Bade Papa - 19 books and stories free download online pdf in Gujarati

બડે પાપા - નવલકથા - પ્રકરણ - ૧૯

દુનિયામાં અહમ ભંગ થતાં ભલભલા દેવતા શૈતાન બની જાય છે ! જગતનું આ એક મહાન સત્ય હતું જે સત્યમે પારખી લીધું હતું . સિનેમા , વાર્તા નવલકથા કે સિરિયલ પણ આ જ વાતને સાર્થક કરતા હતા !

ફ્લોરાએ વારંવાર કૈલાસ ભાઈના અહમ પર જાણ્યે અજાણ્યે પ્રહાર કર્યો હતો . જેનો તેઓ બદલો લીધા વગર નહીં રહે . આ વાતની સત્યમને ધાસ્તી લાગી રહી હતી . કૈલાસ ભાઈ જરૂૂર આ વાતનો બદલો લેશે . સત્યમનેે ગળા સુુધી ખાતરી હતી . પરાજિત ખેલાડી બમણો જુગાર રમે તેવી હાલત હતી .

થોડા જ દિવસમાં ફ્લોરાની હકાલપટ્ટી કરવામાં આવી હતી .

જેનો ડર લાગતો હતો તે જ વાત બની હતી . પાછલા કેટલાં દિવસથી ફ્લોરા અને કૈલાસ ભાઈ વચ્ચે શીત યુદ્ધ જારી હતું .

ફ્લોરાએ મહાન તાકાત સામે અવાજ ઉઠાવ્યો હતો જેની તેને ભારે કિંમત ચૂકવવી પડી હતી . તેણે અતિ ઉત્સાહિત બની રધુનાથ સમક્ષ વાત કરી હતી .

' હું બીજો જોબ ગોતી રહી છું ! '

આ વાતનો તેણે મેનેજમેન્ટ સમક્ષ ઢંઢેરો પીટયો હતો .

સત્યમ ખુદ ફ્લોરા માટે કોશિશ કરી રહ્યો હતો . તેના જુના કલીગ મિસ્ટર કુટ્ટીએ તેની ઓફિસમાં જોબ હોવાની વાત કરી હતી . અને સત્યમે ફ્લોરા માટે ભલામણ કરી હતી . તેણે આ પહેલાં મિસ્ટર કુટ્ટીને બે વાર સારા જોબ માટે મદદ કરી હતી .
સત્યમેં તેના શબ્દો પર વિશ્વાસ રાખી જોબ મળી જવાની આશ બંધાવી હતી ! પણ તેનો વિશ્વાસ બોદો સાબિત થયો હતો . જોબ ના મળતા તે થોડી હતાશ થઈ ગઈ હતી . મિસ્ટર કુટ્ટીએ આ જોબ માટે કોઈ જ કોશિશ કરી નહોતી . આ વાતે તેને ઓછું આવી ગયું હતું . તે જ ઘડીએ તેણે કાન પકડ્યા હતા . ' હું એકના પર ભરોસો રાખી બીજા ને વાયદો નહીં આપું ! '

ફિલ્મ જોયા બાદ તે દિવસે સાંજના સત્યમ ફ્લોરા ના ઘરે ગયો હતો ત્યારે તેણે ખુલાસો કર્યો હતો !

' રઘુનાથ મારે માટે જોબની ઓફર લાવ્યો હતો . તે બદલ હું કિચનમાં તેની સાથે ચર્ચા કરી રહી હતી ! '

આ સાંભળીને સત્યમને અચરજની લાગણી નિપજી હતી . તેને દાળમાં કાંઈ કાળું હોવાની ગંધ આવી હતી . તે એકાએક કેમ ફ્લોરા પર મહેરબાન થઈ ગયો હતો . આ વાત તેના ભેજામાં ઘૂસતી નહોતી .

ના જાણે કેમ પણ ફ્લોરા તેની વાતથી ઘણી જ અંજાઈ ગઈ હતી . રઘુનાથ તેને જોબ બદલવામાં મદદ કરશે . આ તેનો ભ્રમ હતો અને સત્યમ તેને તોડવામાં અસફળ પુરવાર થયો હતો !

રઘુનાથ રામન્ના તેમ જ શાંતિલાલથી બે કદમ આગળ હતો ! તે કૈલાસ ભાઈનો ખાંધીયો હતો . તે મેનેજમેન્ટનો ચમચો હતો . ઑફિસમાં બધા જ તેને ઓળખતા હતા . કૈલાસ ભાઈના તેના પર ચાર હાથ હતા . આ વાતે રઘુનાથમાં ઘમંડ આવી ગયું હતું . તે પોતાની જાતને બિગ શોટ માનતો હતો .

ફ્લોરા માટે તે જોબ યોગ્ય હતો . પણ તેની પ્રેગ્નનસી આડે આવી ગઈ હતી . તેને નવો જોબ તો ના મળ્યો પણ પ્રેગ્નનસીનો ફાયદો ઉઠાવી કૈલાસ ભાઈએ તેને જોબથી ફારેગ કરી દીધી હતી . કામ કર્યા વિના પાંચ છ મહિના મફતમાં પગાર આપવો પડશે . આ વાત ગણતરીના બાદશાહ બરદાસ્ત કરી શકે તેમ નહોતા. એટલે ધંધો ઠંડો છે તેવું બહાનું કાઢી તેમણે ફ્લોરા પર ક્રૂર બદલો વાળ્યો હતો ! પોતાના ઘવાયેલા અહમને સંતોષયું હતું .

રઘુનાથ ભીતર જઇ ફ્લોરાનો બધો જ હવાલો આપતો હતો . અને બહાર ફ્લોરાનો દોસ્ત અને હિતેચ્છુ હોવાનો ડોળ કરતો હતો ! તેનું આવું વલણ સત્યમની સમજ બહાર હતું !

ફ્લોરા આઉટ સ્પોકન ( જડબાતોડ) હતી . આ જ તેના પાણીચાની વજહ બની ગઈ હતી . છતાં ઓફિસમાં તેમના સંબંધોને લઈને ગંદકી ઓકવામાં આવી રહી હતી . તેમના સંબંઘોને કલુષિત કરવામાં રઘુનાથે અહમ ભૂમિકા નિભાવી હતી . ખુદ રવિ ચંદ્રને પણ ટકોર કરી હતી :

' તમારા સંબંધોને કારણે ફ્લોરાએ જોબ ગુમાવ્યો છે ! '

તેના દિમાગમાં શાન્તિ લાલે જ હળાહળ વિષ ભરી દીધું . આથી સત્યમે તેના પર ધ્યાન આપ્યું નહોતું ! તે સચ્ચાઈ પેશ કરવા માંગતો હતો . પણ ફ્લોરાની લાગણી ના દુભાય તે ખાતર મૂંગો રહ્યો હતો ! છતાં તે શેઠ બ્રધર્સની સાન ઠેકાણે લાવવા માંગતો હતો !

તે એક લેખક હતો . તેની જીભમાં તેમજ કલમમાં ભલભલી તાકાતને હચમચાવવાની ક્ષમતા હતી ! મેનેજમેન્ટ આ વાત જાણતી હતી . આ જ કારણે કોઈ સત્યમ સાથે સીધા મોઢે વાત કરતું નહોતું .

શાંતિલાલે જ તેની પાડોશમાં રહેતા રવિ ચંદ્રનના સંબંધી આગળ વાત વહેતી મૂકી હતી .

' ફ્લોરાને પ્રેગ્નન્સીને કારણે નહીં પરંતુ સત્યમ સાથે ના સંબંધને કારણે જોબમાંથી છૂટી કરવામાં આવી છે . '

શાંતિલાલની વાતમાં કોઈ તથ્ય ન્હોતું . ફલોરાએ આખા બોલા સ્વભાવને કારણે જોબ ગુમાવ્યો હતો . જેનો ખુદ ફ્લોરાને એહસાસ નહોતો .

માનવીની સૌથી મોટી નબળાઈ રહી છે . તેને પોતાના દોષ નજર આવતા નથી અને તેમાં ફ્લોરા અપવાદ નહોતી !

સત્યમે એક વાર્તાના માધ્યમ થકી ' શેઠ બ્રધર્સ 'ની નીંદ હરામ કરી દીધી હતી . એટલું જ નહીં પણ તેમની એસોશ્યટેડ કંપનીના પાયા પણ હલાવી નાખ્યા હતા !

સત્યમ અને ફ્લોરા અત્યંત સંવેદનશીલ તેમ જ પરોપકારી જીવ હતા . તેઓ સપનામાં પણ કોઈનું બુરું ચાહતા નહોતા ! તેઓ બીજાની સતત ચિંતા કરતાં હતા . પણ કોઈને તેમની ચિંતા નહોતી .

તેની વાર્તાના અમુક અંશો ફ્લોરાના હૃદયને સ્પર્શી ગયા હતા .

તેની હકાલ પટ્ટી બદલ રશ્મિ , સોનિયા તેમ જ રઘુનાથને અત્યંત ખુશી નિપજી હતી .

સાચા સંબંધ તેમ જ પ્રેમની કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી .

આખરી દિવસે છુટા પડતી વખતે ફ્લોરાએ ભાવુક બની અપીલ કરી હતી .

' ઓફિસમાં આપણો સાથ ભલે અહીં સુધીનો હતો . પણ તમે ચાહો ત્યારે અમારે ત્યાં આવી શકો છો . તમારે માટે અમારા ઘરના બારણાં સદૈવ ખુલ્લા જ રહેશે ! '

તેમના સંબંધનું આ જ તો અમૂલ્ય વ્યાજ તેમ જ ડિવિડન્ડ હતું !!

સત્યમે હૃદય પૂર્વક ફ્લોરાનો આભાર માન્યો હતો .

જિંદગીની આ એક નક્કર સચ્ચાઈ હતી . આ જિંદગીમાં અજાણ્યા લોકો એકાએક મળી જાય છે , ઓળખાણ થાય છે , સંવાદ સેતુ બંધાય છે અને લાગણીના તાંતણા પણ ગૂંથાય છે . પોતીકાપણાની અનુભૂતિ થાય છે અને પછી પોતપોતાનું સ્ટેશન આવતા ' બાય ' કહીને છુટા પડી જાય છે . અહીં જ એક બીજાની લેણદેણ પુરી થઈ જાય છે . કાંઈ બાકી રહી ગયું હોય તેવી સ્થિતિમાં ભગવાન તેમનો પુનઃ ભેટો કરાવે છે !

લાગણીના પોધાને તાજો માંજો રાખવા માટે નિકટતાના નીરની આવશ્યકતા હોય છે . નહીં તો પ્રેમ લાગણીનો છોડ કરમાઈ જાય છે .

કશે તેણે આ વાત વાંચી હતી . તે સો ટકા તો આ વાત સ્વીકારતો નહોતો . પણ લાગણીના છોડને તાજો માંજો રાખવા ફૂલ પાનની જેમ સિંચાઇની જરૂર હોય છે . આ વાત તે નિઃશંક સ્વીકારતો હતો .

ફ્લોરાના અંકલ લેબર કોર્ટમાં કામ કરતા હતા. સત્યમે તેની સાથે થયેલા અન્યાય બદલ કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી . ફ્લોરાએ તેને ખાતરી પણ આપી હતી .

તે પણ સત્યમ જેવી જ હતી . સદાય સારા નરસા પાસાઓનું વિવરણ કરતી રહેતી હતી . પોતાના આખા બોલા સ્વભાવે જ આ નોબત આણી હતી !
આ વાત તેણે ખેલદિલીપૂર્વક સ્વીકારી લીધી હતી .
છેલ્લે દિવસે ફ્લોરા તેની બહેનને મળવા જવાની હતી . સત્યમ તેની સાથે વી ટી સ્ટેશન ગયો હતો . ત્યારે રઘુનાથ તેમની સાથે થઈ ગયો હતો . તેણે અજાણ હોવાનો ડોળ કરી ફ્લોરાને સવાલ કર્યો હતો .

' તેં જોબ છોડી દીધો ? '

ફ્લોરાએ તેના સવાલનો કોઈ જવાબ ના આપ્યો . તેથી તેણે સત્યમને સવાલ કર્યો .

' આજે આ તરફ કેમ ? '

સત્યમે તેનો પીછો છોડાવતા જવાબ વાળ્યો હતો .

' હું ફિલ્મની ટિકિટ બુક કરાવવા આવ્યો છું ! '

' તમે શા માટે ધક્કો ખાધો ? મને કીધું હોત તો હું ટિકિટ બુક કરાવી કાલે સવારે તમારા હાથોમાં આપી દેત . '

' ઇટ્સ ઓકે . થેંક્સ ! ' કહી તે કેપિટલ સિનેમાની ગલીમાં ઘુસી ગયો . ફ્લોરા પણ તેને નજર અંદાજ કરી ટિકિટ લેવા લાઈનમાં ઊભી રહી ગઈ .

અને રઘુનાથ ચૂપચાપ પ્લેટફોર્મ ભણી આગળ વધી ગયો .

0000000000

સત્યમ ચર્ચ ગેટ સ્ટેશન પહોંચી અંધેરીની ગાડીમાં ચઢી ગયો . ફલોરાની હકાલ પટ્ટીની વાત તેના દિલો દિમાગ પર હાવી થઈ ગઈ હતી .

આ તબક્કે તેને પ્રેમસન કૉમેરશ્યલ એજન્સીના ભાગીદાર રાજીવ કુમાર યાદ આવી ગયા .

તેઓ અંગુઠા છાપ હતા . માંડ ચાર ચોપડી જ ભણ્યા હતા . ધંધો કરવામાં તેઓ માહેર હતા . એટલું જ નહીં પણ બેઇમાનીની રાહમાં પણ તેઓ પારંગત હતા . કોઈને શિશામાં ઉતારવામાં પણ તેઓ ઉસ્તાદ હતા . તેઓ પહેલાં મિડલ ઈસ્ટમાં ધંધો કરતા હતા . ત્યાં તેમણે ગેરનીતિ આદરી એક વેપારીને ડુબાડી દીધો હતો . અને તેમને તડીપાર કરવામા આવ્યાં હતાં . તેમનો એક ભાઈ દુબઇમાં રહેતો હતો . તેમની મદદથી મુંબઇ આવીને તેના પિતાના ધંધામાં જોડાઈ પોતાનો ધંધો જમાવ્યો હતો !

તેમનો ધંધો જામી રહ્યો હતો !

તેમનો નાનો ભાઈ સુજિત કુમાર વિદેશમાં અભ્યાસ કરી સ્વદેશ પાછો ફર્યો હતો ! તે બુદ્ધિશાળી જીવ હતો . ઉડતા પક્ષીને ધરાશાયી કરવામાં પાવરધો હતો . મોટા ભાઇના રેડી મેડ ધંધામાં જોડાઈ ગયો હતો . ધંધા કરતા તેને ઐયાસી કરવામા વિશેષ દિલચસ્પી હતી .

લગ્ન કર્યા બાદ પણ તે ભમરાની માફક એક ફૂલ પરથી બીજા ફૂલ પર ઉડ્યા કરતો હતો . તે દરેક છોકરીને પોતાની વાસનાપૂર્તિનું સાધન ગણીને ચાલતો હતો ! તે ઓફિસમાં છોકરીઓને કામ પર રાખવાનો આદિ બની ગયો હતો . વિવશ , લાચાર છોકરીઓ આસાનીથી તેની જાળમાં ફસાઈ જતી હતી . તે હંમેશા નવી , બિન અનુભવી તેમ જ લાચાર છોકરીઓને કામ પર રાખતો હતો . અર્ધ શિક્ષિત , વિવશ નવી છોકરીઓ પ્રત્યે દિલચસ્પી દાખવી , હમદર્દી દર્શાવી તેમનો વિશ્વાસ જીતી લેતો હતો . તેમને મદદ પણ કરતો હતો અને પછી તેમનું યૌન શોષણ કરતો હતો . તેની વાત ન માનનાર છોકરીને બહાનું કાઢી મુકતો હતો .

પોતાના ઇરાદાની પૂર્તિ માટે તે છોકરીઓને વહેલી ઓફિસે બોલાવતો હતો . તેમને કારમાં ફેરવતો હતો . હોટલમાં લઇ જતો હતો . સિનેમા જોવા પણ લઇ જતો હતો .

થોડા દિવસ બાદ એક નવી છોકરીની ભરતી કરવામાં આવી હતી . તેનું નામ ડોના હતું . તેણે જ સુજિત કુમારની અસલિયત સત્યમ સામે આણી હતી . ડોના અને સત્યમ વચ્ચે સંવાદ સેતુ બંધાઈ ગયો હતો . તે બધી જ વાતો સત્યમ જોડે શેર કરતી હતી . આ જ વાત બન્ને ભાઈઓને સતત ખૂંચતી હતી .

સુજિત કુમાર ગુનાની લાગણીથી પીડાતો હતો ! ડોના તેને દાદ આપતી નહોતી . આ હાલતમાં સુજિત કુમારના કહેવાથી રાજીવ કુમારે સત્યમ પાસે તેનો અભિપ્રાય લેવાના અંદાજમાં સવાલ કર્યો હતો .

' ડોના ! કેવું કામ કરે છે ? '

સત્યમે જવાબ ટાળતા કહ્યું હતું :

હું ભલા તેના જેવો એક નોકરિયાત વર્ગનો માણસ છું . તે કેવું કામ કરે છે ? તે તમે વધારે સારી રીતે જાણતા હશો . અહીં મારો અભિપ્રાય કોઈ જ મહત્વ ધરાવતો નથી . હા બાકી ડોના અને જોકીના આ બન્નેમાં કોણ વધારે સારૂં કામ કરે છે ? તેવું પૂછો તો કહી શકું કે ડોના ઘણી જ બહેતર છે !

સત્યમનો જવાબ સાંભળી બન્ને ભાઈઓની આંખોના ભવા ચઢી ગયા હતા ! તેઓ સત્યમના મોઢે સાંભળવા માંગતા હતા . ' ડોના બરાબર કામ કરતી નથી ! ' તેના આધારે ડોનાને જોબ પરથી હટાવી દેવાની ગંદી સાજીશ હતી . પણ તેમને નાકામી હાથ લાગી હતી . આ હાલતમાં તેમણે ડોનાને જોબ પરથી દૂર કરી પોતાની મનમાની કરી દોષનો ટોપલો સત્યમના માથે મઢી દીધો હતો .

ડોના જાણતી હતી . સત્યમ કદી આવું ન કરે . આ સુજિત કુમારની જ કામગીરી હતી . તેણે સુજિત કુમારની ગંદી માંગને ઠોકર મારી હતી . તેથી જ તેણે સત્યમને ઢાલ બનાવી , તેને ખલ નાયક પુરવાર કરવાની ગંદી ચાલ ખેલી હતી .

ડોના એક વાર અનાયાસ રસ્તામાં મળી ગયા હતા . ત્યારે સત્યમે ખુલાસો કર્યો હતો . સાંભળી ડોનાએ તેના પ્રત્યેના વિશ્વાસને વ્યક્ત કરતાં તેનો આભાર માન્યો હતો .

શરૂઆતથી સુજિત કુમાર અને સત્યમ વચ્ચે ૩૬નો આંકડો હતો . બંને વચ્ચે વાતવાતમાં મતભેદ અને વિવાદનું વાતાવરણ ખડું થઈ જતું હતું .

શૈશવ કાળમાં તેમની પત્ની સત્યમની પડોશમાં તેની નાની માં પાસે આવતી હતી . બંને એકમેકને સારી રીતે ઓળખતા હતા . બન્ને સાથે રમ્યા હતા . આ નાતે તેના પતિ જોડે સત્યમને સારૂ બનવું જોઈતું હતું . પણ તે મામલામાં ઉલટી ગંગા વહી રહી હતી . બંને કટ્ટર વિરોધી બની રહ્યા હતા .

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

ગણપતિ ચોથ આવી રહી હતી . આ દિવસે લગભગ બધી જ ઓફિસો જાહેર રજા પાળે છે .પરંતુ કામનું બહાનું કાઢીને તેમણે ઓફિસ ચાલુ હોવાની જાહેરાત કરી હતી . તેમની ઓફિસ સ્મશાન ગૃહની માફક કદી બંધ રહેતી નહોતી . આ વાતને લઈને ઓફિસનો સારો સ્ટાફ નારાજ તેમજ અસંતુષ્ટ હતો . બધાને રજા જોઈતી હતી . પણ બિલાડીના ગળે ઘંટ કોણ બાંધે ? કોઈની રાજીવ કુમારને કહેવાની હિંમત નહોતી .

આ હાલતમાં સત્યમે વિકલ્પ સુચવ્યો હતો .

' બધાને રજા જોઈતી હોય તો આપણે બધા સહી કરીને લેખિત અરજી રાજીવ કુમાર સમક્ષ મૂકીએ . :

બધા સહમત થઈ ગયા હતા . સત્યમ કંપનીનો સિનિયર મોસ્ટ કાર્યકર્તા હતો . તેણે અરજી લખી બધાની સહી લઇ રાજીવ કુમારના ટેબલ પર મૂકી હતી . તેઓ ત્યારે બહાર ગયા હતા .

પાછા આવતા વેંત તેઓ અરજી નિહાળી ધુવાફુવા થઈ ગયા હતા . તેમણે તરત જ ઓફિસના અન્ય કર્મચારીને બોલાવી સુચના આપી હતી :

' આમાં લખો. જે પણ કોઈ ગણપતિ ચોથના દિવસે ઓફિસમાં નહીં આવે તેને નોકરીમાંથી કાઢી મુકવામા આવશે !

અને તે કર્મચારીએ રાજીવ કુમારની સુચના મુજબ લખી આપ્યું હતું .

એક ભલામણનો રાજીવ કુમારે ધમકી ભર્યો જવાબ આપ્યો હતો . આ વાતથી સત્યમને દુઃખની લાગણી નિપજી હતી .

અને તે દિવસે બધાએ એક વિશ્વાસ મુજબ રજા પાળી હતી . છતાં રાજીવ કુમારના કહેવા મુજબ તેમનો ખાંધીયો અને ચમચો નીતિન ઓફિસમાં આવ્યો હતો , જે ઓફિસમાં સત્યમના શ્રેષ્ઠ મિત્ર હોવાનો દાવો કરતો હતો . તેણે સત્યમનો વિશ્વાસઘાત કરી તેને ઊંડી ચોટ પહોંચાડી હતી .

સત્યમ ઓફિસમાં દાખલ થયો કે તરત જ રાજીવ કુમારે તેનો કલાસ લેતા સવાલ કર્યો હતો .

' આખરે તમારું ધાર્યું જ કર્યું ! '

' એમાં ધાર્યું કરવાનો કોઈ સવાલ જ નથી પેદા થતો . તમે એક અપીલનો આવો ધમકી ભર્યો જવાબ આપ્યો તે વાતનું ઘણું જ દુઃખ થયું છે .

ત્યાર બાદ બંને પક્ષે ગરમાગરમ દલીલો શરૂ થઈ ગઈ . અને સુજિત કુમાર છેલ્લી પાટલીએ બેસી ગયો હતો .

' તમને નોકરીમાંથી છુટા કરવામા આવે છે . તમારા હિસાબના પૈસા કોર્ટમાંથી વસુલ કરી લેજો ! '

એનો સત્યમે જડબાતોડ જવાબ પરખાવ્યો હતો .

' તમે પૈસા નહીં આપો તો હું ભિખારી નહીં બની જાઉં . તમે મારા પગારના પૈસામાંથી તમારા છોકરાઓને ચોકલેટ , મિઠાઈ ખવડાવજો . તેમને માટે કપડાં સિવડાવજો . મારી પાસે લેટરની કોપી છે . હું પણ તમને ધોળા દિવસે તારા દેખાડી દઈશ ! '

તે સાંભળી તેમનો દુબઇ સ્થિત ભાઈ જે મુંબઇમાં હતો . તેણે પોતાની હોંશિયારીનું પ્રદર્શન કરતા ઓફિસ સ્ટેશનરી ચોરવાનો સત્યમ પર આરોપ મૂક્યો હતો . આ બદલ સત્યમે તેને ઝપાટામાં લઇ લીધો હતો .

' તમે શું તમારી જેમ મને બુદ્ધિનો બ્રહ્મચારી સમજો છો ? કોપી મેં મારા કાગળ પર લીધી છે . '

સત્યમની વાત સાંભળી ત્રણેની બોબડી બંધ થઈ ગઈ હતી .

તેમણે તરત જ સત્યમનો હિસાબ કરી આપ્યો હતો અને તે માનભેર તેમની ઓફિસમાંથી બહાર નીકળી આવ્યો હતો .

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
પ્રેમસન છોડ્યા બાદ નીતિન એક વાર સત્યમને ચર્ચ ગેટ સ્ટેશને ભટકાઈ ગયો હતો . રાજીવ કુમારે તેને પૈસાની મદદ કરી હતી . તેનો ઉપયોગ કરીને તેમણે નિતીનના હાથ બાંધી દઈ તેને ઓફિસમાં આવવાની ફરજ પાડી હતી . આ એક સચ્ચાઈ હતી . તેનો સત્યમે વિના દલીલ તેની વાત માની લઈ તેને માફ કરી દીધો હતો !

નિતીનને પોતાની ભૂલની ભરપાઈ કરવાની ઈશ્વરે તક આપી હતી . તેના થકી જ સત્યમને પ્રેમસન સાથે જોડાયેલ કંપનીમાં સારો જોબ મળ્યો હતો .
આ વાતની જાણ થતાં તેઓ કંપનીમાં આવ્યા હતાં . તેમણે સત્યમ વિરુદ્ધ મેનેજમેન્ટના કાન ભંભેર્યા હતા .

' સત્યમ ભારતીયથી ચેતજો . તે યુનિયનનો માણસ છે . તે માણસોને ભડકાવશે , તેમને ઉશ્કેરશે . '

રાજીવ કુમાર તેની ઓફિસમાં આવ્યા હતા . તેની સત્યમને જાણ થઈ હતી . તેઓ કંપનીની બે ચાર મહત્વની હસ્તીને મળી વિદાય થઈ ગયા હતા .

તેમની મુલાકાત બાદ બધાનું વલણ બદલાઈ ગયું હતું .

આ વાત રાજીવ કુમાર ભણી ગર્ભિત ઈશારો કરી રહી હતી !

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED