સાવજ 2 Dr Sagar Ajmeri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાવજ 2

સાવજ 2

અમરેલી પાસે આવેલા દલખાણિયા રેન્જમાં વસવાટ કરતાં માલધારીઓમાં આઇ માના નેસમાં રહેતો જુવાન કાનજી ભરવાડ ઢોર ઉછેરના પરંપરાગત વ્યવસાય સાથે પ્રવાસીઓને ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરાવી પૈસા કમાતો. કાનજીના આવા ગેરકાયદેસર કામમાં કેટલાયે વન વિભાગના અધિકારીઓ તેમજ રેન્જ ફોરેસ્ટ ઓફીસર વિદ્યુત પાંડે પણ લાંચની લાલચે આંખ આડા કાન કરતા. ગેરકાયદેસર સિંહ દર્શન કરવા આવેલા કેટલાક વિદેશીઓને સિંહ દર્શન કરાવવા સાથે કાનજી કેટલીક વિદેશી યુવતીઓ સાથે પૈસાની લાલચે અનૈતિક સંબંધ પણ રાખતો. કાનજીના નેસના સરપંચ બેચર બાપાની અઢાર વરસની ત્રીજી વહુ લાભુડી સાથે પણ અનૈતિક સંબંધ રહ્યા હતાં. વર્ષોથી ગુમનામીમાં રહેનાર દલખાણિયા રેન્જ અચાનક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ન્યૂઝમાં ઝળકવા લાગ્યું. દરેક ન્યૂઝમાં હેડલાઇન્સ રહી – “દલખાણિયા રેન્જમાં ભેદી રીતે એક સાથે ૧૪ સિંહના મોત..!” આ સમાચારથી રાજ્યનું રાજ્યભવન હચમચી ગયું..!

હવે પ્રશ્ન તે થાય કે...

Ø કાનજીના જીવનમાં આગળ શું થશે..?

Ø દલખાણિયા રેન્જમાં સિંહના મૃત્યુનું રહસ્ય શું છે..?

આ પ્રશ્નોના ઉકેલ સાથે ચાલો માણીએ... ‘સાવજ 2’

સિંહના ભેદી મૃત્યુથી હચમચી ગયેલી સરકારે તપાસ કરવા વનવિભાગની ૪૦ ટીમના ૫૮૫ કર્મચારીઓ દ્વારા ગીર આસપાસ સાવજોની ચકાસણી કરાવવા મોકલ્યા. તપાસના બીજા બે દિવસમાં જ અન્ય બે સિંહના મોત થતાં સિંહનો મૃત્યુ આંક ૧૬ થયો. સિંહના આ મૃત્યુ પાછળ અગાઉ તાન્ઝાનીયામાં સાવજોના સામૂહિક સંહાર માટે જવાબદાર ભયાનક કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ તો જવાબદાર નથી ને તે ભય સૌ વનવિભાગના અધિકારીઓ અને ડોક્ટર્સની ટીમને થયો. હજુ સાવજોના મૃત્યુની તપાસ શરૂ જ થઈ હશે ત્યાં અન્ય ૫ સિંહના મૃત્યુ થતાં ૧૯ દિવસમાં કુલ ૨૧ સિંહના મૃત્યુ થયા..! સિંહના મૃત્યુની તપાસ કરવા ડૉ. સુબ્રમણ્યમની આગેવાની હેઠળ સ્પેશિયલ ટીમ મોકલવામાં આવી.

ડૉ.સુબ્રમણ્યમે તપાસનો દોર શરૂ કર્યો. તેમણે મૃત્યુ પામેલા સિંહના ટીસ્યુને નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઑફ વાયરોલોજી, પુના મોકલાવી, જેમાં સિંહના ટીસ્યુ નમૂના પરથી ૪ સિંહમાં વાયરસ નું પ્રમાણ જોવા મળ્યું, જ્યારે ૬ સિંહમાં ઇતરડી (ટીક્સ) થી ફેલાતા પ્રોટોઝોઆ ઇંફેક્શનથી મૃત્યુ થયા હોવાનું માલૂમ થયું. આ સાથે સિંહના મૃત્યુનું ભેદી કારણ જાણતા ડૉ.સુબ્રમણ્યમની આંખો ચિંતાથી ખુલ્લી જ રહી ગઈ. બીજા જ દિવસે તેમને રાજ્યના પાટનગરમાંથી તેડુ આવ્યું અને સિંહના મૃત્યુ અંગેનો રીપોર્ટ રજૂ કરવા બોલાવ્યા.

સિંહના મૃત્યુ અંગેનો રીપોર્ટ રજૂ કરવા ગયેલા ડૉ.સુબ્રમણ્યમે મોટા મંત્રીઓ સાથેની મીટીંગમાં ચિંતાજનક વાસ્તવિકતા પ્રેઝન્ટેશન સાથે રજૂ કરી.

“સર, આ સિંહ માટે જવાબદાર ભેદી વાઇરસ કેનાઇન ડિસ્ટેમ્પર ખૂબ જ ઝડપથી ફેલાઇ રહ્યા છે. તેમનું બંધારણ એક વિશેષ પ્રકારનું જોવા મળે છે.. સી ધ ગ્રોથ ઑફ ધ વાઇરસ..!” ડૉ.સુબ્રમણ્યમ પ્રેઝન્ટેશન બતાવતા જણાવે છે.

“એય ડૉક્ટર, આ ઇંગ્લીશ ફાડવાનું બંધ કર અને સાફ સમજાવ..!” મોંમાં ભરેલા પાનની પીચકારી પીકદાનીમાં મારી મોં લૂંછતા એક નેતા બોલ્યા.

“સર, આ વાઇરસ ખૂબ જ ભયાનક...!” ડૉ.સુબ્રમણ્યમ સમજાવવા કરે છે.

“ડોક્ટર, આ બધું મૂક. સો વાતની એક વાત આ સિંહ બચશે ખરાં..?” વનમંત્રીએ ડો.સુબ્રમણ્યમની વાત વચ્ચે કાપતાં પૂછ્યું.

“હું તે જ પોઇન્ટ પર આવું છું. આ વાઇરસ ખૂબ ફેટલ એટલે કે પ્રાણઘાતક છે...આ જુઓ તેને ઇઝીલી ડિસ્ટ્રોય પણ કરી શકાતા નથી..!” ડૉ.સુબ્રમણ્યમ સ્ક્રીન પર બતાવતાં કહે છે.

“આ તારી ફીલમ પડતી મૂક...અને મેઇન વાત કે આ વાઇરસના સમાચાર ક્યાંય બહાર જવા જોઇએ નહીં. આ વાત આપણા આ રૂમ બહાર ક્યાંય પણ ગઈ તો ડોક્ટર સિંહ સાથે તારી લાઇફ પણ મુશ્કેલીમાં આવશે..!” સૌથી મોટા મંત્રીએ સાફ શબ્દોમાં ડૉ.સુબ્રમણ્યમને ધમકી આપી..!

ડો.સુબ્રમણ્યમ રાજકારણથી પૂરા વાકેફ હતા, તેથી તેમણે વધુ કોઇ આર્ગ્યુમેન્ટ કરવાનું ટાળ્યું. આ મામલાથી મીડીયા આગળ સાવ અલગ રીતે જ રજૂ કરવા ડૉ.સુબ્રમણ્યમ પર દબાણ કરવામાં આવ્યું.

“લે આ રીપોર્ટ....આમાં સિંહનું મૃત્યુ અંદરો અંદર લડવાથી ઘાયલ થતાં થયું. આ જ વાત બહાર રીપોર્ટર્સ આગળ બકજે....હું પણ આ જ કહેવાનો છું..!” મોંમાં ભરેલા પાન મસાલાથી દબાયેલા અવાજે વનમંત્રીએ ડૉ.સુબ્રમણ્યમ આગળ રીપોર્ટનું કાગળ લંબાવતા કહ્યું.

ડૉ.સુબ્રમણ્યમ તે કાગળ લઈ મનોમન બબડાટ કરતા સભાખંડ બહાર જવા નીકળે છે. “નારાકટ્ટીરકુક સેલ...મારા બાપનું શું જાય..?” બબડાટ કરતા બહાર રીપોર્ટર્સ આગળ આવે છે.

“સર, સિંહના મૃત્યુનું કારણ જણાવશો.?”, “વૉટ ડુ યુ થીંક રીસ્પોંસીબલ ફોર ધ ડેથ ઑફ લાયન્સ..?”, “ક્યા ગુજરાત અબ લાયાન્સ કે લીયે અનસેફ હૈ..?” રીપોર્ટર્સના સવાલોની ભરમાર વચ્ચે ડૉ.સુબ્રમણ્યમે જાવાબ આપ્યો, “નો ટ્રેસ ઑફ એની ડેન્જરસ ડીસીઝ...ઇટ્સ ઓન્લી ડ્યુ ટુ ઇન્ફાઇટ..!” પાછળથી બહાર આવતા વનમંત્રી તરફ બધા રીપોર્ટર્સ દોડી જાય છે. વનમંત્રી તેમની આગવી અદાથી લાંબી લાંબી વાતો શરૂ કરે છે..! ડૉ.સુબ્રમણ્યમને તેમાં કોઇ રસ ના લાગતા તે ત્યાંથી ચાલ્યા જાય છે.

સિંહના અપમૃત્યુનું રાજકારણ દેશ કક્ષાએ જતાં અમેરિકાના સ્પેશિયાલીસ્ટ ડૉ.સ્ટીવને બોલાવવામાં આવ્યા. ડૉ.સ્ટીવને વાસ્તવિકતાથી દૂર રાખવા તેમની સાથે ડૉ.સુબ્રમણ્યમની જગ્યાએ સેન્ટ્રલ એનીમલ કેરથી ડૉ.વિકાસ ગુપ્તાને મોકલાવ્યા. આ તરફ જશાધાર જામવાળા એનિમલ કેર સેન્ટરમાં બાકીના ૨૮ સિંહોને રખાયા, જેમાંથી બીજા બે સિંહના મૃત્યુ થયા, જેથી કુલ ૨૩ સિંહના મોત સાથે સમગ્ર દેશ હચમચી ગયો. વિપક્ષે પણ આ બાબતને જોરદાર ચગાવી મૂક્યો. વિપક્ષના મતે આ બધું ગુજરાતના સિંહોને અન્ય રાજ્યમાં ખસેડવા માટેનું કાવતરું ગણાવાયું..! ડૉ.સ્ટીવને વાસ્તવિકતાથી દૂર રાખવા માટે ડૉ.વિકાસ ગુપ્તા ઘણા પ્રયત્નો કરે છે, પરંતુ કેન્દ્રિય ન્યાયાલય દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવાતા સાચો રીપોર્ટ દેશ સમક્ષ લાવવો જરૂરી બન્યો. પરિણામે બનાવ બન્યાના દસેક દિવસે પોસ્ટમોર્ટમ રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો.

પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં સિંહના મૃત્યુ માટે ઇનફાઇટ, રેસ્પિરેટરી અને હિપેટીક ફેલ્યોર, સુપર બ્રોકાનઇઝ, ન્યુમોનિયા જવાબદાર હોવાના સમાચાર દેશભરમાં આગની જેમ ફેલાયા. અગાઉ આ બાબતની બેદરકારી માટે ડૉ.સુબ્રમણ્યમને દોષિત ઠેરાવી તેમના પર તપાસ બેસાડવામાં આવી..! ડૉ.સુબ્રમણ્યમ રાજકારણીઓને મીડીયા સમક્ષ ખુલ્લા પાડવા વિચારી પ્રેસ કોન્ફરન્સ યોજી, પરંતુ ડૉ.સુબ્રમણ્યમ પ્રેસ સમક્ષ હાજર થવા ગાડીમાં જાય છે ત્યારે જ ટ્રક એક્સીડેન્ટમાં ડૉ.સુબ્રમણ્યમનું મૃત્યુ થયું. સૌ જાણતા કે આ પાછળ પોલીટીક્સ રમાયુંહતું.!

સિંહમાં ફેલાતા આ કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસથી અગાઉ ટાન્ઝાનિયામાં આશરે ૧૦૦૦ સિંહના મૃત્યુ થયા હતા. આ વાઇરસ લાગતા તંદુરસ્ત દેખાતો સિંહ સાવ ફસડાઇ પડે છે. આ વાઇરસથી સિંહના ફેફસા ક્ષીણ થઈ જાય છે અને સિંહની રોગપ્રતિકાર ક્ષમતા સાવ ઘટી જતાં સિંહ તરત જ મૃત્યુ પામે છે..! ગુજરાતમાં સિંહને આઇસોલેટ (એકાંતમાં રાકવા) અને ઇન્સ્યુલેટ (બિમારીથી રક્ષણ આપવા) રેસ્ક્યુ સેન્ટરમાં અવલોકન હેઠળ રાખવામાં આવ્યા. કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસથી સિંહોને બચાવવા અમેરિકાના દુલુક શહેરમાં આવેલી મેરિયલ કંપની પાસેથી ૯ લાખની કિંમતની ફેરેટ નામની ૩૦૦ રસી મંગાવવામાં આવી જેની માટે સરકારે આશરે ૨૮૪.૦૯ કરોડ ફાળવ્યા. આ પહેલા ઉત્તરપ્રદેશના ઇટાવામાં આ રસીનો ઉપયોગ કરાયો છે. આ રસી ૩ - ૩ સપ્તાહના અંતે આ રસી અપાશે, જેની અસર એક વર્ષ સુધી રહેશે.

હવે સિંહના બચાવ માટે ફાળવેલા ૨૮૪.૦૯ રુપિયાનો વહીવટ થવા લાગ્યો. રાજ્યના મંત્રીઓ પાસેથી ફાળવેલા પૈસાનો ભાગ પાડતા પાડતા ડૉ.વિકાસ ગુપ્તાના હાથમાં પૈસા આવ્યા.

“આઇ ડોન્ટ થીંક ધ વેક્સીન વુડ બીકમ ફ્રુટફૂલ..!” ડૉ.સ્ટીવને ડૉ.વિકાસ ગુપ્તા આગળ ચિંતા વ્યક્ત કરી.

“આઇ નો ધેટ..!” ડૉ.વિકાસે ટૂંકમાં જવાબ આપ્યો.

“આઇ થીંક પીપલ મસ્ટ નો અબાઉટ ધ ફેક્ટ..!” ડૉ.સ્ટીવને દેશને અંધારામાં ના રાખવા સૂચન કર્યું.

“બટ આઇ ડોન્ટ થીંક યુ આર ફૂલ ટુ ટેલ ઓલ ધીઝ..!” ડૉ.વિકાસ ગુપ્તાએ પેન નીકાળી ૧૦ કરોડ લખી કાગળ ડૉ.સ્ટીવન આગળ ધરતા ખંધા હાસ્ય સાથે કહ્યું.

“યુ થીં આઇ’લ સેલ માય સોલ..!” ગુસ્સાભર્યા ચહેરે ડૉ.સ્ટીવન વિકાસ ગુપ્તાને બોલ્યા. બે ઘડી બિલકુલ શાંતિ પછી હાથ આગળ ધરતા હાસ્ય સાથે ડૉ.સ્ટીવન બોલ્યા, “ધેન યુ આર રાઇટ...ડીલ..!” સિંહના ઇલાજના નામ પર આવા ભ્રષ્ટ કર્મીઓ ઘણું કમાઇ ગયા..! સિંહના બચાવ માટે ફાળવેલા ૨૮૪.૦૯ રુપિયામાંથી ઘણું કમિશન નીકાળી થોડી રકમમાંથી સિંહના બચાવ માટે રસી મંગાવવામાં આવી. સિંહને રસી આપી રેગ્યુલર ચેક અપ માટે નીકળેલા ડૉ.સ્ટીવન અને ડૉ.વિકાસ ગુપ્તાએ દલખાણિયા રેન્જમાં ઇલીગલ લાયન શો કરતા કાનજી વિશે જાણ્યું.

કાનજી ભલે અભણ હતો, પણ તેને મૃત્યુ પામેલા સિંહના નખથી લઈને ચામડા સુધીના વેપાર કરતા કેટલાય વન અધિકારીઓ વિશે જાણતા વાર ના લાગી. સિંહના આ અંગોની દાણચોરી કોઇના માથે નાખવા રાજ્યના પાટનગરથી સૂચના મળી અને આ ગુનામાં ફસાવવા વન અધિકારીઓએ કાનજીની પસંદ કરી હતી. બીજા જ દિવસે કાનજીને આ બધા ગુનાની તપાસ માટે પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યો. કાનજી સરકારની બધી ચાલ જાણી ગયો હોવાથી પોલીસ સ્ટેશનમાં બેઠેલા ડૉ.વિકાસ ગુપ્તાને સાફ ધમકી આપી.

“માયબાપ....હું હંધુયે જાણું છું...સિંહ મરી ગ્યા પછી તેના અંતિમ સંસ્કાર પહેલા એનું ચામડું અને નખ ક્યાં જાય છે...અને જો મારું મોં કોરટમાં ખુલ્યું તો તમે કાયમ જેલમાં રેવાના..!” કાનજીએ માથે બાંધેલું ફાળીયું હાથમાં ઝાપટતા કહ્યું.

“તુ ગભરાઇશ નહીં, તને આ મામલામાંથી કાઢવા હું કોશીશ કરું જ છું...બસ તારું મોં બંધ રાખ...અને આ મમલામાં કોઇને તો ફસાવવા જ પડશે...તુ જ બોલ..તારી જગ્યાએ કોને જેલમાં નખાવું..?” જરાપણ શરમ વગર ડૉ.વિકાસે કાનજીને સમજાવતા કહ્યું.

“બાપુ...એક છે એવો..!” કાનજીએ હાસ્ય સાથે કહ્યું. બીજી કેટલીક ફોર્માલીટીઝ કરી કાનજી પોલીસ સ્ટેશનથી બહાર નીકળ્યો.

બીજી સવારે પોલીસ નેસના સરપંચ બેચર બાપાને અરેસ્ટ કરી ગઈ અને આ દાણચોરીનો દોષ નાખી તેમને જેલભેગા કર્યા. નેસમાં ઘણાને જાણ થઈ કે આ પાછળ કાનજીનો હાથ રહ્યો છે એટલે બધા તેની વિરોધી બન્યા હતા. આ તરફ બેચર બાપાને પોલીસ લઈ જ જાય છે ત્યાં કાનજી બેચર બાપાના ઘરમાં જઈ બેચર બાપાની વહુ લાભુડીને બાહુપાશમાં જકડી પ્રેમમય બની રહે છે. લાભુડીએ પણ લાલચુ બેચર બાપાથી છૂટી હાશકારો લીધો. બીજી તરફ એડવેન્ચરના શોખીન ડૉ.સ્ટીવન અને ડૉ.વિકાસ ગુપ્તા કાનજીને લાયન શો બતાવવા જણાવે છે..! કાનજી આ છેલ્લો લાયન શો કરી લાભુડી સાથે ક્યાંક ભાગી જવા યોજના કરે છે. કાનજી રાતના લાયન શોની તૈયારીઓ કરવા લાગી પડ્યો. રાત માટે કાનજી પાંચેક મરઘી લાવી ટોપલામાં મૂકી રાખી. આ સાથે ડૉ.સ્ટીવન અને ડૉ.વિકાસ ગુપ્તાના રાતવાસ માટે દલખાણિયા જંગલ આગળની પોતે ઘટાદાર લીમડા પર બનાવેલી ઝૂંપડીની બરાબર સફાઇ કરી આ સાહેબોના ‘ખાવા - પીવા’ની વ્યવસ્થા પણ કરી રાખી..! સાંજ થતાં જ લાભુડી કપડાનું પોટલું લઈ નેસના સૌ લોકોની નજર ચૂકવી કાનજીને મળવા જંગલની વાટ પકડે છે.

સાંજ થતાં જ ઠંડી ઘેરાવા લાગી. કાનજી પેલા સાહેબોની રાહ જોઇ બેઠો હતો. થોડીવારમાં જ લાભુડી આવી જતાં તે તેને વળગી પડે છે.

“હવે આપણે કાયમ ભેળા જ રેશું ને..?” બાહુપાશમાં જકડાઇ લાભુડીએ કાનજીને સવાલ કર્યો.

“હા...પેલા ડોસલા બેચરબાપાને ફસાવવા માટે મને એટલા રુપિયા મળ્યા છે કે આખો ભવ બેઠાં બેઠાં જ ખાઇશું..!” કાનજી લાભુડીને ઝાડ પરની ઝૂંપડીએ દોરી જતા જવાબ આપે છે.

ત્યાં જ ડૉ.સ્ટીવન અને ડૉ.વિકાસ ગુપ્તા ગાડીમાં આવી ગયા. બંને કહેવા ખાતર જ કાનજી તરફ જુએ છે પણ તેમનું ધ્યાન તો લાભુડીના કસાયેલા શરીર પર વરૂ બની નહોર ભરી રહી હતી..!

કાનજીએ તેના કાયમના કામ મુજબ એક મરઘીના પગે દોરી બાંધી નજીકના ઝાડની ડાળે લટકાવી. રાત્રી વધુ ઘેરાતી જતી હતી. કાનજીએ સળગાવેલ તાપણાના પ્રકાશમાં ડૉ.સ્ટીવન અને ડૉ.વિકાસ ગુપ્તાની આંખોચમકતી રહી. ઘણો સમય આમ જ શાંત વીત્યો. ત્યાં સામેની ઝાડીમાં સળવળાટ થયો. કાનજી સજ્જ બન્યો. સામેથી આશરે સાડા આઠ ફૂટનો કદાવર સિંહ ઘૂરકીયા કરતો બાહાર આવ્યો. ઘટદાર કેશવાળીવાળા ચહેરાને આમ તેમ હલાવતો તે વનરાજ આગળ આવ્યો. તેની આંખોના તેજ આગળ પાછળ બળતી તાપણીનો પ્રકાશ પણ ફીક્કો લાગ્યો. પૂછડીને જરા વળ દઈ સામે લટકાવેલી મરઘીને એક કોળીયામાં મોંમાં મૂકી સિંહ આ બધા તરફ તાકી રહે છે. સમય સૂચકતા વાપરી સૌ ઝાડ પરની ઝૂંપડી પર ચડી જાય છે.

લાભુડી તરફ આકર્ષાયેલા ડૉ.સ્ટીવન અને ડૉ.વિકાસે કાનજીને ભરપૂર દારૂ પીવડાવ્યો. આજે દારૂના નશામાં કાનજીને જરાય ભાન ના રહ્યું હતું અને તે ઝૂંપડીમાં આડો પડી જાય છે. તેની આંખ ઘેરાતા જ ડૉ.સ્ટીવન અને ડૉ.વિકાસ લાભુડી પર તૂટી પડી છે. ઝૂંપડી નીચે ઘૂઘવાટ કરતા સિંહને કારણે લાભુડીનીચે જઈ શકતી ના હતી અને ચિક્કાર દારૂના નશામાં પેડેલો કાનજી લાભુડીની ચીસ સાંભળવા અક્ષમ હતો. લાભુડીના શરીરને ક્યાંય સુધી ભોગવતા રહ્યા. લાભુડીની આંખો કાયમ માટે બંધ થાય તે પહેલા કાનજી જરા ભાનમાં આવ્યો. ક્યાંય સુધી દર્દથી કણસતી લાભુડી કાયમ માટે શાંત થઈ પડી..! લાભુડીના મોતનો બદલો લેવા કાનજી ડૉ.સ્ટીવન અને ડૉ.વિકાસ સાથે બાથે ભીડાય છે. નશામાં હોવા છતાંયે કાનજી આ બંનેને ઘણો ભારે થઈ પડે છે. ઝાડ પરની આ ઝૂંપડીમાં મારામારીથી ઝાડ સાથે બાંધેલી ઝૂંપડી નીચે પડુંપડું થઈ જાય છે. કાનજી કમરે લટકાવેલા છરાના બે ઘા કરેતાં જ ડૉ.સ્ટીવનને મારી નાખે છે. બરાબર ત્યાં જ વિકાસ ગુપ્તા લાકડીથી કાનજીના માથે જોરદાર ઘા કરે છે. કાનજીના માથા પરથી લોહીની ધાર ચહેરા પર ટીપાં બની વહેવા લાગે છે. કાનજીના હાથમાંથી નીચે પડી ગયેલા છરો હાથમાં લઈ વિકાસ ગુપ્તા કાનજી તરફ છૂટો ઘા કરે છે, પણ કાનજી ખસી જતા તે છરો કાનજીના સાથળને કાપતા કાનજી પાસે પડે છે. કાનજી ફસડાઇ પડે છે, પણ તે સમયસૂચકતા વાપરી પાસે પડેલો છરો ઉઠાવી ભાગવા કરતાં વિકાસ ગુપ્તાના ગળાને એક ઝાટકે ધડથી અલગ કરી નાખે છે ત્યાં જ ઝાડ પરથી ઝૂંપડી નીચે સરકી પડી જાય છે. કાનજીના માથામાં ફરી ઘણું વાગે છે.

કાનજી નજર નાખતા તેની આસપાસ લોહીના ખાબોચિયામાં તેની લાભુડી, ડૉ.સ્ટીવન અને માથા વગરના વિકાસ ગુપ્તાનું ધડ પડેલું જુએ છે. તરત સામે ઊભા રહેલા સિંહના ઘૂરકાટના અવાજે તેનું ધ્યાન લાયન શો માટે બોલાવેલા વિશાળકાય સિંહ તરફ જાય છે. નીચે પડેલી ઝૂંપડીમાં કાનજીનો છરો ક્યાંય દટાયેલો હોઇ કાનજી સાવ નિ:શસ્ત્ર અસહાય બની બેસે છે. સામે ઘૂરકાટ કરતાં સિંહને જોઇ કાનજી સમજી જાય છે કે સિંહને તેની પ્રકૃતિ મુજબ મરેલા શરીર કરતા તેના જીવતા શરીરને ખાવા ઉતાવળો બન્યો છે.

માથામાં વાગેલા ઘાથી ધૂંધળી નજરે કાનજી દરેક પળ તેની તરફ આવતી મોત જોઇ રહે છે. કાનજી તૂટેલી ઝૂંપડી તરફ ઘસડાતો આગળ વધે છે, તો સામે ઘૂરકાટ કરતો સિંહ એક પછી એક ડગલું ભરતા તેની તરફ ધસે છે. કાનજીને નજીક પડેલો છરો દેખાય છે. તે છરા તરફ હાથ લંબાવે છે, ત્યાં જ એક છલાંગ ભરતા સિંહ કાનજીને અડોઅડ આવી જાય છે. સિંહના વિકરાળ ઘૂરકાટ કાનજીના કાનમાં પડઘા પાડતા રહે છે. સિંહ કાનજીના માથેથી ચહેરા પર નીતરી આવેલા લોહીને સૂંઘી હળવેથી જીભથી ચાટે છે. તે કાનજીની આંખોમાં તાકી રહે છે. ઘણા વર્ષો સુધી મરઘીની લાલચ આપતા કાનજીના હાથને સિંહ બરાબર ઓળખે છે. કાનજીના મોંને લગોલગ અડી સિંહ જોરથી ગર્જના કરે છે. તેની ગર્જનાથી મોંથી નીકળેલી હવાથી કાનજીના લાંબા વાળ હવામાં ફરકે છે. કાનજી છરો પકડવા હાથ લંબાવે છે, ત્યાં જ સિંહ લંબાવેલા હાથને પળવારમાં જડબામાં ભરી ખભેથી છૂટો કરી નાખે છે. કાનજી દર્દથી ચીસ પાડી ઊઠે છે.

કાનજી ઢસડાતો આગળ વધવા કરે છે ત્યાં જ સિંહ પંજાના એક પ્રહારથી કાનજીના લોહી નીતરતાં સાથળને ચીરી નાખે છે. કેટલાયે વર્ષો સુધી ગેરકાયદેસર લાયન શો કરવા સિંહ તરફ કેટલીયે મરઘીઓ નાખનાર કાનજી આજે તે દર્દને અનુભવતો રહ્યો. તેની નજર સમક્ષ મોતને જોઇ કાનજી ધ્રુજી રહ્યો. ઢસડાતા આગળ વધતા કાનજીના તાલે સિંહ પણ કાનજી સાથે આગળ વધે છે. કાનજીના બીજા હાથમાં સિંહથી બચવા માટે કરેલા તાપણાનું સળગતું લાકડું આવતા તે સિંહ તરફ પ્રહાર કરવાં કરે છે, પણ ત્યાં જ સિંહ એક મોટી ત્રાડ પાડી પંજાના એક પ્રહારથી કાનજીનું માથું ધડથી છૂટું કરી નાખે છે..!

કાળરાત્રી પસાર થઈ જાય છે. સિંહ પર વેક્સીનની સકારાત્મક અસર થાય છે અને સિંહમાં પ્રવેશેલા વાઇરસ ધીમેધીમે નાશ પામે છે. માનવીય લાલચનો નાશ થાય છે અને કુદરતી વાતાવરણમાં ઘૂઘવાટ કરતાં સિંહ મુક્ત બની વિહરતા રહે છે..!

********