Sadabahar Rafi - Biography books and stories free download online pdf in Gujarati

સદાબહાર રફી - બાયોગ્રાફી

સદાબહાર રફી

મોહમ્મદ રફીનો જન્મ 24 ડિસેમ્બર, 1924ના દિવસે થયો હતો. તેઓ ભારતીય પાર્શ્વ ગાયક હતા, જેમની કારકિર્દી ચાર દાયકા સુધી હતી. તેમની કારકિર્દીનો સમયગાળો આશરે 40 વર્ષનો રહ્યો, રફીએ 26,000થી વધુ ફિલ્મી ગીતો ગાયા. તેમના ગીતોમાં શાસ્ત્રીય ગીતોથી માંડીને ભક્તિગીતો, ઉદાસ આક્રંદથી માંડીને અત્યંત વીરશ્રૃંગારરસ, કવ્વાલીઓથી માંડીને ગઝલો, અને ભજનો તેમજ ધીમી ઉદાસ ધૂનો તેમજ ઝડપી મસ્તીભર્યા ગીતો સામેલ હતા. હિન્દી અને ઉર્દુ પર તેમની મજબૂત પકડ હતી અને પ્રભાવશાળી ક્ષમતા હતી કે જેમાં આવા વૈવિધ્યને સમાવી શકાય.

પંજાબના (બ્રિટિશ સમયનું ભારત) અમૃતસર નજીક આવેલા કોટલા સુલતાન સિંઘ ગામમાં હાજ્જી અલી મોહમ્મદના છ પુત્રોમાંથી મોહમ્મદ રફી સૌથી નાના હતા. તેમણે ગામના એક ફકિરની નકલ કરતા કરતા ગાવાનું શરૂ કર્યું, આથી રફીને ફિકોના હુલામણા નામથી ઓળખવામાં આવતા. 1935-36માં રફીના પિતા લાહોર ગયા અને બાદમાં તેમના પરિવારે પણ તેમની પાછળ સ્થળાંતર કર્યું. રફીના કુટુંબે લાહોરના નૂર મોહલ્લામાં પુરુષો માટેનું એક સલૂન ખરીદ્યુ.

તેમના સાળા મોહમ્મદ હમીદ હતા કે જેમણે રફીની આવડતને પારખી અને તેમને પ્રોત્સાહિત કર્યા. રફીએ ઉસ્તાદ બડે ગુલામ અલી ખાન, ઉસ્તાદ અબ્દુલ વાહિદ ખાન, પંડિત જીવનલાલ મટ્ટો અને ફિરોઝ નિઝામી પાસે શાસ્ત્રીય સંગીત શીખ્યા. રફીએ 13 વર્ષની વયે પોતાની પ્રથમ જાહેર રજૂઆત કરી હતી, કે. એલ. સેયગલ માટેના એક સંગીત જલસામાં તેમને ગાવાની તક મળી. 1941માં પંજાબી ફિલ્મ ગુલ બાલોચ માં (1944માં ફિલ્મ રજૂ થઈ) ઝિનત બેગમ સાથે "સોનિયે ની, હીરિયે ની" ગીતમાં શ્યામ સુંદર હેઠળ રફીએ પાર્શ્વ ગાયક તરીકેનું પોતાનું પ્રથમ ગીત ગાયું. આજ વર્ષે લાહોર સ્થિત ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેશને તેમને રેડિયો માટે ગાવા માટેનું આમંત્રણ આપ્યું. તેમણે પોતાની પ્રથમ શરૂઆત શ્યામ સુંદર-દિગદર્શિત 1941માં ગુલ બાલોચથી કરી, અને પછીના વર્ષોમાં ધી બોમ્બે તેમજ ગાવ કી ગોરી જેવી ફિલ્મોમાં ગીતો આપ્યા. રફીએ કેટલીક ફિલ્મો જેવી કે લૈલા-મજનૂ (1945) અને જુગનુમાં નાની ભૂમિકાઓ પણ ભજવી. લૈલા મજનૂમાં તેરા જલ્વા ગીતમાં તેમણે સમૂહગાનના ભાગરૂપે ગાયું હતું.

ગાયિકીનું વૈવિધ્ય:

તેમણે ઘણી ભારતીય ભાષાઓ જેવી કે હિન્દી, કોકંણી, ઉર્દૂ, ભોજપુરી, ઉડિયા, પંજાબી, બંગાળી, મરાઠી, સિંધી, કન્નડ, ગુજરાતી, તેલુગુ, મઘી, મૈથિલી અને આસામી જેવી ભાષાઓમાં ગીતો ગાયા હતા. તેમણે કેટલાક અંગ્રેજી, પર્શિયન, સ્પેનિશ અને ડચ ગીતો પણ રેકોર્ડ કર્યા હતા. 24 જુલાઈ, 2010માં ટાઇમ્સ ઓફ ઈન્ડિયા માં પ્રકાશિત એક લેખમાં તેમના અવાજ વિશે સંક્ષિપ્તમાં કહેવાયું હતું, "જો એક ગીતમાં "હુ તને પ્રેમ કરુ છું" તેમ કહેવા માટેના 101 રસ્તાઓ હોય તો મોહમ્મદ રફી તે તમામ જાણતા હતા. યુવાન પ્રેમનું અણઆવડતપણુ, કિશોરાવસ્થાનો પ્રેમ, એક તરફી પ્રેમનું તત્ત્વજ્ઞાન તેમજ દિલ તુટ્યાનો સંતાપ-તેઓ કોઈ પણ ધૂનની તિરાડ શોધી શકતા. તે માત્ર પ્રેમ ન હતો, તેમનો અવાજ જીવનના નવરસને ઝીલી શકતો- એક અસફળ કવિની ઉદાસી, એક આક્રમક સંઘની શક્તિ, દેવામાં ડૂબેલા ખેડૂતની હતાશા, અને બીજું ઘણુ બધું. રફીની કારકિર્દીનો સમયગાળો ચાર દાયકા આસપાસ રહ્યો, તેઓ એક ગાયક હતા કોઈ પણ ઋતુ અને કોઈ પણ કારણ માટે.

સુપરસ્ટારને જન્મ આપનાર અવાજ:

મોહમ્મદ રફીએ પોતાના અવાજથી બોલીવુડમાં કેટલાંય અભિનેતાઓને સુપરસ્ટાર બનાવ્યા હતાં. રફી સાહેબે એક ઇન્ટરવ્યુમાં પોતે જ કહ્યું હતું કે આખરે કેવી રીતે તેમણે ગાયકીનો શોખ જાગ્યો. રફી સાહેબે બે વિવાહ કર્યા હતાં. આ વિવાહ વિષે ફક્ત તેમનો પરિવાર જાણતો હતો. આ વાત કદાચ કોઈને ખબર પણ ના હોત જો રફીની પૂત્રવધુ યાસ્મીન ખાલીદ રફીનું પુસ્તક બજારમાં ના લાવી હોત.યાસ્મીનની પ્રકાશિત બુકમોહમ્મદ રફી મેરે અબ્બા...એક સંસ્મરણમાં રફીના પહેલાં લગ્ન વિષે વાત કરવામાં આવી છે. પુસ્તકમાં લખ્યું છે કે, ૧૩ વર્ષની ઉંમરે રફીના પહેલાં લગ્ન તેમના ચાચાની છોકરી બશીરા બેગમ સાથે થયા હતાં, પરંતુ થોડાંક વર્ષો પછી જ તેઓ અલગ થઈ ગયા. રફીથી તેમની પહેલી પત્ની એટલાં માટે અલગ થઈ કારણ કે તેઓએ રફી સાથે ભારત આવવા માટે ના પડી દીધી. ભારત અને પાકિસ્તાનના વિભાજન વખતે થતાં તોફાનોમાં બશીરાના માતા-પિતાનું મૃત્યુ થઈ ગયું. આ તોફાનોથી તે એટલાં ડરી ગયા કે તેમણે ભારતમાં રહેવા માટે ના પાડી દીધી અને લાહોર જ રોકાઈ ગયા. જ્યારે રફી તેમનું કરિયર આગળ વધારવા માટે મુંબઈમાં જ રહ્યા. આ લગ્નથી તેમને એક પુત્ર સઈદ થયો હતો. રફીના પહેલાં લગ્ન વિષે ઘરમાં બધાને ખબર હતી પરંતુ બહારના લોકો સામે આ વાત છૂપાઈને રખાઈ હતી. ઘરમાં કોઈને પણ આ વિષે બોલવાની મનાઈ હતી કારણ કે રફીની બીજી પત્ની બિલકીસ બેગમ આ બિલકુલ પસંદ ન કરતી હતી અને તેમનાથી એ સહન ન થતું હતું કે કોઈ પણ આ વિષે વાત કરે. જો ક્યારેય કોઈ આ વિષે ચર્ચા કરતુ તો બિલકીસ બેગમ અને રફીના સાળા જાહિર બારી આને અફવા કહીને વાત દબાવી દેતા હતાં.

યાસ્મીન રફીએ પોતાના પુસ્તકમાં એ પણ લખ્યું હતું કે એ ક્યારેય સમજી નહોતી શકતી કે આ વાતને છૂપાવવાની શું જરૂર છે. ૧૯૪૪માં ૨૦ વર્ષની ઉંમરમાં રફીએ બીજા લગ્ન સિરાજુદીન અહમદ બારી અને તાલીમુન્નીસાની પુત્રી બિલકીસ સાથે કર્યા. જેનાથી તેમના ત્રણ પુત્રો ખાલીદ, હામીદ અને શાહીદ અને ત્રણ પુત્રીઓ પરવીન અહમદ, નસરીન અહમદ અને યાસ્મીન અહમદ થઈ.

મોહમ્મદ રફી અને નૌશાદ

વર્ષ ૧૯૮૦ના આસપાસની વાત છે. અલી સરદાર જાફરી એક ફિલ્મ બનાવી રહ્યા હતાં- હબ્બા ખાતૂન. ફિલ્મમાં નૌશાદ સાહેબનું સંગીત હતું. આ ફિલ્મ કોઈ કારણોસર દર્શકો સુધી પહોંચી ના સકી પરંતુ આ ફિલ્મે મોહમ્મદ રફીને એ ગીત આપ્યું જે ગીત ગાયાં પછી જેને ગાયાં પછી તેમને પોતાની જીંદગીમાં કોઈ પણ વસ્તુની કમીનો અહેસાસ ના રહ્યો. રેકોર્ડીંગ પછી તેઓ ભાવુક થઈ ગયાં. નૌશાદ સાહેબને કહેવા લાગ્યા કે આ ગીત ગાયને સૂકૂન મળ્યું. હવે કદાચ આ દુનિયામાંથી જતો રહું તો પણ કોઈ અફસોસ નથી. ઘણા સમય પછી આવું ગીત ગાયું છે. અને આમ પણ નૌશાદ સાહેબ સાથે સાથે મોહમ્મદ રફીની જોડી કમાલની હતી. બંનેએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એકથી એક ચઢિયાતા ગીતો આપ્યા.

એ ગીત ગાયાં પછી મોહમ્મદ રફીની મન: સ્થિતિને સમજી શકાય કે તેઓએ લાખ કીધા પછી પણ એ ગીત માટે એક પણ પૈસો ના લીધો. એ ગીતના શબ્દો હતાં - જિસ રાત કે ખ્વાબ આયે વો રાત આઈ. આ સંયોગ જ હતો કે નૌશાદ સાહેબ માટે ગાયેલું આ મોહમ્મદ રફીનું છેલ્લું ગીત હતું.

નૌશાદ સાહેબ નું ફિલ્મી કરિયર પણ ૫-૬ વર્ષ જૂનું હતું પરંતુ તેમના ખાતામાં કેટલાંય હીટ ફિલ્મો ના ગીત હતાં. જેમાં નિર્દોષ દુનિયા, શારદા, કાનૂન અને સંજોગ જેવી ફિલ્મોને ગણી શકાય છે. પહેલી મુલાકાતમાં નૌશાદ સાહેબે મોહમ્મદ રફીને કંઈક સંભળાવવા માટે કહ્યું તો તેમણે એ જમાનાના સુપરસ્ટાર કે.એલ. સહગલનું એક ગીત ગાયું હતું. જેને સાંભળીને નૌશાદને મોહમ્મદ રફીને એ જ ફિલ્મમાંકોરસ' માં ગાવાનો મોકો આપવામાં આવ્યો.

જેલમાં પણ રફી પ્રસિદ્ધ

સંગીતકાર નૌશાદ મોહમ્મદ રફી વિષે એક દિલચસ્પ કિસ્સો સંભળાવતા હતાં. એક વાર એક અપરાધીને ફાંસીની સજા આપવામાં આવી રહી હતી. તેને તેની અંતિમ ઈચ્છા પૂછવામાં આવી તો ના તો તેણે પોતાના પરિવારને મળવાની ઈચ્છા પ્રગટ કરી ણા તો કોઈ ખાસ વસ્તુ ખાવાની ફરમાઈશ કરી. તેની ફક્ત એક ઈચ્છા હતી કે જેને સાંભળી જેલ કર્મચારી દંગ રહી ગયો. તેણે કહ્યું કે મરતા પહેલાં રફીનું બૈજૂ બાવરા ફિલ્મ નું ગીતએ દુનિયા કે રખવાલેસાંભળવા ઈચ્છું છું. આના માટે એક ટેપ રેકોર્ડર લાવવામાં આવ્યું અને એ ગીત વગાડવામાં આવ્યું. આ ગીત માટે મોહમ્મદ રફીએ ૧૫ દિવસ સુધી રિયાસ કર્યો હતો અને રેકોર્ડીંગ પછી તેમનો અવાજ એટલો તૂટી ગયો કે કેટલાક લોકોએ તો એમ પણ કહેવાનું શરુ કરી દીધું હતું કે રફી કદાચ ક્યારેય પોતાનો અવાજ પાછો નહિ લાવી શકે.

શ્રીલંકાનો પ્રવાસ અને રફી:

અવાજ તૂટ્યા બાદ લોકોને એવું લાગતું હતું કે તેઓ પોતાનો અવાજ પાછો નહીં મેળવી શકે. પરંતુ રફીએ લોકોને ખોટા સાબિત કર્યા અને ભારતના સૌથી મોટાં પાર્શ્વગાયક બન્યા. ૪ ફેબ્રુઆરી ૧૯૮૦ના રોજ શ્રીલંકાના સ્વતંત્રતા દિવસ ઉપર મોહમ્મદ રફીને શ્રીલંકાની રાજધાની કોલંબોમાં એક શો માટે આમંત્રિત કરવામાં આવ્યા. એ દિવસે તેમને સાંભળવા માટે ૧૨ લાખ કોલંબોવાસી જમા થયા હતાં, જે એ સમયનો વિશ્વ રેકોર્ડ હતો.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ જે આર જયવર્ધન અને પ્રધાનમંત્રી પ્રેમદાસા ઉદ્ઘાટન પછી બીજા કોઈ કાર્યક્રમમાં ભાગ લેવા જવાના હતાં. પરંતુ રફીના જબરદસ્ત ગાયને તેમણે રોકાવા માટે મજબૂર કરી દીધા અને તેઓ કાર્યક્રમ પૂરો થઈ ગયા સુધી ત્યાંથી હલ્યા નહિ.

રફીની આદત હતી કે જયારે તેઓ વિદેશના કોઈ શોમાં જતાં હતાં હતાં ત્યારે ત્યાંની ભાષામાં એક ગીત જરૂર સંભળાવતા. પરંતુ જયારે તેમણે હિન્દી ગીતો સંભળાવવાનું શરુ કર્યું ને ભીડ બેકાબૂ થઈ ગઈ અને એવું ત્યારે થયું જ્યારે ભીડમાં કદાચ જ કોઈ હિન્દી સમજતું હતું. કદાચ એક ગીત માં ઇજહાર-એ-ઈશ્ક દર્શાવવો હોય તો તમે ખાલી એક જ ગાયક ઉપર તમારા પૈસા લગાવી શકો છો અને એ છે મોહમ્મદ રફી.

કેરિયર ટ્રેક:

પ્રેમ સિવાય માનવીય ભાવનાઓના જેટલા પણ પહેલૂ હોઈ શકેદુઃખ, ખુશી, આસ્થા અથવા દેશભક્તિ કે પછી ગાયકીનું કોઈ પણ રૂપ હોય ભજન, કવ્વાલી, લોકગીત, શાસ્ત્રીય સંગીત અથવા ગઝલ, મોહમ્મદ રફી પાસે બધા જ તીર મોજૂદ હતાં.

રફીને પહેલો બ્રેક મળ્યો હતો શ્યામ સુંદરના પંજાબી ફિલ્મગુલબલોચમાં. મુંબઈની તેમની પહેલી ફિલ્મ હતીગાંવ કી ગોરી’. આ મોહમ્મદ રફીના કરિયરનો સૌથી બહેતરીન સમય હતો ૧૯૫૬ થી ૧૯૬૫ સુધીનો સમય. આ સમય દરમિયાન તેમને કુલ છ ફિલ્મફેર પુરસ્કાર જીત્યા અને રેડિયો સિલોનથી પ્રસારિત થઈ રહ્યા બિનાકા ગીત માલામાં બે દશકોં સુધી છવાયાં.

રફીના કરિયરને ઝટકો લાગ્યો ૧૯૬૯માં, જ્યારેઆરાધનાફિલ્મ રીલીઝ થઈ. રાજેશ ખન્નાની આભાએ પૂરા ભારતને ચોકાવી દીધું અને આર. ડી. બર્મને મોટાં સંગીતકાર બનવા તરફ પોતાનું પહેલું ડગલું માંડ્યું.આરાધનાના બધા ગીતો પહેલાં રફી જ ગાવાના હતાં. જો એસ.ડી. બર્મન બીમાર ના પડ્યા હોત અને આર.ડી. બર્મને તેમનું કામ ના સંભાળ્યું હોત તો કિશોર કુમાર સામે આવેત જ નહિ અને આમ પણઆરાધનાના પહેલાં બે ગીત રફીએ જ ગાયેલા હતાં.

સિત્તેરના દસકાની શરૂઆતમાં સંગીતકારોએ મોહમ્મદ રફીનો સાથ છોડવાનું શરુ કરી દીધું હતું, સિવાય લક્ષ્મીકાંત પ્યારેલાલ. લક્ષ્મીકાંત તો હવે રહ્યા નહિ, પરંતુ પ્યારેલાલ જરૂર છે જે કહે છે કે તેમણે રફીનો નહિ, પરંતુ રફીએ તેમનો સાથ ના છોડ્યો. જાણીતા બ્રોડકાસ્ટર અમીન સયાની મોહમ્મદ રફી અને લક્ષ્મીકાન્ત પ્યારેલાલ વિષે એક દિલચસ્પ વાર્તા કહે છે. સયાની કહે છે, “એક વાર લક્ષ્મીકાંતે મને કહ્યું હતું કે જયારે તેઓ પહેલી વાર રફી પાસે ગીત રેકોર્ડ કરાવવા લઈ ગયા તો અમે નવા છીએ એટલે અમને કોઈ પ્રોડ્યુસર બધારે પૈસા નહિ આપે. અમે તમારા માટે એક ગીત બનાવ્યું છે, જો તમે આ ગીત ગાઈ દેશો ઓછા પૈસામાં તો બહુ મહેરબાની થશે.

રફીએ ધૂન સાંભળી. તેમને બહુ પસંદ આવી અને તે આ ગીત ગાવા માટે તૈયાર થઈ ગયા. રેકોર્ડીંગ પછી તેઓ રફી પાસે રફી પાસે પૈસા લઈને ગયા. રફીએ પૈસા એ કહીને પાછા આપ્યા કે આ પૈસા તમે આપસમાં વહેંચી લો અને આ જ રીતે વહેંચીને ખાતા રહો.. લક્ષ્મીકાંતે મને કહ્યું કે એ દિવસ પછી તેમણે રફીની વાત હંમેશા માટે યાદ રાખી અને હંમેશા વહેંચીને ખાધું.

રફી: જીવનશૈલીનું વૈવિધ્ય

રફી બહુ જ ઓછું બોલવાવાળા, જરૂરતથી વધારે વિનમ્ર અને મીઠા માણસ હતાં. તેમની વહૂ યાસ્મીન ખુર્શીદ કહે છે કે તેઓ ન તો શરાબ પિતા હતાં કે ન તો સિગારેટ પિતા હતાં અને પાન પણ ખાતા નહતાં. બોલિવુડની પાર્ટીમાં પણ જવાનો એમને કોઈ શોખ નહતો. ઘરે તેઓ ખાલી ધોતી-કુર્તો જ પહેરતાં હતાં. પરંતુ જયારે રેકોર્ડીંગ માટે જતાં હતાં ત્યારે હંમેશા સફેદ કમીજ અને પાટલૂન પહેરતા હતાં. તેમને સ્ટાઇલીશ ઘડિયાળો અને ફેન્સી કારનો બહુ શોખ હતો. લંડનની કારોંના કલરથી તેઓ બહુ પ્રભાવિત થતા હતાં. એટલાં માટે એક વાર તેમણે પોતાની ફિએટ કારને પોપટના રંગમાં લીલા રંગથી રંગાવી હતી. તેમણે એક વાર મજાક પણ કરી હતી કે પોતાની કારને એવી રીતે સજાવતા જેવી રીતે દશેરામાં બળદને સજાવવામાં આવે.

રફી ક્યારેક ક્યારેક પતંગ પણ ઉડાડતાં હતાં અને મોટાંભાગે તેમનાં પાડોશી મન્ના ડે તેમની પતંગ કાપી લેતા હતાં. તેઓ બહુ સારી રીતે મહેમાનગતિ પણ કરતાં હતાં. દાવતો આપવાનો તેમને બહુ જ શોખ હતો. તેમના નજીકના દોસ્ત ખય્યામ કહે છે કે રફી સાહેબે કેટલીય વાર તેમને અને તેમની પત્ની જગજીત કૌરને સાથે જમવા બોલાવ્યાં હતાં અને તેમને ત્યાનું જમવાનું પણ બહું જ સરસ હોતું.

યાસ્મીન ખાલીદ કહે છે કે એક વાર તેઓ બ્રિટનમાં કોવેન્ટ્રીમાં શો કરી રહ્યા હતાં. જયારે તે તેમના પતિ ખાલીદ સાથે તેમને મળવા ગઈ તો તે બહુ ખરાબ મૂડમાં હતાં કારણ કે તેઓને ત્યાં ખાવાનું સારું ન મળતું હતું. તેમણે પૂછ્યું કે અહિયાંથી લંડન જવામાં કેટલો સમય લાગે ત્યારે ખુર્શીદે જવાબ આપ્યો કે ત્રણ કલાક.પછી તેમણે યાસ્મીનને પૂછ્યું કે શું તું એક કલાકમાં દાળ, ભાત અને ચટણી બનાવી શકે છો? યાસ્મીને જ્યારે હા પાડી તો રફીએ કહ્યું, “ચાલો લંડન જઈએ. કોઈને કંઈ પણ કહેવાની જરૂર નથી. આપણે સાત વાગે શો શરુ થાય એ પહેલાં કોવેંટ્રી પાછા આવી જઈશું.રફી, ખાલીદ અને યાસ્મીન કોઈને કીધા વગર લંડન ગયા. યાસ્મીને એમના માટે ફટાફટ દાળ,ચાવલ અને ચટણી અને ડુંગળી-ટમેટાંનું સલાડ બનાવ્યું. રફીએ જમીને યાસ્મીનને બહુ દુવાઓ આપી અને એવું લાગ્યું જાણે કોઈ બાળકને એની પસંદનું રમકડું મળી ગયું હોય. જયારે તેમણે કોવેંર્ટી આવીને આયોજકોને કીધું કે તેઓ ફક્ત જમવા માટે લંડન ગયા હતાં તો એ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

મોહમ્મદ અલી સાથે મુલાકાત:

રફીને બોક્સિંગના મુકાબલાઓ જોવાનો બહુ શોખ હતો અને મોહમ્મદ અલી તેમના પસંદીદા બોક્સર હતાં. ૧૯૭૭માં જ્યારે તેઓ એક શો માટે શિકાગો ગયાં ત્યારે આયોજકોને રફીના આ શોખ વિષે ખબર પડી. તેમણે રફી અને અલીની એક મુલાકાત કરાવવાની કોશિશ કરી પરંતુ એ એટલું સહેલું કામ નહતું. પરંતુ જ્યારે અલીને કહેવામાં આવ્યું કે રફી પણ ગાયકના રૂપમાં એટલાં જ મશહૂર છે જેટલા તેઓ એક બોક્સરના રૂપમાં છે, તો અલી તેમને મળવા તૈયાર થઈ ગયાં. બંનેની મુલાકાત થઈ અને રફીએ બોક્સિંગ પોઝમાં મોહમ્મદ અલી સાથે ફોટો પડાવ્યો.

રફી: ગાયિકીનો એક સર્વોચ્ચ શિખરસ્તંભ

ગાયક મોહમ્મદ રફી દેશના સૌથી લોકપ્રિય વ્યક્તિત્વમાંથી એક રહ્યા છે. આજની જનરેશનની ફેવરેટ મ્યુઝીક પ્લે-લીસ્ટમાં મોહમ્મદ રફીનું નામ સૌથી ઉપર આવે છે. પોતાની ગાયકીથી બધાના દિલને સ્પર્શ કરવાવાળા મોહમ્મદ રફી હતાં. પોતાના જીવનમાં તેમણે તેમના ગીતોથી લઈને જીવનશૈલી સુધી બધાને પ્રભાવિત કર્યા. આજે પણ મોહમ્મદ સાહેબ તેમના ગીતો દ્વારા તેમના ચાહકોના દિલમાં જીવિત છે.

આજની નવી ગાયક પેઢી પણ તેમના ગીતોથી ગુણ શીખે છે અને તેમના જેવું ગાવાની કોશિશ કરે છે. તેમનું છેલ્લું ગીત હતુંશામ ફિર ક્યું ઉદાસ હૈ દોસ્ત”. જે તેમણે મૃત્યુના થોડા જ કલાકો પહેલા લક્ષ્મીકાંત-પ્યારેલાલ સાથે રેકોર્ડ કર્યુ હતું.

મોહમ્મદ રફી અને પ્યારેલાલજી :

પ્યારેલાલજી મોહમ્મદ રફી વિષે કહે છે કે, રફી સાહેબને રિયાઝનો જબરો શોખ હતો. રોજ સવારે બે કલાક શાસ્ત્રીય સંગીતનો રિયાઝ અચૂક કરતા. ફિલ્મી ગીતોના રિયાઝ બાબત તેઓ એકવાર ગીત રેકૉર્ડ થતા પહેલા આવી જતા ગીત વિશે જાણ્યા પછી બીજીવાર ફાઈનલ ટેક કરતા હતા. એમને માટે થોડો રિયાઝ પૂરતો હતો, એક દિવસમાં બે ગીતો તો નિરાંતે પૂરો ન્યાય આપીને ગાતા હતા. એમની ગાયકી ઝડપી અને પૉલીશ્ડ રહેતી.

એકવાર અમારે માટે એક જ દિવસમાં પાંચ ગીતો ગાયા હતા. છતાં દરેક ગીતમાં ગુણવત્તા ઝળકતી. રફી સાહેબનો આ એક રેકૉર્ડ જ છે. એકવાર દિવસે ૧૦ વાગે એમણે ગાવાનું શરૂ કરેલું અને રાત્રે ૧ વાગ્યા સુધી ચાલુ જ રહ્યું.

ખેર, આજના દોરથી એ દોર જ અલગ હતો. મેં સાંભળ્યું છે કે આ જમાનામાં કોઈ સિંગરે એક જ દિવસમાં ૨૮-૩૦ ગીતો ગાયાં છે. હું એને ખરાબ નથી ગણતો. એ જમાનામાં ગાયક-ગાયિકા આખું ગીત એક જ ટેકમાં પૂરું કરતા. હવે આ પેટર્નની આગવી ખૂબી છે તો આજના દોરમાં એકેક લાઈનનું ટેકિંગ (રેકૉર્ડિંગ)નું પણ પોતીકું મહત્ત્વ છે, પરંતુ એ જમાનામાં ગીતોમાં જે ફ્લો-પ્રવાહિતા મળતાં એનું કારણ એક મૂડમાં એ ગીતો રેકૉર્ડ થયાં છે. અમે સંગીત નિર્દેશનમાં રફીજી, લતાજી અન્ય ગાયકોની સાથે આજના સિંગરોને હંમેશા આગ્રહ કર્યો છે કે એક જ ટેકમાં આખું ગીત પૂરું કરે.

જ્યારે પણ રેકૉર્ડિંગ પછી એમની પ્રશંસા કોઈ કરતું ત્યારે બન્ને હાથ ઊંચા કરીને કહેતાસબ ઉન કી મેહરબાની હૈ’.

એમણે પૈસા ખાતર નવા સંગીતકારોને નારાજ ન કર્યા કે ન કોઈ સાથે ઝગડ્યા.

રફી સાહેબેઆસપાસફિલ્મ માટે ગાયેલુંતૂ મેરે આસપાસ હૈ દોસ્ત’.

હૉસ્પિટલમાં તેઓ દાખલ થયા ત્યારેય અમને એ જ કહેલું કેમને રિહર્સલ વિશે ફોન કરીને કહેજો.

રફીના મોતને બીજે દિવસે એટલે કે પહેલી ઑગસ્ટ-૧૯૮૦ના દિને લતાજીએ સમાચાર આપ્યા ત્યારે હું છોટે ગુલામઅલી સાહેબ સાથે બેઠો હતો એમણે જ ફોન ઉપાડેલો. પછી મને જણાવ્યું:રફી સાહબ નહીં રહે.

થોડા દિવસ પહેલાં જ મારો બચપણનો દોસ્ત, મારો સાથી, મારો જોડીદાર લક્ષ્મી જતો રહ્યો હતો. મેં વિધિના લેખ માનીને સ્વીકારી લીધું, લોકો કહે છે- લક્ષ્મી જતા રહ્યા, રફી ચાલ્યા ગયા. હું કહું છું- આજે પણ તેઓ આપણી સાથે છે.

રફીસાહેબને ખાવા-પીવાનો, ખવડાવવા પીવડાવવાનો જબરો શોખ હતો. ઈદની વાત જ નિરાળી હતી. તેઓ જાતે ઘરે આવીને પોતાના હાથે એકથી એક સ્વાદિષ્ટ મીઠાઈ ખવડાવતા. આજના દોરમાં આવો ઈન્સાન ક્યાંયે દેખાશે?

રફીસાહેબ હંમેશા મનેપ્યારેકહીને બોલાવતા પણ હું કદી નામ લઈને ન બોલવતો. કહેતો-સુનિયે સાહબ, ઈસે યું કર દેતે તો અચ્છા હોતા.

***

આખરી ક્ષણ: રફી ઉદયાસ્ત

મોહમ્મદ રફી સાહેબે જ્યારે ગુરુવાર, ૩૧ જુલાઈ, ૧૯૮૦ના રોજ, ૧૦:૫૦ વાગ્યે દુનિયાને અલવિદા કહ્યું હતું ત્યારે તેમની અંતિમ યાત્રામાં લાખોમાં જનસંખ્યા હતી. એ દિવસે મુંબઈમાં ભારે વરસાદ પણ ચાલુ હતો. પરંતુ મોહમ્મદ રફીના ચાહકોનો પ્રેમ એ તેજ વરસાદમાં પણ ના રોકાયો અને એમના અંતિમ દર્શન માટે તેમના ફેન્સ દૂર દૂરથી અંતિમયાત્રામાં જોડાવા આવ્યા. એ સમયે ત્યાં ઉપસ્થિત લોકોની આંખો સાથે તેમની જુબાન પણ એ વ્યક્ત કરતી હતી કે મોહમ્મદ સાહેબના જવાનો શોક આકાશ પણ કરી રહ્યું છે. એટલાં તેજ વરસાદમાં પણ મોહમ્મદ સાહેબના મૃત્યુની ખબર આગની જેમ ફેલાઈ ગઈ હતી. આ સાંભળતાની સાથે જ બધા જ બાંદ્રાની મસ્જીદ તરફ જવા લાગ્યાં.એ સમયે મોહમ્મદ સાહેબના જનાજામાં લગભગ ૧૦,૦૦૦થી પણ વધારે લોકો ઉતર્યા હતાં. મોહમ્મદ રફી એક એવા વ્યક્તિ હતાં જેને દરેક વર્ગ, દરેક જ્ઞાતિનો વ્યક્તિ ચાહતો હતો. કબરસ્તાનની સીમાઓ ઉપર કાચના ટુકડાઓ અને શીશાઓ લાગ્યા હતાં. બીજી બાજુ લોકો મોહમ્મદ સાહેબની એક ઝલક માટે બેતાબ હતાં, એવામાં લોકો એ દીવાલો ઉપર ચઢી ગયાં. કાચ લગાડ્યો હોવાથી લોકોના હાથમાંથી લોહી વહેતું હતું. તો પણ લોકોએ હાર ના માની અને મોહમ્મદ સાહેબના અંતિમ દર્શન કર્યા. એટલું જ નહિ લોકો તો તેમની કબરથી પોતાના ઘરોમાં માટી પણ લઇ ગયા હતાં. મોહમ્મદ સાહેબના નિધન ઉપર ભારતીય સરકાર દ્વારા બે દિવસ શોક પણ રાખવામાં આવ્યો હતો. 2010માં, નવા મૃતદેહો માટે જગ્યા કરવા માટે તેમની કબરને તોડી નંખાઈ હતી. મોહમ્મદ રફીના ચાહકો જે દર વર્ષે બે વખત, ડિસેમ્બર 24 અને જુલાઈ 31ના રોજ, તેમની જન્મ અને પુણ્યતિથિએ કબર પર આવે છે, તેઓ નિશાની તરીકે તેમની કબરની સૌથી નજીક આવેલી નારિયેરીનો ઉપોયગ કરે છે. બાન્દ્રામાં મુંબઈ અને પૂણેના બાહ્ય વિસ્તારમાં (એમજી (MG) રોડને લંબાવીને) પદ્મશ્રી મોહમ્મદ રફી ચોક નામ અપાયું.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED