ત્યારે અમને ખબર પડી કે ભૂકંપનું કેન્દ્ર બીંદુ કચ્છના ભુજની નજીક હતું. આ સમાચાર સાંભળીને અમારા બધાના પગ નીચેથી જમીન સરકી ગઈ કારણકે તે દિવસે મારો ભાઈ ભુજમાં જ હતો. અમારી ચિંતા ધીમે ધીમે વધવા માંડી અને અમે બધી જગ્યાએ ફોન try કરવા માંડ્યા પરંતુ ભૂકંપમાં મોટા ભાગના ટાવરો ધ્વસ્ત થઇ ગયા હોવાથી ક્યાંય પણ ફોન લાગતા નહોતા જેમ જેમ રાત વધતી જતી હતી તેમ તેમ અમારી ચિંતાઓ અને મૂંઝવણો પણ વધતી જતી હતી.

અચાનક રાત્રે 10:30 વાગ્યે મારો ભાઇ મારા ભાઇજીના ઘરે પહોંચ્યો. તેની હાલત બહુ ખરાબ હતી, તેને માથે પાટો બાંધેલો હતો, એક હાથમાં ફેક્ચર હતું અને એક પગ પણ કામ કરતો ન હતો છતા તે ભુજથી રાજકોટ પહોંચી ગયો હતો કારણ કે તેને સૌથી વધુ એ ચિંતા હતી અમને લોકોને ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભુજ જાણીને વધારે ચિંતા થતી હશે તેથી ક્યાંય પણ રોકાયા વગર તેણે ભુજ થી રાજકોટની વાત પકડી હતી પરંતુ તેમની આ યાત્રા પણ ખૂબ જ રસપ્રદ હતી.

તેણે ભૂકંપનો સામનો કેવી રીતે કર્યો તે અમને બધી વિગતવાર વાતો કરી. 25th તારીખે રાત્રે 12:30 વાગ્યે અમે જ તેને ભુજની ટ્રાવેલ્સમાં મૂકવા ગયા હતા. તે સવારે 5:30 વાગ્યે ભુજ પહોંચ્યો પછી અમારા પ્રમુખના ઘરે થોડો સમય આરામ કરીને સવારે 8 વાગ્યે નાહીધોઈને તે મંદિરે જવા માટે નીકળ્યો. રસ્તામાં તેને બીજા 8 જણા મળ્યા જે મંદિરે જવા નીકળ્યા હતા. તે સમયમાં ભૂજની ગલીઓ બહુ સાંકડી હતી તેમાંથી માંડ માંડ એક રીક્ષા પસાર થઈ શકે, બીજું કે ગલીઓની દિવાલો બહુ ઊંચી હતી એટલે કે કોઈ ભૂતિયા ગલીઓમાંથી પસાર થતા હોય તેવું લાગે. બરાબર 8:45 વાગ્યે ભૂકંપ શરૂ થયો અને ગલીની ચારે બાજુએથી મકાનો રમકડાની જેમ પડવા માંડ્યા. તે મકાનોના કાટમાળમાં તેઓ 9 જણા દટાઇ ગયા. લગભગ દસ-પંદર મિનિટ સુધી આવી રીતે દટાયા પછી મારા ભાઈને થોડો હોશ આવ્યો તો તે કાટમાળમાંથી ધીરે ધીરે બહાર નીકળ્યો. તેના માથામાંથી લોહી નીકળતું હતું તે તેને રૂમાલથી બંધ કર્યું, એક હાથમાં ફ્રેકચર થયું હતું અને એક પગ હલન-ચલન કરતો ન હતો છતાં તે જેમ તેમ કરીને ગલીના કાટમાળ ઉપર ધીરે ધીરે ચાલવા માંડ્યો. ગલીની બહાર નીકળતાંની સાથે જ તેણે જોયું કે ચારો તરફ હાહાકાર અને અફરાતફરી મચી ગઇ હતી. શેરીઓમાં મકાનો પડેલા છે અને માણસો નાસભાગ કરે છે. એક ગલીમાં ગેસનો બાટલો લીક થયેલો હતો અને ગેસની ગંધ ચારેતરફ પ્રસરી ગઇ હતી. ત્યાંથી ધીમે-ધીમે તે આગળ વધ્યો તો એક ગલીમાં ગાય ગાંડી થઈ ગઈ હતી જેથી તે આમ-તેમ દોડાદોડી કરતી હતી અને લોકોને ફંગોળતી હતી. થોડી વાર રાહ જોયા બાદ તે લોકોને રસ્તો પૂછતો પૂછતો ભુજના બસ સ્ટેન્ડે પહોંચ્યો.

ભુજથી બસમાં બેસીને તે જ હાલતમાં અંજાર સુધી પહોંચ્યો. અંજારની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લઈને પાછો બસ સ્ટેન્ડે પહોંચ્યો અને ત્યાંથી ફરીથી બસ પકડીને ભચાઉ પહોંચ્યો. ભચાઉથી બસ આગળ જતી નહોતી કારણ કે ભચાઉ અને મોરબી વચ્ચેનો સામખીયાળીનો પુલ તૂટી ગયેલ હતો છતાં પણ હિંમત હાર્યા વગર મારો ભાઈ ભચાઉથી એક ટ્રકમાં બેસીને સામખીયાળીના પુલ સુધી પહોંચ્યો. આવી હાલતમાં પણ તેને આખો પુલ ચાલીને પસાર કર્યો. ત્યાંથી તે ખુલ્લા મેટાડોરમાં મોરબી પહોંચ્યો. મોરબીથી ટ્રાવેલ્સમાં બેસીને તે રાજકોટ પહોંચ્યો. રાજકોટ ઉતરીને રીક્ષા કરીને તે મારા ભાઈજીના ઘરે પહોંચ્યો. સતત 14 કલાક થોભયા અને થાક્યા વિના સફર કરીને તે ભુજ થી રાજકોટ પહોંચ્યો હતો. આ 26th જાન્યુઆરીના ભૂકંપની દૂ:ખદ યાદી હતી.

પ્રસંગ 20 : રાજકોટના દેવસ્થાનો

પંચનાથ મહાદેવ મંદિર

અમારી હોસ્ટેલ પાસે પંચનાથ મહાદેવનું મંદિર આવેલું હતું. અમે ક્યારેક સવારની આરતી તો ક્યારેક સાંજની આરતીના દર્શન કરવા માટે જતા હતા. પંચનાથ મહાદેવ મંદિર બહુ જ ભવ્ય અને દિવ્ય છે. ત્યાં ઓટલા પર બેસવાના સ્થળ પર અમે ક્યારેક અડધો કલાક તો ક્યારેક એક કલાક સુધી બેસી રહેતા. મંદિરમાં ઘણી વખત ભવ્ય ઉત્સવો ઊજવાતા જેમાં હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને કામ કરતા લોકો હાજરી આપતા હતા. મંદિર વર્ષો જૂનું પરંતુ આધૂનિક રીતે સજ્જ છે. હોસ્ટેલના લોકો સૌ પ્રથમ પંચનાથ મંદિરે સવારે દર્શન કરીને પછી જ પોતપોતાના કામે જવા નીકળતા. વિદ્યાર્થીઓ પણ રોજ દર્શન કરીને પછી સ્કૂલે જતા. હોસ્ટેલના પાછળના ભાગમાં વર્ષો જૂનું એક હનુમાનજીનું મંદિર આવેલું હતું. અમે લોકો દર શનિવારે આરતીમાં ભાગ લેવા જતાં અને તેના દર્શન કરતા હતા.

બાલાજી હનુમાનજી મંદિર

સાંગણવા ચોક નજીક અને રાજશ્રી થિયેટર પાસે બાલાજી હનુમાનજીનું પ્રખ્યાત મંદિર આવેલું છે ક્યારેક અમે લોકો તેની પણ મુલાકાત લેતા અને દર્શનનો લાભ લેતા. શનિવારના દિવસે મંદિરમાં એક બે કલાકે દર્શનનો વારો આવતો. ત્યાં ગરીબો માટે બટુક ભોજનની પણ વ્યવસ્થા હતી. મંદિરમાં દાન દેવા માટે દાતાઓ ઉમટી પડતા.

સ્વામિનારાયણનું મંદિર

ભુપેન્દ્ર રોડ ઉપર કોઠારીયા નાકા નજીક સ્વામિનારાયણનું ભવ્ય મંદિર આવેલું છે. અમારા હોસ્ટેલના કન્વીનર જયંતીબાપા સ્વામિનારાયણ પંથના હોવાને લીધે મંદિરના ઉત્સવોમાં તેઓ અમને લોકોને ત્યાં સાથે લઈ જતા. અમે પણ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉત્સવમાં ભાગ લેતા, દર્શનનો લ્હાવો લેતા અને પ્રસાદી પણ લેતા. ઉત્સવોમાં મંદિરનું સુશોભન જોવાલાયક હોય છે.

રાજકોટમાં અન્ય દેવસ્થાનો પણ જોવાલાયક છે જેમાં જાગનાથ મહાદેવ મંદિર, ઇશ્વરીયા મહાદેવ મંદિર, કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ પર પ્રેમ મંદિર, દરબારગઢ ચોક પાસે વૈષ્ણવોની હવેલી, કૂવાડવા રોડ પર સાત હનુમાનજીનું મંદિર અને જુદા જુદા રોડ પર આવેલી હનુમાનજીની દેરીઓ વગેરે છે.

રાજકોટમાં મહાત્મા ગાંધીજી જ્યાં ભણ્યા હતા તે આલ્ફ્રેડ હાઇસ્કુલ અને જ્યાં રહેતા હતા તે ઘર “કબા ગાંધીનો ડેલો” વગેરે પણ જોવાલાયક છે.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED